કશુંક ભાળી ગયેલો માણસ- સોક્રેટીસ ( નાટ્ય અવલોકન ) રજુઆત- શ્રી. નવીન બેન્કર
કશુંક ભાળી ગયેલો માણસ- સોક્રેટીસ ( નાટ્ય અવલોકન ) રજુઆત- શ્રી. નવીન બેન્કર
My Blog : navinbanker.gujaratisahityasarita.org
Ek Anubhuti : Ek Ahesas.
ઓહ….અમેરિકા !! (વાર્તા) -નવીન બેન્કર-
નીલે ગગન કે તલે / મધુ રાય
નીલે ગગન કે તલે / મધુ રાય ૭૪૭ શબ્દો
કોઈ કહે ચાંદ કોઈ આંખ કા તારા
પહેલાંના જમાનામાં ‘સંતોષી મા’નાં પોસ્ટકાર્ડ સર્કયુલેટ થતાં હતાં, આજના જમાનામાં ભારતને––કે હિન્દુ ધર્મને––શ્રેષ્ઠ પુરવાર કરતા ઇમેઇલ ચકરાવા મારે છે. ‘અગર હિન્દૂ ધર્મ બુરા હૈ તો ક્યોં જુલિયા રોબર્ટ્સને હિન્દૂ ધર્મ અપનાયા હૈ, ઔર કયોં રોજ મંદિર જાતી હૈ? ઇન્ડોનેશિયા કે રૂપયોં કી નોટોં પર ક્યોં ગણેશજી કા ચિત્ર હૈ?’ જેવા તદ્દન સિરપૈર વિનાના ઇમેઈલ ફરતા જ રહે છે જાણે હિંદુ ધર્મ વિશ્વની શ્રેષ્ઠ ચીજ છે, અને ભારત મહાસત્તા હતી, છે, અને ચિરકાળ રહેશે. આ મૂર્ખ વક્રચંદ્ર શેખીખોરો સાચા ભારતની વાસ્તવિક કંગાલિયત સામે આંખે અતીતના પાટા બાંધીને ફરે છે કેમકે ભારતનાં શહેરો દૂષિત હવાથી ખદબદે છે અને વસતીનો એક રાક્ષસી હિસ્સો હીનમાનવ બસ્તીઓમાં શ્વાસ લે છે, સંતાનો જણે છે, અને મરે છે.
આપણે ધારી લીધું છે કે ભારત એટલે આપણે! પણ સાહેબાન, ભારત એટલે ઉચ્ચ મધ્યમવર્ગના ઓછુંવત્તું ભણેલાં લોકો, આ છાપાનાં વાચકો, ફેસબુક ઉપર મહાલતા જુવાનો કે મોબાઇલ ઉપર મિસકોલતા વડીલો જ નહીં પણ બાકીના શી ખબર લાખો કરોડો બસ્તીવાસીઓ, દલિતો, ભિખારીઓ, વિધવાઓ અને બેપનાહ બાળકો સહિત બે તૃતીયાંશ ભાગ્યપંગુ ભારતવાસીઓ પણ ભારત છે. તે વિરાટ જનગણ પણ ભારતમાં જ વસે છે, શ્વસે છે, એ વાત આપણે ભૂલી જઈએ છીએ. આપણાં સાહિત્યમાં પણ એ જ મધ્યમવર્ગના રોદણાં ને પ્રેમનાં ટાહ્યલાં, આપણી સીરિયલોમાં પણ એ જ ઘસાયેલાં સામાજિક વૃત્તાંતો, આપણાં નાટકોમાં એ જ મધ્યમવર્ગનાં ફારસ અને આપણી ફિલ્મોમાં બિલકુલ મોંમાથા વિનાના હાસ્યાસ્પદ બહાદુરો અને બેહૂદાં કોરસ ગાણાં છે.
આપણી નદીઓ મળથી ખદબદે છે, આપણે પોતે, મધ્યમવર્ગના લોકો, ઉપભોક્તઓ, મોટા ઉદ્યોગોનાં છળકપટથી વ્યવસ્થિત છેતરાતા જઈએ છીએ અને ભૂતકાળના વૈભવની ભ્રામક શેખીમાં તરબતર થઈને સામસામે હલો કરીએ છીએ. ક્યોંકિ ‘ઓબામા અપની જેબ મેં બજરંગબલિ કી ફોટો રખતે હૈં!’ યારો, જરા સોચો કે ગાર્ડિનરની વાત સાચી હોય તો આજની ઝેરી હવામાં જીવતાં બાળકો આવતી કાલની ઠિંગરાયેલી બુદ્ધિવાળી જનતા બનશે થશે ત્યારે શું થશે. જય હનુમાન!
madhu.thaker@gmail.com Tuesday, June 9, 2015
‘બ્લ્યુ મગ’ નાટક અંગે
‘જીવરામ ભટ્ટ આવ્યા’ ભવાઇ-નાટક અવલોકન- શ્રી. નવીન બેન્કર
૧૫ ઓગસ્ટે, સ્ટેજ પરથી ગાઈ શકાય તેવું આધુનિક ભજન
૧૫ ઓગસ્ટે, સ્ટેજ પરથી ગાઈ શકાય તેવું આધુનિક ભજન
ભજન- રચયિતા- શ્રી. સંજય ભટ્ટ
રાગ- વૈષ્ણવજન તો તેને રે કહિયે જે પીડ પરાઈ જાણે રે…
ધનવૈભવ તો તેને જ મળશે જે નીજની પીડા જાણે રે…
પરદેશે સુટકેસ ભરી જઈ, ધનસંચય કરી જાણે રે… ધનવૈભવ તો…
સકળ લોકમાં સૌને ડંડે, નિન્દા સૌની કરશે રે..
વાતવાતમાં જુઠુ બોલી, ખોટા વચનો દેશે રે…..ધનવૈભવ તો…
વક્ર દ્રષ્ટી ને તૃષ્ણા ધારી, પર સ્ત્રી જેની સાથ રે…
જીહ્વા થકી અસત્ય જ બોલે, પરધન મારે હાથ રે…..ધનવૈભવ તો….
મોહમાયામાં રાચે નિશદિન,સુરાપાન ચઢાવે રે…
શ્રીરામ શ્રીરામ મુખમાં ધારી, છુરી છુપાવી રાખે રે.. ધનવૈભવ તો…
મન લોભી ને કપટ સહિત જે, કામક્રોધમાં રાચે રે….
કલયુગે આ સત્ય જે સમજે, તેના કુળ ઇકોતેર તરશે રે….ધનવૈભવ તો….
હ્યુસ્ટનના એક સિનીયરે, સ્વ. પત્નીની દ્વિતીય પુણ્યતિથીએ,સંગીતમય અંજલિ અર્પી.-
હ્યુસ્ટનના એક સિનીયરે, સ્વ. પત્નીની દ્વિતીય પુણ્યતિથીએ,સંગીતમય અંજલિ અર્પી.-
અહેવાલ – શ્રી. નવીન બેન્કર
હ્યુસ્ટનના સિનિયર્સ સિટીઝન્સ એસોસિયેશયનના એક વરિષ્ઠ સભ્ય શ્રી. અરૂણ બેન્કરે, પોતાના જન્મદિવસની ઉજવણી, સંગીતનો કાર્યક્રમ સ્પોન્સર કરીને ગઈ ૧૩મી ઓક્ટોબરે કરી હતી. એ જ અરૂણ બેન્કરે પોતાની સ્વ. પત્ની મીનાબેનની દ્વિતીય પુણ્યતિથીએ, સિનીયર્સની મીટીંગમાં હ્યુસ્ટનના ખ્યાતનામ ગાયકો અને સંગીતકારોને આમંત્રિત કરીને તેમ જ બબ્બે મીટીંગોને સ્પોન્સર કરીને, ભવ્ય કાર્યક્રમ યોજ્યો હતો.
૨૫મી જુલાઇ ૨૦૧૫ની મીટીંગમાં, હ્યુસ્ટનના જાણીતા સંગીતકાર, નાટ્યકાર, ગાયક એવા શ્રી. હેમંત ભાવસાર, સ્વરકિન્નરી સ્મિતા વસાવડા, અને મુકેશજીના અવાજ તરીકે ખ્યાતનામ ગાયક શ્રી. ઉદયન શાહના સથવારે, પોતે લખેલી સ્ક્રીપ્ટ દ્વારા, પોતે જ માસ્ટર ઓફ સેરિમની એટલે કે ઉદઘોષક તરીકે એક અતિસુંદર ભવ્ય કાર્યક્રમ સિનીયર્સ સમક્ષ રજૂ કર્યો હતો. ઇન્ડીયામાં, વર્ષો પહેલાં, રેડીયો પર ‘ગીતગાથા’ નામે એક કાર્યક્રમ પ્રસારિત થતો હતો. એ જ સ્ટાઇલમાં, ઉદઘોષક પોતાની પત્ની કે પ્રિયતમા સાથેના ૪૬ વર્ષના દામ્પત્ય જીવનના મધુર કે દર્દીલા સંસ્મરણોની વાત કહેતો જાય અને એ ઘટનાને અનુરૂપ જે કોઇ ફિલ્મીગીત કે શાયરી હાથવગી હોય એને ગાયકો દ્વારા રજૂ કરવામાં આવે. અરૂણભાઇ પોતાની પત્ની સાથેના સંસ્મરણોની વાત કહેતા જાય અને આ ત્રણ ગાયકો એને અનુરુપ ગીત રજૂ કરે. હેમંત ભાવસારે એકાદ બે પ્રાર્થના-ભજન રજૂ કર્યા બાદ, ઉદયન શાહે, ‘ભૂલી હુઈ યાદેં મુજે ઇતના ના સતાઓ’, ‘આપકે અનુરોધ પર મૈં યે ગીત સુનાતા હું’, કહીં દૂર જબ દિન ઢલ જાયે’, જેવા યાદગાર ગીતો ભાવપુર્ણ સ્વરે રજૂ કરીને સિનીયર્સ શ્રોતાઓને ભાવતરબોળ કરી મૂક્યા હતા.
નાગરકન્યા સ્મિતાબેન વસાવડાએ ‘રહે ના રહે હમ’, ‘હમેં ઔર જીનેકી ચાહત ન હોતી’, એક પ્યારકા નગ્મા’, તેરે મેરે મિલનકી યે રૈના’, ‘આપકી આંખોંમેં કુછ મહેંકે હુએ રાઝ હૈ’, ‘ વાદા કર લો ચાંદકે સામને’, જેવા ગીતો રજૂ કરીને શ્રોતાઓના મન મોહી લીધા હતા. વચ્ચે વચ્ચે પોતાની કાઠિયાવાડી ભાષામાં જોક્સ અને મીમીક્રી દ્વારા પણ શ્રોતાઓને ખુબ હસાવતા હતા. તેમના મીઠા સ્વરમાં, કંઠની કમાલનો અનુભવ કરવો એ એક લહાવો છે.
અરૂણ બેન્કર પોતે સારા ભજનિક પણ છે. ખુબ ભજનો તેમણે લખ્યા છે. સ્ક્રીપ્ટ રાઇટર તરીકે પણ સફળ છે. હ્યુસ્ટનમાં વર્ષોથી જાણીતા છે. સિનિયર્સની મીટીંગોમાં અને પિકનીકોમાં આગેવાની લઈને બે વર્ષથી સેવા બજાવી રહ્યા છે.
શ્રી. અરૂણભાઇના પુત્ર ડોક્ટર નિતેશ બેન્કરે, સમગ્ર કાર્યક્રમની વીડીયોગ્રાફી કરી હતી.
એ જ શ્રેણીની બીજી બેઠકમાં, તારીખ ૮ ઓગસ્ટે, ફરીથી હ્યુસ્ટનના બીજા ખ્યાતનામ ગાયકો પ્રકાશ મજમુદાર ( વોઇસ ઓફ મુકેશ ) , મધુર સ્વરની મલ્લિકા બિન્દુ મલહોત્રા, અને દિનેશ ભાવસારને આમંત્રણ આપીને બોલાવ્યા હતા. દિનેશ ભાવસારે, હેમંતકુમારના સ્વરમાં હેમંતદાના ત્રણેક યાદગાર ગીતો રજૂ કરીને શ્રોતાઓનું સ્ટેન્ડીંગ ઓવેશન મેળવ્યું હતું. નમ્ર, અને મિલનસાર સ્વભાવના ‘ડાઉન ટૂ અર્થ’ ગાયક પ્રકાશ મજમુદારે સ્વ. મુકેશજીના કેટલાક યાદગાર ગીતો ગાયા હતા. બિન્દુજી એક જમાનામાં, હ્યુસ્ટનની એક ટીવી ચેનલ પર સંવાદદાતા અને ન્યુઝ રીડર રહી ચૂકેલી ખુબસુરત સન્નારી છે. એના કંઠે ‘ગલીમેં આજ ચાંદ નિકલા’ આરોહ-અવરોહયુક્ત સ્વરે સાંભળવું એ એક લ્હાવો છે. બિન્દુજીએ પણ લગભગ અડધો ડઝન જેટલા ગીતો રજૂ કરીને, પોતાના કંઠના કામણથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી મુક્યા હતા.
વિભાસ ધુરંધર, સિનીયર્સ એસોસિયેશનનો એક સક્રિય મરાઠીભાષીય કાર્યકર છે. ખુબ સારો એક્ટર છે. સ્ટેજ પર તેણે એક્ટીંગ સાથે , ‘ગુલાબી આંખે જો તેરી દેખી’, રજૂ કરીને શ્રોતાઓને રંગમાં લાવી દીધા હતા. વિભાસ ધુરંધરે એક્ટીંગ અને મીમીક્રી ઉપરાંત શ્રી. અરૂણ બેન્કરને માસ્ટર ઓફ સેરિમનીમાં પણ સહયોગ આપ્યો હતો.
આ બીજી બેઠકના કાર્યક્રમમાં અરૂણભાઇનો સુપુત્ર ડોક્ટર નિતેશ બેન્કર, પુત્રવધુ, પૌત્રીઓ, સ્વ. મીનાબેનના પિયરપક્ષના કેટલાક સભ્યો વગેરે પણ હાજર રહ્યા હતા. બન્ને કાર્યક્રમોને શ્રી. અરૂણભાઇએ જ સ્પોન્સર કરીને સિનીયરોને સ્વાદિષ્ટ ભોજનનો અને સાથે સુમધુર સંગીતનો રસાસ્વાદ કરાવ્યો હતો.
મારો લાલિયો કુતરો
મારો લાલિયો કુતરો
આ વાત અમદાવાદની અને મારા બાળપણની છે. માણેકચોકમાં , સાંકડીશેરીમાં અમે ભાડાના ઘરમાં, મેડા પર રહેતા ત્યારે, મારી ઉંમર પંદરેક વર્ષની હતી. અમારી ખડકી ના નાકે, ચાર-પાંચ કુતરા તો હોય જ. બે ગાયો પણ રસ્તાની વચ્ચે બેઠેલી હોય. અમને ગાયોના શીંગડાની બહુ બીક લાગે. ખડકીમાં ૪૫ ડીગ્રીના કોર્નર પર વીજળીની બત્તીનો એક મ્યુનિસિપલ થાંભલો ,જેનું અજવાળુ, ખડકીના નાકા પર ન પડે. રાત્રે તો ખડકીમાં પ્રવેશતાં, ધ્યાન રાખવું પડે કે વચ્ચે ગાયબાય તો બેઠી નથી ને ? ક્યારેક કુતરા પણ બેઠેલા હોય ! પણ કુતરાઓનું તો એટલું સારૂ કે માણસને ખડકીમાં આવતો જુએ કે તરત ભસીને પોતાની હાજરી જાહેર કરી દે. પણ…ખડકીના રહેવાસીઓને કુતરા ઓળખી ગયેલા. કોઇને ય ક્યારેય કોઇ કુતરુ કરડ્યું હોય એવું મને યાદ નથી. સામાન્ય રીતે કુતરા લાલ, કાળા અને ધોળા રંગના. અમારા ઘરમાં, મારા દાદીમા સવારે નવ વાગ્યે ઘરના ૧૧ માણસ માટે રોટલી વણવા બેસે અને પહેલી રોટલી ગાય-કુતરા માટે જુદી રાખે. મોટેભાગે મને જ કહે કે –‘નવીનીયા, જા..પહેલા ગાયકુતરાની રોટલી નાંખી આવ. પછી ખાવા બેસ.’ જો મને એ દિવસે ગાય કે કુતરુ જોવા ન મળે તો ખડકીના નાકે, હેમુબેનની ઓટલી પર રોટલી મૂકી દઉં અને પછી જમવા બેસી જઉં. હેમુબેન ની ઓટલી અને હાંકુમાનો ઓટલો – મને આજે ય યાદ છે. હાંકુમા એટલે સંતોકબેન. પણ અમે ક્યારેય એમના એ નામને જાણતા જ નહોતા. હેમુબેન એક ડોસાને ,નવા નવા પરણીને આવેલા ત્યારે મારી ઉંમરના કિશોરોને એ ખુબ રૂપાળા લાગતા હતા. પછી જેમ જેમ અમે વધુ ને વધુ જુવાન થતા ગયા એમ એમ હેમુબેન ઘરડા થતા ગયા. છેવટે છેવટે તો એમના દાંત પણ પડી ગયેલા અને સા..વ.. ડોશી બની ગયેલા મેં જોયા હતા. કિશોરવયના મારા દોસ્તદારોમાં, અનિલ, ગુણવંત, દ્ત્તુ, રાજુ, ગિરીશ, મુરલીધર ( મોરલી), પ્રબોધ, સુરેન્દ્ર, પ્રવિણ, દેવલો ((દેવેન્દ્ર), કાનુ મને યાદ છે. આ મિત્રો સાથેની યે યાદો છે. પણ આજે તો મારે મારા લાલિયા કુતરાની વાત કરવી છે.
લાલિયો અમારા ઓટલા પર પુંછ્ડી દબાવીને બેઠેલો હોય. મને જોઇને પુંછડી પટપટાવે, મારા પગ ચાટે. મારી પાછળ પાછળ આવે. કોઇની સાથે ઝઘડો થાય અને મારામારીમાં મારે માર ખાવાનો વખત આવે ત્યારે હું એ દુશ્મન ( આમ તો એ મિત્ર જ હોય) પાછળ લાલિયાને છોડી દઉં. એટલે પેલો ભાગી જાય. લાલિયો કરડતો નહીં. અસ્સલ હિન્દુસ્તાની હતો એ. કોઇ આતંકવાદી ગમે તેટલા હુમલા કરે કે માથા વાઢી જાય પણ એ માત્ર ભસતા જ શીખેલો. ઘણીવર તો હું એને પોળને નાકે આવેલી કન્યાશાળાની બારીઓના ઓટલા પર બાજુમાં બેસાડીને પંપાળતો. મને એની આંખોમાં સ્નેહ દેખાતો. લાલિયાને નાંખેલો રોટલો બીજો બળવાન કુતરો ઝુંટવી જાય તો હું એને માટે બીજો રોટલો કે રોટલી લઈ આવીને ખવડાવતો. એક દિવસ, મ્યુનિસિપાલિટીની ગાડી આવીને કુતરા પકડી ગઈ એમાં મારો લાલિયો પણ ઝડપાઈ ગયો. આમે ય એ અહિંસક જ હતો ને ! અને…અહિંસકોને હંમેશાં માર જ ખાવાનો હોય છે. મને મહાત્મા ગાંધીજીની અહિંસામાં જરા ય વિશ્વાસ નથી, હું એમાં માનતો પણ નથી. નાનો હતો ત્યારથી હું આક્રમક રહ્યો છું. હું કોઇની સાથે લડતો હઉં તો મારા લલિતાપવાર જેવા દાદીમા પંખો લઈને દોડતા આવીને મારૂં ઉપરાણું લે અને મારી સાથે લડવાવાળા અને એની માને પણ ઝાટકી નાંખતા.
આજે પણ હું મારા આક્રમક સ્વભાવને બરાબર ઓળખું છું એટલે કોઇ જ સંસ્થામાં કમિટી કે કોઇ પદ પર ઉભો રહેતો નથી. મને કોઇ સહેલાઈથી ઉશ્કેરી શકે છે. અને હું આક્રમક બની જાઉં એવો મને ડર રહે છે. મારામાં સહનશીલતા અને ધીરજના ગુણો નથી. મારામાં મતાંતરક્ષમાનો ગુણ પણ નથી.
હું આડીવાતે ઉતરી ગયો…હમણાં એક સિનિયર સિટીઝન ડોશીમાને રાઇડ આપીને તેમને ઘેર ઉતારવા ગયો ત્યારે એમના ઘરમાં ડાઘિયા જેવા કુતરાને જોઇને મને ડર લાગી ગયેલો. કારણકે અત્યારે હવે આ ઉંમરે હું દોડીને ભાગી જઈ શકતો નથી. મારી નાની બહેન સંગીતા ધારિઆ ને ઘેર પણ એક ‘એમા’ નામની શ્વાન છે. ઘરના સભ્યની જેમ જ એને રાખે છે. . મારી પત્નીને કુતરા નથી ગમતા. કોઇના ઘેર કુતરો હોય કે બિલાડી હોય તો એમના સોફા પર બેસતાં યે એને સુગ ચડે છે.
હમણાં શ્રી. પી કે. દાવડા સાહેબનો એક લેખ વાંચ્યો, જે તેમના સૌજન્યથી આ સાથે નીચે કોપી-પેસ્ટ કરીને મૂકું છું.
અમેરિકામાં પાળેલા કુતરા
અમેરિકામાં ૨૦૧૧ માં એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે અમેરિકામાં બેતૃતિયાંસ ઘરોમાં કોઈને કોઈ પાળેલું પ્રાણી છે, અને આમાં સૌથી વધારે સંખ્યા કુતરાઓની છે. આજે જ્યારે માણસ એક બીજા પ્રત્યે વિશ્વાસ ગુમાવતો જાય છે ત્યારે પ્રાણીઓની વફાદારી માણસ કરતાં બે વેંત ઉંચેરી મનાય છે.
અમેરિકામાં પાળેલા કુતરા ઘરના એક સભ્યના જેટલો હક ભોગવે છે. ૯૦ % અમેરિકનોએ આ વાતનું સમર્થન કર્યું છે. સર્વેમાં એ પણ જાણવા મળ્યું કે અમેરિકાની ૪૦ % ગૃહીણીઓ માને છે કે એમના પતિ અને એમના સંતાનો કરતાં એમનું કુતરૂં એમને થોડો વધારે પ્રેમ કરે છે.
અહીં અમેરિકનો કુતરા પાછળ સમય અને ધન બન્નેનો દિલ ખોલીને ખર્ચ કરે છે. પોતે કામે ગયા હોય ત્યારે કુતરાને Day Care માં મૂકી જાય છે, જેથી એની ખાવા-પીવાની અને અન્ય સગવડ સચવાય. કુતરાઓ માટે ખાસ Clinics અને Hospitals ની બધે જ સગવડો છે. મારા એક મિત્ર પશુઓના ડૉકટર છે, અને એમની માલિકીની સાત પશુ હોસ્પિટલ છે. એ ધંધામાંથી એ એટલું કમાયા છે કે એમની માલિકીની Real Estate માં ૧૨૦૦ ભાડુત છે, અને એમની સંપત્તિ કરોડો ડોલરની છે.
અમેરિકનો પોતાની Wallet માં પોતાના સંતાનોના ફોટા રાખે છે, અને સાથે પોતાના કુતરાનો પણ ફોટા રાખે છે. કુતરૂં મરી જાય તો તેઓ અતિ ગમગીન થઈ જાય છે, અને શોક પાળે છે. અહીં કુતરાં માટે અલગ કબ્રસ્તાનો છે, અને એની ઉપર મોંઘા મોંઘા Tomb Stone મૂકવામાં આવે છે. ખોવાયલા કુતરાને શોધવા માટે ઈનામની જાહેરાતો આપવામાં આવે છે. ગ્રીટીંગકાર્ડ બનાવનારી હોલમાર્ક કંપનીના કુતરાઓને શુભેચ્છા આપતા કાર્ડસ મોટા પ્રમાણમાં વેચાય છે.
અમેરિકામાં પાળેલા કુતરાઓનું મહત્વ એટલું વધી ગયું છે કે Genetech નામની જગ પ્રસિધ્ધ બાયોટેક કંપનીએ તો કામપર, કુતરા સાથે લાવવાની છૂટ આપી છે, અને એમની સારસંભાળ લેવા વ્યવસ્થા કરી છે. સ્ટોરોમાં કુતરાઓના વપરાશની નવી નવી વસ્તુઓ અને કુતરાઓ માટેનો ખોરાક મોટા પ્રમાણમાં વેચાય છે.
આ કુતારાઓ બધી જાતના હોય છે. નાના નાના અનેક જાતના સુંદર ગલુડિયાં અને મોટા વાઘ જેવા કુતરા. હું તોજોઈને છક થઈ ગયો કે આ કુતરાઓ કેટલા બધા ટ્રેઈન્ડ છે. માલિકની અંગ્રેજીમા બોલાયલી બધી વાતો સમજે છે.એક ઉદાહરણ આપું. એક નાનું ગલુડિયું મને જોઈને ભસ્યું. એની માલકણે કુતરાને કહ્યું, “બેડ બોય. ગો એન્ડએપોલોજાઇસ”. કુતરૂં મારી પાસે આવીને ચુપચાપ ઊભું રહ્યું. મેં કહ્યું, “ઈટ્સ ઓ.કે.” ત્યારે જ એ પાછું ગયું. આવા તોઅનેક અનુભવો મને થયા છે. હવે મને પણ આ શિસ્તબધ્ધ કુતરા ગમવા લાગ્યા છે. જ્યારે પણ હું કોઈ કુતરા સામેપ્રેમથી જોઉં છું, ત્યારે એમના માલિક મારી સામે હસીને આભાર વ્યક્ત કરે છે. જ્યારે પણ હું કુતરાના વખાણ કરૂં છુંત્યારે કુતરા કરતાં એના માલિક વધારે રાજી થાય છે!! માલિકો તો એ બધું સમજતો હોય એવી રીતે એની સાથે વાતચીત કરે છે. જો ન માને તો એને ઠપકામાં માત્ર Bad boy કે Bad girl એટલું જ કહે છે.
માલિકો પોતાના કુતરાને અબાધિત પ્રેમ કરે છે. બદલામાં કુતરાઓ પણ એમના માલિકને ખરા દિલથી પ્રેમ કરે છે.માલિકની ગંધથી પણ એ પરિચિત હોય છે. આખો દિવસ ઘરમા પુરાયેલા હોવા છતાં, માલિકની ગાડી ઘરના ગેરેજપાસે આવે તો એમને તરત ખબર પડી જાય છે, અને ભસીને એમને આવકાર આપે છે. ઘર ખુલતાં જ માલિકનેવળગી પડે છે. અમેરિકામાં બાળકો મોટા થાય ત્યારે પોતાનું અલગ ઘર વસાવવા માબાપને છોડી જતા રહે છે ત્યારેમાબાપની એકલતા ટાળવામાં પાળેલા કુતરા મોટો ભાગ ભજવે છે. (પી કે. દાવડા )
આજે મને મારો એ લાલિયો યાદ આવી ગયો -આ લેખ વાંચતાં.
મને કુતરાઓને પકડીને લઈ જતી ગાડીઓ અને સાણસાથી પકડેલા કુતરાઓને જોઇને હંમેશાં દુઃખ થાય છે.
ડંડા મારી મારીને પોલીસવાનમાં ધકેલી દેવાતા માણસોને જોઇને પણ મને પોલીસો પર ઘૃણા થાય છે. ( મને ત્રણ વખત ‘પોલીસ- બૃટાલિટી’ ના અનુભવ થયેલા છે.)
આ વાતો તો સાઇઠ વર્ષ પહેલાંની છે.
આજે ય જ્યારે જ્યારે હું અમદાવાદ જાઉં છું ત્યારે ત્યારે અચૂક અમારી સાંકડીશેરીની એ ખડકીમાં જાઉં છું અને ‘હાંકુમા ના ઓટલે’ બેસીને આંખના ખુણા ભીના કરી લઉં છું. અમારા ફ્રીઝમાં મૂકેલી ચાર ચાર દિવસની રોટલીઓને માઇક્રોમાં મૂકીને ,ગરમ કરીને ખાતાં ખાતાં, મને હેમુબેનની ઓટલી પર મૂકેલી સુક્કી રોટલીઓ યાદ આવી જાય છે,
લાલદરવાજાથી બસમાથી ઉતરીને, ચાલતાં ચાલતાં ત્રણ દરવાજા…પાનકોરનાકા..ફુવારા..માણેકચોક..સાંકડીશેરી.. રાયપુર ચકલા..કુમાર કાર્યાલય… રાયપુર દરવાજા…જાઉં , ઘણાં સંસ્મરણો વાગોળું, થોડું રડી પણ લઉં..
પણ…ગયા માર્ચ માસમાં અમદાવાદ ગયો ત્યારે મારા પગમાં એટલું ચાલવાની શક્તિ ન હતી. બસમાં ચઢવાની હિંમત પણ ન હતી…બે-ત્રણ વખત કુમાર કાર્યાલયમાં ગયો, પણ રીક્ષામાં જ જવું પડ્યું હતું…
હું સમજી ચૂક્યો છું કે હવે મારા અંતની શરૂઆત થઈ ચૂકી છે. એક એક અંગની ક્રિયાશીલતા ઘટતી જાય છે.
શ્રીરામ..શ્રીરામ….
નવીન બેન્કર
લખ્યા તારીખ- ૨૦ ઓગસ્ટ ૨૦૧૫
શ્રી. ઇન્દ્રવદન ત્રિવેદી ( માસ્ટરજી )-નૃત્યકાર, કોરીઓગ્રાફર
ઇન્ડીયન સિનિયર્સ સિટીઝન્સ એસોસિયેશનના નૃત્યકાર, કોરીઓગ્રાફર
શ્રી. ઇન્દ્રવદન ત્રિવેદી ( માસ્ટરજી )
૧૬મી ઓગસ્ટે, હ્યુસ્ટનના નવા સ્ટેફોર્ડ સિવિક સેન્ટર ખાતે, ઇન્ડિયા કલ્ચર સેન્ટર આયોજિત ઇન્ડીયા ફેસ્ટ-૨૦૧૫ કાર્યક્રમ અંતર્ગત, સિનિયર સિટીઝન્સ એસોસિયેશનના સિનિયર્સના વીસેક સિનિયર્સ સભ્યો દ્વારા એક એક સમુહનૃત્યગીત ‘ભારતકા રહનેવાલા હું, ભારતકી બાત સુનાતા હું ‘ એટલી સરસ રીતે સ્ટેજ પરથી રજૂ થયું હતું કે પ્રેક્ષકોએ ‘વન્સમોર વન્સમોર’ ના પોકારોથી એ ગીતની રજુઆતને વધાવી લઈને ,સ્ટેન્ડીંગ ઓવેશન આપીને, ફરી વખત એ ગીતનું રીપીટેશન કરવાની કલાકારોને ફરજ પાડી હતી. આ ગીતમાં ભાગ લેનાર મુખ્ય કલાકારો હતા સર્વશ્રી. ઇન્દ્રવદન ત્રિવેદી, કીરીટ મોદી, રમેશ મોદી, નુરૂદ્દેન દરેડિઆ, પ્રકાશ શાહ, શૈલેશ દેસાઇ, ભરત શાહ, અરવિંદ પટેલ, વિભાસ અને બકુલા ધુરંધર, શ્રીમતિ સુધાબેન ગાંધી, શ્રીમતિ સુશીલાબેન પટેલ, અને બીજા દસેક જણ. જેમના નામ મને અત્યારે યાદ નથી આવતા. ૬૨ થી ૭૫ સુધીની વયના આ સિનિયર્સના કાર્યક્રમને જોઇને કોઇ કહી ના શકે કે આમાંના મોટાભાગના કલાકારોએ કદી પણ સ્ટેજ પર પગ પણ મુક્યો નથી. આ પત્થરોમાં પ્રાણ પુરનાર મુખ્ય કલાકાર શ્રી. ઇન્દ્રવદન ત્રિવેદીને હું પચ્ચીસ વર્ષોથી ઓળખું છું. ૧૯૯૬માં, મેં એમના વિશે, ‘નયા પડકાર’ અને ‘ગુજરાત સમાચાર’ માં એમના પરિચય લેખો લખેલા છે. આજે, થોડુંક વધારે એમના વિશે મારે જણાવવું છે.
મૂળ ગુજરાતના દહેગામમાં જન્મેલા શ્રી. ત્રિવેદીએ શાસ્ત્રિય નૃત્ય પ્રત્યેની અભિરૂચીને કારણે માત્ર સાત જ વર્ષની વયે વડોદરા સંગીત મહાવિદ્યાલયમાં તાલીમ લેવી શરૂ કરી હતી. ત્યાંથી જ ભરતનાટ્યમમાં માસ્ટરી મેળવી. શ્રીમતિ મૃણાલિની સારાભાઇ સંચાલિત દર્પણ એકેડેમીઓફ પરફોર્મીંગ આર્ટ્સમાં. કુચીપુડી નૃત્યમાં માસ્ટરી મેળવી.ભારત તેમજ પરદેશના ઘણાં શહેરોમાં તેમણે પોતાના નૃત્યના પ્રયોગો રજૂ કરેલા છે. ફૂટ પેઇન્ટીંગ એ તેમની વિશિષ્ટતા છે. નૃત્ય કરતાં કરતાં જ પગ વડે પતંગિયુ, મોર વગેરે ચિત્રો દોરી શકતા હતા..’દર્પણ’ ના નેજા હેઠળ, ફર્સ્ટ એશિયન પેસિફિક પપેટ ફેસ્ટીવલમાં જાપાનના ટોકિયો શહેરમાં તેમણે પોતાના ગ્રુપ સાથે કઠપુતળીના ખેલ રજૂ કર્યા હતા. થોડાક વર્ષો પહેલાં- હું ભુલતો ન હોઉં તો- ૧૯૯૪ થી ૧૯૯૯ સુધી શ્રી. ત્રિવેદી ઝંકાર સ્કુલ ઓફ ડાન્સીંગ ના નેજા હેઠળ એક ડાન્સ સ્કુલ પણ હ્યુસ્ટનમાં ચલાવતા હતા.
થોડાક વર્ષો પહેલાં તેમણે હ્યુસ્ટનમાં ‘કૃષ્ણલીલા’ નામનો એક કાર્યક્રમ યોજ્યો હતો જેમાં કૃષ્ણ, ગોપ ગોપીઓ, નાગ-નાગણીઓ, ગોપબાળો જેવા પાત્રો હતા- બધા જ તેમની સ્કુલના વિદ્યાર્થીઓ હતા.
‘શાકુંતલ’ ભજવેલું તેમાં પોતે દુષ્યંતની ભૂમિકા કરેલી
‘પ્રલયતાંડવ’ માં શીવજીની મુખ્ય ભૂમિકા તેમણે ભજવેલી.
પુષ્ટીમાર્ગીય વૈષ્ણવોના પ્રિય ‘અધરમ મધુરમ, વદનમ મધુરમ’ માં તેમનું ભાવપ્રદર્શન અદભુત હતું.
પચીસ વર્ષ પહેલાં, તેમની સાડા ચાર કલાક લાંબી નૃત્ય નાટિકા ‘મહાભારત’ માં, આપણા હ્યુસ્ટનના શ્રી. મુકુંદ ગાંધી, હેમંત ભાવસાર, હાલો રે હાલો’ ફેઇમ મ્યુઝીક મસાલાવાળો સુનિલ ઠક્કર, શેખર પાઠક, સંજય શાહ તથા મારા જેવા કલાકારોએ ભૂમિકાઓ ભજવી હતી. હું એમાં કૌરવોનો આંધળો બાપ ધૃતરાષ્ટ્ર બનેલો. મુકુંદ ગાંધી ‘ભીષ્મ’ બનેલા.
તેમણે ફિલ્મ ‘શોલે’ ની એક સ્કીટ પણ ભજવેલી જેમાં મેં, રાજુ ભાવસાર, ગિરીશ નાયક અને ‘ ‘કીની’ નામની એક ખુબસુરત યુવતીએ હેમા માલિનીવાળી ભૂમિકા ભજવી હતી. અલબત્ત હું એમાં ‘કાલિયા’ બનેલો.
‘મોગલે આઝમ’ પણ અમે ભજવેલું જેમાં હું દુર્જનસિંહ નો રોલ કરતો હતો. ફિલ્મ મોગલે આઝમમાં એ ભૂમિકા અભિનેતા અજીતે ભજવી હતી.
મોગલે આઝમ માં જોધાબાઇનો રોલ કરતા એક મહારાષ્ટ્રીયન બહેન ક્રાંતિ વાલવડેકર મને યાદ છે. નાના પાટેકર પુરુષ નાટક લઈને હ્યુસ્ટનમાં આવેલો ત્યારે હું એને , લઈને ક્રાંતિબેનને ઘેર લઈ ગયેલો ત્યાં માસ્ટરજી પણ ઉપસ્થિત હતા અને મેં ત્યાં હાજર રહેલા ઘણાંના ફોટા નાના પાટેકર સાથે લીધેલા. આ ક્રાંતિબહેન ક્યારેક ક્યારેક મને સાંઇબાબાના મંદીરમાં મળી જતા હોય છે. ( રખે માની લેતા કે હું સાંઇબાબાનો ભક્ત છું. હું તો ક્યારેક મારી પત્ની ની ધાર્મિક લાગણી ન દુભાય એટલા ખાતર એના ડ્રાઇવર તરીકે તેની સાથે જઉં છું એટલું જ શ્રીરામ શ્રીરામ )
મને યાદ છે કે કમલાહસનનું પિક્ચર ‘હિન્દુસ્તાની’ રીલીઝ થયું ન હતું અને તે ફિલ્મની ગીતોની રેકર્ડ જ બહાર આવેલી ત્યારે એના એક જાણીતા ગીતની તર્જ સાંભળીને ઇન્દ્રવદનભાઇએ પોતાની વિદ્યાર્થિનીઓ પાસે એ ગીત કોરીયોગ્રાફ કરીને નૃત્ય તૈયાર કરાવેલું અને કોઇ કાર્યક્રમમાં રજૂ કરેલું. એ ગીતમાં હ્યુસ્ટનની બે જોડકા બહેનો નેહા અને નીરજુ ટેઇલર, તેમની માતા પ્રજ્ઞા ટેઇલર, અરૂણ બેન્કરની ભત્રીજી સોનલ, મીનળ ગાંધી પણ હતી. આ તો પચીસ વર્ષ પહેલાંની સ્મૃતિના આધારે લખું છું એટલે નામો લખવામાં કોઇ ક્ષતિ રહી જાય એવું પણ બને.
અમેરિકન સંસ્થાઓમાં પણ તેમણે પોતાના કાર્યક્રમો રજૂ કરીને અમેરિકન પ્રજાના પણ પ્રમાણપત્રો મેળવ્યા છે.
અહીં જ જન્મેલી અને અહીં જ ઉછરેલી નવી પેઢીની બાળાઓને શાસ્ત્રિય નૃત્યની તાલીમ આપીને, તેમનામાં ભારતિય કલા અને સંસ્કૃતિનું સીંચન કરવાનું કામ તેઓશ્રીએ કર્યું છે.
માસ્ટરજી ( ઇન્દ્રવદન ત્રિવેદી ) સાથે કરેલા કાર્યક્રમોના રિહર્સલો ની યાદો પર તો એક આખુ પુસ્તક હું લખી શકું.
એક આડવાત-
આપણી ભારતીય સંસ્થાઓ-ખાસ તો ગુજરાતી સંસ્થાઓ- કોઇ કાર્યક્રમ પ્રસંગે, આવા કલાકારોને કોઇ આઈટમ રજૂ કરવા આમંત્રણ આપે પણ એના રીહર્સલો વખતે ચાહનાસ્તા માટે કે ગેસ ભરાવવાના નાણાં ન આપે. કાર્યક્રમના ડ્રેસીસ માટે, પાઘડી, ખેસ, લાકડી, જેવી વસ્તુ પણ કલાકારે જ લાવવાની હોય. ક્યારેક તો એ સંસ્થાઓએ ટીકીટો પણ વેચી હોય. હોલનું ભાડુ ખર્ચે, ટીકીટો છપાવવાના નાણાં ખર્ચે, લોકોને પ્રોક્લેમેશન્સ આપે, હારતોરા પાછળ પૈસા ખર્ચે, પણ પોતાના ફેમિલીટાઇમમાં કાપ મૂકીને દિવસો સુધી રીહર્સલો કરનાર કલાકારે તો ગાંઠનું જ ગોપીચંદન કરવાનું.
આ જ વાત આપણા ગુજરાતી વર્તમાનપત્રો અને સામયિકોને ય લાગૂ પડે છે.
કોઇ કલાકાર વિશિષ્ટ કોસ્ચ્યુમ કે સામાન લાવવા પૈસા માંગે તો જવાબ મળે કે-‘ભાઇ, આ તો કોમ્યુનિટી વર્ક છે. અમે ય ફ્રી સેવા જ આપીએ છીએ.’ કલાકાર પોતાની અસમર્થતા જાહેર કરે તો કહેશે-‘ હ્યુસ્ટનમાં નવો નવો હતો ત્યારે સારો હતો. હવે જરા નામ થઈ ગયું એટલે એને રાઈ ચઢી ગઈ છે. સાલો પ્રોફેશનલ થઈ ગયો છે.’
કેટલીક સંસ્થાઓના માંધાતાઓ કાર્યક્રમ પતી ગયાના એકાદ બે માસ બાદ, હાથની લખેલી રીસીટો એટેચ કરીને વાઉચરો બનાવીને ખર્ચા પાડી દેતા હોય અને પોતે ખર્ચેલા ગેસના નાણાં વસૂલ કરી લેતા હોય એ ગનીમત !
નવીન બેન્કર
લખ્યા તારીખ- ૧૯ ઓગસ્ટ ૨૦૧૫