ગુજરાતી લેખિકા શ્રીમતી નીલમ દોશી હ્યુસ્ટનની મુલાકાતે
ગુજરાતી લેખિકા શ્રીમતી નીલમ દોશી હ્યુસ્ટનની મુલાકાતે
અમદાવાદની ‘ધબકાર’ સંસ્થાના ઉપક્રમે, પાંચ કે છ વર્ષ પહેલાં–કદાચ ૨૦૦૭માં-,બ્લોગ જગતના લાડીલા અને આદરણીય વડીલ જુગલકાકા ( શ્રી.જુગલકિશોર વ્યાસ ) ના નિવાસસ્થાને હું, પ્રથમ વખત આ તેજસ્વીની લેખિકાને મળેલો અને તેમના સાહિત્યનો અને લેખનપ્રીતિનો અનુભવ થયો હતો. ત્યારપછી પણ આ છ વર્ષ દરમ્યાન તેમના લખાણો–લઘુકથાઓ, ટૂંકી વાર્તાઓ વગેરે– અવારનવાર ગુજરાતી સામયિકો ‘કુમાર’, ‘અખંડ આનંદ’, ’ઉદ્દેશ’ વિગેરેમાં વાંચવામાં આવ્યા હતા એટલે શબ્દથી તો એમનો પરિચય થતો જ રહ્યો છે.
હ્યુસ્ટનની તેર વર્ષ જૂની, ગુજરાતી સાહિત્ય સરિતાના આમંત્રણને માન આપીને નીલમબેન દોશી હ્યુસ્ટનની મુલાકાતે પધાર્યા હતા અને ‘સરિતા’ની ૧૩૪મી બેઠકમાં, સાહિત્યપ્રેમી ડોક્ટર દંપતિ રમેશભાઇ શાહ અને ઇન્દુબેન શાહના નિવાસસ્થાને હાજરી આપી હતી.
હ્યુસ્ટનની જાણીતી સ્ત્રી–લેખિકાઓ શ્રીમતી શૈલા મુન્શા,દેવિકા ધ્રુવ, ઇન્દુબેન શાહ અને પ્રવિણા કડકિયાએ પ્રાર્થનાથી શરુઆત કર્યા બાદ સુત્રધાર દેવિકાબેને નીલમબેનનું સ્વાગત કર્યું હતું અને શ્રી. વિજય શાહને નિલમબેનનો પરિચય આપવા માટે વિનંતિ કરી હતી. શ્રી. વિજય શાહે, લેપટોપ પર સ્લાઇડોના સહારે, નીલમબેનના પુસ્તકો, કોલમો, તેમને મળેલા એવોર્ડો, પારિતોષિકો અંગે માહિતી આપતાં કહ્યું કે નીલમ દોશીના પુસ્તક ‘ગમતાંનો ગુલાલ’ને ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ પ્રાપ્ત થયો છે. ‘દીકરી મારી દોસ્ત’, ‘જન્મદિવસની ઉજવણી’, ‘સંબંધસેતુ’, ‘સાસુવહુ ડોટ કોમ’, અંતિમ પ્રકરણ’, ‘પાનેતર’ એમના પ્રકાશિત પુસ્તકો છે. લોકપ્રિય સ્ત્રી સાપ્તાહિક ‘સ્ત્રી’માં, એમની કોલમ ‘જીવનની ખાટીમીઠી’ પ્રકાશિત થતી રહી છે. સુરતમાં યોજાયેલ જ્ઞાનસત્ર (૨૦૧૨) દરમ્યાન નીલમબેન લિખિત ‘અંતીમ પ્રકરણ’ નવલિકાસંગ્રહને ગુજરાત સાહિત્ય પરિષદ તરફથી ‘બેસ્ટ બુક ઓફ ધ યર’નો અવોર્ડ પ્રાપ્ત થયેલો છે. તેમના શૈક્ષણિક કાર્યક્રમો અને કાવ્યોના રસાસ્વાદ, આકાશવાણી રેડીયો પરથી પ્રસારિત થતા રહે છે.
નીલમબેનના વક્તવ્ય પહેલાં, બે–ત્રણ સ્થાનિક લેખકો–કવિઓની કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી.ઓસ્ટીનથી ખાસ આ બેઠકમાં હાજરી આપવા આવેલ કવયિત્રી સરયુ પરીખે પોતાના બે નવા કાવ્યસંગ્રહો વિશે માહિતી આપી હતી. અને બે કાવ્યો વાંચી સંભળાવ્યા હતા. હાસ્ય, હાઇકુ અને હઝલના રાજા એવા સ્થાનિક હાસ્યલેખક અને ગઝલકાર શ્રી. ચીમનભાઇ પટેલે (‘ચમન’) સ્વરચિત બે, છંદબધ્ધ કાવ્યો સંભળાવ્યા હતા. ફતેહ અલી ચતુરે, હિન્દી કવિ સુરેન્દ્ર શર્માનું એક વ્યંગકાવ્ય રજૂ કર્યું હતું.
બેઠકનો દોર પોતાના હાથમાં લેતાં, નીલમબેને હ્યુસ્ટનની મુલાકાત ટાણે લખાયેલ સ્વરચિત કાવ્યની પંક્તિઓ સંભળાવી હતી. ટૂંકી વાર્તાકળાના નમૂના તરીકે પોતાની ત્રણ વાર્તાઓ ‘સંજૂ દોડ્યો’, ‘એક ઔર ધરતીકંપ’, અને ‘આઇ એમ સ્યોર’ ,વાંચી સંભળાવી હતી. વાર્તાઓ અંગે સાહિત્યરસિકોએ પોતાના અભિપ્રાય આપ્યા હતા અને તે પછી નીલમબેને એની છણાવટ કરીને રસદર્શન કરાવ્યું હતું.
હ્યુસ્ટનના આદરણીય કવિશ્રી.પ્રદીપ બ્રહ્મભટ્ટે રાબેતા મુજબ, નીલમ દોશી અંગે એક શીઘ્રકાવ્ય રચીને તેની કોપી નીલમબેનને અર્પણ કરી હતી.
૧૬મી જૂન અને રવિવારે સવારે ૧૧ થી ૧૨ દરમ્યાન, હ્યુસ્ટનના જૈન સેન્ટર ખાતે પણ, નીલમ દોશીનો વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો. ‘જીવનના નાના સુખ’ એ વિષય પર બોલતાં, નીલમબેને મુલ્લા નસરુદ્દીનની એક વાત ‘સુખી થવાનો ઉપાય’ કરી અને કહ્યું કે સુખ એ આપણા મનની અંદર રહેલી પહેલી અનુભૂતિ છે. પૈસાની જરુર બધાને હોય પણ ક્યાંક તો ફુલસ્ટોપ મૂકવાનું જ છે. પૈસા, પદ અને પ્રતિષ્ઠાના વળગણથી મુક્ત થઈ જઇએ એ જ સુખ છે. આપણે તો સુખદુઃખનો ભાર વેંઢારતા પ્રવાસીઓ છીએ. પુરેપુરા જ્ઞાની હોય અથવા પુરેપુરા અજ્ઞાની હોય એ જ સાચા સુખી બની શકે.નાની નાની ઘટનાઓને ખુલ્લા મનથી આવકારીએ ત્યારે જ સુખની અનુભૂતિ થાય. સુખ અને દુઃખ, જેટલા મનમાં હોય છે એટલા જીવનમાં નથી હોતા. જે મળ્યું છે એ છોડીને, જે નથી મળ્યું એ મેળવવાનાં હવાતિયાં એટલે દુઃખ.
હકારાત્મક અભિગમને સમજાવતી એક પરદેશી ભાષાની વાર્તા રાજી રહેવાની રમત’ પણ નીલમબેને સંભળાવી. જૈન સેન્ટરના જિજ્ઞાસુઓના પ્રશ્નોના તેમણે પ્રત્યુત્તરો આપ્યા હતા.
એ જ દિવસે, સાંજે એક સાહિત્યપ્રેમી મિત્રના નિવાસસ્થાને યોજાયેલી નાનકડી બેઠકમાં કેટલાક સર્જક મિત્રો સાથે સાહિત્યગોષ્ટીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દરેક સર્જકે પોતાની કોઇ ને કોઇ કૃતિ રજૂ કરી હતી અને એના પર અન્ય સર્જકો પોતાના પ્રતિભાવ આપતા અને છેલ્લે નીલમ દોશી, એ કૃતિ ટૂંકી વાર્તા છે, લઘુનવલ માટેનું મટીરીયલ છે કે પછી એ માત્ર પ્રસંગકથા કે રેખાચિત્ર જ છે એની છણાવટ કરતા હતા. ટૂંકી વાર્તા અને લઘુકથા વચ્ચેની ભેદરેખા વિષે નીલમ દોશીએ વિદ્વત્તાપુર્ણ વક્તવ્ય આપ્યું હતું. આ સાહિત્યગોષ્ટી, ઉચ્ચ બુધ્ધીમતા ધરાવતા, ખરેખરા સાચા લેખકોની બેઠક હતી એટલો નિર્દેશ કર્યા વગર રહેવાતું નથી. મેં ઘણી સાહિત્યશિબીરો અને મીટીંગોમાં હાજરી આપી છે અને જોયું છે કે મોટાભાગની એવી બેઠકોમાં કવિતાઓને નામે, જોડકણાં , અપદ્યાગદ્ય કાચા લખાણો, ઉપદેશાત્મક સુફીયાણી વાતો, ને એવું બધું રજૂ થતું હોય, ખોટેખોટી વાહ વાહ થતી હોય અને છેલ્લે ચાહનાસ્તો કરીને લોકો છુટા પડતા હોય. સાહિત્ય સાથે સ્નાનસૂતકનો ય સંબંધ ન હોય, અરે ! ગુજરાતી લખીવાંચી શકતા ન હોય એવા લોકો મીટીંગમાં આગળ પલાંઠી વાળીને નેતા થઇને બેઠા હોય.
આ બેઠકમાં ગણીને દસ જ વ્યક્તિ હતી પણ સાહિત્યને સમજી શકે અને કંઇક શીખી શકે એવા સર્જકો હતા. યજમાને ચુનંદા મહેમાનોને આમંત્રિત કરીને સાચા અર્થમાં સાહિત્યગોષ્ટી યોજી હતી. અભિનંદન એ યજમાનને !
(અહેવાલ અને તસ્વીર સૌજન્ય– શ્રી. નવીન બેન્કર)