એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » 2017 » May

ગઝલકાર ડોક્ટર મહેશ રાવલ હ્યુસ્ટનમાં- શ્રી.નવીન બેન્કર

May 24th, 2017 Posted in અહેવાલ

ગઝલકાર ડોક્ટર મહેશ રાવલ હ્યુસ્ટનમાંશ્રી.નવીન બેન્કર

છબી સૌજન્ય::શ્રી જયંત પટેલ અને શ્રી પ્રશાંત મુન્શા

   

                                     ગઝલકાર ડો મહેશ રાવલ..

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૭૫મી બેઠક
, શનિવાર ને ૨૦મી મે ૨૦૧૭ની સાંજે, ૪ થી ૭ દરમ્યાન સુગરલેન્ડના માટલેજ રીક્રીએશન સેન્ટરના હોલમાં, લગભગ ૬૦ જેટલા  સાહિત્યરસિકોની હાજરીમાં યોજાઈ ગઈ. આ બેઠકના મુખ્ય મહેમાન, બે એરીઆના ફેમીલી ફિઝીશિયન અને ગઝલકાર ડોક્ટર મહેશ રાવલ હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી. વિજય શાહે સંભાળ્યું હતું.

નયનાબેન શાહે પ્રાર્થનાથી શરૂઆત કર્યા બાદ, સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી. સતીશ પરીખે આવકાર પ્રવચન કરતાં, સંસ્થાની ૧૬ વર્ષની પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો. ૧૨૦૦૦ પાનાના મહાગ્રંથનો પણ ઉલ્લેખ કર્યો. અને દેવિકાબેન ધ્રુવના  હાથમાં માઇક સોંપી દેતાં, શ્રી. મહેશ રાવલનો પરિચય આપવા કહ્યું.

દેવિકાબેન ધ્રુવે શ્રી. મહેશ રાવલનો પરિચય આપતાં કહ્યું કે શ્રી. રાવલ સાહેબ,વ્યવસાયે ફેમીલી ફીઝીશિયન છે અને કેલિફોનિયાના ફ્રીમોન્ટમાં રહે છે. તેઓશ્રી. ચાર દાયકાથી ગઝલો લખે છે. મૂળ સુરેન્દ્રનગરના ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ. શિસ્ત ના આગ્રહી. ખોટું કરવું નહીં અને સહેવું પણ નહીં,એવા સંસ્કારોથી બધ્ધ. અમૃત ઘાયલને પોતાના ગુરૂ માને છે. કૈલાસ પંડીતની ગઝલોમાંથી પ્રેરણા લઈને લખતા થયા.વિકસતા, વિસ્તરતા અને નિખરતા ગયા. તેમના ચાર ગઝલ સંગ્રહો– ‘તુષાર’ (૧૯૭૮), ‘અભિવ્યક્તિ’ (૧૯૯૫), ‘નવેસર’ ( ૨૦૧૫),  અનેખરેખર’.એક ઓડીયો સીડી –‘ શબ્દસર’ . શ્રી. મનહર ઉધાસના બબ્બે આલ્બમોમાં એમની ગઝલોને સ્થાન મળ્યું છે. રજૂઆતની આગવી શૈલી, રદીફકાફિયાનું નાવિન્ય એ તેમની ઓળખ છે. શુધ્ધ છંદની ગૂંથણી. સીધી સાદી તળપદી અને બોલચાલની ભાષા છતાં ધારદાર, ચોટદાર શબ્દોથી બનેલા શેરો માટે શ્રી. રાવલસાહેબ જાણીતા છે. અમદાવાદરાજકોટના દૂરદર્શન પર કાવ્યપઠન ઉપરાંત મુશાયરાના સંચાલન પણ તેમણે કરેલા છે. કેલિફોર્નિયામાં તેમના સર્જન માટે સન્માન પણ કરવામાં આવ્યું.

દેવિકાબેન ધ્રુવે એમના વક્તવ્યના અંતમાં શ્રી. મહેશ રાવલ માટે લખેલી પોતાની ચાર પંક્તિઓ કહી હતી

ગઝલનો બાગ મહેકાવી સભામાં આજ આવ્યા છે

મજલ કાપીને મન માપી સભામાં આજ આવ્યા છે.

ખબર ના હો જો તમને તો કહી દઉં, વાત છાની એ,.

કે  કિસ્સા લાગણીના લઈ સભામાં આજ આવ્યા છે.

ત્યારબાદ, હ્યુસ્ટનના ઘણાં બધાં સર્જકોને ગુજરાતી ફોન્ટ્સ આપીને લખતા કરનાર અને એમેઝોન પર પ્રતિષ્ઠા અપાવનાર શ્રી. વિજય શાહે કાર્યક્રમનો દૌર સંભાળ્યો. સૌ પ્રથમ ગુજરાતી નાટ્યકલા વૃંદના પ્રેસિડેન્ટ અને નાટ્યકાર શ્રી. અશોક પટેલને પોતાની કૃતિ રજૂ કરવા આમંત્રણ આપ્યું.

આટલી તાઝગી ના હોય કદી સવારમાં

એ નક્કી મારા સ્વપ્નમાં આવ્યા હશે. “—

થી શરૂ કરીને  શ્રી. બિપીન પટેલનું એક કાવ્ય વાંચી સંભળાવ્યું.

શૈલાબેન મુન્શાએ કોઇ પાછુ વળી જાયશિર્ષક નીચી એક સુંદર કાવ્ય સંભળાવ્યું.

ખોલું કમાડ હૈયાના, ને કોઇ પાછુ ફરી જાય.

આવીને ઉંબરે દિલના ને કોઇ પાછું ફરી જાય

ચાલતા રસ્તે મળે કદી અણજાણ મુસાફર,

નજરૂં મળે ના મળે, દિલની વાત કળી જાય…”

 દેવિકાબેન ધ્રુવે પોતાની કૃતિ રજૂ કરી– ‘ तो बात बन जाये.’

નજર તારી મળે પળભર અગર, तो बात बन जाये.

નયન સમજે બધું હરદમ અગર तो बात बन जाये.

હજારો કંસ, કાળીનાગ ને  કૌરવ  કરોડો છે,

ફરી કર ધર્મને પગભર અગર, तो बात बन जाये.

 હ્યુસ્ટનના ૯૬ વર્ષની વયના કવિ શ્રી. ધીરૂભાઇ શાહે વર્ષો પહેલાં કવિઓની અને ગઝલકારોની શું સ્થિતિ હતી અને અમદાવાદના રસ્તાઓ કેવાં હતાં એને લગતી રચના રજૂ કરી. હ્યુસ્ટનના કવિ, ગઝલકાર, નાટ્યઅભિનેતા અને ગાયક એવી બહુમુખી પ્રતિભા ધરાવતા, ‘મનુજ હ્યુસ્તોનવીને નામે લખતા કવિ શ્રી. મનોજ મહેતાએ પોતાની ગઝલ કુતૂહલ રજૂ કરી.

પાપ અહિંયા કર્યે જાય છે એટલા, જાય નહાવા પછીથી બનારસ હવે.

ધડકનો શ્વાસનો એક્તારો બની, જીવન સંગીતનો ઘુંટશે રસ હવે.

સત્યને, શીવને, સુંદરમને ભજતાં, જીવ, તું શીવ થઈ અનંતે વસ હવે.

રાખ આકાર, નિતનવા સ્વાંગમાં ભલે, જાણું છું, તું નિરાકાર છે બસ હવે.”

સંસ્થાના ટ્રેઝરર એવા શ્રી. મનસુખ વાઘેલાએ ગદ્યસર્જનમાં ચાર દ્રષ્યોની વાત કહી.

બીજા સર્જકોપ્રવિણાબેન કડકિયા, નીરાબેન, વિનોદ પટેલ અને નુરૂદ્દીન દરેડીઆએ પણ હ્રદયંગમ રચનાઓ રજૂ કરી હતી.

સાડા પાંચ વાગ્યે, વિરામમાં બધાંને ચાહ, બિસ્કીટ અને જ્યુસનો અલ્પાહાર આપ્યા પછી કાર્યક્રમનો દૌર, આજના આમંત્રિત ગઝલકાર  ડોક્ટર શ્રી. મહેશ રાવલે સંભાળતાં કહ્યું કેહું તો પરંપરાનો માણસ છું. ઘાયલ અને મરીઝ ની સ્ટાઇલનો..

એ શોખ છે, આજીવિકાની લાચારી નથી.

મારી ગઝલ કંઈ કોઇની ઓશિયાળી નથી.”

જાહોજલાલી છે નિજાનંદી ખુમારની,

કંઈ જીહજૂરીની ઉઘાડી નાદારી નથી. 

એક દબંગ સ્ટાલની ગઝલ પણ શ્રોતાઓને ખૂબ ગમી હતી. 

વિકસવું છે તો વિકસવાનું વટથી.

વરસવું છે તો વરસવાનું વટથી.

નિજાનંદે લખવું તો લખવું વટથી

મહેશત્વ નહીં છોડવાનું મહેશ,

જીવ્યા એવી રીતે મરવાનું વટથી.”

બહુ ગમેલી અને પ્રેક્ષકો એ વારંવાર તાળીઓથી વધાવેલી તેમની કેટલીક કૃતિઓ

-“નિઃશબ્દતા અને શબ્દ વચ્ચે લાગણી મુકી દ્યો,
લાગણી પણ શાંત નહીં, બેબાકળી મુકી જુઓ,”

– હું હવે મારી દશાની વાત પણ કરતો નથી.
કેમ છો? પૂછી જનારા ક્યાં મઝામાં હોય છે? 

-નમ્યું જો ક્યાંય મસ્તક, તો નમ્યું છે લાગણી ખાતર
ખપે ગરજાઉમાં, એવી ગરજ ક્યાં સાવ રાખી છે! 

-લખું છું એ ગમે છે, ને ગમે છે એ લખું છું હું
કરો જે અર્થ કરવો હોયે, છે એ લખું છું હું

પ્રલંબ લયમાં લખાયેલી એક ગઝલ જુઓ

– ધારણાથી પર થતાં બહુ વાર લાગે છે,
બુંદને સાગર થતાં બહુ વાર લાગે છે.

કંઇ બધાં સમજી શકે નહીં આંખની ભાષા,
એકલું સાક્ષર થતાં બહુ વાર લાગે છે.

જિન્દગીનો અર્થ હું એમ સમજ્યો કે,
પુષ્પથી અત્તર થતાં બહુ વાર લાગે છે.

અત્રે , શ્રી. રાવલે રજૂ કરેલી બધી કૃતિઓ રજૂ કરવી શક્ય નથી તેથી એટલું જ કહીશ કે પૂરા દોઢ કલાક સુધી શ્રી. મહેશ રાવલે કાઠિયાવાડી,મીઠ્ઠી અને તળપદી ભાષામાં એટલી બધી કૃતિઓ સંભળાવી કે શ્રોતાગણે ઘણી રજૂઆતો પર તાળીઓના ગડગડાટ અને ક્યારેક તો સ્ટેન્ડીંગ ઓવેશન આપીને તેમને વધાવી લીધા હતા. તેમની વેબ સાઇટ www.drmahesh.rawal.us

.કાર્યક્રમના અંતમાં આભારવિધિ અને ગ્રુપ ફોટા બાદ સૌ વિખરાયા હતા.

સૌના માનસપટ પર સંવેદનાની એક સચ્ચાઈનો રણકો પડઘાતો હતો.

 અસ્તુ.

નવીન બેંકર

એક શામ…શોભિત દેસાઈકે નામ..અહેવાલ- નવીન બેન્કર

May 8th, 2017 Posted in અહેવાલ

એક શામ...શોભિત દેસાઈકે નામ…
અહેવાલ–નવીન બેન્કર

  

હ્યુસ્ટનની સાહિત્ય સરિતામાં….કવિ-ગઝલકાર શોભિત દેસાઈ…

હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૭૪મી બેઠક, પાંચમી મે, ૨૦૧૭ ને શુક્રવારની સલૂણી સાંજે, સુગરલેન્ડ ના માટલેજ રોડ પર આવેલા રીક્રીએશન સેન્ટરના હોલમાં લગભગ ૧૨૫ જેટલા સાહિત્યપ્રેમીઓની હાજરીમાં, કવિ શ્રી, શોભિત દેસાઇની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.

આ કાર્યક્રમની કેટલીક વિશેષતાઓ હતી..બધું જ સુંદર રીતે આયોજિત, માત્ર RSVP કરેલા સભ્યો અને કેટલાક મહાનુભાવો તથા અનુદાતાઓની જ હાજરી.. પ્રથમ કલાકમાં સ્વાદિષ્ટ ભોજન..પુરા બે કલાક શોભિત દેસાઈનું વક્તવ્યમાત્ર ચાર જ લોકલ સર્જકોની કૃતિઓનું ત્રણ-ચાર મીનીટનું પઠન.

તોમહેફિલની દુનિયાના દોસ્તો, આવો આ વિશિષ્ટ કાર્યક્રમનો નવરંગી નશો માણીએ.

સૌ પ્રથમ આવનાર સભ્યોને સ્વાદિષ્ટ ભોજનનો આસ્વાદ કરાવીને, પ્રમુખ શ્રી.સતિશ પરીખે સ્વાગતના બે શબ્દો  કહ્યા. રેખાબેન બારડે “મંદિર તારું વિશ્વ રૂપાળું” પ્રાર્થના કરી. ખ્યાતનામ વૈજ્ઞાનિક શ્રી. કમલેશ લુલ્લાએ તથા ડો.ઈન્દુબેન શાહે પુષ્પગુચ્છથી કવિશ્રી. શોભિત દેસાઇનું સ્વાગત કર્યું. કાર્યક્રમના સૂત્રધાર કવયિત્રી દેવિકાબેન ધ્રુવે સમગ્ર કાર્યક્રમનો દોર પોતાના હાથમાં લઈ લેતાં, શોભિત દેસાઇનો પરિચય આપતાં કહ્યું કે પયંગબરીના ફૂલ જેવા શેરો ઊછાળતા શ્રી. શોભિતભાઇ મુશાયરાના મહારથી અને જલસાના જ્યોતિર્ધર છે. ૪૨ વર્ષથી સાહિત્યસર્જન કરનાર, ૩૭૦૦થી વધુ જાહેર કાર્યક્રમો આપેલ આ કવિ હવા પર લખી શકવાની આત્મશ્રધ્ધા ધરાવે છે.. તેમના કાવ્યસંગ્રહો, ગઝલસંગ્રહો, નાટકો પારિતોષિકો, સન્માન એવોર્ડ વગેરેની પણ માહિતી કાવ્યાત્મક રીતે આપી હતી. 

શ્રી. સતિશ પરીખે, હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાના સર્જકો, તેમના સર્જન અને પંદર વર્ષની બેઠકોની ઝલક દર્શાવી તથા એ દર્શાવતું એક પુસ્તક પણ શોભિતભાઈને ભેટ આપ્યું. દેવિકાબેને તાજેતરમાં પ્રગટ થયેલ પોતાનું ”કલમને કરતાલે’ પુસ્તક ભેટ આપ્યું..

 

બે કકડે, પૂરા અઢી કલાક વક્તવ્ય આપનાર શોભિત દેસાઈએ શુક્રવારની એ સાંજ સોનેરી, નમણી, લખલૂટ અને રમણીય બનાવી દીધી હતી. કાર્યક્રમના પ્રથમ દૌરમાં તેમણે આપણા ગઝલકારો  શ્રી. મરીઝ, મનહર મોદી, ઘાયલ સાહેબ, કૈલાસ પંડીત, નિદા ફજલી, વગેરેના દિલચશ્પ કિસ્સા અને રચનાઓ કહી સંભળાવી.

એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,

કહેવું હોય ઘણું અને કશું યાદ ન આવે.”      ( મરીઝ)

કૈલાસ પંડીતની નજમ  ‘સિગ્નલોના શ્વાસથી જીવતું નગરપર શ્રોતાઓ ઝૂમી ઉઠ્યા હતા.

કરૂ છું આ ક્ષણે તો બાજી રમવાના વિચારો હું,

જીતું તો મેળવું તમને, જો હારૂં તો તમારો હું.” મસ્તીભરી અદાથી રજૂ કર્યું.
 ****************
નથી મેં ખેપ મંદીરની લગાવી, નથી મેં આશકા માથે ચડાવી’ અને

મરીઝ અને મદીરાની પ્રશસ્તિ કરતા વક્તવ્ય વખતે પ્રેક્ષકો તેમને તાળીઓથી વધાવતાં જતાં હતાં.
*******************
માપી લે પળભરમાં પુરો , કયાસ એનું નામ છે,

ઝળહળે અંધકારમાં, અજવાસ એનું નામ છે.

**********************
એની દુઆથી સમયને સેરવું છું હું,

મરજી મુજબ ગ્રહોને સતત ફેરવું છું હું,

જીવનમાં સાચા નિર્ણયો લીધા છે ક્યાં કદી

નિર્ણય લીધા પછી એને સાચા ઠેરવું છું હું.

નિદા ફજલીની ઉર્દુ કવિતા બચ્ચા સ્કુલ જા રહા હૈતથા રફી-લતાના એક  ખુબ જાણીતા હિન્દી ગીતની તર્જ પર શોભિત દેસાઇએ બનાવેલા ગુજરાતી ગીતની રજૂઆતને શ્રોતાઓએ ખૂબ દાદ દીધી હતી. મંદીરો, મસ્જીદો, સાધુબાવા પર તીવ્ર કટાક્ષ કરતી કવિતાઓને પણ શ્રોતાઓએ ખુબ વખાણી હતી.

યે જો મહંત બૈઠે હૈ, રાધાજીકે કુંડ પર,

અવતાર બનકે કુદેંગે પરિયોં કે ઝુંડ પર.
******************

રમજાનકે દિન મત જાના છત પર,

રોજા ન તોડ દે કોઇ ચાંદ સમજકર.
******************

ઉનસે છીંકે સે કોઇ ચીઝ ઉતરવાઈ હૈ

કામકા કામ ઔર અંગડાઇ કી અંગડાઇ હૈ.
********************

દેખકર સાંવલી સુરત કિસી મતવાલીકી

હું મુસલમાન પર કહે દિયા જય કાલી
*******************

વચ્ચે શોભિતભાઇને વિરામ આપવા, હ્યુસ્ટનના ચાર સર્જકોને પોતાની કૃતિ રજૂ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે સૌ પ્રથમ ભાવનાબેન દેસાઇએ, શોભિત દેસાઈ રચિત ગઝલ “ પૂર્ણ સંતોષી છું, બેડો પાર લાગે છે મને” નું જોગ અને ખમાજ મિશ્રિત રાગમાં પોતે સ્વરાંકન કરી, મધુર સ્વરે ગાઈ સંભળાવી હતી. કવિ શ્રી. સુરેશ બક્ષીએ કેટલાક મુકતકો રજૂ કરીને શ્રોતાઓની દાદ મેળવી હતી. હાઈકુ અને હઝલથી શ્રોતાઓને હસાવતા હાસ્યલેખક અને કવિ શ્રી. ચીમન પટેલે પણ પોતાની કૃતિ મળવાનું થયુંજેમાં કમ્પ્યુટર પર મળતી પ્રિયતમાની વાત કમ્પ્યુટરની ટેક્નીકલ ભાષામાં રજૂ કરીને શ્રોતાઓને મનોરંજન પુરુ પાડ્યું હતું. પ્રવીણાબેન કડકિયાએ શોભિતભાઈની પ્રશસ્તિ કરતી ચાર પંક્તિઓ સંભળાવી હતી. કવયિત્રી દેવિકા ધ્રુવે પોતાની બે રચનાઓ આ ગુજરાત છે’ જેનું સ્વરાંકન શ્રી ગૌરાંગ વ્યાસે કર્યું છે તે તથા ‘પૃથ્વી વતન કહેવાય છેલાક્ષણિક શૈલીમાં રજૂ કરી હતી. 

કાર્યક્રમને અંતે આભાર વિધિ અને સામૂહિક તસ્વીર બાદ સૌ વિખેરાયાં હતાં.

 આ વર્ષની નવી કમિટીના સભ્યોએ પુરા એક મહિનાથી અથાગ પરિશ્રમ કરીને, સુઆયોજીત રીતે કાર્યક્રમ તૈયાર કર્યો હતો. સવા પાંચથી સવા નવ સુધી ચાલેલા આ ચાર કલાકના શ્રેષ્ઠ કાર્યક્રમની સફળતા બદલ સંસ્થાના પ્રમુખ શ્રી. સતિશ પરીખ, ઉપપ્રમુખ શ્રી. નિતીન વ્યાસ અને ખજાનચી શ્રી. મનસુખ વાઘેલા , સુત્રધાર દેવિકાબેન ધ્રુવ તથા કાર્યક્રમના ખર્ચને પહોંચી વળવા અનુદાન આપનાર હસમુખ દોશી અને અન્ય દાતાઓ તથા અન્ય તમામ સહાયકો અભિનંદનના અધિકારી છે. 

અસ્તુ..

 નવીન બેંકર

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.