એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » Page 5

દુનિયા ઝુકતી હૈ, ઝુકાનેવાલા ચાહિયે ( ૨)

દુનિયા ઝુકતી હૈ, ઝુકાનેવાલા ચાહિયે ( ૨)

હમણાં,  હ્યુસ્ટનથી પ્રકાશિત થતા એક અંગ્રેજી અખબાર ‘વોઇસ ઓફ ઇન્ડીયા’ માં એક  ‘એવોર્ડ’ અંગેની જાહેરાત જોવામાં આવી. જેમાં, ટેલન્ટેડ ભજન સીંગર્સ ની શોધ અને તે દ્વારા અપાનાર એવોર્ડની વાત હતી.

થોડાક વર્ષો પહેલાં પણ આવી જ એક જાહેરાત જોવામાં આવેલી અને હ્યુસ્ટનના જ એક જાણીતા ગુજરાતી ભોજનાલયમાં હ્યુસ્ટનના ખ્યાતનામ ભજનિકોને ભેગા કરીને,સંગીતસંધ્યા કરવામાં આવેલી તથા સર્ટીફીકેટો અને એવોર્ડ અર્પણ કરવામાં આવેલા.

કોઇને પણ, એ  સર્ટીફીકેટો અને એવોર્ડ પ્રદાન કરનાર વ્યક્તિ કે કહેવાતી સંસ્થા વિશે સંશોધન કરવાની પડી ન હતી. કોઇપણ ચલતોપુર્જો માણસ જાતે જ સર્ટીફીકેટ આપે અને કોઇ રૂપાળા નામથી એવોર્ડનો PLAQUE  બનાવડાવી ભજનિક કે કલાકારને, પાંચ-પચ્ચીસના ટોળા (!) સામે અર્પણ કરી દે એટલે  એ મેળવનાર કૃતકૃત્ય થઈ જાય અને પોતાને એવોર્ડ મળ્યો માનીને એક વેંત અધ્ધર ચાલવા લાગે. આવી કોઇ સંસ્થા ખરેખર છે કે નહીં, એ સંસ્થા રજીસ્ટર્ડ થયેલી છે કે નહીં, એ સંસ્થાએ અગાઉ કઈ સમાજસેવાની પ્રવૃત્તિઓ કરેલી છે એ બધાની ભાંજગડમાં પડવા કોઇ નવરૂ નથી હોતું.

પછી… આ બહુમાન મેળવનાર ગાયકો /કલાકારો / સંગીતકારો / વાદ્યકારો ના સાથ અને સહકારથી એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે. કોમ્યુનિટીના શ્રીમંત દાતાઓ પાસે ટહેલ નાંખવામાં આવે કે અમે, લોકલ આર્ટીસ્ટોને પ્રકાશમાં લાવવા એક મહાન સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છીએ. આપ તેના સ્પોન્સર થાવ, એને પ્રમોટ કરો અને સેવા, સંસ્કૃતિ અને સ્પીરીચ્યુઅલ એકતાની ભાવનાની દ્ર્ઢ કરતા આ સામાજીક કાર્યમાં આપનો ફાળો નોંધાવો.સમાજના ત્રીસ-ચાલીસ મહાનુભાવોનો સંપર્ક કરતાં, પાંચ-દશ  બોકડાઓ (!) તો મળી જ આવે. એમને આગલી હરોળની વીસ વીસ ટીકીટો મફતમાં આપી દેવાની અને પાંચસો પાંચસો ઉઘરાવી લેવાના. શુક્રવાર જેવા ચાલુ ( વર્કીંગ) દિવસે, જુના સ્ટેફોર્ડ થિયેટર જેવો હોલ સસ્તા દરે બુક કરી લેવાનો. આર્ટીસ્ટો તો મફતિયા જ હોય, વળી લોકલ હોય એટલે એમને વાહનવ્યવહાર કે મોટેલમાં રાખવાનો તો ખર્ચ આપવાનો હોય જ નહીં. પ્રેક્ટીસ માટે પણ એ લોકો ગાંઠનું પેટ્રોલ બાળે અને કોસ્ચ્યુમ્સ પણ જાતે જ ખરીદે. દરેક કલાકારના ફેમિલી અને મિત્રો માટે ય દસ-વીસ પાસ આપી દેવાના. અને ટીકીટો પણ વેચવા એમને જ કહેવાનું. પોતે સ્ટેજ પર પરફોર્મ કરવાનો છે એ બતાવવા, એ લોકો દસ-વીસ ટીકીટો શરમાશરમીમાં  વેચી આપે. એટલે અડધુ ઓડીયન્સ તો ભરાઇ જ જાય. છતાં ટીકીટો ન વેચાય તો એકદમ સસ્તા દરે કોઇ ક્લબ કે સંસ્થાને જથ્થાબંધમાં ટીકીટો આપી દેવાની. કેટલાક સિનિયર્સ સીટીઝન્સ મંડળો એમને મળી જ જાય. કલાકારોને, કોઇ રેસ્ટોરાંમાં ભોજનની પાર્ટી આપી દેવાની અને સર્ટીફિકેટો કે એવોર્ડની લહાણી કરી દેવાની. રેસ્ટોરન્ટવાળાને પણ આગલી હરોળની ટીકીટો આપી દેવાથી એ, કલાકારોને મફતમાં જમાડી દે એવું યે બને.  સ્પોન્સરર્સને પણ સ્ટેજ પર બોલાવીને એમની સમાજસેવા માટે બિરદાવવાના અને એવોર્ડ આપી દેવાના. દરેક શહેરમાં જાણીતા બિઝનેસમેનો જેમાં  ખાસ તો જ્વેલરી સ્ટોર્સના માલિકો, ઇલેક્ટ્રીક કંપનીઓ, મોટેલવાળા આવા સાંસ્કૃતિક કાર્યોમાં ફાળો આપવા તૈયાર જ બેઠા હોય છે. સ્ટોર્સના માલિકો તૈયાર ન થાય તો એમની જાજરમાન રૂપાળી પત્નીઓને મીઠા મીઠા શબ્દોથી મસ્કા લગાવીને તૈયાર કરી શકાય. સ્ટેજ પરથી ચાલુ કાર્યક્રમે એ જાજરમાન ( સારા શબ્દોમાં સ્થુળ શબ્દની જગ્યાએ જાજરમાન શબ્દ લખવામાં આવે છે )  સ્પોન્સરરનો ઉલ્લેખ કરીને એમને બિરદાવવાના. કાર્યક્રમને અંતે, સ્ટેજ પર એમને બૂકે એનાયત કરતી વખતે પણ એમના ડ્રેસકોડ અને પસંદગી અંગે અહોભાવના બે શબ્દો કહેવાથી, એ  બીજા આવા કાર્યક્રમના સ્પોન્સર થવા તૈયાર થઈ જવાના. જો કે બધા માટે આ શક્ય નથી હોતું. આને માટે તમારી પાસે મોહક વ્યક્તિત્વ, વાચાળતા અને થોડુંક સંગીતનું કે નૃત્યનું બેકગ્રાઉન્ડ હોવું જરૂરી છે.

ગયે વર્ષે, એક ચલતાપુર્જા ગાયકે, પોતે અનુપ જલોટાનો એજન્ટ છે એમ ઓળખાણ આપીને, એક ખુબ જાણીતા પ્રીસ્ટને બાટલામાં ઉતારીને ચાર હજાર ડોલરનો ચૂનો લગાવી દીધો હતો.

કોઇ સારો કલાકાર હોય એટલે એ સારો માણસ પણ હોય એ જરૂરી નથી. કોઇ જર્નાલીસ્ટ એ કલાકારના કાર્યક્રમને બિરદાવે કે એ કલાકારની કલાકાર તરીકે ઓળખ આપે એટલે એ કલાકાર, ચલતોપુર્જો નહીં જ હોય એમ માની લેવું ના જોઇએ.

બાકી તો….દુનિયા ઝુકતી હૈ, ઝુકાનેવાલા ચાહિયે….

નવીન બેન્કર      ( લખ્યા તારીખ- ૮ /૮/ ૨૦૧૫ )

મારે કંઈક કહેવું છે.

September 1st, 2015 Posted in મારા દિલની વાતો

જીવનના લગભગ સાત દાયકા વટાવ્યા બાદ હું મારા જીવનના સંસ્મરણો લખવા બેઠો છું.માનવજીવન સદાકાળ સુખદુખોથી,સમસ્યાઓથી,સોનેરી સ્વપ્નોથી,આશા-આકાંક્ષાઓથી અને ક્યારેક અસહ્ય વેદનાઓથી પણ વ્યાપ્ત થયેલું છે.
વર્ષો પહેલા પણ આવું જ હતું. આજે પણ એવું જ છે અને કાલે પણ એવું જ રહેવાનું છે.એના બાહ્યરુપમાં ભલે ફેરફાર થતાં હોય પણ એની સમસ્યાઓ નવા સ્વરુપો ધારણ કરતી જ રહેવાની અને મારા સંવેદનશીલ હ્ર્દયને આહવાહન આપતી જ રહેવાની.મારા અનુભવો કે મારા સંસ્મરણોને કાગળ પર ચિત્રિત કરવાની ક્ષમતા મારામાં છે એની મને પ્રતિતી થઈ ચુકી છે.છતાં જે વિષય પર મેં ૫૦ વર્ષ પહેલાં લખ્યું હોય એજ વિષય પર આજે આ ઉંમરે એટલે કે સિત્તેર વર્ષની ઉંમરે લખતાં થોડો ફેર તો પડવાનો જ.કારણ કે ૫૦ વર્ષ પહેલાં હું ૨૦ વર્ષનો,યુવાનીથી થનગનતો યુવાન હતો અને આજે ૭૦ વર્ષનો સિનિયર સિટિઝન છું.( જોયું, હજી વ્રુદ્ધ લખવાની હીંમત નથી ?). આ ઉંમરે અગાઉના કાવ્યાત્મક ભાવનું,ચિંતનશીલતામાં રુપાંતર થયું હોય એમ પણ બને ! આ વર્ષો દરમ્યાન મારા વ્યક્તિત્વમાં, મારા ગમા-અણગમામાં,પસંદગી,ધ્યેય,સ્વપ્નો બધું જ બદલાઈ ગયું હોઈ શકે.લખાણની રચના,શૈલીમાં પણ ફેર પડ્યો હશે.મારી પોતાની પણ કેટલીક સમસ્યાઓ છે.જેના મારે પોતાને ઉકેલ શોધવાના હોય છે. અને  એ સમસ્યાઓને વ્યક્તિગતમાંથી સમષ્ટીગત બનાવીને મારા મિત્રો, વાંચકો સમક્ષ રજુ કરવી હોય છે.એ માટે મારે પાત્રો સર્જવા પડે છે. કાગળ પરના એ પાત્રોને લોહીમાંસના બનેલા જીવતા માણસની માફક હરતાં ફરતાં અનુભવું છું. એ માટે મારો તર્ક,નિરીક્ષણ કલ્પના બધું જ કામે લગાડું છું. કાગળ પર ચિતરેલા એ પાત્રોમાં હું લખતી વખતે ખોવાઈ જાઊં છું. આ તો થઈ મારી વાર્તાઓની પાર્શ્વભુમિકા. આ પાનાઓ પર હું વાર્તાઓ નથી લખવાનો. મારી જિંદગીનાં કેટલાક સંસ્મરણો, મારા પરિચયમાં આવેલી કેટલીક વ્યક્તિઓના રેખાચિત્રો દોરવાનો છું.દા.ત. મારી દાદીમા,મારી મા, મારા પિતાશ્રી, મારા કાકા,મારી બહેનો,બનેવીઓ,મારી ખુબ વહાલી પત્ની,મારા અંગત મિત્રો,કેટલાક સાહિત્યકારો,કવિઓ,લેખકો,ફિલ્મી કલાકારો,નાટ્યજગતના ધુરંધરો,કેટલીક સંસ્થાઓના પ્રમુખો,ટ્રસ્ટીઓ,સંપાદકો, વગેરે..વગેરે..માત્ર અને માત્ર સત્ય જ લખવાનો મારો પ્રયાસ રહેશે. છતાં,ઘણી વખત આપણે જેને સત્ય માનતા હોઈયે એનો બીજો ચહેરો પણ હોઈ શકે.કાશ્મિર અંગેનું ભારતનું સત્ય એક હોય અને પાકિસ્તાનનું સત્ય અલગ પણ હોય એવું યે બને.છતાં શક્ય એટલી તટસ્થતાથી અને જે રીતે એ વ્યક્તિને મેં જોઈ હોય અને સમજ્યો હોઊ એ રીતે આલેખવાનો મારો પ્રયાસ રહેશે. મારા વ્યક્તિત્વના ઘડતરમાં જે જે વ્યક્તિઓનો ફાળૉ રહ્યો છે તેમને તો હું કેમ જ ભુલું ?  યાદ રહે કે આ મારી આત્મકથા નથી. આત્મકથામાં તો નિર્ભેળ સત્ય જ હોવું જોઈયે. એ તો માત્ર મહાત્મા ગાંધી જ કરી શકે. મારા જેવા ક્ષુદ્ર,પામર માનવીનું એ ગજુ નહીં એટલી સ્પષ્ટતા હું નિખાલસપણે કરવી જરુરી સમજું છું.અસ્તુ.

મુંબઈની કમાણી , મુંબાઇમાં સમાણી ( નાટ્ય-અવલોકન)

મુંબઈની કમાણી, મુંબઈમાં સમાણી (નાટ્ય-અવલોકન)

ગયા મહીને એટલે કે જુલાઈ ૨૦૧૧માં, જુના સ્ટેફોર્ડ સિવિક સેન્ટરના નાટ્યગ્રુહમાં ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીઝ ઓફ ઈન્ડીયા ( FFOI )ના ઉપક્રમે,સંગીતા શાહ નિર્મિત અને ઇમ્તિયાઝ પટેલ લિખિત અને દિગ્દર્શીત નાટક ‘મુંબઈની કમાણી, મુંબઈમાં સમાણી’ લગભગ આઠસો પ્રેક્ષકોની હાજરીમાં ભજવાઈ ગયું.
બે દીકરા…બે વહુઓ…એક સાસુ..અને નાની વહુનો બાપ..આટલા મુખ્ય પાત્રો. ઉપરાંત..તાર માસ્તર,ધોબી અને ગણપતિ ઉત્સવ માટે ફાળો ઉઘરાવનાર જેવા ગૌણ પાત્રો- જે એક જ કલાકાર ત્રણ ત્રણ ભૂમિકાઓ વેશ બદલી બદલીને ભજવે..સંયુક્ત કુટુંબમાં કરકસર કરી કરીને ઘર ચલાવવાની વાત પર રચાયેલા આ નાટકમાં ઝી ટીવીની સિરીયલોની જેમ, દેરાણી જેઠાણી અને સાસુનો કલહ ત્રિકોણ છે, નાનકડા કાવાદાવા પણ છે પણ અંતે સાસુની જીત થાય છે અને ખાધુ-પીધું ને રાજ કર્યું એવી વાત છે.
સાસુના પાત્રમાં રજની શાંતારામ સમગ્ર નાટકમાં છવાઈ જાય છે.સ્વ.કલ્પના દિવાન માટે જ લખાયેલી આ ભૂમિકા રજનીબેન સુપેરે ભજવી જાય છે.તેમના એકે એક સંવાદ પર, સ્વ-ઉક્તિઓ પર પ્રેક્ષકોની તાળીઓના ગડગડાટ થાય છે.
નાટકમાં ઘણાં કટાક્ષો છે. ક્રુષ્ણ જન્મોત્સવની ઉજવણી પર કટાક્ષ…ફરાળ કરીને થતી અગિયારસ પર કટાક્ષ… ગણપતિ-વિસર્જનની ઉજવણી પર કટાક્ષ.. ફાળો ઉઘરાવનારાઓ પર કટાક્ષ…
મોંઘવારી પર કટાક્ષ.. .અજમેરી બાબા પર કટાક્ષ…એમ ઘણાબધા કટાક્ષો પર હાસ્ય-નિષ્પન્ન થયું છે.
કેટલાક સચોટ સંવાદો પણ આ નાટકમાં છે જેના પર પ્રેક્ષકો મન મૂકીને તાળીઓની ખંડણી આપે છે. જુઓ..આ રહ્યા એ સંવાદોના કેટલાક નમૂના-
‘લગ્ન પહેલાં નારી અબળા હોય છે.લગ્ન પછી નર નબળા થઈ જાય છે.’
‘માંગનાર એની ઔકાત પ્રમાણે માંગે. આપનારે એની હેસિયત પ્રમાણે આપવું જોઇએ.’
‘અક્કલ બદામ ખાવાથી ન આવે- ઠોકર ખાવાથી આવે.’
‘સિંહની સવારી કરવી જ પડે તો સમતોલન પોતાના બચાવની ગુરુચાવી છે.’
-કહેવાની જરુર નથી કે આ બધા જ સંવાદો સાસુ-રજની શાંતારામ-ના મુખે જ બોલાવેલા છે.રજનીબેનના અભિનયમાં પ્રેક્ષકોને ક્યારેક લલિતા પવાર, ક્યારેક સ્વ.કલ્પના દિવાન તો ક્યારેક મેડમ માયાવતી પણ દેખાય છે. મોટા દીકરાની વહુ-હીનાવહુ-ના પાત્રમાં પરીંદા પટેલ અને નાના દીકરાની વહુ-પ્રેમાવહુ-ના પાત્રમાં શીતલ અંબાણી રજની શાંતારામને અભિનયમાં સારી એવી ટક્કર આપે છે. બે દીકરા-અલકેશ અને દીપેશ-ના પાત્રોમાં જીગર બુંદેલા તથા ભાવેશ ઝવેરી પણ પાત્રોચિત અભિનય કરી જાય છે. નાની વહુના બાપ-ધનેશભાઇ-નો રોલ કરનાર કલાકાર શ્રી.કુકુલ તારમાસ્તરે ધોબી,અને ગણપતિનો ફાળો ઉઘરાવનાર બબ્બનની ભૂમિકાઓ પણ સફળતાપુર્વક ભજવી હતી.
જો કે સમગ્ર નાટક તો હતું રજની શાંતારામનું જ.
છેક ૧૯૯૫થીએ હ્યુસ્ટનમાં ‘ફોઈ’ નામે ઓળખાતું FRIENDS AND FAMILIES OF INDIA ગ્રુપ ગુજરાતીઓમાં કાર્યરત છે. આ ગ્રુપના કર્તાહર્તા કીર્તીભાઇ પટેલ અને માનાજી ઠાકોર નામના બે સેવાભાવી સજ્જનો અને તેમને સહકાર આપનાર ગિરીશ નાઈક, મહેન્દ્ર દેસાઇ, અરુણ બેન્કર, અને તેમના અન્ય મિત્રો જ છે.એમની કોઇ ઓફીસ નથી, સંસ્થાનું કોઇ મકાન નથી, કોઇ હોદ્દેદારોની પોસ્ટ નથી.નવરાત્રિ પ્રસંગે ગરબા, દીવાળી ડીનર, નવા વર્ષની ઉજવણી જેવા બેચાર પ્રસંગો અને સારા સારા એકાદ-બે નાટકોનું આયોજન કરી, ખુબ જૂજ દરે ટીકીટો વેચીને ખર્ચો કાઢી લે છે.ગરબા વખતે પણ લોકલ કલાકારો અને લોકલ વાદ્યવ્રુંદ જ. સિરીયલ્સના કલાકારો અને મોંઘાદાટ હોલના ભાડાના ખર્ચા નહીં. સંસ્થામાં કોઇ હુંસાતોંસી નહીં. કોઇ ચુંટણી,કોઇ આક્ષેપો-પ્રતિઆક્ષેપો..કશું જ નહીં. અરે…પાર્કીંગ પ્લોટમાં કાર પાર્ક કરવા માટેનો કોઇ ચાર્જ પણ નહીં. ખર્ચો કાઢવા માટે પાંચ-સાત ડોલર જેવી જૂજ પ્રવેશ ફી માત્ર. હ્યુસ્ટનની અન્ય સંસ્થાઓના દીવાળી-ડીનર કરતાં ‘ફોઈ’ના ડીનરની સુરતી વાનગીઓ હંમેશાં વખણાય.
‘ફોઇ’ ગ્રુપને આવું સરસ નાટક રજૂ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન.
માહિતી સૌજન્ય અને તસ્વીરો- શ્રી. નવીન બેન્કર

અધોગતિનું મૂળ- અંધશ્રધ્ધા

ગઈકાલે એક મંદીરના પટાંગણમાં ,જ્યાં ભાગવત પારાયણ ચાલી રહી છે ત્યાં એક શુભ્રધવલ સદરો પહેરેલા પ્રતિભાશાળી ગુરુજી મળી ગયા. એ પોતે કથામાં બેઠા ન હતા. માત્ર સોશ્યલાઇઝેશનાર્થે અને પોતાના ‘ધામ’ના પ્રચારાર્થે તથા ‘મહાપ્રસાદ’નો લાભ લેવા જ પધારેલા હતા. આવા ગુરુજીઓનું માર્કેટ આવા મંદીરોમાં આવતા ભક્તો જ હોય છે. જે પરિચીત મળે તેને તેઓશ્રી. સમાચાર આપતા હતા કે આપણા ‘ધામ’ ની વાત તો હવે ગૂગલ પર પણ મૂકાઇ ગઈ છે.અને ફલાણા ફલાણા ‘અવતાર’ ( જીવંત માણસને જેમણે અવતાર તરીકે ઠઠાડી દીધા છે તે ) ના જન્મદિવસની ઉજવણી ઓગસ્ટ માસની અમુક તારીખે આપણે નક્કી કરી છે અને આમંત્રણો પણ મોકલાઇ રહ્યા છે. કોન્સ્યુલેટ પણ પધારવાના છે તો તમે જરુરથી પધારજો.
મારો દાવો છે કે હ્યુસ્ટનમાં એકે ય માણસ એ કહેવાતા ‘અવતાર’ વિશે કશું ય જાણતો નહીં હોય કે કશું સાંભળ્યું પણ નહીં હોય. છતાં મને ખાત્રી છે કે એમના જન્મદીનની ઉજવણીમાં ‘ ખાવા’ માટે અમૂક વર્ગ જવાનો, કોઇ મહાનુભાવો પણ જવાના, પછી પેલા બાજીગર એમના ફોટાઓ છપાવીને, કોઇ સાઉથ ઇન્ડીયન પત્રકાર પાસે અહેવાલ લખાવીને આટલા ‘ઘેટાનું ટોળુ’ આ ઉત્સવમાં હાજર હતું એવું છપાવશે. બીજી વખત પેલું ટોળુ વધારે સંખ્યામાં આવશે. અનુયાયીઓ વધતા જશે.ભવિષ્યમાં એક આખો સંપ્રદાય ઉભો થઈ જાય તો યે નવાઇ નહીં. બાજીગર ગુરુજીને ઘેટાનું ટોળુ વાંકા વળી વળીને ચરણસ્પર્શ કરશે. હમણાં થોડા સમય પહેલા આવા એક ‘માતાજી’ના ચરણસ્પર્શ કરતી સાઉથ-ઇન્ડીયન મહીલાઓને તો હ્યુસ્ટનની ધર્મપ્રેમી જનતાએ જોઇ જ છે.
આ છે આપણી અધોગતિનું મૂળ. -અંધશ્રધ્ધા.
કોઇના કહેવાથી કશું માની ના લો. કોઇ કહે કે આ ફલાણો અવતાર છે એટલે માની ના લો. પ્રશ્નો પુછો કે-‘ભાઇ, આપ આ વિભૂતિને ક્યારે મળ્યા ? એમણે કયા મહાન કાર્યો કર્યા છે ? આપે આ વિભૂતિનો સાક્ષાત્કાર કર્યો ખરો ? જો કર્યો છે તો એ સાક્ષાત્કારી અવતાર આપને ભોજન કેમ નથી આપતા અને આપે અમેરિકાની સરકારના ‘વેલફેર’ પર આપના ઓરીજીનલ નામે કેમ જીવવું પડે છે ? આપ આપની જાતને ફલાણા ‘પ્રભુ’ કહેવડાવો છો અને આપના વેલ્ફેરના ચેકો તો કોઇ બીજા જ નામે આવે છે. શા માટે ? આપના ‘ધામ’ની લીઝ કોના નામે છે ?’
એટલે એ ગુરુજી પોતાના અસલ સ્વરુપનું આપને દર્શન કરાવશે અને ત્રીજુ નેત્ર ખોલીને કહેશે-‘ આ શ્રધ્ધાનો વિષય છે. તમારા જેવા નાસ્તિક અને પાપી માણસ ધર્મનું હાર્દ જાણી શકે નહીં. તમે જ હિન્દુ ધર્મનું નિકંદન કાઢવા બેઠા છો.થોડા જ દિવસોમાં પ્રભુ તમને તમારા આ નાસ્તિક વિચારો માટે દંડ કરશે. પરચો દેખાડશે.’ ( તમે ડરપોક હશો તો ડરી જશો અને વિચારવા લાગશો કે ‘આપણે શું ?આપણે શું કરવા કોઇ દુશ્મન ઉભા કરવા !’) હું જુવાન હતો ત્યારે આવા કેટલાય ઢોંગી જ્યોતિષીઓ અને ધુતારાઓને જાહેર રોડ પર ફટકાર્યા હતા.
હવે તમે પોતાની તર્કશક્તિ અને વિવેકબુધ્ધીની સરાણે ચઢાવીને આખી વાતને મૂલવજો. હું કહું છું માટે મારી વાત માનવાની પણ જરુર નથી.
શ્રીરામ…શ્રીરામ….

મારા બાળપણનો દોસ્ત અરવિંદ ઠેકડી

September 1st, 2015 Posted in મારા સંસ્મરણો

 અરવિંદ ઠેકડી

આજે મારા બાળપણના મિત્ર શ્રી. અરવિંદ ઠેકડી અને મંજુલાબેન ઠેકડીના ૫૦ વર્ષના પ્રસન્ન દામ્પત્યજીવનની સુવર્ણજયંતિની ( ગોલ્ડન જ્યુબિલી ) ઉજવણી પ્રસંગે તેમના સંતાનો દ્વારા યોજાયેલી પાર્ટીમાં  જવાનો પ્રસંગ મને પ્રાપ્ત થયો હતો. નરીન્સ બોમ્બે બ્રેસરીઝ નામના ,  હ્યુસ્ટનના વેસ્ટ  લૂપ સાઉથ પર આવેલા રેસ્ટોરન્ટમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. થોડાક મિત્રો અને કુટુંબીજનોની હાજરીમાં , સ્વાદિષ્ટ ભોજન અને પુત્ર-પૌત્ર-પૌત્રીઓ દ્વારા રજૂ કરાયેલા આ કાર્યક્રમમાં સ્લાઈડ-શો દ્વારા ભુતકાળની ખુબસુરત યાદો તાજી કરવામાં આવી હતી.

 

કાર્યક્રમનું સંચાલન, અરવિંદભાઇની દીકરી હીનાની બે દીકરીઓ-શિવાની અને જાન્હવી- દ્વારા સૂપેરે કરવામાં આવ્યું હતું. અરવિંદભાઇના સુપુત્ર અપૂર્વ અને પુત્રવધુ સીમાની બે દીકરીઓ આશા (૧૨) અને જયા (૯) દ્વારા બે ફિલ્મી  રેકર્ડ ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતા.તેમના વેવાણ એટલે કે દીકરી હિનાના સાસુ તનમનબેન પંડ્યાએ રફી અને સુમન કલ્યાણપુર દ્વારા કોઇ હિન્દી ફિલ્મમાં ગવાયેલું  ‘દિલે બેતાબકો સીનેસે લગાના હોગા’ ભાવવાહી રીતે રજૂ કર્યું  હતું. બીજા એક  ભાર્ગવી રાયજી  નામના બહેન દ્વારા પણ ગીતાદતનું    ‘ ન યે ચાંદ હોગા, ન તારે રહેંગે, મગર હમ હમેશાં તુમ્હારે રહેંગે’  જેવું  પ્રસંગોચિત  ગીત  રજૂ કરવામાં આવ્યું હતું.

અરવિંદ-મંજુલાની દીકરીઓ હીના અને અનિતા  દ્વારા તેમના માતાપિતાને પ્રશ્નોત્તરી દ્વારા, તેમની પસંદગીના ભોજન, મનગમતા  સ્થળો, પહેલું ઘર જેવી યાદો તાજી કરાઇ હતી. તેમના યુવાન અને  હેન્ડસમ  ગોરા ગોરા દીકરા અપૂર્વએ સ્લાઈડ શો દ્વારા જીવનના વિવિધ પ્રસંગોની સમજ આપીને, આમંત્રિતોને માહિતી આપી હતી. આ અપૂર્વ મને સિરીયલના કોઇ યુવાન નવોદિત અભિનેતાની યાદ તાજી કરાવતો હતો.

અહીં મારો આશય આ કાર્યક્રમનો અહેવાલ લખવાનો નથી. 
ત્યાં દિવાલ પર લટકાવાયેલી એક તસ્વીર જોઇને, મને પણ મારી લગભગ એ જ સમયગાળાની એક એવી જ તસ્વીરની યાદ તાજી થઈ ગઈ. 
હું, અરવિંદ ઠેકડી અને હરિપ્રસાદ પટેલ અમદાવાદની ફેલોશીપ હાઇસ્કુલમાં ૧૯૫૧થી ૧૯૫૮ સુધી ભણેલા. અરવિંદ અને હરિપ્રસાદ ભણવામાં પહેલો નંબર.  તેઓ શાળાના તેજસ્વી અને ચારિત્ર્યશીલ  સારા છોકરા ગણાતા. બધા તેમને માનની નજરે જોતા.  આજે આ ઉજવણીમાં અમે ત્રણે હાજર હતા. હરિપ્રસાદ પટેલ C.P.A. છે અને તેમણે કોમ્યુનિટીને ઘણી સેવા આપી છે. હાલમાં જ રીટાયર્ડ થયેલ છે.
આ સાથે એટેચમેન્ટમાં એ બન્ને તસ્વીરો સાથે  મારી અને મારા દોસ્તની આજની તસ્વીર મૂકું છું.  મારા લગ્ન ૧૯૬૩માં થયેલા, અરવિંદના લગ્ન ૧૯૬૪માં થયેલા, એ બન્ને તસ્વીરો સાથે આજની અમારા બે દોસ્તની વર્તમાન તસ્વીર વચ્ચે મૂકી છે.
                     .
,

મુચ્યતામ…મુચ્યતામ… -નવીન બેન્કર-

September 1st, 2015 Posted in મારા દિલની વાતો

મુચ્યતામ…મુચ્યતામ…         -નવીન બેન્કર-

આજે સવારે હું ડીશનેટવર્ક ની ચેનલ ૭૨૦ – ‘સંસ્કાર’- પર, ભાઈશ્રી,  રમેશ ઓઝાની ભાગવતકથાનું રસપાન કરી રહ્યો હતો-

આટલું વાંચીને તમને હસવું આવ્યું ને ? ‘નવીન બેન્કર’ અને ભા..ગ..વ..ત..ક..થા ?  શ્રીરામ..શ્રીરામ…’

બટ બીલીવ મી..નાનપણમાં હું પણ તમારા જેવો જ સંસ્કારી હતો.(!) હું નમણો અને કોમળ સ્વર ધરાવતો હતો એટલે છોકરાઓ મને ‘નવલો નરગીસ’ કહીને ચીડવતા હતા. સ્કુલમાં હું પ્રાર્થના કરાવતો હતો, મારા દાદીમા વિદ્યાબાની સાથે, સંન્યાસીના મઠમાં કથાવાર્તા સાંભળવા જતો હતો અને પછી ઘેર આવીને,  સ્વામિજીના સ્વરમાં રામાયણની ચોપાઇઓ બોલીને મીમીક્રી કરતો હતો. લલિતાબેનના અને અન્ય ભગતોના ભજનો મને કંઠસ્થ થઈ જતા.  નવ વર્ષની ઉંમરે તો ગીતાનો નવમો, બારમો અને પંદરમો અધ્યાય મને કંઠસ્થ હતા.

પછી હું ‘બગડી’ ગયો. ફિલ્મોને રવાડે ચડી ગયો. છાપાં વેચવાના દિવસો દરમ્યાન, લોકો અને પોલીસનો માર ખાઈ ખાઈને હું નઠોર અને હિંસક બનતો ગયો. પણ એ જુદી વાત છે. આજે વાત કરવી છે ‘મુચ્યતામ..મુચ્યતામ’ ની.

મારી પત્ની સવારના પહોરમાં ઉઠતાંની સાથે, ટીવી પર ‘આજતક’ કે ‘સમય’ ચેનલ પર સમાચારો જુએ છે. હું આ બન્ને ચેનલોને સખ્ત ધિક્કારું છું કારણ કે સવારના પહોરમાં મારે લાલુ, મુલાયમમિંયા, નિતીનીયો, માયાવતી અને મમતાડી ના ડાચા જોવા પડે છે. પત્નીનું આ વળગણ છોડાવવા માટે, એની ધાર્મિકતાને હથિયાર બનાવીને મેં ચાર રીલીજિયસ ચેનલો જેમાં ‘આસ્થા’ અને ‘સંસ્કાર’ ચેનલો આવે છે ,એ નંખાવી દીધી. એટલે હવે એ સવારના પહોરમાં મોરારિબાપુ, રમેશ ઓઝા અને એવા જ અન્ય ભગતોના પ્રવચનો, કથાઓ, દેવદેવલાના દર્શનો જ કર્યા કરે અને મને શાંતિથી કોમ્પ્યુટર પર ગુજરાતીમાં લખવા દે. જો કે હું પણ બાળપણના સંસ્કારોને કારણે ક્યારેક આવું બધું જોઇ લઉં.

આજે ‘સંસ્કાર’ ચેનલ પર, શ્રી. રમેશ ઓઝા ભાગવતકથા અંતર્ગત, મહાભારતના યુધ્ધ દરમ્યાન, દ્રૌપદીના પાંચ પુત્રોના માથા વાઢી જનાર, અશ્વસ્થામાને પકડીને ગાંડીવધારી બાણાવળી અર્જુન, દ્રૌપદી સમક્ષ લાવીને દ્રૌપદીને કહે છે કે – ‘ હે પાંચાલી, લે..આ તારા સુઈ રહેલા પાંચે પુત્રોના માથા વાઢી લેનાર હત્યારાને પકડી લાવ્યો છું. એને સજા કર.’

દ્રૌપદી અશ્વસ્થામાને જુએ છે. આ અશ્વસ્થામા એ તો પાંડવો અને કૌરવોના ગુરૂ દ્રોણાચાર્યનો પુત્ર હતો. એ જમાનામાં ગુરૂને લોકો ભગવાનતુલ્ય માનતા અને ગુરૂનો પુત્ર પણ પુજનીય ગણાતો. અને તેમાં ય આ તો બ્રાહ્મણ…બ્રાહ્મણનો તો વધ કરાય જ કેવી રીતે ? એટલે દ્રૌપદી અર્જુનને કહે છે કે- હે અર્જુન, આ તો આપણા ગુરૂનો પુત્ર અને તેમાં ય પાછો બ્રાહ્મણ.. એનો વધ તો કરાય જ કેમ ? એણે મારા પાંચે પુત્રોના માથા વાઢી નાંખ્યા એટલે મને એક માતા તરીકે કેટલું દુઃખ થાય છે એ હું સમજું છું. ગુરૂ દ્રોણાચાર્યનો વધ થયા પછી એમની પત્નીનો આ એકમાત્ર સહારો છે. હવે જો આપ એનો વધ કરશો તો એની માતાને કેટલું દુઃખ થશે ? અને આપણા પુત્રો કાંઇ સજીવન તો થવાના નથી જ. માટે એને ક્ષમા કરીને ‘મુચ્યતામ..મુચ્યતામ’. ( એને છોડી મૂકો..છોડી મૂકો ).

મને લાગે છે કે ભારત સરકાર, આ મહાભારતને ફોલો કરી રહી છે. આપણા જવાનોના માથા વાઢીને લઈ જનાર પાકિસ્તાની લશ્કર સાથે હિસાબ પતાવતાં, એમને પણ દ્રૌપદીના શબ્દો યાદ આવી જતા લાગે છે. ભલે આપણા બે જવાનોના માથા વાઢી ગયા, આપણે એમના માથા વાઢી લઈશું એટલે આપણા જવાનો કાંઇ સજીવન તો થઈ જવાના નથી. જવાનોની માતાઓ જે દુઃખ અનુભવતી હશે એ જ દુઃખ, આપણા કૃત્યથી,પાકિસ્તાની માતાઓ પણ અનુભવે એ તો બરાબર નથી ને ? માટે, વેરની ભાવનાને ભૂલી જઈને એમને ‘મુચ્યતામ..મુચ્યતામ..’

હમણા જ રીલીઝ થયેલી, સૈફ અલી ખાન અભિનીત ફિલ્મ ફેન્ટમ (૨૦૧૫) માં ભારતીય જાસુસી સંસ્થા-રો- ના એક ઉચ્ચ અધિકારી કે પ્રધાન પણ આવી જ મતલબનો સંવાદ બોલે છે કે- ૨૬/૧૧ ના મુંબઈ હુમલાના આરોપીઓને ખતમ કરવા માટે આપણે યુધ્ધનું જોખમ ઉઠાવીને લાખ્ખો પાકિસ્તાનીઓની હત્યા ન કરી શકીએ.’

મને લાગે છે કે આપણી પ્રજાએ, આ મહાભારતની કથાઓનું  અફીણ બરાબર પચાવ્યું છે. નાનપણથી આવી આવી સુફિયાણી વાતો સાંભળી સાંભળી, વાંચી વાંચીને, આપણે, ક્ષમાશીલ –મારખાઉ- પ્રજા બની ગયા છીએ.

નવીન બેન્કર-   (લખ્યા તારીખ- ૧ સપ્ટેમ્બર ૨૦૧૫)

‘ધર્મ’ અંગે મારા વિચારો (૨) – નવીન બેન્કર

August 30th, 2015 Posted in મારા દિલની વાતો

Navin Banker (4) Navin Banker (5) PASSPORT PHOTO VAISHALI(5) Baku-Baku at Age 65 Navin Banker with Arvind Thekadi Navin Banker-1961 & 2011 MERI MAA- Jab Mai uske pet me thaa. Baku-Baku at Age 5 Me & My Baku (2) 13-5-1963 Bankers

ધર્મ અંગે મારા વિચારો  (૨)

 હું ટીલાંટપકાં ન કરું; પણ હું આધ્યાત્મીક છું. દુનીયાને ચલાવનારી કોઈ શક્તી તો છે જ.  માનવ શરીરને જ જુઓ. અને શરીરની બધીપ્રક્રીયાઓનું નીરીક્ષણ કરો. તો તમે પણ એ પરમશક્તીમાં માનતા થઈ જશો.
હું તેત્રીસ કરોડ દેવીદેવતાઓમાં નથી માનતો. કૃષ્ણ…રામ.. એ બધા સારા રાજાઓ હશે અને એમણે પ્રજા માટે સારા કામો પણ કર્યા હશે અને આપણી વ્યક્તિપૂજક પ્રજાએ એમને ‘ભગવાન’ બનાવી દીધા હશે અને પૂજવા માંડ્યા હશે. આજે કોઇ સંપ્રદાયના ધર્મગુરુને આપણે ‘પ્રગટ બ્રહ્મસ્વરુપ’ બનાવી દીધા છે એમ જ એ જમાનામાં એમને ભગવાન બનાવી દીધા હશે. સાંઇબાબા અને જલારામબાપા ભક્ત હતા .એમને પુજનીય ગણીએ ત્યાં સુધી મને વાંધો નથી. પણ એમને ભગવાનનો દરજ્જો આપી દઈને તેમના મંદીરો બાંધીને ઘંટ વગાડવાની વાત મને માન્ય નથી. સંતોષીમાતા ને મેલડીમાતા ને  કાળીમાતામાં મને જરાય શ્રધ્ધા નથી. મહાદેવજીને દૂધ ચડાવવાની કે ગણેશોત્સવ કરીને ગણેશજીનું વિસર્જન કરવાના ઘોંઘાટીયા ઉત્સવો ઉજવવાનો હું વિરોધી છું.
મને ધર્મના નામે ચાલતાધતીંગો નથી ગમતા. અને  જાત જાતની ધજાઓ લઈને ઘુમવામાં હું નથી માનતો. મને મોક્ષ અપાવવા નીકળી પડેલા આ ગુરુઓ નથીગમતા. હા, પરન્તુ  જગતને  નીયંત્રણમાં રાખનાર કોઈક  શક્તી છે. તેને હું  નમું  છું અને એને જ ભગવાન માનું છું.
સવારે ઉઠતી વખતે અને રાત્રે સૂતી વખતે આંખો મીંચીને હું એ સર્વશક્તિમાનને વંદન કરીને તેમને યાદ કરું છું. મેં ક્યારેય દીવો-ધૂપ કર્યા નથી. મારા બાપે પણ કર્યા ન હતા.
એ સર્વશક્તિમાનને યાદ કરવા માટે,મારે પણ કોઇ સ્વરુપની જરુર પડે છે અને નાનપણથી મને શીખવવામાં આવ્યું હતું કે કૃષ્ણ અને રામ તો હાડમાંસના બનેલા માનવો હતા. એમને તો આપણે ભગવાન તરીકે ઠઠાડી દીધા છે પણ ભોળા શંભુ- મહાદેવજી- તો સાચા પ્રભુ છે એટલે પ્રભુનું સ્મરણ કરતી વખતે હું મહાદેવજીના પ્રચલિત સ્વરુપને નજર સમક્ષ રાખું છું. એટલી આસ્તિકતા મારામાં છે.
નવીન બેન્કર
 
 

પાનખરે ખીલ્યા ફૂલ નાટ્ય-અવલોકન- શ્રી. નવીન બેન્કર

પાનખરે ખીલ્યા ફૂલ                   નાટ્ય-અવલોકન-  શ્રી. નવીન બેન્કર

સાતમી માર્ચ ૨૦૧૫ના દિવસે, અમદાવાદના ઠાકોરભાઇ દેસાઇ હોલમાં, એક સરસ સામાજિક નાટક જોયું. વર્ષો પહેલાં- કદાચ ૧૯૭૦માં- પ્રિતમનગરના અખાડામાં, ‘રંગમંડળ’ નો જમાનો હતો અને સ્વ. શ્રી.રાજુ પટેલ, મહેન્દ્ર પાઠક તથા  પ્રતિભા રાવલ નાટકો કરતા હતા ત્યારે હું  રંગમંડળનો ઇતિહાસ લખવા રાત્રે ત્યાં જતો હતો એ અરસામાં મને પ્રતિભાબેનનો પરિચય થયેલો. ૪૫ વર્ષ પહેલાં ની એ વાત. પ્રતિભાબેન ખુબ સ્વરુપવાન. એમના, હવેલીની પોળવાળા મકાને પણ હું ગયેલો અને ત્યાં  એમની નાટ્યપ્રવૃત્તિ અંગે મુલાકાત કરેલી. એ સમયે, દિનેશ શુક્લ, ઇન્દીરા મેઘા,  સ્વ. નલિન દવે, સ્વ. પ્રવિણાબેન મહેતાના નાટકો પુરબહારમાં ચાલતા. એ સમયે, વિજય દત્ત, જશવંત ઠાકર, કૈલાસભાઇ, દામિની મહેતા, અરવિંદ ત્રિવેદી, પદમારાણી જેવા ધુરંધર કલાકારોને મારે મળવાનું થતું. એ દરેકની સાથે મારા સંસ્મરણો છે.

આ પ્રતિભા રાવલે લગભગ  ૭૫+ ની ઉંમરે આ નાટકમાં એક અગત્યની ભૂમિકા ભજવવા ઉપરાંત દિગ્દર્શન પણ કર્યું છે. નાટકના મુખ્ય પુરુષપાત્ર કુમુદભાઇ રાવલ અને પ્રતિભાબેને મને આ નાટક જોવા ખાસ આમંત્રણ આપેલું. એના રિહર્સલો વખતે પણ મને ખાસ બોલાવેલો.

ઘનશ્યામ દેસાઇના પત્ની, પૈસા, ધનદોલત, મોટર, બંગલા, નોકરચાકર અને વૈભવના મોહમાં, પતિની ગરીબી અને કલાનો ઉપહાસ કરીને એક શ્રીમંત સાથે નાસી જાય છે. ઘનશ્યામ દેસાઇ નોકરી અને ગામ છોડીને દૂર આવીને વસે છે, જ્યાં તેમની પાછલી જિન્દગીને કોઇ જાણે નહીં અને કોઇ ઓળખે નહીં.સંગીતના ટ્યુશનમાંથી જે પૈસા મળતા તેમાંથી બન્ને સંતાનોનો ઉછેર કરવા લાગ્યા. તેમના જીવનમાં આશાવરી નામની શિષ્યા આવી અને પરોક્ષ રીતે સંતાનોના ઉછેરમાં મદદ કરતી રહી. એક પરિણીત સ્ત્રી ,પોતાના સંતાનોને છોડીને ભાગી ગઈ અને બીજી અપરિણીત સ્ત્રીએ  તેના સંતાનોને સંભાળી લીધા.

સંગીતકાર  ઘનશ્યામ દેસાઇની મુખ્ય ભૂમિકામાં શ્રી. કુમુદ રાવલ અને તેમના મિત્ર અને વેવાઇ ભજીયાવાળા ભગવાનદાસની ભૂમિકામાં એડવોકેટ શ્રી. નવીન ઓઝાએ આખા નાટકનો ભાર ઉપાડી લીધો હતો. ઘનશ્યમભાઇના પુત્ર મોહન (અક્ષય પટેલ)ને ભજીયાવાળાની દીકરી રાધા  ( ટંકીકા પંચાલ ) સાથે પ્રેમ છે.  દીકરી સરિતા ( રુહીન ઘોરી )નું સગપણ , મીસ્ટર પરીખ  ( દિનકર ઉપાધ્યાય ) ના દીકરા પ્રોફેસર  (પૂરબ મહેતા)  સાથે થવાનું છે. સંગીતકાર ઘનશ્યામ દેસાઇને આશાવરી રાગ ખુબ પ્રિય છે. અને તેમના જીવનમાં પણ આશાવરી  આવે છે.જેને કારણે રુઢિચુસ્ત જૂનવાણી સમાજમાં ચણભણ થાય છે. ખુદ એમના બાળકો પણ બાપને ગૂનેગાર અને ચારિત્રહીન માનવા લાગે છે અને પછી શરુ થાય છે ઘર્ષણ.  ઘનશ્યામ દેસાઇના બન્ને સંતાનોના લગ્ન થઈ જાય છે એ પછી ઘનશ્યામ દેસાઇ આશાવરીને ઘેર લાવે છે અને સંતાનોને તેનો પરિચય કરાવતા જણાવે છે કે આશાવરીએ પત્ની અને માતા તરીકેની ફરજ અદા કરવામાં આખી જુવાની ખર્ચી નાંખી છે. પરંતુ, ફરજ બજાવનાર પિતા અને ત્યાગમૂર્તિ આશાવરીનો સંબંધ સંતાનોને સ્વીકાર્ય ન હતો.

કેટલાક હૃદયસ્પર્શી સંવાદો પછી, ઘનશ્યામ અને આશાવરી ઘર છોડી નવી જિન્દગી શરુ કરવા ચાલ્યા જાય છે એવા કથાનક પર સમસ્ત નાટકની માંડણી થઈ છે.

પ્રેમી ઘનશ્યામના જીવનમાં , તેમના ઘરસંસારમાં ખલેલ ના ઉભી થાય એ રીતે વર્ષો સુધી એકલતા અનુભવતી આશાવરીના પાત્રમાં પ્રતિભા રાવલ પાત્રોચિત સંયમી અભિનય કરી જાય છે. ઘનશ્યામ દેસાઇના, આશાવરી સાથેના સંબંધ અંગે પોતાના દ્ર્ષ્ટીબિંદુની રજૂઆત કરતા સંવાદોમાં આલેખનનું ઉત્તમ પાસુ જોવા મળે છે અને એ વખતના હ્ર્દયસ્પર્શી સંવાદોમાં કુમુદ રાવલ મેદાન મારી જાય છે. પુત્રવધુ બનતી અભિનેત્રી પણ છટાદાર સંવાદોથી પ્રેક્ષકોના દિલ જીતી લે છે. મોહન બનતા અક્ષય પટેલ ખુબ આશાસ્પદ કલાકાર છે. મીસ્ટર પરીખના મહેમાન કલાકાર જેવા રોલમાં દિનકર ઉપાધ્યાયને ખાસ કશું કરવાનું રહેતું નથી પણ પોતાના દમામદાર અભિનય અને અસરકારક અવાજના જોરે હાજરી પુરાવી ગયા. ભગવાનદાસ ભજીયાવાળાના રોલમાં શ્રી. નવીન ઓઝાએ સીક્સરો પર સીક્સરો ફટકારીને પ્રેક્ષકોને ખુબ હસાવ્યા હતા. પ્રોફેસર બનતા પૂરબ મહેતા પણ પોતાની ભૂમિકા સૂપેરે ભજવી ગયા. ત્રણેક કલાકારોએ તો પ્રથમ વખત જ સ્ટેજ પર અભિનય કર્યો હતો છતાં તેઓ અનુભવી કલાકારો જ લાગતા હતા.

નાટકનું રુપાંતર સ્વ. રાજુ પટેલનું હતું એમ સાઇનબોર્ડ પર જણાવાયું હતું.

જે ઉંમરે, અન્ય બધી જ અભિનેત્રીઓ થાઇરોડ અને આર્થરાઇટીસથી પીડાઇને, સ્ટેજ માટે નક્કામી બની જતી હોય છે એ ઉંમરે (૭૫+) પ્રતિભાબેનના શરીર પર ચરબીએ હુમલો કર્યો નથી. હા ! ઉંમરની અસર વર્તાય જરુર પણ હલનચલન  કે અભિનયક્ષમતા પર એની અસર નથી. આજે ય, એકલપંડે નાટ્યપ્રવૃત્તિ ચાલુ રાખી શક્યા છે. કુમુદ રાવલ પણ ચૌદ વર્ષના વનવાસ પછી. ફરી નાટ્યપ્રવૃત્તિમાં સક્રિય થયા છે એ જોઇને આનંદ થયો. કુમુદ રાવલ અને પ્રતિભા રાવલની અટક માં જ સામ્ય છે. બાકી ધે આર નોટ રીલેટેડ.

બેસ્ટ લક, પ્રતિભાબેન અને કુમુદભાઇ !

નવીન બેન્કર ફોન નંબર-૭૧૩-૮૧૮-૪૨૩૯    ( લખ્યા તારીખ-૨૨ એપ્રિલ ૨૦૧૫ )

 

ધર્મ અંગે મારા વિચારો (૧)

August 28th, 2015 Posted in મારા દિલની વાતો

 

ધર્મ અંગે મારા વિચારો (૧)

 

હ્યુસ્ટન ( ટેક્સાસ ) થી પ્રસિધ્ધ થતા

 ઇન્ડીયા હેરલ્ડના ૨૭ ઓગસ્ટના અંકમાં, પ્રથમ પાને છપાયેલ એક સમાચારના આધારે આ વાત લખું છું.

 ગળથુથીમાં ‘ધરમ’નું અફીણ છે એવી આપણી પ્રજા  કદી સત્ય સમજવાની જ નથી અને ગઠિયાઓ પાસે લૂંટાવવાનું છોડવાની નથી. 

 બની બેઠેલા આવા ધુતારાઓ પાસેથી સલાહો મેળવવાનું છોડો. 

ક્રેડીટ કાર્ડથી ધુતારાઓને પેમેન્ટ આપીને પસ્તાશો નહીં. 

ભગવાને કોઇ એજન્ટો નીમ્યા નથી. 

વગર મહેનતે તાગડધિન્ના કરનારાઓથી ચેતો. 

ભગવા જોઇને નમી પડવાનું છોડો. 

આ મંદીરો…આ ટ્રસ્ટો…ભગવાનને મળવા માટે નથી. તમને બેવકૂફ બનાવીને , પોતાની સાત પેઢીને તારવા માટે અને એમને ભગવાન બનાવીને પૂજાવા માટેના રસ્તા બનાવવાની ચાલબાજી છે. 

 તમે ધરમને નામે શું કરો છો ? અઢાર પેઢી પહેલા થઈ ગયેલા કોઇ સાચા સંતને ભગવાન બનાવી દઈને  પેઢી દર પેઢી પુજતા જાવ છો અને એમના વંશજો પરદાદાના નામે, પોતપોતાની ‘પેઢીઓ’ ખોલી ખોલીને ટોઓટા અને મર્સીડીસોમાં ફરતા અને એરકન્ડીશનમાં રહેતા થઈ જ ગયા ગયેલા છે. હજાર કરોડ રુપિયાની સંપત્તિ ઉભી કરી દઈને તમને ‘બધું ત્યજી દઈને, બાવા બનાવી દેવાની શિખામણો આપે છે.

 વારતહેવારે, પ્રસંગે, એ ભગવાનોને ‘ધર્મના બજાર’માં ઉભા કરી દઈને, ફલાણો મહોત્સવ અને ઢીંકણો મહોત્સવ એવાં નામો આપી દઈને , રસીદોની પાવતી બુકો મંદીરના દરવાજા પાસે ટેબલો ગોઠવી દઈને, ઉઘરાણા કરીને પોતાના ઘર ભરે છે. પાછા પોતે તો આલિશાન મહેલો જેવા ઘરોમાં, એરકન્ડીશનમાં રહેવા અને લેક્સસો ફેરવવા છતાં, મેડીકેઇડ અને ફૂડ કૂપનો મેળવતા હોય છે. કારણ કે પૈસા તો ટ્રસ્ટના નામે હોય કે પુત્રો, પુત્રીઓ કે પૌત્રીઓના નામે કરી દીધેલું હોય. 

ભગવાન મંદીરોમાં નથી.ત્યાંતો પથ્થરની મૂર્તિઓ હોય છે, જે આતંકવાદીઓથી પોતાની જાતનું પણ રક્ષણ કરવા અસમર્થ છે. એ તો તમારી શ્રધ્ધા જ એમને ભગવાન બનાવે છે. 

ભગવાન તમારા અને મારા હ્રદયમાં જ છે. તમે અંતરને ડંખે એવું કાર્ય ન કરતા હો તો તમારે મંદીરોના પગથિયા ઘસવાની જરુર નથી. સવાર-સાંજ તમારા જે કોઇ ઇષ્ટદેવ હોય એનું સ્મરણ કરી લો એટલે પત્યું !

નવીન બેન્કર-

 

 

 

                     .

મહાભારતની એક રોમેન્ટીક કથા- નવીન બેન્કરની નજરે

August 28th, 2015 Posted in સંકલન્

મહાભારતની  એક  રોમેન્ટીક કથા-  નવીન બેન્કરની નજરે

યમુનાના વહેણમાં એક નૌકા સરતી સરતી કિનારા તરફ જઈ રહી હતી. એ નૌકા ચલાવનારી શ્યામ આંખોવાળી ( અસિતલોચના) મત્સ્યકન્યાનું નામ સત્યવતી હતું. એ માછીમારની પુત્રી હતી. સત્યવતીનું સૌંદર્ય  અનુપમ હતું.પરંતુ એના શરીરમાંથી માછલીની ગંધ પ્રસરતી હતી. આ સત્યવતીની નાવમાં ઋષિ પરાશર બેઠા હતા. મહાભારત કાળમાં સ્ત્રીઓ આજીવિકા અર્થે કામ કરતી હતી.
માછલીની ગંધથી ગંધાતી છતાં એ અનુપમ લાવણ્યમયી યુવતી પર પેલા મહામૂનિ, જ્ઞાની,  તપસ્વી એવા પરાશર મુનિ મોહી પડ્યા અને અત્યંત કામવશ બનેલા એ કહેવાતા ઋષિએ મધુર મધુર વાતો કરીને સત્યવતીને લલચાવી અને પોતાના બાહુપાશમાં જકડી લીધી. પોતે ના પાડશે તો ઋષિ શ્રાપ આપશે એવી બીકને લીધે સત્યવતી એ કહેવાતા ઋષિને ના ન પાડી શકી અને પરાશર મુનિ સાથે ચાલુ નાવે જ મૈથુનાનંદમાં એકાકાર થઈ ગઈ. ( આજના જમાનામાં ચાલુ બસમાં કે ટ્રેનમાં કામાવશ પુરુષો બળાત્કાર કરી બેસે છે એવું મહાભારતના જમાનામાં પણ થતું હશે એવું આ કથામાંથી જણાઇ આવે છે. )
નાવ એક ટાપુ પર પહોંચી ત્યારે ઋષિએ સત્યવતીને કહ્યું કે- ‘આપણા આ સંભોગને કારણે મારા થકી પેદા થયેલા આ ગર્ભનું તું જતન કરજે અને તને ભવિષ્યમાં લગ્ન કરવામાં કોઇ જાતની તકલીફ ન પડે એ માટે તેં મારી સાથે સંભોગ કર્યો છે તે છતાં તું કૌમાયાવસ્થાને ( વર્જીનીટી ) પ્રાપ્ત કરીશ અને તારા શરીરમાંથી  આ જે માછલીની દુર્ગંધ આવે છે તેને હું દૂર કરી દઈને જીવનભર ટકે એવી અને દુર દુર સુધી ફેલાય એવી સુગંધનું વરદાન આપું છું. હવે પછી તું યોજનગંધા તરીકે ઓળખાઇશ, આમ, મત્સ્યગંધા, યોજનગંધા બની ગઈ.
આ કથામાંથી શું તારતમ્ય નીકળે છે એ તમે સમજ્યા ?  માછલી જેવી ગંધથી ગંધાતી હોય પણ સ્ત્રી જો રુપાળી હોય તો ગમે તેવા જ્ઞાની-મુની ઋષિ પણ ચાલુ નાવમાં ‘શ્રીરામ શ્રીરામ’ કરવા (!)  તત્પર થઈ જાય છે. એ વખતે પેલી  ગંધ પણ એમને નથી આવતી. આજે રજસ્વલા સ્ત્રી સાથે આવા કારણોસર પુરુષો સમાગમ કરવાનું ટાળતા હોય છે.
પરાશર મુનિ અને સત્યવતીના સંભોગથી એક પુત્રરત્નનો જન્મ થયો. એ પુત્ર તે મહર્ષિ વેદવ્યાસ. લગ્ન વગર માતા બની ચુકેલી સ્ત્રીનું સંતાન એ કૃષ્ણદ્વૈપાયન કહેવાતા વ્યાસમુનિ. આ જ સ્ત્રી, પાછળથી ભીષ્મપિતાની માતા બની.
હવે આગળ વાંચો આ સત્યવતીની કથા.
ઋષિ પરાશરના વરદાનને કારણે એનું લાવણ્ય, અનન્યપુર્વા ( વર્જીન)  બનેલી આ સ્ત્રી એટલી તો નયનમનોહર અને હૃદયલુભાવન બની ગયું હતું કે હસ્તિનાપુરના રાજા  મહારાજા શાંતનુ  એની નાવમાં નદી પાર કરવા બેઠા ત્યારે એના પર મોહાંધ બની ગયા. એ સમયે રાજા શાંતનુ આઠ આઠ પુત્રોના પિતા બની ચૂકેલા અને એમનો આઠમો પુત્ર એ દેવવ્રત કે જે પાછળથી ભિષ્મ પિતા કહેવાયો. દેવવ્રતને યુવરાજપદે સ્થાપ્યા પછી અને પત્નીની ચિરવિદાય પછી છત્રીસ વર્ષ સુધી પત્ની વગરનું શુષ્ક જીવન વિતાવ્યા બાદ, વનવિહાર કરવા નીકળેલા આ વૃદ્ધ રાજા સત્યવતી પર મોહી પડ્યા અને લગ્ન કરવાની માંગણી કરી. એ જમાનામાં પણ  પૈસાપાત્ર વૃદ્ધો પૈસા અને સત્તાના જોરે રુપાળી યુવાન સ્ત્રીઓને પત્ની બનાવતા હતા.
પછીની વાત તો બધા જાણે છે જ કે વૃદ્ધ પિતાની ઇચ્છા પુરી કરવા યુવાન દેવવ્રતે આજીવન લગ્ન નહીં કરવાની  ભીષ્મ પ્રતિજ્ઞા લીધી અને  ઘરડા બાપને યુવાન સ્ત્રી સાથે પરણાવ્યા. ઉત્કટ પિતૃપ્રેમને કારણે રાજા યયાતિના પુત્ર પુરુએ પણ પોતાનું યૌવન પિતાને સમર્પી દઈને  અકાળે વૃદ્ધાવસ્થા સ્વીકારી લીધેલી.
માણસ સમૃધ્ધ હોય, સમર્થ હોય, સત્તાવાન હોય ( અને  NRI  હોય તો ) ત્યારે એને ગમે તે ઉંમરે કામેચ્છા થતી હોય છે અને એ પુર્ણ કરવા , પોતાના જીવનને નવપલ્લવિત કરવા  એ યુવાન સ્ત્રીની શોધ કરતો જ હોય છે.પુનર્લગ્ન કરવા માટે પણ એ ચાલીસથી નીચેની ( મેનોપોઝ અને થાઈરોઇડ વગરની ) રુપાળી સ્ત્રીને જ પ્રાધાન્ય આપતો હોય છે. એ વાત જુદી છે કે એ રુપાળી સ્ત્રી પરણે સમર્થ વૃદ્ધને અને શોધે યુવાન બોયફ્રેન્ડ !  અને… એ જમાનામાં  DNA TEST તો થતા જ નહોતા ને !
ઇન્દ્ર જેવા ઇન્દ્ર પણ કોઇ ઋષિનું સ્વરુપ લઈને, ઋષિની ગેરહાજરીમાં ઋષિપત્ની સાથે સમાગમ કરી આવ્યાના દાખલા પુરાણોમાંથી મળી આવે છે. ભગવાન શંકર પણ ભીલડી પર મોહી પડેલા.
સત્યવતીને બે પુત્રો થયા. ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય. એમના પુત્રો તે પાંડુ અને ધૃતરાષ્ટ્ર. અને એમના સંતાનો તે પાંડવો અને કૌરવો…પણ આપણને એમની વાતોમાં રસ નથી.
દ્રૌપદી જેવી અતિ સૌંદર્યવાન સ્ત્રીના પતિ થયા પછી પણ અર્જુને, વનવાસ દરમ્યાન આઠ આઠ સ્ત્રીઓ સાથે લગ્ન કરેલા. ભીમે પણ હેડમ્બા સાથે ‘શ્રીરામ  શ્રીરામ’ કરેલું.
મહાભારતમાં તો એટલી બધી આવી કથાઓ છે કે આજથી ૪૮ વર્ષ પહેલાં (૧૯૬૬માં ) મેં આ વાતોને મારી નજરે, મારી રોમેન્ટીક શૈલિમાં લખીને છપાવેલી ત્યારે, ગુજરાત સરકારે  મને કારણદર્શક નોટીસ મોકલેલી અને એક પુસ્તક પર તો કેસ પણ ઠોકી દીધો હતો. અંગત મિત્રોને જ્યારે હું એ કેસના હિયરીંગની  સીલસીલાબંધ વિગતો કહું છું ત્યારે લોકોને સાંભળવાની ખુબ મજા આવે છે.

આ કથા, મહાભારતની છે એટલે કોઇએ નાકનું ટીચકુ ચઢાવવાની જરુર નથી.

 
 

Navin Banker  (713-818-4239)
My Blog : navinbanker.gujaratisahityasarita.org
Ek Anubhuti : Ek Ahesas.

Kindly remove my name and    address before forwarding this e-mail. We    have no control over who will see forwarded messages! This keeps all our    Personal

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.