એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » અહેવાલ » ડોક્ટર બળવંત જાનીનો વાર્તાલાપ- નવીન બેંકર

ડોક્ટર બળવંત જાનીનો વાર્તાલાપ- નવીન બેંકર

August 19th, 2011 Posted in અહેવાલ

 

આષાઢ સુદ બીજ ને મંગળવાર તારીખ ૧૩ જુલાઈ ૨૦૧૦ ની ખૂશનૂમા સાંજે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદીરના સભાખંડમાં, સાહિત્યવિદ ડોક્ટર બળવંત જાની ના વાર્તાલાપનો એક કાર્યક્રમ સ્વામિનારાયણ મંદીર તથા હ્યુસ્ટન સાહિત્ય સરિતાના ઉપક્રમે લગભગ ત્રણસો જેટલા સાહિત્ય રસિકો સમક્ષ યોજવામાં આવ્યો હતો.
હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાના વર્તમાન કો-ઓર્ડીનેટર શ્રી. હેમંત ગજરાવાલાએ ડો. બળવંત જાનીનો પરિચય કરાવતાં કહ્યું કે તેઓશ્રી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડીન છે.શિક્ષણક્ષેત્રનો તેમને બહોળો અનુભવ છે તથા પોતે સાહિત્યમાં ડોક્ટરેટ કરેલું છે અને તેમના હાથ નીચે વિવિધ વિષયોમાં રીસર્ચ કરીને ત્રીસેક જેટલા સ્કોલરોએ પણ ડોક્ટરેટની પદવી હાંસલ કરેલી છે.તેઓશ્રીએ મધ્યકાલીન સાહિત્ય, ચારણી સાહિત્ય,લોકગીતો, સંત સાહિત્ય અંગે રીસર્ચ કરીને દસ હજારથી પંદર હજારભજનોનું કંપાઇલેશન કર્યું છે તથા બોત્તેર કલાકનું રેકોર્ડીંગ કર્યું છે. જે ગ્રામવાસીઓ વાંચી કે લખી શકતા નથી તેમની પાસેથી સાંભળીને જાતે લખી કે રેકોર્ડીગ કરીને આ ભગીરથ કાર્ય કર્યું છે.બ્રિટનના ડાયસ્પોરા સર્જકોના સાહિત્યનું સંશોધન કરી, સંકલન કરીને તેને અભ્યાસક્રમમાં દાખલ કરવામાં સિંહફાળો આપ્યો છે. બ્રિટનના ૧૨૨ ડાયસ્પોરા સર્જકોની રચનાઓના સંશોધનો થકી ૧૮ વોલ્યુમ તૈયાર કર્યા. અમેરિકામાં સર્જાયેલ ગુજરાતી અમેરીકન ડાયસ્પોરા સાહિત્ય અંગે પણ આવું જ કાર્ય ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાના ઉપક્રમે થઈ રહ્યું છે. આ કાર્ય હાથ પર લેવાની ઘોષણા, આજે આ સભાખંડમાં સૌ પ્રથમવાર હ્યુસ્ટનમાં થઈ રહી છે. આ ઐતિહાસિક ક્ષણના તમે બધા પ્રથમ શ્રોતા અને સાક્ષી છો. આ ઘોષણાને સાહિત્યરસિક શ્રોતાઓએ સ્ટેન્ડીંગ ઓવેશન આપીને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.
BAPS ના શ્રી. ઓજસભાઇએ,તેમનો સંપ્રદાય વિવિધ માધ્યમો દ્વારા ગુજરાતી ભાષા અંગે જે પ્રવ્રુત્તીઓ કરે છે તેની માહિતિ આપતાં ગુજરાતીના ક્લાસિસ, સ્વામિનારાયણ બાળપ્રકાશ જેવા માસિકનું પ્રકાશન, ગુજરાતી સ્પેલીંગ-બીની સ્પર્ધા, વિવિધ શિબિરો તથા અધિવેશનોની માહિતિ આપી. પુજ્યશ્રી. પ્રમુખસ્વામી મહારાજે કહ્યું છે કે ‘ ભાષા, ભોજન અને ભૂષા ( વેશભુષા) એ તો માનવીની ઓળખ છે.બાળકોને સંસ્કાર ભાષાની ઓળખ નહીં આપો તો સંતતી અને સંપત્તી બન્ને ગુમાવશો.’ અત્રે, સંસ્થાના એક બાળ-હરિભક્તે વાલિયો લૂંટારો સંત વાલ્મિકી કેવી રીતે બન્યો તેની ટૂંકી વાર્તા સુંદર રીતે ગુજરાતીમાં રજૂ કરી હતી.
શ્રી. બળવંતભાઇએ તેમના વક્તવ્યમાં જણાવ્યું કે ભારતિય મૂળના લેખકોને વિશ્વકક્ષાએ પારિતોષીકો મળવા લાગ્યા છે. તેમના સર્જન, ચિંતન અને લેખનની નોંધ લેવાવા માંડી છે. મહાભારત જેવા ગ્રંથ પર અંગ્રેજીમાં નાટકો લખાય તે આપણા માટે ગૌરવની વાત છે. છતાં, ડાયસ્પોરા સર્જકોની જ વાત આવે અને માત્ર પન્ના નાયક કે પ્રીતિ સેનગુપ્તાના જ નામ પરદેશના ગુજરાતી લેખક તરીકે લોકો જાણે અને બાકીના કોઇને ના ઓળખે તે કેવું ? પરદેશમાં જે સર્જન થઈ રહ્યું છે તેમની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે તેને હાયર એજ્યુકેશનમાં સ્થાન આપવું જરૂરી છે.દલીત લેખકો કે નારીવાદી લેખકોને હાઇ લાઈટ કરો છો પણ અન્ય સર્જકોનું શું ? ડાયસ્પોરા સર્જક એક જૂદી જ દ્રષ્ટી ધરાવે છે. લોકલ લેખક કરતાં તે સમાજને જૂદી જ નજરે જુએ છે. તેના સર્જનમાં પરદેશની ભૂમી પરનાં આપણા પ્રશ્નો ચરિતાર્થ થાય છે.કાફકા કે કામૂના પશ્ચિમી સાહિત્યની અસર નીચે લખાયેલ ઉન્નત ભ્રૂ ગુજરાતી લેખકો કરતાં આ સર્જક કાંઈક જૂદી જ દ્રષ્ટિ ધરાવે છે.
માણસ ભીડ વચ્ચે પણ એકલો પડી ગયો છે. પન્ના નાયકની એક ક્રુતિ ” હું ” નુ પણ વિવેચન કરતાં તેમણે દરિયા નીચે પથરાયેલી, ભીની, શાંત સ્થિર રેતીને સૂર્ય તાપમાં તપવાનુ, શીશુના કોમળ કોમળ પગ નીચે ખુંદાવાનુ, પવનમાં આમથી તેમ ફંગોળાવાનુ અને કિનારે જવાનુ મન થાય છે પણ….. સતત ભીંસતા સમુદ્રના અપાર પ્રેમને પણ છોડી શકાતો નથી એવા રૂપક દ્વારા ” ન યયૌ, ન તસ્યૌ” (ન અહીંના, ન ત્યાંના) ડાયસ્પોરા સર્જકની પીડાની વાત કરી. ડાયસ્પોરા સર્જકની રચનામાં ડાયસ્પોરીક લાગણીની વાત ના હોય તો એ સાહિત્યનો કોઈ અર્થ નથી.
મધર ટેરેસા અંગે કે શેક્સપિયર અંગે આપણને જેટલી જાણકારી છે તે આપણી ચારણી અમરબાઈ કે સંત દેવીદાસ અંગે નથી તેનુ કારણ એટલું જ છે કે મધર ટેરેસાને અભ્યાસ ક્રમમાં સ્થાન મળ્યું છે જ્યારે અઢારમી સદીમા રક્તપીતિયાની સેવા કરનાર પ્રથમ મહિલા અમરબાઈની કોઈ નોંધ લેવાઈ નથી. વીજળીના ઝબકારે મોતી પરોવી લઈએ એવું કહેનારા ગંગા સતીના ભજનોને અભ્યાસ ક્રમમાં સ્થાન આપીશું ત્યારે જ એમની ઓળખ પ્રસ્થાપિત થશે.
શ્રી બળવંતભાઈએ સ્વામિનારાયણ સંપ્રદાયના ૯ કવિઓની ભક્તિ ભાવના અંગે પણ વાતો કરતાં કવિ બ્રહ્માનંદ ના પદ સાહિત્ય અંગે પણ રસપ્રદ વાતો કરી.
પ્રવચનના અંત ભાગમાં તેમણે કહ્યું કે ગુજરાત ટાઈમ્સને ગુજરાત સરકારની જાહેરખબર મળતી થઈ તે ગુજરાત સરકારની ગુજરાતી ભાષાને પ્રમોટ કરવાની પ્રતિબધ્ધતા દર્શાવે છે.
અંતમાં, B A P S ના શ્રી બાબુભાઈ પટેલે સ્વામિનારાયણ સંપ્રદાય વતી તથા શ્રી હેમંત ગજરાવાલાએ સાહિત્યસરિતા વતી આભાર વિધી કરીને કાર્યક્રમની સમાપ્તિ કરી હતી.
બીજા દિવસે એટલે કે ૧૪મી જુલાઈને બુધવારે સાંજે યુનાઈટેડ સેન્ટ્રલ બેંકના એડવાઈઝરી ડાયરેક્ટર તથા ઈસ્માઈલી કોમ્યુનિટીના અગ્રગણ્ય માનનિય આગેવાન ડો. બરકત ચારણીયાના સૌજન્યથી સેવોયના બેંકવેટ હોલમાં લગભગ ૧૫૦ જેટલા આમંત્રિત સાહિત્યરસિકો માટે ભોજન સાથે શ્રી બળવંતભાઈના વાર્તાલાપનો લાભ મળ્યો હતો.
ગુજરાતી સાહિત્યસરિતાના સભ્યો તથા ઈસ્માઈલી કોમ્યુનિટી ના ગુજરાતી ધુરંધરો સમક્ષ શ્રી બળવંતભાઈએ સુફી કવિયત્રી સંત રાબિયા, શેખ સાદિક અલી, ભોજા ભગત, ઈસરદાન ગઢવી, સંત દેવીદાસના ગુરૂ શ્રી જયરામ શાહ જેવા સંતોની વાતો, તેમના સર્જનની વાતો, તેમના તત્વદર્શન અંગે જણાવતાં કહ્યું કે ઈસમાઈલી પ્રજા “ગીનાન” દ્વારા ગુજરાતી ભાષાની જાળવણી કરીને તેને ગૌરવ અપાવે છે.
કાર્યક્રમના અંત ભાગમાં કવિશ્રી વિનોદ જોશીની સુંદર ક્રુતિ “ફાંસ જરા સી વાગી ગઈ ને વાંસ જેવડું કંઈ ખટકે છે અંદર અંદર” તથા સ્વર્ગસ્થ કવિશ્રી રમેશ પારેખની પંક્તિઓ “અહીં તો માત્ર ટહેલવા આવ્યા હતા રમેશ ને ચરણ અહીં ચોંટી ગયા” સંભળાવી, તેનો રસાસ્વાદ કરાવીને પુર્તિ કરતાં કહ્યું કે “વ્યક્ત ન થઈ શકવાની વેદના માત્ર સર્જકો જ જાણતા હોય છે.”
અસ્તુ………………..

નવીન બેંકર

૭૧૩-૭૭૧-૦૦૫૦.

Leave a Reply

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.