હ્યુસ્ટનના એક સિનીયરે, સ્વ. પત્નીની દ્વિતીય પુણ્યતિથીએ,સંગીતમય અંજલિ અર્પી.-
હ્યુસ્ટનના એક સિનીયરે, સ્વ. પત્નીની દ્વિતીય પુણ્યતિથીએ,સંગીતમય અંજલિ અર્પી.-
અહેવાલ – શ્રી. નવીન બેન્કર
હ્યુસ્ટનના સિનિયર્સ સિટીઝન્સ એસોસિયેશયનના એક વરિષ્ઠ સભ્ય શ્રી. અરૂણ બેન્કરે, પોતાના જન્મદિવસની ઉજવણી, સંગીતનો કાર્યક્રમ સ્પોન્સર કરીને ગઈ ૧૩મી ઓક્ટોબરે કરી હતી. એ જ અરૂણ બેન્કરે પોતાની સ્વ. પત્ની મીનાબેનની દ્વિતીય પુણ્યતિથીએ, સિનીયર્સની મીટીંગમાં હ્યુસ્ટનના ખ્યાતનામ ગાયકો અને સંગીતકારોને આમંત્રિત કરીને તેમ જ બબ્બે મીટીંગોને સ્પોન્સર કરીને, ભવ્ય કાર્યક્રમ યોજ્યો હતો.
૨૫મી જુલાઇ ૨૦૧૫ની મીટીંગમાં, હ્યુસ્ટનના જાણીતા સંગીતકાર, નાટ્યકાર, ગાયક એવા શ્રી. હેમંત ભાવસાર, સ્વરકિન્નરી સ્મિતા વસાવડા, અને મુકેશજીના અવાજ તરીકે ખ્યાતનામ ગાયક શ્રી. ઉદયન શાહના સથવારે, પોતે લખેલી સ્ક્રીપ્ટ દ્વારા, પોતે જ માસ્ટર ઓફ સેરિમની એટલે કે ઉદઘોષક તરીકે એક અતિસુંદર ભવ્ય કાર્યક્રમ સિનીયર્સ સમક્ષ રજૂ કર્યો હતો. ઇન્ડીયામાં, વર્ષો પહેલાં, રેડીયો પર ‘ગીતગાથા’ નામે એક કાર્યક્રમ પ્રસારિત થતો હતો. એ જ સ્ટાઇલમાં, ઉદઘોષક પોતાની પત્ની કે પ્રિયતમા સાથેના ૪૬ વર્ષના દામ્પત્ય જીવનના મધુર કે દર્દીલા સંસ્મરણોની વાત કહેતો જાય અને એ ઘટનાને અનુરૂપ જે કોઇ ફિલ્મીગીત કે શાયરી હાથવગી હોય એને ગાયકો દ્વારા રજૂ કરવામાં આવે. અરૂણભાઇ પોતાની પત્ની સાથેના સંસ્મરણોની વાત કહેતા જાય અને આ ત્રણ ગાયકો એને અનુરુપ ગીત રજૂ કરે. હેમંત ભાવસારે એકાદ બે પ્રાર્થના-ભજન રજૂ કર્યા બાદ, ઉદયન શાહે, ‘ભૂલી હુઈ યાદેં મુજે ઇતના ના સતાઓ’, ‘આપકે અનુરોધ પર મૈં યે ગીત સુનાતા હું’, કહીં દૂર જબ દિન ઢલ જાયે’, જેવા યાદગાર ગીતો ભાવપુર્ણ સ્વરે રજૂ કરીને સિનીયર્સ શ્રોતાઓને ભાવતરબોળ કરી મૂક્યા હતા.
નાગરકન્યા સ્મિતાબેન વસાવડાએ ‘રહે ના રહે હમ’, ‘હમેં ઔર જીનેકી ચાહત ન હોતી’, એક પ્યારકા નગ્મા’, તેરે મેરે મિલનકી યે રૈના’, ‘આપકી આંખોંમેં કુછ મહેંકે હુએ રાઝ હૈ’, ‘ વાદા કર લો ચાંદકે સામને’, જેવા ગીતો રજૂ કરીને શ્રોતાઓના મન મોહી લીધા હતા. વચ્ચે વચ્ચે પોતાની કાઠિયાવાડી ભાષામાં જોક્સ અને મીમીક્રી દ્વારા પણ શ્રોતાઓને ખુબ હસાવતા હતા. તેમના મીઠા સ્વરમાં, કંઠની કમાલનો અનુભવ કરવો એ એક લહાવો છે.
અરૂણ બેન્કર પોતે સારા ભજનિક પણ છે. ખુબ ભજનો તેમણે લખ્યા છે. સ્ક્રીપ્ટ રાઇટર તરીકે પણ સફળ છે. હ્યુસ્ટનમાં વર્ષોથી જાણીતા છે. સિનિયર્સની મીટીંગોમાં અને પિકનીકોમાં આગેવાની લઈને બે વર્ષથી સેવા બજાવી રહ્યા છે.
શ્રી. અરૂણભાઇના પુત્ર ડોક્ટર નિતેશ બેન્કરે, સમગ્ર કાર્યક્રમની વીડીયોગ્રાફી કરી હતી.
એ જ શ્રેણીની બીજી બેઠકમાં, તારીખ ૮ ઓગસ્ટે, ફરીથી હ્યુસ્ટનના બીજા ખ્યાતનામ ગાયકો પ્રકાશ મજમુદાર ( વોઇસ ઓફ મુકેશ ) , મધુર સ્વરની મલ્લિકા બિન્દુ મલહોત્રા, અને દિનેશ ભાવસારને આમંત્રણ આપીને બોલાવ્યા હતા. દિનેશ ભાવસારે, હેમંતકુમારના સ્વરમાં હેમંતદાના ત્રણેક યાદગાર ગીતો રજૂ કરીને શ્રોતાઓનું સ્ટેન્ડીંગ ઓવેશન મેળવ્યું હતું. નમ્ર, અને મિલનસાર સ્વભાવના ‘ડાઉન ટૂ અર્થ’ ગાયક પ્રકાશ મજમુદારે સ્વ. મુકેશજીના કેટલાક યાદગાર ગીતો ગાયા હતા. બિન્દુજી એક જમાનામાં, હ્યુસ્ટનની એક ટીવી ચેનલ પર સંવાદદાતા અને ન્યુઝ રીડર રહી ચૂકેલી ખુબસુરત સન્નારી છે. એના કંઠે ‘ગલીમેં આજ ચાંદ નિકલા’ આરોહ-અવરોહયુક્ત સ્વરે સાંભળવું એ એક લ્હાવો છે. બિન્દુજીએ પણ લગભગ અડધો ડઝન જેટલા ગીતો રજૂ કરીને, પોતાના કંઠના કામણથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી મુક્યા હતા.
વિભાસ ધુરંધર, સિનીયર્સ એસોસિયેશનનો એક સક્રિય મરાઠીભાષીય કાર્યકર છે. ખુબ સારો એક્ટર છે. સ્ટેજ પર તેણે એક્ટીંગ સાથે , ‘ગુલાબી આંખે જો તેરી દેખી’, રજૂ કરીને શ્રોતાઓને રંગમાં લાવી દીધા હતા. વિભાસ ધુરંધરે એક્ટીંગ અને મીમીક્રી ઉપરાંત શ્રી. અરૂણ બેન્કરને માસ્ટર ઓફ સેરિમનીમાં પણ સહયોગ આપ્યો હતો.
આ બીજી બેઠકના કાર્યક્રમમાં અરૂણભાઇનો સુપુત્ર ડોક્ટર નિતેશ બેન્કર, પુત્રવધુ, પૌત્રીઓ, સ્વ. મીનાબેનના પિયરપક્ષના કેટલાક સભ્યો વગેરે પણ હાજર રહ્યા હતા. બન્ને કાર્યક્રમોને શ્રી. અરૂણભાઇએ જ સ્પોન્સર કરીને સિનીયરોને સ્વાદિષ્ટ ભોજનનો અને સાથે સુમધુર સંગીતનો રસાસ્વાદ કરાવ્યો હતો.