એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » Page 13

એક સંસ્મરણ

January 4th, 2014 Posted in મારા સંસ્મરણો

 

સંસ્મરણ

કુટુંબના બાળકોએ હ્યુસ્ટનના મહારાજાભોગ રેસ્ટોરન્ટમાં

ચાર પ્રસંગોની ઉજવણી કરી-

(૧)    નવજાત શિશુ નિખિલ શાહના, આ દુનિયામાં

       આગમનની વધામણી. (ડોક્ટર શેનિલ અને ડો. સપના શાહનો પુત્ર)

(૨)    ડોક્ટર આશીષ બેન્કર અને વ્યોમા બેન્કરના,

        એકાદ બે દિવસમાં જ જન્મનાર બેબી ( વૈશાલી)ના આગમનનું

       રીસેપ્શન.

(૩)   કુટુંબના વડીલ ડોક્ટર કોકિલા પરીખ અને પ્રકાશ પરીખની

       નજીકમાં જ આવનાર જન્મદિવસની ઉજવણી.

(૪)   કુટુંબના વરિષ્ટ સભ્ય નવીન અને કોકિલા બેન્કરના પચાસ

      વર્ષના  પ્રસન્ન દામ્પત્ય જીવનની ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી.

‘શોલે’કી સ્કીટમેં નવીન બેન્કર

કીસી ઝમાનેમેં હમનેહ્યુસ્ટનમેં, ફિલ્મ  શોલે કી સ્કીટ કી થી, જિસમેં આપકા યે દોસ્ત નવીન બેન્કર કાલીયા બના થા ઔર ડાયલોગ બોલતા થા  –સરદાર,મૈંને આપકા નમક ખાયા હૈ

ઔર ગબ્બરસિંહ ( ગિરીશ નાયક ) કહેતા હૈ- તો અબ ગોલી ભી ખા ‘.ઔર…ઉસકી ગોલી ખાકર  મૈં -યાનિ કાલિયા- ગિર જાતા થા.

 કાલિયા- શ્રી,નવીન બેન્કર

 બસંતી- શ્રીમતી કીની                

વીરુ   – શ્રી.રાજુ ભાવસાર                        

 ગબ્બરસિંહ- શ્રી. ગિરીશ નાયક (FFOI વાળા)           

કાલિયાકે પ્રોડ્યુસર ઔર ડાયરેક્ટર થે  માસ્ટરજી યાનિ કી શ્રી.ઇન્દ્રવદન ત્રિવેદીજી-ગુરુજી

કબીર ( એકપાત્રિય નાટક )

January 4th, 2014 Posted in અહેવાલ

 

કબીર   ( એકપાત્રિય નાટક )

હ્યુસ્ટનના આંગણે ૧૯મી ઓગસ્ટ ૨૦૧૧ને શુક્રવારે વર્ધમ થિયેટરમાં ઇન્ડો-અમેરિકન એસોસિયેશનના ઉપક્રમે એક અતિસુંદર ક્લાસિકલ વન-મેન મ્યુઝિકલ શો યોજાઇ ગયો..ભક્તકવિ કબીરની જીવનગાથાને બે કલાકના મ્યુઝિકલ શો દ્વારા પ્રસ્તુત કરી હતી પ્રસિધ્ધ બંગાળી ગાયક-અભિનેતા શ્રી. શેખર સેને.

કબીરના દોહા તો ઘણાએ સાંભળ્યા જ હશે. તેમના પદને અંતે, હંમેશા કહત કબીર સુનો ભાઇ સાધોશબ્દો આવતા હોય છે.કબીર અનાથ હતા. કહેવાય છે કે જન્મતાની સાથે જ તેમની માતાએ તેમનો ત્યાગ કરી દીધો હતો. કાશીમાં, તળાવની પાળેથી, નવજાત શિશુ એવા કબીરજીને એક મુસ્લિમ  વણકર દંપત્તીએ લઈ જઈને ઉછેરીને મોટા કર્યા હતા.નાનપણથી જ કબીરજીની રુચી આધ્યાત્મિક હતી.તેઓશ્રી સંતો,ફકીરો,મહાત્માઓના સંગમાં રત રહેતા હતા.કબીરજીએ કદી હાથમાં કલમ પકડી નથી. પણ તેમનુ જ્ઞાન તેમની વાણીમાં છલકાતુ રહેતું.તેમની સરળ ભાષામાં વિચારોની ગહનતા, ગાંભીર્ય, સ્વભાવની નીડરતા, સરળતા અને મૌલિક વિચારોની સાથે સાથે ઇશ્વર તરફનો પ્રેમ પણ પ્રતિપાદીત થતો રહ્યો છે. દંભી અને પાખંડી કહેવાતા ધર્મગુરુઓ પ્રત્યે તેમને અણગમો હતો એ વાત તેમના અનેક દુહા-સાખીઓમાંથી જણાઇ આવે છે.તેમની પ્રખર પ્રજ્ઞા અને પ્રગાઢ આંતરખોજથી નીપજતા શબ્દો ,સ્વયં બ્રહ્મ બની તેમના બ્રહ્મવિચારને  પ્રદર્શિત કરતા રહે છે. કબીરજીની વિચારધારાના પદો કબીરવાણીકહેવાય છે.કબીરજી સંવત ૧૪૫૫માં જન્મેલા અને સંવત ૧૫૭૬ને માગશર સુદ અગિયારસને દિવસે ૧૨૦ વર્ષની ઉંમરે કાશી નજીકના મગહર ગામે અવસાન પામ્યા હતા.તેમના જીવનપ્રસંગોને લગતા ઘણા લેખો, પુસ્તકો પ્રસિધ્ધ થઈ ચુકેલા છે.

આવા ઓલિયા, ભક્તકવિની જીવનગાથા અને કવનને, તેમની પ્રેમ, શાંતિ,કોમી-એખલાસની વાતોને બે કલાકના કાર્યક્રમ દ્વારા શ્રી.શેખર સેને રજૂ કરી.

કબીરને કેન્દ્રમાં રાખીને માત્ર વન-મેન-શો દ્વારા નાટ્યક્રુતિ ભજવવી એ ખુબ કપરુ કામ છે.શેખર સેને આ સફળ રીતે કરી બતાવ્યું છે.નીચલા વર્ગના સામાજીક વાતાવરણની વચ્ચે વણકર કુટુંબમાં ઉછરતા છોકરાને મોઢે , જે સહજતાથી એ કપડુ વણે છે ,એ જ સહજતાથી સરળ ભાષામાં જીવનની ફિલસૂફી પણ બોલાય અને ગવાય એ અદભુત છે.મંદીરના પુજારી કે મસ્જીદના મૌલવીના ધર્મને પડકારતી વાત હોય કે પાલક માતા સાથેનો,પુત્ર કમાલ સાથેનો સંવાદ હોય,સમાજના વિવિધ પાત્રો અને કહેવાતા ધર્મના રખેવાળો કે મોગલ બાદશાહ સાથેના સંવાદો હોય,એ બધું  એક જ મુખે,સ્વરના આરોહ-અવરોહ બદલીને વિવિધ પાત્રોને આબેહુબ દ્રષ્ટી સમક્ષ રજુ કરી દઈને એક ઇતિહાસ સર્જી દીધો છે શેખર સેને.

ભક્તિ પરંપરા શરુ થઈ એ વખતના મધ્યકાલિન ભારતિય સમાજનું ચિત્ર જે રીતે કોઇ વિશિષ્ટ સંનિવેશ વગર પણ અહીં જે રીતે રજુ થઈ શક્યું છે તે અવર્ણનિય છે.કબીરના જીવનની ગાથા,એના જન્મથી માંડીને એના દેહાવસાન સુધીની, ખુદ કબીરના જ મુખે બોલાવીને,જીવંત ગીત-સંગીત દ્વારા,સતત વહેતા રાખીને કરાયેલી રજુઆત પ્રભાવક બની રહે છે.

શેખર સેનનો કંઠ કોઈપણ ગાયકની સ્પર્ધા કરી શકે એટલી હદે કેળવાયેલો અને ઘુંટાયેલો છે.સમગ્ર રજુઆતમાં પદો,દોહા ગાવાની એક પણ તક એણે જતી કરી નથી તેથી વતાવરણમાં ભક્તિરસની મહેંક પ્રસરી રહે છે. એ સમયની તળપદી ભાષામાં પણ જે રીતે સ્વાભાવિકતાથી રજુઆત થઈ તે નાટકની એક સિધ્ધી ગણી શકાય.

એક જ પાત્રને કેન્દ્રમાં રાખીને ,એની આસપાસ કોઇપણ પ્રકારની સંકુલતા કે વિસંગતી વગરના એક પરિમાણી વ્યક્તિત્વ ધરાવતા અન્ય પાત્રોને સંવાદો દ્વારા જ અવાજના આરોહ-અવરોહ વડે હળવાશથી  અને સાહજીકતાથી રજુ કરતું આ નાટક CLASS માટેનું નાટક હતું- MASS માટેનું નહીં.જેમને કબીરની કથા ખબર છે, જેમણે કબીરના દોહા વાંચ્યા છે, સાંભળ્યા છે, જે એ બધું સમજી શકે છે એવા બુધ્ધીજીવી, બહુશ્રુત અને  ક્લાસિક સેન્સ ધરાવતા સુજ્ઞ પ્રેક્ષકો જ આનો રસાનુભવ કરી શકે અને માણી શકે એવા વિરલ એકપાત્રિ નાટકને હાઊસફુલ ઓડીયન્સ મળવું સંભવ નથી.મોટાભાગના કહેવાતા નાટ્યરસિકો હળવાફુલ કોમેડી નાટકો કે જેમાં વાહિયાત પકડાપકડી અને ચવાઇ ગયેલા વાસી જોક્સ કે દ્વીઅર્થી સંવાદો હોય એવા નાટકો પસંદ કરતા હોય છે. હ્યુસ્ટનમાં આ જ દિવસે અને એ જ સમયે મુંબઈના ખ્યાતનામ ગ્રુપ દ્વારા ભજવાતું એક અન્ય નાટક પણ હતું અને એકાદ-બે લગ્નપ્રસંગો પણ હતાં છતાં આ પરફોર્મન્સને પાંચસો પ્રેક્ષકો મળી શક્યા એ જ હ્યુસ્ટન, સંસ્કારનગરી હોવાની પ્રતિતી કરાવવા માટે પુરતું છે.

એક ગુજરાતી સાહિત્યરસિક કવિને ઘેર, બહારગામના કોઇ ગુજરાતી શાયરનો કાર્યક્રમ હતો જે ટુંકાવીને કવિમિત્રો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તો, બીજે દિવસે જેમના દીકરાના લગ્નનું રિસેપ્શન યોજાયેલું એ કબીરપ્રેમી યુગલ, દસ જણના ગ્રુપમાં, કાર્યક્રમ જોવા આવેલા અને છેક સુધી આ કાર્યક્રમને માણ્યો હતો.

નાટકના મુડને અનુરુપ, દ્રશ્યની માંગ પ્રમાણે લાલ, પીળા અને લીલા પ્રકાશ-આયોજન દ્વારા દ્રશ્યને તાદ્રુશ કરવામાં આવેલ. ઝુપડીની આગના દ્રશ્યને સ્લાઇડ અને લાલ સ્પોટલાઈટથી તેમજ નદીની લહેરોને આસમાની લાઈટના આયોજન વડે જીવંત કરવામાં આવી હતી.

હ્યુસ્ટનનું  ઇન્ડો-અમેરિકન એસોસિયેશન, આવા સુંદર કાર્યક્રમો રજુ કરવા માટે જાણીતું છે. શાસ્ત્રિય સંગીતના ખેરખાંઓની જુગલબંદી હોય કે BROKEN IMAGES જેવા પ્રયોગશીલ અંગ્રેજી નાટકો હોય, ઇન્ડો અમેરિકન એસોસિયેશન ટીકીટબારીની સફળતાની પરવા કર્યા વગર એની રજુઆત પણ કરી જ દે. એની ટીકીટો પણ મોટેભાગે તો ઓનલાઇન જ ઉપલબ્ધ હોય અથવા મહારાણી મ્યુઝિકના સ્ટોર પર જ મળે. આ અંગેનો યશ, શ્રી. હરીદયાળજી નામના એક સેવાભાવી સજ્જન અને તેમના વોલન્ટીયર્સને ફાળે જાય છે.

અસ્તુ..

અવલોકન અહેવાલ અને શબ્દાંકન- શ્રી. નવીન બેન્કર

લખ્યા તારીખ- ૨૦ ઓગસ્ટ, ૨૦૧૧

કથાને બાંકડેથી સાંભળેલું

January 4th, 2014 Posted in સંકલન્

 

કથાને બાંકડેથી સાંભળેલું

(રામાયણનો સાર શું ?

     સોનાના મૃગ પાછળ  પતિને દોડાવનાર સ્ત્રીઓએ, અગ્નિપરીક્ષા માટે પણ તૈયાર રહેવું પડે !

     ભૌતિક સુખો માટે પતીને કાળાધોળા કામો કરાવનાર સ્ત્રીઓએ અંતે સહન કરવાનું આવે છે.

(રામ કંઇ સમજતા નહોતા ? જાણતા હતા કે સોનાનો મૃગ હોય. પણ પોતાની પત્નીને સમજાવી શક્યા હતા. સ્ત્રીને સમજવી સહેલી છે, પણ એને સમજાવવી મૂશ્કેલ છે જે રામ જેવા પણ કરી શક્યા હતા.

() મંદીરમાં, પ્રભુને ધરાવાયેલી ચીજવસ્તુઓની હરાજી (!) કરીને એક લાખ ડોલર્સ જોતજોતામાં ઉભા કરી શકાય છે.

શ્રીરામશ્રીરામ….

ઈશ્વરનું અસ્તીત્વ માનવતામાં છે– લેખક– શ્રી.. પ્રતાપ પંડ્યા ( વડોદરા )

January 4th, 2014 Posted in સંકલન્

ઈશ્વરનું અસ્તીત્વ માનવતામાં છે–    લેખક– શ્રી.. પ્રતાપ પંડ્યા ( વડોદરા )

અત્યાર સુધીનાં મારાં ગુજરાતી લખાણો કરતાં કાંઈક જુદા પ્રકારનું જ લખાણ લખવાની મને ઘણા સમયથી અંતરના ઉંડાણમાં તમન્ના હતી. તેને ન્યાય આપવા અને એક સામાજીક પ્રદુષણનો નાશ કરવા મારે આજે આંતરમનોવેદના, આસ્થા, શ્રદ્ધા અને ઈશ્વર અંગેનો મારો પોતાનો સ્વતંત્ર સ્પષ્ટ અભીપ્રાય પ્રસ્તુત કરવો છે. જોરાવરનગરના ભાઈશ્રી. જમનાદાસ કોટેચાએ તે માટે મને ઈજન અને તક આપ્યાં છે તેને વધાવી લઈ મારી વાત કરું છું. જીવનની સત્ય અનુભવેલી સ્થીતી–પરીસ્થીતીનું મારું આ તારણ છે.

ભગવાન, પરમેશ્વર, ઈશ્વર અંગે માનવસમાજના બે ભાગ આદીકાળથી જ પડેલા છે. એમાં ત્રીજો એક વીભાગ છેલ્લા ૫૦૦ વરસથી ઉમેરાયો છે. તે છે ‘ઈશ્વર છે અને નથી…’ ઈશ્વર નથી; છતાં છે પર પરમ્પરાગત માન્યતાઓને સ્વીકારી જીવનારો ત્રીજો વર્ગ. ‘ધોબીનો કુતરો ન ઘરનો; ન ઘાટનો’ એવી દશામાં તેઓ જીવે છે; છતાં દમ્ભ અન્તરને સુખ લેવા દેતો નથી એટલે આસ્તીક અને નાસ્તીક એ બન્ને પ્રકારના લોકોને અવગણે છે, તીરસ્કારે છે, સતત અસન્તોષની આગમાં બળતા રહે છે.

તો મારે એ બાબત કાંઈક અલગ જ કહેવું છે. મેં ગુજરાતી, હીન્દી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષામાં ઘણા ઉત્તમ ગ્રંથો વાંચ્યા છે. વેદોનો તલસ્પર્શી અભ્યાસ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. વીશ્વના ૧૨ મોટા સમ્પ્રદાયો કહેવાય છે તેના દરેક પવીત્ર ગ્રંથનો અભ્યાસ – અનુવાદ કરાવીને પણ – કર્યો છે. ક્યાંય ઈશ્વર કોઈને પ્રત્યક્ષ મળ્યો હોય તેવો એક પણ દાખલો નથી, પુરાવો નથી. હા, જીવ ઈશ્વરનો અંશ છે, જીવમાત્ર સમાન ગુણધર્મ ધરાવે છે, તે વૈજ્ઞાનીક સીદ્ધાન્તો દ્વારા જીવશાસ્ત્રીઓએ સાબીત કર્યું છે. માનવ કે અન્ય જીવની ઉત્પત્તી એ શરીરવીજ્ઞાનની એક ક્રીયાનું જ પરીણામ છે. તેમાં ઈશ્વર કાંઈ કરતો જ નથી. છતાં આપણે ઈશ્વરના ફોટા, મુર્તી, છબીઓ, ધુપ–દીપ, માળા, પુજા, મંદીર, આરતી વગેરે ઈશ્વર વીશે માત્ર ને માત્ર કલ્પનાથી લખાયેલી વાર્તાઓ કે ધર્મગ્રંથોની પુરાણી દૃષ્ટાન્ત કથાઓને આધારે જ કર્યા કરીએ છીએ. આપણે આગળની વાત પછી કરીએ. પૃથ્વીની રચના થયા પછી માનવની ઉત્પત્તીનો ઈતીહાસ આજે સૌ જાણે છે. શેવાળથી માંડી આજ સુધીના માનવપ્રગતીના ઈતીહાસમાં ઈશ્વરે કોઈ કામ કર્યું હોય અથવા કોઈપણ માનવને કે જીવને તે રુબરુ મળ્યા હોય તેવું બન્યું નથી, બનવાનું પણ નથી; છતાં જે અન્ધશ્રદ્ધાપુર્ણ માન્યતાઓ જ છે તેને સત્ય માની, આપણે જીવનનો ઘણો કીમતી સમય કર્મકાંડ, દોરા–ધાગા, પુજા–જાપ, મંત્ર–તંત્ર, ભુત–ભુવા, ગ્રહોની પીડા વગેરેમાં વેડફી રહ્યા છીએ. આ બધું ખોટું છે, સત્યથી વેગળું છે. જેને તમે ભગવાન, ઈશ્વર કે પરમેશ્વર માનો છો તે તત્ત્વ નીર્મળ સત્ય છે. આ નીરંજન–નીરાકાર પરમ તત્ત્વ સાથે આજની આપણી ઘોર અન્ધશ્રદ્ધા–ગેરસમજોને કોઈ નાતો નથી અને આપણે કાળા દોરડાને અન્ધારામાં સાપ માની ડરીને, અજ્ઞાનતાથી કાંઈ પણ વીચાર કર્યા વગર, આંખો મીંચી ઈશ્વરને નામે થતાં પાખંડો, ભ્રષ્ટાચારો, વ્યભીચારોને પોષણ આપીએ છીએ એ ભયંકર પાપ છે. આ આપણું સામાજીક પ્રદુષણ છે જે કેન્સર ટી.બી. કે અસાધ્ય રોગ બની માનવજાતને ભયંકર નુકસાન કરી રહ્યું છે.

અનુભવ અને અભ્યાસને આધારે મારી સ્પષ્ટ માન્યતા છે કે જ્યોતીષ, ગ્રહો, દોરા, જાપ અને કર્મકાંડી વીધીવીધાનથી સુખ, સન્તોષ, સમ્પત્તી, સન્તાન મળે છે તે હળાહળ ખોટું છે. માત્ર ભ્રમ ઉભો કરી કહેવાતા ‘પાખંડી લોકોને પેટ ભરવાનો જાહેર ધંધો’ છે જે ખુલ્લેઆમ લુંટ સીવાય બીજું કશું નથી. મારા પીતા અમને વારસામાં જે આપી ગયા છે તેને અણમોલ શીખામણ કહો કે ઈશ્વર વીશેની સત્ય વ્યાખ્યા કહો, તે પ્રમાણે આજે ૭૫ વરસે હું નીડરપણે મારો સત્ય અભીપ્રાય જાહેરમાં આપવા સક્ષમ છું. કારણ બહુ જ સ્પષ્ટ છે, મને ધર્મગ્રંથો, સાહીત્યની ઉત્તમ કૃતીઓ, મહાન ગણાતા સન્તો–મહન્તો, આચાર્યો, પંડીતોની વાણી તેમ જ ૭૫ વરસની લાંબી જીવનયાત્રામાં ઈશ્વરનો સાક્ષાત્કાર, પ્રત્યક્ષ અનુભવ કરેલ હોય એવું કોઈ જ મળ્યું નથી. તેમ જ અગાઉ કોઈને મળ્યા હોય તેવો એક પણ દાખલો જગતભરમાં નથી તે સાબીત કરવાની મારી તૈયારી છે.

હવે વાંચો મારી વાત :

છેલ્લી સાત પેઢીથી અમારા પરીવારનો કર્મકાંડનો તદ્દન બનાવટનો, લોકોને લુંટવાનો, લોકોને જાહેરમાં મુર્ખ બનાવી રોટલો રળવાનો ધંધો રહ્યો. એ કરનાર અમારા વડીલોએ જે મરતાં મરતાં અમને કહ્યું છે તે આપને કહેવા માંગુ છું. તેમણે કહ્યું, ‘‘અમે ઓછું ભણેલા બ્રાહ્મણના દીકરા એટલે બીજી કોઈ મહેનત મજુરી કરી ન શકવાને કારણે કથા, વાર્તા, જ્યોતીષ, યજ્ઞ, દોરાધાગા, સરવણી વગેરે વીધી કરવાના થોડાક ચાલુ મંત્રો પુસ્તકોમાંથી ગોખીને શીખી લીધા. પછી ગાડું ચાલ્યું. નાણાં, માન, વસ્ત્રો અને સારાં મકાન પણ અમે આ કર્મકાંડના ગોરખધંધા વડે પ્રાપ્ત કરી જીવ્યા છીએ.  

‘‘પણ આપણી પુત્રીઓ, પુત્રો, વહુઓ, બાળકો આ અનીતીભરી આવકને કારણે સુખી થયાં નથી. રોગ, ગાંડપણ કુસંસ્કારના ભોગ બન્યાં છે. અમારા વડવાઓ પણ છેલ્લે દુ:ખી થઈને મર્યા છે. કારણ કે માનવજાતને અમે માનવ થઈને છેતરી છે. દગો દીધો છે. માનવમાત્ર ઈશ્વરનો અંશ છે. દરેક જીવમાં ઈશ્વરનું અસ્તીત્વ અનુભવી શકાય છે. જો વેદના સમ્વેદના કે હૃદયમાં થતી લાગણીનો અનુભવ થાય તો એ જ ઈશ્વર છે એમ માની કરુણા, સ્નેહ, પ્રેમ, હુંફ આપી માનવમાં રહેલા ઈશ્વરને રાજી કરજો. એ સીવાય મફતનું ખાવું, મફતનું લેવું, બ્રાહ્મણ છીએ માટે મફત ભોજન, દાનદક્ષીણા લેવાનો હક્ક કાયમ માટે ત્યાગીને નાતજાત છોડીને સમગ્ર માનવ પ્રત્યે સમજણપુર્વક સમાન વાણી અને વહેવાર રાખી વર્તન કરજો એ ઈશ્વરની ખરી પુજા છે.’’

છેલ્લે મરણની છેલ્લી પળે મારા સ્વ. પીતાજીએ મારા માતુશ્રીને હાથમાં પાણી લેવડાવી પ્રતીજ્ઞા કરાવી હતી કે, ‘‘આપણાં સન્તાનોને આ કર્મકાંડનો ધન્ધો નહીં કરાવીશ. ભીક્ષાવૃત્તીનો ત્યાગ કરાવીશ. મફતનું ભોજન, અન્ન, વસ્તુસીધુંસામાનદાનદક્ષીણા કદાપી લેવા દઈશ નહીં. પેટ ન ભરાય તો ફોડી નાખજો.’’

 મારા સ્વ. માતુશ્રી ૨૬ વરસની ઉમ્મરે વીધવા થયાં. અમે ચાર સન્તાનો અને પોતે એમ પાંચનું ભરણપોષણ, ખડ વાઢીને, જીવનભર અજાચક બની જીવવાના ઉત્તમ સંસ્કારો અમને આપ્યા. આજ સુધીમાં મન્ત્ર, તન્ત્ર, જન્માક્ષર, સમય–વાર, ચોઘડીયાં કે ગ્રહો કોઈ ક્યાંય અમને નડ્યાં નથી. દરેક સન્તાન ૧૮ વર્ષની ઉમ્મરે કામે લાગી જાય. અને આપ સૌને નવાઈ લાગશે કે ૮૧ વરસની ઉમ્મરે મારાં પુજ્ય માતુશ્રી સ્વર્ગવાસી થયાં ત્યારે શીક્ષણ, સંસ્કાર, સમ્પત્તી અને સાચી સમજણ સાથે અમને જીવતા જોઈને પરમ સન્તોષ સાથે આશીર્વાદ આપીને ગયાં. તેઓએ એ જ કહ્યું કે, આપણી અજાચકવ્રતની વારસાગત મુડી સાચવજો. માનવમન્દીરમાં રહેલ ઈશ્વરને વન્દન કરી નમ્રતા, સરળતા અને સહજ જીવન જીવજો…’

આ સત્ય હકીકત મેં એટલા માટે રજુ કરી છે કે સમાજમાં અત્યારે વ્યાપી રહેલી અન્ધશ્રદ્ધા, ભુત, ભારાડી, ધર્મને નામે ચાલતાં આશ્રમો, મંદીરો કે જેનો માત્ર નાણાં કમાવા સીવાય કોઈ હેતુ નથી તેમાં પડવું નહીં. કદાચ તેને પડકાર કરવા કે તે ખોટું છે તેમ કહેવાની હીમ્મત, છાતી, તાકાત ન હોય તો ભલે; પણ તેનાથી દુર તો રહેવાય ને ? મારે પણ આસ્તીક, નાસ્તીક કે વચ્ચેના કોઈ માનવસમાજની પ્રવૃત્તીઓ–ધન્ધા, સાચા, ખોટામાં પડવું નથી; પણ આ બધાથી દુર રહીને ખુબ સારી રીતે જીવાય છે તેવો મારો પોતાનો જાતઅનુભવ છે. હું શીક્ષણનો માણસ છું. માણસ બનીને જ માનવ તૈયાર કરવાનનું કામ મેં અને મારાં પત્નીએ ૩૫ વરસ કર્યું છે. ગામડાંમાં, શહેરમાં, ગલી, પોળમાં કે દુનીયાના અન્ય દેશોમાં ક્યાંય અમે માનવતા ચુકતાં નથી. અન્ધશ્રદ્ધા કે દમ્ભી દેવદર્શન કરી દાન–દક્ષીણા લેતા તો નથી જ; પણ ક્યારેય એક પણ પૈસો મન્દીરમાં, સન્તને કે તેના આશ્રમને આપતા નથી. મન્દીર, હવેલી કે અન્ય ધર્મસ્થળોની આજુબાજુ જે ગરીબ, ભુખ્યાં લોકો ટળવળતા હોય તેની તપાસ કરી, તેમને ઘરે બોલાવીએ છીએ. તેમનાં ઝુંપડાંઓમાં જઈને કપડાં, અનાજ, રુપીયા, પુસ્તકો, બાળકોને ભણવાની ફી આપીએ છીએ. અમારાં પેન્શનની રકમ દર મહીને ૨૦ થી ૨૫ હજાર આવે છે. કોઈ પણ જાતની પ્રસીદ્ધી કર્યા વીના છેલ્લાં ૧૦ વરસથી વડોદરા શહેરમાં રહીને આવી મદદ આપ્યા જ કરીએ છીએ. અમે બન્ને પ્રાથમીક શાળાના નીવૃત્ત શીક્ષક–દમ્પતી છીએ. ઈશ્વરનું અસ્તીત્વ અમે માનવમાં જોયું છે. અને માનવસેવા એ જ ઈશ્વરસેવા છે તેમ દૃઢપણે માનીએ છીએ. બાકી બધો દમ્ભ છે, ધતીંગ છે, ખોટું છે, છેતરવાના ગોરખધંધા છે. લોકોની લાચારી, ગરીબી, નીરક્ષરતા, બેકારીનો લાભ લેતી આવી વ્યક્તીઓ, સંસ્થાઓ કે આશ્રમોને ખુલ્લાં પાડી સત્ય સમજાય તેવું સામાજીક પરીવર્તન કોઈએ તો કરવું જ પડશે.

છેલ્લે એટલું કહું કે કાદવના ખાડાને તમે પુરી શકો તેમ ન હો; તો પણ તેનાથી દુર તો રહી શકાય છે ને ?

શીક્ષીત વ્યક્તી આટલું સમજી પોતાના પુરતો નીર્ણય કરી જીવે તો પણ ઘણું બધું કામ થાય…’

લેખક સમ્પર્ક: ડૉ. પ્રતાપ પંડ્યા, ‘ઘર’ – એ-1/1 સામ્રાજ્ય –2, મુંજ મહુડા, વડોદરા – 390 020 ફોન :0265- 231 2793 મોબાઈલ : 98253 23617 ઈ–મેઈલ : pratapbhai@gmail.com 

 

 

અન્ન અને સેક્સ – શબ્દો અને વ્યવહાર -લેખક સૌરભ શાહ

January 4th, 2014 Posted in સંકલન્

 

અન્ન અને સેક્સ શબ્દો અને વ્યવહાર

 

ગુડ મોર્નિંગ – સૌરભ શાહ
 

‘ફાઉન્ટનહેડ’ અને ‘એટલસ શ્રગ્ડ’ જેવી વૈચારિક નવલકથાઓ લખનાર વિદુષી ઍન રૅન્ડે કહ્યું હતું, ‘કોઈકે બહુ સરસ વાત લખી હતી કે દુનિયામાં નેવું ટકા લોકોએ જો પ્રેમ વિશે કશું વાંચ્યું, સાંભળ્યું કે જોયું જ ન હોત તો તેઓ કદી પ્રેમમાં પડ્યા જ ન હોત.’

એક પત્રમાં આ ખ્યાતનામ અમેરિકન વિદુષીએ લખ્યું છે: ‘પ્રેમમાં સાચી વ્યક્તિ ગમવા ઉપરાંતનું કશુંક તત્ત્વ હોય છે, એ વ્યક્તિ પ્રત્યેના અહોભાવ ઉપરાંતનું અશરીરી તત્ત્વ હોય છે. આ અકળ લાગણી શારીરિક બનીને વ્યક્ત થાય છે ત્યારે એમાં રહેલી તીવ્રતાની ઊંચાઈનો સીધો સંબંધ પેલા અલૌકિક તત્ત્વ સાથે બંધાયેલો હોય છે.’

આ શારીરિક અભિવ્યક્તિ એટલે સેક્સ જેના વિશે ઍન રૅન્ડ કહે છે: ‘જેમને એમાં ભરપૂર આનંદ મળતો હોય તેઓ આ બાબતમાં અત્યંત સિલેક્ટિવ હોય છે. આવી વ્યક્તિઓ કોઈ મામૂલી ખેંચાણને વશ નથી થતી. ગમે તેની સાથે આ માટે તૈયાર થઈ જનાર વ્યક્તિ જેવી કામુક હોય છે એવું માનવાની ભૂલ ન કરવી. હકીકતમાં એથી તદ્દન ઊલટું હોય છે.’

જેમની જાતીય ચેતના પા પા પગલી ભરી રહી હોય એવી જ વ્યક્તિ ગમે તેની સાથે જાતીય સંબંધ બાંધી શકે. જેમને ખાવાનો ખૂબ જ શોખ હોય એવી વ્યક્તિ અને જે ખાઉધરો કે અકરાંતિયો હોય એવા માણસ વચ્ચે ખોરાકની બાબતમાં જેવો ફરક હોય એવો જ તફાવત અહીં પણ છે. આ બેમાંથી કયા પ્રકારની વ્યક્તિ ખોરાકને વધુ આદર આપે છે એવું તમે કહેશો? વ્યક્તિને પોતાની જાત માટે કેટલો આદર છે એનું માપ આ અંગત બાબત પ્રત્યેના એના અભિગમ દ્વારા નીકળે છે. પોતાના માટેનું ગૌરવ એ કોની સાથે આવા સંબંધો રાખે છે એના દ્વારા છતું થાય છે.

ઍન રૅન્ડ પૂછે છે, ‘એવું શા માટે કહેવાતું હોય છે કે માણસ જાતીય ઈચ્છાનો ગુલામ છે? એની એ તીવ્ર જરૂરિયાત મહેસૂસ કરે છે એટલે?’

અહીં ફરીથી બીજી પાયાની જરૂરિયાત સાથેની સરખામણી આવે છે – ખોરાક. અન્નની જરૂરિયાત વધુ બળવાન, તાત્કાલિક સંતોષવી પડે એ રીતની, વધુ અર્જન્સી ધરાવતી અને ક્યારેક જીવનમરણનો પ્રશ્ર્ન બની જાય એ પ્રકારની છે. આમ છતાં શા માટે કોઈ એવું કહેતું નથી કે માણસ અન્નનો ગુલામ છે? માણસે ખોરાકની બાબતમાં સ્વીકારી લીધું છે કે હા, આપણને એની જરૂરિયાત છે અને એ કેવી રીતે સંપૂર્ણપણે સંતોષવી એ અંગેના તમામ રસ્તાઓ એના પોતાના તાબામાં પણ છે. એટલું જ નહીં, એ બાબતમાં તો માણસ સંતોષ મેળવવાની વધુ ને વધુ નવી રીતો, રેસિપીઓમાં ફેરફારો કરીને કે નવી રેસિપીઓ શોધીને મેળવતો જ રહે છે. ખોરાકની બાબતમાં આવી પ્રક્રિયાને ન તો કોઈ માણસનાં હવાતિયાં ગણે છે, ન આવું કરતી વ્યક્તિને કોઈ દયાજનક માને છે.

કોઈ પણ નૉર્મલ, આધુનિક સમાજમાં એક સામાન્ય માણસ માટે જરૂર પૂરતો ખોરાક મેળવવો એ કોઈ મુશ્કેલભર્યું કામ નથી. ખોરાક એના માટે પાયાની જરૂરિયાત છે અને ખોરાક વિના રહેવું છે એવી ઈચ્છા રાખે તોય એને અમલમાં ન મૂકી શકે. ખોરાક વિના એણે રહેવું પણ શું કામ જોઈએ? પોતાની આ જરૂરિયાત સંતોષવાના એની પાસે અનંત માર્ગો છે અને એના ઉત્પાદનનાં સાધનો પણ એના નિયંત્રણમાં છે.

અન્ન અને સેક્સની બાબતમાં જે પાયાની સામ્યતા છે તે એ કે બેઉની ઈચ્છા પ્રગટે ત્યારે એને વશ થયા વિના છૂટકો નથી એવી માનસિકતા ઊભી થાય છે. પણ આ બેઉ આવેગોને સંતોષવાના માર્ગોમાં ઘણો મોટો ફરક છે. અન્ન માટેની જરૂરિયાત જેટલી સહેલાઈથી

સંતોષી શકાય છે એટલી આસાનીથી સેક્સની અનિવાર્યતાને પૂરી કરી શકાતી નથી. આમ છતાં એટલું ખરું કે સંતોષ ક્યાંથી લેવો અને ક્યારે લેવો એનો નિર્ણય લેવાનો હક્ક પોતાની જ પાસે રહે છે – બેઉ બાબતોમાં.

સવાલ એ આવીને ઊભો રહે કે સેક્સની બાબતમાં પોતાની કલ્પના મુજબનું પાત્ર અથવા તો પોતાની ચોક્કસ વૈચારિક પ્રક્રિયાને અંતે તારવેલાં ગુણો અને લક્ષણો ધરાવતું પાત્ર ક્યારેય જીવનમાં ન મળ્યું તો? તો શું માણસે એક પગથિયું નીચે ઊતરીને સેક્ધડ બેસ્ટ ચૉઈસ કરીને આ અંગે સમાધાન કરી લેવું?

ઍન રૅન્ડ કહે છે: ‘હા. ભલે એમાં આધ્યાત્મિક અને શારીરિક સાયુજ્યની તમે કલ્પેલી ઊંચાઈ ન હોય, પરંતુ એ સંબંધ સાવ કંઈ નીચલા પગથિયાવાળો તો નહીં જ હોય.’

ઍન રૅન્ડની મઝા એ છે કે એ જબરજસ્ત તાર્કિક વ્યક્તિ છે. (વ્યક્તિની ગેરહયાતીમાં પણ એના વિશે વર્તમાનકાળમાં વાત ત્યારે જ કરી શકાય જ્યારે આજની તારીખેય એના વિચારો તમને તાજા લાગતા હોય, ઉપયોગી લાગતા હોય).

સેક્સની વાત પૂરી. નવી વાત. ઍન રૅન્ડ એક અન્ય પત્રમાં પોતાના પ્રકાશકને લખે છે: ‘તમે લખો છો કે મારા પર ‘શ્રદ્ધા’ રાખો. જુઓ, આવી ‘શ્રદ્ધા’ મેં ક્યારેય કોઈના પર રાખી નથી. આંખો મીંચીને કશુંક સ્વીકારી લેવું એવી ધાર્મિક પ્રકારની શ્રદ્ધા રાખવામાં હું માનતી પણ નથી. ભરોસો મૂકવા માટે મને કારણો જોઈએ. પૂરેપૂરી હકીકતો જોઈએ. હું તમને પ્રથમ વાર મળી ત્યારે ન તો મને તમારામાં – તમે જેને શ્રદ્ધા કે વિશ્ર્વાસ કહો છો તે હતાં, ન અશ્રદ્ધા કે અવિશ્ર્વાસ. તમારી સાથેના ઉત્તરોત્તર વધતા જતા વ્યવહારોમાંથી મને પુરાવાઓ સાંપડતા ગયા એ પહેલાં મેં તમારા વિશે કોઈ પણ પ્રકારનો અભિપ્રાય બાંધ્યો નહોતો – ન સારો, ન ખરાબ.’

કોઈ વ્યક્તિ તમને કહે કે મને તમારા માટે ખૂબ સારી ભાવના છે, અત્યંત ઉમદા લાગણીઓ છે કે ઊંડો આદર છે ત્યારે તમારે એ વિચારવાનું કે એ વ્યક્તિ આવું બોલવા ખાતર બોલી રહી છે કે તમારી સાથેના એના વ્યવહારમાંથી તમને આ બાબતો અંગેના સીધા યા આડકતરા પુરાવાઓ સાંપડ્યા છે? માત્ર બોલાયેલા શબ્દોની કોઈ જ કિંમત નથી. વ્યવહારમાં ન મુકાયેલા આવા શબ્દો હવામાં જ અધ્ધર રહેતા હોય ત્યારે એનાથી ભોળવાઈ જવું કે છેતરાઈ જવું કોઈનેય ન પોસાય.

છલોછલ લાગણીમાં ભારોભાર તર્કબદ્ધ ઠાવકાઈ કેવી રીતે ઉમેરવી એ શીખવા માટે વારંવાર ઍન રૅન્ડ પાસે જવું પડે.

 

__._,_.___

 

એકલતાનીપીડા

January 4th, 2014 Posted in મારા દિલની વાતો

 

એકલતાનીપીડા

હમણાં ગણેશોત્સવ પ્રસંગે, યોજાયેલા એક સંગીતઉત્સવ દરમ્યાન મારે, હ્યુસ્ટનમાં નવા આવેલા એક બહેનનો પરિચય થયો. તેઓ શાસ્ત્રિય સંગીતનું જ્ઞાન ધરાવે છે. સારુ ગાઇ શકે છે. એક્ટીંગનો પણ  અનુભવ છે. દેહલાલિત્ય પણ સરસ છે અને ગરબામાં ફરતી વખતે પણ કોઇનું પણ ધ્યાન આકર્ષી શકે એટલા આકર્ષક છે. જોબ કરે છે. સીંગલ ડાયવોર્સી છે. ડ્રાઇવીંગ પણ કરે છે અને સ્વતંત્ર રીતે  ભાડાના એપાર્ટમેન્ટમાં એકલા રહે છે.

મેં તેમને ગુજરાતી સમાજના ગરબા અને સમાજના સભ્ય થઈ જવાની અગત્યતા સમજાવતો એક મેઇલ મોકલ્યો.. બહેનનો જે જવાબ આવ્યો , એક બુદ્ધીશાળી વ્યક્તિની એકલતાની પીડા સમજાવવા પુરતો હતો.

નવીનભાઇ, આપે મોકલાવેલી માહિતી માટે આભાર. મારે , ગુજરાતી સમાજના સભ્ય તો થઈ જવું છે પણ મારે, મારી મિત્ર બની શકે તેવી કોઇ કંપની નથી. તમે સમજી શકો છો કે હું એકલી રહું છું, ડાયવોર્સી છું એટલે પુરુષમિત્રો તો અમુક રીતે જોવાના. સ્ત્રીઓ પણ કંઇક ઇર્ષ્યાના ભાવે ખોટી ખોટી વાતો કરતી હોય, સમાજમાં કોઇ સાથે અમસ્તી વાતની ઓળખાણ થાય તો યે આપણો સમાજ તો અફવાઓ ફેલાવ્યા વગર રહે. સ્ત્રીમિત્રો છે ,પણ કોઇ મારી બૌધ્ધિક કક્ષાની નથી. એમને કુથલીઓમાં રસ પડે છે. ક્યાં તો, બધી કથાવાર્તાઓ અને ગુરુઓઘેલી હોય છે. આપણી સાથે ફિલ્મમાં આવી શકે, ચર્ચા કરી શકે, સાહિત્યસંગીતની વાતોમાં ભાગ લઈ શકે એવું કોઇ નથી….વગેરે..વગેરે…’

મને બહેનની વાત સાંભળીને વિચાર આવ્યો કે, માનવીના ઘણાં સંબંધો હોવાં છતાં એકલો હોય છે. જે સ્ત્રી કે પુરુષ સંવેદનશીલ હોય, ભાવુક હોય હંમેશાં તત્વતઃ એકલા હોય છે. આપણી આજુબાજુ ચારેકોર મિત્રો, ક્લબો, ઇન્ટરનેટથી મલ્ટીપલ પ્રેમસંબંધો હોવાં છતાં આપણે એકલા નથી ? વિખ્યાત અસ્તિત્વવાદી ફ્રેંચ લેખકે ક્યાંક કહ્યું છે કે માણસ આંતરિક રીતે એકલો છે.

મારી સાથે મારી પત્ની છે. અમારું પચાસ વર્ષનું દામ્પ્ત્યજીવન છે. અમારા રસ અને અભિરુચી ભિન્ન છે ટલે અમે પણ તાત્વિક રીતે એકલા છીએ. પરંતુ એના ડીશનેટવર્કની ઝી ટીવીની સિરિયલો કે શ્રીનાથજીબાવાના ભક્તિભાવમાં એની એકલતાને ઓગાળી નાંખે છે અને હું ફિલ્મો, નાટકો અને પુસ્તકો કે ગુજરાતી ભાષામાં ઇન્ટરનેટ પર લખ લખ કરીને મારી એકલતાને પ્રવૃત્તિમય બનાવી દઉં છું.

એકલતા કોઇ નવી વાત નથી. તમે તમારા વિચારોમાં નિરાળા હો, જગતથી જુદું વિચારતા હો ત્યારે તમારું નિરાળાપણું તમારી પીડા બની જાય છે. માણસે આંસુઓનો સહારો લઈને પણ જીવવું પડે છે. આંસુઓ પી પીને પણ તરસ્યા રહીને જીવનને ઉંચું લાવવું પડે છે. પ્રેમ, મૈત્રી અને નામ વગરના સંબંધ થકી એકલતાને દૂર કરી શકાય છે. પ્રેમની સુંવાળપ કે ભીનાશ માનવીની એકલતાને દૂર કરી શકે છે.

આજે આખી દુનિયામાં એકલા રહેનારાઓની સંખ્યા વધી રહી છે. સંયુકત કુટુંબો તૂટતા જાય છેછૂટાછેડાનું પ્રમાણ વધતું જાય છે..અમેરિકામાં તો મોટાભાગની સિનિયર સિટીઝન  ગોરી ડોશીઓ એકલી હોય છે.

સ્ત્રીપુરુષનો સંબંધબાયોલોજીકલ નીડહોઇ શકે અનેપ્રેમપણ. કહેવાતો પ્રેમ વિજાતીય આકર્ષણ પણ હોઇ શકે. કોઇપણ આકર્ષણ કાયમ સ્થિર નથી રહી શકતું.

કોઇના વિચાર તમને ગમતા હોય, કોઇનું શારીરિક સૌંદર્ય તમને ખેંચતું હોય, કોઇનો અવાજ તમને ગમતો હોય, કોઇની વાત કહેવાની સ્ટાઇલ તમને આકર્ષતી હોય, કોઇના પ્રત્યે તમને અહોભાવ થતો હોય તો પણ આપણે લાગણીને પ્રેમનું રુપાળુ લેબલ લગાવી દઈએ છીએ.

મારા એક સિનિયર સિટીઝન મિત્ર છે. મારાથી દસેક વર્ષે નાના છે, વિધુર છે. બાળકો મોટા થઇ ગયેલા છે અને જૂદા રહે છે. મિત્ર પણ પોતાના ઘરમાં એકલા રહે છે. એમણે પોતાની એકલતા દૂર કરવા એક સ્ત્રીમિત્ર સાથે મૈત્રીનો સંબંધ વિકસાવ્યો છે. બહેન પણ વિધવા છે. બાળકોથી જૂદા, એકલા રહે છે, ટીફીનસેવા આપીને આજીવિકા રળે છે. બન્નેના જીવનમાંમેનોપોઝછે. તમને થશે કે પુરુષના જીવનમાં મેનોપોઝ ક્યારથી શરુ થયો ? પણ એક જૂદુ ચેપ્ટર લખવું પડે. ટૂંકમાં, શારીરિક સંબંધનો અહીં અભાવ છે એટલું કહીશ. બન્ને મળે છે, ફિલ્મ જોવા સાથે જાય છે, મેક્સીકન રેસ્ટોરન્ટમાં જમવા જાય છે, સુખદુખની વાતો કરે છે, પુસ્તકોની આપલે કરે છે અને સહજીવન જીવન જીવે છે.

      એકલતાની પીડા વેઠવા કરતાં, માણસ આવા સંબંધો –નામ વગરના સંબંધો વિકસાવે તો મને તો એમાં કશું ખોટું લાગતું નથી. અમેરિકાનું આ એક સુખ છે. અહીં કોઇને કશી પડી નથી હોતી. બાકી, ઇન્ડીયામાં તો પાડોશીઓ બાંયો ચઢાવીને,’યે શરીફોંકા મહોલ્લા હૈ, યહાં ઐસા નહીં ચલેગા’ કરીને મારામારી કરવા આવી જાય. ઝી ઈવી ની એકતા કપૂરની સિરીયલોમાં આવા દ્રશ્યો સાહજીક છે. ‘ક્રાઇમ પેટ્રોલ’ કે ‘સાવધાન ઇન્ડીયા’ જેવા શોમાં પણ આવા દ્રશ્યો ઘણીવાર જોવા મળે છે.

 

ગુણવંત શાહ- ‘કવિતા’ વિશે

January 4th, 2014 Posted in સંકલન્

 

કવિતા

માણસને કવિતા વગર ચાલે ખરું ? કવિતા વગર ચાલી જાય ખરું, પણ જેમ જેમ માણસાઈ સમૃદ્ધ બને તેમ તેમ કવિતાની તરસ વધે. જેમ જેમ કમ્પ્યુટરની બોલબાલા વધતી જશે તેમ તેમ કવિતાની તરસ તીવ્ર બનશે. યંત્ર કદી નથી કંટાળતું એ વાત સાચી, પરંતુ યંત્ર સાથે સતત કામ પાડનારો આદમી જરૂર કંટાળી જાય છે. કવિતા વગર ચાલી જાય તોય ચલાવી લેવા જેવું નથી. જીવતા હોવાની કેટલીક સાબિતીઓ જાળવી રાખવા જેવી છે. કવિતા પ્રત્યેનું આકર્ષણ જીવતા હોવાની પ્રબળ સાબિતી છે.

કવિતા માત્ર કાગળ પર છપાતી પંક્તિઓમાં જ નિવાસ કરનારી આત્મસુંદરી નથી. એ તો જીવનયોગિની છે. ક્યારેક મૌનના અજવાળામાં અને એકાંતના મહાલયમાં એનો પગરવ સંભળાય છે. પગરવ સાંભળવા માટે કાન અને હ્રદય સરવાં કરવાં પડે છે.

ડૉ. ગુણવંત શાહના વૃક્ષમંદિરની છાયા’ પુસ્તકમાંથી સાભાર

 

‘મા’ અંગેનું વિનોદ પટેલનું કાવ્ય

January 4th, 2014 Posted in સંકલન્

‘મા’ અંગેનું વિનોદ પટેલનું કાવ્ય

ઓ મા સદેહે અહીં નથી એ કેમે કરી મનાય ના
સ્મરણો તારાં અગણિત બધાં જે કદી ભૂલાય ના
મા કોઈની મરશો નહી એવું જગે કહેવાય છે
જીવનસ્ત્રોત માના વિયોગની ખોટ સદા વર્તાય છે
માનવીના હોઠ ઉપર જો કોઈ સુંદર શબ્દ હોય તે મા
વરસાદ કરતાં ય પ્રેમે ભીંજવતો સાદ હોય એ મા
સ્મિત કરતી તસ્વીર ભીંતે પૂજ્યભાવે નીરખી રહ્યો
ભૂલી સૌ વિયોગ દુખ તવ મુક આશિષ માણી રહ્યો
ભજન,કીર્તન,ભક્તિ,વાંચન અને વળી તવ રસોઈકળા
ગજબ પરિશ્રમી હતી તારી હરરોજની એ દિનચર્યા
કર્તવ્ય પંથે અટલ રહી સૌની ચિંતા માથે લઇ
અપૂર્વ ધીરજ બેશબ્દ રહી વેદનાઓ સહેતી રહી
પડકારો ભર્યા કાંટાળા રાહે માંડી ચરણો ધૈર્યથી
ગુલાબો સૌ ખીલવી ગયાં અવ જીવન પંથમાં પ્રેમથી
ચંદન સમું જીવન તમારું ઘસાયું કાળ પથ્થરે
કરી લેપ એનો હૃદયમાં સુગંધ માણી રહ્યાં અમે
પ્રેમ,નમ્રતા, કરુણા અને તવ પ્રભુમય જીવનને વંદી રહ્યો
દીધેલ સૌ સંસ્કાર બળે આજ ખુમારી ભેર જીવી રહ્યો
શબ્દો ખરે જ ઓછા પડે ગણવા ઉપકારો મા-બાપના
કિન્તુ અલ્પ શબ્દો થકી માતૃદિને મા કરું હૃદયથી વંદના .

કાવ્ય રચના —- વિનોદ આર. પટેલ

એક્ષપાયર્ડ થઇ ગયેલ ગ્રીન કાર્ડ રીન્યૂ કરવા માટેનો પ્રોસીજર

January 4th, 2014 Posted in અનુભૂતિ

 

V

એક્ષપાયર્ડ થઇ ગયેલ ગ્રીન કાર્ડ રીન્યૂ કરવા માટેનો પ્રોસીજર 

સીનીયર સીટીઝન્સ એસોસિયેશનની મીટીંગમાં એક ૭૦ વર્ષના માજીએ એક કેઇસ હિસ્ટરી કહી. અને ગાઇડન્સ માંગ્યું.

મને ૨૦૦૫માં ગ્રીનકાર્ડ મળ્યું જેની એક્ષ્પાયરી ડેઈટ સપ્ટેમ્બર ૨૦૧૨ સુધીની હતી. હું ઇન્ડીયા ગઈ અને ચાર વર્ષ સુધી પા્છી અમેરિકા ન આવી. લોકોએ કહ્યુ કે એક વર્ષમાં પાછા ન આવ્યા એટલે ગ્રીનકાર્ડ લેપ્સ થઇ જાય એટલે હું વીઝીટર વીસા લઈને અમેરિકા આવી. છ માસમાં પાછી ઇન્ડીયા જતી રહી. ૨૦૧૨માં વીઝીટર વીસા પર જ અમેરિકા આવી.પણ મારા ગ્રીનકાર્ડ પર એક્ષપાયરી ડેઇટ તો સપ્ટેમ્બર ૨૦૧૨ હતી. એટલે મારે રીન્યૂ કરાવવું છે. તો રીન્યૂ થઈ શકે ? એ માટે  શું કરવું પડે ?

એક જાણીતા ખ્યાતનામ ઇમીગ્રેશન એટર્નીએ ૩૦ મીનીટના ફ્રી કન્સલ્ટેશનમાં સલાહ આપી કે તમે ગ્રીનકાર્ડની એક્ષપાયરી  ડેઇટ પહેલા પાછા અમેરિકા આવી ગયા છો એટલે સહેલાઇથી એક્ષપાયર્ડ થયેલું તમારું ગ્રીનકાર્ડ રીન્યૂ થઈ શકે. માત્ર ઇમીગ્રેશન

ઓફિસમાં I-90 form ભરવું પડે અને ૪૫૦ ડોલરની ફી ભરવી પડે. વકીલ મારફતે કાર્યવાહી કરવી હોય તો એની ફી જૂદી લાગે.

___________________________________________________________________

ઇમીગ્રેશન ઓફિસનું સરનામુ નીચે પ્રમાણે છે-

૧૨૬, નોર્થપોઇન્ટ ડ્રાઈવ, હ્યુસ્ટન, ટેક્ષાસ ૭૭૦૬૦.

I-45 North   Exit 60B  First Right on Northpoint Drive . 

છતાં સાવચેતી ખાતર ઇન્ટરનેટ પર વ્યવસ્થિત રીતે મેપક્વેસ્ટ દ્રાઇવિંગ ડાયરેક્શન કાઢીને જવું. સાથે તમારું ગ્રીનકાર્ડ, સોશિયલ સીક્યોરીટી કાર્ડ, ગ્રીનકાર્ડની બે ઝેરોક્ષ કોપીઓ, વેલીડ પાસપોર્ટ, જરુરી વીગતો રાખવી. શક્ય હોય તો ઇન્ટરનેટ પરથી ગ્રીનકાર્ડ રીન્યુઅલ અંગેની સૂચનાઓ, ફોર્મ આઇ-૯૦  ડાઉનલોડ કરી લઈને ઘેરથી જ જરુરી વિગતો ભરીને, બે પાસપોર્ટ ફોટાઓ અને હજારેક ડોલર સાથે રાખીને જવું.

આ બધી પળોજણ ઘેરથી પણ ઇન્ટરનેટ પર USCIS Office પર જઈને, સુચનાઓ અને ફોર્મ આઇ-૯૦ લાઉનલોડ કરીને, જે સરનામે ફોર્મ મોકલવાનું કહ્યું હોય ત્યાં ફોર્મ અને ફી મોકલી દેવાથી, ઘેરબેઠા પણ  ગ્રીનકાર્ડ,   રીન્યૂ થઇને આવી જાય.

મેં અંગત રીતે એ માજીની વ્યક્તિગત કેઇસ-હિસ્ટરી જાણીને, તેમને સલાહ આપી કે-

(૧)  જો ઇન્ડીયામાં તમારે નામે મોટો બંગલો હોય, તમારો દીકરો સારુ કમાતો હોય, અને વહુ,પૌત્રો,પૌત્રીઓ સાથેનો બહોળો સંસાર હોય તો અહીં અમેરિકામા રહીને, કોઇના ઘેર બેબી-સીટીંગ અને રસોઈ-પાણી જેવા કામ કરવા આ ૭૦ વર્ષની ઉંમરે દીકરા-વહુ, બહેનો, બનેવીઓની ના-મરજી હોવાં છતાં, માથે પડીને , દીકરાવહુ વચ્ચે ઝગડા કરાવવા માટે શા માટે રહેવું ? છતાં , એ તમારી વ્યક્તિગત અંગત વાત છે.

(૨) તમારે માટે ઘણા ડ્રોબેક્સછે. તમને અંગ્રેજી આવડતું નથી. કાર ચલાવી શકતા નથી. લોકોની રાઇડ્સ પર આધાર રાખવો પડે છે.તમે આ દેશમાં રહો એ તમારા દીકરાને ,વહુને, બહેનોને, બનેવીઓને ગમતું નથી અને કોઇ આ અંગે સહકાર આપવા તૈયાર નથી. તમારી ટપાલ અને ટેલીફોન મેસેજીસ પણ ગેરવલ્લે જવાની પુરી સંભાવના છે. ઇમીગ્રેશન ઓફીસ, વકીલની ઓફીસના ચક્કરો કાપવા માટે ઘરના કોઇ સભ્યો તૈયાર ન હોય તો બહારના કોઇ ૨૦-૨૫  માઇલ ડ્રાઇવ કરીને ગાંઠનું પેટ્રોલ બાળીને, પોતાનો કિંમતી સમય કાઢીને, ધક્કા ખાવા કોણ તૈયાર થાય ? તમારી પાસે પોતાનો મોબાઇલ ફોન સુધ્ધાં નથી. તમારો કોન્ટેક્ટ, તમારા દીકરા-વહુથી ખાનગી કોઇ શા માટે કરે ?

–   સોરી, બહેન !  તમે સલાહ માંગી અને અમે યોગ્ય વ્યક્તિની ફ્રી સલાહ તમને અપાવી. અમે ય, ૭૦ વટાવી ગયેલા છીએ અને અમારે ય અમારા લીમીટેશન્સ છે. હવે શું કરવું, કેવી રીતે કરવું એ તમારો પ્રશ્ન છે.  We can’t help it.

આપને શું લાગે છે મેં સાચો જવાબ આપ્યો ને ?    આપના પ્રતિભાવો આવકાર્ય છે.

 

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.