ગુણવંત શાહ- ‘કવિતા’ વિશે
કવિતા
માણસને કવિતા વગર ચાલે ખરું ? કવિતા વગર ચાલી જાય ખરું, પણ જેમ જેમ માણસાઈ સમૃદ્ધ બને તેમ તેમ કવિતાની તરસ વધે. જેમ જેમ કમ્પ્યુટરની બોલબાલા વધતી જશે તેમ તેમ કવિતાની તરસ તીવ્ર બનશે. યંત્ર કદી નથી કંટાળતું એ વાત સાચી, પરંતુ યંત્ર સાથે સતત કામ પાડનારો આદમી જરૂર કંટાળી જાય છે. કવિતા વગર ચાલી જાય તોય ચલાવી લેવા જેવું નથી. જીવતા હોવાની કેટલીક સાબિતીઓ જાળવી રાખવા જેવી છે. કવિતા પ્રત્યેનું આકર્ષણ જીવતા હોવાની પ્રબળ સાબિતી છે.
કવિતા માત્ર કાગળ પર છપાતી પંક્તિઓમાં જ નિવાસ કરનારી આત્મસુંદરી નથી. એ તો જીવનયોગિની છે. ક્યારેક મૌનના અજવાળામાં અને એકાંતના મહાલયમાં એનો પગરવ સંભળાય છે. પગરવ સાંભળવા માટે કાન અને હ્રદય સરવાં કરવાં પડે છે.
ડૉ. ગુણવંત શાહના ‘વૃક્ષમંદિરની છાયા’ પુસ્તકમાંથી સાભાર