એકલતાનીપીડા
એકલતાનીપીડા
હમણાં ગણેશોત્સવ પ્રસંગે, યોજાયેલા એક સંગીત–ઉત્સવ દરમ્યાન મારે, હ્યુસ્ટનમાં નવા જ આવેલા એક બહેનનો પરિચય થયો. તેઓ શાસ્ત્રિય સંગીતનું જ્ઞાન ધરાવે છે. સારુ ગાઇ શકે છે. એક્ટીંગનો પણ અનુભવ છે. દેહલાલિત્ય પણ સરસ છે અને ગરબામાં ફરતી વખતે પણ કોઇનું પણ ધ્યાન આકર્ષી શકે એટલા આકર્ષક છે. જોબ કરે છે. સીંગલ ડાયવોર્સી છે. ડ્રાઇવીંગ પણ કરે છે અને સ્વતંત્ર રીતે ભાડાના એપાર્ટમેન્ટમાં એકલા રહે છે.
મેં તેમને ગુજરાતી સમાજના ગરબા અને સમાજના સભ્ય થઈ જવાની અગત્યતા સમજાવતો એક ઇ–મેઇલ મોકલ્યો.. એ બહેનનો જે જવાબ આવ્યો એ, એક બુદ્ધીશાળી વ્યક્તિની એકલતાની પીડા સમજાવવા પુરતો હતો.
‘નવીનભાઇ, આપે મોકલાવેલી માહિતી માટે આભાર. મારે ય, ગુજરાતી સમાજના સભ્ય તો થઈ જ જવું છે પણ મારે, મારી મિત્ર બની શકે તેવી કોઇ કંપની નથી. તમે સમજી શકો છો કે હું એકલી રહું છું, ડાયવોર્સી છું એટલે પુરુષમિત્રો તો અમુક રીતે જ જોવાના. સ્ત્રીઓ પણ કંઇક ઇર્ષ્યાના ભાવે ખોટી ખોટી વાતો કરતી હોય, સમાજમાં કોઇ સાથે અમસ્તી વાતની ઓળખાણ થાય તો યે આપણો સમાજ તો અફવાઓ ફેલાવ્યા વગર ન રહે. સ્ત્રી–મિત્રો છે ,પણ કોઇ મારી બૌધ્ધિક કક્ષાની નથી. એમને કુથલીઓમાં જ રસ પડે છે. ક્યાં તો, એ બધી કથા–વાર્તાઓ અને ગુરુઓ–ઘેલી હોય છે. આપણી સાથે ફિલ્મમાં આવી શકે, ચર્ચા કરી શકે, સાહિત્ય–સંગીતની વાતોમાં ભાગ લઈ શકે એવું કોઇ નથી….વગેરે..વગેરે…’
મને એ બહેનની વાત સાંભળીને વિચાર આવ્યો કે, માનવીના ઘણાં સંબંધો હોવાં છતાં એ એકલો જ હોય છે. જે સ્ત્રી કે પુરુષ સંવેદનશીલ હોય, ભાવુક હોય એ હંમેશાં તત્વતઃ એકલા જ હોય છે. આપણી આજુબાજુ ચારેકોર મિત્રો, ક્લબો, ઇન્ટરનેટથી મલ્ટીપલ પ્રેમસંબંધો હોવાં છતાં આપણે એકલા જ નથી ? વિખ્યાત અસ્તિત્વવાદી ફ્રેંચ લેખકે ક્યાંક કહ્યું છે કે માણસ આંતરિક રીતે એકલો જ છે.
મારી સાથે મારી પત્ની છે. અમારું પચાસ વર્ષનું દામ્પ્ત્યજીવન છે. અમારા રસ અને અભિરુચી ભિન્ન છે એટલે અમે પણ તાત્વિક રીતે એકલા જ છીએ. પરંતુ એ એના ડીશનેટવર્કની ઝી ટીવીની સિરિયલો કે શ્રીનાથજીબાવાના ભક્તિભાવમાં એની એકલતાને ઓગાળી નાંખે છે અને હું ફિલ્મો, નાટકો અને પુસ્તકો કે ગુજરાતી ભાષામાં ઇન્ટરનેટ પર લખ લખ કરીને મારી એકલતાને પ્રવૃત્તિમય બનાવી દઉં છું.
એકલતા એ કોઇ નવી વાત નથી. તમે તમારા વિચારોમાં નિરાળા હો, જગતથી જુદું વિચારતા હો ત્યારે તમારું નિરાળાપણું તમારી પીડા બની જાય છે. માણસે આંસુઓનો સહારો લઈને પણ જીવવું પડે છે. આંસુઓ પી પીને પણ તરસ્યા રહીને જીવનને ઉંચું લાવવું પડે છે. પ્રેમ, મૈત્રી અને નામ વગરના સંબંધ થકી એકલતાને દૂર કરી શકાય છે. પ્રેમની સુંવાળપ કે ભીનાશ માનવીની એકલતાને દૂર કરી શકે છે.
આજે આખી દુનિયામાં એકલા રહેનારાઓની સંખ્યા વધી રહી છે. સંયુકત કુટુંબો તૂટતા જાય છે…છૂટાછેડાનું પ્રમાણ વધતું જાય છે..અમેરિકામાં તો મોટાભાગની સિનિયર સિટીઝન ગોરી ડોશીઓ એકલી જ હોય છે.
સ્ત્રી–પુરુષનો સંબંધ ‘બાયોલોજીકલ નીડ’ હોઇ શકે અને ‘પ્રેમ’ પણ. આ કહેવાતો પ્રેમ એ વિજાતીય આકર્ષણ પણ હોઇ શકે. કોઇપણ આકર્ષણ કાયમ સ્થિર નથી રહી શકતું.
કોઇના વિચાર તમને ગમતા હોય, કોઇનું શારીરિક સૌંદર્ય તમને ખેંચતું હોય, કોઇનો અવાજ તમને ગમતો હોય, કોઇની વાત કહેવાની સ્ટાઇલ તમને આકર્ષતી હોય, કોઇના પ્રત્યે તમને અહોભાવ થતો હોય તો પણ આપણે એ લાગણીને પ્રેમનું રુપાળુ લેબલ લગાવી જ દઈએ છીએ.
મારા એક સિનિયર સિટીઝન મિત્ર છે. મારાથી દસેક વર્ષે નાના છે, વિધુર છે. બાળકો મોટા થઇ ગયેલા છે અને જૂદા રહે છે. મિત્ર પણ પોતાના ઘરમાં એકલા જ રહે છે. એમણે પોતાની એકલતા દૂર કરવા એક સ્ત્રી–મિત્ર સાથે મૈત્રીનો સંબંધ વિકસાવ્યો છે. એ બહેન પણ વિધવા છે. બાળકોથી જૂદા, એકલા રહે છે, ટીફીનસેવા આપીને આજીવિકા રળે છે. બન્નેના જીવનમાં ‘મેનોપોઝ’ છે. તમને થશે કે પુરુષના જીવનમાં મેનોપોઝ ક્યારથી શરુ થયો ? પણ એ એક જૂદુ ચેપ્ટર લખવું પડે. ટૂંકમાં, શારીરિક સંબંધનો અહીં અભાવ છે એટલું જ કહીશ. બન્ને મળે છે, ફિલ્મ જોવા સાથે જાય છે, મેક્સીકન રેસ્ટોરન્ટમાં જમવા જાય છે, સુખદુખની વાતો કરે છે, પુસ્તકોની આપલે કરે છે અને સહજીવન જીવન જીવે છે.
એકલતાની પીડા વેઠવા કરતાં, માણસ આવા સંબંધો –નામ વગરના સંબંધો વિકસાવે તો મને તો એમાં કશું ખોટું લાગતું નથી. અમેરિકાનું આ એક સુખ છે. અહીં કોઇને કશી પડી નથી હોતી. બાકી, ઇન્ડીયામાં તો પાડોશીઓ બાંયો ચઢાવીને,’યે શરીફોંકા મહોલ્લા હૈ, યહાં ઐસા નહીં ચલેગા’ કરીને મારામારી કરવા આવી જાય. ઝી ઈવી ની એકતા કપૂરની સિરીયલોમાં આવા દ્રશ્યો સાહજીક છે. ‘ક્રાઇમ પેટ્રોલ’ કે ‘સાવધાન ઇન્ડીયા’ જેવા શોમાં પણ આવા દ્રશ્યો ઘણીવાર જોવા મળે છે.