એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » 2011

ઇન્ડીયન સિનિયર સિટીઝન્સ એસોસિયેશનનું ૨૦૧૨ -૨૦૧૩ ના વર્ષ માટેનું ઇલેક્શન

November 20th, 2011 Posted in અહેવાલ

 
 ઇન્ડીયન સિનિયર સિટીઝન્સ એસોસિયેશનનું ૨૦૧૨ -૨૦૧૩ ના વર્ષ માટેનું ઇલેક્શન તારીખ ૧૨ નવેમ્બર ૨૦૧૧ને શનીવારના રોજ બેલેન્ડ પાર્ક કોમ્યુનિટી સેન્ટરના વિશાળ હોલમાં યોજવામાં આવ્યું હતું.આ એસોસિયેશનના લગભગ પાંચસો ઉપરાંત સભ્યોમાંથી મતદાન માટે ૨૬૨ સભ્યો એલિજીબલ હતા જેમાંથી ૧૬૭ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લઈને મતદાન કર્યું હતું. ૪ મત રદબાતલ થયા હતા.કુલ ૧૬૩ મતોમાંથી ૧૪૬ મતો મેળવીને શ્રી.લલિત ચિનોય જંગી બહુમતીથી ચૂંટાયેલા જાહેર થયા હતા. બોર્ડમાં  કુલ સાત સભ્યો તરીકે નીચેની વ્યક્તિઓ ૨૦૧૨ અને ૨૦૧૩ના વર્ષ માટે કાર્યભાર સંભાળશે.

પ્રેસિડેન્ટ           શ્રી. લલિત ચિનોયવાઇસ પ્રેસિડેન્ટ    શ્રી. રવિન્દ્ર ત્રિવેદીસેક્રેટરી            શ્રી. નિતીન વ્યાસટ્રેઝરર             શ્રી. સુધીર  મથુરિયા
કમિટી મેમ્બર્સ                   શ્રી.શૈલેશ દેસાઇ                   શ્રી.દેવેન્દ્ર પટેલ                   શ્રી અરવિંદ પટેલ
  કુલ ૧૩ ઉમેદવારોમાંથી ઉપરના સાત ઉમેદવારો ચૂંટાયેલા જાહેર થયા.

 છેક ૧૯૮૫થી કાર્યરત એવા ઇન્ડીયન સિનિયર્સ સિટીઝન્સ એસોસિયેશને ગયા વર્ષે જ ૨૫ વર્ષ પુરા કરીને પોતાનો  રજતજયંતિ મહોત્સવ, માર્ચ ૨૦૧૦માં ખૂબ ધામધૂમ પુર્વક ઉજવ્યો હતો. ૨૦૦૯માં, ટેક્ષાસના ચાર શહેરોના સિનીયર્સનું સ્નેહમિલન પણ યોજ્યું હતું.કદાચ અમેરિકા ખાતે, હ્યુસ્ટનની આ સંસ્થા સિનિયર્સ માટેની સૌથી સિનિયર સંસ્થા છે
.સિનિયર્સની આ સંસ્થામાં  રીટાયર્ડ સાયન્ટીસ્ટો,  ઇજનેરો, મેડીકલ ડોક્ટરો,ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો, ઉદ્યોગપતિઓ , બિઝનેસમેનો  છે એટલે કાર્યદક્ષતાનો તો કોઇ સવાલ જ ન હોય.
પંચોતેર વર્ષની વયના શ્રી. લલિતભાઈ ચિનોય મુંબઈની સેંટ ઝેવિયર્સ કોલેજમાંથી મેથેમેટીકસ અને ફિઝીક્સ સાથે બી.એસ.સી. થયેલા છે. ૧૯૬૮થી ૧૯૭૧ સુધી (લંડન) ઈંગ્લેંડમાં એબે ( EBBEY) લાઇફ ઇન્સ્યુરન્સમાં પણ હતા. ૧૯૭૧થી ૧૯૮૩ દરમ્યાન અમેરિકામાં મેટ્રોપોલિટન લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીમાં કાર્યરત હતા.  ઓસ્ટ્રેલિયા પણ રહી આવ્યા છે.તે પછી  ૧૯૮૫માં ભારતમાં ઉમરગામ ખાતે પોતાની ઔદ્યોગિક કંપની સ્થાપી અને `૧૯૮૫ થી ૧૯૯૫ના દસ વર્ષો દરમ્યાન કુલ ચાર વર્ષ સુધી ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસોસિયશનના પ્રેસિડેન્ટપદે  સેવાઓ આપેલી છે.
૨૦૦૭થી હ્યુસ્ટનમાં સ્થાયી થયા પછી, આ સંસ્થામાં પણ છેલ્લા બે વર્ષથી વાઇસ-પ્રેસિડેન્ટપદે  ઉત્સાહપુર્વક ખંત અને ધગશથી, દરેક પ્રવ્રુત્તીઓમાં દોડી દોડીને ભાગ લીધો હતો. ૨૦૦૯ અને ૨૦૧૦માં યોજાયેલા સંસ્થાના મોટા મોટા કાર્યક્રમોમાં  સોવેનીયરમાં જાહેરખબરો મેળવી આપવામાં, ડોનેશન્સ લાવવામાં તેમજ કાર્યકર્તાઓને રચનાત્મક સુચનાઓ આપીને કામ કરાવવામાં તેમનો ફાળો નાનોસુનો ન હતો. પિકનીકો દરમ્યાન પણ  તેમણે જે સેવાઓ આપેલી તે મતદારોએ લક્ષમાં રાખીને ખોબલા ભરી ભરીને તેમને મત આપીને તેમની આગેવાનીમાં વિશ્વાસ મૂક્યો છે.

શ્રી.લલિત ચિનોયની ટીમમાં પણ બાહોશ અને ઉત્સાહી કાર્યકરો છે. વાઇસ પ્રેસિડેન્ટપદે , પંચોતેર વટાવી ચુકેલા , શ્રી રવિન્દ્ર ત્રિવેદી છેલ્લા બાવીસ વર્ષથી સંસ્થામાં વિવિધ પદો પર સેક્રેટરી, ટ્રેઝરર  તરીકે યશસ્વી કામગિરિનો અનુભવ ધરાવતા ઇલેક્ટ્રોનીક એન્જીનિયર છે. શ્રી.નિતીનભાઇ વ્યાસ પણ  ઇલેક્ટ્રીકલ એન્જીનીયર હોવા ઉપરાંત સાહિત્યિક જીવ  અને  એક  અચ્છા  અદાકાર પણ છે. ટ્રેઝરર તરીકે  ટીમમાં સ્થાન પામેલા  શ્રી. સુધીર મથુરિયાએમ.બી.એ.ની ઉચ્ચ ડીગ્રી ધરાવતા એક બિઝનેસમેન ઉપરાંત મેડીકેર/મેડીકેઇડના જ્ઞાતા છે અને છેલ્લા પાંચેક વર્ષોથી આ અંગે સિનીયરોને મદદરુપ થતા રહ્યા છે.પોતે સારા વક્તા પણ છે.બાકીના ત્રણ કમિટી મેમ્બરોએ પણ સંસ્થામાં ખૂબ સેવાઓ  આપેલી છે.

સંસ્થાના ટ્રસ્ટીબોર્ડમાં શ્રીમતી સુધાબેન ત્રિવેદી અને શ્રીમતી નીતાબેન મહેતા, શ્રી. રમણભાઇ પારેખ પણ સૌથી સિનિયર મેમ્બર્સ છે અને સંસ્થાની દરેકેદરેક પ્રવ્રુત્તીમાં તેમનો સાથ, સહકાર અને અનુભવી માર્ગદર્શન મળતું જ રહે છે
શ્રી.પ્રફુલ્લભાઇ ગાંધીને આ વખતે ટ્રસ્ટીમંડળમાં  લેવામાં આવ્યા છે.

.ઇલેક્શન કમિશ્નર તરીકે શ્રી. વિનયભાઇ વોરાએ તેમના ધર્મપત્નીના અને અન્ય વોલન્ટીયર્સના સાથ અને સહકારથી ઇલેક્શનનું  આ કામ  સફળતાપુર્વક બજાવ્યું હતું. અન્ય વોલન્ટીયર્સમાં શ્રીમતી સપનાબેન શાહ, શ્રીમતી મયુરિબેન સુરતી,  યોગિનાબેન પટેલ, શ્રીમતી દીનાબેન પટેલ, શ્રી.હર્ષદભાઈ પટેલ ( હર્ષદ માસ્તર ) વગેરે એ..કામગિરી બજાવી હતી
.આ વખતે નહીં ચૂંટાઇ શકેલા અન્ય છ ઉમેદવારોએ પણ સંસ્થામાં સારી એવી સેવાઓ આપેલી છે. કદાચ તેમના અંતર્મુખી સ્વભાવ અને યોગ્ય એપ્રોચના અભાવે જરુરી મતો મેળવી શકવામાં તેઓ નાકામિયાબ રહ્યા. છતાં વોલન્ટીયર્સ તરીકે તેઓ સેવા બજાવવાના જ છે એની આ લખનારને શ્રધ્ધા છે.

સિનીયર્સની આ નવી કમિટીને શુભેચ્છાઓ અને અભિનંદન.

 
 
 

Navin Banker
Phone No: 713 771 0050

નાટ્યવિષયક સંસ્મરણો

September 9th, 2011 Posted in મારા સંસ્મરણો
 
મને કોઈ પુછે કે નવીન, તને સૌથી વિશેષ મનગમતી પ્રવ્રુત્તી કઈ ?’ તો..મારો જવાબ છે કે-નાટક જોવાની. તે પછીની મનગમતી પ્રવ્રુત્તીઓમાં ફિલ્મો જોવી, પુસ્તકો વાંચવા વગેરે  આવે. અને..અત્યારે કોમ્પ્યુટર પર ગુજરાતી ફોન્ડ્સમાં સડસડાટ પ્રમુખ પેડ પર લખીને વર્લ્ડમાં સેઇવ કરી,મિત્રોને ઈ-મેઇલથી મોકલવું અને સારુ લાગે તો છાપામાં છપાવવા મોકલીને મારા બ્લોગ પર મુકી દેવું. 
આજે સાવ નવરો બેઠો છું. તો..થયું, મારા નાટ્યવિષયક સંસ્મરણો લખી નાંખું. 
હું દસેક વર્ષનો હોઈશ ત્યારે, મારા પિતાશ્રી સાથે દેશી નાટક સમાજ અને આર્યનૈતિક નાટક સમાજના ખ્યાતનામ નાટકો-વીરપસલી‘, ‘વડીલોના વાંકે‘,આંખકા નશા‘,-જોવા જતો એવું યાદ આવે છે.રાત્રે દસ વાગ્યે નાટક શરુ થાય અને સવારના ચાર વાગ્યા સુધી ચાલે.વન્સમોર ઉપર વન્સમોર થાય અને કલાકારો ફરી ફરીને સ્ટેજ પર હાજર થઈને એ કોમેડી ગીતો ગાય..એ જમાનો મેં જોયેલો. એ વખતે માસ્ટર અશરફખાન, પ્રાણસુખ નાયક, ચિમન ચકુડો,રાણી પ્રેમલતા , સોહરાબ મોદી,વગેરેને મેં સદેહે જોયેલા.કદાચ ત્યારથી નાટક પ્રત્યે મને આકર્ષણ થયું હશે. 
ત્યારપછી ૧૯૭૦-૭૧ દરમ્યાન નવચેતનવાળા ચાંપશી ઉદ્દેશીએ મને નાટ્યકલાકારોના નામની એક સુચી આપીને તેમની મુલાકાતોના અહેવાલ લખવાનું કામ આપેલુ. અને..એ સમયગાળા દરમ્યાન મેં જશવંત ઠાકર, અનસુયા સુતરિયા,પી.ખરસાણી,જગદીશ શાહ, ગીરા શાહ, નરોત્તમ શાહ (મામા), પ્રવીણ જોશી, અરવીંદ જોશી, સરીતા જોશી, પદમારાણી,અરવીંદ ત્રીવેદી,ઉપેન્દ્ર ત્રિવેદી,રમેશ મહેતા, રીટા ભાદુરી,નલીન દવે,નરેન્દ્ર મહેતા,દીનેશ શુક્લ, ઇન્દીરા મેઘા, પ્રતિભા રાવલ,જયેન્દ્ર મહેતા, વિજય દત્ત, મનહર રસકપુર,માર્કંડ ભટ્ટ,ઉર્મિલા ભટ્ટ,પ્રતાપ ઓઝા,દામીની મહેતા અરવીંદ વૈદ્ય, અને એવા કેટલાય નામી કલાકારોની મુલાકાતો લઈને ૧૯૭૧-૭૨-૭૩ના વર્ષો દરમ્યાન નવચેતનમાં છપાવેલા. ૧૯૭૨ના વર્ષમાં, સ્વ.દિગંત ઓઝા સાથે મેં ફિલ્મ-અભિનેત્રી બીંદુની મુલાકાત “જી” માટે, એના મુંબઈના ફ્લેટ પર જઈને લીધેલી. એ વખતે હું બત્રીસ વર્ષનો યુવાન હતો અને આરાધનાતથા દો રાસ્તેનો જમાનો હતો. બીંદુ ખુબ આકર્ષક ખલનાયિકા તરીકે છવાઇ ગયેલી.બિન્દુ હાથમાં ટ્રે લઈને દિવાનખંડમાં આવી અને ટેબલ પર મુકી ત્યારે..હું સ્તબ્ધ બનીને,દિગ્મુઢ થઈને એને જોતો જ રહી ગયેલો અને..સાચુ કહું તો એક પણ પ્રશ્ન એને પુછી શક્યો ન હતો. આખી મુલાકાત દીગંત ઓઝાએ જ લીધી હતી. આ અંગે દીગંતભાઇએ મારી ખુબ મજાક ઉડાવી હતી અને જે જેને આ વાત કરેલી એ બધા ખુબ હસ્યા હતા. જેને પરદા પર બાથટબના સ્નાન-દ્રષ્યોમાં અને મહેફીલોમાં ડાન્સ કરતી જોઇને લાળપાડી હોય એને સદેહે, આંખ સન્મુખ હાજરાહજુર જોઇને આંખમાં આંખ પરોવીને વાત કરવાનું થાય ત્યારે બત્રીસ વર્ષના  છલકાતા યુવાનની શી હાલત થાય એ તમને નહીં સમજાય ! તમને  તો હસવું જ આવતું હશે આ વાંચીને ! શ્રીરામ..શ્રીરામ.. 
૧૯૭૯માં હું ન્યુયોર્ક આવ્યો ત્યારે શ્રીરામ લાગૂ, રાખી અને અમિતાભ બચ્ચન અભિનિત  ફિલ્મ ‘‘જુર્માનાબોમ્બે સિનેમા ક્વીન્સ, બોમ્બે સિનેમા મેનહટન અને ડીલક્ષ સિનેમામાં રીલીઝ થયેલી અને અમિતાભ બચ્ચન થોડી થોડીવાર પરદા પાસે અવીને બે હાથ જોડી પ્રેક્ષકો સમક્ષ હાજર થાય એ વખતે અમિતાભજીને કારની રાહ જોતાં બે મીનીટ માટે સમય મળેલો ત્યારે નજીકથી જોવાનો અવસર મળેલો.એ વખતથી ફિલ્મ કલાકારોને મળવાની, તેમની સાથે વાતો કરવાની અને ફોટા પડાવવાની આદત પડી ગઈ.લગભગ સિત્તેર ઉપરાંત ફિલ્મી હસ્તીઓના મેં ઇન્ટરવ્યુ લીધા અને તેમની સાથે ફોટા પડાવ્યા. 
૧૯૮૪ની સાલમાં મારી બહેન સ્વરકિન્નરી સંગીતાને કારણે, મુંબઈમાં રીનારોયના ફ્લેટ પર જવાનું થયેલું, પણ એ આખી વાત જ જુદી છે. 
હા !  મુળ વાત હતી નાટ્ય વિષયક સંસ્મરણોની. અને હું  આડે પાટે ચઢી ગયો. સોરી !
મારી ત્રેવીસ વર્ષની વયે,૧૯૬૩મા, અમદાવાદના કાંકરીયા વિસ્તારમાં આવેલા ઓપનએર થીયેટરમાં, ૧૯ ઓક્ટોબરે ચંદ્રવદન મહેતા લિખિત  એક નાટક માઝમરાતભજવાયેલું એમાં મેં ચતુરસેન પ્રધાનનું નાનકડુ પાત્ર ભજવેલું. મારા નવા નવા લગ્ન થયેલા.મારી પત્ની, મારા આઠ વર્ષની વયના નાના ભાઇ વિરેન્દ્રને ખોળામાં લઈને આગળની હરોળમાં બેઠેલી. એ વખતે મારા એક સંવાદ પર થોડી રમુજ થયેલી. મારો એક સંવાદ હતો- હેં ! મારી પત્ની ચાલી ગઈ, મને  એકલો મુકીને જતી રહી ? હું જીંદગીમાંથી ફેંકાઇ ગયો.. આબરુમાંથી ગગડી ગયો‘…વગેરે..અને મારો નાનો ભાઈ મોટેથી બોલી ઉઠ્યો- ભાભી અહીં જ છે.અને..પ્રેક્ષકોમાં હાસ્યનું મોજુ છવાઈ ગયું હતું.
૧૯૬૪ના વર્ષમાં, હું જે બાળમંદીરમાં ભણેલો એ રંજનબેન દલાલના બાળમંદીરની રજતજયંતી પ્રસંગે  બાળમંદીરના ભૂતપુર્વ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ અભિનીત સાંસ્ક્રુતિક કાર્યક્રમ ૨૯ ઓક્ટોબર અને ૩૦ ઓક્ટોબર એમ બે દિવસ, અમદાવાદના ટાઉનહોલમાં  રાખેલો. એ વખતે,રંજનબેનના હસબંડ અને જાણીતા લેખક, વિવેચક, નાટ્યવિદ એવા  સ્વ.શ્રી. જયંતી દલાલ લિખિત નાટક જોઇએ છે,જોઈએ છીયે‘  ભજવાયેલું . આ નાટકમાં મારું પાત્ર મકરંદનામના યુવાનનું હતું. મારા સહકલાકારોમાં શ્રી.ચંદ્રકાંત દલાલ, ભરત ઠક્કર, જગમિત્ર ઝવેરી, યોગેશ શાહ હતા. સ્ત્રી-પાત્ર મંજરી મજમુદાર નામના એક બહેન ભજવતા હતા. બધા કલાકારોમાં હું મારી ઉંચાઇને કારણે સૌનું ધ્યાન ખેંચતો હતો. ( અહો રુપમ; અહો ધ્વનિ ! )
એ પછીના મોટાભાગના નાટકો એકાઉન્ટન્ટ જનરલની કચેરીની મારી નોકરી દરમ્યાન ભજવાયેલા.દર વર્ષે એક ગુજરાતી અને એક હિન્દી ભાષામાં નાટક ભજવાય. ક્યારેક હું ગુજરાતી ગ્રુપના નાટકમાં હોઊં અને ક્યારેક હિન્દી ગ્રુપમાં.પણ દરેક વખતે નાટકમાં મારો નંબર લાગે જ.
૧૯૬૬થી માંડીને ૧૯૭૮ ના વર્ષો દરમ્યાન મેં ઘણાં નાટકો કર્યા.( હું ભજવ્યાનથી કહેતો,’કર્યાકહું છું, હોં ! )-ક્યારેક જિન્દગીમાં, ક્યારેક સ્ટેજ પર. સ્ટેજ પર કર્યા એના કરતાં જિન્દગીમાં વધારે નાટકો કર્યા છે.એની બડાશ નથી મારતો, GUILT ફીલ કરું છું
૧૯૬૬ અને ૧૯૬૯ એમ બે વખત અમે સ્વ. પ્રબોધ જોશીનું હિન્દી નાટક પાગલભજવેલું.એમાં હું ભણેલા ગણેલા યુવાન પાગલ વિનોદનો રોલ ભજવતો.દિગ્દર્શક શ્રી. ચીમન ટેકાણી (શર્મા) મદ્રાસી શાયર બનતા અને શ્રી. અર્જુન ભંભાણી નામના એક મિત્ર લખનવી શાયરનો રોલ કરતા.મને લખનવી શાયરનો રોલ કરવાની ઇચ્છા થતી, એ ઇચ્છા ૧૯૬૯માં પુરી થઈ હતી. આ નાટક અમે ૯ ઓક્ટોબર ૧૯૬૬ના દિવસે  દિનેશહોલ ખાતે ભજવેલું અને ૨૭ ઓક્ટોબર ૧૯૬૯ના દિવસે વી. એસ.ઓડીટોરીયમમાં ભજવેલું. હિન્દી નાટકોના દિગ્દર્શક મોટેભાગે શ્રી. ચીમન ટેકાણી નામના, મારાથી દસેક વર્ષે મોટા એક સીંધી સદગ્રુહસ્થ  રહેતા. એમને કિશોરકુમારનો વહેમ હતો. કિશોરકુમારની સ્ટાઇલમાં જ  ફ્રી-સ્ટાઈલ કોમેડી કરતા.ચીમનભાઈ બધો વખત સ્ટેજ પર રહેવાય એવી જ ભૂમિકા પસંદ કરતા. બાકીના કલાકારોને તો આવનજાવન જ કરવાનું રહેતું.એમણે કેટલાય નવા કલાકારોને સ્ટેજ-એક્ટીંગ શીખવેલી.  આજે બ્યાશી વર્ષની વયે એ પથારીવશ છે.
અન્ય ગૌણ ભૂમિકાઓમાં સુરેશ ગોહેલ અને હાર્મોનિયમ માસ્ટર બાબુ જાદવ અભિનયના અજવાળા પાથરતા હતા.
ચીમનભાઇના દિગ્દર્શન તળે અમે બીજું એક નાટક ડો.તોતારામ શર્માભજવેલું જેમાં મને ૨૮ વર્ષની ભરજુવાન વયે દાદાજીનું પાત્ર ભજવવા મળેલું.
૭ જાન્યુઆરી ૧૯૬૮ના રોજ જ્યોતિસંઘ હોલમાં અમે એક સુંદર પ્રહસનમારે પરણવું છેભજવેલું જેમાં મેં મુખ્ય ભૂમિકા ભજવેલી.મારી હીરોઈન તરીકે વીણાબેન શાહ નામના એક બહેન હતા.અને સહ્કલાકારોમાં જીવરામ પરમાર,મનહર વ્યાસ, જયેશ દેસાઈ, દિલાવર પઠાણ અને ગુલાબ રાણા હતા. આ ગુલાબ રાણા  પટાવાળા તરીકે નોકરી કરતો, પણ ખુબ જોલી અને સ્વ. મુકેશના ગીતો ગાવાનો શોખીન.અમે તેની પાસે ચાંદ આહેં ભરેગા,ફુલ દિલ થામ લેંગેગવડાવતા એવું સ્મરણ છે. વીણાબેને પાછળથી, પોતાનાથી મોટી ઉંમરના, એક કરવંદીકર નામના મરાઠી સજ્જન સાથે પ્રભુતામાં પગલા પાડેલા.
૭ જાન્યુઆરી ૧૯૬૮ના રોજ અમદાવાદના ઓપનએર થીયેટરમાં અમે સ્વ. કમલેશ ઠાકર લિખિત નાટક બ્લડપ્રેશર‘  ભજવેલું જેમાં મેં જ્યોતિષી મહારાજની ભૂમિકા ભજવેલી. એ નાટકનું દિગ્દર્શન  સ્વ. હર્ષદ વ્યાસે કરેલું અને મુખ્ય સ્ત્રી-ભૂમિકા વીણાબેન શાહે ભજવેલી.
હવે આવે છે મારું એક અતિપ્રિય એકાંકિ નાટક- ઉકરડાના ફુલવર્ષ તો મને યાદ નથી, પણ કોલેજોના વાર્ષિકોત્સવ પ્રસંગે નાટ્યસ્પર્ધાઓ થતી એમાં ૧૯૬૪ કે તે દરમ્યાન સ્વામિનારાયણ કોલેજ તરફથી રજુ થયેલા આ નાટકને બેસ્ટ નાટકનો એવોર્ડ મળેલો અને નલીન દવે નામના વિદ્યાર્થીને એમાં ગુંડાની ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળેલો. આ નલીન દવે પાતળો અને એટલો સોહામણો હતો કે નાટ્યગુરુ શ્રી. જશવંત ઠાકરે ૧૯૬૬માં મહાભારતના થીમ પર રચાયેલા નાટક પરિત્રાણમાં એને શ્રી.ક્રુષ્ણ ભગવાનની ભૂમિકા આપેલી.પરિત્રાણએક ઇતિહાસ સર્જી ગયું અને નલીન દવે ગુજરાતી ફિલ્મોનો હિરો બની ગયેલો. આ નલીન દવેની મારી મુલાકાત નવચેતનના ૧૯૭૧ ના કોઇ અંકમાં પ્રસિદ્ધ થઈ હતી.
મેં આ નાટક જોયેલું અને મારા મનમાં આ ભૂમિકા ભજવવાની જિજીવિષા એટલી બળવત્તર થઈ ગયેલી કે  એ નાટકના ત્રણે રોલ મેં જુદા જુદા સમયે ભજવ્યા હતા.૨૭ ઓગસ્ટ ૧૯૬૭ને દિવસે દિનેશ હોલમાં ભજવ્યું ત્યારે મેં પાગલની ભૂમિકા ભજવેલી. ૧૪મી સપ્ટેમ્બર ૧૯૬૯ને દિવસે ટાઉનહોલમાં ભ્જવ્યું ત્યારે મેં દારુડીયાની ભૂમિકા ભજવેલી. અને છેલ્લે, ૨૩ મે ૧૯૭૪ને દિવસે અમદાવાદના ટાઉનહોલમાં મેં  ગુંડાની ભૂમિકા કરેલી. અમારી ઓફીસના વાર્ષિકોત્સવ પ્રસંગે જ્યારે આ નાટક કરવાની મેં પ્રપોઝલ મૂકી અને સ્ત્રી-પાત્ર માટે ટહેલ  નાંખી તો કોઈ જ બહેન સ્ત્રીપાત્ર  ભજવવા જ તૈયાર ન થાય કારણ કે  એમાં સ્ત્રીપાત્રને ફેશનેબલ વસ્ત્રો પહેરીને રોલો પાડવાની તક ન હતી. શેરીમાં ગોદડી પાથરીને પડી રહેતી ભિખારણનું પાત્ર હતું.અંતે ઇન્દીરાબેન વૈષ્ણવ ( હવે દેસાઇ ) નામના એક બહેન તૈયાર થયા અને નાટક ભજવાયું.  આ ઘટના પર મેં એક કાલ્પનિક વાર્તા સહાનૂભુતિજન્ય સ્નેહપણ એ વખતે લખેલી જે સંદેશના સ્ત્રી સાપ્તાહિકમાં પ્રગટ થઈ હતી અને મારા ૧૯૭૧માં ભારતી સાહિત્ય સંઘ દ્વારા છપાયેલા વાર્તાસંગ્રહ  પરાઇ ડાળનું પંખીમાં પણ છપાયેલી. આજે પણ આ મારું પ્રિય એકાંકિ છે. પરંતુ …અફસોસ કે આજે હું આમાંનું એકે ય પાત્ર ભજવવાને લાયક રહ્યો નથી.
૧૯૬૮ અને ૧૯૭૨ ના વર્ષોમાં એક હિન્દી નાટક મકાન ખાલી હૈચિમન ટેકાણીએ ભજ્વ્યું અને એક વખત મને શાયર તો બીજી વખત મને ગુજરાતી કારકુનની ભૂમિકા આપેલી.બન્ને પાત્રો ગૌણ જ હતા. ચીમનભાઇ મકાન માલીક બનતા હતા અને આવનાર ભાડુતોના ઇન્ટર્વ્યુ લેતા એવું કંઇક વાર્તાવસ્તુ હતું. આ નાટકમાં દોલત રતવાણી, દિલીપ દેવ અને પૌરવીબેન મુન્શી ભૂમિકાઓ ભજવતા હતા. આ  નાટક ૯ સપ્ટેમ્બર ૧૯૬૮ને દિવસે દિનેશ હોલ અને ૧૩મી મે ૧૯૭૨ને દિવસે ટાઉનહોલમાં ભજવાયેલું એવું મારી પાસેના બ્લેક એન્ડ વ્હાઇટ ફોટાઓની પાછળ લખેલી વિગતો પરથી જણાય છે.
૧૯૭૮માં જયશંકર સુંદરી હોલમાં ભજવેલ એક હિન્દી નાટક દામાદમાં મેં દીકરીના બાપની ચરિત્રભૂમિકા ભજવેલી.
૧૧ એપ્રિલ ૧૯૭૬ને દિવસે ટાઉનહોલમાં સ્વ. બકુલ ત્રિપાઠી લિખિત ફુલ લેન્થ પ્લે રાણીને ગમે તે રાજાઅમે ભજવેલું જેમાં મેં છોકરાના બાપ-ગરબડદાસ-નો રોલ કરેલો. ભારતીબેન રાવલ પન્નાની ભૂમિકા ભજવતા હતા.ભાઇ કુમુદ  પોચાલાલ, કંદર્પ શાહ ગોરમહારાજ અને ઇન્દ્રવદન પટેલ વનમાળીદાસ બનતો હતો. આ નાટક પછી કુમુદ રાવલ અને ભારતીબેન રાવલ અમારા ફેમિલી ફ્રેન્ડ્સ બની રહ્યા છે અને આજે આટલા વર્ષે પણ -૩૫ વર્ષની દોસ્તી અણનમ રહી શકી છે. જ્યારે જ્યારે અમદાવાદ જવાનું થાય છે ત્યારે અમે ચારે ય જણ-બન્ને કપલ- સાથે ગુજરાતી નાટકો, સંગીતના કાર્યક્રમો જોવા જઈએ. કુમુદભાઇ પણ સિરિયલોના સારા કલાકાર છે.બધા જ ગુજરાતી કલાકારો સાથે તેમને ઘરોબો છે.મને નાટકોની મોટી મોટી હસ્તીઓ સાથે મુલાકાત કરાવી આપે છે.
૧૯૭૯ના જુનમાં અમેરિકા આવતાં પહેલાં ૧૯૭૮માં મેં બે નાટકોમાં નાના નાના રોલ કરેલા. મરાઠી નાટ્યલેખક કાટદરે લિખિત મરાઠી  રહસ્ય નાટક ગુંચના ગુજરાતી રુપાંતરનું દિગ્દર્શન શ્રી.દિલીપ દેવ નામના એક કુશળ કલાકારે કરેલું .તેણે એમાં મુખ્ય ભૂમિકા પણ ભજવેલી.અન્ય મુખ્ય ભૂમિકામાં ઇકબાલ સૈયદ નામનો એક ખુબસુરત અભિનેતા હતો. અમે અમુક કારણોસર સૈયદની ઇર્ષા કરતા. અમેએટલે કોણ કોણ એ ચોખવટ હું અત્રે નહીં કરું.અને બીજું હિન્દી નાટક ચોર મચાયે શોરચીમન ટેકાણીએ ભજવેલું જેમાં મેં ગૌણ ભૂમિકા ભજવેલી.
આ સિવાય પણ કેટલાક નાટકો છે જેની વિગતવાર માહિતી મારી પાસે નથી.એક નાટકમાં દુધવાળીના પાત્રમાં મીસ ટેઇલર દેખાય છે,નવી દુલ્હનના લેબાસમાં વીણાબેન શાહ ,રાજુના પોષાકમાં દિલાવર પઠાણ અને ગાંડાની ભૂમિકામાં હું ઉભો છું એવો એક ફોટો મારા હાથમાં આવ્યો છે પણ તેની પાછળ કોઇ વિગત નથી લખેલી.કદાચ,ઓરીજીનલ કોપી પરથી પાછળથી કોપી કઢાવી હોય તેવું બન્યું હોય !
૧૯૭૦ના સમયગાળામાં કોઇ સંસ્થાએ નાટ્યહરિફાઇ યોજેલી અને એમાં હું અને સ્વ.રામકુમાર રાજપ્રિય નિર્ણાયકો તરીકે હતા. ત્યારે, એ વખતના અમદાવાદના મેયર શ્રી. ક્રુષ્ણવદન જોષી અને સ્વ. જશવંત ઠાકર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા.
અત્યારે તો નાટકોના જૂના ફોટાઓ જોતાં જોતાં જેમ જેમ સ્મરણો આવતા જાય છે તેમ તેમ લખતો જાઉં છું. ઘણીવાર જૂના મિત્રો ફોટામાં ઓળખાતા પણ નથી.ત્રીસ-ચાલીસ વર્ષ પહેલાંની યાદોની વણઝાર મારી આંખ સામેથી પસાર થતી જાય છે.જેમ જેમ મારા મિત્રો આ લખાણ વાંચતા જાય છે તેમ તેમ ભુલાયેલું યાદ અપાવતા જાય છે.ક્યારેક વર્ષ બાબતમાં કે નામ બાબતમાં મારી શરતચૂક થઈ જાય છે તો પ્રેમથી સુધારો પણ સુચવે છે.
મારું બાળપણ અને જૂવાની માણેકચોકમાં આવેલી સાંકડીશેરીની ઝુંપડીની પોળમાં વીત્યા છે.એ સાંકડીશેરીમાં એક ખીજડાની પોળ પણ આવેલી છે જ્યાં ત્રણ વસ્તુઓ પ્રખ્યાત છે. એક, કાકુભાઇ શેઠની હવેલી, બીજી સિટી હાઇસ્કુલ અને ત્રીજું,ત્રણ કલાકાર બંધુઓ-સ્વ.રજની શાસ્ત્રી, સ્વ.મય્રર શાસ્ત્રી અને આજનો ગુજરાતી કોમેડીયન મહેશ શાસ્ત્રી. આ મયુર શાસ્ત્રી મારી ઉંમરનો.  સાલો જીનીયસ હતો. નાટકો લખે, નાટકો ભજવે અને કોમેડી પણ કરી લે.એનો હાથ હંમેશાં તંગીમાં રહે.એનું લખેલું એક નાટક ધનાજીનું ધીંગાણુંમને ખુબ ગમી ગયેલું. એ નાટક મેં મારી રીતે, મને અને અન્ય કલાકારોને અનુકૂળ આવે તે રીતે ફેરફારો કરી કરીને ત્રણ વખત ભજવેલું. દરેક વખતે હું , જુવાન દીકરા અને દીકરીના બાપનો રોલ જ કરતો. છોકરાંઓ મને બેવકૂફ બનાવીને બહાર છાનગપતીયા કરીને પ્રેમલગ્ન કરી લે છે એવી કંઇક વાર્તા હતી.ધોતિયુ, ઝભ્ભો , બંડી, માથે ધોળી ટોપી, નાક પર ટેકવેલા ચશ્મા , હાથમાં લાકડી અને ચંપલો પહેરીને દોડાદોડી કરવાનો રોલ હતો. પ્રથમ વખત ઓફિસના વાર્ષિકોત્સવ પ્રસંગે મારા મિત્ર કુમુદ રાવલ સાથે ભજવેલું. બીજી વખત અમારી જ્યોતિકળશ સોસાઇટીમાં, સોસાઇટીના છોકરાઓને લઈને ભજ્વ્યું હતું અને ત્રીજી વખત ન્યુયોર્કમાં તારીખ ૨૧ સપ્ટેમ્બર ૧૯૮૬ના રોજ, જોન બાઉની હાઇસ્કુલના ઓડીટોરીયમમાં ( ૬૨-૨૫,મેઈન સ્ટ્રીટ, ફ્લશિન્ગ, ન્યુયોર્ક ખાતે ) ભજવેલું. રોહીત પંડ્યા, સ્વ. મહેન્દ્ર ત્રિવેદી,નૈષધ પંડ્યા,સ્વાતિ વૈષ્નવ,ડોક્ટર આર.પી.શાહ જેવા ધુરંધરો સાથેની સ્પર્ધામાં મેં ઝુકાવવાની ધ્રુષ્ટતા કરેલી. એ સ્પર્ધાના નિર્ણાયકો હતા-શ્રી.ચંદ્રકાંત શાહ ( ડાયસ્પોરા સર્જક,નાટ્યકાર, લેખક, કવિ અને શ્રી. તારક મહેતાના જમાઈ ), સુમતીબેન થાણાવાલા (ભરવાડા) જે આજે પણ ‘પલ્લવી પરણી ગઈ’નાટકની પલ્લવીના પાત્રથી વધુ જાણીતા છે તથા સ્વ. આદિલ મન્સુરિ. ન્યુયોર્કની ફાસ્ટ લાઇફમાં પ્રેક્ટીસ કરવાનો સમય ક્યાં મળે ? એટલે મેં, મારા બન્ને બાળકોના રોલ માટે મારા નાના ભાઇ વિરેન્દ્ર અને મારી સ્વરકિન્નરી બહેન સંગીતાને જ તૈયાર કરેલા. અમારા જ બિલ્ડીંગમાં રહેતા ભારતીબેન નામના એક રુપાળા બહેનને ય એક પાત્ર આપેલું. અમારા કમનસીબે, સ્પર્ધાના અન્ય નાટકોની સરખામણીમાં  અમે ઉણા ઉતર્યા અને અમને ઇનામ ન મળ્યું. ઇટસ ઓ.કે…શ્રીરામ..શ્રીરામ.
.
ભાગ-૨   ( સમયગાળો-૧૯૮૭  થી  ૨૦૧૧ )                                         સ્થળ- હ્યુસ્ટન .અમેરિકા
 
 

Navin Banker
Phone No: 713 771 0050

હરનીશ જાનીની “સુશીલા”–એક રસદર્શન-

September 1st, 2011 Posted in રસદર્શન
હરનીશ જાનીની ક્રુતિ ‘સર્જન-વિસર્જન’માં  સમીક્ષા અને ઓપિનિયન વચ્ચેનો તફાવત જે રીતે સમજાવ્યો છે એ વાંચ્યા પછી ‘સુશીલા’ની સમીક્ષા કરવાનું દુઃસાહસ મારાથી થઈ જ ન શકે.એ અંગે હું માત્ર મારો ઓપિનિયન જ આપી શકું. 
સૌથી વધુ ગમી-સુપરપાવર‘. ‘ક્રિશ્ન ભગવાનની બાબરી‘,’રામચંદ્ર ભગવાનની પાદુકા‘,’કદમના વ્રુક્ષ પર આજે ય લટકતા વસ્ત્રોને એવી બધી અંધશ્રદ્ધાઓ પર કટાક્ષ કરતી આ હાસ્યરચના મારી દ્રષ્ટીએ શ્રેષ્ઠ છે. વિવિધ સામયિકોમાં એક ના એક લેખ છપાવવા,કવિતાઓના મુશાયરામાં એક ની એક ક્રુતિઓ  અને સુગમ સંગીતના કાર્યક્રમોમાં એના એ જ આંખનો અફીણીજેવા ગીતો અને ચવાઇ ગયેલી શાયરીઓ અને જોક્સ અંગે કટાક્ષ કરતો લેખ પુનરપિ પુનરાવર્તનપણ ગમ્યો. મહમ્મદ ગઝનીની સત્તર સત્તર ચઢાઇઓવાળી વાત પણ આપણી નબળાઇઓ પર જે કટાક્ષ કરે છે તે દિલને ચુભી જતી વાત છે.રોજબરોજના જીવનમાં બનતી પ્રાસંગીક ઘટનાઓને આધાર બનાવીને  જે લેખો લખ્યા છે તે તેમના આંતરબાહ્ય પ્રવાસની સૌંદર્યપિપાસાની,ઉત્કટકળાપ્રીતિની,તેમના અનેકરંગી વ્યક્તિત્વની,વિદગ્ઘતાની,સહ્રદયતાની,અને રસિકતાની દ્યોતક છે. 
લખાણોની ભાષા વિશદ અને પ્રવાહી રહી છે તેથી વાંચકોને રસક્ષતિ થતી નથી.લખાણોમાં કટાક્ષ અને વાણી-વક્રતાનો પણ ઉપયોગ થયેલો જણાઇ આવે છે. સાહિત્ય સાથે  જગતદ્રષ્ટી,એનું દ્રષ્ટીબિંદુ ( Point of View ), સામગ્રી,અનુભવ,સજ્જતા,નિપુણતા ક્ષમતા, બધું જ સંકળાયેલું જણાઇ આવે છે.લેખક જે જુઓ છો તેને ઘેટાઓના ટોળાની જેમ સ્વીકારી લેતા નથી,પણ વિવેકબુદ્ધીથી તોળી, ચકાસીને રજુ કરે છે..આવી વિચારણામાંથી, ચયન-સંપાદન ( Editing ) કરવાની  પ્રક્રિયામાંથી (Process) કરીને જે ક્રુતિ રચાઇ છે તેનું ઉત્ક્રુષ્ટ ઉદાહરણ સુપરપાવરછે. આને કારણે જ ક્રુતિ પ્રભાવક બની શકી છે. લખાણોમાં  વિશાળ વાંચન અને બહુશ્રુતતાનો સમન્વય જોવા મળે છે. 
સરળ ભાષા,માવજતપુર્ણ ભાવ-અભિવ્યક્તિ અને લાઘવપુર્ણ સૌંદર્ય રજૂ કરતી આ ક્રુતિઓ વાંચવી ગમે એવી છે.ક્રુતિઓ વાંચતાં, લેખકનું નિરભિમાની અને પારદર્શક વ્યક્તિત્વ દેખાઇ આવે છે.મને આવા માણસને મિત્ર બનાવવો ગમે.
અંતમાં…સુંદર,સત્વશીલ, હળવા અને રસસમ્રુદ્ધ લેખો-હાસ્યરચનાઓ-ગુજરાતી સાહિત્યને આપવા બદલ હાર્દીક અભિનંદન.
નવીન બેન્કર
સપ્ટેમ્બર ૦૧, ૨૦૧૧
નોંધ- લેખકે જીંદગીમાં સૌ પ્રથમ વખત  આજે, કોઇના પુસ્તક વિશે  સમીક્ષા કે ઓપિનિયન લખવાની અનધિક્રુત ચેષ્ટા કરી છે. તો..એમાં રહેલા હકિકતદોષો કે
          મુદ્રણદોષો વગેરે અંગે ક્ષમાપ્રાર્થી છું.
 
  
Navin Banker
Phone No:
713 771 0050

કબીર ( એકપાત્રિય નાટક )

August 21st, 2011 Posted in અહેવાલ

 

 

 

 

કબીર   ( એકપાત્રિય નાટક )

હ્યુસ્ટનના આંગણે ૧૯મી ઓગસ્ટ ૨૦૧૧ને શુક્રવારે વર્ધમ થિયેટરમાં ઇન્ડો-અમેરિકન એસોસિયેશનના ઉપક્રમે એક અતિસુંદર ક્લાસિકલ વન-મેન મ્યુઝિકલ શો યોજાઇ ગયો..ભક્તકવિ કબીરની જીવનગાથાને બે કલાકના મ્યુઝિકલ શો દ્વારા પ્રસ્તુત કરી હતી પ્રસિધ્ધ બંગાળી ગાયક-અભિનેતા શ્રી. શેખર સેને. 

કબીરના દોહા તો ઘણાએ સાંભળ્યા જ હશે. તેમના પદને અંતે, હંમેશા ‘કહત કબીર સુનો ભાઇ સાધો’ શબ્દો આવતા હોય છે.કબીર અનાથ હતા. કહેવાય છે કે જન્મતાની સાથે જ તેમની માતાએ તેમનો ત્યાગ કરી દીધો હતો. કાશીમાં, તળાવની પાળેથી, નવજાત શિશુ એવા કબીરજીને એક મુસ્લિમ  વણકર દંપત્તીએ લઈ જઈને ઉછેરીને મોટા કર્યા હતા.નાનપણથી જ કબીરજીની રુચી આધ્યાત્મિક હતી.તેઓશ્રી સંતો,ફકીરો,મહાત્માઓના સંગમાં રત રહેતા હતા.કબીરજીએ કદી હાથમાં કલમ પકડી નથી. પણ તેમનુ જ્ઞાન તેમની વાણીમાં છલકાતુ રહેતું.તેમની સરળ ભાષામાં વિચારોની ગહનતા, ગાંભીર્ય, સ્વભાવની નીડરતા, સરળતા અને મૌલિક વિચારોની સાથે સાથે ઇશ્વર તરફનો પ્રેમ પણ પ્રતિપાદીત થતો રહ્યો છે. દંભી અને પાખંડી કહેવાતા ધર્મગુરુઓ પ્રત્યે તેમને અણગમો હતો એ વાત તેમના અનેક દુહા-સાખીઓમાંથી જણાઇ આવે છે.તેમની પ્રખર પ્રજ્ઞા અને પ્રગાઢ આંતરખોજથી નીપજતા શબ્દો ,સ્વયં બ્રહ્મ બની તેમના બ્રહ્મવિચારને  પ્રદર્શિત કરતા રહે છે. કબીરજીની વિચારધારાના પદો ‘કબીરવાણી’ કહેવાય છે.કબીરજી સંવત ૧૪૫૫માં જન્મેલા અને સંવત ૧૫૭૬ને માગશર સુદ અગિયારસને દિવસે ૧૨૦ વર્ષની ઉંમરે કાશી નજીકના મગહર ગામે અવસાન પામ્યા હતા.તેમના જીવનપ્રસંગોને લગતા ઘણા લેખો, પુસ્તકો પ્રસિધ્ધ થઈ ચુકેલા છે. 

આવા ઓલિયા, ભક્તકવિની જીવનગાથા અને કવનને, તેમની પ્રેમ, શાંતિ,કોમી-એખલાસની વાતોને બે કલાકના કાર્યક્રમ દ્વારા શ્રી.શેખર સેને રજૂ કરી. 

કબીરને કેન્દ્રમાં રાખીને માત્ર વન-મેન-શો દ્વારા નાટ્યક્રુતિ ભજવવી એ ખુબ કપરુ કામ છે.શેખર સેને આ સફળ રીતે કરી બતાવ્યુ છે.નીચલા વર્ગના સામાજીક વાતાવરણની વચ્ચે વણકર કુટુંબમાં ઉછરતા છોકરાને મોઢે , જે સહજતાથી એ કપડુ વણે છે ,એ જ સહજતાથી સરળ ભાષામાં જીવનની ફિલસૂફી પણ બોલાય અને ગવાય એ અદભુત છે.મંદીરના પુજારી કે મસ્જીદના મૌલવીના ધર્મને પડકારતી વાત હોય કે પાલક માતા સાથેનો,પુત્ર કમાલ સાથેનો સંવાદ હોય,સમાજના વિવિધ પાત્રો અને કહેવાતા ધર્મના રખેવાળો કે મોગલ બાદશાહ સાથેના સંવાદો હોય,એ બધું  એક જ મુખે,સ્વરના આરોહ-અવરોહ બદલીને વિવિધ પાત્રોને આબેહુબ દ્રષ્ટી સમક્ષ રજુ કરી દઈને એક ઇતિહાસ સર્જી દીધો છે શેખર સેને. 

ભક્તિ પરંપરા શરુ થઈ એ વખતના મધ્યકાલિન ભારતિય સમાજનું ચિત્ર જે રીતે કોઇ વિશિષ્ટ સંનિવેશ વગર પણ અહીં જે રીતે રજુ થઈ શક્યું છે તે અવર્ણનિય છે.કબીરના જીવનની ગાથા,એના જન્મથી માંડીને એના દેહાવસાન સુધીની, ખુદ કબીરના જ મુખે બોલાવીને,જીવંત ગીત-સંગીત દ્વારા,સતત વહેતા રાખીને કરાયેલી રજુઆત પ્રભાવક બની રહે છે. 

શેખર સેનનો કંઠ કોઈપણ ગાયકની સ્પર્ધા કરી શકે એટલી હદે કેળવાયેલો અને ઘુંટાયેલો છે.સમગ્ર રજુઆતમાં પદો,દોહા ગાવાની એક પણ તક એણે જતી કરી નથી તેથી વતાવરણમાં ભક્તિરસની મહેંક પ્રસરી રહે છે. એ સમયની તળપદી ભાષામાં પણ જે રીતે સ્વાભાવિકતાથી રજુઆત થઈ તે નાટકની એક સિધ્ધી ગણી શકાય. 

એક જ પાત્રને કેન્દ્રમાં રાખીને ,એની આસપાસ કોઇપણ પ્રકારની સંકુલતા કે વિસંગતી વગરના એક પરિમાણી વ્યક્તિત્વ ધરાવતા અન્ય પાત્રોને સંવાદો દ્વારા જ અવાજના આરોહ-અવરોહ વડે હળવાશથી  અને સાહજીકતાથી રજુ કરતું આ નાટક CLASS માટેનું નાટક હતું- MASS માટેનું નહીં.જેમને કબીરની કથા ખબર છે, જેમણે કબીરના દોહા વાંચ્યા છે, સાંભળ્યા છે, જે એ બધું સમજી શકે છે એવા બુધ્ધીજીવી, બહુશ્રુત અને  ક્લાસિક સેન્સ ધરાવતા સુજ્ઞ પ્રેક્ષકો જ આનો રસાનુભવ કરી શકે અને માણી શકે એવા વિરલ એકપાત્રિ નાટકને હાઊસફુલ ઓડીયન્સ મળવું સંભવ નથી.મોટાભાગના કહેવાતા નાટ્યરસિકો હળવાફુલ કોમેડી નાટકો કે જેમાં વાહિયાત પકડાપકડી અને ચવાઇ ગયેલા વાસી જોક્સ કે દ્વીઅર્થી સંવાદો હોય એવા

નાટકો પસંદ કરતા હોય છે. હ્યુસ્ટનમાં આ જ દિવસે અને એ જ સમયે મુંબઈના ખ્યાતનામ ગ્રુપ દ્વારા ભજવાતું એક અન્ય નાટક પણ હતું અને એકાદ-બે લગ્નપ્રસંગો પણ હતાં છતાં આ પરફોર્મન્સને પાંચસો પ્રેક્ષકો મળી શક્યા એ જ હ્યુસ્ટન, સંસ્કારનગરી હોવાની પ્રતિતી કરાવવા માટે પુરતું છે.

એક ગુજરાતી સાહિત્યરસિક કવિને ઘેર, બહારગામના કોઇ ગુજરાતી શાયરનો કાર્યક્રમ હતો જે ટુંકાવીને કવિમિત્રો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તો, બીજે દિવસે જેમના દીકરાના લગ્નનું રિસેપ્શન યોજાયેલું એ કબીરપ્રેમી યુગલ, દસ જણના ગ્રુપમાં, કાર્યક્રમ જોવા આવેલા અને છેક સુધી આ કાર્યક્રમને માણ્યો હતો.

નાટકના મુડને અનુરુપ, દ્રશ્યની માંગ પ્રમાણે લાલ, પીળા અને લીલા પ્રકાશ-આયોજન દ્વારા દ્રશ્યને તાદ્રુશ કરવામાં આવેલ. ઝુપડીની આગના દ્રશ્યને સ્લાઇડ અને લાલ સ્પોટલાઈટથી તેમજ નદીની લહેરોને આસમાની લાઈટના આયોજન વડે જીવંત કરવામાં આવી હતી.

હ્યુસ્ટનનું  ઇન્ડો-અમેરિકન એસોસિયેશન, આવા સુંદર કાર્યક્રમો રજુ કરવા માટે જાણીતું છે. શાસ્ત્રિય સંગીતના ખેરખાંઓની જુગલબંદી હોય કે BROKEN IMAGES જેવા પ્રયોગશીલ અંગ્રેજી નાટકો હોય, ઇન્ડો અમેરિકન એસોસિયેશન ટીકીટબારીની સફળતાની પરવા કર્યા વગર એની રજુઆત પણ કરી જ દે. એની ટીકીટો પણ મોટેભાગે તો ઓનલાઇન જ ઉપલબ્ધ હોય અથવા મહારાણી મ્યુઝિકના સ્ટોર પર જ મળે. આ અંગેનો યશ, શ્રી. હરીદયાળજી નામના એક સેવાભાવી સજ્જન અને તેમના વોલન્ટીયર્સને ફાળે જાય છે.

અસ્તુ..

અવલોકન અહેવાલ અને શબ્દાંકન- શ્રી. નવીન બેન્કરલખ્યા તારીખ- ૨૦ ઓગસ્ટ, ૨૦૧૧ 

Navin Banker
Phone No: 713 771 0050

 

હ્યુસ્ટનમાં અભેસિંહ રાઠોડ ગ્રુપનો ડાયરો

August 19th, 2011 Posted in અહેવાલ

 

તારીખ ૧૬મી જુલાઈ ૨૦૧૧ને શનિવારની એ રાત…લોકસાહિત્યના અભિસારની એ રાત…ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટનના નેજા હેઠળ, હ્યુસ્ટનના સ્ટેફોર્ડ સિવિક સેન્ટરના હોલમાં રાત્રે નવ વાગ્યાથી બાર વાગ્યા સુધી, લોકસાહિત્યના દિગ્ગજો એવા શ્રી.અભેસિંહ રાઠોડ,સ્વ.હેમુ ગઢવીના સુપુત્ર શ્રી.બિહારીભાઇ ગઢવી, સ્વરકિન્નરી  દમયંતીબેન બરડાઈ જેવા ગાયકોએ ડાયરાની રંગત જમાવી હતી. લોકસાહિત્યમાં આજે જે ગણ્યાગાંઠ્યા નામ બાકી રહ્યા છે તેમાં અભેસિંહ ભાઇ રાઠોડ  એક અગ્રગણ્ય નામ છે.કોઈ તેમને આષાઢી ગાયક કહે છે,તો કોઇ ટહુકતો મોરલો કહે છે.સૌરાષ્ટ્રના ગાયકોમાં જે બુલંદી હોય છે તે અભેસિંહમાં જણાઇ આવે છે.

રાબેતા મુજબ ઇશ્વરની સ્તુતિથી શરુઆત કરીને અભેસિંહભાઇએ છંદ, દુહા,લોકસાહિત્યની વાતોથી ગુંથીને તેમના જાણિતા ગીતો ‘દાદા હો દીકરી’..’રક્ત ટપકતી સો સો ઝોળી’,’કસુંબીનો રંગ’,જય જય ગરવી ગુજરાત’ વગેરે બુલંદ સ્વરે રજુ કરીને પ્રેક્ષકોની તાળીઓના ગડગડાટ મેળવી લીધા હતા.

લોકગાયિકા દમયંતીબેન બરડાઇ પણ લોકસાહિત્યમાં મુઠી-ઊંચેરુ નામ ગણાય છે.તેમણે પણ ‘મારો ટોડલે બેઠો મોર’,’મારે સાસરિયે આણા મોકલો’,’પાટણથી પટોળા મોંઘા લાવજો’, જેવા જાણીતા ગીતોની રમઝટ બોલાવી હતી. સ્વ.હેમુ ગઢવીના સુપુત્ર શ્રી. બિહારીભાઇએ પણ તેમના પિતાજી જેવા જ બુલંદ અવાજે છંદ, દુહાની રમઝટ સાથે લોકગીતોની તડાફડી બોલાવી દીધી હતી.લોકગીતો હોય અને સ્વ.ઝવેરચંદ મેઘાણીને કોઇ યાદ ના કરે એવું તો બને જ નહીં ને !

નવરાત્રિના ગરબાઓમાં ગવાતું ‘હાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગલા વખાણું’ એ શબ્દોમાં સાચો શબ્દ’ પછી’ નથી પણ ‘પથી’ છે અને એ ઘોડીનું નામ હતું એ અંગેની કથા એવી રસપ્રદ રીતે અભેસિંહભાઈએ  સંભળાવી કે શ્રોતાઓને કશુંક નવું જાણવા મળ્યું.

જીતુભાઈ દ્વારકાવાળાએ જોક્સ કહીને પ્રેક્ષકોને ખુબ હસાવ્યા.તેમના ‘વન લાઇનર જોક્સ’ પ્રેક્ષકોને ખુબ ગમ્યા.જીતુભાઇની મંજીરા વગાડવાની સ્ટાઇલે પણ પ્રેક્ષકોને સારુ એવું મનોરંજન પુરુ પાડ્યુ હતું.

આ લોકગાયકોને તબલા પર શ્રી.ચંદ્રકાંત સોલંકી, ઢોલક પર શ્રી.રાજુ પંડ્યા, ઇલેક્ટ્રીક ઓર્ગન પર શ્રી. જનક અમીન,વગેરે એ  સાથ આપ્યો હતો.

કમલેશ ભુપતાણી અને ચકુભાઇ જેવા નેશનલ સ્પોન્સર્સ , ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટન જેવા ખમતીલા  લોકલ પ્રમોટર્સ અને અભેસિંહ રાઠોડ જેવા ખ્યાતનામ ગાયકો હોવાં છતાં, આ વખતે લોકસાહિત્યના આ ડાયરાને શ્રોતાઓનો જોઇએ તેવો પ્રતિસાદ મળ્યો નહી.  આ સીઝનમાં દર અઠવાડીયે એટલા બધા ગુજરાતી કાર્યક્રમો યોજાતા હોય છે કે હવે ‘હાઊસફુલ’ શબ્દ ભુંસાતો જાય છે.ભાગ્યે જ કોઇ કાર્યક્રમમાં પચાસ ટકા ટીકીટો વેચાતી હોય છે.સૌરાષ્ટ્રના ગામડાની લોકકથાઓ,કુટુંબજીવનની વાતો, સાસુવહુની વાતોમાં નવી પેઢીના યુવાન પ્રેક્ષકોને કોઇ જ રસ પડતો નથી હોતો. શ્રોતાઓમાં મોટાભાગના પચાસથી વધુ ઉંમરના જ હોય છે.ડાયરાઓમાં પણ વર્ષો જુના એના એ જ લોકગીતો,સુગમ સંગીતના એ જ ગીતો હોય છે ને !છતાં પણ હજુ અમારા જમાનાના લોકો ( એટલે સિત્તેરે પહોંચેલા ) તો જુનુ એટલું સોનુ ગણીને વારંવાર એ બધું સાંભળવા અને વાગોળવા આવા કાર્યક્રમોમાં દોડે જ.કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટનના ઉત્સાહી કાર્યકરો  શ્રી.અજીત પટેલ,શ્રીમતી નિશાબેન મિરાણી,અને કમિટી મેમ્બરોએ સારી એવી જહેમત ઉઠાવી હતી.

નવીન બેન્કર

૭૧૩-૭૭૧-૦૦૫૦

નાટક ‘હું રિટાયર થયો’ના કલાકારો નો પરિચય

August 19th, 2011 Posted in અહેવાલ

 
 નાટક  ‘હું રિટાયર થયો’ના  કલાકારો નો પરિચય કરાવવો છે.

હેમંત ભાવસારને તો બધા જ ઓળખે છે.સિનિયર સિટીઝન એસોસિયેશન હોય, જૈન સેન્ટરના કાર્યક્રમો હોય, કે ભારતથી પધારેલા મહાન સંગીતકારો હોય,હેમંતભાઇ સ્ટેજ પર મંજીરા સાથે હાજર હોય જ.’ કૈલાસકે નિવાસી’ ભજન તેમના કંઠે સાંભળવું એ એક લહાવો છે.કોઈ સ્વર્ગસ્થની સ્મ્રુતીસભામાં અવારનવાર આપણે તેમને જોયા-સાંભળ્યા છે.મેં આ કલાકારને છેક ૧૯૮૮થી હ્યુસ્ટન નાટ્યકલાવ્રુંદના નાટકોમાં અભિનય કરતા જોયા છે.’પરણ-વા ‘, ‘પડદા પાછળ’ જેવા નાટકોમાં તેમના અભિનયને માણવાનો મને મોકો મળ્યો છે.રમોલા દલાલ અને હેમંત ભાવસારની જોડી હોય એ નાટક હીટ જ હોય એવી ૧૯૯૦ના ગાળામાં સમજ પ્રવરતી હતી.આ નાટકમાં હેમંત ભાવસાર તમને ખુબ હસાવશે અને તમારી આંખોના ખુણા ભીનાં પણ કરી દેશે.

ઉમાબેન નગરશેઠ ભારતની સંસ્ક્રુતિના એમ્બેસેડર ગણાય છે.ઘણાં ગુજરાતી નાટકોના દિગ્દર્શક અને મુખ્ય અભિનેત્રી હોવા ઉપરાંત ‘નાટ્ય-ઉપાસના’ના સંચાલક પણ છે.ઘણાં બધાં ન્રુત્ય પ્રોગ્રામોના તેઓ કોરિયોગ્રાફર પણ રહ્યા છે. ઘણાં  આરંગેત્રમના ગુરુ પણ છે.૧૯૯૭માં હ્યુસ્ટનમાં ભજવેલ ફુલ લેન્થ પ્લે ‘હોનારત’ના દિગ્દર્શક પણ ઉમાબેન હતા.’બુકાની બાંધેલો સ્નોમેન’ તેમનું યાદગાર નાટક હું ગણું છું.’ચોર’ અને ‘અંદર અંદર’ જેવા નાટકોમાં તેમણે  કોમેડી રોલ પણ કર્યા છે.આ નાટકમાં તેમણે એક વિશિષ્ટ રોલ કર્યો છે. ઉમાબેન હ્યુસ્ટનના કલાજગતનું એક રત્ન છે.રક્ષાબેન પટેલ પણ  HNV નું એક મોંઘેરુ નજરાણું છે. આ નાટકમાં  ‘મા’ તરીકે  એ એવા તો છવાઈ જાય છે કે એમના અમુક સંવાદો પર તો તમે આફરીન પોકારી ઉઠશો અને એમના અંતીમ દ્રષ્યમાં તમારી આંખ ભીની ના થાય તો તમે જાણજો કે તમારી અંદર સંવેદનશીલ હૈયું રહ્યું જ નથી .

દરેક માતાને રક્ષાબેનના પાત્રમાં પોતાનું પ્રતિબિંબ દેખાશે.મનોજ મહેતા ખુબસુરત ગઝલકાર, કવિ,ઉપરાંત અચ્છા અભિનેતા પણ છે.’કોઇને માથે કાળ ભમે છે’, ‘ચોર’  જેવા નાટકોમાં તેમણે યાદગાર ભૂમિકાઓ ભજવી છે.મનીષ શાહ પણ અચ્છા અભિનેતા છે.  HNV એ ૧૯૯૭માં ભજવેલ ફુલ લેન્થ પ્લે ‘હોનારત’માં ડોક્ટરના મુખ્ય પાત્રમાં તેમણે યાદગાર અભિનય કરેલો.તેમનો ભાઈ સંદીપ અને માતા ઇન્દુબેન શાહ પણ સારા કલાકારો છે.ઈન્દુબેનને તો આપણે સિનિયર્સર્ની મીટીંગોમાં ઘણી વાર સાંભળ્યા છે. રસેશ દલાલની ઓળખ આપવાની હોય જ નહીં.આજના દૌરમાં, હ્યુસ્ટનના એક સારા માસ્ટર ઓફ સેરીમની ( ઉદ્ઘોષક ) અને સેવાભાવી વોલન્ટીયર તરીકે સેવાઓ આપતા આપણે તેમને દરરોજ જોઈએ છીએ.યોગીનાબેન પટેલને ‘સ્વર્ણીમ ગુજરાત’ની ઉજવણી પછી યોગીના કરતાં ‘રંગલી’ તરીકે બધાં આ હસમુખી,રુપાળી, મોટીમોટી ભાવવાહી આંખોની સ્વામિની એવી મીઠડી છોકરીને ગુજરાતી સમાજના ઘણા કાર્યક્રમોમાં આપણે દોડતી જોઈ છે.આ નાટકમાં દીકરીના રોલમાં તેણે અભિનયના ત્રણ ડીફરંટ શેડ્સ દર્શાવ્યા છે.હાસ્ય, ગુસ્સો અને કરુણતા -એ ત્રણે શેડસમાં તેણે એવો તો સુંદર અભિનય કર્યો છે કે તમે આફરીન પોકારી ઉઠશો.HNV નું  અણમોલ રતન એટલે અરવીંદ ‘બાના’. ‘એક નાટકમાં અરવીંદભાઈએ ‘બાના’ના પારસી રોલમાં એવી તો કમાલ કરી કે લોકો તેમને ‘બાના’ તરીકે જ આજે પંદર વર્ષો પછી યે ઓળખે છે. BAPS (સ્વામિનારાયણ સંપ્રદાય)ના ચુસ્ત અનુયાયી અને સરળ હ્ર્દયના આ કલાકાર સારા અભિનેતા છે. આ નાટકમાં નાનકડા રોલમાં પણ એવી તો સુંદર અદાકારી દાખવી જાય છે કે બસ-લલિત  શાહ – HNV ના જૂના અને જાણીતા જોગી એટલે લલિતભાઈ શાહ.મને યાદ છે કે ૧૯૮૯માં તેમણે ‘કોઈને માથે કાળ ભમે છે’ એ નાટકમાં જગન્નાથની અવિસ્મરણીય ભૂમિકા ભજવેલી.એમનો પહાડી અવાજ એવો તો છવાઇ જાય છે કે જાણે માઈકની જરુર જ ન પડે.આ નાટકમાં પણ તેમની ભૂમિકા સુંદર છે.પંક્તી ગાલા નામની એક નાનકડી બેબી પણ પૌત્રીની ભૂમિકામાં સરસ અભિનય કરી જાય છે. અન્ય ગૌણ પાત્રોમાં કુલદીપ બારોટ નામનો એક જુવાન પણ છે.અને…હવે આવે છે મુખ્ય પાત્રમાં શ્રી. મુકુંદ ગાંધી.હ્યુસ્ટનમાં ગુજરાતી નાત્યકલાકારોનું મંડળ રચવાના સ્વપ્નદ્રષ્ટા….હ્યુસ્ટન નાટ્યકલાવ્રુંદના ભિષ્મ પિતામહ…ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટનના ભૂતપુર્વ પ્રેસિડેન્ટ..ટ્રસ્ટી..સમાજના આગેવાન કાર્યકર..૧૯૯૧માં ‘પત્તાની જોડ’ જેવા ત્રિઅંકી નાટકમાં  ‘દાદાજી’ની અવિસ્મરણીય ભૂમિકા ભજવનાર આ વરીષ્ટ કલાકારે ગુજરાતી સમાજને અને હ્યુસ્ટનના સિનિયર સિટીઝન એસોસિયેશન માટે ફંડ ભેગુ કરી આપ્યું હતું.’હું જે કહીશ તે સત્ય જ કહીશ’ નાટકમાં તેમણે જગન્નાથની ભૂમિકા ભજવેલી અને પ્રેક્ષકો પર છવાઈ ગયેલા.અમારા આ નાટકમાં ગુજરાતી રંગભૂમિના લોકલાડીલા અભિનેતા , નટસમ્રાટ અનંતરાય વિદ્યાપતિની અવિસ્મરણીય ભૂમિકામાં મુકુંદભાઈ એવા તો છવાઈ જાય છે કે પ્રેક્ષકો એકીઅવાજે તેમને નટસમ્રાટ તરીકે સ્ટેન્ડીંગ ઓવેશન આપવા માટે મજબૂર બની જશે. નાટકની  એકે એક ફ્રેમમાં, એકે એક દ્રષ્યમાં સ્ટેજ પર તેમની હાજરી છે..તેમને મુખે બોલાયેલા એકે એક સંવાદો..એકે એક એકોક્તિઓ..પ્રેક્ષકોને હસાવે છે, રડાવે છે..પ્રેક્ષકો તેમના પાત્ર સાથે તાદાત્મ્ય સાધીને તેમના સુખ-દુખમાં ભાગીદાર બની જાય છે.મેં આ નાટકના વીસથી પણ વધુ રીહર્સલો જોયા છે..મારાથી પણ પાંચ-છ વર્ષે મોટા એવા આ વડીલ, કલાકારને જુવાનને શરમાવે એવી સ્ફુર્તીપુર્વક દોડાદોડી કરીને આયોજન કરતા જોયા છે અને હમેશા લઘુતાગ્રંથી અનુભવી છે.શ્રી. હેમંત ભાવસાર , HNVના પ્રેસિડેન્ટ શ્રી.અશોક પટેલ  અને ઉમાબેન નગરશેઠે આ નાટકના દિગ્દર્શનમાં ખુબ ઉપયોગી, કિંમતી સલાહસુચનો આપીને નાટકને ઉત્ક્રુષ્ટ બનાવવામાં અમુલ્ય  ફાળો આપ્યો છે.બસ…મિત્રો…આજે માત્ર આટલું જ. તમે બધાં આખો હોલ ભરી દો અને આપણે બધાં સાથે ઉભા થઈને આ નાટકના, આપણા હ્યુસ્ટનના, તમામ કલાકારોને સ્ટેન્ડીંગ ઓવેશન આપીયે.

નવીન બેન્કર૭૧૩-૭૭૧-૦૦૫૦           E-mail Address : navinbanker@yahoo.com 

 
 

Navin Banker
Phone No: 713 771 0050

ડોક્ટર બળવંત જાનીનો વાર્તાલાપ- નવીન બેંકર

August 19th, 2011 Posted in અહેવાલ

 

આષાઢ સુદ બીજ ને મંગળવાર તારીખ ૧૩ જુલાઈ ૨૦૧૦ ની ખૂશનૂમા સાંજે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદીરના સભાખંડમાં, સાહિત્યવિદ ડોક્ટર બળવંત જાની ના વાર્તાલાપનો એક કાર્યક્રમ સ્વામિનારાયણ મંદીર તથા હ્યુસ્ટન સાહિત્ય સરિતાના ઉપક્રમે લગભગ ત્રણસો જેટલા સાહિત્ય રસિકો સમક્ષ યોજવામાં આવ્યો હતો.
હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાના વર્તમાન કો-ઓર્ડીનેટર શ્રી. હેમંત ગજરાવાલાએ ડો. બળવંત જાનીનો પરિચય કરાવતાં કહ્યું કે તેઓશ્રી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડીન છે.શિક્ષણક્ષેત્રનો તેમને બહોળો અનુભવ છે તથા પોતે સાહિત્યમાં ડોક્ટરેટ કરેલું છે અને તેમના હાથ નીચે વિવિધ વિષયોમાં રીસર્ચ કરીને ત્રીસેક જેટલા સ્કોલરોએ પણ ડોક્ટરેટની પદવી હાંસલ કરેલી છે.તેઓશ્રીએ મધ્યકાલીન સાહિત્ય, ચારણી સાહિત્ય,લોકગીતો, સંત સાહિત્ય અંગે રીસર્ચ કરીને દસ હજારથી પંદર હજારભજનોનું કંપાઇલેશન કર્યું છે તથા બોત્તેર કલાકનું રેકોર્ડીંગ કર્યું છે. જે ગ્રામવાસીઓ વાંચી કે લખી શકતા નથી તેમની પાસેથી સાંભળીને જાતે લખી કે રેકોર્ડીગ કરીને આ ભગીરથ કાર્ય કર્યું છે.બ્રિટનના ડાયસ્પોરા સર્જકોના સાહિત્યનું સંશોધન કરી, સંકલન કરીને તેને અભ્યાસક્રમમાં દાખલ કરવામાં સિંહફાળો આપ્યો છે. બ્રિટનના ૧૨૨ ડાયસ્પોરા સર્જકોની રચનાઓના સંશોધનો થકી ૧૮ વોલ્યુમ તૈયાર કર્યા. અમેરિકામાં સર્જાયેલ ગુજરાતી અમેરીકન ડાયસ્પોરા સાહિત્ય અંગે પણ આવું જ કાર્ય ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાના ઉપક્રમે થઈ રહ્યું છે. આ કાર્ય હાથ પર લેવાની ઘોષણા, આજે આ સભાખંડમાં સૌ પ્રથમવાર હ્યુસ્ટનમાં થઈ રહી છે. આ ઐતિહાસિક ક્ષણના તમે બધા પ્રથમ શ્રોતા અને સાક્ષી છો. આ ઘોષણાને સાહિત્યરસિક શ્રોતાઓએ સ્ટેન્ડીંગ ઓવેશન આપીને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.
BAPS ના શ્રી. ઓજસભાઇએ,તેમનો સંપ્રદાય વિવિધ માધ્યમો દ્વારા ગુજરાતી ભાષા અંગે જે પ્રવ્રુત્તીઓ કરે છે તેની માહિતિ આપતાં ગુજરાતીના ક્લાસિસ, સ્વામિનારાયણ બાળપ્રકાશ જેવા માસિકનું પ્રકાશન, ગુજરાતી સ્પેલીંગ-બીની સ્પર્ધા, વિવિધ શિબિરો તથા અધિવેશનોની માહિતિ આપી. પુજ્યશ્રી. પ્રમુખસ્વામી મહારાજે કહ્યું છે કે ‘ ભાષા, ભોજન અને ભૂષા ( વેશભુષા) એ તો માનવીની ઓળખ છે.બાળકોને સંસ્કાર ભાષાની ઓળખ નહીં આપો તો સંતતી અને સંપત્તી બન્ને ગુમાવશો.’ અત્રે, સંસ્થાના એક બાળ-હરિભક્તે વાલિયો લૂંટારો સંત વાલ્મિકી કેવી રીતે બન્યો તેની ટૂંકી વાર્તા સુંદર રીતે ગુજરાતીમાં રજૂ કરી હતી.
શ્રી. બળવંતભાઇએ તેમના વક્તવ્યમાં જણાવ્યું કે ભારતિય મૂળના લેખકોને વિશ્વકક્ષાએ પારિતોષીકો મળવા લાગ્યા છે. તેમના સર્જન, ચિંતન અને લેખનની નોંધ લેવાવા માંડી છે. મહાભારત જેવા ગ્રંથ પર અંગ્રેજીમાં નાટકો લખાય તે આપણા માટે ગૌરવની વાત છે. છતાં, ડાયસ્પોરા સર્જકોની જ વાત આવે અને માત્ર પન્ના નાયક કે પ્રીતિ સેનગુપ્તાના જ નામ પરદેશના ગુજરાતી લેખક તરીકે લોકો જાણે અને બાકીના કોઇને ના ઓળખે તે કેવું ? પરદેશમાં જે સર્જન થઈ રહ્યું છે તેમની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે તેને હાયર એજ્યુકેશનમાં સ્થાન આપવું જરૂરી છે.દલીત લેખકો કે નારીવાદી લેખકોને હાઇ લાઈટ કરો છો પણ અન્ય સર્જકોનું શું ? ડાયસ્પોરા સર્જક એક જૂદી જ દ્રષ્ટી ધરાવે છે. લોકલ લેખક કરતાં તે સમાજને જૂદી જ નજરે જુએ છે. તેના સર્જનમાં પરદેશની ભૂમી પરનાં આપણા પ્રશ્નો ચરિતાર્થ થાય છે.કાફકા કે કામૂના પશ્ચિમી સાહિત્યની અસર નીચે લખાયેલ ઉન્નત ભ્રૂ ગુજરાતી લેખકો કરતાં આ સર્જક કાંઈક જૂદી જ દ્રષ્ટિ ધરાવે છે.
માણસ ભીડ વચ્ચે પણ એકલો પડી ગયો છે. પન્ના નાયકની એક ક્રુતિ ” હું ” નુ પણ વિવેચન કરતાં તેમણે દરિયા નીચે પથરાયેલી, ભીની, શાંત સ્થિર રેતીને સૂર્ય તાપમાં તપવાનુ, શીશુના કોમળ કોમળ પગ નીચે ખુંદાવાનુ, પવનમાં આમથી તેમ ફંગોળાવાનુ અને કિનારે જવાનુ મન થાય છે પણ….. સતત ભીંસતા સમુદ્રના અપાર પ્રેમને પણ છોડી શકાતો નથી એવા રૂપક દ્વારા ” ન યયૌ, ન તસ્યૌ” (ન અહીંના, ન ત્યાંના) ડાયસ્પોરા સર્જકની પીડાની વાત કરી. ડાયસ્પોરા સર્જકની રચનામાં ડાયસ્પોરીક લાગણીની વાત ના હોય તો એ સાહિત્યનો કોઈ અર્થ નથી.
મધર ટેરેસા અંગે કે શેક્સપિયર અંગે આપણને જેટલી જાણકારી છે તે આપણી ચારણી અમરબાઈ કે સંત દેવીદાસ અંગે નથી તેનુ કારણ એટલું જ છે કે મધર ટેરેસાને અભ્યાસ ક્રમમાં સ્થાન મળ્યું છે જ્યારે અઢારમી સદીમા રક્તપીતિયાની સેવા કરનાર પ્રથમ મહિલા અમરબાઈની કોઈ નોંધ લેવાઈ નથી. વીજળીના ઝબકારે મોતી પરોવી લઈએ એવું કહેનારા ગંગા સતીના ભજનોને અભ્યાસ ક્રમમાં સ્થાન આપીશું ત્યારે જ એમની ઓળખ પ્રસ્થાપિત થશે.
શ્રી બળવંતભાઈએ સ્વામિનારાયણ સંપ્રદાયના ૯ કવિઓની ભક્તિ ભાવના અંગે પણ વાતો કરતાં કવિ બ્રહ્માનંદ ના પદ સાહિત્ય અંગે પણ રસપ્રદ વાતો કરી.
પ્રવચનના અંત ભાગમાં તેમણે કહ્યું કે ગુજરાત ટાઈમ્સને ગુજરાત સરકારની જાહેરખબર મળતી થઈ તે ગુજરાત સરકારની ગુજરાતી ભાષાને પ્રમોટ કરવાની પ્રતિબધ્ધતા દર્શાવે છે.
અંતમાં, B A P S ના શ્રી બાબુભાઈ પટેલે સ્વામિનારાયણ સંપ્રદાય વતી તથા શ્રી હેમંત ગજરાવાલાએ સાહિત્યસરિતા વતી આભાર વિધી કરીને કાર્યક્રમની સમાપ્તિ કરી હતી.
બીજા દિવસે એટલે કે ૧૪મી જુલાઈને બુધવારે સાંજે યુનાઈટેડ સેન્ટ્રલ બેંકના એડવાઈઝરી ડાયરેક્ટર તથા ઈસ્માઈલી કોમ્યુનિટીના અગ્રગણ્ય માનનિય આગેવાન ડો. બરકત ચારણીયાના સૌજન્યથી સેવોયના બેંકવેટ હોલમાં લગભગ ૧૫૦ જેટલા આમંત્રિત સાહિત્યરસિકો માટે ભોજન સાથે શ્રી બળવંતભાઈના વાર્તાલાપનો લાભ મળ્યો હતો.
ગુજરાતી સાહિત્યસરિતાના સભ્યો તથા ઈસ્માઈલી કોમ્યુનિટી ના ગુજરાતી ધુરંધરો સમક્ષ શ્રી બળવંતભાઈએ સુફી કવિયત્રી સંત રાબિયા, શેખ સાદિક અલી, ભોજા ભગત, ઈસરદાન ગઢવી, સંત દેવીદાસના ગુરૂ શ્રી જયરામ શાહ જેવા સંતોની વાતો, તેમના સર્જનની વાતો, તેમના તત્વદર્શન અંગે જણાવતાં કહ્યું કે ઈસમાઈલી પ્રજા “ગીનાન” દ્વારા ગુજરાતી ભાષાની જાળવણી કરીને તેને ગૌરવ અપાવે છે.
કાર્યક્રમના અંત ભાગમાં કવિશ્રી વિનોદ જોશીની સુંદર ક્રુતિ “ફાંસ જરા સી વાગી ગઈ ને વાંસ જેવડું કંઈ ખટકે છે અંદર અંદર” તથા સ્વર્ગસ્થ કવિશ્રી રમેશ પારેખની પંક્તિઓ “અહીં તો માત્ર ટહેલવા આવ્યા હતા રમેશ ને ચરણ અહીં ચોંટી ગયા” સંભળાવી, તેનો રસાસ્વાદ કરાવીને પુર્તિ કરતાં કહ્યું કે “વ્યક્ત ન થઈ શકવાની વેદના માત્ર સર્જકો જ જાણતા હોય છે.”
અસ્તુ………………..

નવીન બેંકર

૭૧૩-૭૭૧-૦૦૫૦.

ઇન્ડીયન સિનિયર સિટીઝન્સ એસોસિયેશન ઓફ હ્યુસ્ટન-અહેવાલ

August 18th, 2011 Posted in અહેવાલ

 

તારીખ તેરમી ઓગસ્ટ ૨૦૧૧ને શનિવારે ‘ISCA ‘ની એક ખાસ મીટીંગ,હ્યુસ્ટનના હિલક્રોફ્ટ અને બિસોનેટ સ્ટ્રીટના કોર્નર પર આવેલ બેલેન્ડ કોમ્યુનિટી સેન્ટરમાં યોજવામાં આવી હતી.આ બેઠકમાં એકલ વિદ્યાલય અને વલ્લભ વિદ્યામંદીરના નાના નાના ભુલકાઓએ વાર્તાલાપ સ્વરુપે એક સુંદર સ્કીટ રજુ કરીને ‘સરસ્વતી-વંદનાનો અર્થ’,’યોગાનો અર્થ’,આપણી ભાષામાં બારાખડી,’દરરોજ સ્નાન કરવાના ફાયદાઓ’ વગેરે અંગે રમુજી રીતે ખ્યાલ આપ્યો હતો.શ્રી.વલ્લભ વિદ્યામંદીરના પ્રિન્સિપાલ શ્રીમતી રચનાબેન શાહે વિદ્યામંદીરની પ્રવ્રુત્તીઓનો ચિતાર રજુ કર્યો હતો.કાર્યક્રમમાં ભાગ લેનાર બાળ-કલાકારો હતા -સર્વશ્રી. ઉત્સવ બક્ષી,રણજીત શાહ,હીમાલી શાહ,યશ ધ્રુવ,કેયા શાહ,દેવ ધ્રુવ,પાર્થ શાહ અને ખુદ રચનાબેન શાહ.વૈશાલી બંસલે આ સ્કીટનું દિગ્દર્શન કર્યું હતું.

ત્યારબાદ….શ્રી રમેશભાઇ મોદીએ ઓક્ટોબરમાં ૨૧૨ સિનિયર મેમ્બર્સ સાથે ઉપડનારી ક્રુઝ અંગેની માહિતી આપી હતી.

હ્યુસ્ટન સિનિયર સિટીઝન્સ એસોસિયેશનના  સિનિયર મેમ્બર શ્રી, નવીન બેન્કરે, હ્યુસ્ટન ગુજરાતી સમાજના બંધારણની એક જોગવાઇ કે જેમાં ૬૫થી વધુ ઉંમરના ભાઇબહેનોએ સભ્ય ફી નથી ભરવાની હોતી કે સભ્યપદ રીન્યુ કરવા માટે પણ વાર્ષીક ફી ભરવાની નથી હોતી તે અંગે ગુજરાર્તી સમાજ તરફથી મળેલા એક સ્પષ્ટીકરણની જાહેરાત કરતાં કહ્યું હતું કે સભ્યોએ સભ્યપદના એપ્લિકેશન ફોર્મમાં પોતાની બર્થ ડેઈટ જણાવીને પોતે ૬૫ વર્ષથી વધુ વયના છે તે જાહેર કરીને પોતે સભ્યપદની ફી ભરવા બંધાયેલા નથી એની જાણ લેખિતમાં કરવી જરુરી છે. આ રીતે સભ્યપદ મેળવેલા સભ્યોને ,રેગ્ય્લર સભ્ય તરીકે  હોલની જે  પ્રવેશ ફી વગેરે હોય છે તે ભરીને નવરાત્રી જેવા પ્રસંગોએ પ્રવેશ અપાય છે તે આપવામાં આવશે અને નોન-મેમ્બરનો ચાર્જ વસુલ કરવામાં નહીં આવે. જો કે આવા સભ્યોને વોટીંગ રાઈટ્સ નહીં મળે તથા તેઓ સમાજનું મુખપત્ર ‘દર્પણ’ મેળવવા પણ હકદાર રહેશે નહીં. છેલ્લા ત્રિસેક દિવસથી આ અંગે ઇ-મેઈલ મારફતે સમાજના  માનનીય પ્રમુખશ્રી. નિરંજનભાઇ પટેલ, અને અન્ય કમીટી મેમ્બરો, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ  વગેરે સાથે પત્રવ્યવહાર કરીને સ્પષ્ટતા મેળવી હતી  જેને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના એક માનનીય સભ્ય શ્રી હર્ષદભાઇ પટેલ ( કે જે સમાજમાં ‘હર્ષદ માસ્તર’ તરીકે ઓળખાય છે ) તેમણે ફોન પર કન્ફર્મ કરેલ અને પોતે સિનિયર્સની આ મીટીંગમા જાતે હાજર રહીને પોતાના વતી આ જાહેરાત કરવા શ્રી. નવીન બેન્કરને વિનંતિ કરી હતી. ગુજરાતી સમાજની આ જાહેરાતને સિનિયર્સના સભ્યોએ તાલીઓના ગડગડાટથી વધાવી લીધી હતી અને શ્રી.હર્ષદભાઇનો  તથા ગુજરાતી સમાજનો આભાર માન્યો હતો.

કાર્યક્રમના ત્રીજા ચરણમાં ,હ્યુસ્ટનની ડાયગ્નોસ્ટીક અલ્ટ્રાસાઊન્ડ સર્વીસિસવાળા શ્રીમતી વિભાબેન પટેલે ,સિનિયર્સને ઇકો-કાર્ડીયોગ્રામ,વાસ્ક્યુલર અલ્ટ્રાસોઊન્ડ, જનરલ અલ્ટ્રાસાઊન્ડ અંગે  પ્રાથમિક માહિતી આપી હતી.અલ્ટ્રાસાઊન્ડથી જે નિદાન થાય છે તે કઈ રીતે નુકશાનકારક નથી એ જણાવતા કહ્યું કે એમાં કોઇ જાતની’ ડાઈ’ નથી વપરાતી કે કોઇ પ્રકારના કિરણો શરીરમાં દાખલ થતા નથી કે કોઇ રેડીએશન પણ નથી હોતું અગર દવા પણ પીવી નથી પડતી.હ્રદયના વાલ્વમાં કોઇ અવરોધ તો નથી, આર્ટરીઝમાં કોઇ બ્લોકેજ નથી,જેવી બાબતો કેવી રીતે જાણી શકાય છે તેનું નિર્દેશન કરીને સરળ શબ્દોમાં સમજાવ્યું હતું.હાજર રહેલા કેટલાક જિજ્ઞાસુ દર્દીઓના પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો પણ આપ્યા હતા.

અંતે…સ્વાદીષ્ટ ભોજનનો આસ્વાદ માણીને સૌ છૂટા પડ્યા હતા.

 શ્રી. નવીન બેન્કર

૭૧૩-૭૭૧-૦૦૫૦    E-mail : navinbanker@yahoo.com
 

એક અનોખો સંગીત-કાર્યક્રમ

August 16th, 2011 Posted in અહેવાલ

 

હ્યુસ્ટનમાં હમણાં છઠ્ઠી ઓગસ્ટે એક અનોખા, સુંદર સંગીતના કાર્યક્રમમાં જવાનું થયું.હ્યુસ્ટનના જ એક કવિ, સાહિત્યરસિક મિત્ર અને વિશિષ્ટ માસ્ટર ઓફ સેરિમની ( ઉદઘોષક ) તરીકે ખ્યાતનામ એવા શ્રી.રસેશ દલાલની દીકરી પોતાના નવજાત પુત્ર  આરવને લઈને પિતાને ઘેર આવી  હતી એ નિમિત્તે દાદાશ્રી રસેશભાઇ અને તેમના ધર્મપત્ની દીપાબેને થોડાક સગાં-સ્નેહીઓ અને મિત્રોને વેસ્ટહેમર અને બ્રાયરફોરેસ્ટના જંક્શન પર આવેલા આશિયાનારેસ્ટોરન્ટમાં એક સ્નેહમિલન જેવું કાંઇક રાખ્યું હતું.ભોજન ઉપરાંત સંગીતસંધ્યા જેવું પણ કંઇક ખરું.મને તો એમ કે જમી, નવજાત શિશુને શુભેચ્છા પાઠવી, બેચાર ગીતો સાંભળીને ઘરભેગા થઈ જાશું. 
પણ..જ્યાં સ્ટેજ પર હ્યુસ્ટનની સ્વરકિન્નરી સ્મિતા વસાવડાને જોયા અને તેમની વિશિષ્ટ રજુઆત જોઇ કે બસ..સમગ્ર કાર્યક્રમ માણ્યા વગર ન રહેવાયું. એવું તે શું હતું એ કહેવાતી વિશિષ્ટ રજુઆતમાં ?
શરુઆત રાબેતા મુજબ પ્રાર્થનાથી કર્યા પછી સ્મિતાજીએ નવજાત શિશુને લગતા કેટલાક ગીતો, જન્મને લગતા ગીતો, હાલરડા,પા પા પગલીના ગીતો..શિવાજીનું હાલરડુ..ને એવું બધું યાદ કરી કરીને રજુ કર્યું કે કશુંક નવું નવું સાંભળવાનો મોકો મળ્યો.સ્મિતાજી પોતે પણ મહુવા-ભાવનગર બાજુના નાગરકન્યા છે એટલે રૂપ અને સંગીત તો વારસામાં હોય જ.કેટલાક કાવ્યો પણ વચ્ચે વચ્ચે રજુ કર્યા..કાનજીની વેબસાઈટ વાળું કાવ્ય, શિવાજીનું હાલરડુ, ‘તમે મારા દેવના દીધેલ છો‘, ‘ઠુમક ઠુમક ચલત રામચંદ્ર બાજત પેજનિયાજેવા ગીતો પર શ્રોતાઓએ મન મુકીને દાદ આપી હતી.
 હ્યુસ્ટનના નાટ્યકલાકાર, ભજનીક અને સંગીતકાર એવા શ્રી.હેમંત ભાવસાર અને યોગીનાબેન પટેલે થોડીક મીનીટોની, રંગલો અને રંગલાની સ્કીટ રજુ કરીને શ્રોતાઓને રંગમાં લાવી દીધા હતા.
સ્મિતાબેન વસાવડાની સાથે વોઈસ ઓફ મુકેશ તરીકે હ્યુસ્ટનમાં ખ્યાતનામ થઈ ગયેલા શ્રી. ઉદયન શાહે પણ કેટલાક જાણીતા ફિલ્મી ગીતો રજુ કર્યા હતા.સંગીતમાં તેમને સાથ આપ્યો હતો શ્રી. મહેંદી ખોજાએ અને સાઈડ રીધમ પર શ્રી.હેમંત ભાવસારે.
ભોજન પછી આમંત્રિતોની ફરમાઈશો પર આ બન્ને ગાયકોએ કેટલાક ફિલ્મી ગીતો પણ રજુ કરીને શ્રોતાઓના મન મોહી લીધા હતા.તુજે દેખ દેખ સોના‘,’જીયા ધડક ધડક‘,યે શામ મસ્તાની‘,હોઠોંસે છુ લો તુમ,મેરા ગીત અમર કર દો‘,’આજા સનમ મધુર ચાંદનીમેં‘,’રમૈયા વસ્તાવૈયા‘,’મુજે જીવનકી ડોરસે બાંધ લિયા હયજેવા ગીતો પર શ્રોતાઓએ મનભેર અને માનભેર દાદ આપી હતી.
સ્મિતાબેન વસાવડાના સ્વરમાં રજુ થયેલા ગીતો સાંભળીને સંગીત રસિક શ્રોતાઓ સુંદર નિરામય સંગીતનો આસ્વાદ માણી શકે છે.કાવ્યો, ગીતો, ભજનો અને ગઝલોને આકર્ષક અને આગવી છટામાં રજુ કરીને તેઓશ્રી ગુજરાતી ભાષા અને સંગીતની સાધનામાં ઉત્તમ ફાળો આપે છે. બાળકના જન્મના ઉત્સવના હાલરડા હોય કે કોઈની શોકસભામાં ભજનો હોય, સ્વજનોના સુખમાં શુભેચ્છા પાઠવવાની હોય કે દુઃખમાં સાંત્વન દેવાનું હોય…તેમનો સ્વર,
સંગીતનો ધબકાર સંભળાવે જ. તેમના મીઠા સ્વરમાં આનંદની ખૂશ્બુ છે તો સાથે સાથે પ્રેમનું ગુંજન પણ છે.સ્મિતાબેનની વાણી  સાંભળીએ એટલે એમના કંઠની કમાલનો અનુભવ થાય જ. એમના શબ્દ અને સ્વર આપણા કાનમાં અત્તરનું પુમડુ થઈને મહેંક્યા કરે. એ લીન અને તલ્લીન થઈને ગાય અને આપણે સંગીતના તાલે ડોલ્યા જ કરીએ.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીનલબેન વકીલે સૂપેરે કર્યું હતું. રસેશ દલાલ ઉત્તમ ઉદઘોષક હોવાં છતાં આ વખતે તેમણે સ્ટેજથી છેટા રહીને માઈકને એવોઈડ કર્યું લાગતું હતું. આમંત્રિતોમાં તેમના સગાંસંબંધીઓ ઉપરાંત વલ્લભ પ્રીતિ સેવા સમાજના શ્રીજી-ભક્તો, કમીટીના સભ્યો અને મારા જેવા કેટલાક મિત્રો હતા.
રસેશભાઈ-દીપાબેન, આવો સુદર કાર્યક્રમ યોજવા બદલ અભિનંદન અને નાનકડા શિશુ આરવને તેના સુખી અને સ્વસ્થ જીવન માટે શુભાશિષો.
 
નવીન બેન્કર
૭૧૩-૭૭૧-૦૦૫૦

’ હું રીટાયર થયો’ (ત્રિઅંકી નાટક)-અહેવાલ-નવીન બેંકર.

June 17th, 2011 Posted in અહેવાલ

૧૪ મે ના રોજ, હ્યુસ્ટનના  સ્ટેફોર્ડ સિવિક સેન્ટરમાં, શ્રી.મુકુંદ ગાંધીએ, શ્રી.પ્રવિણ સોલંકી લિખિત અને શ્રી. સિદ્ધાર્થ રાંદેરિયા દિગ્દર્શિત, ત્રિઅંકી ગુજરાતી નાટક ‘હું રીટાયર થયો’  ભજવીને હ્યુસ્ટનના ગુજરાતી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી મુક્યા હતા.

આ નાટકનું કથાબીજ મૂળ તો મરાઠી લેખક સ્વ. શિરવાડકરના સાહિત્ય અકાદમી પુરસ્ક્રુત નાટક ‘નટસમ્રાટ’ને ગણી શકાય જેમાં શ્રીરામ લાગૂએ મુખ્ય ભૂમિકા કરી હતી.તે પછી શ્રી. જશવંત ઠાકરે,૧૯૭૦ના દાયકામાં,એચ.કે.કોલેજના હોલમાં આ ‘નટસમ્રાટ’ ભજવેલું એવું મને યાદ છે.૧૯૯૮ની આસપાસ આ જ નાટક સિદધાર્થ રાંદેરિયાએ ‘ અમારી દુનિયાઃતમારી દુનિયા’ એ નામે ભજવેલું.

એક અને માત્ર એક જ પાત્રની ભૂમિકા પર સમગ્રપણે અવલંબતા નાટકોમાં, આવા મુખ્ય પાત્રને આત્મસાત કરી શકે એવા, આંગણીને વેઢે ગણી શકાય તેવા કલાકારોમાં હ્યુસ્ટનના શ્રી. મુકુંદ ગાંધીને નિઃશંકપણે ગણી શકાય.આ એક એવી ભૂમિકા છે કે જેમાં એક અભિનેતા પોતાની જિંદગીની વિવિધ ભૂમિકાઓ ભજવે છે-કેટલીક રંગમંચની છે તો કે તો કેટલીક વાસ્તવિક જીવનની. અને..આ બન્નેની સહોપસ્થિતી બહુ જ અસરકારક રહી છે. કથાનક અને તેની રજૂઆતમાં ભારોભાર મેલોડ્રામા છે છતાં પણ કથાનકના હાર્દમાં રહેલી નગ્ન વાસ્તવિકતાની અભિવ્યક્તિ આથી ઝાંખી પડતી નથી.

રંગમંચ અને જિંદગીની એકરુપતાને કારણે નટસમ્રાટ અનંતરાય વિદ્યાપતિ તેના ઉત્તરકાળમાં અત્યંત દારુણ પરિસ્થિતિની વચ્ચે પણ જીવનસમ્રાટ બની શક્યો છે .જે કક્ષાએ નટસમ્રાટે રંગભૂમિ અને જીવનનું તાદાત્મ્ય સાધ્યું છે તેટલી કક્ષાએ, શ્રી. મુકુંદ ગાંધીનું પાત્ર સાથે તાદાત્મ્ય છે.જાણે તેઓ પોતાની જ જીવનકથા પ્રદર્શિત કરતા હોય એવું દરેક પ્રેક્ષક અનુભવી રહે છે.શરુઆતના દ્રષ્યમાં પ્રેક્ષકો સાથેનો પ્રત્યક્ષ સંપર્ક તેમ જ અનુરુપ સંવાદોને કારણે એ વધુ સ્વાભાવિક બની શક્યું છે.

આ નાટક માત્ર મેલોડ્રામા જ ન રહેતાં,રમુજની પ્રત્યેક તક લેખક અને દિગ્દર્શકે વિકસાવી છે અને છતાં પાત્રોને હાની નથી પહોંચાડી.પરિસ્થિતીની વિચિત્રતાથી અને તે માટેના કલાકારોના અભિનયમાં વ્યક્ત થતા પ્રતિભાવોથી જ અહીં હાસ્ય નિષ્પન્ન થાય છે.પ્રથમ અંક અને તે પછી વાઘજી પોપટ તથા મોહન પ્યારેના પાત્ર દ્વારા અહીં હાસ્ય ઉપજાવ્યું જ છે.

બધા જ મુખ્ય કલાકારોનો અભિનય અહીં પોતપોતાની ભૂમિકાને અનુરુપ, અતિ-ઉચ્ચકક્ષાનો રહ્યો છે.મુકુંદભાઈ ગાંધી,રક્ષાબેન પટેલ,યોગિનાબેન પટેલ,રસેશ દલાલ,હેમંત ભાવસાર, લલિત શાહ, ઉમા નગરશેઠ વગેરે બધા જ પાત્રો એ ભૂમિકાને સમજી, પચાવી,આત્મસાત કરીને અભિનય કર્યો છે અને કોઈ જ કસર રહેવા દીધી નથી.અરવિંદ પટેલ ( બાના ),મનીષ શાહ, કુલદીપ બારોટ ,મનોજ મહેતા જેવા સક્ષમ કલાકારોને તેમના ફાળે ગૌણ ભૂમિકાઓ આવી હોવાં છતાં,તેમણે પણ પાત્રોચિત અભિનય કરીને  નાટકને સફળ કરવામાં પુરતો ફાળો આપ્યો છે.

આ નાટકમાં, હ્યુસ્ટનના નાટ્યજગતને, બે નવા કલાકારો મળ્યા.યોગિનાબેન પટેલ અને નાનકડી બેબી પંક્તિ ગાલા.’સ્વર્ણિમ ગુજરાત’ની ઉજવણી વખતે ‘રંગલી’ના પાત્રમાં યોગિના નામની આ રુપાળી,ગોરી ગોરી સુંદર, મોટી મોટી ભાવવાહી આંખો ધરાવતી  છોકરી સ્ટેજ પર એવી તો છવાઈ ગઈ હતી કે તે પછી હ્યુસ્ટનમાં તે ‘રંગલી’ તરીકે જ ઓળખાવા લાગી હતી.આ નાટકમાં તેણે અભિનયના ત્રણ જુદા જુદા શેડ્સ દર્શાવ્યા છે.શરુઆતની વ્હાલસોયી લાડકી દીકરી માબાપને પોતાને ઘેર આવેલા જોઈને હરખઘેલી થઈ જતી દીકરી…પછી..માબાપ પ્રત્યે શંકાશીલ બનીને આંખો ફેરવી લઈને રફ ટફ બનેલી સ્ત્રી..અને ..છેલ્લે સત્ય સમજાતાં પોતાને માફ કરી દેવાની કાકલુદી કરતી દીકરી..આ ત્રણે વિવિધ ભાવોને આ છોકરીએ એવી તો સૂપેરે દર્શાવ્યા છે કે તેના અભિનયને સલામ કહેવાનું મન થઈ જાય !

‘છૂક છૂક કરતી ગાડી આવી’ ગાતી, દોડતી, દાદાને હસાવતી, બનાવતી, વ્હાલ કરતી પૌત્રીના પાત્રમાં નાનકડી પંક્તિ ગાલા પણ પ્રેક્ષકોની આંખોને ભિંજવી જાય છે.

હેમંત ભાવસાર, હ્યુસ્ટનના કલાજગતનું એક આદરણિય નામ છે.આ નાટકમાં, દીકરીના ઘરના ,ફિલ્મી રંગે રંગાયેલા નોકરની નાનકડી ભૂમિકામાં તેમણે રમુજની પળો પુરી પાડી છે અને દેવ આનંદ, શાહરુખ ખાન, નાના પાટેકર તેમજ રાજકુમારની મિમિક્રી કરીને પ્રેક્ષકોને ખડખડાટ હસાવ્યા છે.

મુળભુત રીતે, કલાકારો નાટકના દિગ્દર્શનમાં, શ્રી.સિદ્ધાર્થ રાંદેરિયાને જ અનુસર્યા છે. છતાં,હ્યુસ્ટનના દિગ્ગજ દિગ્દર્શકો શ્રીમતી ઉમાબેન નગરશેઠ,શ્રી. અશોક પટેલ અને શ્રી.હેમંત ભાવસારના કિંમતી સલાહસુચનોનો ફાળો પણ નાનો સુનો નથી.

અનંતરાય વિદ્યાપતિની પત્ની મંગળા ( સરકાર ) ના પાત્રમાં ,રક્ષાબેન પટેલ દીકરાના હિસાબની સામે પોતાનો હિસાબ ગણાવે છે તે દ્રશ્યમાં  અને તેમના અંતીમ દ્રશ્યમાં દરેકે દરેક પ્રેક્ષકની આંખ ભીની કરી મૂકે છે. સશક્ત પાત્રાલેખનને કારણે રક્ષાબેન પટેલ મંગળાના પાત્રમાં પ્રેક્ષકોની સહાનુભૂતિ મેળવી જાય છે.HNV ( Houston Natya Kalavrund ) ના ઘણા નાટકોમાં રક્ષાબેને અભિનય કરેલો હોવાથી ખૂબ સાહજિકતાથી આ પાત્ર તેઓ ભજવી શક્યા છે-કહો કે પાત્રને જીવી ગયા છે.સામાન્ય પ્રેક્ષક સરળતાથી સહભાગી થઈ શકે તેવો આ વિષય હોવાથી પ્રેક્ષકોનો રસ છેક સુધી જળવાઈ રહે છે.

રસેશ દલાલે   આ નાટકમાં અનંતરાય વિદ્યાપતીના પુત્રની ભૂમિકામાં- નેગેટીવ રોલમાં- સુંદર ભૂમિકા ભજવી છે.

ઉમા નગરશેઠ આ નાટકમાં પુત્રવધૂ તરીકે નેગેટીવ રોલમાં  દેખા દે છે.પ્રેક્ષકો તેમના પાત્રને ધિક્કારે એટલી સરસ રીતે તેમણે આ ભૂમિકા નીભાવી છે.છેલ્લ વીસ વર્ષથી હ્યુસ્ટનના નાટ્યકલાવ્રુંદના  નાટકોમાં તેમણે વિવિધ ભૂમિકાઓ કરી છે.

નાટકનું પ્રકાશ-આયોજન લલિત શાહ, મનીષ શાહ અને નીલ શાહે સંભાળ્યું હતું.શાંતીભાઈ ગાલા,ગીતાબેન ગાલા તથા મનોજ મહેતાએ સંગીત અને અમિત પાઠક / સંજય શાહે ધ્વની વિભાગ સંભાળ્યા હતા.રંગમંચ સજાવટ માટે શ્રી. વિનયભાઈ અને દક્ષાબેન વોરા,નિરંજન ગાંધી,ભરત મહેતા,તથા કુલદીપ બારોટનો સહયોગ સાંપડ્યો હતો.રંગમંચ વ્યવસ્થા શ્રી.હેમંત ભાવસારે સંભાળી હતી. તો.. પ્રોપર્ટી મેનેજર તરીકે શ્રી.હર્ષદ પટેલ (માસ્તર) અને સજાવટમાં ઉમા નગરશેઠ તથા યોગીનાબેન પટેલનો ફાળો નાનોસુનો નથી.સુરેશ બક્ષી અને પ્રદીપ બ્રહ્મભટે નેપથ્ય સહાય કરી હતી.ફોટોગ્રાફી શ્રી.રવિ બ્રહ્મભટ્ટે,વિડીયોગ્રફી શ્રી.પરેશ શાહે તથા મેક-અપ,રંગભૂષાનો કાર્યભાર શ્રીમતી સુજ્ઞાબેન ગોહીલ,યોગિનાબેન પટેલ અને પાયલ દવે એ સંભાળ્યો હતો.

પુરા એક ડઝન કલાકારો અને પુરા બે ડઝન રંગમંચ સહાયકોના કાફલા સાથે, શ્રી.મુકુંદ ગાંધીએ આ ભગીરથ કાર્યને,પોતાની નીજી મર્યાદાઓ હોવાં છતાં,અને પ્રતિકુળ સંજોગો વચ્ચે પણ સફળતાપુર્વક પાર પાડ્યું તે બદલ હ્યુસ્ટનના કદરદાન પ્રેક્ષકોએ નાટકના અંતે,  સીટ પરથી ઉભા થઈને તાળીઓના ગડગડાટ સહિત સ્ટેન્ડીંગ ઓવેશન આપ્યું હતું.

પ્રેક્ષકોને  વિચારતા કરી મૂકે તેવું ઉંડાણ આ નાટક ‘ હું રીટાયર થયો’માં  છે આ નાટક,અભિનય,દિગ્દર્શન,વાર્તા, જાજરમાન સન્નિવેષ,વાતાવરણ સાચવતું પ્રકાશ આયોજન અને અનુરૂપ વેષભુષા જેવા બધાં જ અંગોમાં ધોરણ સચવાયું હોવાથી શ્રેષ્ઠ રહ્યું.

હ્યુસ્ટનની સાહિત્ય સરિતાના સભ્યોએ પણ આ નાટકની સફળતામાં પોતાનો ફાળો આપ્યો હતો.બધાંના નામોલ્લેખ  આ લેખની સ્થળમર્યાદાને કારણે શક્ય ના હોવાથી એ નામી-અનામી મિત્રો /શુભેચ્છકોનો,  શ્રી. મુકુંદ ગાંધી અને સાહિત્ય સરિતાના સભ્યો આભાર માને છે.

હ્યુસ્ટન એ સંસ્કારનગરી છે. અહીં લેખકો છે, કવિઓ છે,નાટ્યકલાકારો છે, ન્રુત્યકારો છે. વિવેચકો છે, વ્રુતાંતનિવેદકો છે,  દિગ્દર્શકો છે…હ્યુસ્ટનના જ કલાકારો-કસબીઓ દ્વારા ભજવાયેલું આ નાટક અમેરિકાના દરેક શહેરમાં ભજવાય એવી આ અહેવાલ-લેખકની દીલી ખ્વાહિશ છે.

આ નાટક તમારા શહેરમાં ભજવવા માટે સંપર્ક -શ્રી. મુકુંદ ગાંધી-૨૮૧-૨૪૨-૮૫૮૬

નવીન બેન્કર    ૭૧૩-૭૭૧-૦૦૫૦  અને  ઈ મેઈલ એડ્રેસ -navinbanker@yahoo.com     અસ્તુ

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.