એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » Page 17027

હ્યુસ્ટનમાં અભેસિંહ રાઠોડ ગ્રુપનો ડાયરો

August 19th, 2011 Posted in અહેવાલ

 

તારીખ ૧૬મી જુલાઈ ૨૦૧૧ને શનિવારની એ રાત…લોકસાહિત્યના અભિસારની એ રાત…ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટનના નેજા હેઠળ, હ્યુસ્ટનના સ્ટેફોર્ડ સિવિક સેન્ટરના હોલમાં રાત્રે નવ વાગ્યાથી બાર વાગ્યા સુધી, લોકસાહિત્યના દિગ્ગજો એવા શ્રી.અભેસિંહ રાઠોડ,સ્વ.હેમુ ગઢવીના સુપુત્ર શ્રી.બિહારીભાઇ ગઢવી, સ્વરકિન્નરી  દમયંતીબેન બરડાઈ જેવા ગાયકોએ ડાયરાની રંગત જમાવી હતી. લોકસાહિત્યમાં આજે જે ગણ્યાગાંઠ્યા નામ બાકી રહ્યા છે તેમાં અભેસિંહ ભાઇ રાઠોડ  એક અગ્રગણ્ય નામ છે.કોઈ તેમને આષાઢી ગાયક કહે છે,તો કોઇ ટહુકતો મોરલો કહે છે.સૌરાષ્ટ્રના ગાયકોમાં જે બુલંદી હોય છે તે અભેસિંહમાં જણાઇ આવે છે.

રાબેતા મુજબ ઇશ્વરની સ્તુતિથી શરુઆત કરીને અભેસિંહભાઇએ છંદ, દુહા,લોકસાહિત્યની વાતોથી ગુંથીને તેમના જાણિતા ગીતો ‘દાદા હો દીકરી’..’રક્ત ટપકતી સો સો ઝોળી’,’કસુંબીનો રંગ’,જય જય ગરવી ગુજરાત’ વગેરે બુલંદ સ્વરે રજુ કરીને પ્રેક્ષકોની તાળીઓના ગડગડાટ મેળવી લીધા હતા.

લોકગાયિકા દમયંતીબેન બરડાઇ પણ લોકસાહિત્યમાં મુઠી-ઊંચેરુ નામ ગણાય છે.તેમણે પણ ‘મારો ટોડલે બેઠો મોર’,’મારે સાસરિયે આણા મોકલો’,’પાટણથી પટોળા મોંઘા લાવજો’, જેવા જાણીતા ગીતોની રમઝટ બોલાવી હતી. સ્વ.હેમુ ગઢવીના સુપુત્ર શ્રી. બિહારીભાઇએ પણ તેમના પિતાજી જેવા જ બુલંદ અવાજે છંદ, દુહાની રમઝટ સાથે લોકગીતોની તડાફડી બોલાવી દીધી હતી.લોકગીતો હોય અને સ્વ.ઝવેરચંદ મેઘાણીને કોઇ યાદ ના કરે એવું તો બને જ નહીં ને !

નવરાત્રિના ગરબાઓમાં ગવાતું ‘હાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગલા વખાણું’ એ શબ્દોમાં સાચો શબ્દ’ પછી’ નથી પણ ‘પથી’ છે અને એ ઘોડીનું નામ હતું એ અંગેની કથા એવી રસપ્રદ રીતે અભેસિંહભાઈએ  સંભળાવી કે શ્રોતાઓને કશુંક નવું જાણવા મળ્યું.

જીતુભાઈ દ્વારકાવાળાએ જોક્સ કહીને પ્રેક્ષકોને ખુબ હસાવ્યા.તેમના ‘વન લાઇનર જોક્સ’ પ્રેક્ષકોને ખુબ ગમ્યા.જીતુભાઇની મંજીરા વગાડવાની સ્ટાઇલે પણ પ્રેક્ષકોને સારુ એવું મનોરંજન પુરુ પાડ્યુ હતું.

આ લોકગાયકોને તબલા પર શ્રી.ચંદ્રકાંત સોલંકી, ઢોલક પર શ્રી.રાજુ પંડ્યા, ઇલેક્ટ્રીક ઓર્ગન પર શ્રી. જનક અમીન,વગેરે એ  સાથ આપ્યો હતો.

કમલેશ ભુપતાણી અને ચકુભાઇ જેવા નેશનલ સ્પોન્સર્સ , ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટન જેવા ખમતીલા  લોકલ પ્રમોટર્સ અને અભેસિંહ રાઠોડ જેવા ખ્યાતનામ ગાયકો હોવાં છતાં, આ વખતે લોકસાહિત્યના આ ડાયરાને શ્રોતાઓનો જોઇએ તેવો પ્રતિસાદ મળ્યો નહી.  આ સીઝનમાં દર અઠવાડીયે એટલા બધા ગુજરાતી કાર્યક્રમો યોજાતા હોય છે કે હવે ‘હાઊસફુલ’ શબ્દ ભુંસાતો જાય છે.ભાગ્યે જ કોઇ કાર્યક્રમમાં પચાસ ટકા ટીકીટો વેચાતી હોય છે.સૌરાષ્ટ્રના ગામડાની લોકકથાઓ,કુટુંબજીવનની વાતો, સાસુવહુની વાતોમાં નવી પેઢીના યુવાન પ્રેક્ષકોને કોઇ જ રસ પડતો નથી હોતો. શ્રોતાઓમાં મોટાભાગના પચાસથી વધુ ઉંમરના જ હોય છે.ડાયરાઓમાં પણ વર્ષો જુના એના એ જ લોકગીતો,સુગમ સંગીતના એ જ ગીતો હોય છે ને !છતાં પણ હજુ અમારા જમાનાના લોકો ( એટલે સિત્તેરે પહોંચેલા ) તો જુનુ એટલું સોનુ ગણીને વારંવાર એ બધું સાંભળવા અને વાગોળવા આવા કાર્યક્રમોમાં દોડે જ.કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટનના ઉત્સાહી કાર્યકરો  શ્રી.અજીત પટેલ,શ્રીમતી નિશાબેન મિરાણી,અને કમિટી મેમ્બરોએ સારી એવી જહેમત ઉઠાવી હતી.

નવીન બેન્કર

૭૧૩-૭૭૧-૦૦૫૦

નાટક ‘હું રિટાયર થયો’ના કલાકારો નો પરિચય

August 19th, 2011 Posted in અહેવાલ

 
 નાટક  ‘હું રિટાયર થયો’ના  કલાકારો નો પરિચય કરાવવો છે.

હેમંત ભાવસારને તો બધા જ ઓળખે છે.સિનિયર સિટીઝન એસોસિયેશન હોય, જૈન સેન્ટરના કાર્યક્રમો હોય, કે ભારતથી પધારેલા મહાન સંગીતકારો હોય,હેમંતભાઇ સ્ટેજ પર મંજીરા સાથે હાજર હોય જ.’ કૈલાસકે નિવાસી’ ભજન તેમના કંઠે સાંભળવું એ એક લહાવો છે.કોઈ સ્વર્ગસ્થની સ્મ્રુતીસભામાં અવારનવાર આપણે તેમને જોયા-સાંભળ્યા છે.મેં આ કલાકારને છેક ૧૯૮૮થી હ્યુસ્ટન નાટ્યકલાવ્રુંદના નાટકોમાં અભિનય કરતા જોયા છે.’પરણ-વા ‘, ‘પડદા પાછળ’ જેવા નાટકોમાં તેમના અભિનયને માણવાનો મને મોકો મળ્યો છે.રમોલા દલાલ અને હેમંત ભાવસારની જોડી હોય એ નાટક હીટ જ હોય એવી ૧૯૯૦ના ગાળામાં સમજ પ્રવરતી હતી.આ નાટકમાં હેમંત ભાવસાર તમને ખુબ હસાવશે અને તમારી આંખોના ખુણા ભીનાં પણ કરી દેશે.

ઉમાબેન નગરશેઠ ભારતની સંસ્ક્રુતિના એમ્બેસેડર ગણાય છે.ઘણાં ગુજરાતી નાટકોના દિગ્દર્શક અને મુખ્ય અભિનેત્રી હોવા ઉપરાંત ‘નાટ્ય-ઉપાસના’ના સંચાલક પણ છે.ઘણાં બધાં ન્રુત્ય પ્રોગ્રામોના તેઓ કોરિયોગ્રાફર પણ રહ્યા છે. ઘણાં  આરંગેત્રમના ગુરુ પણ છે.૧૯૯૭માં હ્યુસ્ટનમાં ભજવેલ ફુલ લેન્થ પ્લે ‘હોનારત’ના દિગ્દર્શક પણ ઉમાબેન હતા.’બુકાની બાંધેલો સ્નોમેન’ તેમનું યાદગાર નાટક હું ગણું છું.’ચોર’ અને ‘અંદર અંદર’ જેવા નાટકોમાં તેમણે  કોમેડી રોલ પણ કર્યા છે.આ નાટકમાં તેમણે એક વિશિષ્ટ રોલ કર્યો છે. ઉમાબેન હ્યુસ્ટનના કલાજગતનું એક રત્ન છે.રક્ષાબેન પટેલ પણ  HNV નું એક મોંઘેરુ નજરાણું છે. આ નાટકમાં  ‘મા’ તરીકે  એ એવા તો છવાઈ જાય છે કે એમના અમુક સંવાદો પર તો તમે આફરીન પોકારી ઉઠશો અને એમના અંતીમ દ્રષ્યમાં તમારી આંખ ભીની ના થાય તો તમે જાણજો કે તમારી અંદર સંવેદનશીલ હૈયું રહ્યું જ નથી .

દરેક માતાને રક્ષાબેનના પાત્રમાં પોતાનું પ્રતિબિંબ દેખાશે.મનોજ મહેતા ખુબસુરત ગઝલકાર, કવિ,ઉપરાંત અચ્છા અભિનેતા પણ છે.’કોઇને માથે કાળ ભમે છે’, ‘ચોર’  જેવા નાટકોમાં તેમણે યાદગાર ભૂમિકાઓ ભજવી છે.મનીષ શાહ પણ અચ્છા અભિનેતા છે.  HNV એ ૧૯૯૭માં ભજવેલ ફુલ લેન્થ પ્લે ‘હોનારત’માં ડોક્ટરના મુખ્ય પાત્રમાં તેમણે યાદગાર અભિનય કરેલો.તેમનો ભાઈ સંદીપ અને માતા ઇન્દુબેન શાહ પણ સારા કલાકારો છે.ઈન્દુબેનને તો આપણે સિનિયર્સર્ની મીટીંગોમાં ઘણી વાર સાંભળ્યા છે. રસેશ દલાલની ઓળખ આપવાની હોય જ નહીં.આજના દૌરમાં, હ્યુસ્ટનના એક સારા માસ્ટર ઓફ સેરીમની ( ઉદ્ઘોષક ) અને સેવાભાવી વોલન્ટીયર તરીકે સેવાઓ આપતા આપણે તેમને દરરોજ જોઈએ છીએ.યોગીનાબેન પટેલને ‘સ્વર્ણીમ ગુજરાત’ની ઉજવણી પછી યોગીના કરતાં ‘રંગલી’ તરીકે બધાં આ હસમુખી,રુપાળી, મોટીમોટી ભાવવાહી આંખોની સ્વામિની એવી મીઠડી છોકરીને ગુજરાતી સમાજના ઘણા કાર્યક્રમોમાં આપણે દોડતી જોઈ છે.આ નાટકમાં દીકરીના રોલમાં તેણે અભિનયના ત્રણ ડીફરંટ શેડ્સ દર્શાવ્યા છે.હાસ્ય, ગુસ્સો અને કરુણતા -એ ત્રણે શેડસમાં તેણે એવો તો સુંદર અભિનય કર્યો છે કે તમે આફરીન પોકારી ઉઠશો.HNV નું  અણમોલ રતન એટલે અરવીંદ ‘બાના’. ‘એક નાટકમાં અરવીંદભાઈએ ‘બાના’ના પારસી રોલમાં એવી તો કમાલ કરી કે લોકો તેમને ‘બાના’ તરીકે જ આજે પંદર વર્ષો પછી યે ઓળખે છે. BAPS (સ્વામિનારાયણ સંપ્રદાય)ના ચુસ્ત અનુયાયી અને સરળ હ્ર્દયના આ કલાકાર સારા અભિનેતા છે. આ નાટકમાં નાનકડા રોલમાં પણ એવી તો સુંદર અદાકારી દાખવી જાય છે કે બસ-લલિત  શાહ – HNV ના જૂના અને જાણીતા જોગી એટલે લલિતભાઈ શાહ.મને યાદ છે કે ૧૯૮૯માં તેમણે ‘કોઈને માથે કાળ ભમે છે’ એ નાટકમાં જગન્નાથની અવિસ્મરણીય ભૂમિકા ભજવેલી.એમનો પહાડી અવાજ એવો તો છવાઇ જાય છે કે જાણે માઈકની જરુર જ ન પડે.આ નાટકમાં પણ તેમની ભૂમિકા સુંદર છે.પંક્તી ગાલા નામની એક નાનકડી બેબી પણ પૌત્રીની ભૂમિકામાં સરસ અભિનય કરી જાય છે. અન્ય ગૌણ પાત્રોમાં કુલદીપ બારોટ નામનો એક જુવાન પણ છે.અને…હવે આવે છે મુખ્ય પાત્રમાં શ્રી. મુકુંદ ગાંધી.હ્યુસ્ટનમાં ગુજરાતી નાત્યકલાકારોનું મંડળ રચવાના સ્વપ્નદ્રષ્ટા….હ્યુસ્ટન નાટ્યકલાવ્રુંદના ભિષ્મ પિતામહ…ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટનના ભૂતપુર્વ પ્રેસિડેન્ટ..ટ્રસ્ટી..સમાજના આગેવાન કાર્યકર..૧૯૯૧માં ‘પત્તાની જોડ’ જેવા ત્રિઅંકી નાટકમાં  ‘દાદાજી’ની અવિસ્મરણીય ભૂમિકા ભજવનાર આ વરીષ્ટ કલાકારે ગુજરાતી સમાજને અને હ્યુસ્ટનના સિનિયર સિટીઝન એસોસિયેશન માટે ફંડ ભેગુ કરી આપ્યું હતું.’હું જે કહીશ તે સત્ય જ કહીશ’ નાટકમાં તેમણે જગન્નાથની ભૂમિકા ભજવેલી અને પ્રેક્ષકો પર છવાઈ ગયેલા.અમારા આ નાટકમાં ગુજરાતી રંગભૂમિના લોકલાડીલા અભિનેતા , નટસમ્રાટ અનંતરાય વિદ્યાપતિની અવિસ્મરણીય ભૂમિકામાં મુકુંદભાઈ એવા તો છવાઈ જાય છે કે પ્રેક્ષકો એકીઅવાજે તેમને નટસમ્રાટ તરીકે સ્ટેન્ડીંગ ઓવેશન આપવા માટે મજબૂર બની જશે. નાટકની  એકે એક ફ્રેમમાં, એકે એક દ્રષ્યમાં સ્ટેજ પર તેમની હાજરી છે..તેમને મુખે બોલાયેલા એકે એક સંવાદો..એકે એક એકોક્તિઓ..પ્રેક્ષકોને હસાવે છે, રડાવે છે..પ્રેક્ષકો તેમના પાત્ર સાથે તાદાત્મ્ય સાધીને તેમના સુખ-દુખમાં ભાગીદાર બની જાય છે.મેં આ નાટકના વીસથી પણ વધુ રીહર્સલો જોયા છે..મારાથી પણ પાંચ-છ વર્ષે મોટા એવા આ વડીલ, કલાકારને જુવાનને શરમાવે એવી સ્ફુર્તીપુર્વક દોડાદોડી કરીને આયોજન કરતા જોયા છે અને હમેશા લઘુતાગ્રંથી અનુભવી છે.શ્રી. હેમંત ભાવસાર , HNVના પ્રેસિડેન્ટ શ્રી.અશોક પટેલ  અને ઉમાબેન નગરશેઠે આ નાટકના દિગ્દર્શનમાં ખુબ ઉપયોગી, કિંમતી સલાહસુચનો આપીને નાટકને ઉત્ક્રુષ્ટ બનાવવામાં અમુલ્ય  ફાળો આપ્યો છે.બસ…મિત્રો…આજે માત્ર આટલું જ. તમે બધાં આખો હોલ ભરી દો અને આપણે બધાં સાથે ઉભા થઈને આ નાટકના, આપણા હ્યુસ્ટનના, તમામ કલાકારોને સ્ટેન્ડીંગ ઓવેશન આપીયે.

નવીન બેન્કર૭૧૩-૭૭૧-૦૦૫૦           E-mail Address : navinbanker@yahoo.com 

 
 

Navin Banker
Phone No: 713 771 0050

ડોક્ટર બળવંત જાનીનો વાર્તાલાપ- નવીન બેંકર

August 19th, 2011 Posted in અહેવાલ

 

આષાઢ સુદ બીજ ને મંગળવાર તારીખ ૧૩ જુલાઈ ૨૦૧૦ ની ખૂશનૂમા સાંજે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદીરના સભાખંડમાં, સાહિત્યવિદ ડોક્ટર બળવંત જાની ના વાર્તાલાપનો એક કાર્યક્રમ સ્વામિનારાયણ મંદીર તથા હ્યુસ્ટન સાહિત્ય સરિતાના ઉપક્રમે લગભગ ત્રણસો જેટલા સાહિત્ય રસિકો સમક્ષ યોજવામાં આવ્યો હતો.
હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાના વર્તમાન કો-ઓર્ડીનેટર શ્રી. હેમંત ગજરાવાલાએ ડો. બળવંત જાનીનો પરિચય કરાવતાં કહ્યું કે તેઓશ્રી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડીન છે.શિક્ષણક્ષેત્રનો તેમને બહોળો અનુભવ છે તથા પોતે સાહિત્યમાં ડોક્ટરેટ કરેલું છે અને તેમના હાથ નીચે વિવિધ વિષયોમાં રીસર્ચ કરીને ત્રીસેક જેટલા સ્કોલરોએ પણ ડોક્ટરેટની પદવી હાંસલ કરેલી છે.તેઓશ્રીએ મધ્યકાલીન સાહિત્ય, ચારણી સાહિત્ય,લોકગીતો, સંત સાહિત્ય અંગે રીસર્ચ કરીને દસ હજારથી પંદર હજારભજનોનું કંપાઇલેશન કર્યું છે તથા બોત્તેર કલાકનું રેકોર્ડીંગ કર્યું છે. જે ગ્રામવાસીઓ વાંચી કે લખી શકતા નથી તેમની પાસેથી સાંભળીને જાતે લખી કે રેકોર્ડીગ કરીને આ ભગીરથ કાર્ય કર્યું છે.બ્રિટનના ડાયસ્પોરા સર્જકોના સાહિત્યનું સંશોધન કરી, સંકલન કરીને તેને અભ્યાસક્રમમાં દાખલ કરવામાં સિંહફાળો આપ્યો છે. બ્રિટનના ૧૨૨ ડાયસ્પોરા સર્જકોની રચનાઓના સંશોધનો થકી ૧૮ વોલ્યુમ તૈયાર કર્યા. અમેરિકામાં સર્જાયેલ ગુજરાતી અમેરીકન ડાયસ્પોરા સાહિત્ય અંગે પણ આવું જ કાર્ય ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાના ઉપક્રમે થઈ રહ્યું છે. આ કાર્ય હાથ પર લેવાની ઘોષણા, આજે આ સભાખંડમાં સૌ પ્રથમવાર હ્યુસ્ટનમાં થઈ રહી છે. આ ઐતિહાસિક ક્ષણના તમે બધા પ્રથમ શ્રોતા અને સાક્ષી છો. આ ઘોષણાને સાહિત્યરસિક શ્રોતાઓએ સ્ટેન્ડીંગ ઓવેશન આપીને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.
BAPS ના શ્રી. ઓજસભાઇએ,તેમનો સંપ્રદાય વિવિધ માધ્યમો દ્વારા ગુજરાતી ભાષા અંગે જે પ્રવ્રુત્તીઓ કરે છે તેની માહિતિ આપતાં ગુજરાતીના ક્લાસિસ, સ્વામિનારાયણ બાળપ્રકાશ જેવા માસિકનું પ્રકાશન, ગુજરાતી સ્પેલીંગ-બીની સ્પર્ધા, વિવિધ શિબિરો તથા અધિવેશનોની માહિતિ આપી. પુજ્યશ્રી. પ્રમુખસ્વામી મહારાજે કહ્યું છે કે ‘ ભાષા, ભોજન અને ભૂષા ( વેશભુષા) એ તો માનવીની ઓળખ છે.બાળકોને સંસ્કાર ભાષાની ઓળખ નહીં આપો તો સંતતી અને સંપત્તી બન્ને ગુમાવશો.’ અત્રે, સંસ્થાના એક બાળ-હરિભક્તે વાલિયો લૂંટારો સંત વાલ્મિકી કેવી રીતે બન્યો તેની ટૂંકી વાર્તા સુંદર રીતે ગુજરાતીમાં રજૂ કરી હતી.
શ્રી. બળવંતભાઇએ તેમના વક્તવ્યમાં જણાવ્યું કે ભારતિય મૂળના લેખકોને વિશ્વકક્ષાએ પારિતોષીકો મળવા લાગ્યા છે. તેમના સર્જન, ચિંતન અને લેખનની નોંધ લેવાવા માંડી છે. મહાભારત જેવા ગ્રંથ પર અંગ્રેજીમાં નાટકો લખાય તે આપણા માટે ગૌરવની વાત છે. છતાં, ડાયસ્પોરા સર્જકોની જ વાત આવે અને માત્ર પન્ના નાયક કે પ્રીતિ સેનગુપ્તાના જ નામ પરદેશના ગુજરાતી લેખક તરીકે લોકો જાણે અને બાકીના કોઇને ના ઓળખે તે કેવું ? પરદેશમાં જે સર્જન થઈ રહ્યું છે તેમની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે તેને હાયર એજ્યુકેશનમાં સ્થાન આપવું જરૂરી છે.દલીત લેખકો કે નારીવાદી લેખકોને હાઇ લાઈટ કરો છો પણ અન્ય સર્જકોનું શું ? ડાયસ્પોરા સર્જક એક જૂદી જ દ્રષ્ટી ધરાવે છે. લોકલ લેખક કરતાં તે સમાજને જૂદી જ નજરે જુએ છે. તેના સર્જનમાં પરદેશની ભૂમી પરનાં આપણા પ્રશ્નો ચરિતાર્થ થાય છે.કાફકા કે કામૂના પશ્ચિમી સાહિત્યની અસર નીચે લખાયેલ ઉન્નત ભ્રૂ ગુજરાતી લેખકો કરતાં આ સર્જક કાંઈક જૂદી જ દ્રષ્ટિ ધરાવે છે.
માણસ ભીડ વચ્ચે પણ એકલો પડી ગયો છે. પન્ના નાયકની એક ક્રુતિ ” હું ” નુ પણ વિવેચન કરતાં તેમણે દરિયા નીચે પથરાયેલી, ભીની, શાંત સ્થિર રેતીને સૂર્ય તાપમાં તપવાનુ, શીશુના કોમળ કોમળ પગ નીચે ખુંદાવાનુ, પવનમાં આમથી તેમ ફંગોળાવાનુ અને કિનારે જવાનુ મન થાય છે પણ….. સતત ભીંસતા સમુદ્રના અપાર પ્રેમને પણ છોડી શકાતો નથી એવા રૂપક દ્વારા ” ન યયૌ, ન તસ્યૌ” (ન અહીંના, ન ત્યાંના) ડાયસ્પોરા સર્જકની પીડાની વાત કરી. ડાયસ્પોરા સર્જકની રચનામાં ડાયસ્પોરીક લાગણીની વાત ના હોય તો એ સાહિત્યનો કોઈ અર્થ નથી.
મધર ટેરેસા અંગે કે શેક્સપિયર અંગે આપણને જેટલી જાણકારી છે તે આપણી ચારણી અમરબાઈ કે સંત દેવીદાસ અંગે નથી તેનુ કારણ એટલું જ છે કે મધર ટેરેસાને અભ્યાસ ક્રમમાં સ્થાન મળ્યું છે જ્યારે અઢારમી સદીમા રક્તપીતિયાની સેવા કરનાર પ્રથમ મહિલા અમરબાઈની કોઈ નોંધ લેવાઈ નથી. વીજળીના ઝબકારે મોતી પરોવી લઈએ એવું કહેનારા ગંગા સતીના ભજનોને અભ્યાસ ક્રમમાં સ્થાન આપીશું ત્યારે જ એમની ઓળખ પ્રસ્થાપિત થશે.
શ્રી બળવંતભાઈએ સ્વામિનારાયણ સંપ્રદાયના ૯ કવિઓની ભક્તિ ભાવના અંગે પણ વાતો કરતાં કવિ બ્રહ્માનંદ ના પદ સાહિત્ય અંગે પણ રસપ્રદ વાતો કરી.
પ્રવચનના અંત ભાગમાં તેમણે કહ્યું કે ગુજરાત ટાઈમ્સને ગુજરાત સરકારની જાહેરખબર મળતી થઈ તે ગુજરાત સરકારની ગુજરાતી ભાષાને પ્રમોટ કરવાની પ્રતિબધ્ધતા દર્શાવે છે.
અંતમાં, B A P S ના શ્રી બાબુભાઈ પટેલે સ્વામિનારાયણ સંપ્રદાય વતી તથા શ્રી હેમંત ગજરાવાલાએ સાહિત્યસરિતા વતી આભાર વિધી કરીને કાર્યક્રમની સમાપ્તિ કરી હતી.
બીજા દિવસે એટલે કે ૧૪મી જુલાઈને બુધવારે સાંજે યુનાઈટેડ સેન્ટ્રલ બેંકના એડવાઈઝરી ડાયરેક્ટર તથા ઈસ્માઈલી કોમ્યુનિટીના અગ્રગણ્ય માનનિય આગેવાન ડો. બરકત ચારણીયાના સૌજન્યથી સેવોયના બેંકવેટ હોલમાં લગભગ ૧૫૦ જેટલા આમંત્રિત સાહિત્યરસિકો માટે ભોજન સાથે શ્રી બળવંતભાઈના વાર્તાલાપનો લાભ મળ્યો હતો.
ગુજરાતી સાહિત્યસરિતાના સભ્યો તથા ઈસ્માઈલી કોમ્યુનિટી ના ગુજરાતી ધુરંધરો સમક્ષ શ્રી બળવંતભાઈએ સુફી કવિયત્રી સંત રાબિયા, શેખ સાદિક અલી, ભોજા ભગત, ઈસરદાન ગઢવી, સંત દેવીદાસના ગુરૂ શ્રી જયરામ શાહ જેવા સંતોની વાતો, તેમના સર્જનની વાતો, તેમના તત્વદર્શન અંગે જણાવતાં કહ્યું કે ઈસમાઈલી પ્રજા “ગીનાન” દ્વારા ગુજરાતી ભાષાની જાળવણી કરીને તેને ગૌરવ અપાવે છે.
કાર્યક્રમના અંત ભાગમાં કવિશ્રી વિનોદ જોશીની સુંદર ક્રુતિ “ફાંસ જરા સી વાગી ગઈ ને વાંસ જેવડું કંઈ ખટકે છે અંદર અંદર” તથા સ્વર્ગસ્થ કવિશ્રી રમેશ પારેખની પંક્તિઓ “અહીં તો માત્ર ટહેલવા આવ્યા હતા રમેશ ને ચરણ અહીં ચોંટી ગયા” સંભળાવી, તેનો રસાસ્વાદ કરાવીને પુર્તિ કરતાં કહ્યું કે “વ્યક્ત ન થઈ શકવાની વેદના માત્ર સર્જકો જ જાણતા હોય છે.”
અસ્તુ………………..

નવીન બેંકર

૭૧૩-૭૭૧-૦૦૫૦.

ઇન્ડીયન સિનિયર સિટીઝન્સ એસોસિયેશન ઓફ હ્યુસ્ટન-અહેવાલ

August 18th, 2011 Posted in અહેવાલ

 

તારીખ તેરમી ઓગસ્ટ ૨૦૧૧ને શનિવારે ‘ISCA ‘ની એક ખાસ મીટીંગ,હ્યુસ્ટનના હિલક્રોફ્ટ અને બિસોનેટ સ્ટ્રીટના કોર્નર પર આવેલ બેલેન્ડ કોમ્યુનિટી સેન્ટરમાં યોજવામાં આવી હતી.આ બેઠકમાં એકલ વિદ્યાલય અને વલ્લભ વિદ્યામંદીરના નાના નાના ભુલકાઓએ વાર્તાલાપ સ્વરુપે એક સુંદર સ્કીટ રજુ કરીને ‘સરસ્વતી-વંદનાનો અર્થ’,’યોગાનો અર્થ’,આપણી ભાષામાં બારાખડી,’દરરોજ સ્નાન કરવાના ફાયદાઓ’ વગેરે અંગે રમુજી રીતે ખ્યાલ આપ્યો હતો.શ્રી.વલ્લભ વિદ્યામંદીરના પ્રિન્સિપાલ શ્રીમતી રચનાબેન શાહે વિદ્યામંદીરની પ્રવ્રુત્તીઓનો ચિતાર રજુ કર્યો હતો.કાર્યક્રમમાં ભાગ લેનાર બાળ-કલાકારો હતા -સર્વશ્રી. ઉત્સવ બક્ષી,રણજીત શાહ,હીમાલી શાહ,યશ ધ્રુવ,કેયા શાહ,દેવ ધ્રુવ,પાર્થ શાહ અને ખુદ રચનાબેન શાહ.વૈશાલી બંસલે આ સ્કીટનું દિગ્દર્શન કર્યું હતું.

ત્યારબાદ….શ્રી રમેશભાઇ મોદીએ ઓક્ટોબરમાં ૨૧૨ સિનિયર મેમ્બર્સ સાથે ઉપડનારી ક્રુઝ અંગેની માહિતી આપી હતી.

હ્યુસ્ટન સિનિયર સિટીઝન્સ એસોસિયેશનના  સિનિયર મેમ્બર શ્રી, નવીન બેન્કરે, હ્યુસ્ટન ગુજરાતી સમાજના બંધારણની એક જોગવાઇ કે જેમાં ૬૫થી વધુ ઉંમરના ભાઇબહેનોએ સભ્ય ફી નથી ભરવાની હોતી કે સભ્યપદ રીન્યુ કરવા માટે પણ વાર્ષીક ફી ભરવાની નથી હોતી તે અંગે ગુજરાર્તી સમાજ તરફથી મળેલા એક સ્પષ્ટીકરણની જાહેરાત કરતાં કહ્યું હતું કે સભ્યોએ સભ્યપદના એપ્લિકેશન ફોર્મમાં પોતાની બર્થ ડેઈટ જણાવીને પોતે ૬૫ વર્ષથી વધુ વયના છે તે જાહેર કરીને પોતે સભ્યપદની ફી ભરવા બંધાયેલા નથી એની જાણ લેખિતમાં કરવી જરુરી છે. આ રીતે સભ્યપદ મેળવેલા સભ્યોને ,રેગ્ય્લર સભ્ય તરીકે  હોલની જે  પ્રવેશ ફી વગેરે હોય છે તે ભરીને નવરાત્રી જેવા પ્રસંગોએ પ્રવેશ અપાય છે તે આપવામાં આવશે અને નોન-મેમ્બરનો ચાર્જ વસુલ કરવામાં નહીં આવે. જો કે આવા સભ્યોને વોટીંગ રાઈટ્સ નહીં મળે તથા તેઓ સમાજનું મુખપત્ર ‘દર્પણ’ મેળવવા પણ હકદાર રહેશે નહીં. છેલ્લા ત્રિસેક દિવસથી આ અંગે ઇ-મેઈલ મારફતે સમાજના  માનનીય પ્રમુખશ્રી. નિરંજનભાઇ પટેલ, અને અન્ય કમીટી મેમ્બરો, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ  વગેરે સાથે પત્રવ્યવહાર કરીને સ્પષ્ટતા મેળવી હતી  જેને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના એક માનનીય સભ્ય શ્રી હર્ષદભાઇ પટેલ ( કે જે સમાજમાં ‘હર્ષદ માસ્તર’ તરીકે ઓળખાય છે ) તેમણે ફોન પર કન્ફર્મ કરેલ અને પોતે સિનિયર્સની આ મીટીંગમા જાતે હાજર રહીને પોતાના વતી આ જાહેરાત કરવા શ્રી. નવીન બેન્કરને વિનંતિ કરી હતી. ગુજરાતી સમાજની આ જાહેરાતને સિનિયર્સના સભ્યોએ તાલીઓના ગડગડાટથી વધાવી લીધી હતી અને શ્રી.હર્ષદભાઇનો  તથા ગુજરાતી સમાજનો આભાર માન્યો હતો.

કાર્યક્રમના ત્રીજા ચરણમાં ,હ્યુસ્ટનની ડાયગ્નોસ્ટીક અલ્ટ્રાસાઊન્ડ સર્વીસિસવાળા શ્રીમતી વિભાબેન પટેલે ,સિનિયર્સને ઇકો-કાર્ડીયોગ્રામ,વાસ્ક્યુલર અલ્ટ્રાસોઊન્ડ, જનરલ અલ્ટ્રાસાઊન્ડ અંગે  પ્રાથમિક માહિતી આપી હતી.અલ્ટ્રાસાઊન્ડથી જે નિદાન થાય છે તે કઈ રીતે નુકશાનકારક નથી એ જણાવતા કહ્યું કે એમાં કોઇ જાતની’ ડાઈ’ નથી વપરાતી કે કોઇ પ્રકારના કિરણો શરીરમાં દાખલ થતા નથી કે કોઇ રેડીએશન પણ નથી હોતું અગર દવા પણ પીવી નથી પડતી.હ્રદયના વાલ્વમાં કોઇ અવરોધ તો નથી, આર્ટરીઝમાં કોઇ બ્લોકેજ નથી,જેવી બાબતો કેવી રીતે જાણી શકાય છે તેનું નિર્દેશન કરીને સરળ શબ્દોમાં સમજાવ્યું હતું.હાજર રહેલા કેટલાક જિજ્ઞાસુ દર્દીઓના પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો પણ આપ્યા હતા.

અંતે…સ્વાદીષ્ટ ભોજનનો આસ્વાદ માણીને સૌ છૂટા પડ્યા હતા.

 શ્રી. નવીન બેન્કર

૭૧૩-૭૭૧-૦૦૫૦    E-mail : navinbanker@yahoo.com
 

એક અનોખો સંગીત-કાર્યક્રમ

August 16th, 2011 Posted in અહેવાલ

 

હ્યુસ્ટનમાં હમણાં છઠ્ઠી ઓગસ્ટે એક અનોખા, સુંદર સંગીતના કાર્યક્રમમાં જવાનું થયું.હ્યુસ્ટનના જ એક કવિ, સાહિત્યરસિક મિત્ર અને વિશિષ્ટ માસ્ટર ઓફ સેરિમની ( ઉદઘોષક ) તરીકે ખ્યાતનામ એવા શ્રી.રસેશ દલાલની દીકરી પોતાના નવજાત પુત્ર  આરવને લઈને પિતાને ઘેર આવી  હતી એ નિમિત્તે દાદાશ્રી રસેશભાઇ અને તેમના ધર્મપત્ની દીપાબેને થોડાક સગાં-સ્નેહીઓ અને મિત્રોને વેસ્ટહેમર અને બ્રાયરફોરેસ્ટના જંક્શન પર આવેલા આશિયાનારેસ્ટોરન્ટમાં એક સ્નેહમિલન જેવું કાંઇક રાખ્યું હતું.ભોજન ઉપરાંત સંગીતસંધ્યા જેવું પણ કંઇક ખરું.મને તો એમ કે જમી, નવજાત શિશુને શુભેચ્છા પાઠવી, બેચાર ગીતો સાંભળીને ઘરભેગા થઈ જાશું. 
પણ..જ્યાં સ્ટેજ પર હ્યુસ્ટનની સ્વરકિન્નરી સ્મિતા વસાવડાને જોયા અને તેમની વિશિષ્ટ રજુઆત જોઇ કે બસ..સમગ્ર કાર્યક્રમ માણ્યા વગર ન રહેવાયું. એવું તે શું હતું એ કહેવાતી વિશિષ્ટ રજુઆતમાં ?
શરુઆત રાબેતા મુજબ પ્રાર્થનાથી કર્યા પછી સ્મિતાજીએ નવજાત શિશુને લગતા કેટલાક ગીતો, જન્મને લગતા ગીતો, હાલરડા,પા પા પગલીના ગીતો..શિવાજીનું હાલરડુ..ને એવું બધું યાદ કરી કરીને રજુ કર્યું કે કશુંક નવું નવું સાંભળવાનો મોકો મળ્યો.સ્મિતાજી પોતે પણ મહુવા-ભાવનગર બાજુના નાગરકન્યા છે એટલે રૂપ અને સંગીત તો વારસામાં હોય જ.કેટલાક કાવ્યો પણ વચ્ચે વચ્ચે રજુ કર્યા..કાનજીની વેબસાઈટ વાળું કાવ્ય, શિવાજીનું હાલરડુ, ‘તમે મારા દેવના દીધેલ છો‘, ‘ઠુમક ઠુમક ચલત રામચંદ્ર બાજત પેજનિયાજેવા ગીતો પર શ્રોતાઓએ મન મુકીને દાદ આપી હતી.
 હ્યુસ્ટનના નાટ્યકલાકાર, ભજનીક અને સંગીતકાર એવા શ્રી.હેમંત ભાવસાર અને યોગીનાબેન પટેલે થોડીક મીનીટોની, રંગલો અને રંગલાની સ્કીટ રજુ કરીને શ્રોતાઓને રંગમાં લાવી દીધા હતા.
સ્મિતાબેન વસાવડાની સાથે વોઈસ ઓફ મુકેશ તરીકે હ્યુસ્ટનમાં ખ્યાતનામ થઈ ગયેલા શ્રી. ઉદયન શાહે પણ કેટલાક જાણીતા ફિલ્મી ગીતો રજુ કર્યા હતા.સંગીતમાં તેમને સાથ આપ્યો હતો શ્રી. મહેંદી ખોજાએ અને સાઈડ રીધમ પર શ્રી.હેમંત ભાવસારે.
ભોજન પછી આમંત્રિતોની ફરમાઈશો પર આ બન્ને ગાયકોએ કેટલાક ફિલ્મી ગીતો પણ રજુ કરીને શ્રોતાઓના મન મોહી લીધા હતા.તુજે દેખ દેખ સોના‘,’જીયા ધડક ધડક‘,યે શામ મસ્તાની‘,હોઠોંસે છુ લો તુમ,મેરા ગીત અમર કર દો‘,’આજા સનમ મધુર ચાંદનીમેં‘,’રમૈયા વસ્તાવૈયા‘,’મુજે જીવનકી ડોરસે બાંધ લિયા હયજેવા ગીતો પર શ્રોતાઓએ મનભેર અને માનભેર દાદ આપી હતી.
સ્મિતાબેન વસાવડાના સ્વરમાં રજુ થયેલા ગીતો સાંભળીને સંગીત રસિક શ્રોતાઓ સુંદર નિરામય સંગીતનો આસ્વાદ માણી શકે છે.કાવ્યો, ગીતો, ભજનો અને ગઝલોને આકર્ષક અને આગવી છટામાં રજુ કરીને તેઓશ્રી ગુજરાતી ભાષા અને સંગીતની સાધનામાં ઉત્તમ ફાળો આપે છે. બાળકના જન્મના ઉત્સવના હાલરડા હોય કે કોઈની શોકસભામાં ભજનો હોય, સ્વજનોના સુખમાં શુભેચ્છા પાઠવવાની હોય કે દુઃખમાં સાંત્વન દેવાનું હોય…તેમનો સ્વર,
સંગીતનો ધબકાર સંભળાવે જ. તેમના મીઠા સ્વરમાં આનંદની ખૂશ્બુ છે તો સાથે સાથે પ્રેમનું ગુંજન પણ છે.સ્મિતાબેનની વાણી  સાંભળીએ એટલે એમના કંઠની કમાલનો અનુભવ થાય જ. એમના શબ્દ અને સ્વર આપણા કાનમાં અત્તરનું પુમડુ થઈને મહેંક્યા કરે. એ લીન અને તલ્લીન થઈને ગાય અને આપણે સંગીતના તાલે ડોલ્યા જ કરીએ.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીનલબેન વકીલે સૂપેરે કર્યું હતું. રસેશ દલાલ ઉત્તમ ઉદઘોષક હોવાં છતાં આ વખતે તેમણે સ્ટેજથી છેટા રહીને માઈકને એવોઈડ કર્યું લાગતું હતું. આમંત્રિતોમાં તેમના સગાંસંબંધીઓ ઉપરાંત વલ્લભ પ્રીતિ સેવા સમાજના શ્રીજી-ભક્તો, કમીટીના સભ્યો અને મારા જેવા કેટલાક મિત્રો હતા.
રસેશભાઈ-દીપાબેન, આવો સુદર કાર્યક્રમ યોજવા બદલ અભિનંદન અને નાનકડા શિશુ આરવને તેના સુખી અને સ્વસ્થ જીવન માટે શુભાશિષો.
 
નવીન બેન્કર
૭૧૩-૭૭૧-૦૦૫૦

’ હું રીટાયર થયો’ (ત્રિઅંકી નાટક)-અહેવાલ-નવીન બેંકર.

June 17th, 2011 Posted in અહેવાલ

૧૪ મે ના રોજ, હ્યુસ્ટનના  સ્ટેફોર્ડ સિવિક સેન્ટરમાં, શ્રી.મુકુંદ ગાંધીએ, શ્રી.પ્રવિણ સોલંકી લિખિત અને શ્રી. સિદ્ધાર્થ રાંદેરિયા દિગ્દર્શિત, ત્રિઅંકી ગુજરાતી નાટક ‘હું રીટાયર થયો’  ભજવીને હ્યુસ્ટનના ગુજરાતી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી મુક્યા હતા.

આ નાટકનું કથાબીજ મૂળ તો મરાઠી લેખક સ્વ. શિરવાડકરના સાહિત્ય અકાદમી પુરસ્ક્રુત નાટક ‘નટસમ્રાટ’ને ગણી શકાય જેમાં શ્રીરામ લાગૂએ મુખ્ય ભૂમિકા કરી હતી.તે પછી શ્રી. જશવંત ઠાકરે,૧૯૭૦ના દાયકામાં,એચ.કે.કોલેજના હોલમાં આ ‘નટસમ્રાટ’ ભજવેલું એવું મને યાદ છે.૧૯૯૮ની આસપાસ આ જ નાટક સિદધાર્થ રાંદેરિયાએ ‘ અમારી દુનિયાઃતમારી દુનિયા’ એ નામે ભજવેલું.

એક અને માત્ર એક જ પાત્રની ભૂમિકા પર સમગ્રપણે અવલંબતા નાટકોમાં, આવા મુખ્ય પાત્રને આત્મસાત કરી શકે એવા, આંગણીને વેઢે ગણી શકાય તેવા કલાકારોમાં હ્યુસ્ટનના શ્રી. મુકુંદ ગાંધીને નિઃશંકપણે ગણી શકાય.આ એક એવી ભૂમિકા છે કે જેમાં એક અભિનેતા પોતાની જિંદગીની વિવિધ ભૂમિકાઓ ભજવે છે-કેટલીક રંગમંચની છે તો કે તો કેટલીક વાસ્તવિક જીવનની. અને..આ બન્નેની સહોપસ્થિતી બહુ જ અસરકારક રહી છે. કથાનક અને તેની રજૂઆતમાં ભારોભાર મેલોડ્રામા છે છતાં પણ કથાનકના હાર્દમાં રહેલી નગ્ન વાસ્તવિકતાની અભિવ્યક્તિ આથી ઝાંખી પડતી નથી.

રંગમંચ અને જિંદગીની એકરુપતાને કારણે નટસમ્રાટ અનંતરાય વિદ્યાપતિ તેના ઉત્તરકાળમાં અત્યંત દારુણ પરિસ્થિતિની વચ્ચે પણ જીવનસમ્રાટ બની શક્યો છે .જે કક્ષાએ નટસમ્રાટે રંગભૂમિ અને જીવનનું તાદાત્મ્ય સાધ્યું છે તેટલી કક્ષાએ, શ્રી. મુકુંદ ગાંધીનું પાત્ર સાથે તાદાત્મ્ય છે.જાણે તેઓ પોતાની જ જીવનકથા પ્રદર્શિત કરતા હોય એવું દરેક પ્રેક્ષક અનુભવી રહે છે.શરુઆતના દ્રષ્યમાં પ્રેક્ષકો સાથેનો પ્રત્યક્ષ સંપર્ક તેમ જ અનુરુપ સંવાદોને કારણે એ વધુ સ્વાભાવિક બની શક્યું છે.

આ નાટક માત્ર મેલોડ્રામા જ ન રહેતાં,રમુજની પ્રત્યેક તક લેખક અને દિગ્દર્શકે વિકસાવી છે અને છતાં પાત્રોને હાની નથી પહોંચાડી.પરિસ્થિતીની વિચિત્રતાથી અને તે માટેના કલાકારોના અભિનયમાં વ્યક્ત થતા પ્રતિભાવોથી જ અહીં હાસ્ય નિષ્પન્ન થાય છે.પ્રથમ અંક અને તે પછી વાઘજી પોપટ તથા મોહન પ્યારેના પાત્ર દ્વારા અહીં હાસ્ય ઉપજાવ્યું જ છે.

બધા જ મુખ્ય કલાકારોનો અભિનય અહીં પોતપોતાની ભૂમિકાને અનુરુપ, અતિ-ઉચ્ચકક્ષાનો રહ્યો છે.મુકુંદભાઈ ગાંધી,રક્ષાબેન પટેલ,યોગિનાબેન પટેલ,રસેશ દલાલ,હેમંત ભાવસાર, લલિત શાહ, ઉમા નગરશેઠ વગેરે બધા જ પાત્રો એ ભૂમિકાને સમજી, પચાવી,આત્મસાત કરીને અભિનય કર્યો છે અને કોઈ જ કસર રહેવા દીધી નથી.અરવિંદ પટેલ ( બાના ),મનીષ શાહ, કુલદીપ બારોટ ,મનોજ મહેતા જેવા સક્ષમ કલાકારોને તેમના ફાળે ગૌણ ભૂમિકાઓ આવી હોવાં છતાં,તેમણે પણ પાત્રોચિત અભિનય કરીને  નાટકને સફળ કરવામાં પુરતો ફાળો આપ્યો છે.

આ નાટકમાં, હ્યુસ્ટનના નાટ્યજગતને, બે નવા કલાકારો મળ્યા.યોગિનાબેન પટેલ અને નાનકડી બેબી પંક્તિ ગાલા.’સ્વર્ણિમ ગુજરાત’ની ઉજવણી વખતે ‘રંગલી’ના પાત્રમાં યોગિના નામની આ રુપાળી,ગોરી ગોરી સુંદર, મોટી મોટી ભાવવાહી આંખો ધરાવતી  છોકરી સ્ટેજ પર એવી તો છવાઈ ગઈ હતી કે તે પછી હ્યુસ્ટનમાં તે ‘રંગલી’ તરીકે જ ઓળખાવા લાગી હતી.આ નાટકમાં તેણે અભિનયના ત્રણ જુદા જુદા શેડ્સ દર્શાવ્યા છે.શરુઆતની વ્હાલસોયી લાડકી દીકરી માબાપને પોતાને ઘેર આવેલા જોઈને હરખઘેલી થઈ જતી દીકરી…પછી..માબાપ પ્રત્યે શંકાશીલ બનીને આંખો ફેરવી લઈને રફ ટફ બનેલી સ્ત્રી..અને ..છેલ્લે સત્ય સમજાતાં પોતાને માફ કરી દેવાની કાકલુદી કરતી દીકરી..આ ત્રણે વિવિધ ભાવોને આ છોકરીએ એવી તો સૂપેરે દર્શાવ્યા છે કે તેના અભિનયને સલામ કહેવાનું મન થઈ જાય !

‘છૂક છૂક કરતી ગાડી આવી’ ગાતી, દોડતી, દાદાને હસાવતી, બનાવતી, વ્હાલ કરતી પૌત્રીના પાત્રમાં નાનકડી પંક્તિ ગાલા પણ પ્રેક્ષકોની આંખોને ભિંજવી જાય છે.

હેમંત ભાવસાર, હ્યુસ્ટનના કલાજગતનું એક આદરણિય નામ છે.આ નાટકમાં, દીકરીના ઘરના ,ફિલ્મી રંગે રંગાયેલા નોકરની નાનકડી ભૂમિકામાં તેમણે રમુજની પળો પુરી પાડી છે અને દેવ આનંદ, શાહરુખ ખાન, નાના પાટેકર તેમજ રાજકુમારની મિમિક્રી કરીને પ્રેક્ષકોને ખડખડાટ હસાવ્યા છે.

મુળભુત રીતે, કલાકારો નાટકના દિગ્દર્શનમાં, શ્રી.સિદ્ધાર્થ રાંદેરિયાને જ અનુસર્યા છે. છતાં,હ્યુસ્ટનના દિગ્ગજ દિગ્દર્શકો શ્રીમતી ઉમાબેન નગરશેઠ,શ્રી. અશોક પટેલ અને શ્રી.હેમંત ભાવસારના કિંમતી સલાહસુચનોનો ફાળો પણ નાનો સુનો નથી.

અનંતરાય વિદ્યાપતિની પત્ની મંગળા ( સરકાર ) ના પાત્રમાં ,રક્ષાબેન પટેલ દીકરાના હિસાબની સામે પોતાનો હિસાબ ગણાવે છે તે દ્રશ્યમાં  અને તેમના અંતીમ દ્રશ્યમાં દરેકે દરેક પ્રેક્ષકની આંખ ભીની કરી મૂકે છે. સશક્ત પાત્રાલેખનને કારણે રક્ષાબેન પટેલ મંગળાના પાત્રમાં પ્રેક્ષકોની સહાનુભૂતિ મેળવી જાય છે.HNV ( Houston Natya Kalavrund ) ના ઘણા નાટકોમાં રક્ષાબેને અભિનય કરેલો હોવાથી ખૂબ સાહજિકતાથી આ પાત્ર તેઓ ભજવી શક્યા છે-કહો કે પાત્રને જીવી ગયા છે.સામાન્ય પ્રેક્ષક સરળતાથી સહભાગી થઈ શકે તેવો આ વિષય હોવાથી પ્રેક્ષકોનો રસ છેક સુધી જળવાઈ રહે છે.

રસેશ દલાલે   આ નાટકમાં અનંતરાય વિદ્યાપતીના પુત્રની ભૂમિકામાં- નેગેટીવ રોલમાં- સુંદર ભૂમિકા ભજવી છે.

ઉમા નગરશેઠ આ નાટકમાં પુત્રવધૂ તરીકે નેગેટીવ રોલમાં  દેખા દે છે.પ્રેક્ષકો તેમના પાત્રને ધિક્કારે એટલી સરસ રીતે તેમણે આ ભૂમિકા નીભાવી છે.છેલ્લ વીસ વર્ષથી હ્યુસ્ટનના નાટ્યકલાવ્રુંદના  નાટકોમાં તેમણે વિવિધ ભૂમિકાઓ કરી છે.

નાટકનું પ્રકાશ-આયોજન લલિત શાહ, મનીષ શાહ અને નીલ શાહે સંભાળ્યું હતું.શાંતીભાઈ ગાલા,ગીતાબેન ગાલા તથા મનોજ મહેતાએ સંગીત અને અમિત પાઠક / સંજય શાહે ધ્વની વિભાગ સંભાળ્યા હતા.રંગમંચ સજાવટ માટે શ્રી. વિનયભાઈ અને દક્ષાબેન વોરા,નિરંજન ગાંધી,ભરત મહેતા,તથા કુલદીપ બારોટનો સહયોગ સાંપડ્યો હતો.રંગમંચ વ્યવસ્થા શ્રી.હેમંત ભાવસારે સંભાળી હતી. તો.. પ્રોપર્ટી મેનેજર તરીકે શ્રી.હર્ષદ પટેલ (માસ્તર) અને સજાવટમાં ઉમા નગરશેઠ તથા યોગીનાબેન પટેલનો ફાળો નાનોસુનો નથી.સુરેશ બક્ષી અને પ્રદીપ બ્રહ્મભટે નેપથ્ય સહાય કરી હતી.ફોટોગ્રાફી શ્રી.રવિ બ્રહ્મભટ્ટે,વિડીયોગ્રફી શ્રી.પરેશ શાહે તથા મેક-અપ,રંગભૂષાનો કાર્યભાર શ્રીમતી સુજ્ઞાબેન ગોહીલ,યોગિનાબેન પટેલ અને પાયલ દવે એ સંભાળ્યો હતો.

પુરા એક ડઝન કલાકારો અને પુરા બે ડઝન રંગમંચ સહાયકોના કાફલા સાથે, શ્રી.મુકુંદ ગાંધીએ આ ભગીરથ કાર્યને,પોતાની નીજી મર્યાદાઓ હોવાં છતાં,અને પ્રતિકુળ સંજોગો વચ્ચે પણ સફળતાપુર્વક પાર પાડ્યું તે બદલ હ્યુસ્ટનના કદરદાન પ્રેક્ષકોએ નાટકના અંતે,  સીટ પરથી ઉભા થઈને તાળીઓના ગડગડાટ સહિત સ્ટેન્ડીંગ ઓવેશન આપ્યું હતું.

પ્રેક્ષકોને  વિચારતા કરી મૂકે તેવું ઉંડાણ આ નાટક ‘ હું રીટાયર થયો’માં  છે આ નાટક,અભિનય,દિગ્દર્શન,વાર્તા, જાજરમાન સન્નિવેષ,વાતાવરણ સાચવતું પ્રકાશ આયોજન અને અનુરૂપ વેષભુષા જેવા બધાં જ અંગોમાં ધોરણ સચવાયું હોવાથી શ્રેષ્ઠ રહ્યું.

હ્યુસ્ટનની સાહિત્ય સરિતાના સભ્યોએ પણ આ નાટકની સફળતામાં પોતાનો ફાળો આપ્યો હતો.બધાંના નામોલ્લેખ  આ લેખની સ્થળમર્યાદાને કારણે શક્ય ના હોવાથી એ નામી-અનામી મિત્રો /શુભેચ્છકોનો,  શ્રી. મુકુંદ ગાંધી અને સાહિત્ય સરિતાના સભ્યો આભાર માને છે.

હ્યુસ્ટન એ સંસ્કારનગરી છે. અહીં લેખકો છે, કવિઓ છે,નાટ્યકલાકારો છે, ન્રુત્યકારો છે. વિવેચકો છે, વ્રુતાંતનિવેદકો છે,  દિગ્દર્શકો છે…હ્યુસ્ટનના જ કલાકારો-કસબીઓ દ્વારા ભજવાયેલું આ નાટક અમેરિકાના દરેક શહેરમાં ભજવાય એવી આ અહેવાલ-લેખકની દીલી ખ્વાહિશ છે.

આ નાટક તમારા શહેરમાં ભજવવા માટે સંપર્ક -શ્રી. મુકુંદ ગાંધી-૨૮૧-૨૪૨-૮૫૮૬

નવીન બેન્કર    ૭૧૩-૭૭૧-૦૦૫૦  અને  ઈ મેઈલ એડ્રેસ -navinbanker@yahoo.com     અસ્તુ

પ્રોસ્ટેટ કેન્સર

April 14th, 2011 Posted in Uncategorized

આજે મારે તમને  પ્રોસ્ટેટ કેન્સર અંગે એવી વાતો કરવી છે કે જે અંગે મોટાભાગના દર્દીઓ પેટછૂટી વાત કરતા શરમાતા હોય છે. ડોક્ટરો પણ બહુ સ્પષ્ટતાથી ઘણી વખત બધુ સ્પષ્ટ કહેતા નથી હોતા.

ટીકા…નિંદા…ભૂલો પ્રત્યે અંગૂલિનિર્દેશ

March 21st, 2011 Posted in સંકલન્

ટીકા…નિંદા…ભૂલો પ્રત્યે અંગૂલિનિર્દેશ

સંકલન – શ્રી. નવીન  બેન્કર

                (‘ એક જ દે ચિનગારીના લેખક શશિન તથા શ્રીમતિ ઈલા દત્ત ના એક લેખના આધારે )

 

ભારતિય કોમ્યૂનિટી તરીકે ભારતીયો ભેગા થવાની, ભેગા થઈ સાથે રહેવાની સમાન ધ્યેય કે હિતો સંબંધિત મજબૂત એકતા ધરાવવાની અણઆવડત ધરાવે છે.સાંસ્કૃતિક,સામાજિક અને રાજકિય સંગઠનો વધતા જાય છે તો તેમાં વિભાજનો અને ખંડનો પણ થયા જ કરે છે.આ બધું માત્ર અને માત્ર અહમને કારણે જ થાય છે.

 

 

 

શરુઆતમા તો વિખવાદકારો સંસ્થાની કોઈપણ સારી પ્રવ્રુત્તિઓમાંથી ભૂલો શોધી કાઢશે. તમે કોઈપણ સારુ કામ શરૂ કરો ત્યારે ક્યાંકને ક્યાંક તો ભૂલો થવાની જ. ક્યારેક યોગ્ય નિર્ણય કરવામાં તમે ભૂલ કરી બેસવાના. તાજેતરમાં જ એક કાર્યક્રમમા અમૂક સુંદર પ્રોગ્રામ અંતમા રાખવાની હિમાલય જેવડી ભૂલ સંચાલકે કરી ( જો કે એને માટે સંચાલક પાસે તેમ કરવાના કારણો પણ હતા જ ) અને એ ઉત્તમ કાર્યક્રમ શ્રોતાઓની ગેરહાજરીને કારણે પ્રેક્ષકો સુધી ના પહોંચી શક્યો.  બસ…સંસ્થાના કાર્યકરો પર માછલા ધોવાયા.બબ્બે-ત્રણ ત્રણ મહિના સુધી કરેલી જહેમત એપ્રીસિયેટ કરવાને બદલે  તેમને જૂતા મારવાનું જ બાકી રખાયું.

 

 

 

કદાચ ટિકાકારોનો હેતુ ,ભૂલો પ્રત્યે માત્ર અંગૂલિનિર્દેશ કરવાનો જ હોઈ શકે. પણ એ ભૂલોને રાઈનો પહાડ કરી દઈને શૂળી પર ચઢાવવા માટે તૈયાર લોકો ટાંપીને બેઠા જ હોય છે.

 

સૌ પ્રથમ તો આવી ટીકાઓ થાય ત્યારે આપણે આત્મનિરિક્ષણ કરવું જોઇયે.

 

આપણી ભૂલ થઈ હોય તો એનો સ્વીકાર કરીને ફરી તેવી ભૂલ ન થાય તે માટે પગલા લેવા જોઈયે.ટીકાકાર સર્જનાત્મક ટીકાકાર હોય તો ભૂલનિર્દેશ પ્રત્યે તેનો આભાર માનવો. પણ ટીકાકાર જો વિઘ્નસંતોષી અને માત્ર કુથલીખોર, હવનમા હાડકા નાખનાર દુષ્ટ માનવી લાગે તો મૌન ધારણ કરી લેવું અને તેની ઉપેક્ષા કરવી. છતાં ટીકામાં જો સાર હોય તો તેટલા અંશે તેનો સ્વીકાર કરીને આત્મદર્શન દ્વારા કંઇક શિખવુ.ટીકાના સરવાળા કરવાને બદલે તેની બાદબાકી કરવી.ટીકાખોરો કોલસા જેવા હોય છે. એ  ઉજળા બને એની રાહ જોવાને બદલે એ જેવા છે તેવા તેને સ્વીકારી લઈને આપણા કાન બંધ કરી દેવા એ જ આપણે માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

 

  ટીકાખોરી એ ચેપી રોગ છે. એ વ્યક્તિ બીજી વ્યક્તિની ટીકા કરે, એ ટીકાનો ભોગ બનેલો માણસ પણ એનાથી યે અદકેરી, આકરી ટીકા કરવા મેદાને પડવાનો કારણ કે  માણસને ટીકાત્મક શબ્દો તીરની જેમ સાલતા હોય છે.

 

માણસ જ્યારે કોઇપણ વસ્તુ, વ્યક્તિ, સ્થિતિ કે પરિસ્થિતીની ટીકા કરતો હોય છે ત્યારે મનોમન પોતાની જાત માટે એ એમ જ માનતો હોય છે કે હું તો આવી ભૂલ ન જ કરત. પોતે તેવા દોષ કે ટીકાપાત્ર પરિસ્થિતિથી સાવ મુક્ત છે. સત્ય માણસને કટુ સ્વાદવાળા ભોજન જેવુ લાગે છે જ્યારે ટીકાભર્યુ અસત્ય તેને  છપ્પનભોગ જેવુ સ્વાદિષ્ટ લાગે છે !

 

 

 

માણસ ટીકા કે નિંદા સહન કરવામા સાવ પોચટ હોય છે.લોકલાજ કે તેના ડર માત્રથી વિહ્વળ બની જાય છે.ટીકાખોર તો નિરાંતે ઊંઘી જાય છે પણ જેની ટીકા થઈ હોય છે તે તો પથારીમાં પાસા ઘસ્યા કરે છે.માટે આપણામા રહેલી સહિષ્ણુતા અને શુભદ્રષ્ટિ જ આપણને ટીકા પર વિજય મેળવવામા મદદરૂપ થાય છે. ટીકાખોર ઘૂવડ જેવા હોય છે. તેમનાથી તેજસ્વી માણસના વ્યક્તિત્વની ધવલતા, ઉજાસ કે પ્રકાશ સહન નથી થતા !  ટીકા ભયંકર હોય છે કારણ કે તે માણસના આત્મગૌરવ પર આક્રમણ કરીને એને હચમચાવી મૂકે છે તથા માણસમા રહેલા ક્રોધને પ્રદિપ્ત કરવાનું પ્રોત્સાહન પૂરુ પાડે છે. આજ લગી થયેલા યુદ્ધોનું જો વિહંગાવલોકન કરવામા આવે તો જણાશે કે શસ્ત્ર કરતા આલોચક કે ટીકાખોરની કથોલી જીભનું કારસ્તાન જ કેન્દ્રસ્થાને રહ્યુ જણાશે.

 

 

 

મારા અંગત મત પ્રમાણે, કોઈપણ ભારતિય સંસ્થામા આગેવાન થયા વગર, સેવા કરવાની વ્રુત્તિ હોય તો માત્ર વોલન્ટિયર તરીકે થાય તેટલું કરવુ. આગળની હરોળમા બેસવાની વ્રુત્તિ ત્યજવી. સ્ટેજ પર મોટા ભા થવાનું તો ટાળવું જ. છેલ્લી હરોળમા બેસીને પ્રવ્રુત્તિઓનો આનંદ માણવો અને ચૂપચાપ વિદાય થવું. ગુપ્ત મતદાન કરવું પણ આંગળી ઉંચી કરવાની થાય તો ધીરેથી ખસી જવું. તાજેતરમાં એક સેવાભાવી સંસ્થાના ટ્રસ્ટીઓની સેવાની કદર કરવાને બદલે તેમની હકાલપટી કરવા માટેના રણશિંગા જોઈને તો મને ઉબકા જ આવી ગયા હતા !

 

ગુજરાતી ભાષાનું એક પણ અખબાર કોમ્યુનિટીના સમાચારો, અહેવાલો લખવા માટે પુરસ્કાર આપતું નથી.  અરે! લેખની નકલ કે જે ઈસ્યૂમા અહેવાલ છપાયો હોય તેની એક કોમ્પ્લિમેન્ટરી કોપી સુદ્ધાં મોકલવાનું સૌજન્ય દાખવતા નથી. લેખકને પણ પોતાના લેખની નકલ મેળવવા માટે લવાજમ ભરવા પડે છે. અને એ ગુજરાતી ભાષાના જતન અને સંવર્ધન માટે ગુજરાતી લેખકે પોતાના કિંમતી સમયનો ભોગ આપીને સમાજ માટે કંઈક કર્યાનો વાંઝિયો સંતોષ માનવાનો !ફોટા પાડો, સ્કેન કરો, કેપ્શનડ કરો, ઇ-મેઈલ કરો.. ફોર વોટ ? તમારુ એક નામ લેખ નીચે છપાયેલું જોઈને મિથ્યાભિમાન સંતોષવા માટે અને.. કોઈની શરતચૂકથી કોઈ કાર્યકરનો નામોલ્લેખ કરવાનો રહી ગયો હોય તો તો આવી જ બન્યુ ! તમે નિષ્પક્ષ નથી,’ તમે કોઈને ફેવર કરો છોજેવા આક્ષેપો સહન કરવા માટે તૈયાર રહેવાનું. શ્રી રામ…શ્રી રામ..શ્રી રામ..

 

 

 

મેં તો લગભગ નક્કી  જ કરી નાંખ્યું છે કે હવે કોઈપણ સંસ્થાની પ્રવ્રુત્તિઓના અહેવાલો લખવાને બદલે મારી સર્જનશક્તિનો ઉપયોગ મારા બ્લોગ પર સર્જનાત્મક લખાણો લખવામા કરવો.ગુજરાતી સમાજ, સાહિત્ય સરિતા, સિનિયર સિટિઝન એસોસિયેશન…કશું જ નહી.બસ..જીવન વિષયક ચિંતન..મનન..મનગમતા પુસ્તકોનુ વાંચન…લેખન…

 

 

 

આજે બસ માત્ર આટલું જ….

 

 

 

અસ્તુ….

 

 

 

નવીન  બેન્કર

 

૨૦ માર્ચ, ૨૦૧૧-  હોળીનું પર્વ.

“દશાબ્દિ મહોત્સવ” -અહેવાલ- નવીન બેંકર

March 16th, 2011 Posted in અહેવાલ

હ્યુસ્ટનના ગુજરાતી સાહિત્ય સરિતાનો  “દશાબ્દિ મહોત્સવ”“-અહેવાલ- નવીન બેંકર

બારમી માર્ચ ને શનિવારની રાત્રે, હ્યુસ્ટનના જૂના સ્ટેફર્ડ સિવિક સેન્ટરના વિશાળ હોલમાં,ગુજરાતી સાહિત્ય સરિતાએ પોતાના દશ વર્ષ પૂર્ણ કર્યાની ખુશાલીમાં “દશાબ્દિ મહોત્સવ”નું  ભવ્ય આયોજન કર્યું હતુ.

બરાબર આઠને દસ મિનિટે, કાર્યક્રમના આયોજક શ્રી રસેશ દલાલ અને સંસ્થાના સંચાલક શ્રીમતિ દેવિકાબેન ધુવે પ્રેક્ષકોના સ્વાગતથી શરુઆત કરી.પ્રારંભમાં વિરેન્દ્ર બેંકરના કંઠે દેવિકા ધ્રુવ રચિત શારદ સ્તુતિ અને હેમંત ભાવસારના  કંઠે વિનોબા ભાવેની પ્રાર્થના રજૂ કરવામાં આવી.તે પછી દીપ-પ્રાગટ્યની વિધિ  થઇ હતી.
આ પ્રસંગે આમંત્રિત મુખ્ય મહેમાન તરીકે શિકાગોના જાણીતા અને માનીતા સન્માનીય ગઝલકાર કવિ-દંપતિ ડો.અશરફ ડબાવાલા  તથા ડો.મધુમતી મહેતા ઉપસ્થિત રહ્યા હતા. તેઓ ગુજરાતી ભાષા,સાહિત્ય અને સંગીતના પ્રસાર માટે શિકાગો આર્ટ સર્કલ નામની સંસ્થા દ્વારા પ્રવૃત્ત રહે છે.ડો. અશરફ  ડબાવાલાને ૨૦૦૭માં કલાપી એવોર્ડ,લીટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા તરફથી ચુનીલાલ વેલજી પારિતોષિક તથા શિકાગોની દ્રષ્ટિ-મીડીયા તરફ્થી ગઝલ-સર્જન માટે લાઇફ-ટાઇમ એવોર્ડ પણ પ્રાપ્ત થયાં છે.

અન્ય અતિથિવિશેષ,પદ્મશ્રી એવોર્ડથી વિભુષિત ડો.સુધીર પરીખ અને તેમના ધર્મપત્ની સુધાબેન પરીખ પણ આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા.અનેકવિધ સન્માન અને મે્ડલ પ્રાપ્ત કરનાર ડો સુધીરભાઇ પરીખ વર્લ્ડવાઇડ મીડીયા ઇન્ક.ના ચેરમેન અને પબ્લીશર છે.આ ગ્રુપ ન્યુ ઇન્ડિયા ટાઇમ્સ,દેશી ટોક ઇન ન્યુયોર્ક,”ધી ઇન્ડિયન અમેરિકન્સ” તથા ગુજરાતીઓમાં સૌથી વધુ વંચાતા અને વેચાતા સપ્તાહિક ગુજરાત ટાઇમ્સનું પબ્લીકેશન  કરે છે.

દીપ-પ્રાગટ્ય પછી મહેમાનોનું પુષ્પગુચ્છ અને ભેટ-પ્રતિક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.ત્યારબાદ તેમના શુભ-હસ્તે હ્યુસ્ટનના જાણીતા સર્જકોના પ્રસિધ્ધ થયેલ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું. હ્યુસ્ટનના ૯૦ વર્ષના કવિશ્રી ધીરજલાલ શાહના બે પુસ્તકો,પીઢ કવિ સુમન અજમેરીના ચાર પુસ્તકો, સર્યુબેન પરીખનુ એક પુસ્તક “નીતરતી સાંજ”,પ્રવીણાબેન કડકિયાના સ્વરચિત ગીતોની એક CD”સમર્પણ”, વગેરે નું વિમોચન કરાયા બાદ શ્રી વિજય શાહના પુસ્તક “નિવૃત્તિની પ્રવૃત્તિ” વિષે માહિતિ આપવામાં આવી હતી. હ્યુસ્ટનના તેર લેખકોના  સહિયારા સર્જન દ્વારા લખાયેલ નવલકથા “જીવન સંધ્યાએ”અને ૧૧ લેખકોના “સહિયારું સર્જન” (લઘુનવલકથા સંગ્રહ) નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. દેવિકાબેનના “શબ્દોને પાલવડે” નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ એક એકાંકી નાટક “ગુજરાત તારું ગૌરવ”રજૂ કરવામાં આવ્યુ.માત્ર ચાર જ પાત્રો દ્વારા ભજવાયેલ આ નાટકમાં પ્રહસન માટેની બધી જ સામગ્રી મૌજુદ હતી.ઝડપી કાર્યવેગ,સંવાદોમાં સાતત્ય, બધું જ. .નાટિકાના નામાભિધાન પ્રમાણે ગુજરાતના ગૌરવની તવારીખ જોશીલા સંવાદો દ્વારા એવી સરસ રીતે લખવામાં આવી છે અને દેવિકાબેન ધ્રુવના પાત્ર દ્વારા એવી જોશીલી જબાનમાં રજૂ કરવામાં આવી હતી કે તેના દરેક સંવાદ પર પ્રેક્ષકોની તાળીઓના ગડગડાટથી સભાખંડ ગાજી ઉઠતો હતો.વાઇબ્રન્ટ ગુજરાત, શ્રી નરેન્દ્ર મોદીના ઉલ્લેખો અને ગુજરાતના વિકાસની ગાથા એવી કલાત્મક રીતે દિગ્દર્શક  શ્રી રાહુલ ધ્રુવ દ્વારા સાંકળી લેવામાં આવ્યા છે કે નાટકની વાર્તામાં રસક્ષતિ ન થાય. અમેરિકાનું બધું જ સારું અને ગુજરાતમાં તો આમ ને તેમ એવી મનોદશામાં જીવતા પતિની ભૂમિકા શ્રી રાહુલ ધ્રુવે એવી તો સરસ રીતે ભજવી બતાવી કે તેમના મોટાભાગના સંવાદો પર પ્રેક્ષકોની હાસ્યની ખંડણી આવતી હતી.તો….ગુજરાતના ગૌરવને પોતાની જોશીલી જબાન દ્વારા અને પ્રતિભાશીલ અભિનય દ્વારા દેવિકા ધ્રુવે સુપેરે રજૂ કર્યુ હતું. ગુજરાતી પડોશીના પૂરક પાત્રોમાં હ્યુસ્ટનના ખ્યાતનામ કાર્ડીઓલોજીસ્ટ ડો. કિરીટ દેસાઇ અને ખ્યાતનામ ગાયનોકોલોજીસ્ટ ડો.કોકીલા પરીખે પોતાના સુંદર આંગિક અને વાચિક અભિનય દ્વારા હળવી પળો પૂરી પાડીને પ્રેક્ષકોને સારું એવું મનોરંજન પૂરું પાડ્યું હતું. આ બંને ડોક્ટરો સારા ગાયકો પણ છે એટલે દિગ્દર્શકે તેમના કસબનો અહીં આ નાટકમાં પણ ઉપયોગ કરીને કેટલાંક ગીતોની પંક્તિઓ મૂકવાનો મોહ ટાળી શક્યા ન હતા. મુકેશ અંબાણી અને ગાયક  સ્વ.મુકેશ અંગેના સંવાદો,”તને જાતા જોઇ પનઘટની વાટે” કે”નજરના જામ છલકાવીને ચાલ્યાં ક્યાં તમે” જેવા ગીતોને સાંકળી લઇને ગીત-સંગીત સાથે હાસ્યને પણ સુંદર રીતે રજૂ કરવામાં લેખક તરીકે રાહુલ ધુવ અને કલાકારો તરીકે બંને ડોક્ટરો સંપૂર્ણ સફળ રહ્યાં હતાં. પ્રવક્તા તરીકે શ્રી  નિખિલ મહેતા અને નેપથ્ય પાર્શ્વસંગીત પીરસનાર શ્રી મનોજ મહેતા તથા શ્રી દિલીપ નાયક પ્રશંસનીય રહ્યા.

આ કૃતિનું આલેખન રાહુલ ધ્રુવની રંગમંચના ઉપયોગની પોતાની આગવી સૂઝ દર્શાવી જાય છે.. પ્રહસનની સફળતાનો મોટો આધાર સંવાદોની અભિવ્યક્તિમાં,સમયસૂચકતા અને મુખના ભાવો તેમ જ આંગિક અભિનયના પ્રભુત્વ પર હોય છે.અહીં બધા જ કલાકારો એ સાદ્યંત સાચવે છે. નિષ્પન્ન થતા હાસ્યનો વ્યક્તિગત હિસ્સો જો ફાળવવાનો હોય તો રાહુલ ધ્રુવ અને ડો,કિરીટ દેસાઇ બંને સ્ત્રી પાત્રો કરતાં પ્રથમ આવે. સાહિત્ય સાથેનો સંપર્ક રંગભૂમિને કેટલી સમૃધ્ધ બનાવી શકે એ દેવિકાબેનના પાત્રાલેખન અને સંવાદો દ્વારા દિગ્દર્શક શ્રી રાહુલ ધ્રુવ આ કોમેડી નાટકમાં ઉપસાવી શક્યા છે. ઇતિહાસના યાદગાર પાત્રો કે ગુજરાતની અસ્મિતા દર્શાવતા સંવાદોમાં આ સ્પષ્ટ થાય છે. જૂના જમાનાના “સતી આણલદે” ની એકોક્તિ દ્વારા દેવિકાબેન ધ્રુવ સુંદર પ્રભાવ પાડી ગયાં.જો કે સમગ્ર નાટકમાં તેમના મુખે બોલાયેલ સંવાદોમાં સાહિત્યિક ભાષાનો અતિરેક થયો લાગે છે. ડો.કોકીલા પરીખ ના ફાળે જોશીલા સંવાદો ન આવવા છતાં, નાટકની હળવી પળો પૂરી પાડવામાં તેમનો ફાળો ઓછો ન આંકી શકાય.

આ નાટક પછી ગરબો રજૂ કરવામાં આવ્યો હતો, જેના શબ્દો હતા “ઉંચી તળાવડીને તીર પાણી ગ્યા’તા”.આ ગરબામાં પંચાવન કે તેથી વધુ ઉંમરની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.તેની કોરીઓગ્રાફી હ્યુસ્ટનના જાણીતા કોરીઓગ્રાફર મિત્રાબેન પંચાલ દ્વારા કરવામાં આવી હતી અને સ્વરાંકન પણ તેમના સુમધુર કંઠે કરવામાં આવ્યું હતુ.

“દશાબ્દિ મહોત્સવ”ના બીજા ભાગમાં તા. ૧૪મી મેના રોજ રજૂ થનાર ત્રિઅંકી નાટક “ હું રીટાયર થયો”ની ઝલક સ્લાઇડ શો દ્વારા દસેક મિનિટ  માટે વીડીયો પ્રેઝન્ટેશનથી પ્રેક્ષકોને બતાવવામાં આવી હતી.એક રીટાયર્ડ થયેલ નટ સમ્રાટના જીવનમાં પાછલી ઉંમરે જે ઝંઝાવાતો આવે છે તે હ્ર્દયસ્પર્શી સંવાદો અને જબરદસ્ત કથાનક સાથે, હ્યુસ્ટનના જ સ્થાનિક કલાકારો સાથે શ્રી મુકુંદભાઇ ગાંધીની મુખ્ય ભૂમિકામાં રજૂ થનાર છે તેની ક્લીપીંગ્સ દર્શાવવામાં આવી હતી.

ત્યારબાદ એક જબરદસ્ત એકાંકી નાટક “જો જો મોડું ના થાય” ભજવવામાં આવ્યું હતુ. મૂળ કૃષ્ણચંદર લિખિત આ નાટકનું રુપાંતર સાહિત્યપ્રેમી અને હાસ્યકવિની રચનાઓને પોતાની વિશિષ્ટ શૈલીમાં રજૂ કરવા માટે જાણીતા એવા શ્રી ફતેહ અલી ચતુરે ગુજરાતીમાં રુપાંતરિત કરીને રજૂ કર્યું હતું.
સચિવાલયના કમ્પાઉન્ડમાં  જાંબુનું  એક ઝાડ પડી ગયું છે અને તેની નીચે એક કવયિત્રી દબાઇ ગઇ છે. કોઇ રાહદારી આ અંગેની જાણ સચિવાલયના વિવિધ કર્મચારીઓને કરે છે અને બ્યૂરોક્રસીમાં અટવાયેલા કામચોર કર્મચારીઓ પેલી સ્ત્રીને બહાર કાઢવાને બદલે વાતને કેવી  ગૂંચવી મારે છે અને અંતે પેલી દબાયેલી સ્ત્રીનું મૃત્યુ થાય છે એવા કથાનક પર રચાયેલ આ નાટક એટલી સરસ રીતે ભજવવામાં આવ્યું હતું કે, રૂપાંતરકાર અને દિગ્દર્શક શ્રી ફતેહઅલી ચતુર અને તેમની સમગ્ર ટીમને અભિનંદન આપ્યા વગર રહી ન શકાય.

સૌ પ્રથમ તો સંનિવેશમાં ચીલાચાલુ બોક્સ-સેટને બદલે ઝાડનું કપાયેલું થડ તેના ડાળા-પાંદડા સાથે સ્ટેજ પર ગોઠવવામાં આવ્યું હતું અને સચિવાલયના બિલ્ડીંગનું મોટું ચિત્ર લટકાવવામાં આવ્યું હતું તો હોર્ટીકલ્ચર ડીપાર્ટમેન્ટ,એગ્રીકલ્ચર ડીપાર્ટ્મેન્ટ અને કલ્ચરલ ડીપાર્ટ્મેન્ટ્ની ઓફિસ તેના ટેલિફોનો વગેરેનું સેટીંગ્સ એટલી કુશળતાપૂર્વક કરવામાં આવેલું હતું કે પડદો ઉઘડતાં જ કશુંક નાવીન્યપૂર્ણ રજૂ થઇ રહ્યું છે તેનો આભાસ ઉભો થાય !
પ્રકાશ-આયોજન પણ સૂચક હતું. કયારેક સ્ટેજનો અમુક હિસ્સો પ્રકાશ-વર્તુળમાં આવે અને બીજો હિસ્સો અંધકારમાં રહે એવું આયોજન રહે પરંતુ ટેક્નીકલ મુશ્કેલીને કારણે અમુક દ્રશ્ય વખતે તે શક્ય બનતુ ન હતું.
ફતેહ અલી ચતુરની હથોટી જેટલી રુપાંતરમાં છે તેટલી જ દિગ્દર્શનમાં પણ જણાઇ આવે છે. રાહદારીના મુખ્ય પાત્રમાં જીવંત અદાકારી દાખવી હતી. વિવિધ શાયરો-ગઝલકારોના મુક્તકોનો ઉપયોગ તેમના મુખે બોલાવીને “દશાબ્દિ મહોત્સવ”ની ઉજવણી પ્રસંગે રજૂ થતા નાટક તરીકે તેને સફળ ગણી શકાય. નાટકની પકડ જાળવવા  કે પાત્રાલેખનને ખીલવવા માટે જે ચપળ અને ચબરાકી ભાષા જરૂરી છે તેનો અહીં બરાબર ખ્યાલ રાખવામાં આવ્યો છે. સતત ઝાડ નીચે દબાયેલી રહેતી કવયિત્રીના પાત્રને શ્રીમતિ શૈલાબેન મુનશાએ પડ્યા પડ્યા પણ પોતાના ચહેરાના ભાવ-પરિવર્તનને સૂપેરે દર્શાવીને સુંદર રીતે ન્યાય આપ્યો હતો. હેડક્લાર્ક તરીકે શ્રી પ્રશાંત મુનશા,પટાવાળાના પાત્રમાં શ્રી વિનય પંચાલ,સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે શ્રી નીતિન વ્યાસ, સતીશ પરીખ અને અન્ય ડિપાર્ટમેન્ટોના હેડ તરીકે ડો.ઇન્દુબેન શાહ તથા શ્રીમતિ ગીતાબેન ભટ્ટ અને છેલ્લે આવતા કલ્ચરલ ડિપાર્ટમેન્ટના શ્રી સુરેશ બક્ષી પણ પોતપોતાની ભૂમિકાને અતિસુંદર રીતે ભજવી ગયાં હતાં.

રાહુલ ધ્રુવ અને ફતેહ અલી ચતુર- બંને પાસે સર્જનાત્મક અભિવ્યક્તિ છે. કોમેડીની ઝીણી સૂઝ, સુક્ષ્મ નિરીક્ષણશક્તિ અને માર્મિક નિરુપણ…આ બંને સર્જકોમાં છે.બંને એકાંકીઓમાં સાહિત્યિક્તા અને અભિનયક્ષમતાનો વિરલ સમન્વય જોવા મળ્યો. ઊમાશંકરના એકાંકીઓની તીવ્ર સંવેદના કે જયંતિ દલાલના એકાંકીઓનો બુધ્ધિવૈભવ આવા નાટકોમાં ભલે ન હોય પણ પાત્રા-લેખન,સંવાદ-કળા,નાટ્યાત્મકતા,ક્રમિક પરાકાષ્ટા,તખ્તા-લાયકી આ બધા એકાંકીના ઉત્તમ લક્ષણોથી મંડિત, ટૂંકા સચોટ સીધી ગતિના લક્ષ્યવેધી સંવાદોથી આ નાટકો વિભૂષિત છે.

ત્યારબાદ મહોત્સવની “signature item” “કવિ અને કવિતા”નો સેટ ગોઠવાય તે દરમ્યાન વચ્ચે ન્યૂયોર્કના ગાયક સંગીતકાર શ્રી વિરેન્દ્ર બેંકરના વાંસળી વાદનનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો જેને શ્રોતાઓએ મન ભરીને માણ્યો હતો.

આ અહેવાલ લખનારના અંગત અભિપ્રાય અનુસાર સમગ્ર કાર્યક્રમનો શિરમોર ભાગ છેલ્લે રજૂ થયેલ “ કવિ અને કવિતા” હતો. કાવ્ય,સંગીત અને કેળવાયેલ અવાજથી વિભૂ્ષિત સુંદર સાયુજ્ય સભર રચનાઓના દ્રશ્ય અને શ્રાવ્ય પ્રે્ઝન્ટેશનથી હાજર રહેલ પ્રેક્ષકો અનુભૂતિની શ્રેષ્ઠ અવસ્થાએ પહોંચી શક્યા હતા. જે કવિઓ અને તેમની રચનાઓને ગાયકો દ્વારા રજૂ કરવામાં આવી હતી તેમાં વીર કવિશ્રી નર્મદ ( શ્રી કિરીટ મોદી ), બરકત વિરાણી “બેફામ” ( શ્રી મુકુંદ ગાંધી ), ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતા ( શ્રી ધીરુભાઇ શાહ ), ઉમાશંકર જોશી ( શ્રી વિશાલ મોણપરા), અવિનાશ વ્યાસ (શ્રી વિપુલ માંકડ ),શ્રી સુરેશ દલાલ ( શ્રી નવીન બેંકર ),તથા ઝવેરચન્દ મેઘાણી ( શ્રી પ્રશાંત મુન્શા). શ્રી રમેશ પારેખ ( શ્રી વિજય શાહ ) નો સમાવેશ થાય છે.

સ્ટેજની એક બાજુએથી ઉદઘોષકો ( શ્રી રસેશ દલાલ,શ્રીમતિ રિધ્ધિ દેસાઇ, ડો.કમલેશ લુલ્લા તથા શ્રીમતિ દેવિકા ધ્રુવ ) દ્વારા કવિનો પરિચય અપાય તે દરમ્યાન ધીમે પગલે જે તે કવિનું પાત્ર ભજવતા કલાકાર સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય અને અપાતો પરિચય પૂર્ણ થતાં બે શુભેચ્છાવાચક શબ્દો કહે અને ધીમે પગલે સ્ટેજની બીજી બાજુ પ્રસ્થાન કરે તે દરમ્યાન ગાયકો સંગીતના સથવારે તે કવિની રચનાને રજૂ કરે. આ આખી પરિકલ્પના સાહિત્ય સરિતાના  કુશળ સૂત્રધાર શ્રી રસેશ દલાલની હતી.
ગાયક વૃંદમાં શ્રી મનોજ મહેતા, શ્રીમતિ કલ્પના મહેતા, શ્રીમતિ સ્મિતા વસાવડા, વોઇસ ઓફ મુકેશ તરીકે ઓળખાતા શ્રી શ્રી ઉદયન શાહ તથા શ્રી દિલીપ નાયક હતાં. વાદ્યવૃંદમાં તબલા પર શ્રી ડેક્ષ્ટર રઘુ આનંદ, મંજીરા અને જાઝ પર શ્રી હેમંત ભાવસાર, હાર્મોનીયમ પર શ્રી દિલીપ નાયકે સાથ આપ્યો હતો.

“કવિ અને કવિતા”ની શરુઆતમાં શ્રી મનોજ મહેતાએ પોતાના  ભાવવાહી કંઠે શરુઆત કરીને વાતાવરણ જમાવી દીધું હતું. તેમના નરવા કંઠની બુલંદી માઇક વગર પણ ટહૂકી ઉઠે તેવી હતી.સ્મિતાબેન વસાવડાના કંઠમાં તો જાણે કોયલે માળો બાંધ્યો છે. તેમણે આલાપ,તાન અને ઉર્મિસભર રજૂઆત વડે શ્રોતાઓનો પ્રચંડ પ્રતિસાદ મેળવ્યો.અતિથિવિશેષ શ્રી અશરફ ડબાવાલાએ તેમને સ્ટેંડીંગ ઓવેશન આપ્યુ હતું જેને શ્રોતાઓએ પણ ઉભા થઇને સાથ આપ્યો હતો. સ્મિતાબેને એટલી જીવંત શૈલીથી ગીતોમાં ભાવ પૂરીને રચનાઓ ગાઇ સંભળાવી હતી કે કાર્યક્રમના અંતિમ ચરણને એક નવો આયામ મળ્યો હતો.

ગાયક અને સાજીંદાઓ વચ્ચે એટલો સુમેળ હતો કે જાણે સોનામાં સુગંધ મળી હતી. કવિઓની પસંદગી,ગીતોની પસંદગી,ગીતોનું સ્વરાંકન તથા શબ્દ અને સૂરની મિલાવટ એટલા મજબૂત હતા કે છેક સુધી હાજર રહેલા ભાવકો રસસમાધિમાં ડૂબી ગયા હતાં. આ કાર્યક્રમ ગીત, સંગીત અને ગાયકીનો બેજોડ સંગમ હતો, તો શ્રી વિશાલ મોણપરાની કોમ્પ્યુટરની ટેકનીકલ કાબેલિયત વડે રજૂ થયેલ સ્લાઇડ શો  અભિનંદનને પાત્ર હતાં. સમજદાર શ્રોતાઓ તરફથી કાર્યક્રમને જબરદસ્ત દાદ મળી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા માટે સાહિત્ય સરિતાના સભ્યોએ તો  ખુબ જ જહેમત ઉઠા્વી હતી જ, પરંતુ સ્ટેજની વ્યવસ્થા શ્રીમતિ મિત્રાબેન પંચાલ, શ્રી વિનય પંચાલ તથા શ્રી કિરીટ ભક્તાએ કુશળતાપૂર્વક સંભાળી હતી. તો મેઇક-અપ આર્ટીસ્ટ તરીકેની કામગીરી યોગીનાબેન પટેલે સુપેરે નિભાવી હતી. આવા સુંદર કાર્યક્રમનુ સફળ આયોજન અને સંચાલન કરવા માટે શ્રી રસેશ દલાલ,શ્રી વિજય શાહ, શ્રીમતિ દેવિકાબેન ધ્રુવ, ડો.રમેશભાઇ શાહ, શ્રી પ્રશાંત મુન્શા વગેરે અભિનંદનના અધિકારી છે.

“દશાબ્દિ” પ્રસંગે સાઇઠ  પાનાનું દળદાર સોવેનિયર ( સ્મરણિકા ગ્રંથ ) “કલ-નિનાદ” પણ બહાર પાડવામાં આવ્યું હતું જેના સંપાદન અને સંકલન માટે પીઢ કવિ શ્રી સુમન અજમેરી, શ્રી વિજય શાહ અને તેમની કમિટિએ ખુબ જ જહેમત ઉઠાવી હતી.કાર્યક્રમને વધુ રસપ્રદ બનાવવા માટે જેમણે કિમતી સલાહ- સૂચનો આપ્યા છે તે માનદ સલાહકારો શ્રી દિપક ભટ્ટ, શ્રી મુકુંદ ગાંધી,શ્રી અશોક પટેલ વગેરેનો મહત્વનો ફાળો રહ્યો છે.

ચાર કલાકના આ સમગ્ર કાર્યક્રમમાં ઔપચારિક આભા્રવિધિ,વિમોચન તથા મહાનુભાવોના સંદેશાઓને ટૂંકાવીને કવિ અને કવિતાના કાર્યક્રમને શરુઆતમાં મૂકાયો હોત અને પછી બંને એકાંકીઓને મૂકાયા હોત તો  કાર્યક્રમ વધુ દીપી ઉઠત અને વધુ પ્રેક્ષકો સુધી પહોંચી શક્યો હોત એટલી ટકોર અસ્થાને નહિ ગણાય.

આટલો લાંબો અહેવાલ લખવામાં શક્ય છે કે કોઇનો નામોલ્લેખ રહી ગયો હોય તો એ મારો હકીકત-દોષ સમજી  ક્ષમ્ય ગણશો.

અસ્તુ

નવીન બેંકર

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.