જન્માષ્ટમીએ પેટછુટ્ટી મનની વાત
જન્માષ્ટમીએ પેટછુટ્ટી મનની વાત
ક્રિશ્ન ભગવાન અને રાધાના પ્રણયગીતો ( હું એને ભક્તિગીતો નથી કહેતો ) કાનને સાંભળવા સારા લાગે છે અને તેમાં યે એ દેવિકાબેન અને સ્વરકિન્નરી સંગીતાને કંઠે સાંભળવા મળે ત્યારે !
‘ શ્રાવણનો સરતો મહીનો‘, ‘ મનમંદીરનો માધો‘,’યમુનાની ગાયો‘,’જશોદાનો જાયો‘,’પુછે છે રાધા ,પાસે જઈ કાનાને, ધીરેથી કાનમાં‘ ને….એવું બધું..સુંદર ચિત્રો ઉપસાવી રહે છે મનોચક્ષુ સમક્ષ. કાને સાંભળવું પણ ગમે છે અલબત્ત…પરંતુ.. કોણજાણે કેમ..મને એ બધામાં કોઈ શ્રદ્ધા જાગતી નથી…મને એ બધું કોઇ કવિઓની કલ્પનાઓ જ લાગે છે..એમાં કોઇ અલૌકિકતા છે કે પ્રભુની લીલાઓ છે એવું નથી લાગતું..જન્માષ્ટમીના ઉત્સવમાં ભજનો પર ધુણવું ( ! ) મને ગમે છે, જોર જોરથી ખંજરી વગાડવાથી મારા મનને આનંદ થાય છે-પણ તે સંગીતને કારણે જ. બાકી એમાં કોઇ ધર્મભાવના કે પ્રભુ અવતરવાનો આર્તનાદ નથી હોતો.
ક્રિશ્ન અને રામ એ પ્રજાવત્સલ સારા રાજાઓ હતા અને વંદનીય પણ હશે પણ એ પ્રભુના અવતારો હતા એ ,મારા મનમાં ઉતરતું નથી. એવી જ રીતે,સાંઇબાબા અને જલારામ બાપા પણ સારા ભક્તો હશે અને એક ગુડ હ્યુમન બીઈંગ તરીકે આપણે તેમને વંદન કરીયે, પણ તેમને ય પ્રભુનો અવતાર માનીને તેમના મંદીરો બાંધીને તેમની આરતીઓ જ ઉતાર્યા કરીયે એ મારા મનને સ્પર્ષતું નથી.
આ બધી મારી માન્યતાઓ હોવાં છતાં, હું યે મંદીરોમાં જાઊં છું અને મસ્તક પણ નમાવું છું, દર્શન કરવા નતમસ્તકે આંખો બંધ કરીને મૂર્તિ સમક્ષ ઉભો રહું છું કારણ કે મારી પત્નીને સારુ લાગે છે કે ‘આ દુષ્ટ માણસ સુધરી રહ્યો છે‘, ‘એનામાં કંઇક તો સારુ તત્વ હજી રહ્યું છે‘, ‘મારું કહ્યું માને છે‘, ‘ડાહ્યો થઈ રહ્યો છે‘,’ હવે ભગવાન જરુર એનો ઉદ્ધાર કરશે‘..એવું એવું વિચારીને એને આનંદ થાય છે અને આપણને એમાં શો વાંધો હોય ? ભગવાન મૂર્તિમાં છે કે નથી,આપણને શો ફેર પડે છે ? બધાં માથુ નમાવે છે તો ચાલો, આપણે ય માથુ નમાવીએ.ભગવાન હશે તો એમને સારુ લાગશે અને નહીં હોય તો..આપણા બાપનું શું જાય છે ? આપણે તો શ્રીરામ..શ્રીરામ..કરવું..
આટલી પેટછુટી વાત સવારે સવારે કરી દીધી… નવીન બેન્કર — જન્માષ્ટમી- ૨૨ ઓગસ્ટ ૨૦૧૧.