એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » Page 7

મારો લાલિયો કુતરો

August 28th, 2015 Posted in મારા સંસ્મરણો

 મારો લાલિયો કુતરો

આ વાત અમદાવાદની અને મારા બાળપણની છે. માણેકચોકમાં , સાંકડીશેરીમાં અમે ભાડાના ઘરમાં, મેડા પર રહેતા ત્યારે, મારી ઉંમર પંદરેક વર્ષની હતી. અમારી ખડકી ના નાકે, ચાર-પાંચ કુતરા તો હોય જ. બે ગાયો પણ રસ્તાની વચ્ચે બેઠેલી હોય. અમને ગાયોના શીંગડાની બહુ બીક લાગે. ખડકીમાં ૪૫ ડીગ્રીના કોર્નર પર વીજળીની બત્તીનો એક મ્યુનિસિપલ થાંભલો ,જેનું અજવાળુ, ખડકીના નાકા પર ન પડે. રાત્રે તો ખડકીમાં પ્રવેશતાં, ધ્યાન રાખવું પડે કે વચ્ચે ગાયબાય તો બેઠી નથી ને ?  ક્યારેક કુતરા પણ બેઠેલા હોય ! પણ કુતરાઓનું તો એટલું સારૂ કે માણસને ખડકીમાં આવતો જુએ કે તરત ભસીને પોતાની હાજરી જાહેર કરી દે. પણ…ખડકીના રહેવાસીઓને કુતરા ઓળખી ગયેલા. કોઇને ય ક્યારેય કોઇ કુતરુ કરડ્યું હોય એવું મને યાદ નથી. સામાન્ય રીતે કુતરા લાલ, કાળા અને ધોળા રંગના. અમારા ઘરમાં, મારા દાદીમા સવારે નવ વાગ્યે ઘરના ૧૧ માણસ માટે રોટલી વણવા બેસે અને પહેલી રોટલી ગાય-કુતરા માટે જુદી રાખે. મોટેભાગે મને જ કહે કે –‘નવીનીયા, જા..પહેલા ગાયકુતરાની રોટલી  નાંખી આવ. પછી ખાવા બેસ.’ જો મને એ દિવસે ગાય કે કુતરુ જોવા ન મળે તો ખડકીના નાકે, હેમુબેનની ઓટલી પર રોટલી મૂકી દઉં અને પછી જમવા બેસી જઉં. હેમુબેન ની ઓટલી અને હાંકુમાનો ઓટલો – મને આજે ય યાદ છે. હાંકુમા એટલે સંતોકબેન. પણ અમે ક્યારેય એમના એ નામને જાણતા જ નહોતા. હેમુબેન  એક ડોસાને ,નવા નવા પરણીને આવેલા ત્યારે મારી ઉંમરના કિશોરોને એ ખુબ રૂપાળા લાગતા હતા. પછી જેમ જેમ અમે વધુ ને વધુ જુવાન થતા ગયા એમ એમ હેમુબેન ઘરડા થતા ગયા. છેવટે છેવટે તો એમના દાંત પણ પડી ગયેલા અને સા..વ.. ડોશી બની ગયેલા મેં જોયા હતા. કિશોરવયના મારા દોસ્તદારોમાં, અનિલ, ગુણવંત, દ્ત્તુ, રાજુ, ગિરીશ, મુરલીધર ( મોરલી), પ્રબોધ, સુરેન્દ્ર, પ્રવિણ, દેવલો ((દેવેન્દ્ર), કાનુ મને યાદ છે. આ મિત્રો સાથેની યે યાદો છે. પણ આજે તો મારે મારા લાલિયા કુતરાની વાત કરવી છે.

લાલિયો અમારા ઓટલા પર પુંછ્ડી દબાવીને બેઠેલો હોય. મને જોઇને પુંછડી પટપટાવે, મારા પગ ચાટે. મારી પાછળ પાછળ આવે. કોઇની સાથે ઝઘડો થાય અને મારામારીમાં મારે માર ખાવાનો વખત આવે ત્યારે હું એ દુશ્મન ( આમ તો એ મિત્ર જ હોય)  પાછળ લાલિયાને છોડી દઉં. એટલે પેલો ભાગી જાય. લાલિયો કરડતો નહીં. અસ્સલ હિન્દુસ્તાની હતો એ. કોઇ આતંકવાદી ગમે તેટલા હુમલા કરે કે માથા વાઢી જાય પણ એ માત્ર ભસતા જ શીખેલો. ઘણીવર તો હું એને પોળને નાકે આવેલી કન્યાશાળાની બારીઓના ઓટલા પર બાજુમાં બેસાડીને પંપાળતો. મને એની આંખોમાં સ્નેહ દેખાતો. લાલિયાને નાંખેલો રોટલો બીજો બળવાન કુતરો ઝુંટવી જાય તો હું એને માટે બીજો રોટલો કે રોટલી લઈ આવીને ખવડાવતો. એક દિવસ, મ્યુનિસિપાલિટીની ગાડી આવીને કુતરા પકડી ગઈ એમાં મારો લાલિયો પણ ઝડપાઈ ગયો. આમે ય એ અહિંસક જ હતો ને ! અને…અહિંસકોને હંમેશાં માર જ ખાવાનો હોય છે. મને મહાત્મા ગાંધીજીની અહિંસામાં જરા ય વિશ્વાસ નથી, હું એમાં માનતો પણ નથી. નાનો હતો ત્યારથી હું આક્રમક રહ્યો છું. હું કોઇની સાથે લડતો હઉં  તો મારા લલિતાપવાર જેવા દાદીમા પંખો લઈને દોડતા આવીને મારૂં ઉપરાણું લે અને મારી સાથે લડવાવાળા અને એની માને પણ ઝાટકી નાંખતા.

આજે પણ હું મારા આક્રમક સ્વભાવને બરાબર ઓળખું છું એટલે કોઇ જ સંસ્થામાં કમિટી કે કોઇ પદ પર ઉભો રહેતો નથી. મને કોઇ સહેલાઈથી ઉશ્કેરી શકે છે. અને હું આક્રમક બની જાઉં એવો મને ડર રહે છે. મારામાં સહનશીલતા અને ધીરજના ગુણો નથી. મારામાં  મતાંતરક્ષમાનો ગુણ પણ નથી.

હું આડીવાતે ઉતરી ગયો…હમણાં એક સિનિયર સિટીઝન ડોશીમાને રાઇડ આપીને તેમને ઘેર ઉતારવા ગયો ત્યારે એમના ઘરમાં ડાઘિયા જેવા કુતરાને જોઇને મને ડર લાગી ગયેલો. કારણકે અત્યારે હવે આ ઉંમરે હું દોડીને ભાગી જઈ શકતો નથી. મારી નાની બહેન સંગીતા ધારિઆ ને ઘેર પણ એક ‘એમા’ નામની શ્વાન છે. ઘરના સભ્યની જેમ જ એને રાખે છે. . મારી પત્નીને કુતરા નથી ગમતા. કોઇના ઘેર કુતરો હોય કે બિલાડી હોય તો એમના સોફા પર બેસતાં યે એને સુગ ચડે છે.

હમણાં શ્રી. પી કે. દાવડા સાહેબનો એક લેખ વાંચ્યો, જે તેમના સૌજન્યથી આ સાથે નીચે કોપી-પેસ્ટ કરીને મૂકું છું.

અમેરિકામાં પાળેલા કુતરા

અમેરિકામાં ૨૦૧૧ માં એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે અમેરિકામાં બેતૃતિયાંસ ઘરોમાં કોઈને કોઈ પાળેલું પ્રાણી છે, અને આમાં સૌથી વધારે સંખ્યા કુતરાઓની છે. આજે જ્યારે માણસ એક બીજા પ્રત્યે વિશ્વાસ ગુમાવતો જાય છે ત્યારે પ્રાણીઓની વફાદારી માણસ કરતાં બે વેંત ઉંચેરી મનાય છે.

અમેરિકામાં પાળેલા કુતરા ઘરના એક સભ્યના જેટલો હક ભોગવે છે. ૯૦ % અમેરિકનોએ આ વાતનું સમર્થન કર્યું છે. સર્વેમાં એ પણ જાણવા મળ્યું કે અમેરિકાની ૪૦ % ગૃહીણીઓ માને છે કે એમના પતિ અને એમના સંતાનો કરતાં એમનું કુતરૂં એમને થોડો વધારે પ્રેમ કરે છે.

અહીં અમેરિકનો કુતરા પાછળ સમય અને ધન બન્નેનો દિલ ખોલીને ખર્ચ કરે છે. પોતે કામે ગયા હોય ત્યારે કુતરાને Day Care માં મૂકી જાય છે, જેથી એની ખાવા-પીવાની અને અન્ય સગવડ સચવાય. કુતરાઓ માટે ખાસ Clinics અને Hospitals ની બધે જ સગવડો છે. મારા એક મિત્ર પશુઓના ડૉકટર છે, અને એમની માલિકીની સાત પશુ હોસ્પિટલ છે. એ ધંધામાંથી એ એટલું કમાયા છે કે એમની માલિકીની Real Estate માં ૧૨૦૦ ભાડુત છે, અને એમની સંપત્તિ કરોડો ડોલરની છે.

અમેરિકનો પોતાની Wallet માં પોતાના સંતાનોના ફોટા રાખે છે, અને સાથે પોતાના કુતરાનો પણ ફોટા રાખે છે. કુતરૂં મરી જાય તો તેઓ અતિ ગમગીન થઈ જાય છે, અને શોક પાળે છે. અહીં કુતરાં માટે અલગ કબ્રસ્તાનો છે, અને એની ઉપર મોંઘા મોંઘા Tomb Stone મૂકવામાં આવે છે. ખોવાયલા કુતરાને શોધવા માટે ઈનામની જાહેરાતો આપવામાં આવે છે. ગ્રીટીંગકાર્ડ બનાવનારી હોલમાર્ક કંપનીના કુતરાઓને શુભેચ્છા આપતા કાર્ડસ મોટા પ્રમાણમાં વેચાય છે.

અમેરિકામાં પાળેલા કુતરાઓનું મહત્વ એટલું વધી ગયું છે કે Genetech નામની જગ પ્રસિધ્ધ બાયોટેક કંપનીએ તો કામપર, કુતરા સાથે લાવવાની છૂટ આપી છે, અને એમની સારસંભાળ લેવા વ્યવસ્થા કરી છે. સ્ટોરોમાં કુતરાઓના વપરાશની નવી નવી વસ્તુઓ અને કુતરાઓ માટેનો ખોરાક મોટા પ્રમાણમાં વેચાય છે.

આ કુતારાઓ બધી જાતના હોય છે. નાના નાના અનેક જાતના સુંદર ગલુડિયાં અને મોટા વાઘ જેવા કુતરા. હું તોજોઈને છક થઈ ગયો કે આ કુતરાઓ કેટલા બધા ટ્રેઈન્ડ છે. માલિકની અંગ્રેજીમા બોલાયલી બધી વાતો સમજે છે.એક ઉદાહરણ આપું. એક નાનું ગલુડિયું મને જોઈને ભસ્યું. એની માલકણે કુતરાને કહ્યું, “બેડ બોય. ગો એન્ડએપોલોજાઇસ”. કુતરૂં મારી પાસે આવીને ચુપચાપ ઊભું રહ્યું. મેં કહ્યું, “ઈટ્સ ઓ.કે.” ત્યારે જ એ પાછું ગયું. આવા તોઅનેક અનુભવો મને થયા છે. હવે મને પણ આ શિસ્તબધ્ધ કુતરા ગમવા લાગ્યા છે. જ્યારે પણ હું કોઈ કુતરા સામેપ્રેમથી જોઉં છું, ત્યારે એમના માલિક મારી સામે હસીને આભાર વ્યક્ત કરે છે. જ્યારે પણ હું કુતરાના વખાણ કરૂં છુંત્યારે કુતરા કરતાં એના માલિક વધારે રાજી થાય છે!! માલિકો તો એ બધું સમજતો હોય એવી રીતે એની સાથે વાતચીત કરે છે. જો ન માને તો એને ઠપકામાં માત્ર Bad boy કે Bad girl એટલું જ કહે છે.

માલિકો પોતાના કુતરાને અબાધિત પ્રેમ કરે છે. બદલામાં કુતરાઓ પણ એમના માલિકને ખરા દિલથી પ્રેમ કરે છે.માલિકની ગંધથી પણ એ પરિચિત હોય છે. આખો દિવસ ઘરમા પુરાયેલા હોવા છતાં, માલિકની ગાડી ઘરના ગેરેજપાસે આવે તો એમને તરત ખબર પડી જાય છે, અને ભસીને એમને આવકાર આપે છે. ઘર ખુલતાં જ માલિકનેવળગી પડે છે. અમેરિકામાં બાળકો મોટા થાય ત્યારે પોતાનું અલગ ઘર વસાવવા માબાપને છોડી જતા રહે છે ત્યારેમાબાપની એકલતા ટાળવામાં પાળેલા કુતરા મોટો ભાગ ભજવે છે. (પી કે. દાવડા )

આજે મને મારો એ લાલિયો યાદ આવી ગયો -આ લેખ વાંચતાં.

મને કુતરાઓને પકડીને લઈ જતી ગાડીઓ અને સાણસાથી પકડેલા કુતરાઓને જોઇને હંમેશાં દુઃખ થાય છે.

ડંડા મારી મારીને પોલીસવાનમાં ધકેલી દેવાતા માણસોને જોઇને પણ મને પોલીસો પર  ઘૃણા થાય છે. ( મને ત્રણ વખત ‘પોલીસ- બૃટાલિટી’ ના અનુભવ થયેલા છે.)

આ વાતો તો સાઇઠ વર્ષ પહેલાંની છે.

આજે ય જ્યારે જ્યારે હું અમદાવાદ જાઉં છું ત્યારે ત્યારે અચૂક અમારી સાંકડીશેરીની એ ખડકીમાં જાઉં છું અને ‘હાંકુમા ના ઓટલે’ બેસીને આંખના ખુણા ભીના કરી લઉં છું.  અમારા ફ્રીઝમાં મૂકેલી ચાર ચાર દિવસની રોટલીઓને માઇક્રોમાં મૂકીને ,ગરમ કરીને ખાતાં ખાતાં, મને  હેમુબેનની ઓટલી પર મૂકેલી સુક્કી રોટલીઓ યાદ આવી જાય છે,

લાલદરવાજાથી બસમાથી ઉતરીને, ચાલતાં ચાલતાં ત્રણ દરવાજા…પાનકોરનાકા..ફુવારા..માણેકચોક..સાંકડીશેરી.. રાયપુર ચકલા..કુમાર કાર્યાલય… રાયપુર દરવાજા…જાઉં , ઘણાં સંસ્મરણો વાગોળું, થોડું રડી પણ લઉં..

પણ…ગયા માર્ચ માસમાં અમદાવાદ ગયો ત્યારે મારા પગમાં એટલું ચાલવાની શક્તિ ન હતી. બસમાં ચઢવાની હિંમત પણ ન હતી…બે-ત્રણ વખત કુમાર કાર્યાલયમાં ગયો, પણ રીક્ષામાં જ જવું પડ્યું હતું…

હું સમજી  ચૂક્યો છું કે હવે મારા અંતની શરૂઆત થઈ ચૂકી છે. એક એક અંગની ક્રિયાશીલતા ઘટતી જાય છે.

શ્રીરામ..શ્રીરામ….

નવીન બેન્કર

લખ્યા તારીખ- ૨૦ ઓગસ્ટ ૨૦૧૫

 

 

 

શ્રી. ઇન્દ્રવદન ત્રિવેદી ( માસ્ટરજી )-નૃત્યકાર, કોરીઓગ્રાફર

August 28th, 2015 Posted in અહેવાલ

ઇન્ડીયન સિનિયર્સ સિટીઝન્સ એસોસિયેશનના નૃત્યકાર, કોરીઓગ્રાફર

           શ્રી. ઇન્દ્રવદન ત્રિવેદી  ( માસ્ટરજી )

૧૬મી ઓગસ્ટે,  હ્યુસ્ટનના  નવા સ્ટેફોર્ડ સિવિક સેન્ટર ખાતે, ઇન્ડિયા કલ્ચર સેન્ટર આયોજિત ઇન્ડીયા ફેસ્ટ-૨૦૧૫ કાર્યક્રમ અંતર્ગત, સિનિયર સિટીઝન્સ એસોસિયેશનના સિનિયર્સના વીસેક સિનિયર્સ સભ્યો દ્વારા એક એક સમુહનૃત્યગીત ‘ભારતકા રહનેવાલા હું, ભારતકી બાત સુનાતા હું ‘ એટલી સરસ રીતે સ્ટેજ પરથી રજૂ થયું  હતું કે પ્રેક્ષકોએ ‘વન્સમોર વન્સમોર’ ના પોકારોથી એ ગીતની રજુઆતને વધાવી લઈને ,સ્ટેન્ડીંગ ઓવેશન આપીને, ફરી વખત એ ગીતનું રીપીટેશન કરવાની કલાકારોને ફરજ પાડી હતી. આ ગીતમાં ભાગ લેનાર મુખ્ય  કલાકારો હતા સર્વશ્રી. ઇન્દ્રવદન ત્રિવેદી, કીરીટ મોદી, રમેશ મોદી, નુરૂદ્દેન દરેડિઆ, પ્રકાશ શાહ, શૈલેશ દેસાઇ, ભરત શાહ, અરવિંદ પટેલ, વિભાસ અને બકુલા ધુરંધર, શ્રીમતિ સુધાબેન ગાંધી, શ્રીમતિ સુશીલાબેન પટેલ,  અને બીજા દસેક જણ. જેમના નામ મને અત્યારે યાદ નથી આવતા. ૬૨ થી ૭૫ સુધીની વયના આ સિનિયર્સના  કાર્યક્રમને જોઇને કોઇ કહી ના શકે કે આમાંના મોટાભાગના કલાકારોએ કદી પણ સ્ટેજ પર પગ પણ મુક્યો નથી.  આ પત્થરોમાં પ્રાણ પુરનાર મુખ્ય કલાકાર શ્રી. ઇન્દ્રવદન ત્રિવેદીને હું પચ્ચીસ વર્ષોથી ઓળખું છું. ૧૯૯૬માં, મેં એમના વિશે, ‘નયા પડકાર’ અને ‘ગુજરાત સમાચાર’ માં એમના પરિચય લેખો લખેલા છે. આજે, થોડુંક વધારે એમના વિશે મારે જણાવવું છે.

મૂળ ગુજરાતના દહેગામમાં જન્મેલા શ્રી. ત્રિવેદીએ શાસ્ત્રિય નૃત્ય પ્રત્યેની અભિરૂચીને કારણે માત્ર સાત જ વર્ષની વયે વડોદરા સંગીત મહાવિદ્યાલયમાં તાલીમ લેવી શરૂ કરી હતી. ત્યાંથી જ ભરતનાટ્યમમાં માસ્ટરી મેળવી. શ્રીમતિ મૃણાલિની સારાભાઇ સંચાલિત દર્પણ એકેડેમીઓફ પરફોર્મીંગ આર્ટ્સમાં. કુચીપુડી નૃત્યમાં માસ્ટરી મેળવી.ભારત  તેમજ પરદેશના ઘણાં શહેરોમાં તેમણે પોતાના નૃત્યના પ્રયોગો રજૂ કરેલા છે. ફૂટ પેઇન્ટીંગ એ તેમની વિશિષ્ટતા છે. નૃત્ય કરતાં કરતાં જ પગ વડે પતંગિયુ, મોર વગેરે ચિત્રો દોરી શકતા હતા..’દર્પણ’ ના નેજા હેઠળ, ફર્સ્ટ એશિયન પેસિફિક પપેટ ફેસ્ટીવલમાં જાપાનના ટોકિયો શહેરમાં તેમણે પોતાના ગ્રુપ સાથે કઠપુતળીના ખેલ રજૂ કર્યા હતા. થોડાક વર્ષો પહેલાં- હું ભુલતો ન હોઉં તો- ૧૯૯૪ થી ૧૯૯૯ સુધી શ્રી. ત્રિવેદી ઝંકાર સ્કુલ ઓફ ડાન્સીંગ ના નેજા હેઠળ એક ડાન્સ સ્કુલ પણ હ્યુસ્ટનમાં ચલાવતા હતા.

થોડાક વર્ષો પહેલાં તેમણે હ્યુસ્ટનમાં ‘કૃષ્ણલીલા’ નામનો એક કાર્યક્રમ યોજ્યો હતો જેમાં કૃષ્ણ, ગોપ ગોપીઓ, નાગ-નાગણીઓ, ગોપબાળો જેવા પાત્રો હતા- બધા જ તેમની સ્કુલના વિદ્યાર્થીઓ હતા.

‘શાકુંતલ’ ભજવેલું તેમાં પોતે દુષ્યંતની ભૂમિકા કરેલી

‘પ્રલયતાંડવ’ માં શીવજીની મુખ્ય ભૂમિકા તેમણે ભજવેલી.

પુષ્ટીમાર્ગીય વૈષ્ણવોના પ્રિય ‘અધરમ મધુરમ, વદનમ મધુરમ’ માં તેમનું ભાવપ્રદર્શન અદભુત હતું.

પચીસ વર્ષ પહેલાં, તેમની સાડા ચાર કલાક લાંબી નૃત્ય નાટિકા ‘મહાભારત’ માં, આપણા હ્યુસ્ટનના શ્રી. મુકુંદ ગાંધી, હેમંત ભાવસાર, હાલો રે હાલો’ ફેઇમ મ્યુઝીક મસાલાવાળો સુનિલ ઠક્કર, શેખર પાઠક,  સંજય શાહ તથા મારા જેવા કલાકારોએ ભૂમિકાઓ ભજવી હતી. હું એમાં કૌરવોનો આંધળો બાપ ધૃતરાષ્ટ્ર  બનેલો. મુકુંદ ગાંધી ‘ભીષ્મ’ બનેલા.

તેમણે  ફિલ્મ ‘શોલે’ ની  એક સ્કીટ પણ ભજવેલી જેમાં મેં, રાજુ ભાવસાર, ગિરીશ નાયક અને ‘ ‘કીની’ નામની એક ખુબસુરત યુવતીએ હેમા માલિનીવાળી ભૂમિકા ભજવી હતી. અલબત્ત હું એમાં ‘કાલિયા’ બનેલો.

‘મોગલે આઝમ’ પણ અમે ભજવેલું જેમાં હું દુર્જનસિંહ નો રોલ કરતો હતો. ફિલ્મ મોગલે આઝમમાં એ ભૂમિકા અભિનેતા અજીતે ભજવી હતી.

મોગલે આઝમ માં જોધાબાઇનો રોલ કરતા એક  મહારાષ્ટ્રીયન બહેન  ક્રાંતિ વાલવડેકર મને યાદ છે. નાના પાટેકર પુરુષ નાટક લઈને હ્યુસ્ટનમાં આવેલો ત્યારે હું એને , લઈને ક્રાંતિબેનને ઘેર લઈ ગયેલો ત્યાં માસ્ટરજી પણ ઉપસ્થિત હતા અને મેં ત્યાં હાજર રહેલા ઘણાંના ફોટા નાના પાટેકર સાથે લીધેલા. આ ક્રાંતિબહેન  ક્યારેક ક્યારેક મને સાંઇબાબાના મંદીરમાં મળી જતા હોય છે. ( રખે માની લેતા કે હું સાંઇબાબાનો ભક્ત છું. હું તો ક્યારેક મારી પત્ની ની ધાર્મિક લાગણી ન દુભાય એટલા ખાતર એના ડ્રાઇવર તરીકે  તેની સાથે જઉં છું એટલું જ શ્રીરામ  શ્રીરામ )

મને યાદ છે કે કમલાહસનનું પિક્ચર ‘હિન્દુસ્તાની’ રીલીઝ થયું ન હતું અને તે ફિલ્મની  ગીતોની રેકર્ડ જ બહાર આવેલી ત્યારે એના એક જાણીતા ગીતની તર્જ સાંભળીને ઇન્દ્રવદનભાઇએ પોતાની વિદ્યાર્થિનીઓ પાસે એ ગીત કોરીયોગ્રાફ કરીને નૃત્ય તૈયાર કરાવેલું અને કોઇ કાર્યક્રમમાં રજૂ કરેલું. એ ગીતમાં હ્યુસ્ટનની બે જોડકા બહેનો નેહા અને નીરજુ ટેઇલર, તેમની માતા પ્રજ્ઞા ટેઇલર, અરૂણ બેન્કરની ભત્રીજી સોનલ, મીનળ ગાંધી  પણ હતી. આ તો પચીસ વર્ષ પહેલાંની સ્મૃતિના આધારે લખું છું એટલે નામો લખવામાં કોઇ ક્ષતિ રહી જાય એવું પણ બને.

અમેરિકન સંસ્થાઓમાં પણ તેમણે પોતાના કાર્યક્રમો રજૂ કરીને અમેરિકન પ્રજાના પણ પ્રમાણપત્રો મેળવ્યા છે.

અહીં જ જન્મેલી અને અહીં જ ઉછરેલી નવી પેઢીની બાળાઓને શાસ્ત્રિય નૃત્યની તાલીમ આપીને, તેમનામાં ભારતિય કલા અને સંસ્કૃતિનું સીંચન  કરવાનું કામ તેઓશ્રીએ કર્યું છે.

માસ્ટરજી ( ઇન્દ્રવદન ત્રિવેદી ) સાથે કરેલા કાર્યક્રમોના રિહર્સલો ની યાદો પર તો એક આખુ પુસ્તક હું લખી શકું.

એક આડવાત-

આપણી ભારતીય સંસ્થાઓ-ખાસ તો ગુજરાતી સંસ્થાઓ- કોઇ કાર્યક્રમ પ્રસંગે, આવા કલાકારોને કોઇ આઈટમ રજૂ કરવા આમંત્રણ આપે પણ એના રીહર્સલો વખતે ચાહનાસ્તા માટે કે ગેસ ભરાવવાના નાણાં ન આપે. કાર્યક્રમના ડ્રેસીસ માટે, પાઘડી, ખેસ, લાકડી, જેવી વસ્તુ પણ કલાકારે જ લાવવાની હોય. ક્યારેક તો એ સંસ્થાઓએ ટીકીટો પણ વેચી હોય. હોલનું ભાડુ ખર્ચે, ટીકીટો છપાવવાના નાણાં ખર્ચે, લોકોને પ્રોક્લેમેશન્સ આપે, હારતોરા પાછળ પૈસા ખર્ચે, પણ પોતાના ફેમિલીટાઇમમાં કાપ મૂકીને દિવસો સુધી રીહર્સલો કરનાર કલાકારે તો ગાંઠનું જ ગોપીચંદન કરવાનું.

આ જ વાત આપણા ગુજરાતી વર્તમાનપત્રો અને સામયિકોને ય લાગૂ પડે છે.

કોઇ કલાકાર વિશિષ્ટ કોસ્ચ્યુમ કે સામાન લાવવા પૈસા માંગે તો જવાબ મળે કે-‘ભાઇ, આ તો કોમ્યુનિટી વર્ક છે. અમે ય ફ્રી સેવા જ આપીએ છીએ.’ કલાકાર પોતાની અસમર્થતા જાહેર કરે તો કહેશે-‘ હ્યુસ્ટનમાં નવો નવો હતો ત્યારે સારો હતો. હવે જરા નામ થઈ ગયું એટલે એને રાઈ ચઢી ગઈ છે. સાલો પ્રોફેશનલ થઈ ગયો છે.’

કેટલીક સંસ્થાઓના માંધાતાઓ કાર્યક્રમ પતી ગયાના એકાદ બે માસ બાદ, હાથની લખેલી રીસીટો એટેચ કરીને વાઉચરો બનાવીને ખર્ચા પાડી દેતા હોય અને પોતે ખર્ચેલા ગેસના નાણાં વસૂલ કરી લેતા હોય એ ગનીમત !

નવીન બેન્કર

લખ્યા તારીખ- ૧૯ ઓગસ્ટ ૨૦૧૫

હ્યુસ્ટનમાં, રઈશ મનીઆર સાથે એક મસ્તીભરી , મનોરંજક સાંજ

August 28th, 2015 Posted in અહેવાલ

હ્યુસ્ટનમાં, રઈશ મનીઆર સાથે એક મસ્તીભરી , મનોરંજક સાંજ

અહેવાલ-  શ્રી. નવીન બેન્કર

શનિવાર… આઠમી ઓગસ્ટની એ ખુશનુમા સાંજ….

એ સાંજ હતી ગઝલ અને કવિતાના અભિસારની…

એ સાંજ હતી હ્યુસ્ટનના સાહિત્યપ્રેમીઓના  હૈયે પ્રેમ-માર્દવના આવિષ્કારની…

આઠમી ઓગસ્ટ ૨૦૧૫ ને શનિવારની સાંજે, સૂગરલેન્ડ,ટેક્સાસ ના ટી.ઈ. હરમન સેન્ટર ખાતે, ગુજરાતી સાહિત્ય સરિતાના ઉપક્રમે, સુરતના ખ્યાતનામ કવિ, હાસ્યકાર, નાટ્યકાર, ગીતકાર અને ગઝલકાર ડોક્ટર રઈશ મનીઆરનો એક યાદગાર કાર્યક્રમ, લગભગ ૨૫૦ જેટલા સાહિત્યપ્રેમીઓની હાજરીમાં ઉજવાઇ ગયો હતો.

થોડી રંગત, થોડી ગમ્મત, કવિતાની સંગત, હાસ્યની હેલી અને ગઝલના ગુલદસ્તાએ મઢેલી વાતો લઈને આવેલા શ્રી. રઈશ મનીઆર ગુજરાતના વર્તમાન સમયની એક વિલક્ષણ પ્રતિભા છે. કુલ અઢાર જેટલા પુસ્તકો અને બાર જેટલા નાટકો લખીને તેમણે પ્રથમ પંક્તિના કવિ, હાસ્યકાર અને નાટ્યકાર તરીકે નામના મેળવી છે. પોતે બાળમનોવિજ્ઞાની છે. પેરેન્ટીંગ વિશેના લેક્ચર્સ અને સેમિનારો પણ કરે છે. ખુદ જાવેદ અખ્તર અને ગુલઝારજી સાથે કાવ્યપાઠ કરવાની તેમને તક મળી છે. કૈફી આઝમી વિશેનું, તેમના લખેલા પુસ્તકનું વિમોચન, આ સદીના મહાનાયક શ્રી. અમિતાભ બચ્ચનને શુભ હસ્તે થયું છે. એમના ‘લવ યુ જિન્દગી’, ‘અંતીમ અપરાધ’, અને અનોખો કરાર જેવા નાટકો માટે સતત ત્રણ વાર શ્રેષ્ઠ નાટ્યલેખક તરીકે પારિતોષિક પણ એનાયત થયેલા છે. રણબીરસિંગ અને દીપિકા પદુકોણ અભિનીત ફિલ્મ ‘રામલીલા’ નું પેલું ખુબ જાણીતું ગીત પણ શ્રી. મનીઆરનું લખેલું છે. આઠેક જેટલી ગુજરાતી ફિલ્મોમાં તેમણે ગીતો લખ્યા છે. ગુજરાતી વર્તમાનપત્રોમાં તેઓશ્રી. કોલમો પણ લખે છે.

સાંજના ટકોરે, કાર્યક્રમની શરૂઆત , ભાવનાબેન દેસાઇના પ્રાર્થનાગીતથી કરવામાં આવી હતી. ત્યારબાદ, ડોક્ટર કોકિલાબેન પરીખે  રઈશ મનીઆરનો, તેમની લાક્ષણિક શૈલિમાં પરિચય આપ્યો હતો. અને આવકારના બે શબ્દો કહ્યા હતા.

સોહામણું વ્યક્તિત્વ અને મીઠી જબાન ધરાવતા આ યુવાન કવિ જો એકલી કવિતાઓ અને ગઝલો જ ઠપકારે તો કદાચ શ્રોતાઓ કંટાળી જાય એવા ખ્યાલથી તેમણે ત્રણ કલાકના આ સમગ્ર કાર્યક્રમના જાણે કે બે ભાગ પાડી નાંખ્યા હતા. પ્રથમ ભાગમાં, થોડી રંગત, થોડી ગમ્મત અને હાસ્યની હેલી અંતર્ગત શરૂઆત એકદમ હળવી વાતો અને જોક્સથી કરી હતી. ગુજરાતની શાળાઓમાંથી ગુજરાતી ભાષા લુપ્ત થઈ રહી છે એ અંગે ખેદ પ્રકટ કર્યો. અંગ્રેજી મીડીયમમાં ભણતા બાળકોની ગુજરાતી માતાઓ કેવું  અંગ્રેજી મિશ્રિત ભેળસેળિયું ગુજરાતી  બોલે છે એના રમુજી કિસ્સાઓ કહ્યા અને શ્રોતાઓને ખુબ હસાવ્યા. ગુજરાતી ભાષા  એની સમૃધ્ધી ખોઇ બેઠી છે એના રમુજી કિસ્સા કહ્યા.આપણી જુની કહેવતોના ગુજરાતી ભાષાંતરની રમુજે શ્રોતાઓને ખુબ હસાવ્યા. પોતાની જાણિતી હાસ્યસભર કવિતાઓ પણ રજૂ કરી. કવિ અને બહેરા શ્રોતાની જોક્સ…સુરેશ દલાલ અને તરલા દલાલની જોક્સ…કબરમાં ફાફડા-ચટણી લઈને પોઢી જવાનું હાસ્યરસિક કાવ્ય…લગ્ન તથા શુભપ્રસંગોએ વાડી ભાડે આપવાની જાહેરાતની મજાક…વિવાહ અને વિવાદ તથા MEAT and EGG ( મીત અને ઇન્દુ ) વાળી જોક્સ…’ પરણીને પસ્તાય તો કે’તો ન’ઇ’ વાળી જાણીતી હઝલ…ને એવી બધી, ઘણી હાસ્યપ્રધાન વાતોએ ,શ્રોતાઓની તાળીઓની ખંડણી તેમણે મેળવી હતી.

કાર્યક્રમના બીજા દૌરમાં, શ્રી. રઈશભાઇએ શેર, શાયરી, કવિતા, ગઝલ, હઝલ, અને નઝમ ની  મહેફિલ માંડી હતી.

ઇશ્ક હૈ કતરા કિ દરિયામેં ફના હો જાના

દર્દકા હદસે ગુજરના હૈ કિ દવા હો જાના…….

કવિતા એ નિરાલંબી છે. એને કાગળ, કલમ કે તબલા-પેટી ન જોઇએ…

ગાલિબ, મરીઝ જેવા ગઝલકારોની રચનાઓની  અજાણી વાતો સાથે પોતાના કાવ્યો અને ગઝલોની પણ મહેફિલ માંડીને શ્રોતાઓને મુગ્ધ કરી મુકયા હતા.

બે દિવસ પહેલાં, છ્ઠ્ઠી ઓગસ્ટે, ડોક્ટર કોકિલાબેનના નિવાસસ્થાને મળેલી એક અનૌપચારિક ગઝલ વર્કશોપમાં, બે કલાક સુધી , ત્રીસેક જેટલા સર્જકો અને ગઝલનું સ્વરૂપ અને બાંધણી સમજવાની જિજ્ઞાસા ધરાવતા સુજ્ઞ સાહિત્યપ્રેમીઓ સમક્ષ પણ રઈશભાઈએ, પાવર પોઇન્ટ પ્રોજેક્શનની મદદથી, ગઝલના સ્વરૂપ અંગે વિદ્વત્તાપુર્ણ વક્તવ્ય આપ્યું હતું. ‘ કભી કભી મેરે દિલમેં ખયાલ આતા હૈ’ જેવી જાણીતી નઝમના બંધારણ અંગેની તેમ જ આપણી ઘણી હિન્દી ફિલ્મોના  જાણીતા ગીતો કયા રાગ પર લખાયા છે એની ‘લગાગા…લગાલગા’ જેવી ટેક્નીકલ ભાષામાં સમજ આપીને, શ્રોતાઓને પણ એક ઢાળ પરથી એ ફિલ્મી પંક્તિઓ પર લઈ જઈને ગાતા કર્યા હતા એ  અનુભવ અદભુત હતો. ગઝલકાર તરીકે ત્રણ કાવ્યસંગ્રહો ઉપરાંત ગઝલના સ્વરૂપ વિશેની સમજ આપતા પુસ્તકો, ‘ગઝલના રૂપ અને રંગ’, તેમજ ‘ગઝલનું છંદોવિધાન’ લખ્યા છે. આ પુસ્તકો હવે યુનિવર્સિટીમાં રેફરન્સ બુક તથા ટેક્સ્ટ બુક તરીકે વપરાય છે. શાયરશિરોમણી મરીઝ વિશેનું, ‘મરીઝ-અસ્તિત્વ અને વ્યક્તિત્વ’  તેમજ, ચુનંદા ઉર્દુ શાયરોનો, ગુજરાતીમાં આસ્વાદ કરાવતું પુસ્તક, ‘માહોલ મુશાયરાનો’ જેવા પુસ્તકો ગઝલરસિકોમાં ખુબ લોકપ્રિય નીવડ્યા છે.

ત્રણ કલાક ચાલેલો આ કાર્યક્રમ સાંજે સાત વાગ્યે પુરો થયા પછી,ખીચડી, કઢી, મસાલાના થેપલા અને મોહનથાળની મજા માણીને સૌ વિખરાયા ત્યારે જાણે કે પુનમની રાતે ઉછળી ગયેલો સાગર અધવચાળે જ અચાનક એના વિપુલ જલરાશિ સાથે અધ્ધર જ સહેમીને થંભી ગયો ન હોય !

કાર્યક્રમની સફળતા માટે, સંસ્થાના કો-ઓર્ડીનેટરો શ્રી. નિખીલ મહેતા અને ધવલ મહેતા, ખજાનચી શ્રી. નરેન્દ્રભાઈ વેદસાહેબ, માનનીય સલાહકાર  કવયિત્રી શ્રીમતિ દેવિકાબેન ધ્રુવ, ડોક્ટર કોકિલાબેન પરીખ. શ્રી. પ્રશાંત મુન્શા, કવયિત્રી શૈલાબેન મુન્શા, નિતીન વ્યાસ, દીપક ભટ્ટ, ગીતાબેન ભટ્ટ, શ્રી. ફતેહ અલી ચતુર તથા  ‘સાસ’  ( સાહિત્ય સરિતા ) ના અન્ય નામી-અનામી સભ્યોએ તનતોડ મહેનત કરી હતી.

શ્રી. રઈશભાઇ મનીઆર  હ્યુસ્ટનના એરપોર્ટ પર ઉતર્યા  અને હ્યુસ્ટનથી વિદાય થયા ત્યાંસુધી તેમની સાથે ને સાથે રહેનાર અને તેમની આગતાસ્વાગતાથી માંડીને તેમના ટ્રાન્સ્પોર્ટેશન સુધીની જવાબદારી ઉઠાવનાર, રઈશભાઇના અંગત મિત્ર એવા શ્રી. વિશ્વદીપભાઇ અને રેખાબેન બારડને તો કેમ ભુલાય ? થેન્ક યુ, વિશ્વદીપભાઇ !

લખ્યા તારીખ-૧૯ ઓગસ્ટ ૨૦૧૫- રઈશ મનીઆરનો જન્મદિવસ

સંગીતના કાર્યક્રમની હાઈ લાઈટ્સ-

June 16th, 2015 Posted in અહેવાલ

સંગીતના કાર્યક્રમની હાઈ લાઈટ્સ– 

સાંજના ૭ થી ૧૨ નો સમય જાહેરાતોમાં દર્શાવેલો પણ શો શરુ થયો આઠ વાગ્યે.

લગભગ ૪૦૦ શ્રોતાઓ હતા.  નીચે ‘એમ’ થી ‘ડબલ્યુ’ હરોળની ટીકીટો વેચાઇ ન હતી એવું દેખાઇ આવતું હતું. સીટો બતાવનાર વોલન્ટીયર્સનો અભાવ હતો અથવા જે હશે તેઓ સાવ નિષ્ક્રિયપણે ઉભા હતા. શ્રોતાઓ કોમ્પ્યુટરમાંથી મેળવેલી ટીકીટો ડુપ્લિકેટ પ્રીન્ટ કરી કરીને લાવ્યા હોય એવી આશંકાથી, બોક્સ ઓફીસ પર લાઈનોમાં ઉભા રહી, ટીકીટો દર્શાવી અને હાથ પર બાંધવાની પટ્ટીઓ લઈને, પ્રવેશ અપાતો હતો. જે ખુબ સમય માંગી લેતું કામ હતું. ઇન્ટરવલ પછી, નીચેની ઘણી ખાલી સીટો એકદમ ભરાઇ ગયેલી લાગતી હતી. કદાચ ઉપરવાલે નીચે આ ગયે હો!

ડોક્ટર તુષાર પટેલે એકદમ ટૂંકુ અને મુદ્દાસર પ્રાસંગિક પ્રવચન કરેલું. ( + પોઇન્ટ )

પિનાકીન પાઠક ડાઉન ટૂ અર્થ રહ્યા. એમણે કોઇ પ્રવચન ન કર્યું. ( બીજો પ્લસ પોઇન્ટ)

અંકિત ત્રિવેદી કે તુષાર શુક્લ જેવા સંચાલકોને બદલે આ વખતે, ડોક્ટર માર્ગી હાથી નામના બહેન કેવું સંચાલન કરશે એવી આશંકા ઠગારી નીકળી. માર્ગીબેને ખુબ સુંદર રીતે સંચાલન કર્યું. મને તો એ બહેનમાં આપણા દેવિકાબેન ધ્રુવ જ જાણે દેખાતા હતા. મેં તો એમને સ્ટેજ પર જઈને આ વાત કહી પણ ખરી.

ગમે તે ગાયક ગાતો હોય પણ શ્રોતાઓની દ્રષ્ટી તો સ્ટેજ પર ચોથા ક્રમમાં બેઠેલા આનલ વસાવડા પર જ અટકી જતી હતી.

બે ગાયિકાઓ- હિમાલી વ્યાસ, આનલ  વસાવડા, સંચાલિકા માર્ગીબેન હાથી  સાથે મારો ફોટો, હ્યુસ્ટનના ગાયક કલાકાર શ્રી. કલ્પક ગાંધીએ લીધો છે.

પુરૂષોત્તમ ઉપાધ્યાય નો નાનો ભાઇ ભગવત ઉપાધ્યાય ૧૯૮૨ માં, ન્યુયોર્કમાં સ્ટુડીયો એપાર્ટમેન્ટમાં મારો રુમમેટ હતો અમે એકાદ વર્ષ ૪૦૦ ડોલરના ભાડાનો સ્ટુડીયો એપાર્ટમેન્ટ શેર કરેલો. એ ભગવત મને ૩૨ વર્ષ પછી સ્ટેજ પર મળી ગયો. એ વખતે અમે બન્ને મુફલીસ હતા.

હવે પ્રોગ્રામની વાતો-

પરદો ખુલતાં જ સ્ટેજ પર, ગાદી પર, બાર કલાકારો ગોઠવાયેલા દેખાતા હતા.

ડાબી બાજુથી- મનીષી રાવલ ( તબલા પર), રીતેષ ઉપાધ્યાય ( ઢોલક પર), મનીષ કંસારા ( ઓક્ટોપેડ પર ), ગાયિકા આનલ વસાવડા, ગાયક ભૂમિક શાહ, ગૌરાંગ વ્યાસ, ગાયક દિવ્યાંગ અંજારિયા, ગાયિકા હિમાલી વ્યાસ, ગાયક પ્રહર વોરા, સંચાલિકા ડોક્ટર માર્ગી હાથી,  મુછોવાળો હેન્ડસમ મયુર દવે ( ઇલેક્ટ્રીક ઓર્ગન પર) અને છેલ્લે જમણી બાજુ અદભુત વાંસળીવાદક શ્રેયસ દવે.

પુરુષોત્તમ ઉપાધ્યાયની એન્ટ્રી તો છેક રાત્રે પોણા બાર વાગ્યે થઈ હતી. અને એક વાગ્યા સુધી નોન-સ્ટોપ ‘વાતો ‘ કરી હતી તેમણે. એ વખતે, ગાયકો અને ગાયિકાઓ તથા ખુદ ગૌરાંગ વ્યાસ પણ સ્ટેજ પરથી નીચે ઉતરી જઈને  શ્રોતાઓ સાથે બેસી ગયા હતા. સ્ટેજ પર   ગાદી પર વાજિંત્રકારો અને ખુરશી પર પોતાના હાર્મોનિયમ સાથે  ૮૧ વર્ષની વયના પુરુષોત્તમભાઇ. ૧૯૩૪માં જન્મેલા આ કલાકાર ૧૯૪૭માં, માત્ર તેર વર્ષની વયે મુંબઈમાં શ્રી. અવિનાશ વ્યાસને ક્યાં અને કેવા સંજોગોમાં મળ્યા, તેમના ઘેર રહેવા ગયા અને અવિનાશ વ્યાસે આ હીરા પર પહેલ પાડીને કેવી રીતે મહાન ગાયક બનાવ્યો , પોતાનો માનસપુત્ર તરીકે ઓળખાવ્યો અને પોતાને  ‘એ ય પશલા’ કરીને બોલાવતા એની વાતો કરી. દિલીપ ધોળકિયા, અજીત મર્ચન્ટ, રાજકપુર, લતા મંગેશકર, આશા ભોંસલે, મોહમ્મદ રફી સાહેબ,એસ. ડી બર્મન, પંચમ,  મલ્લિકા-એ-તરન્નુમ બેગમ અખતર સાથેના પોતાના સંસ્મરણો કહ્યા અને સાથે સાથે અમુક ખ્યાતનામ ગીતોના સર્જનની વાતો કહીને એ ગીતો પણ ગાઇ સંભળાવ્યા.

વચ્ચે એક ગાયિકા નિર્મલા અરૂણ નો ઉલ્લેખ કરેલો. મને લાગે છે કે એ નિર્મલા અરૂણ એટલે આજના અભિનેતા ગોવિન્દા ની માતા. અવિનાશભાઇના કયા ગુજરાતી. ગીતો પરથી હિન્દી ફિલ્મોના કયા ગીતો રચાયા એની દિલચશ્પ વાતો પણ કરી.

પહેલા એ ગુજરાતી ગીત નું લગાલગા શાસ્ત્રિય રીતે ગાય, પછી એના શબ્દો આવે અને એ પંક્તિ પુરી થતાં પહેલાં પેલા હિન્દી ગીતની પંક્તિઓ શરુ થાય. અદભુત રજૂઆત હતી એ.

પુરૂષોત્તમભાઇએ ગાયેલા બે ગીતો મને ખુબ ગમ્યા. ‘દિવસો જુદાઇના જાય છે’, અને ‘કહું છું જવાનીને પાછી વળી જા, કે ઘડપણનું ઘર મારૂં આવી ગયું છે’.

કાર્યક્રમ દરમ્યાન કોણે શું ગાયું , કેવું ગાયું એ માટે તો જુદો અહેવાલ લખીશ.

આમ તો અવિનાશ વ્યાસના ગીતો આપણે બધાએ હજ્જારો વખત સાંભળ્યા છે. જુદા જુદા ગાયકોના કંઠે સાંભળ્યા છે. આપણે પોતે પણ ગણગણ્યા છે. એટલે આ વખતે, હું આ કાર્યક્રમમાં જવાના મૂડમાં ન હતો. છેલ્લા ત્રણ દિવસ જ બાકી હતા અને માત્ર ૨૩૫ ટીકીટો વેચાઇ હતી એવી લોકવાયકા સાંભળવા મળી. અને એ સાચી હોય એમ, ડિસ્કાઉન્ટ્સ ની જાહેરાતો થવા લાગી એટલે મારી પત્નીની ૭૩ મી વર્ષગાંઠ પણ આજે જ હતી અને એને આ ગીતો ખુબ ગમે છે એટલે મારા એક મિત્રએ ખાસ સીટવાળી ટીકીટો બુક કરાવી દીધી. હું પણ લગભગ ગૌરાંગ વ્યાસની જ ઉંમરનો છું. એકાદ અપવાદ બાદ કરતાં લગભગ બધાં જ સ્પોન્સરો, પ્રમોટરો, મને સ્ટેજ પર કે ગ્રીનરૂમમાં કલાકારોની મુલાકાત લેવા જવા દે છે. કલાકારો ક્યારે આવવાના છે, ક્યાં ઉતરવાના છે, કેટલું રોકાવાના છે એની માહિતી આપતા હોય છે.

મને સ્પર્શી ગયેલા કેટલાક ગીતો આ રહ્યા.

(૧) શ્રી. ભુમિક શાહે રજૂ કરેલ,  ‘નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે’,

(૨) શ્રી. દિવ્યાંગ અંજારિયાએ રજૂ કરેલ, ‘ ઝરુખે વાત જોતી… વસમું વસમું લાગે છે…સૂનું સૂનું લાગે છે’  વાળું એ ગીત અને ‘ આંખનો અફીણી, બોલનો બંધાણી’. હું મારી જુવાનીના દિવસોમાં ટાઉનહોલમાં આવા જ એક પ્રોગ્રામમાં ગયેલો અને કોઇ ગાયકે આ અફીણીવાળું ગીત ગાવા માંડ્યું કે  કોઇએ બાલ્કનીમાંથી ‘બોલનો બંધાણી’ શબ્દો આવે કે   ‘બોલ’ શબ્દનો પહોળો ઉચ્ચાર કરી મોટેથી પોતે એ લીટી બોલે અને  એ ગીતનો કચરો થઈ જતો. એવું હજી મને યાદ આવે છે. ( અલબત્ત એ તોફાની યુવાન હું ન હતો, હોં !  હું તો શિષ્ટ માણસ છું-તમે બધા જાણો જ છો.)

(૩)  આનલ વસાવડાએ રજૂ કરેલ ‘સીતા એકલા રે, જુએ રામલક્ષ્મણની વાટ’, ’આપણા મલકના માયાળુ માનવી’, ‘ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી’ હજુ કાનમાં ગુંજે છે.

(૪) શ્રી. પ્રહર વોરાએ રજૂ કરેલ ‘મણીયારો’.

કેટલાક ગીતોમાં મને શ્રી. અભેસિંહ રાઠોડની યાદ આવી જતી હતી. પણ એની વાત અહીં નહીં કરું.

મને લાગે છે કે હું તો માત્ર સીનોપ્સીસ લખવા માંગતો હતો અને કદાચ અહેવાલથી પણ વધુ લખાઇ ગયું. મને થોડામાં ઘણું કહેતાં આવડતું નથી એટલે તો હું હાયકુ લખી શકતો નથી.

મારે હવે વાર્તા કહેવાની કળા હસ્તગત કરવી છે. જે રીતે પુરુષોત્તમભાઇ સાહજિક રીતે વાતો કરતા રહ્યા અને સ્વયંભુ શબ્દો નીકળતા રહ્યા અને આપણે એ પ્રવાહમાં તણાતા રહ્યા.

૬/૬/૨૦૧૫

 

ગુજરાત ટાઈમ્સની એક જાહેરખબર

ગુજરાત ટાઈમ્સની એક જાહેરખબર

 

“ચાર અને સાત વર્ષની ઉંમરના બે બાળકોની, છૂટાછેડા લીધેલી અત્યંત ખુબસુરત સ્ત્રી અમેરિકામાં સ્થાયી થયેલા પુરૂષ સાથે લગ્ન કરવાની ઇચ્છા ધરાવે છે. ધંધામાં સાઇઠ હજાર ડોલર્સ સુધીનું રોકાણ કરી શકશે. ફલાણા નંબર પર સંપર્ક સાધશો અથવા અમુક ઇ-મેઇલ પર ઇન્ટરનેટના માધ્યમથી માહિતી મોકલશો.. વગેરે..વગેરે.”. ( ગુજરાત ટાઇમ્સ – ૧૨મી જુન ૨૦૧૫-  પેઇજ ૧૭ )

જાહેરાતમાં બહેને પોતાની ઉંમર નથી જણાવી પણ બાળકોની ઉંમર જોતાં, એ બહેન  જુવાન હશે એમ સમજાય છે. બહેને જ્ઞાતિ કે જાતિ પણ નથી જણાવ્યા એટલે જ્ઞાતિભેદમાં પણ નહીં માનતા હોય. ગમે તે જાતનો હોય પણ પુરૂષ જોઇએ અને અમેરિકામાં સ્થાયી થયેલો અને સીટીઝન અપેક્ષિત છે. ઇન્ડીયામાં મોટી ઉંમર સુધી અપરિણિત રહી ગયેલી સ્ત્રીઓના વડીલો  વીસ ત્રીસ લાખ રુપિયા દહેજમાં આપીને, અમેરિકન સિટીઝન્સ વિધુરો સાથે પોતાની પુત્રીને પરણાવતા હોય છે એ તો બધા જ જાણે છે. જમીનોના ભાવ આસમાને જતાં, ઘણાં ખેડૂતોને રાતોરાત કરોડો રૂપિયા હાથમાં આવી ગયા છે અને ગાડીઓ ફેરવતા થઈ ગયા છે એવા વડીલોની દીકરીઓને આ રીતે ઠેકાણે પાડી દેનારા એજન્ટો પણ ઉભા થઈ ગયા છે. અમેરિકામાં ગ્રીનકાર્ડ વગરની ઘણી સ્ત્રીઓ,  ૧૫- ૨૦ હજાર ડોલર્સ આપીને કોઇ   સિટીઝન ‘મેકલા’ કે ‘કાળિયા’ સાથે કાગળ પર લગ્ન કરીને ગ્રીનકાર્ડ મેળવી લે છે એ પણ હવે જગજાહેર હકિકત છે.

હવે, આ પરિસ્થિતીમાં, કોઇ મોટી ઉંમરનો વિધુર કે વાંઢો  ઇન્ડિયા જઈને વીસ-પચીસ લાખ રૂપિયા લઈને, પોતાનાથી જુવાન અને છડેછડી છોકરીને પરણી લાવવાની તક મળતી હોય તો, આધેડ ઉમ્મરની અને જુવાન બાળકોની માતા સાથે સંસાર માંડવા તૈયાર થાય ખરો  ?  હા..  મનના મેળ મળી ગયા હોય અને અહીં ગ્રીનકાર્ડ વગર રહી પડેલી પણ  આઇ.ટી. એક્ષપર્ટ તરીકે ઢગલો ડોલર્સ રળી આપવાની તક હોય અને રૂપાળી દેખાતી હોય તો કદાચ કોઇ  ચાન્સ લે પણ ખરો. પણ..મોટી ઉંમરના અને દૂધના દાઝેલા, કે ડીવોર્સના ચક્રવ્યુહમાંથી , બધું ફનાફાતિયા કરીને, માંડ છૂટેલા  એવા બેવકુફો પાશેર દૂધ માટે , શિંગડા ભરાવે એવી કોઇ ગાય ( કે ભેંસ ) ને ખીલે બંધાવા તૈયાર થાય ખરા ?

મોટી ઉંમરે વિધુર થયેલા કે છૂટાછેડા લઈને સ્વતંત્ર થયેલા  સજ્જન પુરુષો તમને ભાગવતકથાઓમાં જોવા મળશે. અને  દુષ્ટ પણ  ડાહ્યા  (!)  પુરૂષો રાત્રિકલબોમાં કે ચાઇનીઝ મસાજ પાર્લરોમાં જોવા મળે. ભાગવતકથાઓમાં  આવા સજ્જન પુરૂષો મોટેભાગે શુભ્રધવલ કેશરાશી ધરાવતા અથવા અડધી ટાલવાળા જોવા મળશે. અને રાત્રિકલબોમાં  આવા  રસિક પુરૂષો કલપ કરીને જુવાન દેખાવાનો ડોળ કરનારા કે વીગ પહેરેલા જોવા મળે.

અત્યાર સુધી  ધંધામાં રોકાણની લાલચ આપીને લગ્ન કરવાની ઓફર કરનારી જાહેરાતો જોવામાં નહોતી આવતી. હવે કાયદેસર રીતે પૈસાની ઓફર કરીને , લગ્ન દ્વારા, ગ્રીનકાર્ડ મેળવવાની ઇચ્છા વ્યક્ત કરાતી થઈ છે.

અમેરિકામાં ભાગવતકથાઓની સીઝન આવી ગઈ છે.

અમેરિકામાં  ભાગવતકથાઓની સીઝન આવી ગઈ છે.

નવીન બેન્કર

*****************************************

 

છેલ્લા સોળ કે સત્તર વર્ષથી  કેટલાક ભાગવતકથાકારો ,  અમેરિકામાં દર વર્ષે સીઝનમાં પધારે છે અને પોતાની મેસ્મેરાઇઝ્ડ વાણીથી, પોતાના સુમધુર સંગીતથી ,ભાગવતકથાનું પાન કરાવે છે. ભક્તોને નાચતા કરી મૂકે છે અને સૌથી વધુ   ડોલર્સની ખંડણી ભેગી કરીને ભારત જાય છે. તેમના આવવાના બેત્રણ માસ અગાઉથી તેમના સગાવહાલા અને ભક્તો સોશ્યલ મીડીયામાં પ્રચાર કરતા હોય છે. બિઝનેસકાર્ડ્સ  હજ્જરોની સંખ્યામાં વહેંચાય છે. દરેક જાહેર કાર્યક્રમ માં, તમારી કારના વીન્ડસ્ક્રીન પર કાર્ડ્સ વાઇપર નીચે મૂકી દેવાય છે. પેમ્ફ્લેટ્સ, મેઇલ્સ , છાપામાં આખા પાનાની આકર્ષક જાહેરાતો  દ્વારા પ્રચાર, કથાકાર અને  બિઝનેસરીલેશન્સમાં  પાવરધા ભક્તજનો હેલીકોપ્ટરને પુષ્પક વિમાન બનાવી દઇને, આકાશમાંથી ગુલાબના ફુલોનો વરસાદ વરસાવે છે, ભવ્ય અને ભવ્યાતિત ભવ્ય શોભાયાત્રાઓનું આયોજન કુશળતાપુર્વક કરવામાં આવે છે.  દરરોજ  કથા બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે. કેટલાક મહાદુષ્ટ પાપી પુરુષો  સાંજે વાગ્યે જોબ પરથી આવતી , ફીટ પેન્ટશર્ટ પહેરીને કથામાં આવતી , ભક્તાણીઓને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતી મુદ્રામાં નિહાળીને  કે   સ્થુળ ભક્તાણીઓને  ઉછળી ઉછળીને  નાચતી જોઇને  નયનતૃપ્તિ અર્થે પણ આવતા હોય છે ! શ્રીરામશ્રીરામલોકલ મંદીરના ત્રણચાર પુજારીઓ પણ ત્યાં પાટલા નાંખીને પૂજનવિધિ કરાવતા નજરે ચઢે.  વિવિધ પ્રસંગોની ઉજવણી પ્રસંગે યજમાન બનીને હજ્જારો ડોલર્સની ભેટ ચડાવતા ડોક્ટર કક્ષાના બુધ્ધીજીવીઓ પણ પોતિયા પહેરીને યજમાન બનીને પાટલે બેઠેલા જોવા મળે. શ્રોતાઓમાંથી કોઇ વસુદેવ બને, કોઇ હિરણ્યકશ્યપ બને, કોઇ રૂપાળી સ્ત્રી દેવકી કે યશોદા પણ બને અને .., બધા નાચે, ગાય અને સાત્વિક આનંદ લૂંટે ! કેટલાક વાંકદેખા, નરકના અધિકારી લંપટ પુરુષો ચક્ષુ…..દ્વારા,  મનોમૈથુન કરીને  વિકૃત આનંદ માણતા પણ તમને જોવા મળે. કથામાં, કથાકાર મથુરામાં કે વૃંદાવનમાં જનમ લેવાની વાતો કરે પણ આ જનમ માં તો મુંબઈ કે ન્યુયોર્કમાં જ પડ્યા પાથર્યા રહેતા હોય છે અને ટોયોટા કે મર્સીડીસ ગાડીમાં શોફર્સની સેવા લઈને ઘુમતા હોય છે. ફલાણા ખ્યાતનામ સંતના વારસદાર કહેવાતા આ મિષ્ટભાષી  પોથીપંડીતો , -નો ડાઉટ- ખુબ સારા પ્રવચનકારો હોય છે. પબ્લીકને મેસ્મેરાઇઝ કરી દેવાની તેમની પાસે કળા હોય છે.પુનર્જન્મ અને સ્વર્ગપ્રાપ્તિની આકાંક્ષુ ગુજ્જુ અંધશ્રધ્ધાળુ ભક્તાણીઓ  તેમના વરની મહેનતના પૈસાનો વરસાદ વરસાવી દેતી હોય છે. ચરણસ્પર્શ કરવા અને પોથી પર ડોલર્સ મૂકવા માટે લાંબી લાંબી લાઇનો લાગતી હોય છે.

આપણને તો દરરોજ સ્વાદિષ્ટ ભોજન મળે છે અને બહાર બાંકડા પર બેસીને , આ પરદેશમાં આપણા જાતભાઇઓને મળવાનો અને ગુજરાતી ભાષા બોલવાનો લહાવો મળે છે. જો કે હું અંદર જઈને, સાષ્ટાંગ દંડવત કરતી  સ્થુળ બહેનોને વિકૃત નજરે જોવાનું પાપ નથી કરતો, હોં !  એમ તો હું સજ્જન અને શિષ્ટ માણસ છું-પત્નીથી ડરીને ચાલનારો.

 

શું કિયો’સો તમે ?

 

નવીન બેન્કર   (૭૧૩)-૮૧૮-૪૨૩૯            લખ્યા તારીખ ૧૦ જુન ૨૦૧૫

અમારા ચંચીબા

June 11th, 2015 Posted in ટૂંકી વાર્તાઓ

અમારા  ચંચીબા  ( લઘુકથા )

નવીન બેન્કર 

તમને હવે એ તો ખબર છે જ કે બેલેન્ડ પાર્કના કોમ્યુનિટી સેન્ટરમાં મહિનામાં બે વખત અમારે સિનિયરોની મીટીંગ મળે છે. આજથી પચીસ વર્ષ પહેલાં આ એસોસિયેશનની શરૂઆત થયેલી ત્યારે માંડ પચાસેક સભ્યો હતા અને એ વખતે એના સભ્ય થવાની વયમર્યાદા ૫૦ ની રાખેલી. એ વખતે હું એનો સભ્ય થયેલો. આકાશવાણીના નિયામક પણ રીટાયર થઈને આ શહેરમાં દીકરા સાથે રહેવા આવેલા જે લેખનપ્રવૃત્તિને કારણે મને અમદાવાદથી ઓળખે. એ આ એસોસિયેશનના પ્રેસિડેન્ટ હતા. હું નવો નવો આવેલો અને એ જાણતા હતા કે હું લખું છું એટલે મને પ્રવચન કરવા આમંત્રણ આપ્યું હતું. પછી તો મને એ લોકોની પ્રવૃત્તિઓમાં રસ પડી ગયો એટલે હું પણ સંસ્થાનો સભ્ય થઈ ગયો હતો. સંસ્થાની મીટીંગોના અહેવાલો હું લખતો. હિસાબો પણ સંભાળું અને દર મહિને થતી પિકનિકોના અહેવાલો લખીને ગુજરાતી વર્તમાનપત્રોમાં પ્રસિધ્ધ કરાવું.

ચંચીબા  એ વખતના સભ્ય. હું પચાસ વર્ષનો અને ચંચીબા લગભગ પાંસઠના. એમના દીકરા સાથે રહેતા. એમને ચાર દીકરા. ત્રણ દીકરા આ શહેરમાં અને એક દીકરો કેલિફોર્નિયામાં. ત્રણે દીકરાઓએ વારા કાઢેલા-મા ને રાખવાના. ચાર મહિના થાય એટલે અઠવાડીયા અગાઉ જેનો વારો હોય એને નોટીસ પહોંચી જાય કે ‘જો જે, બા ને મૂકવા આવવાનો છું. વેકેશન પર જવાનો પ્લાનબ્લાન કરતો નહી’. દરેક દીકરા-વહુને બા સાથે રહેવાનો લાભ તો મળવો જોઇએ ને !..શ્રીરામ..શ્રીરામ…

આટલી પુર્વભૂમિકા પછી હું અસલી વાત પર આવું.

આ ચંચીબાને એક ખાસ બહેનપણી હતી.- શકરીબા. જાતે બ્રાહ્મણ. એમનો દીકરો ડેની દ્વિવેદી એમને મૂકવા આવે એટલે હું ઓળખું . મૂળ નામ તો એનું દયાશંકર. પણ આવા તો કેટલાય દયાશંકરો અમેરિકામાં આવીને ડેની બની ગયા છે. બન્ને બહેનપણીઓ સુખદુખની વાતો કરે અને મનનો ભાર હળવો કરે. યુ નો વોટ આઇ મીન !    મંદીર હોય કે સિનિયર્સની મીટીંગ. બધા સોશ્યલાઇઝીંગ કરવા જ જતા હોય છે.

આ ચંચીબા હમણાં ચાર-છ મહીનાથી મીટીંગમાં નહોતા દેખાતા. અચાનક આજે કોઇ પાડોશીની સાથે આવ્યા. મને બહાર બેલેન્ડ પાર્કના બાંકડે બેઠેલો જોઇને તેમણે પુછ્યું-  ‘કેમ ભઈલા, બહાર બેઠો છું ?’

‘અંદર પ્રવિણાબેન કડકિયા યોગા શીખવે છે. અને આપણને જમીન પર બેસવું ફાવે નહીં. વળી, આખી જિન્દગીમાં ક્યારેય કસરત બસરત ના કરી હોય એટલે આટલે વર્ષે આ બધામાં રસ ના પડે. પણ  બહેન, તમે ક્યાં ખોવાઇ ગયા છો ? ચંચીબાને અજાણ્યા લોકો ‘ બા’  કહે. પણ ઘરમાં અને અમારા જેવા આપ્તજનો-માયાવાળા લોકો ‘બહેન’ કહે છે.

નાઇન્ટીપ્લસ ચંચીબા મારી સાથે બાંકડે જ બેસી ગયા. અને એમની કરમકહાણી કહેવી શરૂ કરી-

‘ભઇલા… મારી બહેનપણી શકરી ગુજરી ગઈ પછી હું એકલી પડી ગઈ હતી. કોને મળવા આવું ? મારી સાથે સુખદુખની વાત કરવાવાળી તો એક એ હતી. મારો સૌથી વહાલો દીકરો શ્રવણકુમાર ગુજરી ગયો. એ જ તો મારી કાળજી રાખતો હતો.    જરા ય મ્હોં બગાડ્યા વગર મને મીટીગમાં મૂકવા આવતો, મીટીંગ પુરી થાય ત્યાં સુધી બહાર બાંકડે બેસી રહીને મારી રાહ જુએ. બહાર હોટલમાં ખાવ લઈ જાય. મંદીરમાં દર્શન કરવા લઈ જાય. એ ગુજરી ગ્યો ને મારી કરમકઠણાઇ બેસી ગઈ. બીજા દીકરાઓની વહુઓ તો એમની માઓને લઈ  જવાની હોય તો  જ આપણને ય ગાડીમાં બેહાડે. બાકી બે ય જણીઓને તો હાહુ આંખમાં કણાની જેમ ખુંચે. હજુ એકની વહુ તો હારી’સે પણ બીજાની વઉ તો કાટમાં કાટ અને મારો દીકરો તો એનાથી ય મોટો કાટ. લોકલાજે ઘરમાં રાખે અને બટકુ નાંખે પણ…’

એમની વાતને અધવચ્ચેથી અટકાવીને મેં પુછી લીધું- ‘ તે બહેન, તમે  અહીં ઓશિયાળી જિન્દગી વેઠવા કરતાં ઇન્ડીયામાં તમારા  પોતાના ઘરમાં જઈને રહો ને ! ત્યાં તો સગાંવહાલા-પાડોશીઓ તમને સાચવે, નોકરચાકર મળી રહે, રસોઇ કરવાવાળી બાઈ રાખી લેવાની અને જ્યારે દેવદર્શને કે સોશ્યલ કામે જવું હોય ત્યારે રીક્ષાઓ ક્યાં નથી ?  છોકરાઓ એમ તો બે પાંદડે છે. ‘…

‘ભઈ…એનું જ તો દુખ’સે…પાંચ વરહ પહેલાં, દીકરાઓએ મને કહ્યું-‘ બહેન, તુ હવે પંચ્યાશીની થઈ. તારા મરી ગયા પછી ઇન્ડીયાના ઘર અને પૈસા માટે બખેડા પડે, કોરટકચેરીના ધક્કા અમારે ખાવા પડે અને ઇન્ડીયામાં તો સરકારી કચેરીઓમાં વચેટીયા વગર કોઇ કામ જ નથી થતું. વળી અત્યારે ગુજરાતમાં મોદીસાહેબનું રાજ છે અને રીયલ એસ્ટેટ તેજીમાં છે. તો ઘર કાઢી નાંખીએ. તારે જેને આપવા હોય એ તારા જીવતા જ પતાવી દે. હવે તને ય પંચ્યાશી થયા. તું યે કેટલું જીવવાની ? આ તો બોનસની જિન્દગી કહેવાય.’ મને ય એમની વાત  હાસી લાગી અને મેં ય મૂઇએ કાગળીયાઓમાં સહીઓ કરી આલી. ઇ હંધુ ય  વેસાઇ ગ્યું ને ચારે ય જણાંએ વહેંચી લીધા. મારા જગુએ ( એમના વરને  એ વહાલમાં જગુડો કહેતા ) મારા ઘડપણ માટે વ્યવસ્થા કરેલી.’ ( ડૂસ્કુ )  

‘તે બહેન… તમારા શ્રવણકુમારને શું થયું હતું ?’ 

એ ય બચાડો જીવ દુખિયારો જ હતો.  એ જ અમેરિકામાં પહેલવેલો આયો’તો. એણે જ હંધાયને આંય કને બોલાયા’તા. પેલા બધા વધારે ભણેલા તે મીલીયોનેર થઈ ગ્યા ને મારો શ્રવણ ઓ્છું ભણેલો  ને સીધી લીટીનો માણહ તે નાનકડી નોકરી કરીને પડી રહ્યો. એની બૈરી રૂપાળી અને ફેશનવાળી. એને મારો શ્રવણ કદી ગમતો નહોતો, પણ અમેરિકા આવવા માટે પૈણેલી. શ્રવણને આઘો ને આઘો જ રાખે. જોકે ભેળા રહ્યા એટલે  એક દીકરી થઈ ગઈ. એ ય એની મા પર જ પડી છે. રૂપરૂપનો અંબાર છે. એને પેલા જુગાર રમવા જાય છે ને ત્યાં-‘

‘હા… લાસ વેગાસ.’ મેં કહ્યું.

‘હા..ત્યાં લાસવેગાસમાં દીકરી અને જમાઇ રહે છે. શ્રવણની વહુ પણ એની દીકરીની સુવાવડ કરવા ત્યાં ગઈ અને રહી ગઈ. ત્યાંની ઝાકઝમાળમાં ખોવાઇ ગઈ. અને મારો શ્રવણ અહીં એની જોબ કરતો એકલો ને એકલો હોટલોના રોટલા ખાઈ ખાઇને પડ્યો રહ્યો. શ્રવણને હમણાં જ પાંસઠ થયા ને એ રીટાયર થઈને લાસવેગાસ ગયો હતો અને ત્યાં જ હાર્ટએટેકથી ગુજરી ગયો. બચાડો એની સોશ્યલ સીક્યોરીટી ખાવા ય  નો રહ્યો.’ ( ડૂસ્કુ)

સાલ્લાના છેડાથી આંખો લુછતાં બહેને આગળ ચલાવ્યું-

‘હવે આ બે દીકરાઓની વચ્ચે દહાડા કાઢું છું. લબાચા  લઈને આને ઘેરથી પેલાના ઘેર ને પેલાના ઘેરથી આના ઘેર. વહુઓ કહે કે બારીના પડદા નહીં ખોલવાના તો સુર્યના પ્રકાશ વગર અંધારિયા ઓયડામાં પુરાઈ રહેવાનું. ઘડીક ઓસરીમાં ખુરશી નાંખીને બેહવાનું મન થાય તો કહેશે-‘બહાર ના બેસાય, કોઇ ઘરમાં ઘુસી જાય અને મારી નાંખે. ઘરની અંદર જ રહો.’

‘તો…બહેન, તમે તમારી પૌત્રીને ઘર લાસવેગાસ જતા રહો ને !’ -મેં સુચવ્યું.

‘શ્રવણની વહુને એ ગમે ? હવે તો શ્રવણની સોશ્યલ સીક્યોરીટી, બચતના પૈસા, લાઇફ ઇન્સ્યોરન્સના પૈસાથી એ લાસવેગાસની ક્લબોમાં મજા કરતી હોય ત્યાં આ બુઢ્ઢી સાસુ સહન થાય  અને ભઈલા, એક ખાનગી વાત કહું ? એ તો શ્રવણના ફ્યુનરલમાં યે નહોતી આવી. પત્ની એના બાળક્ના બાપના અંતીમ દર્શન કરવા કે અંતીમ વિદાય દેવાનું સૌજન્ય ચૂકી ગઈ હતી. બધાયે બહુ સમજાવી પણ ના માની તે ના જ માની.’

‘એવું ય બને કે એ અતિશય પ્રેમને કારણે, પોતે એ સહન નહીં કરી શકે એ વિચારે ફ્યુનરલમાં ન આવી હોય’- મેં  મારો વિચાર દર્શાવ્યો.

‘ અરે..પ્રેમબેમ તો એને કદી નહોતો. હમેશાં જાહેરમાં, વારતહેવારે કુટુંબના બધા ભેગા થયા હોય ત્યારે એ કહેતી-‘ કોઇએ મને એવોર્ડ આપવો જોઇએ આવા વરને નભાવવા બદલ ‘…

-હંમેશાં એની આંખમાં મારા શ્રવણ માટે એક પ્રકારની નફરત , ઉપેક્ષા જ દેખાતી. એનું બધાં વચ્ચે અપમાન જ કરતી હતી. પોતે રૂપાળી છે એનું એને અભિમાન હતું એને તો પોતાને માટે કોઇ સલમાનખાન જેવા સોહામણા પુરુષની ઝંખના હતી.

હવે હું શું બોલું ?

નાઇન્ટી પ્લસ ચંચીબા જેવા ઘણાં સિનિયરો મને એમની હૈયાવરાળ કહેતા હોય છે.

તમે ય કોઇ દિવસ બેલેન્ડ પાર્કના બાંકડે, કે કોઇ મંદીરની બહાર ટોળે વળેલા ગ્રુપમાં આવજો. આંખ અને કાન ખુલ્લા રાખશો તો આવા કેટલાય ચંચીબાઓ તમને જોવા મળશે. કેટલાય ડેની, કેટલાય શ્રવણકુમારો તમને ભટકાશે.

એક રીક્વેસ્ટ કરૂં ?  આ વાત મારી પત્નીને ના કહેશો. નહિંતર એ મને દુનિયાદારીની શિખામણ આપતાં કહેશે- ‘ એ ડોશીઓ તો બધી પોતાના દીકરા-વહુઓની ખણખોદ કરવા અને વગોવવા જ મંદીરો અને મીટીંગોમા જતી હોય છે. મારે તો સારૂં છે કે હું બહેરી છું એટલે મારી જોડે તો કોઇ વાત કરવા આવે જ નહીં. એક તો આવી વાતો ધીમેથી કહેવાય અને હું મૂઇ સાંભળું નહીં એટલે એમને મોટેથી બોલવું પડે. અને એકનું એક વાક્ય ચાર ચાર વાર બોલવું પડે એટલે બધાં મારાથી દૂર ભાગે. અને…તું  સાલો ઘાંયજો છું. પઈની પેદાશ નહીં ને આવું આવું લખીને છપાવે અને વગર ફોગટના ફોટા પાડી પાડીને –‘ વગેરે..વગેરે…

યુ નો વોટ આઇ મીન !

નવીન બેન્કર – (૭૧૩)-૮૧૮-૪૨૩૯             લખ્યા તારીખ-૧૦ જુન ૨૦૧૫

***************************************************************

 

  

 

 

સમાધાન – ( ટૂંકી વાર્તા ) લેખક- નવીન બેન્કર

June 5th, 2015 Posted in ટૂંકી વાર્તાઓ
નોંધ- આ વાર્તાનું થીમ એડલ્ટ છે. આપણા કહેવાતા ધર્મગ્રંથો અને પુરાણોમાં વર્ણવેલી કેટલીક  વાતોને મેં આ વાર્તામાં ગુંથી લીધી છે તો પછી એને અશ્લીલ અશ્લીલ‘ કહીને કાગારોળ કરવાનો  શો અર્થ ?  આ વાર્તા ૧૯૭૪માં-૨૮ ઓગસ્ટ ૧૯૭૪ને પુરુષોત્તમ માસની પવિત્ર એકાદશીને બુધવારે  મેં લખેલી એવું મારી હસ્તપ્રત પરથી જણાય છે. અમદાવાદના કોઇ સામયિકમાં છપાયા બાદજનસત્તા
પ્રેસના ચાંદની‘ વાર્તામાસિકના ચર્ચાચોરો‘ વિભાગમાંઆ અંગેમારા પર ટીકાઓનો મારો થયેલો,  ઓર્થોડોક્સ અને ચોખલિયા લોકોએ કાગારોળ કરી મૂકેલી. મારી આ અને આવી વાર્તાઓ અંગે ગુજરાત  સરકારે મને નોટીસ પણ મોકલેલી અને બકુલ જોશીપુરા જેવા લેખક-એડવોકેટની દરમ્યાનગીરીથી હું બચી ગયેલો.. એ જ સમયગાળામાંસ્વરુપ સેકસ ક્યોરવાળા ડોક્ટર સ્વરુપ ( સાચુ નામ રામસ્વરુપ શર્મા)  અને લેખક લક્ષ્મીકાંત વોરા પર પણ આવી તવાઈ ઉતરેલી. એ પણ એ બહુ લાંબી વાત છે. ફરી ક્યારેક….
નવીન બેન્કર    –૮/૮/૨૦૧૨-શહીદ દિન.
 

સમાધાન – ( ટૂંકી વાર્તા )             લેખક- નવીન બેન્કર

પરમ પવિત્ર અને ફળદાયી પુરુષોત્તમ માસ ચાલતો હતો.
હજારો શ્રધ્ધાળુ ભાવિક ભક્તો-સ્ત્રીપુરુષો- બ્રાહ્મ મુહૂર્તથી માંડીને આખો દિવસ સાબરમતી નદીમાં સ્નાન કરવા ઉતરી પડતા હતા. હંમેશાં નિર્જન જેવો રહેતો સાબરમતી નદીનો કિનારો આવા ભાવિક ભક્તજનોથી ઉભરાઇ ગયો હતો.છેક નદીના તટથી માંડીને વિક્ટોરિયા ગાર્ડન સુધી દીન-હીન ભિખારીઓ અને યાચક બ્રાહ્મણોની લંગાર પણ બિસ્તરા બિછાવીને પડી હતી.
એ દિવસે એકાદશી અને બુધવાર હતો.
શાલિભદ્ર બાવીસ વર્ષનો યુવાન હતો.ઉચ્ચ બ્રાહ્મણ કુટુંબમાં એનો જન્મ થયો હતો.એની માતા એક અત્યંત સંસ્કારી અને પવિત્ર સ્ત્રી હતી.તેથી એને નાનપણથી જ ધર્મભાવનાના સંસ્કાર પ્રાપ્ત થયા હતા.પોતાની દાદીમા અને માતા સાથે એ માંડવીની પોળમાં આવેલી લાલાભાઇની પોળના એક મઠમાં ભજનકિર્તન સાંભળવા જતો. એ વખતે એની ઉંમર માત્ર નવ વર્ષની હતી છતાં એને ભગવદગીતાનો નવમોબારમો અને પંદરમો અધ્યાય કંઠસ્થ હતા.સત્સંગ કરાવનાર સંન્યાસી કહેતા કે ‘ યે લડકા બડા હોકર સન્યાસી હોગા યા બડા જ્ઞાની-ધ્યાની બનેગા.અગલે જનમસે ધરમધ્યાન કરતે હુયે આયા હૈ‘.
પરંતુજન્મજાત સંસ્કારોને કારણે નાની ઉંમરમાં જ ,સંન્યાસ લેનારા સંન્યાસીઓ ઘણાં ઓછા હોય છે.મોટેભાગે તોઆ સંસારના સારામાઠા અનુભવોની એરણ પરથી પસાર થયા બાદ જ સંન્યસ્તભાવ જાગ્રુત થતો હોય છે. આપણાં ધાર્મિક ગંથો કે પુરાણોના ઋહિમૂનીઓના જીવનચરિત્રો જોતાંઆ બાબત સ્પષ્ટ થશે. કેટલાક સંપ્રદાયો નાની ઉંમરના કુમળા બાળકોનું બ્રેઈન-વોશીંગ કરી નાંખીને પણ સંન્યાસી બનાવી દેતા હોય છે.
કહેવાનું તાત્પર્ય એ જ કે શાલિભદ્રના સંસ્કારો ઉત્તમ હતા,પરંતુ યુવાનીવિલાસી સ્વભાવના દોસ્તોઆજકાલનું કામવાસના ઉશ્કેરે તેવું હલકુ સાહિત્ય અને ચલચિત્રો જેવી બાબતોએ એના પ્રજ્ઞાચક્ષુઓ આગળ મોહમયી માયાના પડદા ઢાળી દીધા હતા.
છતાં….પૂર્વજન્મના અને આ જન્મના સંસ્કારોને કારણે,એણે આજે પુરુષોત્તમ માસની એકાદશીનું વ્રત કરવાનું નક્કી કર્યું હતું.એની સુશીલ અને સુલક્ષણા પત્ની પણ ધર્મભાવનાવાળી હતી. એ તો આખો માસ નદીમાં સ્નાન કરીપુરુષોત્તમ માસની કથાવાર્તા શ્રવણ કર્યા બાદ એક ટાણું ભોજન કરતી અને આખો માસ મન-વચન-કર્મથી બ્રહમચર્યવ્રતનું પાલન કરતી.
શાલિભદ્ર જરા શોખીન અને રંગીન તબિયતનો મસ્ત યુવાન હતો એટલે એને આ મન-વચન-કર્મનું બ્રહમચર્ય‘ ન જ ગમે એ સ્વાભાવિક હતું પરંતુપત્નીની ધર્મભાવનાને આડે આવવું એને ગમતું નહીં. વળીચાર વર્ષના લગ્નજીવન દરમ્યાન એને હજીસુધી સંતાનપ્રાપ્તી થઈ ન હતી તેથી પુરુષોત્તમ માસના વ્રતદ્વારા એ ફળપ્રાપ્તીની એમને આશા પણ હતી.
પત્નીના અત્યંત આગ્રહને વશ થઈને એણે આ વ્રત કરવાનું નક્કી કર્યું અને એ દિવસેસવારે છ વાગ્યે ઉઠી જઈને,એલીસબ્રીજ નીચેસન્યાસ આશ્રમની પાછળના સાબરમતી નદીના કિનારે સ્નાન કરવા ,એ પત્ની સાથે આવ્યો હતો.
કિનારા પર બેઠેલા એક બ્રાહમણના પાથરણા પર કપડાંથેલીલોટો વગેરે મૂકીને પત્નીસ્ત્રીઓ માટે બાંધેલા કંતાનોવાળા પાર્ટીશન બાજુ સ્નાનાર્થે ગઈ અને શાલિભદ્ર એક ટૂંકી ચડ્ડીભેર આ બાજુ પાણીમાં પ્રવેશ્યો.
સ્નાન કરતાં કરતાંશાલિભદ્રની નજરપોતાનાથી દૂર સ્નાન કરતી  કેટલીયે સ્ત્રીઓ પર પડી. જો કે એમાંની મોટાભાગની સ્ત્રીઓ તો આધેડ વયની કે વ્રુધ્ધ હતી. પરંતું એમના દેખાદેખી અગર તો ખાનદાનની રીત અનુસાર ઘણી યુવાન સ્ત્રીઓ પણ એમાં હતી.
કપડાભેર સ્નાન કરતી એ સ્ત્રીઓના વસ્ત્રો પાણીમાં ભીના થવાને કારણે દેહલતા સાથે ચપોચપ ચીપકાઇ ગયા હતા અને એમાંથી યૌવનદર્શક અંગોપાંગો સ્પષ્ટપણે દ્રષ્ટીગોચર થતાં હતાં.
યુવાન શાલિભદ્રની દ્રષ્ટી એવી યૌવનમત્ત સદ્યસ્નાતાઓ પર જ ફરવા લાગી.
સ્ત્રીનું સૌંદર્ય એ તો કામદેવનું અમોઘ શસ્ત્ર છે. હજારો ઋષિઓના તપનો નાશ કરવા માટે ઇન્દ્ર જેવાએ પણ એનો સફ્ળ ઉપયોગ કર્યાના દાખલા આપણા પુરાણોમાં નોંધાયેલા છે. એ પ્રમાણેઆ સંસ્કારી અને બુધ્ધીમાન યુવાન શાલીભદ્રના મનમાં પણ પેલી સ્ત્રીઓના સુવિકસિત પયોધરોના દર્શનથી કામવાસના જાગવા માંડી. ઘડીભર એ ભૂલી ગયો કે પોતાની પત્ની પણ પેલા કંતાનના પડદા પાછળ એ જે રીતે સ્નાન કરી રહી છે અને આ રીતે અશિષ્ટ થઈને પરનારી પ્રત્યે કુદ્રષ્ટી કરવી એ પાપ છે.
આવી રીતેએક અત્યંત ઉન્નત પયોધરોવાળી સુંદર યુવતીને જોતાં જોતા એણે વિચાર્યું- કાશ ! આ નવયૌવના સાથે માત્ર એક જ રાત રતિસુખ માણવાની તક મળે તો કેટલું સ્વર્ગીય સુખ પ્રાપ્ત થાય !!!
એમ વિચારતાં વિચારતાં એ એટલી હદ સુધી ઉત્તેજીત થઈ ગયો કે એનું સ્ખલન થઈ ગયું.-યુ નો વોટ આઇ મીનરાઇટ ?
સ્ખલન થઈ ગયા પછી પુરુષ હંમેશાંવિકારમુક્ત થઇ જાય છે અને એની વિવેકબુધ્ધી પણ યથાસ્થાને આવી જાય છે. એ પ્રમાણે શાલિભદ્ર પણ શાંત થઇ ગયો અને વિવેકબુધ્ધી ઠેકાણે આવી જતાંપોતાનાથી થઈ ગયેલા માનસિક વ્યભિચાર બદલ પસ્તાવો કરવા લાગ્યો.
થોડીવારે એ નદીમાંથી બહાર નીકળ્યો અનેપત્નીના હાથે થોડુંક  દાનધરમ કરાવીમહાલક્ષ્મી માતાના મંદીરમાં દર્શનાદિ કરીને ઘેર આવ્યો. કથા સાંભળી,એકટાણું કર્યું પરંતુ મનનું પેલું માનસિક પાપ ડંખી રહ્યું. “અરરર..! મારું આટલું અધઃપતન મારાથી આજે વ્રતના દિવસે આવું વિચારી જ કેમ શકાયું ઓહ..! પ્રભુ ! હું એટલો બધો અસંયમી બની ગયો કે પાણીમાં સ્નાન કરતાં કરતાં સ્ખલિત થઈ ગયો ?”
આમઆખો દિવસ પશ્ચાતાપની આગમાં જલતાં જલતાં રાત પડી.અને એ પ્રભુસ્મરણ કરતો,પત્નીથી અલગ સૂઈ ગયો.મન-વચન-કર્મથી પુરુષોત્તમ માસમાં બ્રહ્મચર્યનું પાલન કરતી પત્નીના ધર્મમાર્ગમાં એ અવરોધ બનવા ઇચ્છતો ન હતો.
મહર્ષી નારદમૂનિ એ દિવસે પુરુષોત્તમ ભગવાનના ભક્તોની દિનચર્યા નિહાળવા અમદાવાદ પધાર્યા હતા. એમનાથી આ સંસ્કારી યુવાનના મનની સ્થિતિ કેમ અજાણી રહે એમણે જોયું કે એકવાર ભલે આ નાદાન યુવાનથી માનસિક વ્યભિચાર થઈ ગયોપરંતુ એનો અંતરાત્મા એ બદલ સતત પશ્ચાતાપ કરે છે. જો હું એના મનનું સમાધાન નહીં કરું તો એ અન્નજળનો ત્યાગ કરીને દેહત્યાગ કરી દેશે.
એટલે..રાત્રે ઉંઘમાં પણ જ્યારે આપણો શાલિભદ્ર અરરર…મારું આટલું અધઃપતન ?’ એમ બબડતો હતો ત્યારે નારદમૂનિ એના સ્વપ્નમાં દેખાયા અને કહેવા લાગ્યા-” હે વત્સ ! શા માટે આમ બબડ્યા કરે છે ?  શાનો પતન..પતન..કરીને જીવ બાળે છે મને એનું કારણ કહે તો હું તારા મનનું સમાધાન કરું.”
ઉંઘમાં જ શાલિભદ્રના અંતરાત્માએ જવાબ આપ્યો-” હે મહર્ષિ નારદજીઆપ તો અંતર્યામિ છો. આજે સરિતામાં સ્નાન કરતાં કરતાં મારાથી એક ષોડશી સુંદરીના ઉન્નત વિશાળ પયોધરો અને મસ્ત યુવાની જોઇને મારાથી માનસિક વ્યભિચારનો મહાદોષ થઈ ગયો છે.એટલું જ નહીંપણ કુદરતદત્ત એવા અમૂલ્ય શુક્રનું પાણીમાં સ્ખલન થઇ ગયું છે. હે પ્રભો ! આ પાપનું પ્રાયશ્ચિત શું કરવું કયા વ્રતના ઉપાયે કરીને એ દોષ ધોવાઈ જાય એ ક્રુપા કરીને મને કહોમૂનિવર !”
અત્યંત દીનતાપૂર્વકઆજીજીભરી વાણીમાં ઉચ્ચારાયેલાએ નાદાન યુવાનના આર્દ્રતાભર્યા વચનો સાંભળીને મૂનિવર નારદજી ઉવાચ-
હે વત્સ ! હું કહું તે કથાઓ સાંભળ.  પાણીમાં શુક્રસ્ખલન કરનાર તું કાંઇ પહેલો પુરુષ નથી.પુરાણકાળમાં ઘણાં જ્ઞાની-ધ્યાની બ્રહ્મર્ષિઓએ પણ એમ કરેલું છે.
ગૌતમ ઋષિના પુત્ર શરદવાન વેદવેદાંત અને ધનુર્વિદ્યામાં કુશળ હતા. એમણે તપ કરવા માંડ્યું.ઇન્દ્રને ઇન્દ્રાસન જવાનો ડર લાગ્યો એટલે એણે જાનપદી નામની અપ્સરા મોકલી. જાનપદીનું રુપ જોઇને શરદવાન મોહિત થઈ ગયા અને તત્કાળ એમનું વીર્ય-સ્ખલન થઈ ગયું . એ વીર્યના બે ભાગ થયાજેમાંથી મહાભારત-પ્રસિધ્ધ ક્રુપાચાર્ય અને ક્રુપિનો જન્મ થયો.
એવા જ બીજા એક મૂનિ ભરદ્વાજે અપ્સરા ઘ્રુતાચીને નદીમાં નહાતી જોઇ. વસ્ત્રવિહિન ઘ્રુતાચીને નિહાળીને ભરદ્વાજ મૂનિ સ્ખલિત થઇ ગયાજે વીર્યમાંથી દ્રોણાચાર્યનો જન્મ થયો હતો.
આ જ ઘ્રુતાચીને જોઇનેઅરણિના બે લાકડા ઘસીને અગ્નિ પ્રગટાવતા મૂનિ વ્યાસજીને કામવાસના જાગી હતી અને એ સ્ખલિત થઈ જતાં તેમનું વીર્ય અરણિ પર પડ્યું અને..ભાગવત-પ્રસિધ્ધ શુકદેવજીનો જન્મ થયો હતો…નારાયણ…નારાયણ…”
આ વિચિત્ર જન્મકથાઓ સાંભળતાં સાંભળતાં શાલિભદ્રે વચ્ચે પ્રશ્ન પુછ્યો- ” હે મહર્ષિ નારદ ! આપે જે જે વ્રુત્તાંતો કહ્યા તે તો સામાન્ય સ્ખલનનાં છે,એમાં સરિતા-સ્ખલનની વાત ક્યાં આવી માટે…ક્રુપા કરીને મારા મનનું સમાધાન કરે તેવામારી જેમ સરિતામાં સ્ખલન કરનાર મહાનુભાવોની કથા મને કહેવા આપ ક્રુપા કરો.”
નારદમૂનિએ હસીને વ્રુત્તાંત આગળ ચલાવ્યુ. ” વત્સ ! શાંત થા…સ્વસ્થ થા.. એ વાતો પણ આગળ આવે જ છે.”
દધીચી ઋષિ નદીમાં એક પગે ઉભારહીને તપ કરતા હતા ત્યારે ઇન્દ્રે મોકલેલી અલુંબષા નામની અપ્સરાના અવર્ણનીય રુપને નિહાળીને તપ કરતા દધીચી ઋષિએ પણ સરસ્વતી જેવી કુંવારકા નદીમાં શુક્રસ્ખલન કર્યું હતું.
કશ્યપમૂનિ નદીમાં સ્નાન કરતા હતા અને ભગવાન સૂર્યનારાયણને જળનો અર્ઘ્ય ધરાવતા હતા ત્યારે આકાશમાંથી ઉર્વશી નામની અપ્સરા પસાર થતી હતી એને જોઇને કશ્યપ મૂનિ પણ તારી જેમ જ પાણીમાં વીર્ય-સ્ખલન કરી બેઠા હતા.પાણીમાં વહી ગયેલું વીર્ય એક હરણીના પીવામાં આવતાંએને ગર્ભ રહ્યો અને મૂનિ ઋષ્યશ્રુંગનો જન્મ થયો હતો.
ઉદ્દાલક  ઋષિ સરિતામાં સ્નાન કરતા હતા ત્યાં એમનું વીર્ય એક પુષ્પ પર ચોંટી ગયું. એક રાજકુમારીએએ પુષ્પ ઉઠાવીને સુંઘતાંવીર્ય એની નાસિકા દ્વારા એના ઉદરમાં પહોંચી ગયું અને તેણીને ગર્ભ રહ્યો હતો.
માટે…હે વત્સ શાલિભદ્ર ! પુરાણોમાં વર્ણવેલી આ બધી વિચિત્ર લાગે તેવી જન્મકથાઓ અને વીર્ય-સ્ખલનની વાતો જાણ્યા પછી તારે અજંપો રાખવાનું કે મહાપાપ થઈ ગયાની ગુનાહિત લાગણી રાખવાનું કે ઇન્ફીરીયોરીટી કોમ્લેક્સથી પીડાવાનું કોઇ કારણ નથી. હો..ય ! થઇ જાય !!! ભલભલા ઋષિમૂનિઓને  આવું થઈ ગયું હોય તો તું તો પામર માનવી જ છે ને !  માટે…ઉત્તિષ્ઠ…એન્ડ  ફરગેટ ઇટ માય બોય…..સ્ખલન હો જાના યે તો વીર્યકા સ્વભાવ હૈવત્સ ! અગર સ્ખલન નહીં હોગા તો નયા કૈસે બનેગા કુદરત શ્વાસ પણ એકના એક નથી આપતી..શીવજી અને ભિલડીની કથા ખબર છે ને ! પણ આજ પુરતી આટલી વાતો બસ છે.”
નારદમૂનિ અંતર્ધ્યાન થઈ ગયા.
સવારે શાલિભદ્ર ઉંઘમાંથી જાગ્યો ત્યારે એના મનનું સમાધાન થઈ ગયું હતું.
લેખક- નવીન બેન્કર 
લખ્યા તારીખ ૨૮ ઓગસ્ટ ૧૯૭૪-પુરુષોત્તમ માસની એકાદશી ને બુધવાર.
 
 
 Navin Banker

હું કેવી રીતે લખું છું. (સંકલીત)

June 5th, 2015 Posted in સંકલન્

હું  કેવી રીતે લખું છું.  (સંકલીત)

લેખક પોતાની ચેતનાને બુઠ્ઠી બનાવી શકતો નથી, જડ બનાવી શકતો નથી. એણે પોતાની સંવેદનશીલતા સાચવી રાખવી પડે છે. રમેશ પારેખ એક કવિતામાં કહે છે એમ તાતા વંટોળીયાની હાજરીમાં, ભીની થઈ ગયેલી દીવાસળીથી, દીવો પેટાવવાનો હોય છે. આમ છતાં એ સંવેદનશીલતા, એ ઈમોસન્સ, લાગણીઓ એની પાસે લખવાની પ્રવૃત્તિ કરાવવાને બદલે એને કોઈક બીજા જ વિશ્ર્વમાં લઈ જવા માગતી હોય ત્યારે એણે, જે સંવેદનશીલતા પોતાના અસ્તિત્વનો આધાર છે, એને પણ ઘડીભર બાજુએ રાખી કાગળ-કલમની સન્મુખ થવું પડે છે કારણ કે એ લેખક છે. એની સૌ પ્રથમ નિસબત, જેને કારણે એ લેખક ગણાય છે તેની સાથે અર્થાત કાગળ-કલમ સાથે છે. બધી સંવેદનશીલ વ્યક્તિઓ લેખક નથી હોતી.

માનસિક વાતાવરણ સર્જવામાં અને એને ટકાવી રાખવામાં શું અથવા કોણ મદદ કરે? અત્યાર સુધી જીવાઈ ગયેલાં વર્ષો, એ સારા માઠા અનુભવોમાંથી પ્રગટેલી સમજણો, તમારી આજુબાજુનું વાતાવરણ, આસપાસના ગમતા,ન ગમતા માણસો, વાંચન, વિચારપ્રક્રિયા, મંથન.

લેખક લખવાનું શરૂ કરે ત્યારે એનો પહેલો શબ્દ લખાય તે પહેલાં એની સામે કોરા કાગળ હોય છે. પેન હાથમાં લેતાં પહેલાં જે કંઈ હોય તે બધું જ એના દિમાગમાં હોય છે: થોડુંક સ્પષ્ટ, ઘણું બધું અસ્પષ્ટ. અકથ્ય લાગણીઓ અને ધસમસતા વિચારોના પ્રવાહમાંથી એ એક એક વાક્ય ગોઠવીને કાગળ પર અવતારે છે. આ દુનિયામાં પહેલવહેલીવાર, એના દ્વારા લખાયેલા એ શબ્દોને જન્મ આપે છે.  

ગાલિબના શબ્દોમાં કહીએ તો રજૂઆત, અંદાજ-એ-બયાં, વાત કહેવાની રીત – આ બધું જ આગવું, પોતીકું, યુનિક છે. મૌલિક છે.
દુનિયાની દરેક વ્યક્તિ મૂળભૂત રીતે એકલી છે. માણસ એકલો રહેવા જ સર્જાયેલો છે. પોતાના એકાંતમાંથી ક્યારેક બહાર આંટો મારવા જઈ શકાય એ માટે માણસે સમાજની – સોસાયટીની રચના કરી તો ખરી પણ એની આકરી કિંમત એણે ચૂકવવી પડી. પોતાના અમૂલ્ય એકાંતનો સોદો કરીને એ સમાજ પાસે સ્વીકાર, પ્રતિષ્ઠા, હૂંફ મેળવવામાં પડી ગયો. એનું એકાંત વિસરાઈ ગયું. જે લેખક પોતાનું એકાંત વિખેરાવા દેતો નથી એ લેખકના શબ્દો વાચકના વ્યક્તિગત એકાંતને સ્પર્શે છે અને વાચકનો એ અદૃશ્ય આત્મીયજન બની જાય છે.

લેખકની, શબ્દના સર્જકની, આંતરિક સંઘર્ષકથા કહેવા માટેની નથી હોતી. એ આંતરિક સંઘર્ષમાંથી નીપજતા સર્જનની સાથે જ ભાવકને નિસબત હોય છે. સર્જનપ્રક્રિયા એટલે માત્ર કાગળ પર શબ્દો ઉતારવાની પ્રક્રિયા નહીં, લેખન તો સર્જનપ્રક્રિયાનો બિલકુલ છેલ્લો તબક્કો થયો. લેખન શરૂ કરતાં પહેલાંનો મનોવ્યાપાર એ જ ખરી સર્જનપ્રક્રિયા, લેખન શરૂ કરતાં પહેલાંનું એનું જીવન. અને એ જીવનના એના અનુભવો એ જ એની સર્જન પ્રક્રિયા. શબ્દની આ સર્જન પ્રક્રિયાની પીડા, એની ઘૂટન, એ દરમ્યાન વલોવાતો વિષાદ આ બધું જ લેખકની મૂડી છે, એનો અસબાબ છે. જે શબ્દો વિચારમંથનની ધગધગતી ભઠ્ઠીમા તપાઈને તૈયાર થયેલા છે, ઘડાયેલા છે, તે શબ્દો વાચકને શાતા આપે છે. લેખકની વેદનામાંથી નીપજતું સાહિત્ય ભાવકને પ્રસન્ન બનાવે છે. સર્જકના ફાડી ખાનારા એકાંતમાં પ્રગટેલા શબ્દો વાચકને પોતે ભર્યાભર્યા હોવાનો અહેસાસ અપાવે છે. આ તે કેવો વિરોધાભાસ !
આજનો વિચાર

તેરી મહેફિલ સે ઊઠે તો
કિસી કો ખબર તક નહીં થી
પર તેરા પલટકર દેખના
હમેં બદનામ કર ગયા
– (વૉટ્સઍપ’ પર ફરતી શાયરી)

એક એડલ્ટ જોક


સલમાન ખાન: હું શર્ટ કાઢું તો મને જોવા માટે અત્યારે સો જણ જમા થઈ જાય.
ઋતિક રોશન: મારું બૉડી જોવા માટે તો ૧૦૦ લોકો આવી જાય.
જ્હૉન અબ્રાહમ: અને મારું બૉડી જોવા એક હજ્જારની ભીડ જમા થઈ જાય.
સની લિયોન: હવે હું કંઈ બોલું કે?

   

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.