એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » 2015 » June

સંગીતના કાર્યક્રમની હાઈ લાઈટ્સ-

June 16th, 2015 Posted in અહેવાલ

સંગીતના કાર્યક્રમની હાઈ લાઈટ્સ– 

સાંજના ૭ થી ૧૨ નો સમય જાહેરાતોમાં દર્શાવેલો પણ શો શરુ થયો આઠ વાગ્યે.

લગભગ ૪૦૦ શ્રોતાઓ હતા.  નીચે ‘એમ’ થી ‘ડબલ્યુ’ હરોળની ટીકીટો વેચાઇ ન હતી એવું દેખાઇ આવતું હતું. સીટો બતાવનાર વોલન્ટીયર્સનો અભાવ હતો અથવા જે હશે તેઓ સાવ નિષ્ક્રિયપણે ઉભા હતા. શ્રોતાઓ કોમ્પ્યુટરમાંથી મેળવેલી ટીકીટો ડુપ્લિકેટ પ્રીન્ટ કરી કરીને લાવ્યા હોય એવી આશંકાથી, બોક્સ ઓફીસ પર લાઈનોમાં ઉભા રહી, ટીકીટો દર્શાવી અને હાથ પર બાંધવાની પટ્ટીઓ લઈને, પ્રવેશ અપાતો હતો. જે ખુબ સમય માંગી લેતું કામ હતું. ઇન્ટરવલ પછી, નીચેની ઘણી ખાલી સીટો એકદમ ભરાઇ ગયેલી લાગતી હતી. કદાચ ઉપરવાલે નીચે આ ગયે હો!

ડોક્ટર તુષાર પટેલે એકદમ ટૂંકુ અને મુદ્દાસર પ્રાસંગિક પ્રવચન કરેલું. ( + પોઇન્ટ )

પિનાકીન પાઠક ડાઉન ટૂ અર્થ રહ્યા. એમણે કોઇ પ્રવચન ન કર્યું. ( બીજો પ્લસ પોઇન્ટ)

અંકિત ત્રિવેદી કે તુષાર શુક્લ જેવા સંચાલકોને બદલે આ વખતે, ડોક્ટર માર્ગી હાથી નામના બહેન કેવું સંચાલન કરશે એવી આશંકા ઠગારી નીકળી. માર્ગીબેને ખુબ સુંદર રીતે સંચાલન કર્યું. મને તો એ બહેનમાં આપણા દેવિકાબેન ધ્રુવ જ જાણે દેખાતા હતા. મેં તો એમને સ્ટેજ પર જઈને આ વાત કહી પણ ખરી.

ગમે તે ગાયક ગાતો હોય પણ શ્રોતાઓની દ્રષ્ટી તો સ્ટેજ પર ચોથા ક્રમમાં બેઠેલા આનલ વસાવડા પર જ અટકી જતી હતી.

બે ગાયિકાઓ- હિમાલી વ્યાસ, આનલ  વસાવડા, સંચાલિકા માર્ગીબેન હાથી  સાથે મારો ફોટો, હ્યુસ્ટનના ગાયક કલાકાર શ્રી. કલ્પક ગાંધીએ લીધો છે.

પુરૂષોત્તમ ઉપાધ્યાય નો નાનો ભાઇ ભગવત ઉપાધ્યાય ૧૯૮૨ માં, ન્યુયોર્કમાં સ્ટુડીયો એપાર્ટમેન્ટમાં મારો રુમમેટ હતો અમે એકાદ વર્ષ ૪૦૦ ડોલરના ભાડાનો સ્ટુડીયો એપાર્ટમેન્ટ શેર કરેલો. એ ભગવત મને ૩૨ વર્ષ પછી સ્ટેજ પર મળી ગયો. એ વખતે અમે બન્ને મુફલીસ હતા.

હવે પ્રોગ્રામની વાતો-

પરદો ખુલતાં જ સ્ટેજ પર, ગાદી પર, બાર કલાકારો ગોઠવાયેલા દેખાતા હતા.

ડાબી બાજુથી- મનીષી રાવલ ( તબલા પર), રીતેષ ઉપાધ્યાય ( ઢોલક પર), મનીષ કંસારા ( ઓક્ટોપેડ પર ), ગાયિકા આનલ વસાવડા, ગાયક ભૂમિક શાહ, ગૌરાંગ વ્યાસ, ગાયક દિવ્યાંગ અંજારિયા, ગાયિકા હિમાલી વ્યાસ, ગાયક પ્રહર વોરા, સંચાલિકા ડોક્ટર માર્ગી હાથી,  મુછોવાળો હેન્ડસમ મયુર દવે ( ઇલેક્ટ્રીક ઓર્ગન પર) અને છેલ્લે જમણી બાજુ અદભુત વાંસળીવાદક શ્રેયસ દવે.

પુરુષોત્તમ ઉપાધ્યાયની એન્ટ્રી તો છેક રાત્રે પોણા બાર વાગ્યે થઈ હતી. અને એક વાગ્યા સુધી નોન-સ્ટોપ ‘વાતો ‘ કરી હતી તેમણે. એ વખતે, ગાયકો અને ગાયિકાઓ તથા ખુદ ગૌરાંગ વ્યાસ પણ સ્ટેજ પરથી નીચે ઉતરી જઈને  શ્રોતાઓ સાથે બેસી ગયા હતા. સ્ટેજ પર   ગાદી પર વાજિંત્રકારો અને ખુરશી પર પોતાના હાર્મોનિયમ સાથે  ૮૧ વર્ષની વયના પુરુષોત્તમભાઇ. ૧૯૩૪માં જન્મેલા આ કલાકાર ૧૯૪૭માં, માત્ર તેર વર્ષની વયે મુંબઈમાં શ્રી. અવિનાશ વ્યાસને ક્યાં અને કેવા સંજોગોમાં મળ્યા, તેમના ઘેર રહેવા ગયા અને અવિનાશ વ્યાસે આ હીરા પર પહેલ પાડીને કેવી રીતે મહાન ગાયક બનાવ્યો , પોતાનો માનસપુત્ર તરીકે ઓળખાવ્યો અને પોતાને  ‘એ ય પશલા’ કરીને બોલાવતા એની વાતો કરી. દિલીપ ધોળકિયા, અજીત મર્ચન્ટ, રાજકપુર, લતા મંગેશકર, આશા ભોંસલે, મોહમ્મદ રફી સાહેબ,એસ. ડી બર્મન, પંચમ,  મલ્લિકા-એ-તરન્નુમ બેગમ અખતર સાથેના પોતાના સંસ્મરણો કહ્યા અને સાથે સાથે અમુક ખ્યાતનામ ગીતોના સર્જનની વાતો કહીને એ ગીતો પણ ગાઇ સંભળાવ્યા.

વચ્ચે એક ગાયિકા નિર્મલા અરૂણ નો ઉલ્લેખ કરેલો. મને લાગે છે કે એ નિર્મલા અરૂણ એટલે આજના અભિનેતા ગોવિન્દા ની માતા. અવિનાશભાઇના કયા ગુજરાતી. ગીતો પરથી હિન્દી ફિલ્મોના કયા ગીતો રચાયા એની દિલચશ્પ વાતો પણ કરી.

પહેલા એ ગુજરાતી ગીત નું લગાલગા શાસ્ત્રિય રીતે ગાય, પછી એના શબ્દો આવે અને એ પંક્તિ પુરી થતાં પહેલાં પેલા હિન્દી ગીતની પંક્તિઓ શરુ થાય. અદભુત રજૂઆત હતી એ.

પુરૂષોત્તમભાઇએ ગાયેલા બે ગીતો મને ખુબ ગમ્યા. ‘દિવસો જુદાઇના જાય છે’, અને ‘કહું છું જવાનીને પાછી વળી જા, કે ઘડપણનું ઘર મારૂં આવી ગયું છે’.

કાર્યક્રમ દરમ્યાન કોણે શું ગાયું , કેવું ગાયું એ માટે તો જુદો અહેવાલ લખીશ.

આમ તો અવિનાશ વ્યાસના ગીતો આપણે બધાએ હજ્જારો વખત સાંભળ્યા છે. જુદા જુદા ગાયકોના કંઠે સાંભળ્યા છે. આપણે પોતે પણ ગણગણ્યા છે. એટલે આ વખતે, હું આ કાર્યક્રમમાં જવાના મૂડમાં ન હતો. છેલ્લા ત્રણ દિવસ જ બાકી હતા અને માત્ર ૨૩૫ ટીકીટો વેચાઇ હતી એવી લોકવાયકા સાંભળવા મળી. અને એ સાચી હોય એમ, ડિસ્કાઉન્ટ્સ ની જાહેરાતો થવા લાગી એટલે મારી પત્નીની ૭૩ મી વર્ષગાંઠ પણ આજે જ હતી અને એને આ ગીતો ખુબ ગમે છે એટલે મારા એક મિત્રએ ખાસ સીટવાળી ટીકીટો બુક કરાવી દીધી. હું પણ લગભગ ગૌરાંગ વ્યાસની જ ઉંમરનો છું. એકાદ અપવાદ બાદ કરતાં લગભગ બધાં જ સ્પોન્સરો, પ્રમોટરો, મને સ્ટેજ પર કે ગ્રીનરૂમમાં કલાકારોની મુલાકાત લેવા જવા દે છે. કલાકારો ક્યારે આવવાના છે, ક્યાં ઉતરવાના છે, કેટલું રોકાવાના છે એની માહિતી આપતા હોય છે.

મને સ્પર્શી ગયેલા કેટલાક ગીતો આ રહ્યા.

(૧) શ્રી. ભુમિક શાહે રજૂ કરેલ,  ‘નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે’,

(૨) શ્રી. દિવ્યાંગ અંજારિયાએ રજૂ કરેલ, ‘ ઝરુખે વાત જોતી… વસમું વસમું લાગે છે…સૂનું સૂનું લાગે છે’  વાળું એ ગીત અને ‘ આંખનો અફીણી, બોલનો બંધાણી’. હું મારી જુવાનીના દિવસોમાં ટાઉનહોલમાં આવા જ એક પ્રોગ્રામમાં ગયેલો અને કોઇ ગાયકે આ અફીણીવાળું ગીત ગાવા માંડ્યું કે  કોઇએ બાલ્કનીમાંથી ‘બોલનો બંધાણી’ શબ્દો આવે કે   ‘બોલ’ શબ્દનો પહોળો ઉચ્ચાર કરી મોટેથી પોતે એ લીટી બોલે અને  એ ગીતનો કચરો થઈ જતો. એવું હજી મને યાદ આવે છે. ( અલબત્ત એ તોફાની યુવાન હું ન હતો, હોં !  હું તો શિષ્ટ માણસ છું-તમે બધા જાણો જ છો.)

(૩)  આનલ વસાવડાએ રજૂ કરેલ ‘સીતા એકલા રે, જુએ રામલક્ષ્મણની વાટ’, ’આપણા મલકના માયાળુ માનવી’, ‘ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી’ હજુ કાનમાં ગુંજે છે.

(૪) શ્રી. પ્રહર વોરાએ રજૂ કરેલ ‘મણીયારો’.

કેટલાક ગીતોમાં મને શ્રી. અભેસિંહ રાઠોડની યાદ આવી જતી હતી. પણ એની વાત અહીં નહીં કરું.

મને લાગે છે કે હું તો માત્ર સીનોપ્સીસ લખવા માંગતો હતો અને કદાચ અહેવાલથી પણ વધુ લખાઇ ગયું. મને થોડામાં ઘણું કહેતાં આવડતું નથી એટલે તો હું હાયકુ લખી શકતો નથી.

મારે હવે વાર્તા કહેવાની કળા હસ્તગત કરવી છે. જે રીતે પુરુષોત્તમભાઇ સાહજિક રીતે વાતો કરતા રહ્યા અને સ્વયંભુ શબ્દો નીકળતા રહ્યા અને આપણે એ પ્રવાહમાં તણાતા રહ્યા.

૬/૬/૨૦૧૫

 

ગુજરાત ટાઈમ્સની એક જાહેરખબર

ગુજરાત ટાઈમ્સની એક જાહેરખબર

 

“ચાર અને સાત વર્ષની ઉંમરના બે બાળકોની, છૂટાછેડા લીધેલી અત્યંત ખુબસુરત સ્ત્રી અમેરિકામાં સ્થાયી થયેલા પુરૂષ સાથે લગ્ન કરવાની ઇચ્છા ધરાવે છે. ધંધામાં સાઇઠ હજાર ડોલર્સ સુધીનું રોકાણ કરી શકશે. ફલાણા નંબર પર સંપર્ક સાધશો અથવા અમુક ઇ-મેઇલ પર ઇન્ટરનેટના માધ્યમથી માહિતી મોકલશો.. વગેરે..વગેરે.”. ( ગુજરાત ટાઇમ્સ – ૧૨મી જુન ૨૦૧૫-  પેઇજ ૧૭ )

જાહેરાતમાં બહેને પોતાની ઉંમર નથી જણાવી પણ બાળકોની ઉંમર જોતાં, એ બહેન  જુવાન હશે એમ સમજાય છે. બહેને જ્ઞાતિ કે જાતિ પણ નથી જણાવ્યા એટલે જ્ઞાતિભેદમાં પણ નહીં માનતા હોય. ગમે તે જાતનો હોય પણ પુરૂષ જોઇએ અને અમેરિકામાં સ્થાયી થયેલો અને સીટીઝન અપેક્ષિત છે. ઇન્ડીયામાં મોટી ઉંમર સુધી અપરિણિત રહી ગયેલી સ્ત્રીઓના વડીલો  વીસ ત્રીસ લાખ રુપિયા દહેજમાં આપીને, અમેરિકન સિટીઝન્સ વિધુરો સાથે પોતાની પુત્રીને પરણાવતા હોય છે એ તો બધા જ જાણે છે. જમીનોના ભાવ આસમાને જતાં, ઘણાં ખેડૂતોને રાતોરાત કરોડો રૂપિયા હાથમાં આવી ગયા છે અને ગાડીઓ ફેરવતા થઈ ગયા છે એવા વડીલોની દીકરીઓને આ રીતે ઠેકાણે પાડી દેનારા એજન્ટો પણ ઉભા થઈ ગયા છે. અમેરિકામાં ગ્રીનકાર્ડ વગરની ઘણી સ્ત્રીઓ,  ૧૫- ૨૦ હજાર ડોલર્સ આપીને કોઇ   સિટીઝન ‘મેકલા’ કે ‘કાળિયા’ સાથે કાગળ પર લગ્ન કરીને ગ્રીનકાર્ડ મેળવી લે છે એ પણ હવે જગજાહેર હકિકત છે.

હવે, આ પરિસ્થિતીમાં, કોઇ મોટી ઉંમરનો વિધુર કે વાંઢો  ઇન્ડિયા જઈને વીસ-પચીસ લાખ રૂપિયા લઈને, પોતાનાથી જુવાન અને છડેછડી છોકરીને પરણી લાવવાની તક મળતી હોય તો, આધેડ ઉમ્મરની અને જુવાન બાળકોની માતા સાથે સંસાર માંડવા તૈયાર થાય ખરો  ?  હા..  મનના મેળ મળી ગયા હોય અને અહીં ગ્રીનકાર્ડ વગર રહી પડેલી પણ  આઇ.ટી. એક્ષપર્ટ તરીકે ઢગલો ડોલર્સ રળી આપવાની તક હોય અને રૂપાળી દેખાતી હોય તો કદાચ કોઇ  ચાન્સ લે પણ ખરો. પણ..મોટી ઉંમરના અને દૂધના દાઝેલા, કે ડીવોર્સના ચક્રવ્યુહમાંથી , બધું ફનાફાતિયા કરીને, માંડ છૂટેલા  એવા બેવકુફો પાશેર દૂધ માટે , શિંગડા ભરાવે એવી કોઇ ગાય ( કે ભેંસ ) ને ખીલે બંધાવા તૈયાર થાય ખરા ?

મોટી ઉંમરે વિધુર થયેલા કે છૂટાછેડા લઈને સ્વતંત્ર થયેલા  સજ્જન પુરુષો તમને ભાગવતકથાઓમાં જોવા મળશે. અને  દુષ્ટ પણ  ડાહ્યા  (!)  પુરૂષો રાત્રિકલબોમાં કે ચાઇનીઝ મસાજ પાર્લરોમાં જોવા મળે. ભાગવતકથાઓમાં  આવા સજ્જન પુરૂષો મોટેભાગે શુભ્રધવલ કેશરાશી ધરાવતા અથવા અડધી ટાલવાળા જોવા મળશે. અને રાત્રિકલબોમાં  આવા  રસિક પુરૂષો કલપ કરીને જુવાન દેખાવાનો ડોળ કરનારા કે વીગ પહેરેલા જોવા મળે.

અત્યાર સુધી  ધંધામાં રોકાણની લાલચ આપીને લગ્ન કરવાની ઓફર કરનારી જાહેરાતો જોવામાં નહોતી આવતી. હવે કાયદેસર રીતે પૈસાની ઓફર કરીને , લગ્ન દ્વારા, ગ્રીનકાર્ડ મેળવવાની ઇચ્છા વ્યક્ત કરાતી થઈ છે.

અમેરિકામાં ભાગવતકથાઓની સીઝન આવી ગઈ છે.

અમેરિકામાં  ભાગવતકથાઓની સીઝન આવી ગઈ છે.

નવીન બેન્કર

*****************************************

 

છેલ્લા સોળ કે સત્તર વર્ષથી  કેટલાક ભાગવતકથાકારો ,  અમેરિકામાં દર વર્ષે સીઝનમાં પધારે છે અને પોતાની મેસ્મેરાઇઝ્ડ વાણીથી, પોતાના સુમધુર સંગીતથી ,ભાગવતકથાનું પાન કરાવે છે. ભક્તોને નાચતા કરી મૂકે છે અને સૌથી વધુ   ડોલર્સની ખંડણી ભેગી કરીને ભારત જાય છે. તેમના આવવાના બેત્રણ માસ અગાઉથી તેમના સગાવહાલા અને ભક્તો સોશ્યલ મીડીયામાં પ્રચાર કરતા હોય છે. બિઝનેસકાર્ડ્સ  હજ્જરોની સંખ્યામાં વહેંચાય છે. દરેક જાહેર કાર્યક્રમ માં, તમારી કારના વીન્ડસ્ક્રીન પર કાર્ડ્સ વાઇપર નીચે મૂકી દેવાય છે. પેમ્ફ્લેટ્સ, મેઇલ્સ , છાપામાં આખા પાનાની આકર્ષક જાહેરાતો  દ્વારા પ્રચાર, કથાકાર અને  બિઝનેસરીલેશન્સમાં  પાવરધા ભક્તજનો હેલીકોપ્ટરને પુષ્પક વિમાન બનાવી દઇને, આકાશમાંથી ગુલાબના ફુલોનો વરસાદ વરસાવે છે, ભવ્ય અને ભવ્યાતિત ભવ્ય શોભાયાત્રાઓનું આયોજન કુશળતાપુર્વક કરવામાં આવે છે.  દરરોજ  કથા બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે. કેટલાક મહાદુષ્ટ પાપી પુરુષો  સાંજે વાગ્યે જોબ પરથી આવતી , ફીટ પેન્ટશર્ટ પહેરીને કથામાં આવતી , ભક્તાણીઓને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતી મુદ્રામાં નિહાળીને  કે   સ્થુળ ભક્તાણીઓને  ઉછળી ઉછળીને  નાચતી જોઇને  નયનતૃપ્તિ અર્થે પણ આવતા હોય છે ! શ્રીરામશ્રીરામલોકલ મંદીરના ત્રણચાર પુજારીઓ પણ ત્યાં પાટલા નાંખીને પૂજનવિધિ કરાવતા નજરે ચઢે.  વિવિધ પ્રસંગોની ઉજવણી પ્રસંગે યજમાન બનીને હજ્જારો ડોલર્સની ભેટ ચડાવતા ડોક્ટર કક્ષાના બુધ્ધીજીવીઓ પણ પોતિયા પહેરીને યજમાન બનીને પાટલે બેઠેલા જોવા મળે. શ્રોતાઓમાંથી કોઇ વસુદેવ બને, કોઇ હિરણ્યકશ્યપ બને, કોઇ રૂપાળી સ્ત્રી દેવકી કે યશોદા પણ બને અને .., બધા નાચે, ગાય અને સાત્વિક આનંદ લૂંટે ! કેટલાક વાંકદેખા, નરકના અધિકારી લંપટ પુરુષો ચક્ષુ…..દ્વારા,  મનોમૈથુન કરીને  વિકૃત આનંદ માણતા પણ તમને જોવા મળે. કથામાં, કથાકાર મથુરામાં કે વૃંદાવનમાં જનમ લેવાની વાતો કરે પણ આ જનમ માં તો મુંબઈ કે ન્યુયોર્કમાં જ પડ્યા પાથર્યા રહેતા હોય છે અને ટોયોટા કે મર્સીડીસ ગાડીમાં શોફર્સની સેવા લઈને ઘુમતા હોય છે. ફલાણા ખ્યાતનામ સંતના વારસદાર કહેવાતા આ મિષ્ટભાષી  પોથીપંડીતો , -નો ડાઉટ- ખુબ સારા પ્રવચનકારો હોય છે. પબ્લીકને મેસ્મેરાઇઝ કરી દેવાની તેમની પાસે કળા હોય છે.પુનર્જન્મ અને સ્વર્ગપ્રાપ્તિની આકાંક્ષુ ગુજ્જુ અંધશ્રધ્ધાળુ ભક્તાણીઓ  તેમના વરની મહેનતના પૈસાનો વરસાદ વરસાવી દેતી હોય છે. ચરણસ્પર્શ કરવા અને પોથી પર ડોલર્સ મૂકવા માટે લાંબી લાંબી લાઇનો લાગતી હોય છે.

આપણને તો દરરોજ સ્વાદિષ્ટ ભોજન મળે છે અને બહાર બાંકડા પર બેસીને , આ પરદેશમાં આપણા જાતભાઇઓને મળવાનો અને ગુજરાતી ભાષા બોલવાનો લહાવો મળે છે. જો કે હું અંદર જઈને, સાષ્ટાંગ દંડવત કરતી  સ્થુળ બહેનોને વિકૃત નજરે જોવાનું પાપ નથી કરતો, હોં !  એમ તો હું સજ્જન અને શિષ્ટ માણસ છું-પત્નીથી ડરીને ચાલનારો.

 

શું કિયો’સો તમે ?

 

નવીન બેન્કર   (૭૧૩)-૮૧૮-૪૨૩૯            લખ્યા તારીખ ૧૦ જુન ૨૦૧૫

અમારા ચંચીબા

June 11th, 2015 Posted in ટૂંકી વાર્તાઓ

અમારા  ચંચીબા  ( લઘુકથા )

નવીન બેન્કર 

તમને હવે એ તો ખબર છે જ કે બેલેન્ડ પાર્કના કોમ્યુનિટી સેન્ટરમાં મહિનામાં બે વખત અમારે સિનિયરોની મીટીંગ મળે છે. આજથી પચીસ વર્ષ પહેલાં આ એસોસિયેશનની શરૂઆત થયેલી ત્યારે માંડ પચાસેક સભ્યો હતા અને એ વખતે એના સભ્ય થવાની વયમર્યાદા ૫૦ ની રાખેલી. એ વખતે હું એનો સભ્ય થયેલો. આકાશવાણીના નિયામક પણ રીટાયર થઈને આ શહેરમાં દીકરા સાથે રહેવા આવેલા જે લેખનપ્રવૃત્તિને કારણે મને અમદાવાદથી ઓળખે. એ આ એસોસિયેશનના પ્રેસિડેન્ટ હતા. હું નવો નવો આવેલો અને એ જાણતા હતા કે હું લખું છું એટલે મને પ્રવચન કરવા આમંત્રણ આપ્યું હતું. પછી તો મને એ લોકોની પ્રવૃત્તિઓમાં રસ પડી ગયો એટલે હું પણ સંસ્થાનો સભ્ય થઈ ગયો હતો. સંસ્થાની મીટીંગોના અહેવાલો હું લખતો. હિસાબો પણ સંભાળું અને દર મહિને થતી પિકનિકોના અહેવાલો લખીને ગુજરાતી વર્તમાનપત્રોમાં પ્રસિધ્ધ કરાવું.

ચંચીબા  એ વખતના સભ્ય. હું પચાસ વર્ષનો અને ચંચીબા લગભગ પાંસઠના. એમના દીકરા સાથે રહેતા. એમને ચાર દીકરા. ત્રણ દીકરા આ શહેરમાં અને એક દીકરો કેલિફોર્નિયામાં. ત્રણે દીકરાઓએ વારા કાઢેલા-મા ને રાખવાના. ચાર મહિના થાય એટલે અઠવાડીયા અગાઉ જેનો વારો હોય એને નોટીસ પહોંચી જાય કે ‘જો જે, બા ને મૂકવા આવવાનો છું. વેકેશન પર જવાનો પ્લાનબ્લાન કરતો નહી’. દરેક દીકરા-વહુને બા સાથે રહેવાનો લાભ તો મળવો જોઇએ ને !..શ્રીરામ..શ્રીરામ…

આટલી પુર્વભૂમિકા પછી હું અસલી વાત પર આવું.

આ ચંચીબાને એક ખાસ બહેનપણી હતી.- શકરીબા. જાતે બ્રાહ્મણ. એમનો દીકરો ડેની દ્વિવેદી એમને મૂકવા આવે એટલે હું ઓળખું . મૂળ નામ તો એનું દયાશંકર. પણ આવા તો કેટલાય દયાશંકરો અમેરિકામાં આવીને ડેની બની ગયા છે. બન્ને બહેનપણીઓ સુખદુખની વાતો કરે અને મનનો ભાર હળવો કરે. યુ નો વોટ આઇ મીન !    મંદીર હોય કે સિનિયર્સની મીટીંગ. બધા સોશ્યલાઇઝીંગ કરવા જ જતા હોય છે.

આ ચંચીબા હમણાં ચાર-છ મહીનાથી મીટીંગમાં નહોતા દેખાતા. અચાનક આજે કોઇ પાડોશીની સાથે આવ્યા. મને બહાર બેલેન્ડ પાર્કના બાંકડે બેઠેલો જોઇને તેમણે પુછ્યું-  ‘કેમ ભઈલા, બહાર બેઠો છું ?’

‘અંદર પ્રવિણાબેન કડકિયા યોગા શીખવે છે. અને આપણને જમીન પર બેસવું ફાવે નહીં. વળી, આખી જિન્દગીમાં ક્યારેય કસરત બસરત ના કરી હોય એટલે આટલે વર્ષે આ બધામાં રસ ના પડે. પણ  બહેન, તમે ક્યાં ખોવાઇ ગયા છો ? ચંચીબાને અજાણ્યા લોકો ‘ બા’  કહે. પણ ઘરમાં અને અમારા જેવા આપ્તજનો-માયાવાળા લોકો ‘બહેન’ કહે છે.

નાઇન્ટીપ્લસ ચંચીબા મારી સાથે બાંકડે જ બેસી ગયા. અને એમની કરમકહાણી કહેવી શરૂ કરી-

‘ભઇલા… મારી બહેનપણી શકરી ગુજરી ગઈ પછી હું એકલી પડી ગઈ હતી. કોને મળવા આવું ? મારી સાથે સુખદુખની વાત કરવાવાળી તો એક એ હતી. મારો સૌથી વહાલો દીકરો શ્રવણકુમાર ગુજરી ગયો. એ જ તો મારી કાળજી રાખતો હતો.    જરા ય મ્હોં બગાડ્યા વગર મને મીટીગમાં મૂકવા આવતો, મીટીંગ પુરી થાય ત્યાં સુધી બહાર બાંકડે બેસી રહીને મારી રાહ જુએ. બહાર હોટલમાં ખાવ લઈ જાય. મંદીરમાં દર્શન કરવા લઈ જાય. એ ગુજરી ગ્યો ને મારી કરમકઠણાઇ બેસી ગઈ. બીજા દીકરાઓની વહુઓ તો એમની માઓને લઈ  જવાની હોય તો  જ આપણને ય ગાડીમાં બેહાડે. બાકી બે ય જણીઓને તો હાહુ આંખમાં કણાની જેમ ખુંચે. હજુ એકની વહુ તો હારી’સે પણ બીજાની વઉ તો કાટમાં કાટ અને મારો દીકરો તો એનાથી ય મોટો કાટ. લોકલાજે ઘરમાં રાખે અને બટકુ નાંખે પણ…’

એમની વાતને અધવચ્ચેથી અટકાવીને મેં પુછી લીધું- ‘ તે બહેન, તમે  અહીં ઓશિયાળી જિન્દગી વેઠવા કરતાં ઇન્ડીયામાં તમારા  પોતાના ઘરમાં જઈને રહો ને ! ત્યાં તો સગાંવહાલા-પાડોશીઓ તમને સાચવે, નોકરચાકર મળી રહે, રસોઇ કરવાવાળી બાઈ રાખી લેવાની અને જ્યારે દેવદર્શને કે સોશ્યલ કામે જવું હોય ત્યારે રીક્ષાઓ ક્યાં નથી ?  છોકરાઓ એમ તો બે પાંદડે છે. ‘…

‘ભઈ…એનું જ તો દુખ’સે…પાંચ વરહ પહેલાં, દીકરાઓએ મને કહ્યું-‘ બહેન, તુ હવે પંચ્યાશીની થઈ. તારા મરી ગયા પછી ઇન્ડીયાના ઘર અને પૈસા માટે બખેડા પડે, કોરટકચેરીના ધક્કા અમારે ખાવા પડે અને ઇન્ડીયામાં તો સરકારી કચેરીઓમાં વચેટીયા વગર કોઇ કામ જ નથી થતું. વળી અત્યારે ગુજરાતમાં મોદીસાહેબનું રાજ છે અને રીયલ એસ્ટેટ તેજીમાં છે. તો ઘર કાઢી નાંખીએ. તારે જેને આપવા હોય એ તારા જીવતા જ પતાવી દે. હવે તને ય પંચ્યાશી થયા. તું યે કેટલું જીવવાની ? આ તો બોનસની જિન્દગી કહેવાય.’ મને ય એમની વાત  હાસી લાગી અને મેં ય મૂઇએ કાગળીયાઓમાં સહીઓ કરી આલી. ઇ હંધુ ય  વેસાઇ ગ્યું ને ચારે ય જણાંએ વહેંચી લીધા. મારા જગુએ ( એમના વરને  એ વહાલમાં જગુડો કહેતા ) મારા ઘડપણ માટે વ્યવસ્થા કરેલી.’ ( ડૂસ્કુ )  

‘તે બહેન… તમારા શ્રવણકુમારને શું થયું હતું ?’ 

એ ય બચાડો જીવ દુખિયારો જ હતો.  એ જ અમેરિકામાં પહેલવેલો આયો’તો. એણે જ હંધાયને આંય કને બોલાયા’તા. પેલા બધા વધારે ભણેલા તે મીલીયોનેર થઈ ગ્યા ને મારો શ્રવણ ઓ્છું ભણેલો  ને સીધી લીટીનો માણહ તે નાનકડી નોકરી કરીને પડી રહ્યો. એની બૈરી રૂપાળી અને ફેશનવાળી. એને મારો શ્રવણ કદી ગમતો નહોતો, પણ અમેરિકા આવવા માટે પૈણેલી. શ્રવણને આઘો ને આઘો જ રાખે. જોકે ભેળા રહ્યા એટલે  એક દીકરી થઈ ગઈ. એ ય એની મા પર જ પડી છે. રૂપરૂપનો અંબાર છે. એને પેલા જુગાર રમવા જાય છે ને ત્યાં-‘

‘હા… લાસ વેગાસ.’ મેં કહ્યું.

‘હા..ત્યાં લાસવેગાસમાં દીકરી અને જમાઇ રહે છે. શ્રવણની વહુ પણ એની દીકરીની સુવાવડ કરવા ત્યાં ગઈ અને રહી ગઈ. ત્યાંની ઝાકઝમાળમાં ખોવાઇ ગઈ. અને મારો શ્રવણ અહીં એની જોબ કરતો એકલો ને એકલો હોટલોના રોટલા ખાઈ ખાઇને પડ્યો રહ્યો. શ્રવણને હમણાં જ પાંસઠ થયા ને એ રીટાયર થઈને લાસવેગાસ ગયો હતો અને ત્યાં જ હાર્ટએટેકથી ગુજરી ગયો. બચાડો એની સોશ્યલ સીક્યોરીટી ખાવા ય  નો રહ્યો.’ ( ડૂસ્કુ)

સાલ્લાના છેડાથી આંખો લુછતાં બહેને આગળ ચલાવ્યું-

‘હવે આ બે દીકરાઓની વચ્ચે દહાડા કાઢું છું. લબાચા  લઈને આને ઘેરથી પેલાના ઘેર ને પેલાના ઘેરથી આના ઘેર. વહુઓ કહે કે બારીના પડદા નહીં ખોલવાના તો સુર્યના પ્રકાશ વગર અંધારિયા ઓયડામાં પુરાઈ રહેવાનું. ઘડીક ઓસરીમાં ખુરશી નાંખીને બેહવાનું મન થાય તો કહેશે-‘બહાર ના બેસાય, કોઇ ઘરમાં ઘુસી જાય અને મારી નાંખે. ઘરની અંદર જ રહો.’

‘તો…બહેન, તમે તમારી પૌત્રીને ઘર લાસવેગાસ જતા રહો ને !’ -મેં સુચવ્યું.

‘શ્રવણની વહુને એ ગમે ? હવે તો શ્રવણની સોશ્યલ સીક્યોરીટી, બચતના પૈસા, લાઇફ ઇન્સ્યોરન્સના પૈસાથી એ લાસવેગાસની ક્લબોમાં મજા કરતી હોય ત્યાં આ બુઢ્ઢી સાસુ સહન થાય  અને ભઈલા, એક ખાનગી વાત કહું ? એ તો શ્રવણના ફ્યુનરલમાં યે નહોતી આવી. પત્ની એના બાળક્ના બાપના અંતીમ દર્શન કરવા કે અંતીમ વિદાય દેવાનું સૌજન્ય ચૂકી ગઈ હતી. બધાયે બહુ સમજાવી પણ ના માની તે ના જ માની.’

‘એવું ય બને કે એ અતિશય પ્રેમને કારણે, પોતે એ સહન નહીં કરી શકે એ વિચારે ફ્યુનરલમાં ન આવી હોય’- મેં  મારો વિચાર દર્શાવ્યો.

‘ અરે..પ્રેમબેમ તો એને કદી નહોતો. હમેશાં જાહેરમાં, વારતહેવારે કુટુંબના બધા ભેગા થયા હોય ત્યારે એ કહેતી-‘ કોઇએ મને એવોર્ડ આપવો જોઇએ આવા વરને નભાવવા બદલ ‘…

-હંમેશાં એની આંખમાં મારા શ્રવણ માટે એક પ્રકારની નફરત , ઉપેક્ષા જ દેખાતી. એનું બધાં વચ્ચે અપમાન જ કરતી હતી. પોતે રૂપાળી છે એનું એને અભિમાન હતું એને તો પોતાને માટે કોઇ સલમાનખાન જેવા સોહામણા પુરુષની ઝંખના હતી.

હવે હું શું બોલું ?

નાઇન્ટી પ્લસ ચંચીબા જેવા ઘણાં સિનિયરો મને એમની હૈયાવરાળ કહેતા હોય છે.

તમે ય કોઇ દિવસ બેલેન્ડ પાર્કના બાંકડે, કે કોઇ મંદીરની બહાર ટોળે વળેલા ગ્રુપમાં આવજો. આંખ અને કાન ખુલ્લા રાખશો તો આવા કેટલાય ચંચીબાઓ તમને જોવા મળશે. કેટલાય ડેની, કેટલાય શ્રવણકુમારો તમને ભટકાશે.

એક રીક્વેસ્ટ કરૂં ?  આ વાત મારી પત્નીને ના કહેશો. નહિંતર એ મને દુનિયાદારીની શિખામણ આપતાં કહેશે- ‘ એ ડોશીઓ તો બધી પોતાના દીકરા-વહુઓની ખણખોદ કરવા અને વગોવવા જ મંદીરો અને મીટીંગોમા જતી હોય છે. મારે તો સારૂં છે કે હું બહેરી છું એટલે મારી જોડે તો કોઇ વાત કરવા આવે જ નહીં. એક તો આવી વાતો ધીમેથી કહેવાય અને હું મૂઇ સાંભળું નહીં એટલે એમને મોટેથી બોલવું પડે. અને એકનું એક વાક્ય ચાર ચાર વાર બોલવું પડે એટલે બધાં મારાથી દૂર ભાગે. અને…તું  સાલો ઘાંયજો છું. પઈની પેદાશ નહીં ને આવું આવું લખીને છપાવે અને વગર ફોગટના ફોટા પાડી પાડીને –‘ વગેરે..વગેરે…

યુ નો વોટ આઇ મીન !

નવીન બેન્કર – (૭૧૩)-૮૧૮-૪૨૩૯             લખ્યા તારીખ-૧૦ જુન ૨૦૧૫

***************************************************************

 

  

 

 

સમાધાન – ( ટૂંકી વાર્તા ) લેખક- નવીન બેન્કર

June 5th, 2015 Posted in ટૂંકી વાર્તાઓ
નોંધ- આ વાર્તાનું થીમ એડલ્ટ છે. આપણા કહેવાતા ધર્મગ્રંથો અને પુરાણોમાં વર્ણવેલી કેટલીક  વાતોને મેં આ વાર્તામાં ગુંથી લીધી છે તો પછી એને અશ્લીલ અશ્લીલ‘ કહીને કાગારોળ કરવાનો  શો અર્થ ?  આ વાર્તા ૧૯૭૪માં-૨૮ ઓગસ્ટ ૧૯૭૪ને પુરુષોત્તમ માસની પવિત્ર એકાદશીને બુધવારે  મેં લખેલી એવું મારી હસ્તપ્રત પરથી જણાય છે. અમદાવાદના કોઇ સામયિકમાં છપાયા બાદજનસત્તા
પ્રેસના ચાંદની‘ વાર્તામાસિકના ચર્ચાચોરો‘ વિભાગમાંઆ અંગેમારા પર ટીકાઓનો મારો થયેલો,  ઓર્થોડોક્સ અને ચોખલિયા લોકોએ કાગારોળ કરી મૂકેલી. મારી આ અને આવી વાર્તાઓ અંગે ગુજરાત  સરકારે મને નોટીસ પણ મોકલેલી અને બકુલ જોશીપુરા જેવા લેખક-એડવોકેટની દરમ્યાનગીરીથી હું બચી ગયેલો.. એ જ સમયગાળામાંસ્વરુપ સેકસ ક્યોરવાળા ડોક્ટર સ્વરુપ ( સાચુ નામ રામસ્વરુપ શર્મા)  અને લેખક લક્ષ્મીકાંત વોરા પર પણ આવી તવાઈ ઉતરેલી. એ પણ એ બહુ લાંબી વાત છે. ફરી ક્યારેક….
નવીન બેન્કર    –૮/૮/૨૦૧૨-શહીદ દિન.
 

સમાધાન – ( ટૂંકી વાર્તા )             લેખક- નવીન બેન્કર

પરમ પવિત્ર અને ફળદાયી પુરુષોત્તમ માસ ચાલતો હતો.
હજારો શ્રધ્ધાળુ ભાવિક ભક્તો-સ્ત્રીપુરુષો- બ્રાહ્મ મુહૂર્તથી માંડીને આખો દિવસ સાબરમતી નદીમાં સ્નાન કરવા ઉતરી પડતા હતા. હંમેશાં નિર્જન જેવો રહેતો સાબરમતી નદીનો કિનારો આવા ભાવિક ભક્તજનોથી ઉભરાઇ ગયો હતો.છેક નદીના તટથી માંડીને વિક્ટોરિયા ગાર્ડન સુધી દીન-હીન ભિખારીઓ અને યાચક બ્રાહ્મણોની લંગાર પણ બિસ્તરા બિછાવીને પડી હતી.
એ દિવસે એકાદશી અને બુધવાર હતો.
શાલિભદ્ર બાવીસ વર્ષનો યુવાન હતો.ઉચ્ચ બ્રાહ્મણ કુટુંબમાં એનો જન્મ થયો હતો.એની માતા એક અત્યંત સંસ્કારી અને પવિત્ર સ્ત્રી હતી.તેથી એને નાનપણથી જ ધર્મભાવનાના સંસ્કાર પ્રાપ્ત થયા હતા.પોતાની દાદીમા અને માતા સાથે એ માંડવીની પોળમાં આવેલી લાલાભાઇની પોળના એક મઠમાં ભજનકિર્તન સાંભળવા જતો. એ વખતે એની ઉંમર માત્ર નવ વર્ષની હતી છતાં એને ભગવદગીતાનો નવમોબારમો અને પંદરમો અધ્યાય કંઠસ્થ હતા.સત્સંગ કરાવનાર સંન્યાસી કહેતા કે ‘ યે લડકા બડા હોકર સન્યાસી હોગા યા બડા જ્ઞાની-ધ્યાની બનેગા.અગલે જનમસે ધરમધ્યાન કરતે હુયે આયા હૈ‘.
પરંતુજન્મજાત સંસ્કારોને કારણે નાની ઉંમરમાં જ ,સંન્યાસ લેનારા સંન્યાસીઓ ઘણાં ઓછા હોય છે.મોટેભાગે તોઆ સંસારના સારામાઠા અનુભવોની એરણ પરથી પસાર થયા બાદ જ સંન્યસ્તભાવ જાગ્રુત થતો હોય છે. આપણાં ધાર્મિક ગંથો કે પુરાણોના ઋહિમૂનીઓના જીવનચરિત્રો જોતાંઆ બાબત સ્પષ્ટ થશે. કેટલાક સંપ્રદાયો નાની ઉંમરના કુમળા બાળકોનું બ્રેઈન-વોશીંગ કરી નાંખીને પણ સંન્યાસી બનાવી દેતા હોય છે.
કહેવાનું તાત્પર્ય એ જ કે શાલિભદ્રના સંસ્કારો ઉત્તમ હતા,પરંતુ યુવાનીવિલાસી સ્વભાવના દોસ્તોઆજકાલનું કામવાસના ઉશ્કેરે તેવું હલકુ સાહિત્ય અને ચલચિત્રો જેવી બાબતોએ એના પ્રજ્ઞાચક્ષુઓ આગળ મોહમયી માયાના પડદા ઢાળી દીધા હતા.
છતાં….પૂર્વજન્મના અને આ જન્મના સંસ્કારોને કારણે,એણે આજે પુરુષોત્તમ માસની એકાદશીનું વ્રત કરવાનું નક્કી કર્યું હતું.એની સુશીલ અને સુલક્ષણા પત્ની પણ ધર્મભાવનાવાળી હતી. એ તો આખો માસ નદીમાં સ્નાન કરીપુરુષોત્તમ માસની કથાવાર્તા શ્રવણ કર્યા બાદ એક ટાણું ભોજન કરતી અને આખો માસ મન-વચન-કર્મથી બ્રહમચર્યવ્રતનું પાલન કરતી.
શાલિભદ્ર જરા શોખીન અને રંગીન તબિયતનો મસ્ત યુવાન હતો એટલે એને આ મન-વચન-કર્મનું બ્રહમચર્ય‘ ન જ ગમે એ સ્વાભાવિક હતું પરંતુપત્નીની ધર્મભાવનાને આડે આવવું એને ગમતું નહીં. વળીચાર વર્ષના લગ્નજીવન દરમ્યાન એને હજીસુધી સંતાનપ્રાપ્તી થઈ ન હતી તેથી પુરુષોત્તમ માસના વ્રતદ્વારા એ ફળપ્રાપ્તીની એમને આશા પણ હતી.
પત્નીના અત્યંત આગ્રહને વશ થઈને એણે આ વ્રત કરવાનું નક્કી કર્યું અને એ દિવસેસવારે છ વાગ્યે ઉઠી જઈને,એલીસબ્રીજ નીચેસન્યાસ આશ્રમની પાછળના સાબરમતી નદીના કિનારે સ્નાન કરવા ,એ પત્ની સાથે આવ્યો હતો.
કિનારા પર બેઠેલા એક બ્રાહમણના પાથરણા પર કપડાંથેલીલોટો વગેરે મૂકીને પત્નીસ્ત્રીઓ માટે બાંધેલા કંતાનોવાળા પાર્ટીશન બાજુ સ્નાનાર્થે ગઈ અને શાલિભદ્ર એક ટૂંકી ચડ્ડીભેર આ બાજુ પાણીમાં પ્રવેશ્યો.
સ્નાન કરતાં કરતાંશાલિભદ્રની નજરપોતાનાથી દૂર સ્નાન કરતી  કેટલીયે સ્ત્રીઓ પર પડી. જો કે એમાંની મોટાભાગની સ્ત્રીઓ તો આધેડ વયની કે વ્રુધ્ધ હતી. પરંતું એમના દેખાદેખી અગર તો ખાનદાનની રીત અનુસાર ઘણી યુવાન સ્ત્રીઓ પણ એમાં હતી.
કપડાભેર સ્નાન કરતી એ સ્ત્રીઓના વસ્ત્રો પાણીમાં ભીના થવાને કારણે દેહલતા સાથે ચપોચપ ચીપકાઇ ગયા હતા અને એમાંથી યૌવનદર્શક અંગોપાંગો સ્પષ્ટપણે દ્રષ્ટીગોચર થતાં હતાં.
યુવાન શાલિભદ્રની દ્રષ્ટી એવી યૌવનમત્ત સદ્યસ્નાતાઓ પર જ ફરવા લાગી.
સ્ત્રીનું સૌંદર્ય એ તો કામદેવનું અમોઘ શસ્ત્ર છે. હજારો ઋષિઓના તપનો નાશ કરવા માટે ઇન્દ્ર જેવાએ પણ એનો સફ્ળ ઉપયોગ કર્યાના દાખલા આપણા પુરાણોમાં નોંધાયેલા છે. એ પ્રમાણેઆ સંસ્કારી અને બુધ્ધીમાન યુવાન શાલીભદ્રના મનમાં પણ પેલી સ્ત્રીઓના સુવિકસિત પયોધરોના દર્શનથી કામવાસના જાગવા માંડી. ઘડીભર એ ભૂલી ગયો કે પોતાની પત્ની પણ પેલા કંતાનના પડદા પાછળ એ જે રીતે સ્નાન કરી રહી છે અને આ રીતે અશિષ્ટ થઈને પરનારી પ્રત્યે કુદ્રષ્ટી કરવી એ પાપ છે.
આવી રીતેએક અત્યંત ઉન્નત પયોધરોવાળી સુંદર યુવતીને જોતાં જોતા એણે વિચાર્યું- કાશ ! આ નવયૌવના સાથે માત્ર એક જ રાત રતિસુખ માણવાની તક મળે તો કેટલું સ્વર્ગીય સુખ પ્રાપ્ત થાય !!!
એમ વિચારતાં વિચારતાં એ એટલી હદ સુધી ઉત્તેજીત થઈ ગયો કે એનું સ્ખલન થઈ ગયું.-યુ નો વોટ આઇ મીનરાઇટ ?
સ્ખલન થઈ ગયા પછી પુરુષ હંમેશાંવિકારમુક્ત થઇ જાય છે અને એની વિવેકબુધ્ધી પણ યથાસ્થાને આવી જાય છે. એ પ્રમાણે શાલિભદ્ર પણ શાંત થઇ ગયો અને વિવેકબુધ્ધી ઠેકાણે આવી જતાંપોતાનાથી થઈ ગયેલા માનસિક વ્યભિચાર બદલ પસ્તાવો કરવા લાગ્યો.
થોડીવારે એ નદીમાંથી બહાર નીકળ્યો અનેપત્નીના હાથે થોડુંક  દાનધરમ કરાવીમહાલક્ષ્મી માતાના મંદીરમાં દર્શનાદિ કરીને ઘેર આવ્યો. કથા સાંભળી,એકટાણું કર્યું પરંતુ મનનું પેલું માનસિક પાપ ડંખી રહ્યું. “અરરર..! મારું આટલું અધઃપતન મારાથી આજે વ્રતના દિવસે આવું વિચારી જ કેમ શકાયું ઓહ..! પ્રભુ ! હું એટલો બધો અસંયમી બની ગયો કે પાણીમાં સ્નાન કરતાં કરતાં સ્ખલિત થઈ ગયો ?”
આમઆખો દિવસ પશ્ચાતાપની આગમાં જલતાં જલતાં રાત પડી.અને એ પ્રભુસ્મરણ કરતો,પત્નીથી અલગ સૂઈ ગયો.મન-વચન-કર્મથી પુરુષોત્તમ માસમાં બ્રહ્મચર્યનું પાલન કરતી પત્નીના ધર્મમાર્ગમાં એ અવરોધ બનવા ઇચ્છતો ન હતો.
મહર્ષી નારદમૂનિ એ દિવસે પુરુષોત્તમ ભગવાનના ભક્તોની દિનચર્યા નિહાળવા અમદાવાદ પધાર્યા હતા. એમનાથી આ સંસ્કારી યુવાનના મનની સ્થિતિ કેમ અજાણી રહે એમણે જોયું કે એકવાર ભલે આ નાદાન યુવાનથી માનસિક વ્યભિચાર થઈ ગયોપરંતુ એનો અંતરાત્મા એ બદલ સતત પશ્ચાતાપ કરે છે. જો હું એના મનનું સમાધાન નહીં કરું તો એ અન્નજળનો ત્યાગ કરીને દેહત્યાગ કરી દેશે.
એટલે..રાત્રે ઉંઘમાં પણ જ્યારે આપણો શાલિભદ્ર અરરર…મારું આટલું અધઃપતન ?’ એમ બબડતો હતો ત્યારે નારદમૂનિ એના સ્વપ્નમાં દેખાયા અને કહેવા લાગ્યા-” હે વત્સ ! શા માટે આમ બબડ્યા કરે છે ?  શાનો પતન..પતન..કરીને જીવ બાળે છે મને એનું કારણ કહે તો હું તારા મનનું સમાધાન કરું.”
ઉંઘમાં જ શાલિભદ્રના અંતરાત્માએ જવાબ આપ્યો-” હે મહર્ષિ નારદજીઆપ તો અંતર્યામિ છો. આજે સરિતામાં સ્નાન કરતાં કરતાં મારાથી એક ષોડશી સુંદરીના ઉન્નત વિશાળ પયોધરો અને મસ્ત યુવાની જોઇને મારાથી માનસિક વ્યભિચારનો મહાદોષ થઈ ગયો છે.એટલું જ નહીંપણ કુદરતદત્ત એવા અમૂલ્ય શુક્રનું પાણીમાં સ્ખલન થઇ ગયું છે. હે પ્રભો ! આ પાપનું પ્રાયશ્ચિત શું કરવું કયા વ્રતના ઉપાયે કરીને એ દોષ ધોવાઈ જાય એ ક્રુપા કરીને મને કહોમૂનિવર !”
અત્યંત દીનતાપૂર્વકઆજીજીભરી વાણીમાં ઉચ્ચારાયેલાએ નાદાન યુવાનના આર્દ્રતાભર્યા વચનો સાંભળીને મૂનિવર નારદજી ઉવાચ-
હે વત્સ ! હું કહું તે કથાઓ સાંભળ.  પાણીમાં શુક્રસ્ખલન કરનાર તું કાંઇ પહેલો પુરુષ નથી.પુરાણકાળમાં ઘણાં જ્ઞાની-ધ્યાની બ્રહ્મર્ષિઓએ પણ એમ કરેલું છે.
ગૌતમ ઋષિના પુત્ર શરદવાન વેદવેદાંત અને ધનુર્વિદ્યામાં કુશળ હતા. એમણે તપ કરવા માંડ્યું.ઇન્દ્રને ઇન્દ્રાસન જવાનો ડર લાગ્યો એટલે એણે જાનપદી નામની અપ્સરા મોકલી. જાનપદીનું રુપ જોઇને શરદવાન મોહિત થઈ ગયા અને તત્કાળ એમનું વીર્ય-સ્ખલન થઈ ગયું . એ વીર્યના બે ભાગ થયાજેમાંથી મહાભારત-પ્રસિધ્ધ ક્રુપાચાર્ય અને ક્રુપિનો જન્મ થયો.
એવા જ બીજા એક મૂનિ ભરદ્વાજે અપ્સરા ઘ્રુતાચીને નદીમાં નહાતી જોઇ. વસ્ત્રવિહિન ઘ્રુતાચીને નિહાળીને ભરદ્વાજ મૂનિ સ્ખલિત થઇ ગયાજે વીર્યમાંથી દ્રોણાચાર્યનો જન્મ થયો હતો.
આ જ ઘ્રુતાચીને જોઇનેઅરણિના બે લાકડા ઘસીને અગ્નિ પ્રગટાવતા મૂનિ વ્યાસજીને કામવાસના જાગી હતી અને એ સ્ખલિત થઈ જતાં તેમનું વીર્ય અરણિ પર પડ્યું અને..ભાગવત-પ્રસિધ્ધ શુકદેવજીનો જન્મ થયો હતો…નારાયણ…નારાયણ…”
આ વિચિત્ર જન્મકથાઓ સાંભળતાં સાંભળતાં શાલિભદ્રે વચ્ચે પ્રશ્ન પુછ્યો- ” હે મહર્ષિ નારદ ! આપે જે જે વ્રુત્તાંતો કહ્યા તે તો સામાન્ય સ્ખલનનાં છે,એમાં સરિતા-સ્ખલનની વાત ક્યાં આવી માટે…ક્રુપા કરીને મારા મનનું સમાધાન કરે તેવામારી જેમ સરિતામાં સ્ખલન કરનાર મહાનુભાવોની કથા મને કહેવા આપ ક્રુપા કરો.”
નારદમૂનિએ હસીને વ્રુત્તાંત આગળ ચલાવ્યુ. ” વત્સ ! શાંત થા…સ્વસ્થ થા.. એ વાતો પણ આગળ આવે જ છે.”
દધીચી ઋષિ નદીમાં એક પગે ઉભારહીને તપ કરતા હતા ત્યારે ઇન્દ્રે મોકલેલી અલુંબષા નામની અપ્સરાના અવર્ણનીય રુપને નિહાળીને તપ કરતા દધીચી ઋષિએ પણ સરસ્વતી જેવી કુંવારકા નદીમાં શુક્રસ્ખલન કર્યું હતું.
કશ્યપમૂનિ નદીમાં સ્નાન કરતા હતા અને ભગવાન સૂર્યનારાયણને જળનો અર્ઘ્ય ધરાવતા હતા ત્યારે આકાશમાંથી ઉર્વશી નામની અપ્સરા પસાર થતી હતી એને જોઇને કશ્યપ મૂનિ પણ તારી જેમ જ પાણીમાં વીર્ય-સ્ખલન કરી બેઠા હતા.પાણીમાં વહી ગયેલું વીર્ય એક હરણીના પીવામાં આવતાંએને ગર્ભ રહ્યો અને મૂનિ ઋષ્યશ્રુંગનો જન્મ થયો હતો.
ઉદ્દાલક  ઋષિ સરિતામાં સ્નાન કરતા હતા ત્યાં એમનું વીર્ય એક પુષ્પ પર ચોંટી ગયું. એક રાજકુમારીએએ પુષ્પ ઉઠાવીને સુંઘતાંવીર્ય એની નાસિકા દ્વારા એના ઉદરમાં પહોંચી ગયું અને તેણીને ગર્ભ રહ્યો હતો.
માટે…હે વત્સ શાલિભદ્ર ! પુરાણોમાં વર્ણવેલી આ બધી વિચિત્ર લાગે તેવી જન્મકથાઓ અને વીર્ય-સ્ખલનની વાતો જાણ્યા પછી તારે અજંપો રાખવાનું કે મહાપાપ થઈ ગયાની ગુનાહિત લાગણી રાખવાનું કે ઇન્ફીરીયોરીટી કોમ્લેક્સથી પીડાવાનું કોઇ કારણ નથી. હો..ય ! થઇ જાય !!! ભલભલા ઋષિમૂનિઓને  આવું થઈ ગયું હોય તો તું તો પામર માનવી જ છે ને !  માટે…ઉત્તિષ્ઠ…એન્ડ  ફરગેટ ઇટ માય બોય…..સ્ખલન હો જાના યે તો વીર્યકા સ્વભાવ હૈવત્સ ! અગર સ્ખલન નહીં હોગા તો નયા કૈસે બનેગા કુદરત શ્વાસ પણ એકના એક નથી આપતી..શીવજી અને ભિલડીની કથા ખબર છે ને ! પણ આજ પુરતી આટલી વાતો બસ છે.”
નારદમૂનિ અંતર્ધ્યાન થઈ ગયા.
સવારે શાલિભદ્ર ઉંઘમાંથી જાગ્યો ત્યારે એના મનનું સમાધાન થઈ ગયું હતું.
લેખક- નવીન બેન્કર 
લખ્યા તારીખ ૨૮ ઓગસ્ટ ૧૯૭૪-પુરુષોત્તમ માસની એકાદશી ને બુધવાર.
 
 
 Navin Banker

હું કેવી રીતે લખું છું. (સંકલીત)

June 5th, 2015 Posted in સંકલન્

હું  કેવી રીતે લખું છું.  (સંકલીત)

લેખક પોતાની ચેતનાને બુઠ્ઠી બનાવી શકતો નથી, જડ બનાવી શકતો નથી. એણે પોતાની સંવેદનશીલતા સાચવી રાખવી પડે છે. રમેશ પારેખ એક કવિતામાં કહે છે એમ તાતા વંટોળીયાની હાજરીમાં, ભીની થઈ ગયેલી દીવાસળીથી, દીવો પેટાવવાનો હોય છે. આમ છતાં એ સંવેદનશીલતા, એ ઈમોસન્સ, લાગણીઓ એની પાસે લખવાની પ્રવૃત્તિ કરાવવાને બદલે એને કોઈક બીજા જ વિશ્ર્વમાં લઈ જવા માગતી હોય ત્યારે એણે, જે સંવેદનશીલતા પોતાના અસ્તિત્વનો આધાર છે, એને પણ ઘડીભર બાજુએ રાખી કાગળ-કલમની સન્મુખ થવું પડે છે કારણ કે એ લેખક છે. એની સૌ પ્રથમ નિસબત, જેને કારણે એ લેખક ગણાય છે તેની સાથે અર્થાત કાગળ-કલમ સાથે છે. બધી સંવેદનશીલ વ્યક્તિઓ લેખક નથી હોતી.

માનસિક વાતાવરણ સર્જવામાં અને એને ટકાવી રાખવામાં શું અથવા કોણ મદદ કરે? અત્યાર સુધી જીવાઈ ગયેલાં વર્ષો, એ સારા માઠા અનુભવોમાંથી પ્રગટેલી સમજણો, તમારી આજુબાજુનું વાતાવરણ, આસપાસના ગમતા,ન ગમતા માણસો, વાંચન, વિચારપ્રક્રિયા, મંથન.

લેખક લખવાનું શરૂ કરે ત્યારે એનો પહેલો શબ્દ લખાય તે પહેલાં એની સામે કોરા કાગળ હોય છે. પેન હાથમાં લેતાં પહેલાં જે કંઈ હોય તે બધું જ એના દિમાગમાં હોય છે: થોડુંક સ્પષ્ટ, ઘણું બધું અસ્પષ્ટ. અકથ્ય લાગણીઓ અને ધસમસતા વિચારોના પ્રવાહમાંથી એ એક એક વાક્ય ગોઠવીને કાગળ પર અવતારે છે. આ દુનિયામાં પહેલવહેલીવાર, એના દ્વારા લખાયેલા એ શબ્દોને જન્મ આપે છે.  

ગાલિબના શબ્દોમાં કહીએ તો રજૂઆત, અંદાજ-એ-બયાં, વાત કહેવાની રીત – આ બધું જ આગવું, પોતીકું, યુનિક છે. મૌલિક છે.
દુનિયાની દરેક વ્યક્તિ મૂળભૂત રીતે એકલી છે. માણસ એકલો રહેવા જ સર્જાયેલો છે. પોતાના એકાંતમાંથી ક્યારેક બહાર આંટો મારવા જઈ શકાય એ માટે માણસે સમાજની – સોસાયટીની રચના કરી તો ખરી પણ એની આકરી કિંમત એણે ચૂકવવી પડી. પોતાના અમૂલ્ય એકાંતનો સોદો કરીને એ સમાજ પાસે સ્વીકાર, પ્રતિષ્ઠા, હૂંફ મેળવવામાં પડી ગયો. એનું એકાંત વિસરાઈ ગયું. જે લેખક પોતાનું એકાંત વિખેરાવા દેતો નથી એ લેખકના શબ્દો વાચકના વ્યક્તિગત એકાંતને સ્પર્શે છે અને વાચકનો એ અદૃશ્ય આત્મીયજન બની જાય છે.

લેખકની, શબ્દના સર્જકની, આંતરિક સંઘર્ષકથા કહેવા માટેની નથી હોતી. એ આંતરિક સંઘર્ષમાંથી નીપજતા સર્જનની સાથે જ ભાવકને નિસબત હોય છે. સર્જનપ્રક્રિયા એટલે માત્ર કાગળ પર શબ્દો ઉતારવાની પ્રક્રિયા નહીં, લેખન તો સર્જનપ્રક્રિયાનો બિલકુલ છેલ્લો તબક્કો થયો. લેખન શરૂ કરતાં પહેલાંનો મનોવ્યાપાર એ જ ખરી સર્જનપ્રક્રિયા, લેખન શરૂ કરતાં પહેલાંનું એનું જીવન. અને એ જીવનના એના અનુભવો એ જ એની સર્જન પ્રક્રિયા. શબ્દની આ સર્જન પ્રક્રિયાની પીડા, એની ઘૂટન, એ દરમ્યાન વલોવાતો વિષાદ આ બધું જ લેખકની મૂડી છે, એનો અસબાબ છે. જે શબ્દો વિચારમંથનની ધગધગતી ભઠ્ઠીમા તપાઈને તૈયાર થયેલા છે, ઘડાયેલા છે, તે શબ્દો વાચકને શાતા આપે છે. લેખકની વેદનામાંથી નીપજતું સાહિત્ય ભાવકને પ્રસન્ન બનાવે છે. સર્જકના ફાડી ખાનારા એકાંતમાં પ્રગટેલા શબ્દો વાચકને પોતે ભર્યાભર્યા હોવાનો અહેસાસ અપાવે છે. આ તે કેવો વિરોધાભાસ !
આજનો વિચાર

તેરી મહેફિલ સે ઊઠે તો
કિસી કો ખબર તક નહીં થી
પર તેરા પલટકર દેખના
હમેં બદનામ કર ગયા
– (વૉટ્સઍપ’ પર ફરતી શાયરી)

એક એડલ્ટ જોક


સલમાન ખાન: હું શર્ટ કાઢું તો મને જોવા માટે અત્યારે સો જણ જમા થઈ જાય.
ઋતિક રોશન: મારું બૉડી જોવા માટે તો ૧૦૦ લોકો આવી જાય.
જ્હૉન અબ્રાહમ: અને મારું બૉડી જોવા એક હજ્જારની ભીડ જમા થઈ જાય.
સની લિયોન: હવે હું કંઈ બોલું કે?

   

નવીન બેંકર—–એક પરિચય લેખ


clip_image002

   નવીન બેંકર

નવીનભાઈનો જન્મ ૧૯૪૧ માં અમદાવાદ નજીકના ભુડાસણ ગામમાં થયેલોપિતાએ મેટ્રીક સુધીનો અભ્યાસ કરેલોઅને એક મીલમાં નોકરી કરતા હતામાતા ચાર ધોરણ સુધી ભણેલા હતા એક મધ્યમવર્ગી કુટુંબ હતુંનવીનભાઈનું શાળા કોલેજનું ભણતર અમદાવાદમાં જ થયેલું.
કુટુંબની નબળી આર્થિક પરિસ્થિતિને લઈને ૧૦ મા અને ૧૧ મા ધોરણના અભ્યાસ દરમ્યાન એમને થોડા પૈસા કમાવવા    માટે અનેક પ્રકારના નાના મોટા કામો કરવા પડેલાએમના જ શબ્દોમાં લખું તો, “ધોરણ ૧૦ અને ૧૧ના અભ્યાસ દરમ્યાન ‘સંદેશમાં ટ્રેડલ મશીન પર કેલેન્ડરના દટ્ટા કાપવાની નોકરી રાત્રિના સમયે કરી છેરસ્તા પર બુમો પાડીનેછાપાં વેચ્યા છે, અને ૧૫૦ બાંધેલા ગ્રાહકોનેઉઘાડા પગેછાપાં પહોંચાડ્યા છેસ્કુલમાંથી દાંડી મારીને ‘સેવક’ છાપાંના    વધારા ભરબપોરે વેચ્યા છેએટલું નહિં પણ દિવાળી ટાણે ખભે પાટિયું ભરાવી માણેકચોકમાં ફટાકડા વેચતો અનેઉતરાણના આગલા દિવસોમાં પતંગ-દોરી પણ વેચવા નીકળતો સમય દરમ્યાનફેરિયાઓ સાથે મારામારી પણ થતીમફતિયા પોલીસોનો માર પણ ખાધો છે.
૧૯૫૮ માં નવીનભાઈએ S.S.C. ની પરીક્ષા પસાર કરી૧૯૫૮ થી ૧૯૬૦ સુધી બે વર્ષ અમદાવાદની એચ.એલકોમર્સ કોલેજમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ ૧૯૬૦ થી ૧૯૬૨ સુધી અમદાવાદની એચ.કોલેજ ઓફ કોમર્સમાં અભ્યાસકર્યો સમય દરમ્યાન લો કોલેજ ગાર્ડનમાં  વખતે ચાલતી બીઝી બી રેસ્ટોરન્ટમાં ૫૦ રુપિયાના પગારે વેઇટરની પાર્ટ ટાઈમ નોકરી પણ કરી હતી.
નવીનભાઈએ ૧૯૬૨ માં એડવાન્સ એકાઉન્ટીંગ એન્ડ ઓડીટીંગ સાથે બીકોમની ડીગ્રી મેળવી.
સિનેમા અને નાટકો પ્રત્યેના અનુરાગે નવીનભાઈને  લેખનનો છંદ લગાડ્યો અને પછી તો   જીવનનો રંગ બનીગયો૧૯૬૨માં નવીનભાઈની પહેલી વાર્તા ‘પુનરાવર્તન’ કોલેજના વાર્ષિક અંકમાં છપાયેલીઅનંતરાય રાવળ,રમણલાલ જોશીઅશોક હર્ષ અને પીતાંબર પટેલે તેમને નવલિકાલેખન અંગે માર્ગદર્શન આપેલુંત્યાર પછી ‘સ્ત્રીઓ અને સરકારી નોકરી’ કટાક્ષિકાઅને દિલ એક મંદિર’ ‘ વાર્તા ચાંદની’ માં પ્રગટ થઈત્યારથી વાર્તાલેખનમાં વેગઆવ્યોઉપરાછાપરી સવાસો જેટલી તેમની નવલિકાઓ  સ્ત્રીશ્રીમહેંદીશ્રીરંગ ડાયજેસ્ટઆરામમુંબઈ સમાચારકંકાવટીજન્મભૂમિ પ્રવાસીનવચેતન વગેરેમાં છપાતી રહીતેમની ઘણી વાર્તાઓને ઈનામો પણ મળ્યાંઆમાંથી પાંચ    વાર્તાસંગ્રહો બન્યાં. ” હેમવર્ષા’, ‘અરમાનોની આતશબાજી’, ’રંગભીની રાત્યુંના સમ’, ’કલંકિત’ અને ‘પરાઈ ડાળનું પંખી’.  ૧૮ જેટલી રોમેન્ટીક પોકેટબુક્સ પણ ૧૯૬૪ થી ૧૯૭૧ દરમ્યાન પ્રસિધ્ધ થઈ હતી.
૧૯૬૨ માં સેન્ટ્રલ ગવર્નમેન્ટની એકાઉન્ટન્ટ જનરલની ઓફીસમાંઓડીટર તરીકે નોકરી મળી.
clip_image004
      (નવીનભાઈ અને કોકિલાબહેન લગ્ન સમયે)
૧૯૬૩માં નવીનભાઈના કોકિલાબહેન સાથે લગ્ન થયાપોતાના લગ્ન વિશે નવીનભાઈ કહે છે, “એ એક ગરીબમાણસના લગ્ન હતા,  બેન્ડ ન બાજા બારાત  રીસેપ્શન,  ભોજન સમારંભ, સોનું દાગીના કંઈ જ નહીં લગ્નના માત્ર છ બ્લેક એન્ડ વાઈટ ફોટા મિત્રોએ પાડેલા. ચાર   દોસ્તોંને બે બે રૂપિયા ચાંલ્લામાં  આપેલા. પત્ની કોકિલા સીધી સાદીભલીભોળીદસ ચોપડી ભણેલીમા વગરનીલોકોને આશરે , ઘરના કામ કરીનેહડસેલા ખાઇનેમોટી થયેલી  ગરીબ છોકરી હતી.”   વખતે પોતાની પરિસ્થિતિ વિશે તેઓ કહે છે, “હું બહોળા કુટુંબમાંએકમાત્ર કમાનાર૧૬૧ રુપિયા અને ૬૨ પૈસા નો માસિક પગાર લાવતો માણસ હતોભાડાના ઘરમાં  ચોકડીમાં સ્નાન કરતા.એક  ખાટલો હતો જે દાદીમા વાપરતાબીજા ફર્શ પર પથારીઓ નાંખીને સૂઇ જતા અને સવારે ડામચીયા પર ગોદડા નાંખી દેતા.”  પત્ની વિશે તેઓ કહે છે, “પત્ની ખુબ સારા સ્વભાવની અને હરહંમેશ સુખદુખમાં સાથ આપનાર મળી છે.ક્યારેય સાડીઓ કે ઘરેણા માંગ્યા નથીઅત્યારે ૭૨ વર્ષની વયે શ્રીનાથજીના સત્સંગ અને ભજન સિવાય ક્યાંયે જતી નથી.
clip_image006
         (લગ્નના ૫૦ વર્ષ બાદ)
૧૯૬૪થી ૧૯૭૭ સુધી નવીનભાઈએ  ડઝનેક એકાંકીઓ અને  કેટલાક  ત્રિઅંકી નાટકોમાં કામ કર્યું હતું૧૯૭૦ થી૧૯૭૪ દરમ્યાન ગુજરાતી રંગમંચ અને ફિલ્મી જગતના જાણીતા કલાકારોની વ્યક્તિગત મુલાકાત અંગેના લેખો  ‘નવચેતનમાં દર મહિને નિયમિત છપાતા.
૧૯૭૯ માં નવીનભાઈના અમેરિકા સ્થિત બહેન ડો. કોકિલા પરીખની સ્પોન્સોરશીપ મળતાં નવીનભાઇ અને પત્ની કોકિલા બહેનને અમેરિકાનું ગ્રીન કાર્ડ મળ્યું. ભારતની નોકરી ચાલુ રાખીને ગ્રીન કાર્ડના નિયમ અનુસાર ૧૯૭૯ અને ૧૯૮૬ વચ્ચે ત્રણ ચાર વાર અમેરિકા આવવું પડેલું. પ્રત્યેક વખતે આવીને તરત  કોઇ દેશીના સ્ટોર પર કેઅમેરિકન ફેક્ટરીમાં કામ મળી જતુંઇન્ડિયન વિસ્તારમાં એક સ્ટુડીયો અપાર્ટમેન્ટ ભાડે રાખી લેતા અને દસબારમહિના કાઢી નાંખતાઓફીસમાંથી નોટીસો આવે એટલે પાછા અમદાવાદ અને ડ્યુટી જોઇન કરી લેતાપાછા અગિયારમે મહિને ત્રણ માસની રજા લઈને અમેરિકા ભેગો થતા. આખરે ૧૯૮૬ માં સ્વેછીક નિવૃતિ લઈને કાયમ માટે અમેરિકા આવી ગયા.
૧૯૮૬થી અમેરિકા આવીને ડોક્ટર કોકિલાબેનની ઓફીસમાં  એકાઉન્ટ્સ મેનેજરની નોકરી કરી.  અમેરિકા આવીને એમની ઇતર પ્રવૃતિઓ વધારે ખીલી ઊઠી. ફિલ્મોગુજરાતી નાટકો વગેરેના અહેવાલ અને અવલોકનો વિષય પરનાતેમના અભ્યાસપૂર્ણ લેખો  ‘ગુજરાત ટાઈમ્સ’, ગુજરાત સમાચાર’,  ‘નયા પડકાર’ વગેરેમાં આવતા રહ્યાં૧૯૮૬માંન્યુયોર્કના ગુજરાતી સમાજે યોજેલી એક નાટ્ય હરિફાઈમાં નવીન બેંકર દિગ્દર્શિત નાટક ‘ધનાજીનું ધીંગાણુ’ રજૂ થયેલુંજેમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી૧૯૮૮માં હ્યુસ્ટન સ્થળાંતર કર્યા પછી હ્યુસ્ટન નાટય કલાવૃંદ સાથે જોડાયા અને ક્યારેક ‘મહાભારતના અંધ ધૃતરાષ્ટ્ર બને તો ‘શોલેના કાલિયાનો રોલ કરેજૂની રંગભૂમિના નાટકોથી માંડીને આજના    નાટકો સુધીનુંતેમનું જ્ઞાન અજોડ છે.
clip_image008
                       (બેંકર દંપતિ જયા ભાદુરી સાથે)
હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાઅને સીનીયર  સિટીઝન એસોસિયેશન સાથે પણ નવીનભાઈ જોડાયા.દરેકસંસ્થાની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે તે અચૂક હાથ બઢાવે ભારતથી અમેરિકાના ઈસ્ટ કોસ્ટની મુલાકાતે આવેલા સિનેમા અને નાટકો અથવા સંગીત જગતના કલાકારોમાંથી ભાગ્યે જ કોઇ એવું હશે કે જેમની મુલાકાત નવીનભાઈએ ન લીધી હોય.
આટલી બહોળી પ્રસિધ્ધી હોવા છતાં નવીનભાઈ કોઈ સંસ્થામાં આગેવાનીનું પદ  લેકોઇ કમિટીમાં મેમ્બર  ન બને.પોઝીશનનો જરા યે મોહ નહિ, માત્ર મૂક સેવક રહેવાનું વધારે પસંદ કરે૨૦૧૦ની સાલમાં હ્યુસ્ટનના વરિષ્ઠ મંડળે નવીનભાઈના  પ્રદાનને સન્માનપત્રથી નવાજ્યું. ઇન્ડિય કલ્ચરલ સેન્ટર ઓફ હ્યુસ્ટને તેમને ‘સ્પીરીટ ઓફ ટાગોરએવોર્ડ’  ભારતના કોન્સ્યુલર જનરલના શુભ હસ્તે ,૧૫મી ઓગસ્ટના સમારોહમાંએનાયત કર્યો હતો
તેમનો ‘ એક અનૂભુતિ  એક અહેસાસ’ નામનો એક બ્લોગ પણ છે જેમા મારા સંસ્મરણો’ શિર્ષક હેઠળ પોતાની આત્મકથાના પાનાં એમણે ખુલ્લા કર્યા છેકેટલાક રેખાચિત્રો પણ આલેખ્યા છે.
બહુરંગી વ્યક્તિત્વ અને બહુમુખી પ્રતિભા ધરાવતા નિખાલસ નવીન બેંકરના ખજાનામાં આવું ઘણું  બધું છેકશી યેઓછપનીક્યારે  ફરિયાદ કર્યા વગરનાની નાની વાતોમાંથી મોટો આનંદ માણવો એ એમનો જીવન મંત્ર છે.

-પી. કે. દાવડા

c

 

મોહભંગ (વાર્તા) – નવીન બેન્કર –

June 5th, 2015 Posted in ટૂંકી વાર્તાઓ

 

 

 

PASSPORT PHOTO

 

મોહભંગ  (વાર્તા)   –    નવીન બેન્કર

 
તમે પેલા શાન્તીકાકાને તો હવે ઓળખો છો ને ? પેલા ગરોળીવાળા ! સંડાસમાં રાત્રે ત્રણ વાગ્યે, ગરોળી સાથે પુરાઈ ગયેલા એ ઘટના પછી સોસાઈટીમાં હવે બધા તેમને શાંતિલાલ ગરોળીવાળા તરીકે જ ઓળખે છે.
આ શાંતિલાલને થોડા વર્ષો પહેલાં એ જ્યારે અમેરિકાથી આવી જ રીતે અમદાવાદ આવેલા ત્યારે કોઇ આધેડ ઉંમરની એકલી રહેતી સ્ત્રી સાથે- દિલ લાગી ગયું હતું- દિલ લાગવા માટે ઉંમરનો બાધ નથી હોતો. દિલ તો ગમે તે ઉંમરે લાગી જાય. પણ મોટાભાગના સિનીયરો ( વયસ્ક સ્ત્રીપુરુષો ) પોતાની એ લાગણી છૂપાવી છૂપાવીને, માત્ર ચક્ષુ____( યુ નો વોટ આઈમીન ! ) થી મનને સમજાવી લેતા હોય છે. સિનીયર્સની મીટીંગમાં કોઇ વયસ્ક પુરુષ ગાયક માઈક પકડીને ગીત રજૂ કરતો હશે ત્યારે એનું સમગ્ર ફોકસ બહેનોના ગ્રુપ તરફ જ હશે. જોક્સ પણ સ્ત્રીવૃંદ તરફ જ ફેંકશે.  હવે તમે એ માર્ક કરજો.
 
હાં… તો આપણે આડી વાતે ઉતરી ગયા. શાંતિકાકા જુવાનીના દિવસોથી દિલફેંક જ રહ્યા છે. ઘણી બધી અફેર્સ તેમના ખાતે નોંધાયેલી છે.
 
શાંતિકાકાની સોસાઈટીની બહાર, ૧૦૦ ફુટના નવા ડેવેલપ થયેલા રોડ પર, એક કોમ્પ્લેક્ષના ભોંયતળીયાના ફ્લેટ પર , એક સ્ટોર બનાવી દઈને, પંચાવન વર્ષની વયના ડાયવોર્સી જિગીષાબેન  ઝેરોક્સના બે મશીન અને જંક ફુડના પેકેટો, પેન, પેન્સીલ એવું બધું રાખીને  બિઝનેસ કરતા હતા. લગભગ એટલી જ ઉંમરના શાંતિકાકા ઝેરોક્સ કરાવવા ઘણીવાર એમના સ્ટોર પર જાય. જિગીષાબેન ગૌર વર્ણના, ઉંચી કાઠીના કાઠિયાવાડી  જાજરમાન સ્ત્રી હતા. વીસેક વર્ષથી છૂટાછેડા લઈને, ખુમારીપુર્વક એકલા જીવન વ્યતિત કરતા હતા.. પાછલા રુમમાં રહે અને આગળના રુમમાં સ્ટોર કરેલો . પહેલીવાર શાંતિકાકા એમના સ્ટોરપર ઝેરોક્સ કરાવવા ગયા ત્યારે જરા ચણભણ થઈ ગયેલી. જિગીષાબેન એક રુપિયો છુટ્ટો આપવાનો આગ્રહ કરે અને કાકા પાસે દસની નોટ. અમેરિકામાં પરચુરણની આવી કોઇ તકલીફ નહીં જોયેલી એટલે કાકા તો વરસી પડ્યા  લેક્ચર આપવા. અમારે અમેરિકામાં તો આમ ને તેમ અને અહીં ઇન્ડીયામાં તો પરચુરણની મારામારી..ખિસ્સામાં રોકડા લઈ લઈને ફરવું પડે..સાલુ બધુ કાળા નાણાંનું જ ચલણ….ટ્રાફિક સેન્સ જ ના મળે સાલા ઇન્ડીયનોમાં…..મોદી શું મોદીનો બાપ આવે તો ય ભ્રષ્ટાચાર નાબુદ ના થાય.. ને  એવું બધું  લેક્ચર ઝાડી દીધેલું. પછીની વાત ટુંકી છે. જિગીષાબેન પણ નરમ પડ્યા અને ‘કાકા’ સાથે વાતચીતનો સંબંધ બંધાયો. પછી સુખદુખની વાતો પણ થવા લાગી. શાંતિકાકા કાંઇ ધોતિયા-ઝભ્ભાવાળા ‘કાકા’ નથી. હા !  માથાના ઝુલ્ફાની જગ્યાએ તાલ જરુર પડી ગઈ છે. અને પગે આર્થરાઈટીસને કારણે જરા લંઘાતું ચાલે છે બાકી હજુ આકર્ષક વ્યક્તિત્વના માલિક છે. જબાન તો જોરદાર ચાલે છે. જિગીષાબેને એમના સ્વતંત્ર સ્વભાવને કારણે, પતિ સાથે અણબનાવ થતાં ડાયવોર્સ લીધા હતા. જો કે હવે આ ઉંમરે એકલતા સાલે છે અને કોઇ યોગ્ય પાત્ર મળી જાય તો ગોઠવાઈ જવા ઇચ્છતા હતા.જુવાનીમાં તો બધુ ચાલી જાય પણ પાછલી ઉંમરે, ખાસ કરીને મેનોપોઝ અને થાયરોડની તકલીફો શરુ થતાં સ્ત્રીઓને એકલતા અને અસલામતીનો ડર એટલો સતાવવા લાગે છે કે એ બધી બાંધછોડ કરીને થાળે પડવા ઇચ્છતી હોય છે.
 
શાંતિકાકાને કાંઇ જિગીષાબેન સાથે ઘર માંડવાની ઇચ્છા ન હતી પણ થોડી મજા કરી લેવાય તો  ‘શ્રીરામ શ્રીરામ’ કરી લેવાની ઇચ્છા ખરી. શાંતિકાકા મોટેભાગે તો,’પતિ, પત્ની ઔર વોહ’ ફિલ્મના પેલા સંજીવકુમારની જેમ પોતાની પત્ની અંગેના અસંતોષની વાતો કરીને જિગીષાબેનની સહાનુભૂતિ મેળવવાના પ્રયાસો કરે. જિગીષાબેન પણ એમને સધિયારો આપે.  જિગીષાબેન જૈન ધર્મ પાળે એટલે વૈષ્ણવ શાંતિકાકા એમને ‘જય જિનેન્દ્ર’ કરીને જ વાત કરે. આ જિગીષાબેનનું આબેહુબ ચિત્ર તમારે જોવું હોય તો ‘સોની’ ટીવી ચેનલ પર, ‘ઇતના કરો ના મુઝે પ્યાર’ સિરીયલની પેલી નિહારીકા ને જોવી પડે. શાંતિકાકાને એની પાતળી, લાંબી ગ્રીવા ખુબ ગમતી. શાંતિકાકા એમના જેવા સ્ત્રીલોલુપ મિત્રો આગળ એ અંગે  રસિક વાત કરે ત્યારે કહેતા કે સાલીને જો કીસ કરવા મળે તો શરુઆત એના ડાબા કાન નીચેથી કરીને એની ગ્રીવા પર થઈને પછી એના હોઠ ચૂમી લઉં.’ આગળની વાત, તમારા જેવા સુજ્ઞ વાંચકોની લાગણી દુભાવે એટલે નહીં કરું.
 
થોડાક દિવસોની આ મુલાકાતો પછી, એક દિવસ  ગાંધીનગર અને ચિલોડા ચોકડીથી પાંચ કિલોમીટરના અંતરે નેશનલ હાઈ વે નંબર આઠ પર, ધણપ ગામ નજીક આવેલા, જૈનોના ધર્મસ્થાન ‘ચંદ્રપ્રભ લબ્ધિ ધામ’ ખાતે દર્શન કરીને ત્યાં ત્રણ ચાર કલાક વિશ્રાંતિ લેવાનું નકી કર્યું. જિગીષાબેને હા પાડી એટલે અનુભવી શાંતિલાલ સમજી ગયા કે હવે એ સમય આવી ગયો છે.
 
 આગલી રાત્રે ફોન પર વાત કરતાં શાંતિલાલે એમની શાંતા કેવી તકલીફો આપે છે એની હૈયાવરાળ  ઠાલવી ત્યારે જિગીષાબેને એનો પ્રતિભાવ આપતાં અસ્સલ કાઠિયાવાડી જબાનમાં  કહ્યું- ‘“બા..ય..ડી… ‘સો ?  સુટા થઈ જાવ એનાથી.”
 
અને…શાંતિકાકાનો મોહભંગ થઈ ગયો.
 
શાંતિકાકા આમ છૂટાછવાયા ગતકડા કરી લે ખરા પણ એમની શાંતાથી છૂટા થવાની વાત તો કદી સ્વપ્ને પણ ના વિચારે. લાંબા સમયના લગ્નજીવનની સંગાથી શાંતા એમને વહાલી છે. પોતે થોડા કાછડીછૂટા ખરા પણ પત્ની યે વહાલી. એમને ભાન થઈ ગયું કે પોતે આગ સાથે રમત રમી રહ્યા છે. આ ઉંમરે આ રીતે આગળ વધવામાં જોખમ છે. અસ્સલ કાઠિયાવાડી સ્ટાઇલમાં બોલાયેલા એ શબ્દોએ એમને ભાનમાં લાવી દીધા અને તબિયતનું બહાનુ કરીને જૈન ટેમ્પલનો કાર્યક્રમ રદ કરી દીધો તથા બીજા દિવસથી ઝેરોક્સ સ્ટોરનો રસ્તો પણ જુદો કરી દીધો. મોબાઈલ ફોનનું સીમકાર્ડ પણ બદલી નાંખ્યું અને પંદર દિવસમાં તો  અમેરિકા ભેગા થઈ ગયા હતા.
 
બે શબ્દો – ‘બાયડી ‘સો’ એ એમનો મોહભંગ કરી નાંખ્યો હતો.
 
લખ્યા તારીખ- ૬ એપ્રિલ ૨૦૧૫
 
Navin Banker  (713-818-4239)
My Blog : navinbanker.gujaratisahityasarita.org
Ek Anubhuti : Ek Ahesas.

Kindly remove my name and    address before forwarding this e-mail. We    have no control over who will see forwarded messages! This keeps all our    Personal Contacts lists Private and Stops Intruders & Spammers.
.
,

મહાભારતની એક રોમેન્ટીક કથા – નવીન બેન્કરની નજરે

June 5th, 2015 Posted in ટૂંકી વાર્તાઓ

મહાભારતની  એક  રોમેન્ટીક કથા-  નવીન બેન્કરની નજરે

યમુનાના વહેણમાં એક નૌકા સરતી સરતી કિનારા તરફ જઈ રહી હતી. એ નૌકા ચલાવનારી શ્યામ આંખોવાળી ( અસિતલોચના) મત્સ્યકન્યાનું નામ સત્યવતી હતું. એ માછીમારની પુત્રી હતી. સત્યવતીનું સૌંદર્ય  અનુપમ હતું.પરંતુ એના શરીરમાંથી માછલીની ગંધ પ્રસરતી હતી. આ સત્યવતીની નાવમાં ઋષિ પરાશર બેઠા હતા. મહાભારત કાળમાં સ્ત્રીઓ આજીવિકા અર્થે કામ કરતી હતી.
માછલીની ગંધથી ગંધાતી છતાં એ અનુપમ લાવણ્યમયી યુવતી પર પેલા મહામૂનિ, જ્ઞાની,  તપસ્વી એવા પરાશર મુનિ મોહી પડ્યા અને અત્યંત કામવશ બનેલા એ કહેવાતા ઋષિએ મધુર મધુર વાતો કરીને સત્યવતીને લલચાવી અને પોતાના બાહુપાશમાં જકડી લીધી. પોતે ના પાડશે તો ઋષિ શ્રાપ આપશે એવી બીકને લીધે સત્યવતી એ કહેવાતા ઋષિને ના ન પાડી શકી અને પરાશર મુનિ સાથે ચાલુ નાવે જ મૈથુનાનંદમાં એકાકાર થઈ ગઈ. ( આજના જમાનામાં ચાલુ બસમાં કે ટ્રેનમાં કામાવશ પુરુષો બળાત્કાર કરી બેસે છે એવું મહાભારતના જમાનામાં પણ થતું હશે એવું આ કથામાંથી જણાઇ આવે છે. )
નાવ એક ટાપુ પર પહોંચી ત્યારે ઋષિએ સત્યવતીને કહ્યું કે- ‘આપણા આ સંભોગને કારણે મારા થકી પેદા થયેલા આ ગર્ભનું તું જતન કરજે અને તને ભવિષ્યમાં લગ્ન કરવામાં કોઇ જાતની તકલીફ ન પડે એ માટે તેં મારી સાથે સંભોગ કર્યો છે તે છતાં તું કૌમાયાવસ્થાને ( વર્જીનીટી ) પ્રાપ્ત કરીશ અને તારા શરીરમાંથી  આ જે માછલીની દુર્ગંધ આવે છે તેને હું દૂર કરી દઈને જીવનભર ટકે એવી અને દુર દુર સુધી ફેલાય એવી સુગંધનું વરદાન આપું છું. હવે પછી તું યોજનગંધા તરીકે ઓળખાઇશ, આમ, મત્સ્યગંધા, યોજનગંધા બની ગઈ.
આ કથામાંથી શું તારતમ્ય નીકળે છે એ તમે સમજ્યા ?  માછલી જેવી ગંધથી ગંધાતી હોય પણ સ્ત્રી જો રુપાળી હોય તો ગમે તેવા જ્ઞાની-મુની ઋષિ પણ ચાલુ નાવમાં ‘શ્રીરામ શ્રીરામ’ કરવા (!)  તત્પર થઈ જાય છે. એ વખતે પેલી  ગંધ પણ એમને નથી આવતી. આજે રજસ્વલા સ્ત્રી સાથે આવા કારણોસર પુરુષો સમાગમ કરવાનું ટાળતા હોય છે.
પરાશર મુનિ અને સત્યવતીના સંભોગથી એક પુત્રરત્નનો જન્મ થયો. એ પુત્ર તે મહર્ષિ વેદવ્યાસ. લગ્ન વગર માતા બની ચુકેલી સ્ત્રીનું સંતાન એ કૃષ્ણદ્વૈપાયન કહેવાતા વ્યાસમુનિ. આ જ સ્ત્રી, પાછળથી ભીષ્મપિતાની માતા બની.
હવે આગળ વાંચો આ સત્યવતીની કથા.
ઋષિ પરાશરના વરદાનને કારણે એનું લાવણ્ય, અનન્યપુર્વા ( વર્જીન)  બનેલી આ સ્ત્રી એટલી તો નયનમનોહર અને હૃદયલુભાવન બની ગયું હતું કે હસ્તિનાપુરના રાજા  મહારાજા શાંતનુ  એની નાવમાં નદી પાર કરવા બેઠા ત્યારે એના પર મોહાંધ બની ગયા. એ સમયે રાજા શાંતનુ આઠ આઠ પુત્રોના પિતા બની ચૂકેલા અને એમનો આઠમો પુત્ર એ દેવવ્રત કે જે પાછળથી ભિષ્મ પિતા કહેવાયો. દેવવ્રતને યુવરાજપદે સ્થાપ્યા પછી અને પત્નીની ચિરવિદાય પછી છત્રીસ વર્ષ સુધી પત્ની વગરનું શુષ્ક જીવન વિતાવ્યા બાદ, વનવિહાર કરવા નીકળેલા આ વૃદ્ધ રાજા સત્યવતી પર મોહી પડ્યા અને લગ્ન કરવાની માંગણી કરી. એ જમાનામાં પણ  પૈસાપાત્ર વૃદ્ધો પૈસા અને સત્તાના જોરે રુપાળી યુવાન સ્ત્રીઓને પત્ની બનાવતા હતા.
પછીની વાત તો બધા જાણે છે જ કે વૃદ્ધ પિતાની ઇચ્છા પુરી કરવા યુવાન દેવવ્રતે આજીવન લગ્ન નહીં કરવાની  ભીષ્મ પ્રતિજ્ઞા લીધી અને  ઘરડા બાપને યુવાન સ્ત્રી સાથે પરણાવ્યા. ઉત્કટ પિતૃપ્રેમને કારણે રાજા યયાતિના પુત્ર પુરુએ પણ પોતાનું યૌવન પિતાને સમર્પી દઈને  અકાળે વૃદ્ધાવસ્થા સ્વીકારી લીધેલી.
માણસ સમૃધ્ધ હોય, સમર્થ હોય, સત્તાવાન હોય ( અને  NRI  હોય તો ) ત્યારે એને ગમે તે ઉંમરે કામેચ્છા થતી હોય છે અને એ પુર્ણ કરવા , પોતાના જીવનને નવપલ્લવિત કરવા  એ યુવાન સ્ત્રીની શોધ કરતો જ હોય છે.પુનર્લગ્ન કરવા માટે પણ એ ચાલીસથી નીચેની ( મેનોપોઝ અને થાઈરોઇડ વગરની ) રુપાળી સ્ત્રીને જ પ્રાધાન્ય આપતો હોય છે. એ વાત જુદી છે કે એ રુપાળી સ્ત્રી પરણે સમર્થ વૃદ્ધને અને શોધે યુવાન બોયફ્રેન્ડ !  અને… એ જમાનામાં  DNA TEST તો થતા જ નહોતા ને !
ઇન્દ્ર જેવા ઇન્દ્ર પણ કોઇ ઋષિનું સ્વરુપ લઈને, ઋષિની ગેરહાજરીમાં ઋષિપત્ની સાથે સમાગમ કરી આવ્યાના દાખલા પુરાણોમાંથી મળી આવે છે. ભગવાન શંકર પણ ભીલડી પર મોહી પડેલા.
સત્યવતીને બે પુત્રો થયા. ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય. એમના પુત્રો તે પાંડુ અને ધૃતરાષ્ટ્ર. અને એમના સંતાનો તે પાંડવો અને કૌરવો…પણ આપણને એમની વાતોમાં રસ નથી.
દ્રૌપદી જેવી અતિ સૌંદર્યવાન સ્ત્રીના પતિ થયા પછી પણ અર્જુને, વનવાસ દરમ્યાન આઠ આઠ સ્ત્રીઓ સાથે લગ્ન કરેલા. ભીમે પણ હેડમ્બા સાથે ‘શ્રીરામ  શ્રીરામ’ કરેલું.
મહાભારતમાં તો એટલી બધી આવી કથાઓ છે કે આજથી ૪૮ વર્ષ પહેલાં (૧૯૬૬માં ) મેં આ વાતોને મારી નજરે, મારી રોમેન્ટીક શૈલિમાં લખીને છપાવેલી ત્યારે, ગુજરાત સરકારે  મને કારણદર્શક નોટીસ મોકલેલી અને એક પુસ્તક પર તો કેસ પણ ઠોકી દીધો હતો. અંગત મિત્રોને જ્યારે હું એ કેસના હિયરીંગની  સીલસીલાબંધ વિગતો કહું છું ત્યારે લોકોને સાંભળવાની ખુબ મજા આવે છે.
આ કથા, મહાભારતની છે એટલે કોઇએ નાકનું ટીચકુ ચઢાવવાની જરુર નથી.

 

 
                     .
,

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.