એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » મારા દિલની વાતો » સાધુ વાણિયો બીજા જન્મે અમેરિકામાં

સાધુ વાણિયો બીજા જન્મે અમેરિકામાં

સાધુ વાણિયો બીજા જન્મે અમેરિકામાં

 
એક વખતે, અયોધ્યાની નજીક આવેલા, નૈમિષારણ્યમાં રહેનારા શૌનકાદિ ઋષિયો, સંપુર્ણ પુરાણોના જાણકાર એવા સુત નામના પુરાણીને પ્રશ્ન કરતા હતા  કે ‘શ્રુતેન ‘તમસા કિં વા પ્રાપ્યતે વાંચ્છિતં ફલમ ‘ એટલે કે વાંછિત ફળ મેળવવા ઝાઝી મહેનત કર્યા વગર, અમેરિકામાં મીલીયન્સ ડોલરના સ્વામિ કેવી રીતે બની શકાય એ અંગે અમને માર્ગદર્શન આપો’.
 
શૌનકાદિનો પ્રશ્ન સાંભળીને સુતમુનિએ કહ્યું કે કોઇ કાળના વિષે, દેવ ઋષિ નારદજીએ પણ વૈકુંઠમાં શ્રીકૃષ્ણ ભગવાનને એવો જ પ્રશ્ન કરેલો ત્યારે ભગવાને તેમને આ અંગે , ભારતવર્ષના નૈમિષાનંદ ભારતી પાસેથી આ પ્રશ્નનો ઉત્તર મેળવવાની આજ્ઞા કરી હતી. દેવર્ષિ નારદે, આ નૈમિષાનંદભારતી ક્યાં  મળશે એમ પૃચ્છા કરતાં, ભગવાને તેમને અમેરિકાના  ટેક્સાસ રાજ્યના,  હ્યુસ્ટન શહેરની હવેલીના બાંકડા પર કોઇને પણ પુછવાથી આ નૈમિષાનંદ ઉર્ફે નિત્યાનંદભારતી ઉર્ફે નિત્યસહસ્ત્રલીલાનંદ એવા અનેકવિધ નામે ઓળખાતા  N.B. ને મળવાનું કહ્યું.
 
દેવર્ષિ નારદ અને સુત મુનિને આ પ્રશ્નનો જે જવાબ મળ્યો હતો એ હું તમને કહું છું તો તમે બધા સાવધાન થઈને, સાંભળો.
 
સત્યનારાયણ ભગવાનની કથામાં પેલી કલાવતી અને લીલાવતીવાળા સાધુ વાણિયાની વાત આવે છે તે સાધુ વાણિયો બીજા જન્મમાં, ડોલર કમાવા માટે અમેરિકાના એક શહેરમાં આવ્યો હતો.કઈ રીતે આવ્યો હતો એની વાત એક નવલકથા જેટલી લાંબી છે એટલે અહીં અસ્થાને ગણાશે.
 
આ બાજા જન્મમાં, સાધુ વાણિયો, ડાકોરના રણછોડરાયજીના મંદીરમાં સેવકના ઘરમાં જન્મ્યો હતો.
કામધંધો નહીં હોવાના કારણે, ગામમાં જે કોઇ કથાકાર કથા કહેવા આવે કે મોરારિબાપુ જેવા રામકથા સંભળાવે એ બધું સાંભળી સાંભળીને એને એ બધી વાતોની મીમીક્રી કરવાની ફાવટ આવી ગયેલી. થોડું સંસ્કૃત પણ ગામની શાળામાં ભણેલો એટલે રામચંદ્ર જાગુષ્ટેની ધાર્મિક ચોપડીઓ વાંચીને તથા દાદીમાની વાર્તાઓ સાંભળીને ધાર્મિક ગનાન ( જ્ઞાન નહીં ) તો હતું જ.
 
કોમર્શિયલ એરીઆમાં, ઓફીસો ભાડે આપેલ એવી એક નાનકડી ઓરડીમાં, એક વિદ્વાન આચાર્ય,  એક કાળા પથ્થરને  શીવજીનું લીંગ દર્શાવીને પુજાપાઠ કરતા હતા અને ભારતના ગામડાઓમાંથી આવેલા અર્ધદગ્ધ અને અંધશ્રધ્ધાળુઓ ઘંટ વગાડીને પુજા કરવા આવતા. તેમની સાથે, આપણો સાધુ પણ સાફસુફી અને વાસણો ધોવા તથા મંદીરની દેખરેખ રાખવાનું કામ કરવા લાગ્યો. વિદ્વાન આચાર્ય બહારના શ્રધ્ધાળુને ત્યાં પુજાપાઠ કરવા જાય ત્યારે સાધુ દર્શનાર્થે આવતા લોકોને પુજા કરાવતો અને બે પૈસા દક્ષિણા મેળવતો. મંદીરમાં ગાર્બેજ ઉપાડવા અને સાફસુફી કરવા આવતી એક મેક્સીકન સીટીઝન યુવતી સાથે આંખ લડી જતાં, તેની સાથે લગ્ન કરી લીધા અને ગ્રીનકાર્ડ પણ મેળવી લીધું.
 
હવે અનુભવે કરીને સાધુ પણ સત્યનારાયણની પુજા કરાવતો થઈ ગયેલો. ગાયત્રી હવન, સીમન્ત સંસ્કાર, વાસ્તુપુજન, મુંડન વિધિ,  જેવી પુજાઓ સ્વતંત્રપણે કરાવતો થઈ ગયેલો.  પેલા વિદ્વાન આચાર્ય કરતાં સાધુ વધુ ભણેલો અને અને એગ્રેસીવ હતો એટલે એણે બાજુની બીજી દુકાનની જગ્યા પણ લઈ લીધી અને પોતાની ‘દુકાન’ શરૂ કરી દીધી. મૂળ તો ડાકોરના રણછોડરાયજીનો સેવક એટલે પ્રથમ મૂર્તિ તો રણછોડરાયજીની જ પાણપ્રતિષ્ઠા કરીને મુકી.. પછી, ભારતથી બીજા અનેક ભગવાનોની મૂર્તિઓ લઈ આવ્યો. મહાદેવજીની બાજુમાં જ, ચુંદડી ઓઢાડેલા માતાજી, ગણેશજી, સાંઇબાબા, જલારામ બાપા, શનિ મહારાજ, વગેરે વગેરેની મૂર્તિઓની  ધામધુમથી પ્રાણપ્રતિષ્ઠા કરી, ભક્તજનોને જમાડ્યા, ઉઘરાણું કરીને પૈસા ભેગા કર્યા અને  સ્મશાનની જગ્યા ખરીદી લઈને, ત્યાં મંદીર બાંધી દીધું. મંદીરની કમિટીનું ટ્રસ્ટ બનાવીને એક વાન, એક ટ્રક તથા એક કાર ખરીદી લીધી. મંદીરમાં જ રહેઠાણ માટે જગ્યા બનાવી દીધી. ચરોતરના ગામડામાંથી બીજા ત્રણ પુજારીઓને સ્પોન્સર કરીને બોલાવી લીધા.
 
અમેરિકામાં જન્મેલી અને ઉછરેલી છોકરીઓ પણ, સારો વર મેળવવા, ગોર માનું વ્રત રાખે અને પાંચ દિવસ અલુણું ભોજન કરે, સૌભાગ્ય્વતી સ્ત્રીઓ પણ જયા-પાર્વતિનું વ્રત રાખે એવા અંધશ્રધ્ધાળુ લોકોથી ઉભરાતા કે ખદબદતા આ દેશમાં પણ મંદીરોનો ઉદ્યોગ સારો ચાલે છે એટલે વત્સ, અમેરિકામાં મિલિયોનેર થવા માટે કાં તો મંદીર ખોલો અથવા જાહેરાતો પર ચાલતું કોઇ વર્તમાન પત્ર શરૂ કરી દઈને, સાહિત્યસેવાનો ઝંડો હાથમાં લઈને સમાજના અગ્રણી નેતા કે જેને કમ્યુનિટી લીડર કહે છે તે બની જાવ. વેપારીઓના નાક દબાવીને જાહેરાતો મેળવો અને તમે જે સભામાં ગયા હોવ એ સભાની કાર્યવાહિના અહેવાલો ફોટાઓ સહિત છાપ્યે જાવ. લોકો તમને હારતોરા પહેરાવશે અને સાહિત્યની સભાઓમાં પ્રમુખસ્થાને બેસાડશે. પબ્લીક રીલેશન્સના જોરે, તમને પદ્મશ્રી કે પદ્મભુષણ પણ બનાવી દેશે. ભલે ને તમે ગુજરાતી ભાષામાં પ્રવચન ન આપી શકો. એ જરૂરી પણ નથી.
 
કોઇપણ વાર-તહેવારની ઉજવણી કરવાની, પુજામાં દાતાઓને બેસાડીને શ્લોકો બોલીને, સ્વાદિષ્ટ ભોજન ખવડાવવાનું અને રાત પડે ભેટપેટીઓ ખોલીને દાનમાં આવેલી રકમને રબ્બરબેન્ડથી બાંધીને મુકી દેવાની. ચેકથી આવેલી કે ક્રેડીટ કાર્ડથી મળેલી રકમ બેન્કમાં જાય અને રોકડની અડધી રકમ પણ બીજે દિવસે બેન્કમાં જમા કરાવી આવવાની.. લાઈટબીલ, ગેસબીલ, કાર અને ટ્રકનું મેઇન્ટેનન્સ વગેરેનો ખર્ચ પણ ટ્રસ્ટને ખાતે. ઉપરાંત સમારકામ જેવા ખર્ચા પણ ટ્રસ્ટને ખાતે. સરકાર પાસેથી મેડીકેઇડ અને ફુડકુપનો તો લેવાની જ.
 
ભારતમાં કલાવતી કન્યા અને લીલાવતી માટે પાંચ માળની હવેલી  બનાવડાવી દીધી. કલાવતી-લીલાવતી હજુ દર મહિને સત્યનારાયણ ભગવાનનું વ્રત રાખે છે અને ઘીમાં લસલસતો શીરો બનાવીને  ગામના  લોકોને વહેંચે છે. તથા સાધુ ના પાછા આવવાની રાહ જુએ છે.
બોલો…શ્રી, સત્યનારાયણ ભગવાનની જય……..
 
આ કથા અંગે જે કોઇ સંશય કરશે તે અઘોર પાપનો અધિકારી બનશે. કોઇ પ્રશ્ન થાય તો પેલા ઋષિમોનિયો, સુતજી કે નારદમૂનિને જ પુછવા. છેવટના ઉપાય તરીકે હ્યુસ્ટનના નૈમિષાનંદ ભારતી, નિત્યાનંદભારતી કે  નિત્યસહસ્ત્રલીલાનંદ સ્વામિજીને ઇ-મેઇલથી જ પ્રશ્ન પુછવો. તેઓશ્રી. સ્માર્ટફોન કે વોટ્સ અપથી પરિચિત નથી.
**************************************************************

With Love & Regards, 

 

NAVIN  BANKER

6606 DeMoss Dr. # 1003, 

Houston, Tx 77074 

713-818-4239   ( Cell)

My Blog : navinbanker.gujaratisahityasarita.org

એક અનુભૂતિઃએક અહેસાસ

Leave a Reply

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.