સાચું ખોટું રામ જાણે-
August 2nd, 2017 Posted in સંકલન્
સાચું ખોટું રામ જાણે-
–સંજીવકુમાર સેટેલાઈટવાલા-
જાન્યુઆરિ ૨૦૧૭ માં, હું અમદાવાદ ગયો ત્યારે મારી ટેવ પ્રમાણે હું પ્રકાશકોની ઓફીસોમાં ગયો હતો અને કોઇ કવિઓ કે લેખકોના પુસ્તકોના વિમોચન ના સમારંભોમાં પણ હાજરી આપેલી. એ વખતે જે જાણવા મળેલ એ આ પ્રમાણે હતું.
(૧) એક ખુબ જાણીતા પ્રકાશકે મને કહેલ- તમે અમેરિકામાં રહો છો ? સિનિયર સિટીઝન છો ? તો તો તમને સોશ્યલ સિક્યોરિટી મળતી હશે. તમારે ત્યાંથી અમુક અમુક સિનિયર લેખકોના પુસ્તકો અમે છાપ્યા છે. તેઓ પાંચસો ડોલર્સ ( ૬૭ ના ભાવે ૫૦૦ ડોલર્સ ના ૩૩,૫૦૦ રૂપિયા થાય ) જમા કરાવે છે. અમે તેમને ૧૦૦ નકલ, ૫૦% ડીસ્કાઉન્ટથી ગણીને આપી દઈએ. એમને જે કરવું હોય એ કરે. ( એટલે કે અમેરિકાના મિત્રો / સગાંવહાલાંને ભેટ આપે કે પાંચ પાંચ ડોલરમાં ત્યાં વેચીને એમના ૫૦૦ ડોલર ઉભા કરી દે, એ અમારે નહીં જોવાનું )
મેં પુછ્યું કે ‘પણ એ પુસ્તકો કયા સબ્જેક્ટ પર હોય ? વાર્તાસંગ્રહ કે નવલકથા કે કાવ્યસંગ્રહ ?’
એના જવાબમાં એ ભાઇ કહે-‘ ઇટ ડઝન્ટ મેટર ‘. અમે તો એ છાપી નાંખીએ અને ૧૫૦ રૂપિયા કિંમત છાપીએ. ૨૦૦ નકલ શાળાઓના ઓર્ડર પર મોકલી દઈએ. ૨૦૦ નકલો પંચાયતોના ઓર્ડરમાં ઘુસાડીદઈએ એટલે પત્યું. બાકીની નકલો, બંડલો બાંધીને માળિયે ચડાવી દઈએ અને થોડીક આ શો-કેઇસમાં મુકીએ, તમારા જેવા કોઇ આવે ,પસંદ કરે અને રોકડા આપે તો ૧૦ % કમિશનથી વેચવાની. કાવ્યસંગ્રહો કોઇ ખરીદતું નથી. જો કે હવે, વિમોચનપ્રથા અમલમાં આવ્યા પછી, વેચાણ થાય છે-પણ ૫૦ % ડીસ્કાઉન્ટ આપવું પડે છે.
મેં ભોળાભટ થઈને પુછ્યું- ‘ આ વિમોચનપ્રથા એટલે શું ?’
જવાબ મળ્યો- ‘દરેક વસ્તુના વેચાણ માટે પબ્લીસિટી કરવી પડે. પહેલાના જમાનામાં અનંતરાય રાવળ કે એવા કોઇ લબ્ધપ્રતિષ્ઠિત વિવેચકની પ્રસ્તાવના કે ‘બે બોલ’ આગળના પાનાઓ પર છાપતા એટલે ચાલતું. હવે તો વાજતેગાજતે આઠ-દસ કવિઓ , લેખકો કે વિવેચકને કવરમાં ૫૦૦૦ -૧૦,૦૦૦ એમની હેસિયત પ્રમાણે, મૂકીને આપવા પડે. હોલ ભાડે રાખવો પડે, ભોજનનો ઓર્ડર આપવો પડે, આમંત્રણપત્ર લખવા પડે, સ્પેશ્યલ અહેવાલ લખનારને બોલાવવા પડે. એ અહેવાલ લખનાર પણ તમારા જેવા ન ચાલે. જાણીતા વર્તમાનપત્રમાં એમની કોલમ ચાલતી હોય કે ચિત્રલેખા જેવા માતબર સામયિકમાં એમનું છપાતું હોય એવા વૃતાંતનિવેદકને પણ કવરમાં ચાંદલો મૂકીને બોલાવવા પડે. કોઇ જાણીતા કવિ કે લેખકને આ કામ માટે બુક કરવા પડે. એટલે એ જ, પોતાના મળતિયા પાંચ-સાત સર્જકોને બોલાવી લાવે, એમને ય એમાંથી કમિશન મળી જાય. એકાદ લાખ રૂપિયાનું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટકરવું પડે. એકાદ લાખ એટલે તમારા જેવા એન.આર.આઇ માટે, ૬૭ ના ભાવે તો કાંઇ નહીં ને ? પાછા તમારા જેવા સિનિયર્સને અમેરિકાની સરકાર સોશ્યલ સિક્યોરીટી આપે જ છે ને ? તમે તો દીકરા કે દીકરીના ઘરમાં રહેતા હો એટલે ઘરખર્ચ- ભાડુ, લાઈટના બીલ, ટેલીફોનના બીલ, પેટ્રોલના ખર્ચા જેવા ખર્ચા ય નહીં. તમારે ક્યાં તો, મંદીરોમાં ડોનેશનો કરવાના અથવા ગાંઠના ખર્ચે ચોપડીઓ છપાવીને ‘લેખક’ બનીને વટ મારવાનો !
મારો પ્રશ્ન- ‘ પણ લેખકે શું લખ્યું છે, કેવું લખ્યું છે એ તો જોવું પડે ને ? ‘
જવાબ- “ સંજીવભાઈ, તમે કયા જમાનામાં જીવો છો, યાર ? પેલા વિમોચનિયા જ એ બધું સંભાળે. અહીં તો ‘અહો રૂપમ –અહો ધ્વનિ ‘ ! કોઇ સ્કુલવાળા’ મેઘાણી’ કે ‘ધૂમકેતુ’ ના પુસ્તકો નથી મંગાવતાં. આપણે કહીએ એ જ પુસ્તકોના ઓર્ડર આપે. તમે ય, નામ-બામના મોહ છોડીને, લખવાના નાણાં માંગો. છાપાવાળા તમારો આખો લેખ છાપશે પણ લેખક તરીકેના, તમારા નામને ડીલીટ કરી નાંખીને, ‘અમારા પ્રતિનિધિ દ્વારા’ એમ છાપી મારશે.
અહીં, આ દેશમાં, તો ગલીએ ગલીએ, ફરફરિયા નીકળે છે. સાહિત્યનો ‘સ’ પણ ના જાણનાર, પ્રકાશક થઈને, નેતાઓને બ્લેકમેઇલ કરીને ,સરકારી જાહેરાતો મેળવીને, બસ અને ટ્રેનમાં મફત મુસાફરી કરે છે, અને બીજા ઘણાં લાભો મેળવે છે. તમે ‘એક્રીડેટેડ’ શબ્દ સાંભળ્યો છે ?……..
-આગળ કશું સાંભળવાના મારામાં હોશ રહ્યા નહોતા.
શું આ બધું સાચુ હશે ? સાચુ ખોટું રામ જાણે.
હું ચાંપશીભાઈ ઉદ્દેશી, પીતાંબર પટેલ, બચુભાઇ રાવત, અશોક હર્ષ, ઇશ્વરલાલ દવે જેવા સંપાદકોને યાદ કરતો , ગાંધીરોડની ફુટપાથ પર ચાલતો ચાલતો , ચંદ્રવિલાસ હોટલમાં ગરમાગરમ ફાફડા-જલેબી ઝાપટવા ઘુસી ગયો.
સંજીવકુમાર સેટેલાઈટવાલા ( ૧૯ મે,૨૦૧૭ )
****************************************
Discover something new.