શતાવધાની રસિકદાદા
August 2nd, 2017 Posted in મારા દિલની વાતો
શતાવધાની રસિકદાદા
હ્યુસ્ટનના સુર્યકાંત બક્ષી ( ચંદ્રકાંત બક્ષી નહીં, હોં ! ) યુગપુરૂષ નાટક જોવા ગયા હતા. રવિવારની બપોરે સાડાત્રણ વાગ્યાનો શો હતો. બક્ષીસાહેબને એમ કે ગુજરાતી નાટક કોઇ દા’ડો ટાઇમસર ચાલુ થતું નથી એટલે જરા મોડા જઈએ તો વાંધો નહીં, પણ ત્રણ વાગ્યે તો હાઉસફુલ થઈ ગયેલું. ગુજરાતી નાટકના કોઇ જાણીતા કલાકારો-સિધ્ધાર્થ રાંદેરિયા કે અપરા મહેતા જેવા- પણ નહીં. એટલે મનોરંજન મેળવવાની આશા પણ નહીં, છતાં સાહેબ… બક્ષીસાહેબ દંગ રહી ગયા.સાલુ હાઉસફુલ અને તે ય, કેશ રોડ પરના નવા સ્ટેફોર્ડ સીવીક સેન્ટરના વિશાળ હોલમાં ! બક્ષીસાહેબને થયું કે હ્યુસ્ટનનું ગુજરાતી પબ્લીક સુધરી ગયું ! ફીફ્ટીપ્લસ થાઈરોડવાળી હિરોઇનોને કુલા લચકાવીને ફિલ્મી ડાન્સ કરતી જોઇને તાળીઓના ગડગડાટ કરતી ગુજરાતી પબ્લીક આવા ક્લાસિકલ નાટકમાં મહાત્મા ગાંધી અને રાજચંદ્રજી જેવા બબ્બે મહાત્માઓને જોવા થિયેટર હાઉસફુલ કરી નાંખે એ તો અદભુત વાત કહેવાય !
બક્ષીસાહેબ એટલે કે સુર્યકાંત બક્ષી સાહેબ હોલમાં પ્રવેશ્યા અને જોયું કે સુજ્ઞ ક્લાસીકલ પ્રેક્ષકો કે જેઓ ભાગ્યે જ ગુજરાતી નાટકો જોવા આવતા તેઓ સીટ પર સમયસર ગોઠવાઈ ગયેલા.
બક્ષીસાહેબે પબ્લીકમાં જાણીતા આગેવાનો, કોમ્યુનીટી લીડરો સાથે વાતચીત શરૂ કરી તો ખબર પડી કે એમાંના મોટાભાગનાએ તો મહાત્મા રાજચંદ્રજીનું નામ સુદ્ધાં સાંભળ્યું ન હતું. એમના વિશે કશું વાંચ્યું સુદ્ધાં ન હતું. પણ ગુજરાતમાં વલસાડ પાસે કે ધરમપુરમાં ક્યાંક કોઇ અદ્યતન હોસ્પિટલ માટે આ ડોલર્સ વપરાવાના છે માટે ઉમદા કાર્યમાં સહભાગી થવા જ પધાર્યા હતા.બાકી રાજચંદ્રજી, મહાત્મા ગાંધી કે ગુજરાતી નાટક સાથે તેમને કશી લેવાદેવા ન હતી.
(૨) નાટકમાં એક દ્રશ્યમાં, શતાવધાની મહાત્મા રાજચંદ્રજી એકી સાથે એકસો કામો અદભુત રીતે કરી શકે છે એ દર્શાવ્યું હતું એ જોઇને બક્ષીસાહેબે બાજુમાં બેઠેલા એક ૭૬ વર્ષની વયના દાદાને પુછ્યું કે ‘દાદા, તમે કેટલા કામ આવી રીતે એકીસાથે કરી શકો છો ?’
તો…દાદા જરા ઓછુ સાંભળે એટલે મોટેથી બોલવાની આદત હોવાથી, જવાબ આપ્યો કે- ‘ભઈલા, હું જ્યારે જવાન હતો ત્યારે સો કામ તો નહીં પણ તૈણ કોમ (ત્રણ કામ ) એકીસાથે કરી શકતો હતો.’
આગલી હરોળમાં બેઠેલી ક્લાસીકલ સન્નારીઓ ભડકી ગઈ અને પાછળ ફરીને જોવા લાગી.
બક્ષીસાહેબ ગભરાયા. આ સારા ઘરની બહેનો આ ત્રણ કામો અંગે શું સમજી બેઠી હશે કે આમ ડોળા કાઢે છે ? ત્યાં તો ૭૬ વર્ષના ‘રસિક’દાદાએ સ્પષ્ટતા કરી. ‘ભઈ, એ તૈણ કામો કયા, ખબર છે ? ટીવી જોતાં જોતાં, કમ્યુટર પર ઇ-મેઇલો વાંચવી અને લોકોના ફોનનો જવાબ આપવો. તમે શું હમજ્યા’તા ?’
પેલી આગલી હરોળની બહેનો ખડખડાટ હસવા લાગી. અને બક્ષીસાહેબનો જીવ પણ હેઠો બેઠો.
બક્ષી સાહેબને એ રસિકદાદાને પુછવાનું મન થઈ ગયું કે દાદા, તમારી જુવાનીના દિવસોમાં ટીવી અને કોમ્યુટરો ક્યાં હતાં ?
શ્રીરામ…શ્રીરામ…..
**************************************************************
Discover something new.