એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » 2011 » August

કબીર ( એકપાત્રિય નાટક )

August 21st, 2011 Posted in અહેવાલ

 

 

 

 

કબીર   ( એકપાત્રિય નાટક )

હ્યુસ્ટનના આંગણે ૧૯મી ઓગસ્ટ ૨૦૧૧ને શુક્રવારે વર્ધમ થિયેટરમાં ઇન્ડો-અમેરિકન એસોસિયેશનના ઉપક્રમે એક અતિસુંદર ક્લાસિકલ વન-મેન મ્યુઝિકલ શો યોજાઇ ગયો..ભક્તકવિ કબીરની જીવનગાથાને બે કલાકના મ્યુઝિકલ શો દ્વારા પ્રસ્તુત કરી હતી પ્રસિધ્ધ બંગાળી ગાયક-અભિનેતા શ્રી. શેખર સેને. 

કબીરના દોહા તો ઘણાએ સાંભળ્યા જ હશે. તેમના પદને અંતે, હંમેશા ‘કહત કબીર સુનો ભાઇ સાધો’ શબ્દો આવતા હોય છે.કબીર અનાથ હતા. કહેવાય છે કે જન્મતાની સાથે જ તેમની માતાએ તેમનો ત્યાગ કરી દીધો હતો. કાશીમાં, તળાવની પાળેથી, નવજાત શિશુ એવા કબીરજીને એક મુસ્લિમ  વણકર દંપત્તીએ લઈ જઈને ઉછેરીને મોટા કર્યા હતા.નાનપણથી જ કબીરજીની રુચી આધ્યાત્મિક હતી.તેઓશ્રી સંતો,ફકીરો,મહાત્માઓના સંગમાં રત રહેતા હતા.કબીરજીએ કદી હાથમાં કલમ પકડી નથી. પણ તેમનુ જ્ઞાન તેમની વાણીમાં છલકાતુ રહેતું.તેમની સરળ ભાષામાં વિચારોની ગહનતા, ગાંભીર્ય, સ્વભાવની નીડરતા, સરળતા અને મૌલિક વિચારોની સાથે સાથે ઇશ્વર તરફનો પ્રેમ પણ પ્રતિપાદીત થતો રહ્યો છે. દંભી અને પાખંડી કહેવાતા ધર્મગુરુઓ પ્રત્યે તેમને અણગમો હતો એ વાત તેમના અનેક દુહા-સાખીઓમાંથી જણાઇ આવે છે.તેમની પ્રખર પ્રજ્ઞા અને પ્રગાઢ આંતરખોજથી નીપજતા શબ્દો ,સ્વયં બ્રહ્મ બની તેમના બ્રહ્મવિચારને  પ્રદર્શિત કરતા રહે છે. કબીરજીની વિચારધારાના પદો ‘કબીરવાણી’ કહેવાય છે.કબીરજી સંવત ૧૪૫૫માં જન્મેલા અને સંવત ૧૫૭૬ને માગશર સુદ અગિયારસને દિવસે ૧૨૦ વર્ષની ઉંમરે કાશી નજીકના મગહર ગામે અવસાન પામ્યા હતા.તેમના જીવનપ્રસંગોને લગતા ઘણા લેખો, પુસ્તકો પ્રસિધ્ધ થઈ ચુકેલા છે. 

આવા ઓલિયા, ભક્તકવિની જીવનગાથા અને કવનને, તેમની પ્રેમ, શાંતિ,કોમી-એખલાસની વાતોને બે કલાકના કાર્યક્રમ દ્વારા શ્રી.શેખર સેને રજૂ કરી. 

કબીરને કેન્દ્રમાં રાખીને માત્ર વન-મેન-શો દ્વારા નાટ્યક્રુતિ ભજવવી એ ખુબ કપરુ કામ છે.શેખર સેને આ સફળ રીતે કરી બતાવ્યુ છે.નીચલા વર્ગના સામાજીક વાતાવરણની વચ્ચે વણકર કુટુંબમાં ઉછરતા છોકરાને મોઢે , જે સહજતાથી એ કપડુ વણે છે ,એ જ સહજતાથી સરળ ભાષામાં જીવનની ફિલસૂફી પણ બોલાય અને ગવાય એ અદભુત છે.મંદીરના પુજારી કે મસ્જીદના મૌલવીના ધર્મને પડકારતી વાત હોય કે પાલક માતા સાથેનો,પુત્ર કમાલ સાથેનો સંવાદ હોય,સમાજના વિવિધ પાત્રો અને કહેવાતા ધર્મના રખેવાળો કે મોગલ બાદશાહ સાથેના સંવાદો હોય,એ બધું  એક જ મુખે,સ્વરના આરોહ-અવરોહ બદલીને વિવિધ પાત્રોને આબેહુબ દ્રષ્ટી સમક્ષ રજુ કરી દઈને એક ઇતિહાસ સર્જી દીધો છે શેખર સેને. 

ભક્તિ પરંપરા શરુ થઈ એ વખતના મધ્યકાલિન ભારતિય સમાજનું ચિત્ર જે રીતે કોઇ વિશિષ્ટ સંનિવેશ વગર પણ અહીં જે રીતે રજુ થઈ શક્યું છે તે અવર્ણનિય છે.કબીરના જીવનની ગાથા,એના જન્મથી માંડીને એના દેહાવસાન સુધીની, ખુદ કબીરના જ મુખે બોલાવીને,જીવંત ગીત-સંગીત દ્વારા,સતત વહેતા રાખીને કરાયેલી રજુઆત પ્રભાવક બની રહે છે. 

શેખર સેનનો કંઠ કોઈપણ ગાયકની સ્પર્ધા કરી શકે એટલી હદે કેળવાયેલો અને ઘુંટાયેલો છે.સમગ્ર રજુઆતમાં પદો,દોહા ગાવાની એક પણ તક એણે જતી કરી નથી તેથી વતાવરણમાં ભક્તિરસની મહેંક પ્રસરી રહે છે. એ સમયની તળપદી ભાષામાં પણ જે રીતે સ્વાભાવિકતાથી રજુઆત થઈ તે નાટકની એક સિધ્ધી ગણી શકાય. 

એક જ પાત્રને કેન્દ્રમાં રાખીને ,એની આસપાસ કોઇપણ પ્રકારની સંકુલતા કે વિસંગતી વગરના એક પરિમાણી વ્યક્તિત્વ ધરાવતા અન્ય પાત્રોને સંવાદો દ્વારા જ અવાજના આરોહ-અવરોહ વડે હળવાશથી  અને સાહજીકતાથી રજુ કરતું આ નાટક CLASS માટેનું નાટક હતું- MASS માટેનું નહીં.જેમને કબીરની કથા ખબર છે, જેમણે કબીરના દોહા વાંચ્યા છે, સાંભળ્યા છે, જે એ બધું સમજી શકે છે એવા બુધ્ધીજીવી, બહુશ્રુત અને  ક્લાસિક સેન્સ ધરાવતા સુજ્ઞ પ્રેક્ષકો જ આનો રસાનુભવ કરી શકે અને માણી શકે એવા વિરલ એકપાત્રિ નાટકને હાઊસફુલ ઓડીયન્સ મળવું સંભવ નથી.મોટાભાગના કહેવાતા નાટ્યરસિકો હળવાફુલ કોમેડી નાટકો કે જેમાં વાહિયાત પકડાપકડી અને ચવાઇ ગયેલા વાસી જોક્સ કે દ્વીઅર્થી સંવાદો હોય એવા

નાટકો પસંદ કરતા હોય છે. હ્યુસ્ટનમાં આ જ દિવસે અને એ જ સમયે મુંબઈના ખ્યાતનામ ગ્રુપ દ્વારા ભજવાતું એક અન્ય નાટક પણ હતું અને એકાદ-બે લગ્નપ્રસંગો પણ હતાં છતાં આ પરફોર્મન્સને પાંચસો પ્રેક્ષકો મળી શક્યા એ જ હ્યુસ્ટન, સંસ્કારનગરી હોવાની પ્રતિતી કરાવવા માટે પુરતું છે.

એક ગુજરાતી સાહિત્યરસિક કવિને ઘેર, બહારગામના કોઇ ગુજરાતી શાયરનો કાર્યક્રમ હતો જે ટુંકાવીને કવિમિત્રો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તો, બીજે દિવસે જેમના દીકરાના લગ્નનું રિસેપ્શન યોજાયેલું એ કબીરપ્રેમી યુગલ, દસ જણના ગ્રુપમાં, કાર્યક્રમ જોવા આવેલા અને છેક સુધી આ કાર્યક્રમને માણ્યો હતો.

નાટકના મુડને અનુરુપ, દ્રશ્યની માંગ પ્રમાણે લાલ, પીળા અને લીલા પ્રકાશ-આયોજન દ્વારા દ્રશ્યને તાદ્રુશ કરવામાં આવેલ. ઝુપડીની આગના દ્રશ્યને સ્લાઇડ અને લાલ સ્પોટલાઈટથી તેમજ નદીની લહેરોને આસમાની લાઈટના આયોજન વડે જીવંત કરવામાં આવી હતી.

હ્યુસ્ટનનું  ઇન્ડો-અમેરિકન એસોસિયેશન, આવા સુંદર કાર્યક્રમો રજુ કરવા માટે જાણીતું છે. શાસ્ત્રિય સંગીતના ખેરખાંઓની જુગલબંદી હોય કે BROKEN IMAGES જેવા પ્રયોગશીલ અંગ્રેજી નાટકો હોય, ઇન્ડો અમેરિકન એસોસિયેશન ટીકીટબારીની સફળતાની પરવા કર્યા વગર એની રજુઆત પણ કરી જ દે. એની ટીકીટો પણ મોટેભાગે તો ઓનલાઇન જ ઉપલબ્ધ હોય અથવા મહારાણી મ્યુઝિકના સ્ટોર પર જ મળે. આ અંગેનો યશ, શ્રી. હરીદયાળજી નામના એક સેવાભાવી સજ્જન અને તેમના વોલન્ટીયર્સને ફાળે જાય છે.

અસ્તુ..

અવલોકન અહેવાલ અને શબ્દાંકન- શ્રી. નવીન બેન્કરલખ્યા તારીખ- ૨૦ ઓગસ્ટ, ૨૦૧૧ 

Navin Banker
Phone No: 713 771 0050

 

હ્યુસ્ટનમાં અભેસિંહ રાઠોડ ગ્રુપનો ડાયરો

August 19th, 2011 Posted in અહેવાલ

 

તારીખ ૧૬મી જુલાઈ ૨૦૧૧ને શનિવારની એ રાત…લોકસાહિત્યના અભિસારની એ રાત…ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટનના નેજા હેઠળ, હ્યુસ્ટનના સ્ટેફોર્ડ સિવિક સેન્ટરના હોલમાં રાત્રે નવ વાગ્યાથી બાર વાગ્યા સુધી, લોકસાહિત્યના દિગ્ગજો એવા શ્રી.અભેસિંહ રાઠોડ,સ્વ.હેમુ ગઢવીના સુપુત્ર શ્રી.બિહારીભાઇ ગઢવી, સ્વરકિન્નરી  દમયંતીબેન બરડાઈ જેવા ગાયકોએ ડાયરાની રંગત જમાવી હતી. લોકસાહિત્યમાં આજે જે ગણ્યાગાંઠ્યા નામ બાકી રહ્યા છે તેમાં અભેસિંહ ભાઇ રાઠોડ  એક અગ્રગણ્ય નામ છે.કોઈ તેમને આષાઢી ગાયક કહે છે,તો કોઇ ટહુકતો મોરલો કહે છે.સૌરાષ્ટ્રના ગાયકોમાં જે બુલંદી હોય છે તે અભેસિંહમાં જણાઇ આવે છે.

રાબેતા મુજબ ઇશ્વરની સ્તુતિથી શરુઆત કરીને અભેસિંહભાઇએ છંદ, દુહા,લોકસાહિત્યની વાતોથી ગુંથીને તેમના જાણિતા ગીતો ‘દાદા હો દીકરી’..’રક્ત ટપકતી સો સો ઝોળી’,’કસુંબીનો રંગ’,જય જય ગરવી ગુજરાત’ વગેરે બુલંદ સ્વરે રજુ કરીને પ્રેક્ષકોની તાળીઓના ગડગડાટ મેળવી લીધા હતા.

લોકગાયિકા દમયંતીબેન બરડાઇ પણ લોકસાહિત્યમાં મુઠી-ઊંચેરુ નામ ગણાય છે.તેમણે પણ ‘મારો ટોડલે બેઠો મોર’,’મારે સાસરિયે આણા મોકલો’,’પાટણથી પટોળા મોંઘા લાવજો’, જેવા જાણીતા ગીતોની રમઝટ બોલાવી હતી. સ્વ.હેમુ ગઢવીના સુપુત્ર શ્રી. બિહારીભાઇએ પણ તેમના પિતાજી જેવા જ બુલંદ અવાજે છંદ, દુહાની રમઝટ સાથે લોકગીતોની તડાફડી બોલાવી દીધી હતી.લોકગીતો હોય અને સ્વ.ઝવેરચંદ મેઘાણીને કોઇ યાદ ના કરે એવું તો બને જ નહીં ને !

નવરાત્રિના ગરબાઓમાં ગવાતું ‘હાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગલા વખાણું’ એ શબ્દોમાં સાચો શબ્દ’ પછી’ નથી પણ ‘પથી’ છે અને એ ઘોડીનું નામ હતું એ અંગેની કથા એવી રસપ્રદ રીતે અભેસિંહભાઈએ  સંભળાવી કે શ્રોતાઓને કશુંક નવું જાણવા મળ્યું.

જીતુભાઈ દ્વારકાવાળાએ જોક્સ કહીને પ્રેક્ષકોને ખુબ હસાવ્યા.તેમના ‘વન લાઇનર જોક્સ’ પ્રેક્ષકોને ખુબ ગમ્યા.જીતુભાઇની મંજીરા વગાડવાની સ્ટાઇલે પણ પ્રેક્ષકોને સારુ એવું મનોરંજન પુરુ પાડ્યુ હતું.

આ લોકગાયકોને તબલા પર શ્રી.ચંદ્રકાંત સોલંકી, ઢોલક પર શ્રી.રાજુ પંડ્યા, ઇલેક્ટ્રીક ઓર્ગન પર શ્રી. જનક અમીન,વગેરે એ  સાથ આપ્યો હતો.

કમલેશ ભુપતાણી અને ચકુભાઇ જેવા નેશનલ સ્પોન્સર્સ , ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટન જેવા ખમતીલા  લોકલ પ્રમોટર્સ અને અભેસિંહ રાઠોડ જેવા ખ્યાતનામ ગાયકો હોવાં છતાં, આ વખતે લોકસાહિત્યના આ ડાયરાને શ્રોતાઓનો જોઇએ તેવો પ્રતિસાદ મળ્યો નહી.  આ સીઝનમાં દર અઠવાડીયે એટલા બધા ગુજરાતી કાર્યક્રમો યોજાતા હોય છે કે હવે ‘હાઊસફુલ’ શબ્દ ભુંસાતો જાય છે.ભાગ્યે જ કોઇ કાર્યક્રમમાં પચાસ ટકા ટીકીટો વેચાતી હોય છે.સૌરાષ્ટ્રના ગામડાની લોકકથાઓ,કુટુંબજીવનની વાતો, સાસુવહુની વાતોમાં નવી પેઢીના યુવાન પ્રેક્ષકોને કોઇ જ રસ પડતો નથી હોતો. શ્રોતાઓમાં મોટાભાગના પચાસથી વધુ ઉંમરના જ હોય છે.ડાયરાઓમાં પણ વર્ષો જુના એના એ જ લોકગીતો,સુગમ સંગીતના એ જ ગીતો હોય છે ને !છતાં પણ હજુ અમારા જમાનાના લોકો ( એટલે સિત્તેરે પહોંચેલા ) તો જુનુ એટલું સોનુ ગણીને વારંવાર એ બધું સાંભળવા અને વાગોળવા આવા કાર્યક્રમોમાં દોડે જ.કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટનના ઉત્સાહી કાર્યકરો  શ્રી.અજીત પટેલ,શ્રીમતી નિશાબેન મિરાણી,અને કમિટી મેમ્બરોએ સારી એવી જહેમત ઉઠાવી હતી.

નવીન બેન્કર

૭૧૩-૭૭૧-૦૦૫૦

નાટક ‘હું રિટાયર થયો’ના કલાકારો નો પરિચય

August 19th, 2011 Posted in અહેવાલ

 
 નાટક  ‘હું રિટાયર થયો’ના  કલાકારો નો પરિચય કરાવવો છે.

હેમંત ભાવસારને તો બધા જ ઓળખે છે.સિનિયર સિટીઝન એસોસિયેશન હોય, જૈન સેન્ટરના કાર્યક્રમો હોય, કે ભારતથી પધારેલા મહાન સંગીતકારો હોય,હેમંતભાઇ સ્ટેજ પર મંજીરા સાથે હાજર હોય જ.’ કૈલાસકે નિવાસી’ ભજન તેમના કંઠે સાંભળવું એ એક લહાવો છે.કોઈ સ્વર્ગસ્થની સ્મ્રુતીસભામાં અવારનવાર આપણે તેમને જોયા-સાંભળ્યા છે.મેં આ કલાકારને છેક ૧૯૮૮થી હ્યુસ્ટન નાટ્યકલાવ્રુંદના નાટકોમાં અભિનય કરતા જોયા છે.’પરણ-વા ‘, ‘પડદા પાછળ’ જેવા નાટકોમાં તેમના અભિનયને માણવાનો મને મોકો મળ્યો છે.રમોલા દલાલ અને હેમંત ભાવસારની જોડી હોય એ નાટક હીટ જ હોય એવી ૧૯૯૦ના ગાળામાં સમજ પ્રવરતી હતી.આ નાટકમાં હેમંત ભાવસાર તમને ખુબ હસાવશે અને તમારી આંખોના ખુણા ભીનાં પણ કરી દેશે.

ઉમાબેન નગરશેઠ ભારતની સંસ્ક્રુતિના એમ્બેસેડર ગણાય છે.ઘણાં ગુજરાતી નાટકોના દિગ્દર્શક અને મુખ્ય અભિનેત્રી હોવા ઉપરાંત ‘નાટ્ય-ઉપાસના’ના સંચાલક પણ છે.ઘણાં બધાં ન્રુત્ય પ્રોગ્રામોના તેઓ કોરિયોગ્રાફર પણ રહ્યા છે. ઘણાં  આરંગેત્રમના ગુરુ પણ છે.૧૯૯૭માં હ્યુસ્ટનમાં ભજવેલ ફુલ લેન્થ પ્લે ‘હોનારત’ના દિગ્દર્શક પણ ઉમાબેન હતા.’બુકાની બાંધેલો સ્નોમેન’ તેમનું યાદગાર નાટક હું ગણું છું.’ચોર’ અને ‘અંદર અંદર’ જેવા નાટકોમાં તેમણે  કોમેડી રોલ પણ કર્યા છે.આ નાટકમાં તેમણે એક વિશિષ્ટ રોલ કર્યો છે. ઉમાબેન હ્યુસ્ટનના કલાજગતનું એક રત્ન છે.રક્ષાબેન પટેલ પણ  HNV નું એક મોંઘેરુ નજરાણું છે. આ નાટકમાં  ‘મા’ તરીકે  એ એવા તો છવાઈ જાય છે કે એમના અમુક સંવાદો પર તો તમે આફરીન પોકારી ઉઠશો અને એમના અંતીમ દ્રષ્યમાં તમારી આંખ ભીની ના થાય તો તમે જાણજો કે તમારી અંદર સંવેદનશીલ હૈયું રહ્યું જ નથી .

દરેક માતાને રક્ષાબેનના પાત્રમાં પોતાનું પ્રતિબિંબ દેખાશે.મનોજ મહેતા ખુબસુરત ગઝલકાર, કવિ,ઉપરાંત અચ્છા અભિનેતા પણ છે.’કોઇને માથે કાળ ભમે છે’, ‘ચોર’  જેવા નાટકોમાં તેમણે યાદગાર ભૂમિકાઓ ભજવી છે.મનીષ શાહ પણ અચ્છા અભિનેતા છે.  HNV એ ૧૯૯૭માં ભજવેલ ફુલ લેન્થ પ્લે ‘હોનારત’માં ડોક્ટરના મુખ્ય પાત્રમાં તેમણે યાદગાર અભિનય કરેલો.તેમનો ભાઈ સંદીપ અને માતા ઇન્દુબેન શાહ પણ સારા કલાકારો છે.ઈન્દુબેનને તો આપણે સિનિયર્સર્ની મીટીંગોમાં ઘણી વાર સાંભળ્યા છે. રસેશ દલાલની ઓળખ આપવાની હોય જ નહીં.આજના દૌરમાં, હ્યુસ્ટનના એક સારા માસ્ટર ઓફ સેરીમની ( ઉદ્ઘોષક ) અને સેવાભાવી વોલન્ટીયર તરીકે સેવાઓ આપતા આપણે તેમને દરરોજ જોઈએ છીએ.યોગીનાબેન પટેલને ‘સ્વર્ણીમ ગુજરાત’ની ઉજવણી પછી યોગીના કરતાં ‘રંગલી’ તરીકે બધાં આ હસમુખી,રુપાળી, મોટીમોટી ભાવવાહી આંખોની સ્વામિની એવી મીઠડી છોકરીને ગુજરાતી સમાજના ઘણા કાર્યક્રમોમાં આપણે દોડતી જોઈ છે.આ નાટકમાં દીકરીના રોલમાં તેણે અભિનયના ત્રણ ડીફરંટ શેડ્સ દર્શાવ્યા છે.હાસ્ય, ગુસ્સો અને કરુણતા -એ ત્રણે શેડસમાં તેણે એવો તો સુંદર અભિનય કર્યો છે કે તમે આફરીન પોકારી ઉઠશો.HNV નું  અણમોલ રતન એટલે અરવીંદ ‘બાના’. ‘એક નાટકમાં અરવીંદભાઈએ ‘બાના’ના પારસી રોલમાં એવી તો કમાલ કરી કે લોકો તેમને ‘બાના’ તરીકે જ આજે પંદર વર્ષો પછી યે ઓળખે છે. BAPS (સ્વામિનારાયણ સંપ્રદાય)ના ચુસ્ત અનુયાયી અને સરળ હ્ર્દયના આ કલાકાર સારા અભિનેતા છે. આ નાટકમાં નાનકડા રોલમાં પણ એવી તો સુંદર અદાકારી દાખવી જાય છે કે બસ-લલિત  શાહ – HNV ના જૂના અને જાણીતા જોગી એટલે લલિતભાઈ શાહ.મને યાદ છે કે ૧૯૮૯માં તેમણે ‘કોઈને માથે કાળ ભમે છે’ એ નાટકમાં જગન્નાથની અવિસ્મરણીય ભૂમિકા ભજવેલી.એમનો પહાડી અવાજ એવો તો છવાઇ જાય છે કે જાણે માઈકની જરુર જ ન પડે.આ નાટકમાં પણ તેમની ભૂમિકા સુંદર છે.પંક્તી ગાલા નામની એક નાનકડી બેબી પણ પૌત્રીની ભૂમિકામાં સરસ અભિનય કરી જાય છે. અન્ય ગૌણ પાત્રોમાં કુલદીપ બારોટ નામનો એક જુવાન પણ છે.અને…હવે આવે છે મુખ્ય પાત્રમાં શ્રી. મુકુંદ ગાંધી.હ્યુસ્ટનમાં ગુજરાતી નાત્યકલાકારોનું મંડળ રચવાના સ્વપ્નદ્રષ્ટા….હ્યુસ્ટન નાટ્યકલાવ્રુંદના ભિષ્મ પિતામહ…ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટનના ભૂતપુર્વ પ્રેસિડેન્ટ..ટ્રસ્ટી..સમાજના આગેવાન કાર્યકર..૧૯૯૧માં ‘પત્તાની જોડ’ જેવા ત્રિઅંકી નાટકમાં  ‘દાદાજી’ની અવિસ્મરણીય ભૂમિકા ભજવનાર આ વરીષ્ટ કલાકારે ગુજરાતી સમાજને અને હ્યુસ્ટનના સિનિયર સિટીઝન એસોસિયેશન માટે ફંડ ભેગુ કરી આપ્યું હતું.’હું જે કહીશ તે સત્ય જ કહીશ’ નાટકમાં તેમણે જગન્નાથની ભૂમિકા ભજવેલી અને પ્રેક્ષકો પર છવાઈ ગયેલા.અમારા આ નાટકમાં ગુજરાતી રંગભૂમિના લોકલાડીલા અભિનેતા , નટસમ્રાટ અનંતરાય વિદ્યાપતિની અવિસ્મરણીય ભૂમિકામાં મુકુંદભાઈ એવા તો છવાઈ જાય છે કે પ્રેક્ષકો એકીઅવાજે તેમને નટસમ્રાટ તરીકે સ્ટેન્ડીંગ ઓવેશન આપવા માટે મજબૂર બની જશે. નાટકની  એકે એક ફ્રેમમાં, એકે એક દ્રષ્યમાં સ્ટેજ પર તેમની હાજરી છે..તેમને મુખે બોલાયેલા એકે એક સંવાદો..એકે એક એકોક્તિઓ..પ્રેક્ષકોને હસાવે છે, રડાવે છે..પ્રેક્ષકો તેમના પાત્ર સાથે તાદાત્મ્ય સાધીને તેમના સુખ-દુખમાં ભાગીદાર બની જાય છે.મેં આ નાટકના વીસથી પણ વધુ રીહર્સલો જોયા છે..મારાથી પણ પાંચ-છ વર્ષે મોટા એવા આ વડીલ, કલાકારને જુવાનને શરમાવે એવી સ્ફુર્તીપુર્વક દોડાદોડી કરીને આયોજન કરતા જોયા છે અને હમેશા લઘુતાગ્રંથી અનુભવી છે.શ્રી. હેમંત ભાવસાર , HNVના પ્રેસિડેન્ટ શ્રી.અશોક પટેલ  અને ઉમાબેન નગરશેઠે આ નાટકના દિગ્દર્શનમાં ખુબ ઉપયોગી, કિંમતી સલાહસુચનો આપીને નાટકને ઉત્ક્રુષ્ટ બનાવવામાં અમુલ્ય  ફાળો આપ્યો છે.બસ…મિત્રો…આજે માત્ર આટલું જ. તમે બધાં આખો હોલ ભરી દો અને આપણે બધાં સાથે ઉભા થઈને આ નાટકના, આપણા હ્યુસ્ટનના, તમામ કલાકારોને સ્ટેન્ડીંગ ઓવેશન આપીયે.

નવીન બેન્કર૭૧૩-૭૭૧-૦૦૫૦           E-mail Address : navinbanker@yahoo.com 

 
 

Navin Banker
Phone No: 713 771 0050

ડોક્ટર બળવંત જાનીનો વાર્તાલાપ- નવીન બેંકર

August 19th, 2011 Posted in અહેવાલ

 

આષાઢ સુદ બીજ ને મંગળવાર તારીખ ૧૩ જુલાઈ ૨૦૧૦ ની ખૂશનૂમા સાંજે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદીરના સભાખંડમાં, સાહિત્યવિદ ડોક્ટર બળવંત જાની ના વાર્તાલાપનો એક કાર્યક્રમ સ્વામિનારાયણ મંદીર તથા હ્યુસ્ટન સાહિત્ય સરિતાના ઉપક્રમે લગભગ ત્રણસો જેટલા સાહિત્ય રસિકો સમક્ષ યોજવામાં આવ્યો હતો.
હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાના વર્તમાન કો-ઓર્ડીનેટર શ્રી. હેમંત ગજરાવાલાએ ડો. બળવંત જાનીનો પરિચય કરાવતાં કહ્યું કે તેઓશ્રી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડીન છે.શિક્ષણક્ષેત્રનો તેમને બહોળો અનુભવ છે તથા પોતે સાહિત્યમાં ડોક્ટરેટ કરેલું છે અને તેમના હાથ નીચે વિવિધ વિષયોમાં રીસર્ચ કરીને ત્રીસેક જેટલા સ્કોલરોએ પણ ડોક્ટરેટની પદવી હાંસલ કરેલી છે.તેઓશ્રીએ મધ્યકાલીન સાહિત્ય, ચારણી સાહિત્ય,લોકગીતો, સંત સાહિત્ય અંગે રીસર્ચ કરીને દસ હજારથી પંદર હજારભજનોનું કંપાઇલેશન કર્યું છે તથા બોત્તેર કલાકનું રેકોર્ડીંગ કર્યું છે. જે ગ્રામવાસીઓ વાંચી કે લખી શકતા નથી તેમની પાસેથી સાંભળીને જાતે લખી કે રેકોર્ડીગ કરીને આ ભગીરથ કાર્ય કર્યું છે.બ્રિટનના ડાયસ્પોરા સર્જકોના સાહિત્યનું સંશોધન કરી, સંકલન કરીને તેને અભ્યાસક્રમમાં દાખલ કરવામાં સિંહફાળો આપ્યો છે. બ્રિટનના ૧૨૨ ડાયસ્પોરા સર્જકોની રચનાઓના સંશોધનો થકી ૧૮ વોલ્યુમ તૈયાર કર્યા. અમેરિકામાં સર્જાયેલ ગુજરાતી અમેરીકન ડાયસ્પોરા સાહિત્ય અંગે પણ આવું જ કાર્ય ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાના ઉપક્રમે થઈ રહ્યું છે. આ કાર્ય હાથ પર લેવાની ઘોષણા, આજે આ સભાખંડમાં સૌ પ્રથમવાર હ્યુસ્ટનમાં થઈ રહી છે. આ ઐતિહાસિક ક્ષણના તમે બધા પ્રથમ શ્રોતા અને સાક્ષી છો. આ ઘોષણાને સાહિત્યરસિક શ્રોતાઓએ સ્ટેન્ડીંગ ઓવેશન આપીને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.
BAPS ના શ્રી. ઓજસભાઇએ,તેમનો સંપ્રદાય વિવિધ માધ્યમો દ્વારા ગુજરાતી ભાષા અંગે જે પ્રવ્રુત્તીઓ કરે છે તેની માહિતિ આપતાં ગુજરાતીના ક્લાસિસ, સ્વામિનારાયણ બાળપ્રકાશ જેવા માસિકનું પ્રકાશન, ગુજરાતી સ્પેલીંગ-બીની સ્પર્ધા, વિવિધ શિબિરો તથા અધિવેશનોની માહિતિ આપી. પુજ્યશ્રી. પ્રમુખસ્વામી મહારાજે કહ્યું છે કે ‘ ભાષા, ભોજન અને ભૂષા ( વેશભુષા) એ તો માનવીની ઓળખ છે.બાળકોને સંસ્કાર ભાષાની ઓળખ નહીં આપો તો સંતતી અને સંપત્તી બન્ને ગુમાવશો.’ અત્રે, સંસ્થાના એક બાળ-હરિભક્તે વાલિયો લૂંટારો સંત વાલ્મિકી કેવી રીતે બન્યો તેની ટૂંકી વાર્તા સુંદર રીતે ગુજરાતીમાં રજૂ કરી હતી.
શ્રી. બળવંતભાઇએ તેમના વક્તવ્યમાં જણાવ્યું કે ભારતિય મૂળના લેખકોને વિશ્વકક્ષાએ પારિતોષીકો મળવા લાગ્યા છે. તેમના સર્જન, ચિંતન અને લેખનની નોંધ લેવાવા માંડી છે. મહાભારત જેવા ગ્રંથ પર અંગ્રેજીમાં નાટકો લખાય તે આપણા માટે ગૌરવની વાત છે. છતાં, ડાયસ્પોરા સર્જકોની જ વાત આવે અને માત્ર પન્ના નાયક કે પ્રીતિ સેનગુપ્તાના જ નામ પરદેશના ગુજરાતી લેખક તરીકે લોકો જાણે અને બાકીના કોઇને ના ઓળખે તે કેવું ? પરદેશમાં જે સર્જન થઈ રહ્યું છે તેમની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે તેને હાયર એજ્યુકેશનમાં સ્થાન આપવું જરૂરી છે.દલીત લેખકો કે નારીવાદી લેખકોને હાઇ લાઈટ કરો છો પણ અન્ય સર્જકોનું શું ? ડાયસ્પોરા સર્જક એક જૂદી જ દ્રષ્ટી ધરાવે છે. લોકલ લેખક કરતાં તે સમાજને જૂદી જ નજરે જુએ છે. તેના સર્જનમાં પરદેશની ભૂમી પરનાં આપણા પ્રશ્નો ચરિતાર્થ થાય છે.કાફકા કે કામૂના પશ્ચિમી સાહિત્યની અસર નીચે લખાયેલ ઉન્નત ભ્રૂ ગુજરાતી લેખકો કરતાં આ સર્જક કાંઈક જૂદી જ દ્રષ્ટિ ધરાવે છે.
માણસ ભીડ વચ્ચે પણ એકલો પડી ગયો છે. પન્ના નાયકની એક ક્રુતિ ” હું ” નુ પણ વિવેચન કરતાં તેમણે દરિયા નીચે પથરાયેલી, ભીની, શાંત સ્થિર રેતીને સૂર્ય તાપમાં તપવાનુ, શીશુના કોમળ કોમળ પગ નીચે ખુંદાવાનુ, પવનમાં આમથી તેમ ફંગોળાવાનુ અને કિનારે જવાનુ મન થાય છે પણ….. સતત ભીંસતા સમુદ્રના અપાર પ્રેમને પણ છોડી શકાતો નથી એવા રૂપક દ્વારા ” ન યયૌ, ન તસ્યૌ” (ન અહીંના, ન ત્યાંના) ડાયસ્પોરા સર્જકની પીડાની વાત કરી. ડાયસ્પોરા સર્જકની રચનામાં ડાયસ્પોરીક લાગણીની વાત ના હોય તો એ સાહિત્યનો કોઈ અર્થ નથી.
મધર ટેરેસા અંગે કે શેક્સપિયર અંગે આપણને જેટલી જાણકારી છે તે આપણી ચારણી અમરબાઈ કે સંત દેવીદાસ અંગે નથી તેનુ કારણ એટલું જ છે કે મધર ટેરેસાને અભ્યાસ ક્રમમાં સ્થાન મળ્યું છે જ્યારે અઢારમી સદીમા રક્તપીતિયાની સેવા કરનાર પ્રથમ મહિલા અમરબાઈની કોઈ નોંધ લેવાઈ નથી. વીજળીના ઝબકારે મોતી પરોવી લઈએ એવું કહેનારા ગંગા સતીના ભજનોને અભ્યાસ ક્રમમાં સ્થાન આપીશું ત્યારે જ એમની ઓળખ પ્રસ્થાપિત થશે.
શ્રી બળવંતભાઈએ સ્વામિનારાયણ સંપ્રદાયના ૯ કવિઓની ભક્તિ ભાવના અંગે પણ વાતો કરતાં કવિ બ્રહ્માનંદ ના પદ સાહિત્ય અંગે પણ રસપ્રદ વાતો કરી.
પ્રવચનના અંત ભાગમાં તેમણે કહ્યું કે ગુજરાત ટાઈમ્સને ગુજરાત સરકારની જાહેરખબર મળતી થઈ તે ગુજરાત સરકારની ગુજરાતી ભાષાને પ્રમોટ કરવાની પ્રતિબધ્ધતા દર્શાવે છે.
અંતમાં, B A P S ના શ્રી બાબુભાઈ પટેલે સ્વામિનારાયણ સંપ્રદાય વતી તથા શ્રી હેમંત ગજરાવાલાએ સાહિત્યસરિતા વતી આભાર વિધી કરીને કાર્યક્રમની સમાપ્તિ કરી હતી.
બીજા દિવસે એટલે કે ૧૪મી જુલાઈને બુધવારે સાંજે યુનાઈટેડ સેન્ટ્રલ બેંકના એડવાઈઝરી ડાયરેક્ટર તથા ઈસ્માઈલી કોમ્યુનિટીના અગ્રગણ્ય માનનિય આગેવાન ડો. બરકત ચારણીયાના સૌજન્યથી સેવોયના બેંકવેટ હોલમાં લગભગ ૧૫૦ જેટલા આમંત્રિત સાહિત્યરસિકો માટે ભોજન સાથે શ્રી બળવંતભાઈના વાર્તાલાપનો લાભ મળ્યો હતો.
ગુજરાતી સાહિત્યસરિતાના સભ્યો તથા ઈસ્માઈલી કોમ્યુનિટી ના ગુજરાતી ધુરંધરો સમક્ષ શ્રી બળવંતભાઈએ સુફી કવિયત્રી સંત રાબિયા, શેખ સાદિક અલી, ભોજા ભગત, ઈસરદાન ગઢવી, સંત દેવીદાસના ગુરૂ શ્રી જયરામ શાહ જેવા સંતોની વાતો, તેમના સર્જનની વાતો, તેમના તત્વદર્શન અંગે જણાવતાં કહ્યું કે ઈસમાઈલી પ્રજા “ગીનાન” દ્વારા ગુજરાતી ભાષાની જાળવણી કરીને તેને ગૌરવ અપાવે છે.
કાર્યક્રમના અંત ભાગમાં કવિશ્રી વિનોદ જોશીની સુંદર ક્રુતિ “ફાંસ જરા સી વાગી ગઈ ને વાંસ જેવડું કંઈ ખટકે છે અંદર અંદર” તથા સ્વર્ગસ્થ કવિશ્રી રમેશ પારેખની પંક્તિઓ “અહીં તો માત્ર ટહેલવા આવ્યા હતા રમેશ ને ચરણ અહીં ચોંટી ગયા” સંભળાવી, તેનો રસાસ્વાદ કરાવીને પુર્તિ કરતાં કહ્યું કે “વ્યક્ત ન થઈ શકવાની વેદના માત્ર સર્જકો જ જાણતા હોય છે.”
અસ્તુ………………..

નવીન બેંકર

૭૧૩-૭૭૧-૦૦૫૦.

ઇન્ડીયન સિનિયર સિટીઝન્સ એસોસિયેશન ઓફ હ્યુસ્ટન-અહેવાલ

August 18th, 2011 Posted in અહેવાલ

 

તારીખ તેરમી ઓગસ્ટ ૨૦૧૧ને શનિવારે ‘ISCA ‘ની એક ખાસ મીટીંગ,હ્યુસ્ટનના હિલક્રોફ્ટ અને બિસોનેટ સ્ટ્રીટના કોર્નર પર આવેલ બેલેન્ડ કોમ્યુનિટી સેન્ટરમાં યોજવામાં આવી હતી.આ બેઠકમાં એકલ વિદ્યાલય અને વલ્લભ વિદ્યામંદીરના નાના નાના ભુલકાઓએ વાર્તાલાપ સ્વરુપે એક સુંદર સ્કીટ રજુ કરીને ‘સરસ્વતી-વંદનાનો અર્થ’,’યોગાનો અર્થ’,આપણી ભાષામાં બારાખડી,’દરરોજ સ્નાન કરવાના ફાયદાઓ’ વગેરે અંગે રમુજી રીતે ખ્યાલ આપ્યો હતો.શ્રી.વલ્લભ વિદ્યામંદીરના પ્રિન્સિપાલ શ્રીમતી રચનાબેન શાહે વિદ્યામંદીરની પ્રવ્રુત્તીઓનો ચિતાર રજુ કર્યો હતો.કાર્યક્રમમાં ભાગ લેનાર બાળ-કલાકારો હતા -સર્વશ્રી. ઉત્સવ બક્ષી,રણજીત શાહ,હીમાલી શાહ,યશ ધ્રુવ,કેયા શાહ,દેવ ધ્રુવ,પાર્થ શાહ અને ખુદ રચનાબેન શાહ.વૈશાલી બંસલે આ સ્કીટનું દિગ્દર્શન કર્યું હતું.

ત્યારબાદ….શ્રી રમેશભાઇ મોદીએ ઓક્ટોબરમાં ૨૧૨ સિનિયર મેમ્બર્સ સાથે ઉપડનારી ક્રુઝ અંગેની માહિતી આપી હતી.

હ્યુસ્ટન સિનિયર સિટીઝન્સ એસોસિયેશનના  સિનિયર મેમ્બર શ્રી, નવીન બેન્કરે, હ્યુસ્ટન ગુજરાતી સમાજના બંધારણની એક જોગવાઇ કે જેમાં ૬૫થી વધુ ઉંમરના ભાઇબહેનોએ સભ્ય ફી નથી ભરવાની હોતી કે સભ્યપદ રીન્યુ કરવા માટે પણ વાર્ષીક ફી ભરવાની નથી હોતી તે અંગે ગુજરાર્તી સમાજ તરફથી મળેલા એક સ્પષ્ટીકરણની જાહેરાત કરતાં કહ્યું હતું કે સભ્યોએ સભ્યપદના એપ્લિકેશન ફોર્મમાં પોતાની બર્થ ડેઈટ જણાવીને પોતે ૬૫ વર્ષથી વધુ વયના છે તે જાહેર કરીને પોતે સભ્યપદની ફી ભરવા બંધાયેલા નથી એની જાણ લેખિતમાં કરવી જરુરી છે. આ રીતે સભ્યપદ મેળવેલા સભ્યોને ,રેગ્ય્લર સભ્ય તરીકે  હોલની જે  પ્રવેશ ફી વગેરે હોય છે તે ભરીને નવરાત્રી જેવા પ્રસંગોએ પ્રવેશ અપાય છે તે આપવામાં આવશે અને નોન-મેમ્બરનો ચાર્જ વસુલ કરવામાં નહીં આવે. જો કે આવા સભ્યોને વોટીંગ રાઈટ્સ નહીં મળે તથા તેઓ સમાજનું મુખપત્ર ‘દર્પણ’ મેળવવા પણ હકદાર રહેશે નહીં. છેલ્લા ત્રિસેક દિવસથી આ અંગે ઇ-મેઈલ મારફતે સમાજના  માનનીય પ્રમુખશ્રી. નિરંજનભાઇ પટેલ, અને અન્ય કમીટી મેમ્બરો, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ  વગેરે સાથે પત્રવ્યવહાર કરીને સ્પષ્ટતા મેળવી હતી  જેને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના એક માનનીય સભ્ય શ્રી હર્ષદભાઇ પટેલ ( કે જે સમાજમાં ‘હર્ષદ માસ્તર’ તરીકે ઓળખાય છે ) તેમણે ફોન પર કન્ફર્મ કરેલ અને પોતે સિનિયર્સની આ મીટીંગમા જાતે હાજર રહીને પોતાના વતી આ જાહેરાત કરવા શ્રી. નવીન બેન્કરને વિનંતિ કરી હતી. ગુજરાતી સમાજની આ જાહેરાતને સિનિયર્સના સભ્યોએ તાલીઓના ગડગડાટથી વધાવી લીધી હતી અને શ્રી.હર્ષદભાઇનો  તથા ગુજરાતી સમાજનો આભાર માન્યો હતો.

કાર્યક્રમના ત્રીજા ચરણમાં ,હ્યુસ્ટનની ડાયગ્નોસ્ટીક અલ્ટ્રાસાઊન્ડ સર્વીસિસવાળા શ્રીમતી વિભાબેન પટેલે ,સિનિયર્સને ઇકો-કાર્ડીયોગ્રામ,વાસ્ક્યુલર અલ્ટ્રાસોઊન્ડ, જનરલ અલ્ટ્રાસાઊન્ડ અંગે  પ્રાથમિક માહિતી આપી હતી.અલ્ટ્રાસાઊન્ડથી જે નિદાન થાય છે તે કઈ રીતે નુકશાનકારક નથી એ જણાવતા કહ્યું કે એમાં કોઇ જાતની’ ડાઈ’ નથી વપરાતી કે કોઇ પ્રકારના કિરણો શરીરમાં દાખલ થતા નથી કે કોઇ રેડીએશન પણ નથી હોતું અગર દવા પણ પીવી નથી પડતી.હ્રદયના વાલ્વમાં કોઇ અવરોધ તો નથી, આર્ટરીઝમાં કોઇ બ્લોકેજ નથી,જેવી બાબતો કેવી રીતે જાણી શકાય છે તેનું નિર્દેશન કરીને સરળ શબ્દોમાં સમજાવ્યું હતું.હાજર રહેલા કેટલાક જિજ્ઞાસુ દર્દીઓના પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો પણ આપ્યા હતા.

અંતે…સ્વાદીષ્ટ ભોજનનો આસ્વાદ માણીને સૌ છૂટા પડ્યા હતા.

 શ્રી. નવીન બેન્કર

૭૧૩-૭૭૧-૦૦૫૦    E-mail : navinbanker@yahoo.com
 

એક અનોખો સંગીત-કાર્યક્રમ

August 16th, 2011 Posted in અહેવાલ

 

હ્યુસ્ટનમાં હમણાં છઠ્ઠી ઓગસ્ટે એક અનોખા, સુંદર સંગીતના કાર્યક્રમમાં જવાનું થયું.હ્યુસ્ટનના જ એક કવિ, સાહિત્યરસિક મિત્ર અને વિશિષ્ટ માસ્ટર ઓફ સેરિમની ( ઉદઘોષક ) તરીકે ખ્યાતનામ એવા શ્રી.રસેશ દલાલની દીકરી પોતાના નવજાત પુત્ર  આરવને લઈને પિતાને ઘેર આવી  હતી એ નિમિત્તે દાદાશ્રી રસેશભાઇ અને તેમના ધર્મપત્ની દીપાબેને થોડાક સગાં-સ્નેહીઓ અને મિત્રોને વેસ્ટહેમર અને બ્રાયરફોરેસ્ટના જંક્શન પર આવેલા આશિયાનારેસ્ટોરન્ટમાં એક સ્નેહમિલન જેવું કાંઇક રાખ્યું હતું.ભોજન ઉપરાંત સંગીતસંધ્યા જેવું પણ કંઇક ખરું.મને તો એમ કે જમી, નવજાત શિશુને શુભેચ્છા પાઠવી, બેચાર ગીતો સાંભળીને ઘરભેગા થઈ જાશું. 
પણ..જ્યાં સ્ટેજ પર હ્યુસ્ટનની સ્વરકિન્નરી સ્મિતા વસાવડાને જોયા અને તેમની વિશિષ્ટ રજુઆત જોઇ કે બસ..સમગ્ર કાર્યક્રમ માણ્યા વગર ન રહેવાયું. એવું તે શું હતું એ કહેવાતી વિશિષ્ટ રજુઆતમાં ?
શરુઆત રાબેતા મુજબ પ્રાર્થનાથી કર્યા પછી સ્મિતાજીએ નવજાત શિશુને લગતા કેટલાક ગીતો, જન્મને લગતા ગીતો, હાલરડા,પા પા પગલીના ગીતો..શિવાજીનું હાલરડુ..ને એવું બધું યાદ કરી કરીને રજુ કર્યું કે કશુંક નવું નવું સાંભળવાનો મોકો મળ્યો.સ્મિતાજી પોતે પણ મહુવા-ભાવનગર બાજુના નાગરકન્યા છે એટલે રૂપ અને સંગીત તો વારસામાં હોય જ.કેટલાક કાવ્યો પણ વચ્ચે વચ્ચે રજુ કર્યા..કાનજીની વેબસાઈટ વાળું કાવ્ય, શિવાજીનું હાલરડુ, ‘તમે મારા દેવના દીધેલ છો‘, ‘ઠુમક ઠુમક ચલત રામચંદ્ર બાજત પેજનિયાજેવા ગીતો પર શ્રોતાઓએ મન મુકીને દાદ આપી હતી.
 હ્યુસ્ટનના નાટ્યકલાકાર, ભજનીક અને સંગીતકાર એવા શ્રી.હેમંત ભાવસાર અને યોગીનાબેન પટેલે થોડીક મીનીટોની, રંગલો અને રંગલાની સ્કીટ રજુ કરીને શ્રોતાઓને રંગમાં લાવી દીધા હતા.
સ્મિતાબેન વસાવડાની સાથે વોઈસ ઓફ મુકેશ તરીકે હ્યુસ્ટનમાં ખ્યાતનામ થઈ ગયેલા શ્રી. ઉદયન શાહે પણ કેટલાક જાણીતા ફિલ્મી ગીતો રજુ કર્યા હતા.સંગીતમાં તેમને સાથ આપ્યો હતો શ્રી. મહેંદી ખોજાએ અને સાઈડ રીધમ પર શ્રી.હેમંત ભાવસારે.
ભોજન પછી આમંત્રિતોની ફરમાઈશો પર આ બન્ને ગાયકોએ કેટલાક ફિલ્મી ગીતો પણ રજુ કરીને શ્રોતાઓના મન મોહી લીધા હતા.તુજે દેખ દેખ સોના‘,’જીયા ધડક ધડક‘,યે શામ મસ્તાની‘,હોઠોંસે છુ લો તુમ,મેરા ગીત અમર કર દો‘,’આજા સનમ મધુર ચાંદનીમેં‘,’રમૈયા વસ્તાવૈયા‘,’મુજે જીવનકી ડોરસે બાંધ લિયા હયજેવા ગીતો પર શ્રોતાઓએ મનભેર અને માનભેર દાદ આપી હતી.
સ્મિતાબેન વસાવડાના સ્વરમાં રજુ થયેલા ગીતો સાંભળીને સંગીત રસિક શ્રોતાઓ સુંદર નિરામય સંગીતનો આસ્વાદ માણી શકે છે.કાવ્યો, ગીતો, ભજનો અને ગઝલોને આકર્ષક અને આગવી છટામાં રજુ કરીને તેઓશ્રી ગુજરાતી ભાષા અને સંગીતની સાધનામાં ઉત્તમ ફાળો આપે છે. બાળકના જન્મના ઉત્સવના હાલરડા હોય કે કોઈની શોકસભામાં ભજનો હોય, સ્વજનોના સુખમાં શુભેચ્છા પાઠવવાની હોય કે દુઃખમાં સાંત્વન દેવાનું હોય…તેમનો સ્વર,
સંગીતનો ધબકાર સંભળાવે જ. તેમના મીઠા સ્વરમાં આનંદની ખૂશ્બુ છે તો સાથે સાથે પ્રેમનું ગુંજન પણ છે.સ્મિતાબેનની વાણી  સાંભળીએ એટલે એમના કંઠની કમાલનો અનુભવ થાય જ. એમના શબ્દ અને સ્વર આપણા કાનમાં અત્તરનું પુમડુ થઈને મહેંક્યા કરે. એ લીન અને તલ્લીન થઈને ગાય અને આપણે સંગીતના તાલે ડોલ્યા જ કરીએ.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીનલબેન વકીલે સૂપેરે કર્યું હતું. રસેશ દલાલ ઉત્તમ ઉદઘોષક હોવાં છતાં આ વખતે તેમણે સ્ટેજથી છેટા રહીને માઈકને એવોઈડ કર્યું લાગતું હતું. આમંત્રિતોમાં તેમના સગાંસંબંધીઓ ઉપરાંત વલ્લભ પ્રીતિ સેવા સમાજના શ્રીજી-ભક્તો, કમીટીના સભ્યો અને મારા જેવા કેટલાક મિત્રો હતા.
રસેશભાઈ-દીપાબેન, આવો સુદર કાર્યક્રમ યોજવા બદલ અભિનંદન અને નાનકડા શિશુ આરવને તેના સુખી અને સ્વસ્થ જીવન માટે શુભાશિષો.
 
નવીન બેન્કર
૭૧૩-૭૭૧-૦૦૫૦

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.