ઇન્ડીયન સિનિયર સિટીઝન્સ એસોસિયેશન ઓફ હ્યુસ્ટન-અહેવાલ
તારીખ તેરમી ઓગસ્ટ ૨૦૧૧ને શનિવારે ‘ISCA ‘ની એક ખાસ મીટીંગ,હ્યુસ્ટનના હિલક્રોફ્ટ અને બિસોનેટ સ્ટ્રીટના કોર્નર પર આવેલ બેલેન્ડ કોમ્યુનિટી સેન્ટરમાં યોજવામાં આવી હતી.આ બેઠકમાં એકલ વિદ્યાલય અને વલ્લભ વિદ્યામંદીરના નાના નાના ભુલકાઓએ વાર્તાલાપ સ્વરુપે એક સુંદર સ્કીટ રજુ કરીને ‘સરસ્વતી-વંદનાનો અર્થ’,’યોગાનો અર્થ’,આપણી ભાષામાં બારાખડી,’દરરોજ સ્નાન કરવાના ફાયદાઓ’ વગેરે અંગે રમુજી રીતે ખ્યાલ આપ્યો હતો.શ્રી.વલ્લભ વિદ્યામંદીરના પ્રિન્સિપાલ શ્રીમતી રચનાબેન શાહે વિદ્યામંદીરની પ્રવ્રુત્તીઓનો ચિતાર રજુ કર્યો હતો.કાર્યક્રમમાં ભાગ લેનાર બાળ-કલાકારો હતા -સર્વશ્રી. ઉત્સવ બક્ષી,રણજીત શાહ,હીમાલી શાહ,યશ ધ્રુવ,કેયા શાહ,દેવ ધ્રુવ,પાર્થ શાહ અને ખુદ રચનાબેન શાહ.વૈશાલી બંસલે આ સ્કીટનું દિગ્દર્શન કર્યું હતું.
ત્યારબાદ….શ્રી રમેશભાઇ મોદીએ ઓક્ટોબરમાં ૨૧૨ સિનિયર મેમ્બર્સ સાથે ઉપડનારી ક્રુઝ અંગેની માહિતી આપી હતી.
હ્યુસ્ટન સિનિયર સિટીઝન્સ એસોસિયેશનના સિનિયર મેમ્બર શ્રી, નવીન બેન્કરે, હ્યુસ્ટન ગુજરાતી સમાજના બંધારણની એક જોગવાઇ કે જેમાં ૬૫થી વધુ ઉંમરના ભાઇબહેનોએ સભ્ય ફી નથી ભરવાની હોતી કે સભ્યપદ રીન્યુ કરવા માટે પણ વાર્ષીક ફી ભરવાની નથી હોતી તે અંગે ગુજરાર્તી સમાજ તરફથી મળેલા એક સ્પષ્ટીકરણની જાહેરાત કરતાં કહ્યું હતું કે સભ્યોએ સભ્યપદના એપ્લિકેશન ફોર્મમાં પોતાની બર્થ ડેઈટ જણાવીને પોતે ૬૫ વર્ષથી વધુ વયના છે તે જાહેર કરીને પોતે સભ્યપદની ફી ભરવા બંધાયેલા નથી એની જાણ લેખિતમાં કરવી જરુરી છે. આ રીતે સભ્યપદ મેળવેલા સભ્યોને ,રેગ્ય્લર સભ્ય તરીકે હોલની જે પ્રવેશ ફી વગેરે હોય છે તે ભરીને નવરાત્રી જેવા પ્રસંગોએ પ્રવેશ અપાય છે તે આપવામાં આવશે અને નોન-મેમ્બરનો ચાર્જ વસુલ કરવામાં નહીં આવે. જો કે આવા સભ્યોને વોટીંગ રાઈટ્સ નહીં મળે તથા તેઓ સમાજનું મુખપત્ર ‘દર્પણ’ મેળવવા પણ હકદાર રહેશે નહીં. છેલ્લા ત્રિસેક દિવસથી આ અંગે ઇ-મેઈલ મારફતે સમાજના માનનીય પ્રમુખશ્રી. નિરંજનભાઇ પટેલ, અને અન્ય કમીટી મેમ્બરો, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ વગેરે સાથે પત્રવ્યવહાર કરીને સ્પષ્ટતા મેળવી હતી જેને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના એક માનનીય સભ્ય શ્રી હર્ષદભાઇ પટેલ ( કે જે સમાજમાં ‘હર્ષદ માસ્તર’ તરીકે ઓળખાય છે ) તેમણે ફોન પર કન્ફર્મ કરેલ અને પોતે સિનિયર્સની આ મીટીંગમા જાતે હાજર રહીને પોતાના વતી આ જાહેરાત કરવા શ્રી. નવીન બેન્કરને વિનંતિ કરી હતી. ગુજરાતી સમાજની આ જાહેરાતને સિનિયર્સના સભ્યોએ તાલીઓના ગડગડાટથી વધાવી લીધી હતી અને શ્રી.હર્ષદભાઇનો તથા ગુજરાતી સમાજનો આભાર માન્યો હતો.
કાર્યક્રમના ત્રીજા ચરણમાં ,હ્યુસ્ટનની ડાયગ્નોસ્ટીક અલ્ટ્રાસાઊન્ડ સર્વીસિસવાળા શ્રીમતી વિભાબેન પટેલે ,સિનિયર્સને ઇકો-કાર્ડીયોગ્રામ,વાસ્ક્યુલર અલ્ટ્રાસોઊન્ડ, જનરલ અલ્ટ્રાસાઊન્ડ અંગે પ્રાથમિક માહિતી આપી હતી.અલ્ટ્રાસાઊન્ડથી જે નિદાન થાય છે તે કઈ રીતે નુકશાનકારક નથી એ જણાવતા કહ્યું કે એમાં કોઇ જાતની’ ડાઈ’ નથી વપરાતી કે કોઇ પ્રકારના કિરણો શરીરમાં દાખલ થતા નથી કે કોઇ રેડીએશન પણ નથી હોતું અગર દવા પણ પીવી નથી પડતી.હ્રદયના વાલ્વમાં કોઇ અવરોધ તો નથી, આર્ટરીઝમાં કોઇ બ્લોકેજ નથી,જેવી બાબતો કેવી રીતે જાણી શકાય છે તેનું નિર્દેશન કરીને સરળ શબ્દોમાં સમજાવ્યું હતું.હાજર રહેલા કેટલાક જિજ્ઞાસુ દર્દીઓના પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો પણ આપ્યા હતા.
અંતે…સ્વાદીષ્ટ ભોજનનો આસ્વાદ માણીને સૌ છૂટા પડ્યા હતા.
શ્રી. નવીન બેન્કર
૭૧૩-૭૭૧-૦૦૫૦ E-mail : navinbanker@yahoo.com
No Comments