એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » 2015 (Page 2)

મુંબઈની કમાણી , મુંબાઇમાં સમાણી ( નાટ્ય-અવલોકન)

મુંબઈની કમાણી, મુંબઈમાં સમાણી (નાટ્ય-અવલોકન)

ગયા મહીને એટલે કે જુલાઈ ૨૦૧૧માં, જુના સ્ટેફોર્ડ સિવિક સેન્ટરના નાટ્યગ્રુહમાં ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીઝ ઓફ ઈન્ડીયા ( FFOI )ના ઉપક્રમે,સંગીતા શાહ નિર્મિત અને ઇમ્તિયાઝ પટેલ લિખિત અને દિગ્દર્શીત નાટક ‘મુંબઈની કમાણી, મુંબઈમાં સમાણી’ લગભગ આઠસો પ્રેક્ષકોની હાજરીમાં ભજવાઈ ગયું.
બે દીકરા…બે વહુઓ…એક સાસુ..અને નાની વહુનો બાપ..આટલા મુખ્ય પાત્રો. ઉપરાંત..તાર માસ્તર,ધોબી અને ગણપતિ ઉત્સવ માટે ફાળો ઉઘરાવનાર જેવા ગૌણ પાત્રો- જે એક જ કલાકાર ત્રણ ત્રણ ભૂમિકાઓ વેશ બદલી બદલીને ભજવે..સંયુક્ત કુટુંબમાં કરકસર કરી કરીને ઘર ચલાવવાની વાત પર રચાયેલા આ નાટકમાં ઝી ટીવીની સિરીયલોની જેમ, દેરાણી જેઠાણી અને સાસુનો કલહ ત્રિકોણ છે, નાનકડા કાવાદાવા પણ છે પણ અંતે સાસુની જીત થાય છે અને ખાધુ-પીધું ને રાજ કર્યું એવી વાત છે.
સાસુના પાત્રમાં રજની શાંતારામ સમગ્ર નાટકમાં છવાઈ જાય છે.સ્વ.કલ્પના દિવાન માટે જ લખાયેલી આ ભૂમિકા રજનીબેન સુપેરે ભજવી જાય છે.તેમના એકે એક સંવાદ પર, સ્વ-ઉક્તિઓ પર પ્રેક્ષકોની તાળીઓના ગડગડાટ થાય છે.
નાટકમાં ઘણાં કટાક્ષો છે. ક્રુષ્ણ જન્મોત્સવની ઉજવણી પર કટાક્ષ…ફરાળ કરીને થતી અગિયારસ પર કટાક્ષ… ગણપતિ-વિસર્જનની ઉજવણી પર કટાક્ષ.. ફાળો ઉઘરાવનારાઓ પર કટાક્ષ…
મોંઘવારી પર કટાક્ષ.. .અજમેરી બાબા પર કટાક્ષ…એમ ઘણાબધા કટાક્ષો પર હાસ્ય-નિષ્પન્ન થયું છે.
કેટલાક સચોટ સંવાદો પણ આ નાટકમાં છે જેના પર પ્રેક્ષકો મન મૂકીને તાળીઓની ખંડણી આપે છે. જુઓ..આ રહ્યા એ સંવાદોના કેટલાક નમૂના-
‘લગ્ન પહેલાં નારી અબળા હોય છે.લગ્ન પછી નર નબળા થઈ જાય છે.’
‘માંગનાર એની ઔકાત પ્રમાણે માંગે. આપનારે એની હેસિયત પ્રમાણે આપવું જોઇએ.’
‘અક્કલ બદામ ખાવાથી ન આવે- ઠોકર ખાવાથી આવે.’
‘સિંહની સવારી કરવી જ પડે તો સમતોલન પોતાના બચાવની ગુરુચાવી છે.’
-કહેવાની જરુર નથી કે આ બધા જ સંવાદો સાસુ-રજની શાંતારામ-ના મુખે જ બોલાવેલા છે.રજનીબેનના અભિનયમાં પ્રેક્ષકોને ક્યારેક લલિતા પવાર, ક્યારેક સ્વ.કલ્પના દિવાન તો ક્યારેક મેડમ માયાવતી પણ દેખાય છે. મોટા દીકરાની વહુ-હીનાવહુ-ના પાત્રમાં પરીંદા પટેલ અને નાના દીકરાની વહુ-પ્રેમાવહુ-ના પાત્રમાં શીતલ અંબાણી રજની શાંતારામને અભિનયમાં સારી એવી ટક્કર આપે છે. બે દીકરા-અલકેશ અને દીપેશ-ના પાત્રોમાં જીગર બુંદેલા તથા ભાવેશ ઝવેરી પણ પાત્રોચિત અભિનય કરી જાય છે. નાની વહુના બાપ-ધનેશભાઇ-નો રોલ કરનાર કલાકાર શ્રી.કુકુલ તારમાસ્તરે ધોબી,અને ગણપતિનો ફાળો ઉઘરાવનાર બબ્બનની ભૂમિકાઓ પણ સફળતાપુર્વક ભજવી હતી.
જો કે સમગ્ર નાટક તો હતું રજની શાંતારામનું જ.
છેક ૧૯૯૫થીએ હ્યુસ્ટનમાં ‘ફોઈ’ નામે ઓળખાતું FRIENDS AND FAMILIES OF INDIA ગ્રુપ ગુજરાતીઓમાં કાર્યરત છે. આ ગ્રુપના કર્તાહર્તા કીર્તીભાઇ પટેલ અને માનાજી ઠાકોર નામના બે સેવાભાવી સજ્જનો અને તેમને સહકાર આપનાર ગિરીશ નાઈક, મહેન્દ્ર દેસાઇ, અરુણ બેન્કર, અને તેમના અન્ય મિત્રો જ છે.એમની કોઇ ઓફીસ નથી, સંસ્થાનું કોઇ મકાન નથી, કોઇ હોદ્દેદારોની પોસ્ટ નથી.નવરાત્રિ પ્રસંગે ગરબા, દીવાળી ડીનર, નવા વર્ષની ઉજવણી જેવા બેચાર પ્રસંગો અને સારા સારા એકાદ-બે નાટકોનું આયોજન કરી, ખુબ જૂજ દરે ટીકીટો વેચીને ખર્ચો કાઢી લે છે.ગરબા વખતે પણ લોકલ કલાકારો અને લોકલ વાદ્યવ્રુંદ જ. સિરીયલ્સના કલાકારો અને મોંઘાદાટ હોલના ભાડાના ખર્ચા નહીં. સંસ્થામાં કોઇ હુંસાતોંસી નહીં. કોઇ ચુંટણી,કોઇ આક્ષેપો-પ્રતિઆક્ષેપો..કશું જ નહીં. અરે…પાર્કીંગ પ્લોટમાં કાર પાર્ક કરવા માટેનો કોઇ ચાર્જ પણ નહીં. ખર્ચો કાઢવા માટે પાંચ-સાત ડોલર જેવી જૂજ પ્રવેશ ફી માત્ર. હ્યુસ્ટનની અન્ય સંસ્થાઓના દીવાળી-ડીનર કરતાં ‘ફોઈ’ના ડીનરની સુરતી વાનગીઓ હંમેશાં વખણાય.
‘ફોઇ’ ગ્રુપને આવું સરસ નાટક રજૂ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન.
માહિતી સૌજન્ય અને તસ્વીરો- શ્રી. નવીન બેન્કર

અધોગતિનું મૂળ- અંધશ્રધ્ધા

ગઈકાલે એક મંદીરના પટાંગણમાં ,જ્યાં ભાગવત પારાયણ ચાલી રહી છે ત્યાં એક શુભ્રધવલ સદરો પહેરેલા પ્રતિભાશાળી ગુરુજી મળી ગયા. એ પોતે કથામાં બેઠા ન હતા. માત્ર સોશ્યલાઇઝેશનાર્થે અને પોતાના ‘ધામ’ના પ્રચારાર્થે તથા ‘મહાપ્રસાદ’નો લાભ લેવા જ પધારેલા હતા. આવા ગુરુજીઓનું માર્કેટ આવા મંદીરોમાં આવતા ભક્તો જ હોય છે. જે પરિચીત મળે તેને તેઓશ્રી. સમાચાર આપતા હતા કે આપણા ‘ધામ’ ની વાત તો હવે ગૂગલ પર પણ મૂકાઇ ગઈ છે.અને ફલાણા ફલાણા ‘અવતાર’ ( જીવંત માણસને જેમણે અવતાર તરીકે ઠઠાડી દીધા છે તે ) ના જન્મદિવસની ઉજવણી ઓગસ્ટ માસની અમુક તારીખે આપણે નક્કી કરી છે અને આમંત્રણો પણ મોકલાઇ રહ્યા છે. કોન્સ્યુલેટ પણ પધારવાના છે તો તમે જરુરથી પધારજો.
મારો દાવો છે કે હ્યુસ્ટનમાં એકે ય માણસ એ કહેવાતા ‘અવતાર’ વિશે કશું ય જાણતો નહીં હોય કે કશું સાંભળ્યું પણ નહીં હોય. છતાં મને ખાત્રી છે કે એમના જન્મદીનની ઉજવણીમાં ‘ ખાવા’ માટે અમૂક વર્ગ જવાનો, કોઇ મહાનુભાવો પણ જવાના, પછી પેલા બાજીગર એમના ફોટાઓ છપાવીને, કોઇ સાઉથ ઇન્ડીયન પત્રકાર પાસે અહેવાલ લખાવીને આટલા ‘ઘેટાનું ટોળુ’ આ ઉત્સવમાં હાજર હતું એવું છપાવશે. બીજી વખત પેલું ટોળુ વધારે સંખ્યામાં આવશે. અનુયાયીઓ વધતા જશે.ભવિષ્યમાં એક આખો સંપ્રદાય ઉભો થઈ જાય તો યે નવાઇ નહીં. બાજીગર ગુરુજીને ઘેટાનું ટોળુ વાંકા વળી વળીને ચરણસ્પર્શ કરશે. હમણાં થોડા સમય પહેલા આવા એક ‘માતાજી’ના ચરણસ્પર્શ કરતી સાઉથ-ઇન્ડીયન મહીલાઓને તો હ્યુસ્ટનની ધર્મપ્રેમી જનતાએ જોઇ જ છે.
આ છે આપણી અધોગતિનું મૂળ. -અંધશ્રધ્ધા.
કોઇના કહેવાથી કશું માની ના લો. કોઇ કહે કે આ ફલાણો અવતાર છે એટલે માની ના લો. પ્રશ્નો પુછો કે-‘ભાઇ, આપ આ વિભૂતિને ક્યારે મળ્યા ? એમણે કયા મહાન કાર્યો કર્યા છે ? આપે આ વિભૂતિનો સાક્ષાત્કાર કર્યો ખરો ? જો કર્યો છે તો એ સાક્ષાત્કારી અવતાર આપને ભોજન કેમ નથી આપતા અને આપે અમેરિકાની સરકારના ‘વેલફેર’ પર આપના ઓરીજીનલ નામે કેમ જીવવું પડે છે ? આપ આપની જાતને ફલાણા ‘પ્રભુ’ કહેવડાવો છો અને આપના વેલ્ફેરના ચેકો તો કોઇ બીજા જ નામે આવે છે. શા માટે ? આપના ‘ધામ’ની લીઝ કોના નામે છે ?’
એટલે એ ગુરુજી પોતાના અસલ સ્વરુપનું આપને દર્શન કરાવશે અને ત્રીજુ નેત્ર ખોલીને કહેશે-‘ આ શ્રધ્ધાનો વિષય છે. તમારા જેવા નાસ્તિક અને પાપી માણસ ધર્મનું હાર્દ જાણી શકે નહીં. તમે જ હિન્દુ ધર્મનું નિકંદન કાઢવા બેઠા છો.થોડા જ દિવસોમાં પ્રભુ તમને તમારા આ નાસ્તિક વિચારો માટે દંડ કરશે. પરચો દેખાડશે.’ ( તમે ડરપોક હશો તો ડરી જશો અને વિચારવા લાગશો કે ‘આપણે શું ?આપણે શું કરવા કોઇ દુશ્મન ઉભા કરવા !’) હું જુવાન હતો ત્યારે આવા કેટલાય ઢોંગી જ્યોતિષીઓ અને ધુતારાઓને જાહેર રોડ પર ફટકાર્યા હતા.
હવે તમે પોતાની તર્કશક્તિ અને વિવેકબુધ્ધીની સરાણે ચઢાવીને આખી વાતને મૂલવજો. હું કહું છું માટે મારી વાત માનવાની પણ જરુર નથી.
શ્રીરામ…શ્રીરામ….

મારા બાળપણનો દોસ્ત અરવિંદ ઠેકડી

September 1st, 2015 Posted in મારા સંસ્મરણો

 અરવિંદ ઠેકડી

આજે મારા બાળપણના મિત્ર શ્રી. અરવિંદ ઠેકડી અને મંજુલાબેન ઠેકડીના ૫૦ વર્ષના પ્રસન્ન દામ્પત્યજીવનની સુવર્ણજયંતિની ( ગોલ્ડન જ્યુબિલી ) ઉજવણી પ્રસંગે તેમના સંતાનો દ્વારા યોજાયેલી પાર્ટીમાં  જવાનો પ્રસંગ મને પ્રાપ્ત થયો હતો. નરીન્સ બોમ્બે બ્રેસરીઝ નામના ,  હ્યુસ્ટનના વેસ્ટ  લૂપ સાઉથ પર આવેલા રેસ્ટોરન્ટમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. થોડાક મિત્રો અને કુટુંબીજનોની હાજરીમાં , સ્વાદિષ્ટ ભોજન અને પુત્ર-પૌત્ર-પૌત્રીઓ દ્વારા રજૂ કરાયેલા આ કાર્યક્રમમાં સ્લાઈડ-શો દ્વારા ભુતકાળની ખુબસુરત યાદો તાજી કરવામાં આવી હતી.

 

કાર્યક્રમનું સંચાલન, અરવિંદભાઇની દીકરી હીનાની બે દીકરીઓ-શિવાની અને જાન્હવી- દ્વારા સૂપેરે કરવામાં આવ્યું હતું. અરવિંદભાઇના સુપુત્ર અપૂર્વ અને પુત્રવધુ સીમાની બે દીકરીઓ આશા (૧૨) અને જયા (૯) દ્વારા બે ફિલ્મી  રેકર્ડ ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતા.તેમના વેવાણ એટલે કે દીકરી હિનાના સાસુ તનમનબેન પંડ્યાએ રફી અને સુમન કલ્યાણપુર દ્વારા કોઇ હિન્દી ફિલ્મમાં ગવાયેલું  ‘દિલે બેતાબકો સીનેસે લગાના હોગા’ ભાવવાહી રીતે રજૂ કર્યું  હતું. બીજા એક  ભાર્ગવી રાયજી  નામના બહેન દ્વારા પણ ગીતાદતનું    ‘ ન યે ચાંદ હોગા, ન તારે રહેંગે, મગર હમ હમેશાં તુમ્હારે રહેંગે’  જેવું  પ્રસંગોચિત  ગીત  રજૂ કરવામાં આવ્યું હતું.

અરવિંદ-મંજુલાની દીકરીઓ હીના અને અનિતા  દ્વારા તેમના માતાપિતાને પ્રશ્નોત્તરી દ્વારા, તેમની પસંદગીના ભોજન, મનગમતા  સ્થળો, પહેલું ઘર જેવી યાદો તાજી કરાઇ હતી. તેમના યુવાન અને  હેન્ડસમ  ગોરા ગોરા દીકરા અપૂર્વએ સ્લાઈડ શો દ્વારા જીવનના વિવિધ પ્રસંગોની સમજ આપીને, આમંત્રિતોને માહિતી આપી હતી. આ અપૂર્વ મને સિરીયલના કોઇ યુવાન નવોદિત અભિનેતાની યાદ તાજી કરાવતો હતો.

અહીં મારો આશય આ કાર્યક્રમનો અહેવાલ લખવાનો નથી. 
ત્યાં દિવાલ પર લટકાવાયેલી એક તસ્વીર જોઇને, મને પણ મારી લગભગ એ જ સમયગાળાની એક એવી જ તસ્વીરની યાદ તાજી થઈ ગઈ. 
હું, અરવિંદ ઠેકડી અને હરિપ્રસાદ પટેલ અમદાવાદની ફેલોશીપ હાઇસ્કુલમાં ૧૯૫૧થી ૧૯૫૮ સુધી ભણેલા. અરવિંદ અને હરિપ્રસાદ ભણવામાં પહેલો નંબર.  તેઓ શાળાના તેજસ્વી અને ચારિત્ર્યશીલ  સારા છોકરા ગણાતા. બધા તેમને માનની નજરે જોતા.  આજે આ ઉજવણીમાં અમે ત્રણે હાજર હતા. હરિપ્રસાદ પટેલ C.P.A. છે અને તેમણે કોમ્યુનિટીને ઘણી સેવા આપી છે. હાલમાં જ રીટાયર્ડ થયેલ છે.
આ સાથે એટેચમેન્ટમાં એ બન્ને તસ્વીરો સાથે  મારી અને મારા દોસ્તની આજની તસ્વીર મૂકું છું.  મારા લગ્ન ૧૯૬૩માં થયેલા, અરવિંદના લગ્ન ૧૯૬૪માં થયેલા, એ બન્ને તસ્વીરો સાથે આજની અમારા બે દોસ્તની વર્તમાન તસ્વીર વચ્ચે મૂકી છે.
                     .
,

મુચ્યતામ…મુચ્યતામ… -નવીન બેન્કર-

September 1st, 2015 Posted in મારા દિલની વાતો

મુચ્યતામ…મુચ્યતામ…         -નવીન બેન્કર-

આજે સવારે હું ડીશનેટવર્ક ની ચેનલ ૭૨૦ – ‘સંસ્કાર’- પર, ભાઈશ્રી,  રમેશ ઓઝાની ભાગવતકથાનું રસપાન કરી રહ્યો હતો-

આટલું વાંચીને તમને હસવું આવ્યું ને ? ‘નવીન બેન્કર’ અને ભા..ગ..વ..ત..ક..થા ?  શ્રીરામ..શ્રીરામ…’

બટ બીલીવ મી..નાનપણમાં હું પણ તમારા જેવો જ સંસ્કારી હતો.(!) હું નમણો અને કોમળ સ્વર ધરાવતો હતો એટલે છોકરાઓ મને ‘નવલો નરગીસ’ કહીને ચીડવતા હતા. સ્કુલમાં હું પ્રાર્થના કરાવતો હતો, મારા દાદીમા વિદ્યાબાની સાથે, સંન્યાસીના મઠમાં કથાવાર્તા સાંભળવા જતો હતો અને પછી ઘેર આવીને,  સ્વામિજીના સ્વરમાં રામાયણની ચોપાઇઓ બોલીને મીમીક્રી કરતો હતો. લલિતાબેનના અને અન્ય ભગતોના ભજનો મને કંઠસ્થ થઈ જતા.  નવ વર્ષની ઉંમરે તો ગીતાનો નવમો, બારમો અને પંદરમો અધ્યાય મને કંઠસ્થ હતા.

પછી હું ‘બગડી’ ગયો. ફિલ્મોને રવાડે ચડી ગયો. છાપાં વેચવાના દિવસો દરમ્યાન, લોકો અને પોલીસનો માર ખાઈ ખાઈને હું નઠોર અને હિંસક બનતો ગયો. પણ એ જુદી વાત છે. આજે વાત કરવી છે ‘મુચ્યતામ..મુચ્યતામ’ ની.

મારી પત્ની સવારના પહોરમાં ઉઠતાંની સાથે, ટીવી પર ‘આજતક’ કે ‘સમય’ ચેનલ પર સમાચારો જુએ છે. હું આ બન્ને ચેનલોને સખ્ત ધિક્કારું છું કારણ કે સવારના પહોરમાં મારે લાલુ, મુલાયમમિંયા, નિતીનીયો, માયાવતી અને મમતાડી ના ડાચા જોવા પડે છે. પત્નીનું આ વળગણ છોડાવવા માટે, એની ધાર્મિકતાને હથિયાર બનાવીને મેં ચાર રીલીજિયસ ચેનલો જેમાં ‘આસ્થા’ અને ‘સંસ્કાર’ ચેનલો આવે છે ,એ નંખાવી દીધી. એટલે હવે એ સવારના પહોરમાં મોરારિબાપુ, રમેશ ઓઝા અને એવા જ અન્ય ભગતોના પ્રવચનો, કથાઓ, દેવદેવલાના દર્શનો જ કર્યા કરે અને મને શાંતિથી કોમ્પ્યુટર પર ગુજરાતીમાં લખવા દે. જો કે હું પણ બાળપણના સંસ્કારોને કારણે ક્યારેક આવું બધું જોઇ લઉં.

આજે ‘સંસ્કાર’ ચેનલ પર, શ્રી. રમેશ ઓઝા ભાગવતકથા અંતર્ગત, મહાભારતના યુધ્ધ દરમ્યાન, દ્રૌપદીના પાંચ પુત્રોના માથા વાઢી જનાર, અશ્વસ્થામાને પકડીને ગાંડીવધારી બાણાવળી અર્જુન, દ્રૌપદી સમક્ષ લાવીને દ્રૌપદીને કહે છે કે – ‘ હે પાંચાલી, લે..આ તારા સુઈ રહેલા પાંચે પુત્રોના માથા વાઢી લેનાર હત્યારાને પકડી લાવ્યો છું. એને સજા કર.’

દ્રૌપદી અશ્વસ્થામાને જુએ છે. આ અશ્વસ્થામા એ તો પાંડવો અને કૌરવોના ગુરૂ દ્રોણાચાર્યનો પુત્ર હતો. એ જમાનામાં ગુરૂને લોકો ભગવાનતુલ્ય માનતા અને ગુરૂનો પુત્ર પણ પુજનીય ગણાતો. અને તેમાં ય આ તો બ્રાહ્મણ…બ્રાહ્મણનો તો વધ કરાય જ કેવી રીતે ? એટલે દ્રૌપદી અર્જુનને કહે છે કે- હે અર્જુન, આ તો આપણા ગુરૂનો પુત્ર અને તેમાં ય પાછો બ્રાહ્મણ.. એનો વધ તો કરાય જ કેમ ? એણે મારા પાંચે પુત્રોના માથા વાઢી નાંખ્યા એટલે મને એક માતા તરીકે કેટલું દુઃખ થાય છે એ હું સમજું છું. ગુરૂ દ્રોણાચાર્યનો વધ થયા પછી એમની પત્નીનો આ એકમાત્ર સહારો છે. હવે જો આપ એનો વધ કરશો તો એની માતાને કેટલું દુઃખ થશે ? અને આપણા પુત્રો કાંઇ સજીવન તો થવાના નથી જ. માટે એને ક્ષમા કરીને ‘મુચ્યતામ..મુચ્યતામ’. ( એને છોડી મૂકો..છોડી મૂકો ).

મને લાગે છે કે ભારત સરકાર, આ મહાભારતને ફોલો કરી રહી છે. આપણા જવાનોના માથા વાઢીને લઈ જનાર પાકિસ્તાની લશ્કર સાથે હિસાબ પતાવતાં, એમને પણ દ્રૌપદીના શબ્દો યાદ આવી જતા લાગે છે. ભલે આપણા બે જવાનોના માથા વાઢી ગયા, આપણે એમના માથા વાઢી લઈશું એટલે આપણા જવાનો કાંઇ સજીવન તો થઈ જવાના નથી. જવાનોની માતાઓ જે દુઃખ અનુભવતી હશે એ જ દુઃખ, આપણા કૃત્યથી,પાકિસ્તાની માતાઓ પણ અનુભવે એ તો બરાબર નથી ને ? માટે, વેરની ભાવનાને ભૂલી જઈને એમને ‘મુચ્યતામ..મુચ્યતામ..’

હમણા જ રીલીઝ થયેલી, સૈફ અલી ખાન અભિનીત ફિલ્મ ફેન્ટમ (૨૦૧૫) માં ભારતીય જાસુસી સંસ્થા-રો- ના એક ઉચ્ચ અધિકારી કે પ્રધાન પણ આવી જ મતલબનો સંવાદ બોલે છે કે- ૨૬/૧૧ ના મુંબઈ હુમલાના આરોપીઓને ખતમ કરવા માટે આપણે યુધ્ધનું જોખમ ઉઠાવીને લાખ્ખો પાકિસ્તાનીઓની હત્યા ન કરી શકીએ.’

મને લાગે છે કે આપણી પ્રજાએ, આ મહાભારતની કથાઓનું  અફીણ બરાબર પચાવ્યું છે. નાનપણથી આવી આવી સુફિયાણી વાતો સાંભળી સાંભળી, વાંચી વાંચીને, આપણે, ક્ષમાશીલ –મારખાઉ- પ્રજા બની ગયા છીએ.

નવીન બેન્કર-   (લખ્યા તારીખ- ૧ સપ્ટેમ્બર ૨૦૧૫)

‘ધર્મ’ અંગે મારા વિચારો (૨) – નવીન બેન્કર

August 30th, 2015 Posted in મારા દિલની વાતો

Navin Banker (4) Navin Banker (5) PASSPORT PHOTO VAISHALI(5) Baku-Baku at Age 65 Navin Banker with Arvind Thekadi Navin Banker-1961 & 2011 MERI MAA- Jab Mai uske pet me thaa. Baku-Baku at Age 5 Me & My Baku (2) 13-5-1963 Bankers

ધર્મ અંગે મારા વિચારો  (૨)

 હું ટીલાંટપકાં ન કરું; પણ હું આધ્યાત્મીક છું. દુનીયાને ચલાવનારી કોઈ શક્તી તો છે જ.  માનવ શરીરને જ જુઓ. અને શરીરની બધીપ્રક્રીયાઓનું નીરીક્ષણ કરો. તો તમે પણ એ પરમશક્તીમાં માનતા થઈ જશો.
હું તેત્રીસ કરોડ દેવીદેવતાઓમાં નથી માનતો. કૃષ્ણ…રામ.. એ બધા સારા રાજાઓ હશે અને એમણે પ્રજા માટે સારા કામો પણ કર્યા હશે અને આપણી વ્યક્તિપૂજક પ્રજાએ એમને ‘ભગવાન’ બનાવી દીધા હશે અને પૂજવા માંડ્યા હશે. આજે કોઇ સંપ્રદાયના ધર્મગુરુને આપણે ‘પ્રગટ બ્રહ્મસ્વરુપ’ બનાવી દીધા છે એમ જ એ જમાનામાં એમને ભગવાન બનાવી દીધા હશે. સાંઇબાબા અને જલારામબાપા ભક્ત હતા .એમને પુજનીય ગણીએ ત્યાં સુધી મને વાંધો નથી. પણ એમને ભગવાનનો દરજ્જો આપી દઈને તેમના મંદીરો બાંધીને ઘંટ વગાડવાની વાત મને માન્ય નથી. સંતોષીમાતા ને મેલડીમાતા ને  કાળીમાતામાં મને જરાય શ્રધ્ધા નથી. મહાદેવજીને દૂધ ચડાવવાની કે ગણેશોત્સવ કરીને ગણેશજીનું વિસર્જન કરવાના ઘોંઘાટીયા ઉત્સવો ઉજવવાનો હું વિરોધી છું.
મને ધર્મના નામે ચાલતાધતીંગો નથી ગમતા. અને  જાત જાતની ધજાઓ લઈને ઘુમવામાં હું નથી માનતો. મને મોક્ષ અપાવવા નીકળી પડેલા આ ગુરુઓ નથીગમતા. હા, પરન્તુ  જગતને  નીયંત્રણમાં રાખનાર કોઈક  શક્તી છે. તેને હું  નમું  છું અને એને જ ભગવાન માનું છું.
સવારે ઉઠતી વખતે અને રાત્રે સૂતી વખતે આંખો મીંચીને હું એ સર્વશક્તિમાનને વંદન કરીને તેમને યાદ કરું છું. મેં ક્યારેય દીવો-ધૂપ કર્યા નથી. મારા બાપે પણ કર્યા ન હતા.
એ સર્વશક્તિમાનને યાદ કરવા માટે,મારે પણ કોઇ સ્વરુપની જરુર પડે છે અને નાનપણથી મને શીખવવામાં આવ્યું હતું કે કૃષ્ણ અને રામ તો હાડમાંસના બનેલા માનવો હતા. એમને તો આપણે ભગવાન તરીકે ઠઠાડી દીધા છે પણ ભોળા શંભુ- મહાદેવજી- તો સાચા પ્રભુ છે એટલે પ્રભુનું સ્મરણ કરતી વખતે હું મહાદેવજીના પ્રચલિત સ્વરુપને નજર સમક્ષ રાખું છું. એટલી આસ્તિકતા મારામાં છે.
નવીન બેન્કર
 
 

પાનખરે ખીલ્યા ફૂલ નાટ્ય-અવલોકન- શ્રી. નવીન બેન્કર

પાનખરે ખીલ્યા ફૂલ                   નાટ્ય-અવલોકન-  શ્રી. નવીન બેન્કર

સાતમી માર્ચ ૨૦૧૫ના દિવસે, અમદાવાદના ઠાકોરભાઇ દેસાઇ હોલમાં, એક સરસ સામાજિક નાટક જોયું. વર્ષો પહેલાં- કદાચ ૧૯૭૦માં- પ્રિતમનગરના અખાડામાં, ‘રંગમંડળ’ નો જમાનો હતો અને સ્વ. શ્રી.રાજુ પટેલ, મહેન્દ્ર પાઠક તથા  પ્રતિભા રાવલ નાટકો કરતા હતા ત્યારે હું  રંગમંડળનો ઇતિહાસ લખવા રાત્રે ત્યાં જતો હતો એ અરસામાં મને પ્રતિભાબેનનો પરિચય થયેલો. ૪૫ વર્ષ પહેલાં ની એ વાત. પ્રતિભાબેન ખુબ સ્વરુપવાન. એમના, હવેલીની પોળવાળા મકાને પણ હું ગયેલો અને ત્યાં  એમની નાટ્યપ્રવૃત્તિ અંગે મુલાકાત કરેલી. એ સમયે, દિનેશ શુક્લ, ઇન્દીરા મેઘા,  સ્વ. નલિન દવે, સ્વ. પ્રવિણાબેન મહેતાના નાટકો પુરબહારમાં ચાલતા. એ સમયે, વિજય દત્ત, જશવંત ઠાકર, કૈલાસભાઇ, દામિની મહેતા, અરવિંદ ત્રિવેદી, પદમારાણી જેવા ધુરંધર કલાકારોને મારે મળવાનું થતું. એ દરેકની સાથે મારા સંસ્મરણો છે.

આ પ્રતિભા રાવલે લગભગ  ૭૫+ ની ઉંમરે આ નાટકમાં એક અગત્યની ભૂમિકા ભજવવા ઉપરાંત દિગ્દર્શન પણ કર્યું છે. નાટકના મુખ્ય પુરુષપાત્ર કુમુદભાઇ રાવલ અને પ્રતિભાબેને મને આ નાટક જોવા ખાસ આમંત્રણ આપેલું. એના રિહર્સલો વખતે પણ મને ખાસ બોલાવેલો.

ઘનશ્યામ દેસાઇના પત્ની, પૈસા, ધનદોલત, મોટર, બંગલા, નોકરચાકર અને વૈભવના મોહમાં, પતિની ગરીબી અને કલાનો ઉપહાસ કરીને એક શ્રીમંત સાથે નાસી જાય છે. ઘનશ્યામ દેસાઇ નોકરી અને ગામ છોડીને દૂર આવીને વસે છે, જ્યાં તેમની પાછલી જિન્દગીને કોઇ જાણે નહીં અને કોઇ ઓળખે નહીં.સંગીતના ટ્યુશનમાંથી જે પૈસા મળતા તેમાંથી બન્ને સંતાનોનો ઉછેર કરવા લાગ્યા. તેમના જીવનમાં આશાવરી નામની શિષ્યા આવી અને પરોક્ષ રીતે સંતાનોના ઉછેરમાં મદદ કરતી રહી. એક પરિણીત સ્ત્રી ,પોતાના સંતાનોને છોડીને ભાગી ગઈ અને બીજી અપરિણીત સ્ત્રીએ  તેના સંતાનોને સંભાળી લીધા.

સંગીતકાર  ઘનશ્યામ દેસાઇની મુખ્ય ભૂમિકામાં શ્રી. કુમુદ રાવલ અને તેમના મિત્ર અને વેવાઇ ભજીયાવાળા ભગવાનદાસની ભૂમિકામાં એડવોકેટ શ્રી. નવીન ઓઝાએ આખા નાટકનો ભાર ઉપાડી લીધો હતો. ઘનશ્યમભાઇના પુત્ર મોહન (અક્ષય પટેલ)ને ભજીયાવાળાની દીકરી રાધા  ( ટંકીકા પંચાલ ) સાથે પ્રેમ છે.  દીકરી સરિતા ( રુહીન ઘોરી )નું સગપણ , મીસ્ટર પરીખ  ( દિનકર ઉપાધ્યાય ) ના દીકરા પ્રોફેસર  (પૂરબ મહેતા)  સાથે થવાનું છે. સંગીતકાર ઘનશ્યામ દેસાઇને આશાવરી રાગ ખુબ પ્રિય છે. અને તેમના જીવનમાં પણ આશાવરી  આવે છે.જેને કારણે રુઢિચુસ્ત જૂનવાણી સમાજમાં ચણભણ થાય છે. ખુદ એમના બાળકો પણ બાપને ગૂનેગાર અને ચારિત્રહીન માનવા લાગે છે અને પછી શરુ થાય છે ઘર્ષણ.  ઘનશ્યામ દેસાઇના બન્ને સંતાનોના લગ્ન થઈ જાય છે એ પછી ઘનશ્યામ દેસાઇ આશાવરીને ઘેર લાવે છે અને સંતાનોને તેનો પરિચય કરાવતા જણાવે છે કે આશાવરીએ પત્ની અને માતા તરીકેની ફરજ અદા કરવામાં આખી જુવાની ખર્ચી નાંખી છે. પરંતુ, ફરજ બજાવનાર પિતા અને ત્યાગમૂર્તિ આશાવરીનો સંબંધ સંતાનોને સ્વીકાર્ય ન હતો.

કેટલાક હૃદયસ્પર્શી સંવાદો પછી, ઘનશ્યામ અને આશાવરી ઘર છોડી નવી જિન્દગી શરુ કરવા ચાલ્યા જાય છે એવા કથાનક પર સમસ્ત નાટકની માંડણી થઈ છે.

પ્રેમી ઘનશ્યામના જીવનમાં , તેમના ઘરસંસારમાં ખલેલ ના ઉભી થાય એ રીતે વર્ષો સુધી એકલતા અનુભવતી આશાવરીના પાત્રમાં પ્રતિભા રાવલ પાત્રોચિત સંયમી અભિનય કરી જાય છે. ઘનશ્યામ દેસાઇના, આશાવરી સાથેના સંબંધ અંગે પોતાના દ્ર્ષ્ટીબિંદુની રજૂઆત કરતા સંવાદોમાં આલેખનનું ઉત્તમ પાસુ જોવા મળે છે અને એ વખતના હ્ર્દયસ્પર્શી સંવાદોમાં કુમુદ રાવલ મેદાન મારી જાય છે. પુત્રવધુ બનતી અભિનેત્રી પણ છટાદાર સંવાદોથી પ્રેક્ષકોના દિલ જીતી લે છે. મોહન બનતા અક્ષય પટેલ ખુબ આશાસ્પદ કલાકાર છે. મીસ્ટર પરીખના મહેમાન કલાકાર જેવા રોલમાં દિનકર ઉપાધ્યાયને ખાસ કશું કરવાનું રહેતું નથી પણ પોતાના દમામદાર અભિનય અને અસરકારક અવાજના જોરે હાજરી પુરાવી ગયા. ભગવાનદાસ ભજીયાવાળાના રોલમાં શ્રી. નવીન ઓઝાએ સીક્સરો પર સીક્સરો ફટકારીને પ્રેક્ષકોને ખુબ હસાવ્યા હતા. પ્રોફેસર બનતા પૂરબ મહેતા પણ પોતાની ભૂમિકા સૂપેરે ભજવી ગયા. ત્રણેક કલાકારોએ તો પ્રથમ વખત જ સ્ટેજ પર અભિનય કર્યો હતો છતાં તેઓ અનુભવી કલાકારો જ લાગતા હતા.

નાટકનું રુપાંતર સ્વ. રાજુ પટેલનું હતું એમ સાઇનબોર્ડ પર જણાવાયું હતું.

જે ઉંમરે, અન્ય બધી જ અભિનેત્રીઓ થાઇરોડ અને આર્થરાઇટીસથી પીડાઇને, સ્ટેજ માટે નક્કામી બની જતી હોય છે એ ઉંમરે (૭૫+) પ્રતિભાબેનના શરીર પર ચરબીએ હુમલો કર્યો નથી. હા ! ઉંમરની અસર વર્તાય જરુર પણ હલનચલન  કે અભિનયક્ષમતા પર એની અસર નથી. આજે ય, એકલપંડે નાટ્યપ્રવૃત્તિ ચાલુ રાખી શક્યા છે. કુમુદ રાવલ પણ ચૌદ વર્ષના વનવાસ પછી. ફરી નાટ્યપ્રવૃત્તિમાં સક્રિય થયા છે એ જોઇને આનંદ થયો. કુમુદ રાવલ અને પ્રતિભા રાવલની અટક માં જ સામ્ય છે. બાકી ધે આર નોટ રીલેટેડ.

બેસ્ટ લક, પ્રતિભાબેન અને કુમુદભાઇ !

નવીન બેન્કર ફોન નંબર-૭૧૩-૮૧૮-૪૨૩૯    ( લખ્યા તારીખ-૨૨ એપ્રિલ ૨૦૧૫ )

 

ધર્મ અંગે મારા વિચારો (૧)

August 28th, 2015 Posted in મારા દિલની વાતો

 

ધર્મ અંગે મારા વિચારો (૧)

 

હ્યુસ્ટન ( ટેક્સાસ ) થી પ્રસિધ્ધ થતા

 ઇન્ડીયા હેરલ્ડના ૨૭ ઓગસ્ટના અંકમાં, પ્રથમ પાને છપાયેલ એક સમાચારના આધારે આ વાત લખું છું.

 ગળથુથીમાં ‘ધરમ’નું અફીણ છે એવી આપણી પ્રજા  કદી સત્ય સમજવાની જ નથી અને ગઠિયાઓ પાસે લૂંટાવવાનું છોડવાની નથી. 

 બની બેઠેલા આવા ધુતારાઓ પાસેથી સલાહો મેળવવાનું છોડો. 

ક્રેડીટ કાર્ડથી ધુતારાઓને પેમેન્ટ આપીને પસ્તાશો નહીં. 

ભગવાને કોઇ એજન્ટો નીમ્યા નથી. 

વગર મહેનતે તાગડધિન્ના કરનારાઓથી ચેતો. 

ભગવા જોઇને નમી પડવાનું છોડો. 

આ મંદીરો…આ ટ્રસ્ટો…ભગવાનને મળવા માટે નથી. તમને બેવકૂફ બનાવીને , પોતાની સાત પેઢીને તારવા માટે અને એમને ભગવાન બનાવીને પૂજાવા માટેના રસ્તા બનાવવાની ચાલબાજી છે. 

 તમે ધરમને નામે શું કરો છો ? અઢાર પેઢી પહેલા થઈ ગયેલા કોઇ સાચા સંતને ભગવાન બનાવી દઈને  પેઢી દર પેઢી પુજતા જાવ છો અને એમના વંશજો પરદાદાના નામે, પોતપોતાની ‘પેઢીઓ’ ખોલી ખોલીને ટોઓટા અને મર્સીડીસોમાં ફરતા અને એરકન્ડીશનમાં રહેતા થઈ જ ગયા ગયેલા છે. હજાર કરોડ રુપિયાની સંપત્તિ ઉભી કરી દઈને તમને ‘બધું ત્યજી દઈને, બાવા બનાવી દેવાની શિખામણો આપે છે.

 વારતહેવારે, પ્રસંગે, એ ભગવાનોને ‘ધર્મના બજાર’માં ઉભા કરી દઈને, ફલાણો મહોત્સવ અને ઢીંકણો મહોત્સવ એવાં નામો આપી દઈને , રસીદોની પાવતી બુકો મંદીરના દરવાજા પાસે ટેબલો ગોઠવી દઈને, ઉઘરાણા કરીને પોતાના ઘર ભરે છે. પાછા પોતે તો આલિશાન મહેલો જેવા ઘરોમાં, એરકન્ડીશનમાં રહેવા અને લેક્સસો ફેરવવા છતાં, મેડીકેઇડ અને ફૂડ કૂપનો મેળવતા હોય છે. કારણ કે પૈસા તો ટ્રસ્ટના નામે હોય કે પુત્રો, પુત્રીઓ કે પૌત્રીઓના નામે કરી દીધેલું હોય. 

ભગવાન મંદીરોમાં નથી.ત્યાંતો પથ્થરની મૂર્તિઓ હોય છે, જે આતંકવાદીઓથી પોતાની જાતનું પણ રક્ષણ કરવા અસમર્થ છે. એ તો તમારી શ્રધ્ધા જ એમને ભગવાન બનાવે છે. 

ભગવાન તમારા અને મારા હ્રદયમાં જ છે. તમે અંતરને ડંખે એવું કાર્ય ન કરતા હો તો તમારે મંદીરોના પગથિયા ઘસવાની જરુર નથી. સવાર-સાંજ તમારા જે કોઇ ઇષ્ટદેવ હોય એનું સ્મરણ કરી લો એટલે પત્યું !

નવીન બેન્કર-

 

 

 

                     .

મહાભારતની એક રોમેન્ટીક કથા- નવીન બેન્કરની નજરે

August 28th, 2015 Posted in સંકલન્

મહાભારતની  એક  રોમેન્ટીક કથા-  નવીન બેન્કરની નજરે

યમુનાના વહેણમાં એક નૌકા સરતી સરતી કિનારા તરફ જઈ રહી હતી. એ નૌકા ચલાવનારી શ્યામ આંખોવાળી ( અસિતલોચના) મત્સ્યકન્યાનું નામ સત્યવતી હતું. એ માછીમારની પુત્રી હતી. સત્યવતીનું સૌંદર્ય  અનુપમ હતું.પરંતુ એના શરીરમાંથી માછલીની ગંધ પ્રસરતી હતી. આ સત્યવતીની નાવમાં ઋષિ પરાશર બેઠા હતા. મહાભારત કાળમાં સ્ત્રીઓ આજીવિકા અર્થે કામ કરતી હતી.
માછલીની ગંધથી ગંધાતી છતાં એ અનુપમ લાવણ્યમયી યુવતી પર પેલા મહામૂનિ, જ્ઞાની,  તપસ્વી એવા પરાશર મુનિ મોહી પડ્યા અને અત્યંત કામવશ બનેલા એ કહેવાતા ઋષિએ મધુર મધુર વાતો કરીને સત્યવતીને લલચાવી અને પોતાના બાહુપાશમાં જકડી લીધી. પોતે ના પાડશે તો ઋષિ શ્રાપ આપશે એવી બીકને લીધે સત્યવતી એ કહેવાતા ઋષિને ના ન પાડી શકી અને પરાશર મુનિ સાથે ચાલુ નાવે જ મૈથુનાનંદમાં એકાકાર થઈ ગઈ. ( આજના જમાનામાં ચાલુ બસમાં કે ટ્રેનમાં કામાવશ પુરુષો બળાત્કાર કરી બેસે છે એવું મહાભારતના જમાનામાં પણ થતું હશે એવું આ કથામાંથી જણાઇ આવે છે. )
નાવ એક ટાપુ પર પહોંચી ત્યારે ઋષિએ સત્યવતીને કહ્યું કે- ‘આપણા આ સંભોગને કારણે મારા થકી પેદા થયેલા આ ગર્ભનું તું જતન કરજે અને તને ભવિષ્યમાં લગ્ન કરવામાં કોઇ જાતની તકલીફ ન પડે એ માટે તેં મારી સાથે સંભોગ કર્યો છે તે છતાં તું કૌમાયાવસ્થાને ( વર્જીનીટી ) પ્રાપ્ત કરીશ અને તારા શરીરમાંથી  આ જે માછલીની દુર્ગંધ આવે છે તેને હું દૂર કરી દઈને જીવનભર ટકે એવી અને દુર દુર સુધી ફેલાય એવી સુગંધનું વરદાન આપું છું. હવે પછી તું યોજનગંધા તરીકે ઓળખાઇશ, આમ, મત્સ્યગંધા, યોજનગંધા બની ગઈ.
આ કથામાંથી શું તારતમ્ય નીકળે છે એ તમે સમજ્યા ?  માછલી જેવી ગંધથી ગંધાતી હોય પણ સ્ત્રી જો રુપાળી હોય તો ગમે તેવા જ્ઞાની-મુની ઋષિ પણ ચાલુ નાવમાં ‘શ્રીરામ શ્રીરામ’ કરવા (!)  તત્પર થઈ જાય છે. એ વખતે પેલી  ગંધ પણ એમને નથી આવતી. આજે રજસ્વલા સ્ત્રી સાથે આવા કારણોસર પુરુષો સમાગમ કરવાનું ટાળતા હોય છે.
પરાશર મુનિ અને સત્યવતીના સંભોગથી એક પુત્રરત્નનો જન્મ થયો. એ પુત્ર તે મહર્ષિ વેદવ્યાસ. લગ્ન વગર માતા બની ચુકેલી સ્ત્રીનું સંતાન એ કૃષ્ણદ્વૈપાયન કહેવાતા વ્યાસમુનિ. આ જ સ્ત્રી, પાછળથી ભીષ્મપિતાની માતા બની.
હવે આગળ વાંચો આ સત્યવતીની કથા.
ઋષિ પરાશરના વરદાનને કારણે એનું લાવણ્ય, અનન્યપુર્વા ( વર્જીન)  બનેલી આ સ્ત્રી એટલી તો નયનમનોહર અને હૃદયલુભાવન બની ગયું હતું કે હસ્તિનાપુરના રાજા  મહારાજા શાંતનુ  એની નાવમાં નદી પાર કરવા બેઠા ત્યારે એના પર મોહાંધ બની ગયા. એ સમયે રાજા શાંતનુ આઠ આઠ પુત્રોના પિતા બની ચૂકેલા અને એમનો આઠમો પુત્ર એ દેવવ્રત કે જે પાછળથી ભિષ્મ પિતા કહેવાયો. દેવવ્રતને યુવરાજપદે સ્થાપ્યા પછી અને પત્નીની ચિરવિદાય પછી છત્રીસ વર્ષ સુધી પત્ની વગરનું શુષ્ક જીવન વિતાવ્યા બાદ, વનવિહાર કરવા નીકળેલા આ વૃદ્ધ રાજા સત્યવતી પર મોહી પડ્યા અને લગ્ન કરવાની માંગણી કરી. એ જમાનામાં પણ  પૈસાપાત્ર વૃદ્ધો પૈસા અને સત્તાના જોરે રુપાળી યુવાન સ્ત્રીઓને પત્ની બનાવતા હતા.
પછીની વાત તો બધા જાણે છે જ કે વૃદ્ધ પિતાની ઇચ્છા પુરી કરવા યુવાન દેવવ્રતે આજીવન લગ્ન નહીં કરવાની  ભીષ્મ પ્રતિજ્ઞા લીધી અને  ઘરડા બાપને યુવાન સ્ત્રી સાથે પરણાવ્યા. ઉત્કટ પિતૃપ્રેમને કારણે રાજા યયાતિના પુત્ર પુરુએ પણ પોતાનું યૌવન પિતાને સમર્પી દઈને  અકાળે વૃદ્ધાવસ્થા સ્વીકારી લીધેલી.
માણસ સમૃધ્ધ હોય, સમર્થ હોય, સત્તાવાન હોય ( અને  NRI  હોય તો ) ત્યારે એને ગમે તે ઉંમરે કામેચ્છા થતી હોય છે અને એ પુર્ણ કરવા , પોતાના જીવનને નવપલ્લવિત કરવા  એ યુવાન સ્ત્રીની શોધ કરતો જ હોય છે.પુનર્લગ્ન કરવા માટે પણ એ ચાલીસથી નીચેની ( મેનોપોઝ અને થાઈરોઇડ વગરની ) રુપાળી સ્ત્રીને જ પ્રાધાન્ય આપતો હોય છે. એ વાત જુદી છે કે એ રુપાળી સ્ત્રી પરણે સમર્થ વૃદ્ધને અને શોધે યુવાન બોયફ્રેન્ડ !  અને… એ જમાનામાં  DNA TEST તો થતા જ નહોતા ને !
ઇન્દ્ર જેવા ઇન્દ્ર પણ કોઇ ઋષિનું સ્વરુપ લઈને, ઋષિની ગેરહાજરીમાં ઋષિપત્ની સાથે સમાગમ કરી આવ્યાના દાખલા પુરાણોમાંથી મળી આવે છે. ભગવાન શંકર પણ ભીલડી પર મોહી પડેલા.
સત્યવતીને બે પુત્રો થયા. ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય. એમના પુત્રો તે પાંડુ અને ધૃતરાષ્ટ્ર. અને એમના સંતાનો તે પાંડવો અને કૌરવો…પણ આપણને એમની વાતોમાં રસ નથી.
દ્રૌપદી જેવી અતિ સૌંદર્યવાન સ્ત્રીના પતિ થયા પછી પણ અર્જુને, વનવાસ દરમ્યાન આઠ આઠ સ્ત્રીઓ સાથે લગ્ન કરેલા. ભીમે પણ હેડમ્બા સાથે ‘શ્રીરામ  શ્રીરામ’ કરેલું.
મહાભારતમાં તો એટલી બધી આવી કથાઓ છે કે આજથી ૪૮ વર્ષ પહેલાં (૧૯૬૬માં ) મેં આ વાતોને મારી નજરે, મારી રોમેન્ટીક શૈલિમાં લખીને છપાવેલી ત્યારે, ગુજરાત સરકારે  મને કારણદર્શક નોટીસ મોકલેલી અને એક પુસ્તક પર તો કેસ પણ ઠોકી દીધો હતો. અંગત મિત્રોને જ્યારે હું એ કેસના હિયરીંગની  સીલસીલાબંધ વિગતો કહું છું ત્યારે લોકોને સાંભળવાની ખુબ મજા આવે છે.

આ કથા, મહાભારતની છે એટલે કોઇએ નાકનું ટીચકુ ચઢાવવાની જરુર નથી.

 
 

Navin Banker  (713-818-4239)
My Blog : navinbanker.gujaratisahityasarita.org
Ek Anubhuti : Ek Ahesas.

Kindly remove my name and    address before forwarding this e-mail. We    have no control over who will see forwarded messages! This keeps all our    Personal

‘ના’ કહેવાની કળા – નવીન બેન્કર

August 28th, 2015 Posted in અનુભૂતિ

 ‘ના’ કહેવાની કળા                  – નવીન બેન્કર

‘ના’  કહેવાની પણ એક કળા છે, જે ઘણાંને સાધ્ય નથી હોતી. સામાને ખરાબ ન લાગે એવી રીતે વિવેકપુર્ણ ના કહી દેવાથી ઘણી મૂશ્કેલ પરિસ્થિતિઓમાંથી તમે તમારી જાતને બચાવી શકો છો.
 
મારા એક મિત્ર પ્રવિણભાઇ છે. એ કોઇને ‘ના’ કહી જ શકતા નથી. હું એમને છેક બાળપણથી ઓળખું છું.  શાળામાંથી ગુલ્લી મારીને, પ્રતાપ સિનેમામાં પાંચ આનાની ટીકીટમાં પિક્ચર જોવા માટે હું ‘પાવલા’ને ( એ વખતે હું એને પાવલો કહીને બોલાવતો અને એ , મને  નવલો કહેતો.એનામાં ગુલ્લી મારવાની હિંમત જ નહી. પણ મને ના ન પાડી શકતો અને પછી ઘેર ગયા બાદ એની મા-જયામાસી- એની ધોલાઇ કરતા અને હું મારા ઘરમાં સાંભળું એમ મોટેથી કહેતા- ‘ખબરદાર..ખરાબ છોકરાઓની વાદે ચડીને ફિલમ-નાટકને રવાડે ચડ્યો  છું તો !’  કોઇ ઉછીના માંગે તો યે, આનો-બે આના ઉધાર આપી દે. પાછળથી એ બેંકનો મોટો ઓફીસર થઈ ગયેલો અને રીટાયરમેન્ટ સમયે, કોઇ ધપલા માટે એની ધરપકડ થયેલી અને પોલીસ-કસ્ટડીમાં પોલીસના ધોલ-ધપ્પા તેમજ  ડંડા ખાવા પડેલા. જો કે પાછળથી એની નિર્દોષતા સાબિત થતાં છૂટકારો થયેલો.પણ આના મૂળમાં યે, કાગળો તપાસ્યા વગર સહી કરી દેવાની અને ‘ ના’ નહીં પાડી શકવાનું  કારણ જ હતું.
મારા એક બીજા મિત્ર તો અમેરિકામાં જ છે. એકદમ સીધા, સાદા, ભગવાનના માણસ. પુરી પ્રામાણિકતાથી એક સ્ટોર ચલાવે.  એમના સાળાઓ મોટેલના અને ગેસ-સ્ટેશનના ધંધામાં ખુબ કમાયા એ જોઇને એમણે પણ એ ધંધાઓમાં ઝુકાવી દીધું. આ બન્ને ધંધામાં ખુબ પૈસા છે એ સાચું,પણ એ કમાવા માટે કેટલીક પાયાની આંટીઘુંટી આવડવી જોઇએ. એ આવડત  આ મિત્રમાં ન મળે. ભાગીદારો ધંધો ચલાવે અને બેન્કના જે કાગળો પર સહીઓ કરાવે ત્યાં વિશ્વાસે સહીઓ કરી નાંખે. ના કહેવાની આવડત જ નહીં. પરિણામે એપાર્ટમેન્ટમાં રહેનારા એ નોકરિયાતો, ભાગીદારો બનીને પાંચ પાંચ મોટલોના માલિક અને ઇન્ડીયામાં મોટી મોટી પ્રોપર્ટીઓના બિલ્ડરો બની ગયા.અને એ સજ્જન મિત્ર આજે ય મોટેલોની બેન્ક લોનના હપ્તા, ઇન્ટરેસ્ટ અને પેનલ્ટીઓ ચૂકવ્યા કરે છે. એના મૂળમાં ય આ ‘ના’ કહેવાની કળાનું અજ્ઞાન હતું એમ મને લાગે છે.   

દુનિયાને, તમારી આસપાસના જગતને તમે ખૂબ ગંભીરતાથી લેતા થઈ જાઓ છો ત્યારે તમારી અંદર રહેલી માસૂમિયત, તમારી નિર્દોષતા તમે ગુમાવી બેસો છો. પરિણામ શું આવે છે એનું? તદ્દન નહીં જેવી બાબતોમાં તમે તમારી જાતને વેરવિખેર થઈ જતી જુઓ છો. તમારા પાડોશી મંછામાસીનો જ દાખલો લો. તમારા કહેવા પ્રમાણે તમે તમારી સીડી ઉતરીને કાર પાસે આવો ત્યાં તો, મંછામાસી દોડતા આવીને તમારી પાસે લીફ્ટ માંગે છે. કોઇપણ જરુરિયાતમંદને લીફ્ટ આપવી જોઇએ પણ અહીંતો, મંછામાસીના હસબંડ પાસે ય કાર છે, એમના બે દીકરાઓ પાસે ય કાર છે અને પુત્રવધૂ પાસે ય કાર છે. છતાં મંછામાસી તમારી પાસે જ કેમ લીફ્ટ માંગે છે ? મંછામાસીને બધા અવગણે છે, એમની પાસે જોબ કરાવવી છે, એમની પાસે રસોઇ કરાવવી છે, પણ એમને મંદીરે લઇ જવા કે સિનિયર્સની મીટીંગમાં લઈ જવા કોઇ તૈયાર નથી. તમે ના કહેવાની કળા જાણતા નથી એટલે તમારા અગત્યના કામની એપોઇન્ટમેન્ટને ભોગે પણ તૈયાર થઈ જાવ છો અને મંછામાસી એનો લાભ ઉઠાવ્યા કરે છે.

બીજો દાખલો તમારી બહેનપણી અને પાડોશી પેલી હંસા અને રીના નો છે. તમને બન્ને નથી ગમતી. એમના અને તમારા વિચારોમાં આસમાન-જમીનનો તફાવત છે.તમારી વચ્ચે કશું સામ્ય નથી. ઉપરથી એ બન્ને તમારી ઇર્ષ્યા કરે છે, અને તમને બદનામ કરવાની એકે ય તક છોડતી નથી. છતાં તમે એમને મળો છો, એમની સાથે ન જવા જેવી જગ્યાઓ પર પણ જાવ છો. શા માટે ?

હું આ બધું તમને કહું છું પણ હું યે ક્યારેક ‘ના’ કહેવાની કળા નહોતો જાણતો એટલે મેં ય ઘણાં પૈસા ગુમાવ્યા જ છે. દસેક વર્ષ પહેલાં એક મિત્રને રેસ્ટોરન્ટ ખરીદવા મેં લોન આપેલી. એ રેસ્ટોરન્ટ ન ચાલી અને બંધ કરવી પડી. આજસુધી એ પૈસા નથી ચૂકવી શક્યો. ઇન્ડીયામાં મંદીના સમયે કોઇ મિત્રને ધંધા માટે પૈસા આપેલા એ હજુ પાછા નથી મળ્યા.

હવે કોઇ પૈસા ઉછીના માંગે તો હું સવિનય અને શબ્દો ચોર્યા વગર ‘ના’ પાડી દઉં છું.  અમેરિકામાં ૩૩ વર્ષ રહ્યા પછી કોઇ કહે કે મારી પાસે પૈસા નથી તો કોઇ ના માને. ( હા ! અમેરીકાની સરકાર જરુર માને. તમારા પૈસા બેન્કમાં ન હોવા જોઇએ. સરકાર તમને મેડીકેઈડ અને ફૂડ કુપન્સ આપે  એ અલગ વાત છે.)

 હવે, હું કહી દઉં છું કે-‘ ભાઇ, મારી પાસે પૈસા તો છે. પણ આપવાની મારી દાનત નથી.હું એ પૈસા મારી સાથે ઉપર લઈ જવાનો નથી પણ એ અંગે મેં વ્યવસ્થા કરી રાખેલી છે. અને હવે, આ ઉંમરે તમને આપીને, મારે સિરદર્દ લેવું નથી. મારી પાસે ઉછીના આપેલા પાછા મેળવવાનો સમય પણ રહ્યો નથી. અને મારી પત્નીને, પોતાના જ પૈસા માટે પાછલી ઉંમરે ટળવળવાનો કે કરગરવાનો વારો આવે એવું હું નથી ઇચ્છતો. એટલે તમે બીજે ક્યાંકથી સગવડ કરી લેજો.’

આસપાસની વિષમતાઓ, બીજાઓમાં રહેલી અટપટી અને અકળાવનારી વર્તણૂકો તથા જિંદગીના પ્રવાસમાં રોજિંદી બની ગયેલી તડકીછાંયડીઓ તરફ તટસ્થ રહેવાનો એક જ ઈલાજ છે -એમને અવગણવાનો અને સ્પષ્ટપણે કહી દેવાનો કે આઇ એમ નોટ કમ્ફર્ટેબલ વીથ યુ. લીવ મી એલોન. ડુ નોટ કોલ મી એન્ડ ડુ નોટ ડીસ્ટર્બ મી. 

ખરાબ દુનિયામાં રહીને માણસ પોતે પણ પોતાના અંત:સત્વને એવું જ ખરાબ બનવા દે તો પછી એવી પરિસ્થિતિમાંથી ઊગરવાની કોઈ શક્યતા બચતી જ નથી. દુનિયાને તમે બદલી શકતા નથી અને તમે પોતે પણ બદલાવા નથી માગતા કે દુનિયા જેવા થઈ જવા નથી માગતા. આટલું સ્વીકારી લીધા પછી પણ એક હકીકત તો રહે છે જ કે તમારે આ જ દુનિયામાં રહેવાનું છે, આ જ લોકો તમારી આસપાસ હશે એવા વાતાવરણમાં રહેવાનું છે. 

 સતત કાવાદાવાઓમાં રાચતી વ્યક્તિ કે હંમેશાં સાચાનું જુઠ્ઠું અને જુઠ્ઠાનું સાચું કરનારી વ્યક્તિને ઓળખી લીધા પછી એનાથી કિનારો જ કરી લેવામાં મજા છે. 

સામા માણસને એકવાર ખોટુ લાગશે પણ પછી શાંતિ થઈ જશે.

 

સુખી થવું હોય તો સવિનય ‘ના’ કહેતાં શીખો.

નવીન બેન્કર- એક બહુમુખી પ્રતિભા અને બહુરંગી વ્યક્તિત્વ.

 

 

 

નવીન બેન્કર-  એક બહુમુખી પ્રતિભા અને બહુરંગી વ્યક્તિત્વ. 

નવીન બેંકર એટલે એક મસ્ત મઝાનારંગીલા,રસીલા,મળતાવડાનિખાલસઉમદા અને ખુબ  ઊર્મિશીલ માનવતેમની કલમ એટલે કમાલ ! અજબનો જાદૂઅમેરિકન ફિલ્મ હોય કે ગુજરાતી નાટકવ્યક્તિ પરિચય હોય કે હ્યુસ્ટનની કોઈપણ સંસ્થાની પ્રવૃત્તિ;તેમનું અવલોકન અને અહેવાલ આબાદ  હોયનાટકસિનેમાફોટા,સંગીત અને લેખન તેમના મુખ્ય રસના વિષયો.

સંકટભરી  જીંદગીથી હારનારો હું નથી,સાગર ડુબાડી દે મને તેવો કિનારો હું નથી.” એવી જુસ્સાદાર શાયરીઓ ગણગણવાના નાનપણથી શોખીનતો વળી નજર સામે સતત ‘ દિવસો પણ વહી જશેનું સૂત્ર રાખી જીવનના ચડાવઊતારની ફિકરનેફાકી કરી ફરનાર અલગારી પણ લાગે.

આજે તેમના ભીતરમાં ડોકિયું કરી વિશેષ પરિચય કરીએ૧૯૪૧માં ભૂડાસણ નામે નાનકડાં ગામમાં તેમનો જન્મઉછેર અમદાવાદમાં અને ૧૯૭૯થી અમેરિકામાં સ્થાયી થયાં છેતેમના દાદા શરાફી પેઢી ચલાવતા અને ઘણાં ધનિકપણ કાળે કરીને સઘળું ઘસાતું ચાલ્યુંતેથી પિતાની સ્થિતિ અતિ સામાન્યનાની ચાર બેનો અને એક નાનો ભાઈપોતે સૌથી મોટાંચૌદથી અઢાર વર્ષની કિશોરાવસ્થામાં  છોકરો અમદાવાદમાં દોઢસો જેટલી જગાએ છાપાં નાંખવા જતો.પગમાં જુતિયાં પણ નહિ અને બપોરે ધોમધખતા તાપમાં છાપાનાં ‘વધારાપણ બૂમો પાડીને ખપાવવા જતો.દિવાળી ટાણે ખભે પાટિયું ભરાવી માણેકચોકમાં દારુખાનું વેચતો અને ઉતરાણના આગલા દિવસોમાં પતંગ દોરી પણ વેચવા નીકળતોઅરે બધા કામો કરતાં કરતાં ૧૯૫૬માં મહાગુજરાતના તોફાનોમાં છાપાવાળા તરીકેનો પાસ હોવા છતાં પોલીસનો માર ખાઈ જેલ પણ વેઠેલી !
આર્થિક સંકડામણોની વચ્ચે ઝઝુમતા નવીન બેંકર ૧૯૬૨માં બી.કોમથયાંસરકારી ઑડિટર તરીકે અમદાવાદની એકાઉન્ટન્ટ જનરલની ઑફિસમાં પૂરાં ૨૩ વર્ષ કામ કર્યું. આ ખર્ચા નિયમનનું કામ તેમણે બરાબર ખબરદારી અને રુઆબભેર કર્યુંઆજે પણ તેમને લાગે છે કે જીંદગીનો  દોર સુવર્ણકાળ હતો.
બાવીસની ઉંમરે કેન્દ્રિય સચિવાલય હિન્દી પરિષદ યોજિત “પ્રેમચંદજીકી સાહિત્ય સેવા”  વિષય પર વક્તૃત્વ સ્પર્ધામાં વૈવિધ્યપૂર્ણ વક્તવ્ય આપ્યું હતુ અનેપ્રથમ ઇનામપણમેળવેલું. તેમાં તેમની વાક્છટ દાદપાત્ર બની હતીસિનેમા અને નાટકો પ્રત્યેના અનુરાગે લેખનનો છંદ લગાડ્યો અને પછી તો   જીવનનો રંગ બની ગયો૧૯૬૨માં નવીનભાઈની પહેલી વાર્તા ‘પુનરાવર્તન’ કોલેજના વાર્ષિક અંકમાં છપાયેલીઅનંતરાય રાવળ, રમણલાલ જોશી, અશોક હર્ષ અને પીતાંબર પટેલે તેમને નવલિકાલેખન અંગે માર્ગદર્શન આપેલું. ત્યાર પછી ‘સ્ત્રીઓ અને સરકારી નોકરી’ કટાક્ષિકા, ’દિલ એક મંદિર’ ‘ ચાંદની’ માં પ્રગટ થઈ.ત્યારથી વાર્તાલેખનમાં વેગ આવ્યોઉપરાછાપરી સવાસો જેટલી તેમની નવલિકાઓ જુદા જુદા મેગેઝીનોમાં પ્રકાશિત થતી રહીસ્ત્રીશ્રીમહેંદીશ્રીરંગ ડાયજેસ્ટ,આરામમુંબઈ સમાચારકંકાવટીજન્મભૂમિ પ્રવાસીનવચેતન વગેરેમાં છપાતી રહી.તેમની ઘણી વાર્તાઓને ઈનામો પણ મળ્યાંઆમાંથી પાંચ વાર્તાસંગ્રહો બન્યાં.” હેમવર્ષા’, ‘અરમાનોની આતશબાજી’, રંગભીની રાત્યુંના સમ’,’કલંકિત’ અને ‘પરાઈ ડાળનું પંખી’.  ૧૮ જેટલી રોમેન્ટીક રંગભીની રાત્યુંના સમ’,’કલંકિત’ અને ‘પરાઈ ડાળનું પંખી’.  ૧૮ જેટલી રોમેન્ટીક પોકેટબુક્સ પણ ૧૯૬૪ થી ૧૯૭૧ દરમ્યાન પ્રસિધ્ધ થઈ હતી. એ જમાનામાં, બે રુપિયાની કિંમતમાં ૯૬ પાનાની પોકેટબુકોનું ચલણ હતું. રસિક મહેતા, કોલક, લક્ષ્મીકાંત વોરા..એમના જમાનાના જાણીતા લેખકો. આ પોકેટબુકો એસ.ટી સ્ટેન્ડો પર વધુ વેચાતી.
નવીનભાઈ કહે છે તેમ તેમની વાર્તાને અંગત જીવન સાથે સીધો સંબંધ છે.હ્રદયમાં હેલે ચઢેલી ઊર્મિઓએ તેમની પાસે વાર્તા લખાવી છે.તેમની કલ્પનાની ત્રિજ્યા , જીવનના વર્તુળ બહાર જઈ શકી નથીઆભને અડવા કરતાં વાસ્તવિકતાની નક્કર ધરતી પર સહજ રીતે  તેમની  કલમ સરી છેઅતીતમાં જઈ વાર્તાના ઉપાડ અને ઉઘાડની તેમની શૈલીની રસાળતા ઘણી સફળ અને વાંચકને  જકડનારી રહી છે.
૧૯૬૪થી ૧૯૭૭ સુધી તેમણે  ડઝનેક એકાંકીઓ અને  કેટલાક  ત્રિઅંકી નાટકોમાં કામ કર્યું હતું૧૯૭૦ થી ૧૯૭૪ દરમ્યાન ગુજરાતી રંગમંચ અને ફિલ્મી જગતના જાણીતા કલાકારોની વ્યક્તિગત મુલાકાત અંગેના લેખો  સ્વ. ચાંપશી ઉદ્દેશીના નવચેતનમાં દર મહિને નિયમિત છપાતા.. , પ્રતાપ ઓઝામાર્કન્ડ ભટ્ટ,અરવિંદ પંડ્યામનહર રસકપૂર ,પ્રાણસુખ નાયક, .પી.ખરસાણી , સ્વ.વિજય દત્ત, નરોત્તમ શાહ, દામિની મહેતા, જશવંત ઠાકર, દીનેશ શુક્લ, નલીન દવે વગેરે.નામોની યાદી તો ખુબ લાંબી છે પણ મુખ્યત્વે  છે૧૯૭૯માં અમેરિકા આવ્યાંન્યુયોર્કની ‘Russ Togs ‘નામની કંપનીમાં અને સબ-વે સ્ટેશનો પરના કેન્ડી સ્ટોરોમાં અર્થઉપાર્જનના કામની સાથે સાથે ઈતર પ્રવૃત્તિઓ પણ ચાલુ રહી. ફિલ્મો, ગુજરાતી નાટકોના અહેવાલ, અવલોકનો આદિ વિષય પરના તેમના અભ્યાસપૂર્ણ લેખો  ‘ગુજરાત ટાઈમ્સ’, ગુજરાત સમાચાર’,  ‘નયા પડકાર’ વગેરેમાં આવતા રહ્યાં.પહેલાં તો  લેખોની તેઓ અનુક્રમણિકા રાખતા.૧૯૯૧૯૫ દરમ્યાન  આંકડો ૧૦૭ સુધી પહોંચી ગયોપછી તો  દિનચર્યા છોડી દીધી૧૯૮૬માં ન્યુયોર્કના ગુજરાતી સમાજે યોજેલી એક નાટ્ય હરિફાઈમાં નવીન બેંકર દિગ્દર્શિત નાટક ‘ધનાજીનું ધીંગાણુ’ રજૂ થયેલું જેમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી૧૯૮૮માં હ્યુસ્ટન સ્થળાંતર કર્યા પછી હ્યુસ્ટન નાટય કલાવૃંદ સાથે જોડાયા અને  ક્યારેક મહાભારત’ના અંધ ધૃતરાષ્ટ્ર બને તો ‘શોલે’ના કાલિયાનો રોલ કરે. હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાઅને સીનીયર  સિટીઝન એસોસિયેશન સાથે પણ જોડાયા.દરેક સંસ્થાની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે તે અચૂક હાથબઢાવે નાટક સ્પોન્સર કરતાં પહેલાં પ્રમોટર, તે નાટકના કલાકારો અંગે નવીનભાઇનો અભિપ્રાય પૂછે. જૂની અવેતન રંગભૂમિના નાટકોથી માંડીને આજના નાટકો સુધીનું, તેમનું જ્ઞાન અજોડ છે.
નવીનભાઈને એક કામ અતિ પ્રિય રહ્યું છે અને તે નાટ્યમંચ કે ફિલ્મ જગતની કોઈપણ વ્યક્તિ હ્યુસ્ટનમાં આવે ત્યારે તેમની સાથેની મુલાકાત અને વાર્તાલાપનું આલેખનઆવનાર વ્યક્તિ પણ તેમને મળીને અચૂક કૃતકૃત્ય થઈ જાય અંગેની રસપ્રદ વાતો  નવીનભાઇના મુખે સાંભળવાની મઝા આવે.અને આલ્બમ જુઓ તો નવાઈ  પામોમન્નાડેઆશા ભોંસલેઅનુ મલિક,.આરરહેમાન,ધર્મેન્દ્રઅમીરખાનઅક્ષયકુમારબબીતાકરિશ્માપ્રીતિ ઝીન્ટા,પરેશ રાવલપદમારાણી,ફાલ્ગુની પાઠક, નાના પાટેકર, અનિલકપૂર,ઐશ્વર્યારાય,અમિતાભ બચ્ચન, સલમાનખાન અને આવાં બીજાં તો અનેક..નવીન બેંકરની દરેક સાથે તસ્વીર તો હોય  ! આમાનાં ઘણાં કલાકારોને પોતાની કારમાં બેસાડીને હિલક્રોફ્ટ પરના ઇન્ડીયન સ્ટોરોમાં, હિન્દી ચલચિત્રો દર્શાવતા સિનેમા થિયેટરોમાં અને હોટલોમાં લઈ ગયા છે. શો કરવા આવતા કલાકારોને હોટલ પરથી લાવવા લઇ જવાની, સ્ટેજ પરની વ્યવસ્થામાં મદદ કરવાની  કામગિરીની રોમાંચક વાતોનો તો તેમની પાસે ખજાનો છે.અત્યાર સુધીમાં તેમણે ૨૦૦ જેટલાં અહેવાલો લખ્યાં છેકોઈ સંસ્થામાં આગેવાનીનું પદ  લેકોઇ કમિટીમાં મેમ્બર  પણ નહીં. પોઝીશનનો જરા યે મોહ નહિ પણ મૂક સેવક રહેવાનું પસંદ કરે૨૦૧૦ની સાલમાં હ્યુસ્ટનના વરિષ્ઠ મંડળે નવીનભાઈના  પ્રદાનને સન્માનપત્રથી નવાજ્યું છેઇન્ડિય કલ્ચરલ સેન્ટર ઓફ હ્યુસ્ટને તેમને ‘સ્પીરીટ ઓફ ટાગોર એવોર્ડ’  કોન્સ્યુલર જનરલના શુભ હસ્તે ,૧૫મી ઓગસ્ટના સમારોહમાં, એનાયત કર્યો છે.
૨૦૧૩માં તેમના લગ્નને ૫૦ વર્ષ પૂરાં થયા અને પત્ની કોકિલા સાથે પ્રસન્ન દાંપત્ય માણી રહ્યા છેમંદિરમાં ભજન ચાલતું હોય કે ક્યાંક  સંગીત ચાલતું હોય તો ખંજરી લઈ વગાડવા બેસી જવાનું તેમને ખુબ ગમેબંસરી વાદન પણ કરી જાણે.ગાડી ચલાવતાં ચલાવતાં ગીતો ગણગણવાનું પણ ચૂકે નહિહજી આજે ૭૩ વર્ષે પણ ભારત જાય ત્યારે અમદાવાદની સાંજે ઠાકોરભાઈ દેસાઈ  હોલનમાં જઈ નાટકો જોવા જાય .ભગવતીકુમાર શર્મારજનીકુમાર પંડ્યા સિધ્ધાર્થ રાંદેરિયા,અશોક દવે વિનોદ ભટ્ટવગેરેને અવશ્ય મળેઅમદાવાદનાં પોતાના મકાનમાં જઈએકાંત મહેસૂસ કરી,ખુદમાં ખોવાઈ જવાની વાતો હવે કરે છેકારણ કેદરિયા કિનારે રેતીમાં પડેલાં છીપલાં જેવા સંસ્મરણોને વાગોળવામાં પણ તેમને મઝા આવે છે છીપલાં પણ કેવાખુબ અમોલા પણ વ્યવહાર જગતમાં એનું મૂલ્ય ?  –કશું નહિ !
ઇન્ટરનેટ પર તેમનો એક બ્લોગ પણ છે.  બ્લોકનું નામ છે- ;એક અનૂભુતિ  એક અહેસાસ’. ‘મારા સંસ્મરણો’ શિર્ષક હેઠળ પોતાની આત્મકથાના પાનાં ત્યાં ખુલ્લા કર્યા છે. કેટલાક રેખાચિત્રો પણ આલેખ્યા છે.
બહુરંગી વ્યક્તિત્વ અને બહુમુખી પ્રતિભા ધરાવતા નિખાલસ નવીન બેંકરના ખજાનામાં આવું ઘણું  બધું છેકશી યે ઓછપનીક્યારે  ફરિયાદ વગરનાની નાની વાતોમાંથી મોટો આનંદ માણવો તે નાનીસૂની વાત નથીપોતાના ભાઈબહેનો પ્રત્યેનું વહાલ પણ અનન્ય છે.તેમાંની એક હું  હોવાનું ગૌરવ અનુભવું છુંઆજે  વિશેષ પરિચય લખીને મારી કલમને અને પૂસ્વ.માને ધન્ય સમજું છું.  અસ્તુ.
  દેવિકા રાહુલ ધ્રુવ, (હ્યુસ્ટન)
.
 
  Navin Banker                                  .
713-955-6226
http://navinbanker.gujaratisahityasarita.org/

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.