નાટ્યવિષયક સંસ્મરણો- (૧) June 28th, 2012 Posted in નાટ્યવિષયક સંસ્મરણો નાટ્યવિષયક સંસ્મરણો- (૧) એકાંકી નાટક- ‘જોઇએ છે , જોઇએ છીએ ! લેખક – સ્વ. શ્રી. જયંતિ દલાલ આ એકાંકી નાટક, હું જે બાળમંદીરમાં ધોરણ ૧ થી ૪ ભણેલો તે મોન્ટેસોરી બાળમંદીર કે જે એ જમાનામાં-૧૯૪૬ થી ૧૯૫૨ના ગાળામાં- અમદાવાદની સાંકડીશેરીમાં રંજનબેન દલાલના બાળમંદીર તરીકે પ્રખ્યાત હતુ. આ રંજનબેન એટલે સ્વ.જયંતિ દલાલના પત્ની. મને ખ્યાલ છે ત્યાં સુધી એ બન્નેના પુનર્લગ્ન હતા. એમને મોટા મોટા બાળકો પણ હતા. દીકરીનું નામ જ્યોતિ હતું એવું સ્મરણ છે. આજે આટલા વર્ષે પણ મને રંજનબેનની પ્રતિભાશાળી મુખમુદ્રા, એમની સુંદરતા, જાજરમાન ,આંજી દેતું છતાં સૌમ્ય વ્યક્તિત્વ એવું ને એવું યાદ છે. એ જમાનામાં પુનર્લગ્ન ચર્ચાસ્પદ ગણાતું. મને મારા વડીલો કહેતા-‘તારા રંજનબેને નાતરુ કર્યું,લ્યા !’. જયંતિ દલાલ પણ વિદ્વાન માણસ.ઉંચા-પહોળા વ્યક્તિત્વના સ્વામી. ખુબ મીતભાષી અને સૌમ્ય. હું તો એ વખતે સાત-આઠ વર્ષનો હોઇશ એટલે સૌંદર્ય અંગે સમજ ન હોય, છતાં મને એ વખતે પણ લાગતું કે રંજનબેન જેવી રુપાળી સ્ત્રી આગળ ‘સાહેબ’ શોભતા નથી. દલાલ સાહેબ, ‘સાહેબ’ તરીકે જ ઓળખાતા. હ્યુસ્ટનમાં જેમણે વીસ વર્ષ પહેલાં-૧૯૮૮ થી ૧૯૯૪ દરમ્યાન- હ્યુસ્ટન નાટ્યકલા વ્રુંદના ગુજરાતી નાટકો જોયા હશે તેમને, હેમંત ભાવસાર સાથે કોમેડી રોલમાં અભિનય કરનાર રમોલા દલાલ યાદ હશે જ. આજે ય રમોલાબેન અને તેમના પતિ કિરણભાઇ દલાલ હ્યુસ્ટનમાં જ રહે છે. એ રમોલા દલાલ પણ અમારા આ બાલમંદીરમાં જ ભણેલા.એ વખતે એ રમોલા શેઠ હતા.એમની બે બહેનો અમોલા અને શીલા શેઠ પણ આ બાલમંદીરમાં જ હતાં. શીલા અને હું એક જ વર્ગમાં. રમોલા મને યાદ છે ત્યાં સુધી મારાથી બે વર્ષે નાના હતા. પિસ્તાલીસેક વર્ષ પછી, હ્યુસ્ટનમાં રમોલાબેનને સ્ટેજ પર જોઇને હું ઓળખી ગયો અને નાટક પુરુ થયા પછે રાત્રે બાર વાગ્યે કોઇની પાસેથી એમનો ફોન નંબર મેળવીને મેં એમને ઘેર ફોન કરીને આ વાતની પુષ્ટી કરી હતી. હાં ! તો..વાત જરા આડે પાટે ઉતરી ગઈ અને હું ભુતકાળના સંસ્મરણો વાગોળવા બેસી ગયો…રંજનબેનના બાળમંદીરની રજતજયંતિ ઉજવવાની હતી. મને ય આમંત્રણ હતું. અપુનને કભી ડ્રામા-બામા કિયેલા નહીં, લેકિન ચોબીસ સાલકી ઉમ્રકા મૈં બાંકા જવાન બન ગેયેલા ઔર થોડા ફાંકા ભી આયેલા. એટલે નાટકમાં હીરોકા રોલ મીલતે હી અપુનને હાં કર દી. મારી સાથે દલાલ સાહેબનો કોઇ સગો ચંદ્રકાંત દલાલ પણ સેકન્ડલીડ હીરો હતો.ત્રીજો કલાકાર ભરત ઠક્કર હતો. જગમિત્ર ઝવેરી, યોગેશ શાહ નામના અન્ય કલાકારો સાથે આજના નાટ્યજગતના પીઢ અભિનેતા અમીત દીવેટિયાનો નાનો ભાઇ જગત દીવેટીયા પણ એક નાનકડી ભૂમિકામાં હતો. અને..એક માત્ર સ્ત્રી-કલાકાર તરીકે મંજરી મજમુદાર નામના બહેન હતા. આ નાટકમાં માર્રી ભૂમિકા સનતકુમાર ઘોષ નામના એક બંગાળી યુવકની હતી. આમ તો નાટકમાં છુટ્ટી પાટલીનું ધોતિયુ પહેરવાનું હતું. પણ આપણને પહેલેથી જ ધોતિયુ-બોતિયુ પહેરવું ગમે નહીં. નાટકમાં ધોતિયુ છુટી જાય તો ફીયાસ્કો થઈ જાય એવી ભીતિ પણ ખરી. એટલે સફેદ લેંઘો અને સફેદ ઝભ્ભો પહેરેલો. જો કે મને મનોજકુમારના રોલવાળા ચંદ્રકાંતની જેમ સુટબૂટ પહેરવાની ઇચ્છા હતી. પણ રંજનબેને આંખ દેખાડી એટલે આપણે માની ગયા. આ નાટકમાં સદગુણાનો રોલ કરનાર બહેન મંજરી મજમુદાર સાથે મારા ગમતા, બે ચાર છૂટાછવાયા સંવાદો જેવા યાદ છે તે અહીં લખું છું. આ સંવાદો એટલા માટે યાદ છે કે મેં અરીસા સામે ઉભા રહીને વારંવાર ગોખેલા અને એ પછી યે જીવનમાં ઘણીવાર એક્શન સાથે બોલ્યો છું. ‘ જ્યારથી તમને જોયા છે ત્યારથી હું તો હાર્યો છું અને તમે જીત્યા છો. હવે તો તમારે તમે જીત્યા છો અને હું હાર્યો છું એટલું જ જાહેર કરવાનું.’‘અશરીરી, અલૌકિક પ્રેમ ન કર્યો હોય એવી એક પણ વ્યક્તિ પ્રુથ્વીના પટ પર જીવતી હોય એવું તમે માનો છો, સદગુણાજી ?’‘પ્રિયતમાના પ્રથમ દર્શન લગી પણ રાહ જોઇ ન શકનાર પ્રેમીનો એક માત્ર સંતોષ તો પોતે ન્યારો, અનેરો, અનોખો જ હોય ને ?’– તમે આ સંવાદો અરીસા સામે ઉભા રહી ભાવપ્રદર્શન સહિત, હાથ લાંબા ટૂંકા કરીને બોલી જો જો. તમને મજા આવી જશે. આ નાટક અમદાવાદના મંગળદાસ ટાઉનહોલમાં તારીખ ૨૯ અને ૩૦ ઓક્ટોબર ૧૯૬૪ના બે દિવસો દરમ્યાન ભજવવામાં આવેલું અને ટીકીટના દર રુપિયા બે, ત્રણ અને પાંચ રુપિયા હતા એવું ફોટાઓની પાછળ લખેલી વિગતમાં જણાય છે. Navin Banker http://navinbanker.gujaratisahityasarita.org/ Phone No: 713 771 0050