નીલે ગગન કે તલે / મધુ રાય
દિવ્યભાસ્કર/ કળશ પૂર્તિ/ જૂન ૧૭, ૨૦૧૫
નીલે ગગન કે તલે / મધુ રાય ૭૪૭ શબ્દો
કોઈ કહે ચાંદ કોઈ આંખ કા તારા
પહેલાંના જમાનામાં ‘સંતોષી મા’નાં પોસ્ટકાર્ડ સર્કયુલેટ થતાં હતાં, આજના જમાનામાં ભારતને––કે હિન્દુ ધર્મને––શ્રેષ્ઠ પુરવાર કરતા ઇમેઇલ ચકરાવા મારે છે. ‘અગર હિન્દૂ ધર્મ બુરા હૈ તો ક્યોં જુલિયા રોબર્ટ્સને હિન્દૂ ધર્મ અપનાયા હૈ, ઔર કયોં રોજ મંદિર જાતી હૈ? ઇન્ડોનેશિયા કે રૂપયોં કી નોટોં પર ક્યોં ગણેશજી કા ચિત્ર હૈ?’ જેવા તદ્દન સિરપૈર વિનાના ઇમેઈલ ફરતા જ રહે છે જાણે હિંદુ ધર્મ વિશ્વની શ્રેષ્ઠ ચીજ છે, અને ભારત મહાસત્તા હતી, છે, અને ચિરકાળ રહેશે. આ મૂર્ખ વક્રચંદ્ર શેખીખોરો સાચા ભારતની વાસ્તવિક કંગાલિયત સામે આંખે અતીતના પાટા બાંધીને ફરે છે કેમકે ભારતનાં શહેરો દૂષિત હવાથી ખદબદે છે અને વસતીનો એક રાક્ષસી હિસ્સો હીનમાનવ બસ્તીઓમાં શ્વાસ લે છે, સંતાનો જણે છે, અને મરે છે.
નીલે ગગન કે તલે / મધુ રાય ૭૪૭ શબ્દો
કોઈ કહે ચાંદ કોઈ આંખ કા તારા
પહેલાંના જમાનામાં ‘સંતોષી મા’નાં પોસ્ટકાર્ડ સર્કયુલેટ થતાં હતાં, આજના જમાનામાં ભારતને––કે હિન્દુ ધર્મને––શ્રેષ્ઠ પુરવાર કરતા ઇમેઇલ ચકરાવા મારે છે. ‘અગર હિન્દૂ ધર્મ બુરા હૈ તો ક્યોં જુલિયા રોબર્ટ્સને હિન્દૂ ધર્મ અપનાયા હૈ, ઔર કયોં રોજ મંદિર જાતી હૈ? ઇન્ડોનેશિયા કે રૂપયોં કી નોટોં પર ક્યોં ગણેશજી કા ચિત્ર હૈ?’ જેવા તદ્દન સિરપૈર વિનાના ઇમેઈલ ફરતા જ રહે છે જાણે હિંદુ ધર્મ વિશ્વની શ્રેષ્ઠ ચીજ છે, અને ભારત મહાસત્તા હતી, છે, અને ચિરકાળ રહેશે. આ મૂર્ખ વક્રચંદ્ર શેખીખોરો સાચા ભારતની વાસ્તવિક કંગાલિયત સામે આંખે અતીતના પાટા બાંધીને ફરે છે કેમકે ભારતનાં શહેરો દૂષિત હવાથી ખદબદે છે અને વસતીનો એક રાક્ષસી હિસ્સો હીનમાનવ બસ્તીઓમાં શ્વાસ લે છે, સંતાનો જણે છે, અને મરે છે.
આવાં ખારાં વચન બોલવાનું નિમિત્ત છે દિલ્હીના પ્રદૂષણ વિશે ન્યુ યોર્ક ટાઇમ્સના સંવાદદાતા ગાર્ડિનર હેરિસે એક હૃદયમાં ઉઝરડા કરે એવો લેખ લખ્યો છે. એનો સાર છે કે “…ન્યુ યોર્ક ટાઇમ્સના સંવાદદાતા તરીકે મારી બદલી દિલ્હી થઈ ત્યારે અમને ખબર હતી કે ત્યાં જીદ્દી ભિખારીઓ છે, ડેન્ગૂ છે, ૧૨૦ ડિગ્રી ગરમી છે, પણ અમને ધીમે ધીમે સમજાયું કે દિલ્હીનો સૌથી મોટો ખતરો છે, તેનાં હવા, પાણી, ખોરાક અને માખીઓ. અહીંની ઝેરી હવાથી દિલ્હીના ૪૪ લાખ બાળકોનાં ફેફસાં રોગિષ્ટ છે. દિલ્હીની હવામાં બેજિંગ કરતાં બમણું ઝેર છે. સૌથી વધુ ઝેરી હવાવાળાં દુનિયાનાં ૨૫ શહેરોમાંથી ૧૩ શહેર ભારતમાં છે. ભારતના સૌથી મોટા પ્રદૂષણ સંશોધનકારી સાર્થ ગુટ્ટીકોન્ડા પોતાનાં બે બાળકોની સલામતી માટે દિલ્હી છોડીને ગોવા રહેવા ગયા છે, કેમકે ‘બીજે ક્યાંય રહી શકાય તેમ હોય તો કદી દિલ્હીમાં બાળક ઉછેરવું નહી.’
સદીઓથી દિલ્હીમાં દુનિયાભરમાંથી પરદેશીઓ આવી વસ્યા છે, મુત્સદીઓ, આદર્શવાદી યુવક–યુવતીઓ, પત્રકારો, ઉદ્યોગપતિઓ, દાક્તરી કર્મચારીઓ, વિજ્ઞાનિકો, કમ્પુટરનવેશો. રોજી માટે અહીં વસેલા લોકોને કાયમ સવાલ થાય છે કે બાળકોની તબીયતના ભોગે રોટી કમાવી તે અંગત સ્વાર્થ કહેવાય કે નહીં?
દિલ્હીની હવાથી બાળકોનાં ફેફસાં બગડે તે કારણે તેમની જીવાદોરી ટૂંકી થાય છે. પ્રદૂષણથી બાળકોની બુદ્ધિ ઠિંગરાય છે, પ્રદૂષણમાં ઓટિઝમ (મંદબુદ્ધિ), વાઈ, મલ્ટીપલ સ્ક્લેરોસિસ, ડાયાબિટીસ અને પુખ્તવયે થતા બીજા ભીષણ રોગોનું જોખમ છે. અને વિજ્ઞાનિકોના મતે દુનિયાના સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં દિલ્હી મોખરે છે. તેથી દિલ્હીનાં બાળકોનું જીવન કેવું નીવડશે તેની કલ્પના થતી નથી. મોટાંઓને પણ સતત શિરોવેદના, ગળાની ખરાબી, શરદી અને ઊધરસ થતાં રહે છે. મુખ્યમંત્રી કેજરીવાલને પણ ઊધરસ મટાડવા દિલ્હી છોડીને ૧૦ દિવસ બીજે રહેવું પડેલું.
ફક્ત હવાનો જ વાંક છે એવું નથી. દિલ્હીના અરધોઅરધ નિવાસીઓ રસ્તા ઉપર જાજરૂ જાય છે, અને જેમને જાજરૂ છે તેમની ગંદકી સીધેસીધી નદીમાં ફેંકાય છે. અમારા દિલ્હીના એક પાડોશીએ એક દિવસ ફરિયાદ કરેલી કે તેનું પાણી ગટર જેવું ગંધાય છે. પછી બીજાનું પાણી અને પછી ત્રીજાનું એમ ગંધ ચારે તરફ ફેલાઈ. કારણ કે નીચે કોઈ ડેવલપરે ગટરો ખોદાવેલી જેમાંથી અમારા મકાનની પાણીની ટાંકીમાં તેની ગંદકી જતી હતી. અમારા શાવરમાંથી પણ બજરિયા રંગનું પાણી આવવા માંડેલું. પછી અમે ટાંકી ઉપર લઈ ગયા પણ અલબત્ત શહેરની અવસ્થા તેની તે જ છે.
દિલ્હીમાં વાંદરાં, કૂતરાં અને અન્ય પશુઓની વિષ્ટા ઠેર ઠેર દેખાય છે. એની ઉપર માખીઓ બણબણતી હોય છે, જે પાછી ખોરાક ઉપર બેસે છે. … અમે દિલ્હી રહેવા આવ્યાં તે પહેલાં અમારા દીકરાને શ્વાસની તકલીફ થયેલી ને ડોક્ટરોએ કહેલું કે વખત જતાં મટી જશે. પરંતુ દિલ્હી આવ્યા બાદ તેને રોજ દવા લેવી પડે તેવો કાયમી અસ્થમા (દમ) લાગુ પડી ગયો છે. … અને આખરે અમે વોશિંગ્ટન પાછાં આવી ગયાં છીએ.”
ભારતે જીરોની શોધ કરી ને ભારતે પૈડું ફેરવ્યું ને ભારતના વિજ્ઞાનિકોએ પૃથ્વીથી સૂર્યનું અંતર આબાદ કલ્કયુલેટ કરેલું ને ભીમપુત્ર ઘટોત્કચ કા વિશાલકાય કંકાલ ૨૦૦૭ કી સાલ મેં ‘નેશનલ જિઓગ્રાફી’ કી ટીમને ઉત્તર ભારત કે ઇલાકે મેં ખોજા. બધાઈ હો! પણ તેનું આજના ભારતને શું છે? ગાર્ડિનરે જે વાત દિલ્હીની કરી છે તેની તે જ મુંબઈ, કલકત્તા, બંગલુરુ, ચેનૈ ને ઇવન કર્ણાવતી માટે પણ કહી શકાય કે નહીં?
આપણે ધારી લીધું છે કે ભારત એટલે આપણે! પણ સાહેબાન, ભારત એટલે ઉચ્ચ મધ્યમવર્ગના ઓછુંવત્તું ભણેલાં લોકો, આ છાપાનાં વાચકો, ફેસબુક ઉપર મહાલતા જુવાનો કે મોબાઇલ ઉપર મિસકોલતા વડીલો જ નહીં પણ બાકીના શી ખબર લાખો કરોડો બસ્તીવાસીઓ, દલિતો, ભિખારીઓ, વિધવાઓ અને બેપનાહ બાળકો સહિત બે તૃતીયાંશ ભાગ્યપંગુ ભારતવાસીઓ પણ ભારત છે. તે વિરાટ જનગણ પણ ભારતમાં જ વસે છે, શ્વસે છે, એ વાત આપણે ભૂલી જઈએ છીએ. આપણાં સાહિત્યમાં પણ એ જ મધ્યમવર્ગના રોદણાં ને પ્રેમનાં ટાહ્યલાં, આપણી સીરિયલોમાં પણ એ જ ઘસાયેલાં સામાજિક વૃત્તાંતો, આપણાં નાટકોમાં એ જ મધ્યમવર્ગનાં ફારસ અને આપણી ફિલ્મોમાં બિલકુલ મોંમાથા વિનાના હાસ્યાસ્પદ બહાદુરો અને બેહૂદાં કોરસ ગાણાં છે.
આપણી નદીઓ મળથી ખદબદે છે, આપણે પોતે, મધ્યમવર્ગના લોકો, ઉપભોક્તઓ, મોટા ઉદ્યોગોનાં છળકપટથી વ્યવસ્થિત છેતરાતા જઈએ છીએ અને ભૂતકાળના વૈભવની ભ્રામક શેખીમાં તરબતર થઈને સામસામે હલો કરીએ છીએ. ક્યોંકિ ‘ઓબામા અપની જેબ મેં બજરંગબલિ કી ફોટો રખતે હૈં!’ યારો, જરા સોચો કે ગાર્ડિનરની વાત સાચી હોય તો આજની ઝેરી હવામાં જીવતાં બાળકો આવતી કાલની ઠિંગરાયેલી બુદ્ધિવાળી જનતા બનશે થશે ત્યારે શું થશે. જય હનુમાન!
madhu.thaker@gmail.com Tuesday, June 9, 2015
આપણે ધારી લીધું છે કે ભારત એટલે આપણે! પણ સાહેબાન, ભારત એટલે ઉચ્ચ મધ્યમવર્ગના ઓછુંવત્તું ભણેલાં લોકો, આ છાપાનાં વાચકો, ફેસબુક ઉપર મહાલતા જુવાનો કે મોબાઇલ ઉપર મિસકોલતા વડીલો જ નહીં પણ બાકીના શી ખબર લાખો કરોડો બસ્તીવાસીઓ, દલિતો, ભિખારીઓ, વિધવાઓ અને બેપનાહ બાળકો સહિત બે તૃતીયાંશ ભાગ્યપંગુ ભારતવાસીઓ પણ ભારત છે. તે વિરાટ જનગણ પણ ભારતમાં જ વસે છે, શ્વસે છે, એ વાત આપણે ભૂલી જઈએ છીએ. આપણાં સાહિત્યમાં પણ એ જ મધ્યમવર્ગના રોદણાં ને પ્રેમનાં ટાહ્યલાં, આપણી સીરિયલોમાં પણ એ જ ઘસાયેલાં સામાજિક વૃત્તાંતો, આપણાં નાટકોમાં એ જ મધ્યમવર્ગનાં ફારસ અને આપણી ફિલ્મોમાં બિલકુલ મોંમાથા વિનાના હાસ્યાસ્પદ બહાદુરો અને બેહૂદાં કોરસ ગાણાં છે.
આપણી નદીઓ મળથી ખદબદે છે, આપણે પોતે, મધ્યમવર્ગના લોકો, ઉપભોક્તઓ, મોટા ઉદ્યોગોનાં છળકપટથી વ્યવસ્થિત છેતરાતા જઈએ છીએ અને ભૂતકાળના વૈભવની ભ્રામક શેખીમાં તરબતર થઈને સામસામે હલો કરીએ છીએ. ક્યોંકિ ‘ઓબામા અપની જેબ મેં બજરંગબલિ કી ફોટો રખતે હૈં!’ યારો, જરા સોચો કે ગાર્ડિનરની વાત સાચી હોય તો આજની ઝેરી હવામાં જીવતાં બાળકો આવતી કાલની ઠિંગરાયેલી બુદ્ધિવાળી જનતા બનશે થશે ત્યારે શું થશે. જય હનુમાન!
madhu.thaker@gmail.com Tuesday, June 9, 2015