એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » Archive by category 'મારા દિલની વાતો'

સાધુ વાણિયો બીજા જન્મે અમેરિકામાં

સાધુ વાણિયો બીજા જન્મે અમેરિકામાં

 
એક વખતે, અયોધ્યાની નજીક આવેલા, નૈમિષારણ્યમાં રહેનારા શૌનકાદિ ઋષિયો, સંપુર્ણ પુરાણોના જાણકાર એવા સુત નામના પુરાણીને પ્રશ્ન કરતા હતા  કે ‘શ્રુતેન ‘તમસા કિં વા પ્રાપ્યતે વાંચ્છિતં ફલમ ‘ એટલે કે વાંછિત ફળ મેળવવા ઝાઝી મહેનત કર્યા વગર, અમેરિકામાં મીલીયન્સ ડોલરના સ્વામિ કેવી રીતે બની શકાય એ અંગે અમને માર્ગદર્શન આપો’.
 
શૌનકાદિનો પ્રશ્ન સાંભળીને સુતમુનિએ કહ્યું કે કોઇ કાળના વિષે, દેવ ઋષિ નારદજીએ પણ વૈકુંઠમાં શ્રીકૃષ્ણ ભગવાનને એવો જ પ્રશ્ન કરેલો ત્યારે ભગવાને તેમને આ અંગે , ભારતવર્ષના નૈમિષાનંદ ભારતી પાસેથી આ પ્રશ્નનો ઉત્તર મેળવવાની આજ્ઞા કરી હતી. દેવર્ષિ નારદે, આ નૈમિષાનંદભારતી ક્યાં  મળશે એમ પૃચ્છા કરતાં, ભગવાને તેમને અમેરિકાના  ટેક્સાસ રાજ્યના,  હ્યુસ્ટન શહેરની હવેલીના બાંકડા પર કોઇને પણ પુછવાથી આ નૈમિષાનંદ ઉર્ફે નિત્યાનંદભારતી ઉર્ફે નિત્યસહસ્ત્રલીલાનંદ એવા અનેકવિધ નામે ઓળખાતા  N.B. ને મળવાનું કહ્યું.
 
દેવર્ષિ નારદ અને સુત મુનિને આ પ્રશ્નનો જે જવાબ મળ્યો હતો એ હું તમને કહું છું તો તમે બધા સાવધાન થઈને, સાંભળો.
 
સત્યનારાયણ ભગવાનની કથામાં પેલી કલાવતી અને લીલાવતીવાળા સાધુ વાણિયાની વાત આવે છે તે સાધુ વાણિયો બીજા જન્મમાં, ડોલર કમાવા માટે અમેરિકાના એક શહેરમાં આવ્યો હતો.કઈ રીતે આવ્યો હતો એની વાત એક નવલકથા જેટલી લાંબી છે એટલે અહીં અસ્થાને ગણાશે.
 
આ બાજા જન્મમાં, સાધુ વાણિયો, ડાકોરના રણછોડરાયજીના મંદીરમાં સેવકના ઘરમાં જન્મ્યો હતો.
કામધંધો નહીં હોવાના કારણે, ગામમાં જે કોઇ કથાકાર કથા કહેવા આવે કે મોરારિબાપુ જેવા રામકથા સંભળાવે એ બધું સાંભળી સાંભળીને એને એ બધી વાતોની મીમીક્રી કરવાની ફાવટ આવી ગયેલી. થોડું સંસ્કૃત પણ ગામની શાળામાં ભણેલો એટલે રામચંદ્ર જાગુષ્ટેની ધાર્મિક ચોપડીઓ વાંચીને તથા દાદીમાની વાર્તાઓ સાંભળીને ધાર્મિક ગનાન ( જ્ઞાન નહીં ) તો હતું જ.
 
કોમર્શિયલ એરીઆમાં, ઓફીસો ભાડે આપેલ એવી એક નાનકડી ઓરડીમાં, એક વિદ્વાન આચાર્ય,  એક કાળા પથ્થરને  શીવજીનું લીંગ દર્શાવીને પુજાપાઠ કરતા હતા અને ભારતના ગામડાઓમાંથી આવેલા અર્ધદગ્ધ અને અંધશ્રધ્ધાળુઓ ઘંટ વગાડીને પુજા કરવા આવતા. તેમની સાથે, આપણો સાધુ પણ સાફસુફી અને વાસણો ધોવા તથા મંદીરની દેખરેખ રાખવાનું કામ કરવા લાગ્યો. વિદ્વાન આચાર્ય બહારના શ્રધ્ધાળુને ત્યાં પુજાપાઠ કરવા જાય ત્યારે સાધુ દર્શનાર્થે આવતા લોકોને પુજા કરાવતો અને બે પૈસા દક્ષિણા મેળવતો. મંદીરમાં ગાર્બેજ ઉપાડવા અને સાફસુફી કરવા આવતી એક મેક્સીકન સીટીઝન યુવતી સાથે આંખ લડી જતાં, તેની સાથે લગ્ન કરી લીધા અને ગ્રીનકાર્ડ પણ મેળવી લીધું.
 
હવે અનુભવે કરીને સાધુ પણ સત્યનારાયણની પુજા કરાવતો થઈ ગયેલો. ગાયત્રી હવન, સીમન્ત સંસ્કાર, વાસ્તુપુજન, મુંડન વિધિ,  જેવી પુજાઓ સ્વતંત્રપણે કરાવતો થઈ ગયેલો.  પેલા વિદ્વાન આચાર્ય કરતાં સાધુ વધુ ભણેલો અને અને એગ્રેસીવ હતો એટલે એણે બાજુની બીજી દુકાનની જગ્યા પણ લઈ લીધી અને પોતાની ‘દુકાન’ શરૂ કરી દીધી. મૂળ તો ડાકોરના રણછોડરાયજીનો સેવક એટલે પ્રથમ મૂર્તિ તો રણછોડરાયજીની જ પાણપ્રતિષ્ઠા કરીને મુકી.. પછી, ભારતથી બીજા અનેક ભગવાનોની મૂર્તિઓ લઈ આવ્યો. મહાદેવજીની બાજુમાં જ, ચુંદડી ઓઢાડેલા માતાજી, ગણેશજી, સાંઇબાબા, જલારામ બાપા, શનિ મહારાજ, વગેરે વગેરેની મૂર્તિઓની  ધામધુમથી પ્રાણપ્રતિષ્ઠા કરી, ભક્તજનોને જમાડ્યા, ઉઘરાણું કરીને પૈસા ભેગા કર્યા અને  સ્મશાનની જગ્યા ખરીદી લઈને, ત્યાં મંદીર બાંધી દીધું. મંદીરની કમિટીનું ટ્રસ્ટ બનાવીને એક વાન, એક ટ્રક તથા એક કાર ખરીદી લીધી. મંદીરમાં જ રહેઠાણ માટે જગ્યા બનાવી દીધી. ચરોતરના ગામડામાંથી બીજા ત્રણ પુજારીઓને સ્પોન્સર કરીને બોલાવી લીધા.
 
અમેરિકામાં જન્મેલી અને ઉછરેલી છોકરીઓ પણ, સારો વર મેળવવા, ગોર માનું વ્રત રાખે અને પાંચ દિવસ અલુણું ભોજન કરે, સૌભાગ્ય્વતી સ્ત્રીઓ પણ જયા-પાર્વતિનું વ્રત રાખે એવા અંધશ્રધ્ધાળુ લોકોથી ઉભરાતા કે ખદબદતા આ દેશમાં પણ મંદીરોનો ઉદ્યોગ સારો ચાલે છે એટલે વત્સ, અમેરિકામાં મિલિયોનેર થવા માટે કાં તો મંદીર ખોલો અથવા જાહેરાતો પર ચાલતું કોઇ વર્તમાન પત્ર શરૂ કરી દઈને, સાહિત્યસેવાનો ઝંડો હાથમાં લઈને સમાજના અગ્રણી નેતા કે જેને કમ્યુનિટી લીડર કહે છે તે બની જાવ. વેપારીઓના નાક દબાવીને જાહેરાતો મેળવો અને તમે જે સભામાં ગયા હોવ એ સભાની કાર્યવાહિના અહેવાલો ફોટાઓ સહિત છાપ્યે જાવ. લોકો તમને હારતોરા પહેરાવશે અને સાહિત્યની સભાઓમાં પ્રમુખસ્થાને બેસાડશે. પબ્લીક રીલેશન્સના જોરે, તમને પદ્મશ્રી કે પદ્મભુષણ પણ બનાવી દેશે. ભલે ને તમે ગુજરાતી ભાષામાં પ્રવચન ન આપી શકો. એ જરૂરી પણ નથી.
 
કોઇપણ વાર-તહેવારની ઉજવણી કરવાની, પુજામાં દાતાઓને બેસાડીને શ્લોકો બોલીને, સ્વાદિષ્ટ ભોજન ખવડાવવાનું અને રાત પડે ભેટપેટીઓ ખોલીને દાનમાં આવેલી રકમને રબ્બરબેન્ડથી બાંધીને મુકી દેવાની. ચેકથી આવેલી કે ક્રેડીટ કાર્ડથી મળેલી રકમ બેન્કમાં જાય અને રોકડની અડધી રકમ પણ બીજે દિવસે બેન્કમાં જમા કરાવી આવવાની.. લાઈટબીલ, ગેસબીલ, કાર અને ટ્રકનું મેઇન્ટેનન્સ વગેરેનો ખર્ચ પણ ટ્રસ્ટને ખાતે. ઉપરાંત સમારકામ જેવા ખર્ચા પણ ટ્રસ્ટને ખાતે. સરકાર પાસેથી મેડીકેઇડ અને ફુડકુપનો તો લેવાની જ.
 
ભારતમાં કલાવતી કન્યા અને લીલાવતી માટે પાંચ માળની હવેલી  બનાવડાવી દીધી. કલાવતી-લીલાવતી હજુ દર મહિને સત્યનારાયણ ભગવાનનું વ્રત રાખે છે અને ઘીમાં લસલસતો શીરો બનાવીને  ગામના  લોકોને વહેંચે છે. તથા સાધુ ના પાછા આવવાની રાહ જુએ છે.
બોલો…શ્રી, સત્યનારાયણ ભગવાનની જય……..
 
આ કથા અંગે જે કોઇ સંશય કરશે તે અઘોર પાપનો અધિકારી બનશે. કોઇ પ્રશ્ન થાય તો પેલા ઋષિમોનિયો, સુતજી કે નારદમૂનિને જ પુછવા. છેવટના ઉપાય તરીકે હ્યુસ્ટનના નૈમિષાનંદ ભારતી, નિત્યાનંદભારતી કે  નિત્યસહસ્ત્રલીલાનંદ સ્વામિજીને ઇ-મેઇલથી જ પ્રશ્ન પુછવો. તેઓશ્રી. સ્માર્ટફોન કે વોટ્સ અપથી પરિચિત નથી.
**************************************************************

With Love & Regards, 

 

NAVIN  BANKER

6606 DeMoss Dr. # 1003, 

Houston, Tx 77074 

713-818-4239   ( Cell)

My Blog : navinbanker.gujaratisahityasarita.org

એક અનુભૂતિઃએક અહેસાસ

નવીન બેન્કરના દિલની એક વાત

Discover something new.

શતાવધાની રસિકદાદા

Discover something new.

જુઠાણું ભારે પડી ગયું

જુઠાણું ભારે પડી ગયું
શાંતિલાલ ગરોળીવાલાની પત્ની શોન્તાબા પુષ્ટીમાર્ગીય મરજાદી ઓર્થોડોક્સ એટલે કે જુનવાણી વિચારસરણી ધરાવતી પણ  પરંપરાગત ધાર્મિક સ્ત્રી છે. કોઇના ફ્યુનરલમાં, બેસણાંમાં, મરણ પાછળના ભજનમાં કે સુતકીના પ્રસંગમાં પણ શાંતિકાકા જાય તો ઘરમાં પેસતાં જ, બાથરૂમમાં ધક્કેલી દઈને બધા જ કપડા-ઇન્ક્લ્યુડીંગ હાથરૂમાલ, ડાયપર અને મોજાં- કઢાવીને નવડાવે અને પછી જ ઘરમાં અડવાનું. એટલી સ્ટ્રીક્ટ. શાંતિકાકા જુઠું બોલીને એને કહ્યા વગર ફ્યુનરલમાં જઈ આવે અને નહાય નહીં તો પણ એને ખબર પડી જાય. ડોશીઓ નવરી પડે એટલે કોન્ફરન્સ કોલ કરે એમાં એની ખાસ બહેનપણીઓ શોન્તાબાને કહી દે કે- ‘શાંતિકાકા તો હમણાં જ પેલીના ફ્યુનરલમાં મળ્યા હતા’

થઇ રહ્યુ.. શાન્તિલાલનું આવી બન્યું. ‘ઓ મારા ઘરમાં બોરાવારો કર્યો. મારા શ્રીનાથજી ભગવાન, મને માફ કરો. આ શાંતિડો સાલો નાસ્તિક પાક્યો છે.એને ધરમબરમનું ભાન જ નથી.’ કરીને પોતાના ગાલ પર ભગવાનના ચિત્રજી ની સામે ઉભી રહીને તમાચા 

મારે.
શાંતિલાલને શોન્તાબા પર બહુ પ્રેમ. એટલે એમના આવા ગાંડાવેડા ચલાવી લે. અને આમે ય, ૭૭ વર્ષે થોડા છૂટાછેડા  લેવાય છે ! ચલાવી લેવું પડે એ તો !
શાંતિલાલ સવારના પહોરમાં, મેઇલ બોક્સમાંથી ટપાલ લેવા ગયા.શાંતિલાલ મુસ્લીમોની બહુમતિવાળા કોન્ડો એપાર્ટમેન્ટમાં રહે છે. ૧૦૮ માંથી ૧૦૫ તો મુસલમાનો રહે છે ત્યાં.  એમની મુસ્લીમ પાડોશણ હમીદાબાનુ પણ ટપાલ લેવા આવેલા. શાંતિકાકા બોલકણા એટલે બધાંની ખબર અંતર પુછે. એટલે જરા વાર થઈ ગઇ   ઘરમાં આવતાં.
‘કેમ મોડું થયું ટપાલ લઈને આવતાં ? 
હમીદાબાનુનું તો નામ લેવાય નહીં એટલે કાકા જુઠુ બોલ્યા. ‘ આ બાજુવાળા ગફુરચાચા ટપાલ લેવા આવેલા તે ચક્કર આવવાથી પડી ગયા હતા એટલે એમને બેઠા કરીને, વ્હીલચેરમાં બેસાડ્યા અને એમને ઘેર મૂકી આવ્યો એટલે વાર લાગી ગઈ.’
‘પેલા ગંદા ગોબરા ગફુરચાચા ? શું થયું હતું એમને ?
‘બિચારા ચક્કર આવતાં પડી ગયેલા. આજુબાજુ કોઇ હતું નહીં એટલે કોણ ઉભા કરે ?
બિચારા પગથી પર આડા પડી ગયેલા અને ટુંટીયું વાળીને પડ્યા’તા.’ શાંતિલાલે જુઠુ ચલાવ્યુંં.
શાંતિલાલને એમ કે પોતાને સિરપાવ મળશે.
‘હાય..હાય…તું એ મુસલમાનને અડ્યો ? એ જમીન પર પડી ગયેલા એટલે કેટલાય જંતુઓ  એના શરીર પર ફરી ગયા હશે !  જલ્દી નહાઇ લે અને બધા કપડાં પલાળી નાંખ.’
બિચારા શાંતિલાલને જુઠાણું ભારે પડી ગયું. એક કલાકમાં આજે બીજી વાર નહાવું પડ્યું.
‘એ ભગવાન…બીજે જન્મે મારવાડણ આલજે પણ મરજાદણ ના આલતો’ એમ બબડતાં બબડતાં શાંતિલાલ ગરોળીવાલા બાથરૂમ તરફ જવા લાગ્યા.
*****************************************
નવીન બેન્કર   ( લખ્યા તારીખ-૨૫ જુલાઈ ૨૦૧૭)

મારા સ્ફોટક વિચારો

December 28th, 2015 Posted in મારા દિલની વાતો

મારા સ્ફોટક વિચારો

ફ્રેન્કલી સ્પીકીંગ, મને ફોટોકુ અને હાયકુમાં  બિલકુલ રસ પડતો નથી.

ખાલી શિષ્ટાચાર ખાતર, ‘સરસ’ એવો પ્રતિભાવ લખું છું અને તરત જ ડીલીટ કરી નાંખું છું. મને સીધેસીધુ ગદ્યસર્જન જ વધુ ગમે છે. ઇવન, કાવ્યોમાં ય અમુક વિષયના કાવ્યો ગમે.

આપે મીટીંગમાં રજુ કરેલ ‘મારે શું કરવું’ જેવા કાવ્યો ગમે. ‘પ્રકૃતિ અને પ્રભુને’ લગતા કાવ્યો ન ગમે.   મને પ્રભુના અમુક સ્વરૂપોમાં ક્યારેય સૌંદર્ય દેખાતું જ નથી. રાધા-કૃષ્ણ ના પ્રેમપ્રસંગોને ગ્લોરીફાય  કરતા ગીતો , કાવ્યો કે ભજનો નો હું પુરસ્કર્તા નથી. ટીવી પર આવતી ‘મહાબલી બજરંગબલી’ કે  ‘સુર્યપુત્ર કર્ણ’ની કપોળકલ્પિત વાર્તાઓ જોવાની મજા જરૂર આવે , બાકી એમાંની એકે ય વાતને હું સત્ય સમજતો નથી. એ જમાના ના લેખકો /કવિઓએ રચેલી કલ્પિત વાર્તાઓથી વિશેષ કશું જ વધારે મહત્વ  મારે માટે નથી. ઇવન, રામાયણ કે મહાભારત પણ મારે મન, તો કપોળકલ્પિત નવલકથાઓ જ છે. કોઇ ધર્મગ્રંથો નથી.  બાળપણથી મને મૂર્તિપૂજામાં શ્રધ્ધા નથી. મંદીરમાં પ્રસ્થાપિત કરેલી કોઇ જ ભગવાનની મૂર્તિને હું ભગવાન સમજતો નથી. મારી શ્રધ્ધાવાન પત્નીની ધાર્મિક લાગણીને ઠેસ ન પહોંચે એટલા ખાતર, એની સાથે મંદીરમાં જઈને મૂર્તિ સમક્ષ નતમસ્તકે ઉભા રહેવાનો અભિનય હું કરૂં છું.ભજનો ગાતી વખતે પણ એના સંગીત અને ઢાળને કારણે એ ગમે, પણ એમાં પ્રભુની પ્રશસ્તિને હું દિલથી સ્વીકારતો નથી. ધર્મના વિવિધ સમ્પ્રદાયોમાં મને શ્રધ્ધા નથી.કોઇ જ સંપ્રદાયના ગુરૂને હું, ભગવાન કે પ્રગટબ્રહ્મસ્વરૂપ માનતો નથી.

હું નાસ્તિક નથી. કોઇ એક સર્વશક્તિમાન પ્રભુના અસ્તિત્વને હું માનું છું. છેક નાનપણથી મારા મન-મસ્તિષ્કમાં પ્રભુની એક મૂર્તિ-સ્વરૂપ દ્રઢ થયેલું છે તે શિવજીનું  છે. ભલે એ કલ્પિત હોય, પણ જ્યારે હોસ્પિટલમાં, મને સ્ટ્રેચર પર નિર્વસ્ત્ર કરીને સર્જરિ વખતે, સર્જરિના વોર્ડમાં સુવડાવે છે અને સર્જન, એનેસ્થેશિયોલોજીસ્ટ મારી આસપાસ ઉભા હોય છે અને હું ફરી ભાનમાં આવીશ કે  મારી આંખો કદી નહીં ઉઘડે એવી દ્વિધા વખતે જે મૂર્તિનું મારાથી સ્મરણ થઈ જાય છે તે માત્ર શિવજીનું જ કાલ્પનિક સ્વરૂપ હોય છે. ભવિષ્યમાં, મારી પત્ની ના રહે ત્યારે, હું બધા જ સ્વરૂપોના ફોટાઓ અને મૂર્તિઓ ને ગાર્બેજ કરી નાંખીને, માત્ર એક શિવજીની નાનકડી છબી જરૂર રાખું. એટલો આસ્તિક હું જરૂર છું.

 

પરસ્પરની સંમતિથી થયેલા શરીરસંબંધને હું પાપ માનતો નથી. પછી ભલે એ લગ્નેતર સંબંધ કેમ ન હોય ! It is my body and I have right to use it as I wish !   ‘લગ્ન’ એ શારીરિક સંબંધ કરવા માટેનું સામાજિક લાયસન્સ માત્ર છે. એક પુરૂષ બે સ્ત્રીઓને પ્રેમ કરતો હોય અને પત્નીને હર્ટ કર્યા વગર બન્ને સંબંધોને , અલગ અલગ કમ્પાર્ટમેન્ટ્સમાં રાખીને  જિન્દગી જીવતો હોય તો  ઇટ્સ ઓલરાઈટ ! એવું જ વાઇસાવર્સા માનવું.

આજના જમાનામાં, એક સ્ત્રી, પ્રેમ કર્યા વગર કોઇને પરણી હોય અને વર્ષો સુધી એના પતિ અને બાળકો સાથે જીવન વિતાવ્યા પછી એના જીવનમાં બીજો, મનને ગમતો માણિગર પ્રવેશે અને પરસ્પરની સંમતિથી  શરીરસુખ ભોગવવાની તક ઉભી થાય તો મારા મતે કોઇ પાપ નથી. બશર્તે કે એના પતિને જાણ ન થાય અને સંસારમાં બખેડો ઉભો ન થાય ! આપની રચનામાં, આપ કહો છો તેમ-

‘સમજાય ના જે પ્રેમપત્રો, એ વાંચીને મારે શું કરવું’

‘સમજી ના શકું જે  રાગને,  એ જાણી મારે શું કરવું’

ગદ્યમાં પણ ગુજરાતી ભાષામાં લખાયેલું ગદ્ય વધુ ગમે. અંગ્રેજીમાં લખાયેલા ગદ્યની ભાષા મને સ્પર્શતી નથી.

 

ફોટોકુ, હાયકુ અને ફેઇસબુક

December 28th, 2015 Posted in મારા દિલની વાતો
બધાને ફોટોકુ અને હાયકુ માં રસ ન પણ પડે. સૌજન્યતા ખાતર, શિષ્ટતાપુર્ણ રીતે, આવું આવું લખાતું હોય છે. હું પણ એવું જ કરૂં છું. મને આ બન્ને ક્ષેત્રમાં કોઇ રસ નથી પડતો. એકાદ ક્ષણમાં. નજર ફેરવી લીધી અને ડીલીટ-
રસ ના પડે ત્યારે, પ્રતિભાવના શબ્દો પણ ક્યાંથી સુઝે ?
‘ફેઇસબુક’ પર પણ આવું જ થાય છે. તમારા ફેમિલી પિક્ચર કે પુત્રો અને ગ્રાન્ડ ચીલ્ડર્ન્સના ફોટાઓમાં બધાંને ક્યાંથી રસ પડે ? છતાં ય, ‘લાઇક’ કરવું પડે. હું તો મહિનામાં એકાદ વખત જ, ફેઇસબુક પર જઉં છું. અને માત્ર વિહંગાવલોકન કરી લઉં છું. આ ઉંમરે, નવા નવા પરિચયો કરવામાં કે ‘ચેટ’ કરવામાં કોઇ રસ નથી. આ બધું ‘ફેઇસબુકીયા  નવરા જવાનીયાઓ’નું કામ છે.
નવીન બેન્કર
Navin Banker  (713-818-4239)
My Blog : navinbanker.gujaratisahityasarita.org

મારે કંઈક કહેવું છે.

September 1st, 2015 Posted in મારા દિલની વાતો

જીવનના લગભગ સાત દાયકા વટાવ્યા બાદ હું મારા જીવનના સંસ્મરણો લખવા બેઠો છું.માનવજીવન સદાકાળ સુખદુખોથી,સમસ્યાઓથી,સોનેરી સ્વપ્નોથી,આશા-આકાંક્ષાઓથી અને ક્યારેક અસહ્ય વેદનાઓથી પણ વ્યાપ્ત થયેલું છે.
વર્ષો પહેલા પણ આવું જ હતું. આજે પણ એવું જ છે અને કાલે પણ એવું જ રહેવાનું છે.એના બાહ્યરુપમાં ભલે ફેરફાર થતાં હોય પણ એની સમસ્યાઓ નવા સ્વરુપો ધારણ કરતી જ રહેવાની અને મારા સંવેદનશીલ હ્ર્દયને આહવાહન આપતી જ રહેવાની.મારા અનુભવો કે મારા સંસ્મરણોને કાગળ પર ચિત્રિત કરવાની ક્ષમતા મારામાં છે એની મને પ્રતિતી થઈ ચુકી છે.છતાં જે વિષય પર મેં ૫૦ વર્ષ પહેલાં લખ્યું હોય એજ વિષય પર આજે આ ઉંમરે એટલે કે સિત્તેર વર્ષની ઉંમરે લખતાં થોડો ફેર તો પડવાનો જ.કારણ કે ૫૦ વર્ષ પહેલાં હું ૨૦ વર્ષનો,યુવાનીથી થનગનતો યુવાન હતો અને આજે ૭૦ વર્ષનો સિનિયર સિટિઝન છું.( જોયું, હજી વ્રુદ્ધ લખવાની હીંમત નથી ?). આ ઉંમરે અગાઉના કાવ્યાત્મક ભાવનું,ચિંતનશીલતામાં રુપાંતર થયું હોય એમ પણ બને ! આ વર્ષો દરમ્યાન મારા વ્યક્તિત્વમાં, મારા ગમા-અણગમામાં,પસંદગી,ધ્યેય,સ્વપ્નો બધું જ બદલાઈ ગયું હોઈ શકે.લખાણની રચના,શૈલીમાં પણ ફેર પડ્યો હશે.મારી પોતાની પણ કેટલીક સમસ્યાઓ છે.જેના મારે પોતાને ઉકેલ શોધવાના હોય છે. અને  એ સમસ્યાઓને વ્યક્તિગતમાંથી સમષ્ટીગત બનાવીને મારા મિત્રો, વાંચકો સમક્ષ રજુ કરવી હોય છે.એ માટે મારે પાત્રો સર્જવા પડે છે. કાગળ પરના એ પાત્રોને લોહીમાંસના બનેલા જીવતા માણસની માફક હરતાં ફરતાં અનુભવું છું. એ માટે મારો તર્ક,નિરીક્ષણ કલ્પના બધું જ કામે લગાડું છું. કાગળ પર ચિતરેલા એ પાત્રોમાં હું લખતી વખતે ખોવાઈ જાઊં છું. આ તો થઈ મારી વાર્તાઓની પાર્શ્વભુમિકા. આ પાનાઓ પર હું વાર્તાઓ નથી લખવાનો. મારી જિંદગીનાં કેટલાક સંસ્મરણો, મારા પરિચયમાં આવેલી કેટલીક વ્યક્તિઓના રેખાચિત્રો દોરવાનો છું.દા.ત. મારી દાદીમા,મારી મા, મારા પિતાશ્રી, મારા કાકા,મારી બહેનો,બનેવીઓ,મારી ખુબ વહાલી પત્ની,મારા અંગત મિત્રો,કેટલાક સાહિત્યકારો,કવિઓ,લેખકો,ફિલ્મી કલાકારો,નાટ્યજગતના ધુરંધરો,કેટલીક સંસ્થાઓના પ્રમુખો,ટ્રસ્ટીઓ,સંપાદકો, વગેરે..વગેરે..માત્ર અને માત્ર સત્ય જ લખવાનો મારો પ્રયાસ રહેશે. છતાં,ઘણી વખત આપણે જેને સત્ય માનતા હોઈયે એનો બીજો ચહેરો પણ હોઈ શકે.કાશ્મિર અંગેનું ભારતનું સત્ય એક હોય અને પાકિસ્તાનનું સત્ય અલગ પણ હોય એવું યે બને.છતાં શક્ય એટલી તટસ્થતાથી અને જે રીતે એ વ્યક્તિને મેં જોઈ હોય અને સમજ્યો હોઊ એ રીતે આલેખવાનો મારો પ્રયાસ રહેશે. મારા વ્યક્તિત્વના ઘડતરમાં જે જે વ્યક્તિઓનો ફાળૉ રહ્યો છે તેમને તો હું કેમ જ ભુલું ?  યાદ રહે કે આ મારી આત્મકથા નથી. આત્મકથામાં તો નિર્ભેળ સત્ય જ હોવું જોઈયે. એ તો માત્ર મહાત્મા ગાંધી જ કરી શકે. મારા જેવા ક્ષુદ્ર,પામર માનવીનું એ ગજુ નહીં એટલી સ્પષ્ટતા હું નિખાલસપણે કરવી જરુરી સમજું છું.અસ્તુ.

મુચ્યતામ…મુચ્યતામ… -નવીન બેન્કર-

September 1st, 2015 Posted in મારા દિલની વાતો

મુચ્યતામ…મુચ્યતામ…         -નવીન બેન્કર-

આજે સવારે હું ડીશનેટવર્ક ની ચેનલ ૭૨૦ – ‘સંસ્કાર’- પર, ભાઈશ્રી,  રમેશ ઓઝાની ભાગવતકથાનું રસપાન કરી રહ્યો હતો-

આટલું વાંચીને તમને હસવું આવ્યું ને ? ‘નવીન બેન્કર’ અને ભા..ગ..વ..ત..ક..થા ?  શ્રીરામ..શ્રીરામ…’

બટ બીલીવ મી..નાનપણમાં હું પણ તમારા જેવો જ સંસ્કારી હતો.(!) હું નમણો અને કોમળ સ્વર ધરાવતો હતો એટલે છોકરાઓ મને ‘નવલો નરગીસ’ કહીને ચીડવતા હતા. સ્કુલમાં હું પ્રાર્થના કરાવતો હતો, મારા દાદીમા વિદ્યાબાની સાથે, સંન્યાસીના મઠમાં કથાવાર્તા સાંભળવા જતો હતો અને પછી ઘેર આવીને,  સ્વામિજીના સ્વરમાં રામાયણની ચોપાઇઓ બોલીને મીમીક્રી કરતો હતો. લલિતાબેનના અને અન્ય ભગતોના ભજનો મને કંઠસ્થ થઈ જતા.  નવ વર્ષની ઉંમરે તો ગીતાનો નવમો, બારમો અને પંદરમો અધ્યાય મને કંઠસ્થ હતા.

પછી હું ‘બગડી’ ગયો. ફિલ્મોને રવાડે ચડી ગયો. છાપાં વેચવાના દિવસો દરમ્યાન, લોકો અને પોલીસનો માર ખાઈ ખાઈને હું નઠોર અને હિંસક બનતો ગયો. પણ એ જુદી વાત છે. આજે વાત કરવી છે ‘મુચ્યતામ..મુચ્યતામ’ ની.

મારી પત્ની સવારના પહોરમાં ઉઠતાંની સાથે, ટીવી પર ‘આજતક’ કે ‘સમય’ ચેનલ પર સમાચારો જુએ છે. હું આ બન્ને ચેનલોને સખ્ત ધિક્કારું છું કારણ કે સવારના પહોરમાં મારે લાલુ, મુલાયમમિંયા, નિતીનીયો, માયાવતી અને મમતાડી ના ડાચા જોવા પડે છે. પત્નીનું આ વળગણ છોડાવવા માટે, એની ધાર્મિકતાને હથિયાર બનાવીને મેં ચાર રીલીજિયસ ચેનલો જેમાં ‘આસ્થા’ અને ‘સંસ્કાર’ ચેનલો આવે છે ,એ નંખાવી દીધી. એટલે હવે એ સવારના પહોરમાં મોરારિબાપુ, રમેશ ઓઝા અને એવા જ અન્ય ભગતોના પ્રવચનો, કથાઓ, દેવદેવલાના દર્શનો જ કર્યા કરે અને મને શાંતિથી કોમ્પ્યુટર પર ગુજરાતીમાં લખવા દે. જો કે હું પણ બાળપણના સંસ્કારોને કારણે ક્યારેક આવું બધું જોઇ લઉં.

આજે ‘સંસ્કાર’ ચેનલ પર, શ્રી. રમેશ ઓઝા ભાગવતકથા અંતર્ગત, મહાભારતના યુધ્ધ દરમ્યાન, દ્રૌપદીના પાંચ પુત્રોના માથા વાઢી જનાર, અશ્વસ્થામાને પકડીને ગાંડીવધારી બાણાવળી અર્જુન, દ્રૌપદી સમક્ષ લાવીને દ્રૌપદીને કહે છે કે – ‘ હે પાંચાલી, લે..આ તારા સુઈ રહેલા પાંચે પુત્રોના માથા વાઢી લેનાર હત્યારાને પકડી લાવ્યો છું. એને સજા કર.’

દ્રૌપદી અશ્વસ્થામાને જુએ છે. આ અશ્વસ્થામા એ તો પાંડવો અને કૌરવોના ગુરૂ દ્રોણાચાર્યનો પુત્ર હતો. એ જમાનામાં ગુરૂને લોકો ભગવાનતુલ્ય માનતા અને ગુરૂનો પુત્ર પણ પુજનીય ગણાતો. અને તેમાં ય આ તો બ્રાહ્મણ…બ્રાહ્મણનો તો વધ કરાય જ કેવી રીતે ? એટલે દ્રૌપદી અર્જુનને કહે છે કે- હે અર્જુન, આ તો આપણા ગુરૂનો પુત્ર અને તેમાં ય પાછો બ્રાહ્મણ.. એનો વધ તો કરાય જ કેમ ? એણે મારા પાંચે પુત્રોના માથા વાઢી નાંખ્યા એટલે મને એક માતા તરીકે કેટલું દુઃખ થાય છે એ હું સમજું છું. ગુરૂ દ્રોણાચાર્યનો વધ થયા પછી એમની પત્નીનો આ એકમાત્ર સહારો છે. હવે જો આપ એનો વધ કરશો તો એની માતાને કેટલું દુઃખ થશે ? અને આપણા પુત્રો કાંઇ સજીવન તો થવાના નથી જ. માટે એને ક્ષમા કરીને ‘મુચ્યતામ..મુચ્યતામ’. ( એને છોડી મૂકો..છોડી મૂકો ).

મને લાગે છે કે ભારત સરકાર, આ મહાભારતને ફોલો કરી રહી છે. આપણા જવાનોના માથા વાઢીને લઈ જનાર પાકિસ્તાની લશ્કર સાથે હિસાબ પતાવતાં, એમને પણ દ્રૌપદીના શબ્દો યાદ આવી જતા લાગે છે. ભલે આપણા બે જવાનોના માથા વાઢી ગયા, આપણે એમના માથા વાઢી લઈશું એટલે આપણા જવાનો કાંઇ સજીવન તો થઈ જવાના નથી. જવાનોની માતાઓ જે દુઃખ અનુભવતી હશે એ જ દુઃખ, આપણા કૃત્યથી,પાકિસ્તાની માતાઓ પણ અનુભવે એ તો બરાબર નથી ને ? માટે, વેરની ભાવનાને ભૂલી જઈને એમને ‘મુચ્યતામ..મુચ્યતામ..’

હમણા જ રીલીઝ થયેલી, સૈફ અલી ખાન અભિનીત ફિલ્મ ફેન્ટમ (૨૦૧૫) માં ભારતીય જાસુસી સંસ્થા-રો- ના એક ઉચ્ચ અધિકારી કે પ્રધાન પણ આવી જ મતલબનો સંવાદ બોલે છે કે- ૨૬/૧૧ ના મુંબઈ હુમલાના આરોપીઓને ખતમ કરવા માટે આપણે યુધ્ધનું જોખમ ઉઠાવીને લાખ્ખો પાકિસ્તાનીઓની હત્યા ન કરી શકીએ.’

મને લાગે છે કે આપણી પ્રજાએ, આ મહાભારતની કથાઓનું  અફીણ બરાબર પચાવ્યું છે. નાનપણથી આવી આવી સુફિયાણી વાતો સાંભળી સાંભળી, વાંચી વાંચીને, આપણે, ક્ષમાશીલ –મારખાઉ- પ્રજા બની ગયા છીએ.

નવીન બેન્કર-   (લખ્યા તારીખ- ૧ સપ્ટેમ્બર ૨૦૧૫)

‘ધર્મ’ અંગે મારા વિચારો (૨) – નવીન બેન્કર

August 30th, 2015 Posted in મારા દિલની વાતો

Navin Banker (4) Navin Banker (5) PASSPORT PHOTO VAISHALI(5) Baku-Baku at Age 65 Navin Banker with Arvind Thekadi Navin Banker-1961 & 2011 MERI MAA- Jab Mai uske pet me thaa. Baku-Baku at Age 5 Me & My Baku (2) 13-5-1963 Bankers

ધર્મ અંગે મારા વિચારો  (૨)

 હું ટીલાંટપકાં ન કરું; પણ હું આધ્યાત્મીક છું. દુનીયાને ચલાવનારી કોઈ શક્તી તો છે જ.  માનવ શરીરને જ જુઓ. અને શરીરની બધીપ્રક્રીયાઓનું નીરીક્ષણ કરો. તો તમે પણ એ પરમશક્તીમાં માનતા થઈ જશો.
હું તેત્રીસ કરોડ દેવીદેવતાઓમાં નથી માનતો. કૃષ્ણ…રામ.. એ બધા સારા રાજાઓ હશે અને એમણે પ્રજા માટે સારા કામો પણ કર્યા હશે અને આપણી વ્યક્તિપૂજક પ્રજાએ એમને ‘ભગવાન’ બનાવી દીધા હશે અને પૂજવા માંડ્યા હશે. આજે કોઇ સંપ્રદાયના ધર્મગુરુને આપણે ‘પ્રગટ બ્રહ્મસ્વરુપ’ બનાવી દીધા છે એમ જ એ જમાનામાં એમને ભગવાન બનાવી દીધા હશે. સાંઇબાબા અને જલારામબાપા ભક્ત હતા .એમને પુજનીય ગણીએ ત્યાં સુધી મને વાંધો નથી. પણ એમને ભગવાનનો દરજ્જો આપી દઈને તેમના મંદીરો બાંધીને ઘંટ વગાડવાની વાત મને માન્ય નથી. સંતોષીમાતા ને મેલડીમાતા ને  કાળીમાતામાં મને જરાય શ્રધ્ધા નથી. મહાદેવજીને દૂધ ચડાવવાની કે ગણેશોત્સવ કરીને ગણેશજીનું વિસર્જન કરવાના ઘોંઘાટીયા ઉત્સવો ઉજવવાનો હું વિરોધી છું.
મને ધર્મના નામે ચાલતાધતીંગો નથી ગમતા. અને  જાત જાતની ધજાઓ લઈને ઘુમવામાં હું નથી માનતો. મને મોક્ષ અપાવવા નીકળી પડેલા આ ગુરુઓ નથીગમતા. હા, પરન્તુ  જગતને  નીયંત્રણમાં રાખનાર કોઈક  શક્તી છે. તેને હું  નમું  છું અને એને જ ભગવાન માનું છું.
સવારે ઉઠતી વખતે અને રાત્રે સૂતી વખતે આંખો મીંચીને હું એ સર્વશક્તિમાનને વંદન કરીને તેમને યાદ કરું છું. મેં ક્યારેય દીવો-ધૂપ કર્યા નથી. મારા બાપે પણ કર્યા ન હતા.
એ સર્વશક્તિમાનને યાદ કરવા માટે,મારે પણ કોઇ સ્વરુપની જરુર પડે છે અને નાનપણથી મને શીખવવામાં આવ્યું હતું કે કૃષ્ણ અને રામ તો હાડમાંસના બનેલા માનવો હતા. એમને તો આપણે ભગવાન તરીકે ઠઠાડી દીધા છે પણ ભોળા શંભુ- મહાદેવજી- તો સાચા પ્રભુ છે એટલે પ્રભુનું સ્મરણ કરતી વખતે હું મહાદેવજીના પ્રચલિત સ્વરુપને નજર સમક્ષ રાખું છું. એટલી આસ્તિકતા મારામાં છે.
નવીન બેન્કર
 
 

ધર્મ અંગે મારા વિચારો (૧)

August 28th, 2015 Posted in મારા દિલની વાતો

 

ધર્મ અંગે મારા વિચારો (૧)

 

હ્યુસ્ટન ( ટેક્સાસ ) થી પ્રસિધ્ધ થતા

 ઇન્ડીયા હેરલ્ડના ૨૭ ઓગસ્ટના અંકમાં, પ્રથમ પાને છપાયેલ એક સમાચારના આધારે આ વાત લખું છું.

 ગળથુથીમાં ‘ધરમ’નું અફીણ છે એવી આપણી પ્રજા  કદી સત્ય સમજવાની જ નથી અને ગઠિયાઓ પાસે લૂંટાવવાનું છોડવાની નથી. 

 બની બેઠેલા આવા ધુતારાઓ પાસેથી સલાહો મેળવવાનું છોડો. 

ક્રેડીટ કાર્ડથી ધુતારાઓને પેમેન્ટ આપીને પસ્તાશો નહીં. 

ભગવાને કોઇ એજન્ટો નીમ્યા નથી. 

વગર મહેનતે તાગડધિન્ના કરનારાઓથી ચેતો. 

ભગવા જોઇને નમી પડવાનું છોડો. 

આ મંદીરો…આ ટ્રસ્ટો…ભગવાનને મળવા માટે નથી. તમને બેવકૂફ બનાવીને , પોતાની સાત પેઢીને તારવા માટે અને એમને ભગવાન બનાવીને પૂજાવા માટેના રસ્તા બનાવવાની ચાલબાજી છે. 

 તમે ધરમને નામે શું કરો છો ? અઢાર પેઢી પહેલા થઈ ગયેલા કોઇ સાચા સંતને ભગવાન બનાવી દઈને  પેઢી દર પેઢી પુજતા જાવ છો અને એમના વંશજો પરદાદાના નામે, પોતપોતાની ‘પેઢીઓ’ ખોલી ખોલીને ટોઓટા અને મર્સીડીસોમાં ફરતા અને એરકન્ડીશનમાં રહેતા થઈ જ ગયા ગયેલા છે. હજાર કરોડ રુપિયાની સંપત્તિ ઉભી કરી દઈને તમને ‘બધું ત્યજી દઈને, બાવા બનાવી દેવાની શિખામણો આપે છે.

 વારતહેવારે, પ્રસંગે, એ ભગવાનોને ‘ધર્મના બજાર’માં ઉભા કરી દઈને, ફલાણો મહોત્સવ અને ઢીંકણો મહોત્સવ એવાં નામો આપી દઈને , રસીદોની પાવતી બુકો મંદીરના દરવાજા પાસે ટેબલો ગોઠવી દઈને, ઉઘરાણા કરીને પોતાના ઘર ભરે છે. પાછા પોતે તો આલિશાન મહેલો જેવા ઘરોમાં, એરકન્ડીશનમાં રહેવા અને લેક્સસો ફેરવવા છતાં, મેડીકેઇડ અને ફૂડ કૂપનો મેળવતા હોય છે. કારણ કે પૈસા તો ટ્રસ્ટના નામે હોય કે પુત્રો, પુત્રીઓ કે પૌત્રીઓના નામે કરી દીધેલું હોય. 

ભગવાન મંદીરોમાં નથી.ત્યાંતો પથ્થરની મૂર્તિઓ હોય છે, જે આતંકવાદીઓથી પોતાની જાતનું પણ રક્ષણ કરવા અસમર્થ છે. એ તો તમારી શ્રધ્ધા જ એમને ભગવાન બનાવે છે. 

ભગવાન તમારા અને મારા હ્રદયમાં જ છે. તમે અંતરને ડંખે એવું કાર્ય ન કરતા હો તો તમારે મંદીરોના પગથિયા ઘસવાની જરુર નથી. સવાર-સાંજ તમારા જે કોઇ ઇષ્ટદેવ હોય એનું સ્મરણ કરી લો એટલે પત્યું !

નવીન બેન્કર-

 

 

 

                     .

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.