અમેરિકાની ભક્તાણીઓની ધર્મભાવના
August 2nd, 2017 Posted in અમેરિકામાં યે અંધશ્રધ્ધા !, Uncategorized
અમેરિકાની ભક્તાણીઓની ધર્મભાવના
એક જાણીતા મંદીરમાં દર અઠવાડીયે, બે થી ત્રણ હજાર ભક્તો (!) આવતા, તે મંદીરે બે વખત ભોજન બંધ કરેલું ત્યારે માત્ર સો-સવાસો ભક્તો જ આવેલા. જે મંદીરમાં પ્રીતિભોજન કે મહાપ્રસાદની જાહેરાત ન હોય એવા ઉત્સવ વખતે માત્ર ૫૦ ભક્તો જ આવે છે અને આવી જાહેરાત થઈ હોય ત્યારે એક હજારથી વધુનું કીડીયારૂ ઉભરાતું જોવા મળે છે. ગયા અઠવાડીયે ત્રણ ત્રણ ઉત્સવો ઉજવ્યા મંદીરોએ. ચૈત્રી આઠમ, હનુમાન જયંતિ અને રામનવમી. હવનમાં ભાગ લેનારા દસ કે વીસ કપલ. અને મહાપ્રાસાદ ટાણે હ્જારથી વધારે. અને ભોજનને અંતે તો , દહીંના ખાલી ડબ્બા અને પ્લાસ્ટીકના ડબ્બામાં દાળ, શાક, ભાત અને દહીંવડા લઈ જવા માટે ભક્તાણીઓ (!) પડાપડી કરતી જોવા મળી હતી.
ભારતમાં કોઇ ગામમાં સમુહભોજન પછી, પતરાળા ઉપાડીને ફેંકે ત્યારે, આવા સંવાદો આંભળવા મળતા-
‘અલી બુન, બધું તમે જ લઈ જશો તો અમારા સોકરા હું ખાશે ?’
‘અલી, તારી પાંહે કોઇ વાહણ હોય તો આલ ને ! મારા ડીકુડા માટે દાલ-ભાત લઈ જઉં…!’
હ્યુસ્ટનના એક મંદીરમાં રસોડામાં,આ સંવાદ સાંભળવા મળ્યો-
‘અરે..મધુબુન.., આ દાળની ડોલ વધી છે . તમારી પાસે કોઇ વાસણ છે લઈ જવાનું ?’
‘ના..મારી પાસે તો નથી પણ ઓલી મનુડી પાસે હશે. એ દર વખતે, કારમાં દહીંના ખાલી ડબ્બાઓ અને પ્લાસ્ટીકના ડબ્બા લઈને જ આવે છે. અને એની પાસે ના મળે તો, પેલી સુરભી પાસે તો આખું ટીફીન જ મળી રહેશે. પણ એણે તો એના ‘ડક’ હારૂ ભરી લીધું હશે.’
‘એમ કરો ને ! કોઇ ઘેર જઈને લઈ આવો. હું આ બધું ખાવાનું ટેબલ નીચે હંતાડી દઉં છું.’
ત્યાં તો પેલી છૂટાછેડા લીધેલી અને ગેસ સ્ટેશન પર કામ કરતી લતા બબ્બે ટીફીનો લઈને હાજર થઈ ગઈ અને દાળ-ભાત-શાક અને રોટલીઓ ભરી લીધી. સ્વીટ્સના પતરાળા તો અગાઉથી મંદીરના રેફ્રીજરેટરમાં ગોઠવાઈ ચૂક્યા હતા.
શાંતિલાલ ગરોળીવાલા આ બધી અમેરિકન ભક્તાણીઓના ખેલ જોઇ રહ્યા હતા…એ પણ ઇશ્વર ભક્તાની દાળ, બટાકા-રીંગણનું શાક, વઘારેલી છાશના રસિયા છે એટલે મંદીરોમાં આવે છે અને નેત્રતૃષા – સમજી ગયાંને ?
ત્યાં તો. મંદીરના પુજારી શાંતિલાલ ગરોળીવાલા પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે ‘શાંતિકાકા, સંકટમોચન ચતુર્થી ૧૪મીએ આવે છે એનું એક પેમ્ફ્લેટ ગુજરાતીમાં બનાવી આપો ને !’છેલ્લી લાઈનમાં ઇશ્વર ભકતાના મહાપ્રસાદની વાત લખવાનું ના ભુલતા. પટલાણીઓને- સોરી, ભક્તાણીઓને- ઇશ્વરભાઇનો મહાપ્રસાદ વધારે ભાવે છે. એની દાળ તો લોકો પ્લાસ્ટીકની બરણીઓ ભરી ભરીને લઈ જાય છે અને અઠવાડીયા સુધી એમના ધણીઓને જમાડે છે.’
મને થયું કે એક વીડીયો ઉતારી લઉં અને વોટ્સ અપ પર મૂકું. પણ પછી થયું કે મારે ગામમાં રહેવું છે ને ! મારી બૈરી જ મને મારે ! જો કે હમણાં તો બૈરી મારે એવી સ્થિતિમાં નથી. કરોડરજ્જુનો બારમો મણકો દબાઈ ગયેલો છે એનો અને પથારીવશ છે.
નવીન બેન્કર
With Love & Regards,
NAVIN BANKER 713-818-4239 ( Cell)
My Blog : navinbanker.gujaratisahityasarita.org
એક અનુભૂતિઃએક અહેસાસ
જગતકાજી બનીને તું, વહોરી ના પીડા લેજે.
Discover something new.