એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » Archive by category 'સંકલન્' (Page 2)

જમિયત પંડ્યાની મને ગમતી ગઝલ

January 6th, 2014 Posted in સંકલન્

જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો
ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો
ઓ મુસીબત એટલી ઝીન્દાદીલીને દાદ દે,
તેં ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો.
કોઈના ઈકરાર ને ઈનકાર પર હસતો રહ્યો
જે મળ્યો આધાર એ આધાર પર હસતો રહ્યો.
કોઈની મહેફિલ મહીં થોડા ખુશામદખોરમાં
ના સ્વીકાર્યું સ્થાન ને પગથાર પર હસતો રહ્યો.
ફૂલ આપ્યા ને મળ્યા પથ્થર કદી તેનેય પણ
પ્રેમથી પારસ ગણી દાતાર પર હસતો રહ્યો.
જીવતો દાટી કબરમાં એ પછી રડતા રહ્યાં
હું કબરમાં પણ, કરેલા પ્યાર પર હસતો રહ્યો.
નાવ જે મઝધાર પર છોડી મને ચાલી ગઈ
એ કિનારે જઈ ડૂબી હું ધાર પર હસતો રહ્યો.
ભોમીયાને પારકો આધાર લેતો જોઈને
દૂર    જઈ       પાંગળી    વણઝાર    પર     હસતો      રહ્યો.

   કવિ જમિયતરામ પંડયા

 

કવયિત્રી પન્ના નાયકનું એક કાવ્ય

January 5th, 2014 Posted in સંકલન્

પન્ના નાયકનું એક  ગીત

આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ,

રંગની લીલા જોઇને મારાં નેણ તો ન્યાલમન્યાલ.

રાતનું વહેતું શ્યામ સરોવર, એમાં નૌકા શ્વેત,

સમજું નહીમ કે ચાંદ ઉગે કે ઊગતું કોઇનું હેત.

આજ તો મારી સાવ સુંવાળીઃ લીલીમલીલી કાલ,

આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ.

પવન પોતે ઝાડ થઇને, ડોલતો રહે હરિયાળું,

મનમાં હવે કયાંય નથી કોઇ કરોળીયાનું જાળું.

ગમતીલા ગુલાલમાં વેરે કોઇ તો વહાલમવહાલ,

આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ.

( કાવ્યસંગ્રહવિદેશિનીમાંથી)

-‘દેશવિદેશના રજતજયંતિ સંમેલન વિશેષાંક૨૦૦૬માંથી સાભાર

કથાને બાંકડેથી સાંભળેલું

January 4th, 2014 Posted in સંકલન્

 

કથાને બાંકડેથી સાંભળેલું

(રામાયણનો સાર શું ?

     સોનાના મૃગ પાછળ  પતિને દોડાવનાર સ્ત્રીઓએ, અગ્નિપરીક્ષા માટે પણ તૈયાર રહેવું પડે !

     ભૌતિક સુખો માટે પતીને કાળાધોળા કામો કરાવનાર સ્ત્રીઓએ અંતે સહન કરવાનું આવે છે.

(રામ કંઇ સમજતા નહોતા ? જાણતા હતા કે સોનાનો મૃગ હોય. પણ પોતાની પત્નીને સમજાવી શક્યા હતા. સ્ત્રીને સમજવી સહેલી છે, પણ એને સમજાવવી મૂશ્કેલ છે જે રામ જેવા પણ કરી શક્યા હતા.

() મંદીરમાં, પ્રભુને ધરાવાયેલી ચીજવસ્તુઓની હરાજી (!) કરીને એક લાખ ડોલર્સ જોતજોતામાં ઉભા કરી શકાય છે.

શ્રીરામશ્રીરામ….

ઈશ્વરનું અસ્તીત્વ માનવતામાં છે– લેખક– શ્રી.. પ્રતાપ પંડ્યા ( વડોદરા )

January 4th, 2014 Posted in સંકલન્

ઈશ્વરનું અસ્તીત્વ માનવતામાં છે–    લેખક– શ્રી.. પ્રતાપ પંડ્યા ( વડોદરા )

અત્યાર સુધીનાં મારાં ગુજરાતી લખાણો કરતાં કાંઈક જુદા પ્રકારનું જ લખાણ લખવાની મને ઘણા સમયથી અંતરના ઉંડાણમાં તમન્ના હતી. તેને ન્યાય આપવા અને એક સામાજીક પ્રદુષણનો નાશ કરવા મારે આજે આંતરમનોવેદના, આસ્થા, શ્રદ્ધા અને ઈશ્વર અંગેનો મારો પોતાનો સ્વતંત્ર સ્પષ્ટ અભીપ્રાય પ્રસ્તુત કરવો છે. જોરાવરનગરના ભાઈશ્રી. જમનાદાસ કોટેચાએ તે માટે મને ઈજન અને તક આપ્યાં છે તેને વધાવી લઈ મારી વાત કરું છું. જીવનની સત્ય અનુભવેલી સ્થીતી–પરીસ્થીતીનું મારું આ તારણ છે.

ભગવાન, પરમેશ્વર, ઈશ્વર અંગે માનવસમાજના બે ભાગ આદીકાળથી જ પડેલા છે. એમાં ત્રીજો એક વીભાગ છેલ્લા ૫૦૦ વરસથી ઉમેરાયો છે. તે છે ‘ઈશ્વર છે અને નથી…’ ઈશ્વર નથી; છતાં છે પર પરમ્પરાગત માન્યતાઓને સ્વીકારી જીવનારો ત્રીજો વર્ગ. ‘ધોબીનો કુતરો ન ઘરનો; ન ઘાટનો’ એવી દશામાં તેઓ જીવે છે; છતાં દમ્ભ અન્તરને સુખ લેવા દેતો નથી એટલે આસ્તીક અને નાસ્તીક એ બન્ને પ્રકારના લોકોને અવગણે છે, તીરસ્કારે છે, સતત અસન્તોષની આગમાં બળતા રહે છે.

તો મારે એ બાબત કાંઈક અલગ જ કહેવું છે. મેં ગુજરાતી, હીન્દી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષામાં ઘણા ઉત્તમ ગ્રંથો વાંચ્યા છે. વેદોનો તલસ્પર્શી અભ્યાસ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. વીશ્વના ૧૨ મોટા સમ્પ્રદાયો કહેવાય છે તેના દરેક પવીત્ર ગ્રંથનો અભ્યાસ – અનુવાદ કરાવીને પણ – કર્યો છે. ક્યાંય ઈશ્વર કોઈને પ્રત્યક્ષ મળ્યો હોય તેવો એક પણ દાખલો નથી, પુરાવો નથી. હા, જીવ ઈશ્વરનો અંશ છે, જીવમાત્ર સમાન ગુણધર્મ ધરાવે છે, તે વૈજ્ઞાનીક સીદ્ધાન્તો દ્વારા જીવશાસ્ત્રીઓએ સાબીત કર્યું છે. માનવ કે અન્ય જીવની ઉત્પત્તી એ શરીરવીજ્ઞાનની એક ક્રીયાનું જ પરીણામ છે. તેમાં ઈશ્વર કાંઈ કરતો જ નથી. છતાં આપણે ઈશ્વરના ફોટા, મુર્તી, છબીઓ, ધુપ–દીપ, માળા, પુજા, મંદીર, આરતી વગેરે ઈશ્વર વીશે માત્ર ને માત્ર કલ્પનાથી લખાયેલી વાર્તાઓ કે ધર્મગ્રંથોની પુરાણી દૃષ્ટાન્ત કથાઓને આધારે જ કર્યા કરીએ છીએ. આપણે આગળની વાત પછી કરીએ. પૃથ્વીની રચના થયા પછી માનવની ઉત્પત્તીનો ઈતીહાસ આજે સૌ જાણે છે. શેવાળથી માંડી આજ સુધીના માનવપ્રગતીના ઈતીહાસમાં ઈશ્વરે કોઈ કામ કર્યું હોય અથવા કોઈપણ માનવને કે જીવને તે રુબરુ મળ્યા હોય તેવું બન્યું નથી, બનવાનું પણ નથી; છતાં જે અન્ધશ્રદ્ધાપુર્ણ માન્યતાઓ જ છે તેને સત્ય માની, આપણે જીવનનો ઘણો કીમતી સમય કર્મકાંડ, દોરા–ધાગા, પુજા–જાપ, મંત્ર–તંત્ર, ભુત–ભુવા, ગ્રહોની પીડા વગેરેમાં વેડફી રહ્યા છીએ. આ બધું ખોટું છે, સત્યથી વેગળું છે. જેને તમે ભગવાન, ઈશ્વર કે પરમેશ્વર માનો છો તે તત્ત્વ નીર્મળ સત્ય છે. આ નીરંજન–નીરાકાર પરમ તત્ત્વ સાથે આજની આપણી ઘોર અન્ધશ્રદ્ધા–ગેરસમજોને કોઈ નાતો નથી અને આપણે કાળા દોરડાને અન્ધારામાં સાપ માની ડરીને, અજ્ઞાનતાથી કાંઈ પણ વીચાર કર્યા વગર, આંખો મીંચી ઈશ્વરને નામે થતાં પાખંડો, ભ્રષ્ટાચારો, વ્યભીચારોને પોષણ આપીએ છીએ એ ભયંકર પાપ છે. આ આપણું સામાજીક પ્રદુષણ છે જે કેન્સર ટી.બી. કે અસાધ્ય રોગ બની માનવજાતને ભયંકર નુકસાન કરી રહ્યું છે.

અનુભવ અને અભ્યાસને આધારે મારી સ્પષ્ટ માન્યતા છે કે જ્યોતીષ, ગ્રહો, દોરા, જાપ અને કર્મકાંડી વીધીવીધાનથી સુખ, સન્તોષ, સમ્પત્તી, સન્તાન મળે છે તે હળાહળ ખોટું છે. માત્ર ભ્રમ ઉભો કરી કહેવાતા ‘પાખંડી લોકોને પેટ ભરવાનો જાહેર ધંધો’ છે જે ખુલ્લેઆમ લુંટ સીવાય બીજું કશું નથી. મારા પીતા અમને વારસામાં જે આપી ગયા છે તેને અણમોલ શીખામણ કહો કે ઈશ્વર વીશેની સત્ય વ્યાખ્યા કહો, તે પ્રમાણે આજે ૭૫ વરસે હું નીડરપણે મારો સત્ય અભીપ્રાય જાહેરમાં આપવા સક્ષમ છું. કારણ બહુ જ સ્પષ્ટ છે, મને ધર્મગ્રંથો, સાહીત્યની ઉત્તમ કૃતીઓ, મહાન ગણાતા સન્તો–મહન્તો, આચાર્યો, પંડીતોની વાણી તેમ જ ૭૫ વરસની લાંબી જીવનયાત્રામાં ઈશ્વરનો સાક્ષાત્કાર, પ્રત્યક્ષ અનુભવ કરેલ હોય એવું કોઈ જ મળ્યું નથી. તેમ જ અગાઉ કોઈને મળ્યા હોય તેવો એક પણ દાખલો જગતભરમાં નથી તે સાબીત કરવાની મારી તૈયારી છે.

હવે વાંચો મારી વાત :

છેલ્લી સાત પેઢીથી અમારા પરીવારનો કર્મકાંડનો તદ્દન બનાવટનો, લોકોને લુંટવાનો, લોકોને જાહેરમાં મુર્ખ બનાવી રોટલો રળવાનો ધંધો રહ્યો. એ કરનાર અમારા વડીલોએ જે મરતાં મરતાં અમને કહ્યું છે તે આપને કહેવા માંગુ છું. તેમણે કહ્યું, ‘‘અમે ઓછું ભણેલા બ્રાહ્મણના દીકરા એટલે બીજી કોઈ મહેનત મજુરી કરી ન શકવાને કારણે કથા, વાર્તા, જ્યોતીષ, યજ્ઞ, દોરાધાગા, સરવણી વગેરે વીધી કરવાના થોડાક ચાલુ મંત્રો પુસ્તકોમાંથી ગોખીને શીખી લીધા. પછી ગાડું ચાલ્યું. નાણાં, માન, વસ્ત્રો અને સારાં મકાન પણ અમે આ કર્મકાંડના ગોરખધંધા વડે પ્રાપ્ત કરી જીવ્યા છીએ.  

‘‘પણ આપણી પુત્રીઓ, પુત્રો, વહુઓ, બાળકો આ અનીતીભરી આવકને કારણે સુખી થયાં નથી. રોગ, ગાંડપણ કુસંસ્કારના ભોગ બન્યાં છે. અમારા વડવાઓ પણ છેલ્લે દુ:ખી થઈને મર્યા છે. કારણ કે માનવજાતને અમે માનવ થઈને છેતરી છે. દગો દીધો છે. માનવમાત્ર ઈશ્વરનો અંશ છે. દરેક જીવમાં ઈશ્વરનું અસ્તીત્વ અનુભવી શકાય છે. જો વેદના સમ્વેદના કે હૃદયમાં થતી લાગણીનો અનુભવ થાય તો એ જ ઈશ્વર છે એમ માની કરુણા, સ્નેહ, પ્રેમ, હુંફ આપી માનવમાં રહેલા ઈશ્વરને રાજી કરજો. એ સીવાય મફતનું ખાવું, મફતનું લેવું, બ્રાહ્મણ છીએ માટે મફત ભોજન, દાનદક્ષીણા લેવાનો હક્ક કાયમ માટે ત્યાગીને નાતજાત છોડીને સમગ્ર માનવ પ્રત્યે સમજણપુર્વક સમાન વાણી અને વહેવાર રાખી વર્તન કરજો એ ઈશ્વરની ખરી પુજા છે.’’

છેલ્લે મરણની છેલ્લી પળે મારા સ્વ. પીતાજીએ મારા માતુશ્રીને હાથમાં પાણી લેવડાવી પ્રતીજ્ઞા કરાવી હતી કે, ‘‘આપણાં સન્તાનોને આ કર્મકાંડનો ધન્ધો નહીં કરાવીશ. ભીક્ષાવૃત્તીનો ત્યાગ કરાવીશ. મફતનું ભોજન, અન્ન, વસ્તુસીધુંસામાનદાનદક્ષીણા કદાપી લેવા દઈશ નહીં. પેટ ન ભરાય તો ફોડી નાખજો.’’

 મારા સ્વ. માતુશ્રી ૨૬ વરસની ઉમ્મરે વીધવા થયાં. અમે ચાર સન્તાનો અને પોતે એમ પાંચનું ભરણપોષણ, ખડ વાઢીને, જીવનભર અજાચક બની જીવવાના ઉત્તમ સંસ્કારો અમને આપ્યા. આજ સુધીમાં મન્ત્ર, તન્ત્ર, જન્માક્ષર, સમય–વાર, ચોઘડીયાં કે ગ્રહો કોઈ ક્યાંય અમને નડ્યાં નથી. દરેક સન્તાન ૧૮ વર્ષની ઉમ્મરે કામે લાગી જાય. અને આપ સૌને નવાઈ લાગશે કે ૮૧ વરસની ઉમ્મરે મારાં પુજ્ય માતુશ્રી સ્વર્ગવાસી થયાં ત્યારે શીક્ષણ, સંસ્કાર, સમ્પત્તી અને સાચી સમજણ સાથે અમને જીવતા જોઈને પરમ સન્તોષ સાથે આશીર્વાદ આપીને ગયાં. તેઓએ એ જ કહ્યું કે, આપણી અજાચકવ્રતની વારસાગત મુડી સાચવજો. માનવમન્દીરમાં રહેલ ઈશ્વરને વન્દન કરી નમ્રતા, સરળતા અને સહજ જીવન જીવજો…’

આ સત્ય હકીકત મેં એટલા માટે રજુ કરી છે કે સમાજમાં અત્યારે વ્યાપી રહેલી અન્ધશ્રદ્ધા, ભુત, ભારાડી, ધર્મને નામે ચાલતાં આશ્રમો, મંદીરો કે જેનો માત્ર નાણાં કમાવા સીવાય કોઈ હેતુ નથી તેમાં પડવું નહીં. કદાચ તેને પડકાર કરવા કે તે ખોટું છે તેમ કહેવાની હીમ્મત, છાતી, તાકાત ન હોય તો ભલે; પણ તેનાથી દુર તો રહેવાય ને ? મારે પણ આસ્તીક, નાસ્તીક કે વચ્ચેના કોઈ માનવસમાજની પ્રવૃત્તીઓ–ધન્ધા, સાચા, ખોટામાં પડવું નથી; પણ આ બધાથી દુર રહીને ખુબ સારી રીતે જીવાય છે તેવો મારો પોતાનો જાતઅનુભવ છે. હું શીક્ષણનો માણસ છું. માણસ બનીને જ માનવ તૈયાર કરવાનનું કામ મેં અને મારાં પત્નીએ ૩૫ વરસ કર્યું છે. ગામડાંમાં, શહેરમાં, ગલી, પોળમાં કે દુનીયાના અન્ય દેશોમાં ક્યાંય અમે માનવતા ચુકતાં નથી. અન્ધશ્રદ્ધા કે દમ્ભી દેવદર્શન કરી દાન–દક્ષીણા લેતા તો નથી જ; પણ ક્યારેય એક પણ પૈસો મન્દીરમાં, સન્તને કે તેના આશ્રમને આપતા નથી. મન્દીર, હવેલી કે અન્ય ધર્મસ્થળોની આજુબાજુ જે ગરીબ, ભુખ્યાં લોકો ટળવળતા હોય તેની તપાસ કરી, તેમને ઘરે બોલાવીએ છીએ. તેમનાં ઝુંપડાંઓમાં જઈને કપડાં, અનાજ, રુપીયા, પુસ્તકો, બાળકોને ભણવાની ફી આપીએ છીએ. અમારાં પેન્શનની રકમ દર મહીને ૨૦ થી ૨૫ હજાર આવે છે. કોઈ પણ જાતની પ્રસીદ્ધી કર્યા વીના છેલ્લાં ૧૦ વરસથી વડોદરા શહેરમાં રહીને આવી મદદ આપ્યા જ કરીએ છીએ. અમે બન્ને પ્રાથમીક શાળાના નીવૃત્ત શીક્ષક–દમ્પતી છીએ. ઈશ્વરનું અસ્તીત્વ અમે માનવમાં જોયું છે. અને માનવસેવા એ જ ઈશ્વરસેવા છે તેમ દૃઢપણે માનીએ છીએ. બાકી બધો દમ્ભ છે, ધતીંગ છે, ખોટું છે, છેતરવાના ગોરખધંધા છે. લોકોની લાચારી, ગરીબી, નીરક્ષરતા, બેકારીનો લાભ લેતી આવી વ્યક્તીઓ, સંસ્થાઓ કે આશ્રમોને ખુલ્લાં પાડી સત્ય સમજાય તેવું સામાજીક પરીવર્તન કોઈએ તો કરવું જ પડશે.

છેલ્લે એટલું કહું કે કાદવના ખાડાને તમે પુરી શકો તેમ ન હો; તો પણ તેનાથી દુર તો રહી શકાય છે ને ?

શીક્ષીત વ્યક્તી આટલું સમજી પોતાના પુરતો નીર્ણય કરી જીવે તો પણ ઘણું બધું કામ થાય…’

લેખક સમ્પર્ક: ડૉ. પ્રતાપ પંડ્યા, ‘ઘર’ – એ-1/1 સામ્રાજ્ય –2, મુંજ મહુડા, વડોદરા – 390 020 ફોન :0265- 231 2793 મોબાઈલ : 98253 23617 ઈ–મેઈલ : pratapbhai@gmail.com 

 

 

અન્ન અને સેક્સ – શબ્દો અને વ્યવહાર -લેખક સૌરભ શાહ

January 4th, 2014 Posted in સંકલન્

 

અન્ન અને સેક્સ શબ્દો અને વ્યવહાર

 

ગુડ મોર્નિંગ – સૌરભ શાહ
 

‘ફાઉન્ટનહેડ’ અને ‘એટલસ શ્રગ્ડ’ જેવી વૈચારિક નવલકથાઓ લખનાર વિદુષી ઍન રૅન્ડે કહ્યું હતું, ‘કોઈકે બહુ સરસ વાત લખી હતી કે દુનિયામાં નેવું ટકા લોકોએ જો પ્રેમ વિશે કશું વાંચ્યું, સાંભળ્યું કે જોયું જ ન હોત તો તેઓ કદી પ્રેમમાં પડ્યા જ ન હોત.’

એક પત્રમાં આ ખ્યાતનામ અમેરિકન વિદુષીએ લખ્યું છે: ‘પ્રેમમાં સાચી વ્યક્તિ ગમવા ઉપરાંતનું કશુંક તત્ત્વ હોય છે, એ વ્યક્તિ પ્રત્યેના અહોભાવ ઉપરાંતનું અશરીરી તત્ત્વ હોય છે. આ અકળ લાગણી શારીરિક બનીને વ્યક્ત થાય છે ત્યારે એમાં રહેલી તીવ્રતાની ઊંચાઈનો સીધો સંબંધ પેલા અલૌકિક તત્ત્વ સાથે બંધાયેલો હોય છે.’

આ શારીરિક અભિવ્યક્તિ એટલે સેક્સ જેના વિશે ઍન રૅન્ડ કહે છે: ‘જેમને એમાં ભરપૂર આનંદ મળતો હોય તેઓ આ બાબતમાં અત્યંત સિલેક્ટિવ હોય છે. આવી વ્યક્તિઓ કોઈ મામૂલી ખેંચાણને વશ નથી થતી. ગમે તેની સાથે આ માટે તૈયાર થઈ જનાર વ્યક્તિ જેવી કામુક હોય છે એવું માનવાની ભૂલ ન કરવી. હકીકતમાં એથી તદ્દન ઊલટું હોય છે.’

જેમની જાતીય ચેતના પા પા પગલી ભરી રહી હોય એવી જ વ્યક્તિ ગમે તેની સાથે જાતીય સંબંધ બાંધી શકે. જેમને ખાવાનો ખૂબ જ શોખ હોય એવી વ્યક્તિ અને જે ખાઉધરો કે અકરાંતિયો હોય એવા માણસ વચ્ચે ખોરાકની બાબતમાં જેવો ફરક હોય એવો જ તફાવત અહીં પણ છે. આ બેમાંથી કયા પ્રકારની વ્યક્તિ ખોરાકને વધુ આદર આપે છે એવું તમે કહેશો? વ્યક્તિને પોતાની જાત માટે કેટલો આદર છે એનું માપ આ અંગત બાબત પ્રત્યેના એના અભિગમ દ્વારા નીકળે છે. પોતાના માટેનું ગૌરવ એ કોની સાથે આવા સંબંધો રાખે છે એના દ્વારા છતું થાય છે.

ઍન રૅન્ડ પૂછે છે, ‘એવું શા માટે કહેવાતું હોય છે કે માણસ જાતીય ઈચ્છાનો ગુલામ છે? એની એ તીવ્ર જરૂરિયાત મહેસૂસ કરે છે એટલે?’

અહીં ફરીથી બીજી પાયાની જરૂરિયાત સાથેની સરખામણી આવે છે – ખોરાક. અન્નની જરૂરિયાત વધુ બળવાન, તાત્કાલિક સંતોષવી પડે એ રીતની, વધુ અર્જન્સી ધરાવતી અને ક્યારેક જીવનમરણનો પ્રશ્ર્ન બની જાય એ પ્રકારની છે. આમ છતાં શા માટે કોઈ એવું કહેતું નથી કે માણસ અન્નનો ગુલામ છે? માણસે ખોરાકની બાબતમાં સ્વીકારી લીધું છે કે હા, આપણને એની જરૂરિયાત છે અને એ કેવી રીતે સંપૂર્ણપણે સંતોષવી એ અંગેના તમામ રસ્તાઓ એના પોતાના તાબામાં પણ છે. એટલું જ નહીં, એ બાબતમાં તો માણસ સંતોષ મેળવવાની વધુ ને વધુ નવી રીતો, રેસિપીઓમાં ફેરફારો કરીને કે નવી રેસિપીઓ શોધીને મેળવતો જ રહે છે. ખોરાકની બાબતમાં આવી પ્રક્રિયાને ન તો કોઈ માણસનાં હવાતિયાં ગણે છે, ન આવું કરતી વ્યક્તિને કોઈ દયાજનક માને છે.

કોઈ પણ નૉર્મલ, આધુનિક સમાજમાં એક સામાન્ય માણસ માટે જરૂર પૂરતો ખોરાક મેળવવો એ કોઈ મુશ્કેલભર્યું કામ નથી. ખોરાક એના માટે પાયાની જરૂરિયાત છે અને ખોરાક વિના રહેવું છે એવી ઈચ્છા રાખે તોય એને અમલમાં ન મૂકી શકે. ખોરાક વિના એણે રહેવું પણ શું કામ જોઈએ? પોતાની આ જરૂરિયાત સંતોષવાના એની પાસે અનંત માર્ગો છે અને એના ઉત્પાદનનાં સાધનો પણ એના નિયંત્રણમાં છે.

અન્ન અને સેક્સની બાબતમાં જે પાયાની સામ્યતા છે તે એ કે બેઉની ઈચ્છા પ્રગટે ત્યારે એને વશ થયા વિના છૂટકો નથી એવી માનસિકતા ઊભી થાય છે. પણ આ બેઉ આવેગોને સંતોષવાના માર્ગોમાં ઘણો મોટો ફરક છે. અન્ન માટેની જરૂરિયાત જેટલી સહેલાઈથી

સંતોષી શકાય છે એટલી આસાનીથી સેક્સની અનિવાર્યતાને પૂરી કરી શકાતી નથી. આમ છતાં એટલું ખરું કે સંતોષ ક્યાંથી લેવો અને ક્યારે લેવો એનો નિર્ણય લેવાનો હક્ક પોતાની જ પાસે રહે છે – બેઉ બાબતોમાં.

સવાલ એ આવીને ઊભો રહે કે સેક્સની બાબતમાં પોતાની કલ્પના મુજબનું પાત્ર અથવા તો પોતાની ચોક્કસ વૈચારિક પ્રક્રિયાને અંતે તારવેલાં ગુણો અને લક્ષણો ધરાવતું પાત્ર ક્યારેય જીવનમાં ન મળ્યું તો? તો શું માણસે એક પગથિયું નીચે ઊતરીને સેક્ધડ બેસ્ટ ચૉઈસ કરીને આ અંગે સમાધાન કરી લેવું?

ઍન રૅન્ડ કહે છે: ‘હા. ભલે એમાં આધ્યાત્મિક અને શારીરિક સાયુજ્યની તમે કલ્પેલી ઊંચાઈ ન હોય, પરંતુ એ સંબંધ સાવ કંઈ નીચલા પગથિયાવાળો તો નહીં જ હોય.’

ઍન રૅન્ડની મઝા એ છે કે એ જબરજસ્ત તાર્કિક વ્યક્તિ છે. (વ્યક્તિની ગેરહયાતીમાં પણ એના વિશે વર્તમાનકાળમાં વાત ત્યારે જ કરી શકાય જ્યારે આજની તારીખેય એના વિચારો તમને તાજા લાગતા હોય, ઉપયોગી લાગતા હોય).

સેક્સની વાત પૂરી. નવી વાત. ઍન રૅન્ડ એક અન્ય પત્રમાં પોતાના પ્રકાશકને લખે છે: ‘તમે લખો છો કે મારા પર ‘શ્રદ્ધા’ રાખો. જુઓ, આવી ‘શ્રદ્ધા’ મેં ક્યારેય કોઈના પર રાખી નથી. આંખો મીંચીને કશુંક સ્વીકારી લેવું એવી ધાર્મિક પ્રકારની શ્રદ્ધા રાખવામાં હું માનતી પણ નથી. ભરોસો મૂકવા માટે મને કારણો જોઈએ. પૂરેપૂરી હકીકતો જોઈએ. હું તમને પ્રથમ વાર મળી ત્યારે ન તો મને તમારામાં – તમે જેને શ્રદ્ધા કે વિશ્ર્વાસ કહો છો તે હતાં, ન અશ્રદ્ધા કે અવિશ્ર્વાસ. તમારી સાથેના ઉત્તરોત્તર વધતા જતા વ્યવહારોમાંથી મને પુરાવાઓ સાંપડતા ગયા એ પહેલાં મેં તમારા વિશે કોઈ પણ પ્રકારનો અભિપ્રાય બાંધ્યો નહોતો – ન સારો, ન ખરાબ.’

કોઈ વ્યક્તિ તમને કહે કે મને તમારા માટે ખૂબ સારી ભાવના છે, અત્યંત ઉમદા લાગણીઓ છે કે ઊંડો આદર છે ત્યારે તમારે એ વિચારવાનું કે એ વ્યક્તિ આવું બોલવા ખાતર બોલી રહી છે કે તમારી સાથેના એના વ્યવહારમાંથી તમને આ બાબતો અંગેના સીધા યા આડકતરા પુરાવાઓ સાંપડ્યા છે? માત્ર બોલાયેલા શબ્દોની કોઈ જ કિંમત નથી. વ્યવહારમાં ન મુકાયેલા આવા શબ્દો હવામાં જ અધ્ધર રહેતા હોય ત્યારે એનાથી ભોળવાઈ જવું કે છેતરાઈ જવું કોઈનેય ન પોસાય.

છલોછલ લાગણીમાં ભારોભાર તર્કબદ્ધ ઠાવકાઈ કેવી રીતે ઉમેરવી એ શીખવા માટે વારંવાર ઍન રૅન્ડ પાસે જવું પડે.

 

__._,_.___

 

ગુણવંત શાહ- ‘કવિતા’ વિશે

January 4th, 2014 Posted in સંકલન્

 

કવિતા

માણસને કવિતા વગર ચાલે ખરું ? કવિતા વગર ચાલી જાય ખરું, પણ જેમ જેમ માણસાઈ સમૃદ્ધ બને તેમ તેમ કવિતાની તરસ વધે. જેમ જેમ કમ્પ્યુટરની બોલબાલા વધતી જશે તેમ તેમ કવિતાની તરસ તીવ્ર બનશે. યંત્ર કદી નથી કંટાળતું એ વાત સાચી, પરંતુ યંત્ર સાથે સતત કામ પાડનારો આદમી જરૂર કંટાળી જાય છે. કવિતા વગર ચાલી જાય તોય ચલાવી લેવા જેવું નથી. જીવતા હોવાની કેટલીક સાબિતીઓ જાળવી રાખવા જેવી છે. કવિતા પ્રત્યેનું આકર્ષણ જીવતા હોવાની પ્રબળ સાબિતી છે.

કવિતા માત્ર કાગળ પર છપાતી પંક્તિઓમાં જ નિવાસ કરનારી આત્મસુંદરી નથી. એ તો જીવનયોગિની છે. ક્યારેક મૌનના અજવાળામાં અને એકાંતના મહાલયમાં એનો પગરવ સંભળાય છે. પગરવ સાંભળવા માટે કાન અને હ્રદય સરવાં કરવાં પડે છે.

ડૉ. ગુણવંત શાહના વૃક્ષમંદિરની છાયા’ પુસ્તકમાંથી સાભાર

 

‘મા’ અંગેનું વિનોદ પટેલનું કાવ્ય

January 4th, 2014 Posted in સંકલન્

‘મા’ અંગેનું વિનોદ પટેલનું કાવ્ય

ઓ મા સદેહે અહીં નથી એ કેમે કરી મનાય ના
સ્મરણો તારાં અગણિત બધાં જે કદી ભૂલાય ના
મા કોઈની મરશો નહી એવું જગે કહેવાય છે
જીવનસ્ત્રોત માના વિયોગની ખોટ સદા વર્તાય છે
માનવીના હોઠ ઉપર જો કોઈ સુંદર શબ્દ હોય તે મા
વરસાદ કરતાં ય પ્રેમે ભીંજવતો સાદ હોય એ મા
સ્મિત કરતી તસ્વીર ભીંતે પૂજ્યભાવે નીરખી રહ્યો
ભૂલી સૌ વિયોગ દુખ તવ મુક આશિષ માણી રહ્યો
ભજન,કીર્તન,ભક્તિ,વાંચન અને વળી તવ રસોઈકળા
ગજબ પરિશ્રમી હતી તારી હરરોજની એ દિનચર્યા
કર્તવ્ય પંથે અટલ રહી સૌની ચિંતા માથે લઇ
અપૂર્વ ધીરજ બેશબ્દ રહી વેદનાઓ સહેતી રહી
પડકારો ભર્યા કાંટાળા રાહે માંડી ચરણો ધૈર્યથી
ગુલાબો સૌ ખીલવી ગયાં અવ જીવન પંથમાં પ્રેમથી
ચંદન સમું જીવન તમારું ઘસાયું કાળ પથ્થરે
કરી લેપ એનો હૃદયમાં સુગંધ માણી રહ્યાં અમે
પ્રેમ,નમ્રતા, કરુણા અને તવ પ્રભુમય જીવનને વંદી રહ્યો
દીધેલ સૌ સંસ્કાર બળે આજ ખુમારી ભેર જીવી રહ્યો
શબ્દો ખરે જ ઓછા પડે ગણવા ઉપકારો મા-બાપના
કિન્તુ અલ્પ શબ્દો થકી માતૃદિને મા કરું હૃદયથી વંદના .

કાવ્ય રચના —- વિનોદ આર. પટેલ

બાલાશંકર કંથારિયાની ગઝલ

January 4th, 2014 Posted in સંકલન્

બાલાશંકર કંથારિયાની  ગઝલ

૨૦૧૪ના નૂતન વર્ષે બાલાશંકર કંથારિયાની  ગઝલની આ પંક્તિઓ  મારા  હૈયે ઉભરાઇ રહી જે મારી અતિ પ્રિય ગઝલ રહી છે. મને આનાથી વધુ સારી શુભેચ્છા સૂઝતી નથી. 

ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે,

ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે. 

દુનિયાની જૂઠી વાણી વિશે જો દુઃખ વાસે તો.

જરાયે અંતરે આનંદ, ના ઓછો થવા દેજે.

કચેરી માંહે કાજીનો, નથી હિસાબ કોડીનો,

જગતકાજી બનીને તું, વહોરી ના પીડા લેજે.

જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહીં ભાસે,

ન સારા કે નઠારાની જરાયે સંગતે રહેજે.

રહેજે શાંતિ સંતોષે,સદાયે નિર્મળે ચિત્તે,

દિલે જે દુઃખ કે આનંદ, કોઇને નહિં કહેજે.

વસે છે ક્રોધ વૈરી, ચિત્તમાં તેને ત્યજી દેજે,

ઘડી જાયે ભલાઈની,મહાલક્ષ્મી ગણી લેજે,

રહે ઉન્મત્ત સ્વાનંદે ખરું એ સુખ માની લે,

પિયે તો શ્રી. પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી લેજે.

કટુ વાણી સુણે જો તું, મીઠી વાણી સદા વદજે,

પરાઇ મૂર્ખતા કાજે, મુખે ના ઝેર તું લેજે. 

અરે ! પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માંગે તો,

ન માંગે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે. 

રહી નિર્મોહી શાંતિથી રહે એ સુખ મોટું છે

જગત બાજીગરીના તું બધાં છલબલ જવા દેજે. 

પ્રભુના નામના પુષ્પો પરોવી કાવ્યમાળા તું,

પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે. 

કવિ રાજા થયો શી છે પછી પીડા તને કાંઇ,

નિજાનંદે હંમેશાં બાલ, મસ્તીમાં મજા લેજે. 

(બાલા શંકર કંથારિયા)

નવા વર્ષનું સરવૈયુ- અશરફ ડબાવાલાનું કાવ્ય

January 3rd, 2014 Posted in સંકલન્

નવુ વર્ષ આવવાનું હોય એટલે ગયા વર્ષના સરવૈયાની વાતો થયા વગર તો ક્યાંથી રહે?

  

સરવૈયાની ઐસી તૈસી, સરવાળાની ઐસી તૈસી,
જીવની સાથે જીવી લીધું ધબકારાની ઐસી તૈસી. 

જીવનના અંતે ઈશ્વર કે જન્નત જેવું હો કે ના હો,
બસ સ્વયંવર જીતી લીધો, વરમાળાની ઐસી તૈસી. 

શ્વાસોથી ભીંજાઈ ચાલો ડૂબીએ ભીના સપનામાં,
હોડી લઈને ભવસાગરમાં તરનારાની ઐસી તૈસી. 

ઊંડે મનમાં ઉતરી તારું રૂપ નિરખશું બંધ આંખોથી,
પગદંડીઓ, રસ્તાઓ ને અજવાળાની ઐસી તૈસી.

 

– ડૉ.અશરફ ડબાવાલા (શિકાગો, યુ.એસ.એ)

 

 

ટીકા…નિંદા…ભૂલો પ્રત્યે અંગૂલિનિર્દેશ

March 21st, 2011 Posted in સંકલન્

ટીકા…નિંદા…ભૂલો પ્રત્યે અંગૂલિનિર્દેશ

સંકલન – શ્રી. નવીન  બેન્કર

                (‘ એક જ દે ચિનગારીના લેખક શશિન તથા શ્રીમતિ ઈલા દત્ત ના એક લેખના આધારે )

 

ભારતિય કોમ્યૂનિટી તરીકે ભારતીયો ભેગા થવાની, ભેગા થઈ સાથે રહેવાની સમાન ધ્યેય કે હિતો સંબંધિત મજબૂત એકતા ધરાવવાની અણઆવડત ધરાવે છે.સાંસ્કૃતિક,સામાજિક અને રાજકિય સંગઠનો વધતા જાય છે તો તેમાં વિભાજનો અને ખંડનો પણ થયા જ કરે છે.આ બધું માત્ર અને માત્ર અહમને કારણે જ થાય છે.

 

 

 

શરુઆતમા તો વિખવાદકારો સંસ્થાની કોઈપણ સારી પ્રવ્રુત્તિઓમાંથી ભૂલો શોધી કાઢશે. તમે કોઈપણ સારુ કામ શરૂ કરો ત્યારે ક્યાંકને ક્યાંક તો ભૂલો થવાની જ. ક્યારેક યોગ્ય નિર્ણય કરવામાં તમે ભૂલ કરી બેસવાના. તાજેતરમાં જ એક કાર્યક્રમમા અમૂક સુંદર પ્રોગ્રામ અંતમા રાખવાની હિમાલય જેવડી ભૂલ સંચાલકે કરી ( જો કે એને માટે સંચાલક પાસે તેમ કરવાના કારણો પણ હતા જ ) અને એ ઉત્તમ કાર્યક્રમ શ્રોતાઓની ગેરહાજરીને કારણે પ્રેક્ષકો સુધી ના પહોંચી શક્યો.  બસ…સંસ્થાના કાર્યકરો પર માછલા ધોવાયા.બબ્બે-ત્રણ ત્રણ મહિના સુધી કરેલી જહેમત એપ્રીસિયેટ કરવાને બદલે  તેમને જૂતા મારવાનું જ બાકી રખાયું.

 

 

 

કદાચ ટિકાકારોનો હેતુ ,ભૂલો પ્રત્યે માત્ર અંગૂલિનિર્દેશ કરવાનો જ હોઈ શકે. પણ એ ભૂલોને રાઈનો પહાડ કરી દઈને શૂળી પર ચઢાવવા માટે તૈયાર લોકો ટાંપીને બેઠા જ હોય છે.

 

સૌ પ્રથમ તો આવી ટીકાઓ થાય ત્યારે આપણે આત્મનિરિક્ષણ કરવું જોઇયે.

 

આપણી ભૂલ થઈ હોય તો એનો સ્વીકાર કરીને ફરી તેવી ભૂલ ન થાય તે માટે પગલા લેવા જોઈયે.ટીકાકાર સર્જનાત્મક ટીકાકાર હોય તો ભૂલનિર્દેશ પ્રત્યે તેનો આભાર માનવો. પણ ટીકાકાર જો વિઘ્નસંતોષી અને માત્ર કુથલીખોર, હવનમા હાડકા નાખનાર દુષ્ટ માનવી લાગે તો મૌન ધારણ કરી લેવું અને તેની ઉપેક્ષા કરવી. છતાં ટીકામાં જો સાર હોય તો તેટલા અંશે તેનો સ્વીકાર કરીને આત્મદર્શન દ્વારા કંઇક શિખવુ.ટીકાના સરવાળા કરવાને બદલે તેની બાદબાકી કરવી.ટીકાખોરો કોલસા જેવા હોય છે. એ  ઉજળા બને એની રાહ જોવાને બદલે એ જેવા છે તેવા તેને સ્વીકારી લઈને આપણા કાન બંધ કરી દેવા એ જ આપણે માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

 

  ટીકાખોરી એ ચેપી રોગ છે. એ વ્યક્તિ બીજી વ્યક્તિની ટીકા કરે, એ ટીકાનો ભોગ બનેલો માણસ પણ એનાથી યે અદકેરી, આકરી ટીકા કરવા મેદાને પડવાનો કારણ કે  માણસને ટીકાત્મક શબ્દો તીરની જેમ સાલતા હોય છે.

 

માણસ જ્યારે કોઇપણ વસ્તુ, વ્યક્તિ, સ્થિતિ કે પરિસ્થિતીની ટીકા કરતો હોય છે ત્યારે મનોમન પોતાની જાત માટે એ એમ જ માનતો હોય છે કે હું તો આવી ભૂલ ન જ કરત. પોતે તેવા દોષ કે ટીકાપાત્ર પરિસ્થિતિથી સાવ મુક્ત છે. સત્ય માણસને કટુ સ્વાદવાળા ભોજન જેવુ લાગે છે જ્યારે ટીકાભર્યુ અસત્ય તેને  છપ્પનભોગ જેવુ સ્વાદિષ્ટ લાગે છે !

 

 

 

માણસ ટીકા કે નિંદા સહન કરવામા સાવ પોચટ હોય છે.લોકલાજ કે તેના ડર માત્રથી વિહ્વળ બની જાય છે.ટીકાખોર તો નિરાંતે ઊંઘી જાય છે પણ જેની ટીકા થઈ હોય છે તે તો પથારીમાં પાસા ઘસ્યા કરે છે.માટે આપણામા રહેલી સહિષ્ણુતા અને શુભદ્રષ્ટિ જ આપણને ટીકા પર વિજય મેળવવામા મદદરૂપ થાય છે. ટીકાખોર ઘૂવડ જેવા હોય છે. તેમનાથી તેજસ્વી માણસના વ્યક્તિત્વની ધવલતા, ઉજાસ કે પ્રકાશ સહન નથી થતા !  ટીકા ભયંકર હોય છે કારણ કે તે માણસના આત્મગૌરવ પર આક્રમણ કરીને એને હચમચાવી મૂકે છે તથા માણસમા રહેલા ક્રોધને પ્રદિપ્ત કરવાનું પ્રોત્સાહન પૂરુ પાડે છે. આજ લગી થયેલા યુદ્ધોનું જો વિહંગાવલોકન કરવામા આવે તો જણાશે કે શસ્ત્ર કરતા આલોચક કે ટીકાખોરની કથોલી જીભનું કારસ્તાન જ કેન્દ્રસ્થાને રહ્યુ જણાશે.

 

 

 

મારા અંગત મત પ્રમાણે, કોઈપણ ભારતિય સંસ્થામા આગેવાન થયા વગર, સેવા કરવાની વ્રુત્તિ હોય તો માત્ર વોલન્ટિયર તરીકે થાય તેટલું કરવુ. આગળની હરોળમા બેસવાની વ્રુત્તિ ત્યજવી. સ્ટેજ પર મોટા ભા થવાનું તો ટાળવું જ. છેલ્લી હરોળમા બેસીને પ્રવ્રુત્તિઓનો આનંદ માણવો અને ચૂપચાપ વિદાય થવું. ગુપ્ત મતદાન કરવું પણ આંગળી ઉંચી કરવાની થાય તો ધીરેથી ખસી જવું. તાજેતરમાં એક સેવાભાવી સંસ્થાના ટ્રસ્ટીઓની સેવાની કદર કરવાને બદલે તેમની હકાલપટી કરવા માટેના રણશિંગા જોઈને તો મને ઉબકા જ આવી ગયા હતા !

 

ગુજરાતી ભાષાનું એક પણ અખબાર કોમ્યુનિટીના સમાચારો, અહેવાલો લખવા માટે પુરસ્કાર આપતું નથી.  અરે! લેખની નકલ કે જે ઈસ્યૂમા અહેવાલ છપાયો હોય તેની એક કોમ્પ્લિમેન્ટરી કોપી સુદ્ધાં મોકલવાનું સૌજન્ય દાખવતા નથી. લેખકને પણ પોતાના લેખની નકલ મેળવવા માટે લવાજમ ભરવા પડે છે. અને એ ગુજરાતી ભાષાના જતન અને સંવર્ધન માટે ગુજરાતી લેખકે પોતાના કિંમતી સમયનો ભોગ આપીને સમાજ માટે કંઈક કર્યાનો વાંઝિયો સંતોષ માનવાનો !ફોટા પાડો, સ્કેન કરો, કેપ્શનડ કરો, ઇ-મેઈલ કરો.. ફોર વોટ ? તમારુ એક નામ લેખ નીચે છપાયેલું જોઈને મિથ્યાભિમાન સંતોષવા માટે અને.. કોઈની શરતચૂકથી કોઈ કાર્યકરનો નામોલ્લેખ કરવાનો રહી ગયો હોય તો તો આવી જ બન્યુ ! તમે નિષ્પક્ષ નથી,’ તમે કોઈને ફેવર કરો છોજેવા આક્ષેપો સહન કરવા માટે તૈયાર રહેવાનું. શ્રી રામ…શ્રી રામ..શ્રી રામ..

 

 

 

મેં તો લગભગ નક્કી  જ કરી નાંખ્યું છે કે હવે કોઈપણ સંસ્થાની પ્રવ્રુત્તિઓના અહેવાલો લખવાને બદલે મારી સર્જનશક્તિનો ઉપયોગ મારા બ્લોગ પર સર્જનાત્મક લખાણો લખવામા કરવો.ગુજરાતી સમાજ, સાહિત્ય સરિતા, સિનિયર સિટિઝન એસોસિયેશન…કશું જ નહી.બસ..જીવન વિષયક ચિંતન..મનન..મનગમતા પુસ્તકોનુ વાંચન…લેખન…

 

 

 

આજે બસ માત્ર આટલું જ….

 

 

 

અસ્તુ….

 

 

 

નવીન  બેન્કર

 

૨૦ માર્ચ, ૨૦૧૧-  હોળીનું પર્વ.

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.