એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » 2015 » September » 01

મારે કંઈક કહેવું છે.

September 1st, 2015 Posted in મારા દિલની વાતો

જીવનના લગભગ સાત દાયકા વટાવ્યા બાદ હું મારા જીવનના સંસ્મરણો લખવા બેઠો છું.માનવજીવન સદાકાળ સુખદુખોથી,સમસ્યાઓથી,સોનેરી સ્વપ્નોથી,આશા-આકાંક્ષાઓથી અને ક્યારેક અસહ્ય વેદનાઓથી પણ વ્યાપ્ત થયેલું છે.
વર્ષો પહેલા પણ આવું જ હતું. આજે પણ એવું જ છે અને કાલે પણ એવું જ રહેવાનું છે.એના બાહ્યરુપમાં ભલે ફેરફાર થતાં હોય પણ એની સમસ્યાઓ નવા સ્વરુપો ધારણ કરતી જ રહેવાની અને મારા સંવેદનશીલ હ્ર્દયને આહવાહન આપતી જ રહેવાની.મારા અનુભવો કે મારા સંસ્મરણોને કાગળ પર ચિત્રિત કરવાની ક્ષમતા મારામાં છે એની મને પ્રતિતી થઈ ચુકી છે.છતાં જે વિષય પર મેં ૫૦ વર્ષ પહેલાં લખ્યું હોય એજ વિષય પર આજે આ ઉંમરે એટલે કે સિત્તેર વર્ષની ઉંમરે લખતાં થોડો ફેર તો પડવાનો જ.કારણ કે ૫૦ વર્ષ પહેલાં હું ૨૦ વર્ષનો,યુવાનીથી થનગનતો યુવાન હતો અને આજે ૭૦ વર્ષનો સિનિયર સિટિઝન છું.( જોયું, હજી વ્રુદ્ધ લખવાની હીંમત નથી ?). આ ઉંમરે અગાઉના કાવ્યાત્મક ભાવનું,ચિંતનશીલતામાં રુપાંતર થયું હોય એમ પણ બને ! આ વર્ષો દરમ્યાન મારા વ્યક્તિત્વમાં, મારા ગમા-અણગમામાં,પસંદગી,ધ્યેય,સ્વપ્નો બધું જ બદલાઈ ગયું હોઈ શકે.લખાણની રચના,શૈલીમાં પણ ફેર પડ્યો હશે.મારી પોતાની પણ કેટલીક સમસ્યાઓ છે.જેના મારે પોતાને ઉકેલ શોધવાના હોય છે. અને  એ સમસ્યાઓને વ્યક્તિગતમાંથી સમષ્ટીગત બનાવીને મારા મિત્રો, વાંચકો સમક્ષ રજુ કરવી હોય છે.એ માટે મારે પાત્રો સર્જવા પડે છે. કાગળ પરના એ પાત્રોને લોહીમાંસના બનેલા જીવતા માણસની માફક હરતાં ફરતાં અનુભવું છું. એ માટે મારો તર્ક,નિરીક્ષણ કલ્પના બધું જ કામે લગાડું છું. કાગળ પર ચિતરેલા એ પાત્રોમાં હું લખતી વખતે ખોવાઈ જાઊં છું. આ તો થઈ મારી વાર્તાઓની પાર્શ્વભુમિકા. આ પાનાઓ પર હું વાર્તાઓ નથી લખવાનો. મારી જિંદગીનાં કેટલાક સંસ્મરણો, મારા પરિચયમાં આવેલી કેટલીક વ્યક્તિઓના રેખાચિત્રો દોરવાનો છું.દા.ત. મારી દાદીમા,મારી મા, મારા પિતાશ્રી, મારા કાકા,મારી બહેનો,બનેવીઓ,મારી ખુબ વહાલી પત્ની,મારા અંગત મિત્રો,કેટલાક સાહિત્યકારો,કવિઓ,લેખકો,ફિલ્મી કલાકારો,નાટ્યજગતના ધુરંધરો,કેટલીક સંસ્થાઓના પ્રમુખો,ટ્રસ્ટીઓ,સંપાદકો, વગેરે..વગેરે..માત્ર અને માત્ર સત્ય જ લખવાનો મારો પ્રયાસ રહેશે. છતાં,ઘણી વખત આપણે જેને સત્ય માનતા હોઈયે એનો બીજો ચહેરો પણ હોઈ શકે.કાશ્મિર અંગેનું ભારતનું સત્ય એક હોય અને પાકિસ્તાનનું સત્ય અલગ પણ હોય એવું યે બને.છતાં શક્ય એટલી તટસ્થતાથી અને જે રીતે એ વ્યક્તિને મેં જોઈ હોય અને સમજ્યો હોઊ એ રીતે આલેખવાનો મારો પ્રયાસ રહેશે. મારા વ્યક્તિત્વના ઘડતરમાં જે જે વ્યક્તિઓનો ફાળૉ રહ્યો છે તેમને તો હું કેમ જ ભુલું ?  યાદ રહે કે આ મારી આત્મકથા નથી. આત્મકથામાં તો નિર્ભેળ સત્ય જ હોવું જોઈયે. એ તો માત્ર મહાત્મા ગાંધી જ કરી શકે. મારા જેવા ક્ષુદ્ર,પામર માનવીનું એ ગજુ નહીં એટલી સ્પષ્ટતા હું નિખાલસપણે કરવી જરુરી સમજું છું.અસ્તુ.

મુંબઈની કમાણી , મુંબાઇમાં સમાણી ( નાટ્ય-અવલોકન)

મુંબઈની કમાણી, મુંબઈમાં સમાણી (નાટ્ય-અવલોકન)

ગયા મહીને એટલે કે જુલાઈ ૨૦૧૧માં, જુના સ્ટેફોર્ડ સિવિક સેન્ટરના નાટ્યગ્રુહમાં ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીઝ ઓફ ઈન્ડીયા ( FFOI )ના ઉપક્રમે,સંગીતા શાહ નિર્મિત અને ઇમ્તિયાઝ પટેલ લિખિત અને દિગ્દર્શીત નાટક ‘મુંબઈની કમાણી, મુંબઈમાં સમાણી’ લગભગ આઠસો પ્રેક્ષકોની હાજરીમાં ભજવાઈ ગયું.
બે દીકરા…બે વહુઓ…એક સાસુ..અને નાની વહુનો બાપ..આટલા મુખ્ય પાત્રો. ઉપરાંત..તાર માસ્તર,ધોબી અને ગણપતિ ઉત્સવ માટે ફાળો ઉઘરાવનાર જેવા ગૌણ પાત્રો- જે એક જ કલાકાર ત્રણ ત્રણ ભૂમિકાઓ વેશ બદલી બદલીને ભજવે..સંયુક્ત કુટુંબમાં કરકસર કરી કરીને ઘર ચલાવવાની વાત પર રચાયેલા આ નાટકમાં ઝી ટીવીની સિરીયલોની જેમ, દેરાણી જેઠાણી અને સાસુનો કલહ ત્રિકોણ છે, નાનકડા કાવાદાવા પણ છે પણ અંતે સાસુની જીત થાય છે અને ખાધુ-પીધું ને રાજ કર્યું એવી વાત છે.
સાસુના પાત્રમાં રજની શાંતારામ સમગ્ર નાટકમાં છવાઈ જાય છે.સ્વ.કલ્પના દિવાન માટે જ લખાયેલી આ ભૂમિકા રજનીબેન સુપેરે ભજવી જાય છે.તેમના એકે એક સંવાદ પર, સ્વ-ઉક્તિઓ પર પ્રેક્ષકોની તાળીઓના ગડગડાટ થાય છે.
નાટકમાં ઘણાં કટાક્ષો છે. ક્રુષ્ણ જન્મોત્સવની ઉજવણી પર કટાક્ષ…ફરાળ કરીને થતી અગિયારસ પર કટાક્ષ… ગણપતિ-વિસર્જનની ઉજવણી પર કટાક્ષ.. ફાળો ઉઘરાવનારાઓ પર કટાક્ષ…
મોંઘવારી પર કટાક્ષ.. .અજમેરી બાબા પર કટાક્ષ…એમ ઘણાબધા કટાક્ષો પર હાસ્ય-નિષ્પન્ન થયું છે.
કેટલાક સચોટ સંવાદો પણ આ નાટકમાં છે જેના પર પ્રેક્ષકો મન મૂકીને તાળીઓની ખંડણી આપે છે. જુઓ..આ રહ્યા એ સંવાદોના કેટલાક નમૂના-
‘લગ્ન પહેલાં નારી અબળા હોય છે.લગ્ન પછી નર નબળા થઈ જાય છે.’
‘માંગનાર એની ઔકાત પ્રમાણે માંગે. આપનારે એની હેસિયત પ્રમાણે આપવું જોઇએ.’
‘અક્કલ બદામ ખાવાથી ન આવે- ઠોકર ખાવાથી આવે.’
‘સિંહની સવારી કરવી જ પડે તો સમતોલન પોતાના બચાવની ગુરુચાવી છે.’
-કહેવાની જરુર નથી કે આ બધા જ સંવાદો સાસુ-રજની શાંતારામ-ના મુખે જ બોલાવેલા છે.રજનીબેનના અભિનયમાં પ્રેક્ષકોને ક્યારેક લલિતા પવાર, ક્યારેક સ્વ.કલ્પના દિવાન તો ક્યારેક મેડમ માયાવતી પણ દેખાય છે. મોટા દીકરાની વહુ-હીનાવહુ-ના પાત્રમાં પરીંદા પટેલ અને નાના દીકરાની વહુ-પ્રેમાવહુ-ના પાત્રમાં શીતલ અંબાણી રજની શાંતારામને અભિનયમાં સારી એવી ટક્કર આપે છે. બે દીકરા-અલકેશ અને દીપેશ-ના પાત્રોમાં જીગર બુંદેલા તથા ભાવેશ ઝવેરી પણ પાત્રોચિત અભિનય કરી જાય છે. નાની વહુના બાપ-ધનેશભાઇ-નો રોલ કરનાર કલાકાર શ્રી.કુકુલ તારમાસ્તરે ધોબી,અને ગણપતિનો ફાળો ઉઘરાવનાર બબ્બનની ભૂમિકાઓ પણ સફળતાપુર્વક ભજવી હતી.
જો કે સમગ્ર નાટક તો હતું રજની શાંતારામનું જ.
છેક ૧૯૯૫થીએ હ્યુસ્ટનમાં ‘ફોઈ’ નામે ઓળખાતું FRIENDS AND FAMILIES OF INDIA ગ્રુપ ગુજરાતીઓમાં કાર્યરત છે. આ ગ્રુપના કર્તાહર્તા કીર્તીભાઇ પટેલ અને માનાજી ઠાકોર નામના બે સેવાભાવી સજ્જનો અને તેમને સહકાર આપનાર ગિરીશ નાઈક, મહેન્દ્ર દેસાઇ, અરુણ બેન્કર, અને તેમના અન્ય મિત્રો જ છે.એમની કોઇ ઓફીસ નથી, સંસ્થાનું કોઇ મકાન નથી, કોઇ હોદ્દેદારોની પોસ્ટ નથી.નવરાત્રિ પ્રસંગે ગરબા, દીવાળી ડીનર, નવા વર્ષની ઉજવણી જેવા બેચાર પ્રસંગો અને સારા સારા એકાદ-બે નાટકોનું આયોજન કરી, ખુબ જૂજ દરે ટીકીટો વેચીને ખર્ચો કાઢી લે છે.ગરબા વખતે પણ લોકલ કલાકારો અને લોકલ વાદ્યવ્રુંદ જ. સિરીયલ્સના કલાકારો અને મોંઘાદાટ હોલના ભાડાના ખર્ચા નહીં. સંસ્થામાં કોઇ હુંસાતોંસી નહીં. કોઇ ચુંટણી,કોઇ આક્ષેપો-પ્રતિઆક્ષેપો..કશું જ નહીં. અરે…પાર્કીંગ પ્લોટમાં કાર પાર્ક કરવા માટેનો કોઇ ચાર્જ પણ નહીં. ખર્ચો કાઢવા માટે પાંચ-સાત ડોલર જેવી જૂજ પ્રવેશ ફી માત્ર. હ્યુસ્ટનની અન્ય સંસ્થાઓના દીવાળી-ડીનર કરતાં ‘ફોઈ’ના ડીનરની સુરતી વાનગીઓ હંમેશાં વખણાય.
‘ફોઇ’ ગ્રુપને આવું સરસ નાટક રજૂ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન.
માહિતી સૌજન્ય અને તસ્વીરો- શ્રી. નવીન બેન્કર

અધોગતિનું મૂળ- અંધશ્રધ્ધા

ગઈકાલે એક મંદીરના પટાંગણમાં ,જ્યાં ભાગવત પારાયણ ચાલી રહી છે ત્યાં એક શુભ્રધવલ સદરો પહેરેલા પ્રતિભાશાળી ગુરુજી મળી ગયા. એ પોતે કથામાં બેઠા ન હતા. માત્ર સોશ્યલાઇઝેશનાર્થે અને પોતાના ‘ધામ’ના પ્રચારાર્થે તથા ‘મહાપ્રસાદ’નો લાભ લેવા જ પધારેલા હતા. આવા ગુરુજીઓનું માર્કેટ આવા મંદીરોમાં આવતા ભક્તો જ હોય છે. જે પરિચીત મળે તેને તેઓશ્રી. સમાચાર આપતા હતા કે આપણા ‘ધામ’ ની વાત તો હવે ગૂગલ પર પણ મૂકાઇ ગઈ છે.અને ફલાણા ફલાણા ‘અવતાર’ ( જીવંત માણસને જેમણે અવતાર તરીકે ઠઠાડી દીધા છે તે ) ના જન્મદિવસની ઉજવણી ઓગસ્ટ માસની અમુક તારીખે આપણે નક્કી કરી છે અને આમંત્રણો પણ મોકલાઇ રહ્યા છે. કોન્સ્યુલેટ પણ પધારવાના છે તો તમે જરુરથી પધારજો.
મારો દાવો છે કે હ્યુસ્ટનમાં એકે ય માણસ એ કહેવાતા ‘અવતાર’ વિશે કશું ય જાણતો નહીં હોય કે કશું સાંભળ્યું પણ નહીં હોય. છતાં મને ખાત્રી છે કે એમના જન્મદીનની ઉજવણીમાં ‘ ખાવા’ માટે અમૂક વર્ગ જવાનો, કોઇ મહાનુભાવો પણ જવાના, પછી પેલા બાજીગર એમના ફોટાઓ છપાવીને, કોઇ સાઉથ ઇન્ડીયન પત્રકાર પાસે અહેવાલ લખાવીને આટલા ‘ઘેટાનું ટોળુ’ આ ઉત્સવમાં હાજર હતું એવું છપાવશે. બીજી વખત પેલું ટોળુ વધારે સંખ્યામાં આવશે. અનુયાયીઓ વધતા જશે.ભવિષ્યમાં એક આખો સંપ્રદાય ઉભો થઈ જાય તો યે નવાઇ નહીં. બાજીગર ગુરુજીને ઘેટાનું ટોળુ વાંકા વળી વળીને ચરણસ્પર્શ કરશે. હમણાં થોડા સમય પહેલા આવા એક ‘માતાજી’ના ચરણસ્પર્શ કરતી સાઉથ-ઇન્ડીયન મહીલાઓને તો હ્યુસ્ટનની ધર્મપ્રેમી જનતાએ જોઇ જ છે.
આ છે આપણી અધોગતિનું મૂળ. -અંધશ્રધ્ધા.
કોઇના કહેવાથી કશું માની ના લો. કોઇ કહે કે આ ફલાણો અવતાર છે એટલે માની ના લો. પ્રશ્નો પુછો કે-‘ભાઇ, આપ આ વિભૂતિને ક્યારે મળ્યા ? એમણે કયા મહાન કાર્યો કર્યા છે ? આપે આ વિભૂતિનો સાક્ષાત્કાર કર્યો ખરો ? જો કર્યો છે તો એ સાક્ષાત્કારી અવતાર આપને ભોજન કેમ નથી આપતા અને આપે અમેરિકાની સરકારના ‘વેલફેર’ પર આપના ઓરીજીનલ નામે કેમ જીવવું પડે છે ? આપ આપની જાતને ફલાણા ‘પ્રભુ’ કહેવડાવો છો અને આપના વેલ્ફેરના ચેકો તો કોઇ બીજા જ નામે આવે છે. શા માટે ? આપના ‘ધામ’ની લીઝ કોના નામે છે ?’
એટલે એ ગુરુજી પોતાના અસલ સ્વરુપનું આપને દર્શન કરાવશે અને ત્રીજુ નેત્ર ખોલીને કહેશે-‘ આ શ્રધ્ધાનો વિષય છે. તમારા જેવા નાસ્તિક અને પાપી માણસ ધર્મનું હાર્દ જાણી શકે નહીં. તમે જ હિન્દુ ધર્મનું નિકંદન કાઢવા બેઠા છો.થોડા જ દિવસોમાં પ્રભુ તમને તમારા આ નાસ્તિક વિચારો માટે દંડ કરશે. પરચો દેખાડશે.’ ( તમે ડરપોક હશો તો ડરી જશો અને વિચારવા લાગશો કે ‘આપણે શું ?આપણે શું કરવા કોઇ દુશ્મન ઉભા કરવા !’) હું જુવાન હતો ત્યારે આવા કેટલાય ઢોંગી જ્યોતિષીઓ અને ધુતારાઓને જાહેર રોડ પર ફટકાર્યા હતા.
હવે તમે પોતાની તર્કશક્તિ અને વિવેકબુધ્ધીની સરાણે ચઢાવીને આખી વાતને મૂલવજો. હું કહું છું માટે મારી વાત માનવાની પણ જરુર નથી.
શ્રીરામ…શ્રીરામ….

મારા બાળપણનો દોસ્ત અરવિંદ ઠેકડી

September 1st, 2015 Posted in મારા સંસ્મરણો

 અરવિંદ ઠેકડી

આજે મારા બાળપણના મિત્ર શ્રી. અરવિંદ ઠેકડી અને મંજુલાબેન ઠેકડીના ૫૦ વર્ષના પ્રસન્ન દામ્પત્યજીવનની સુવર્ણજયંતિની ( ગોલ્ડન જ્યુબિલી ) ઉજવણી પ્રસંગે તેમના સંતાનો દ્વારા યોજાયેલી પાર્ટીમાં  જવાનો પ્રસંગ મને પ્રાપ્ત થયો હતો. નરીન્સ બોમ્બે બ્રેસરીઝ નામના ,  હ્યુસ્ટનના વેસ્ટ  લૂપ સાઉથ પર આવેલા રેસ્ટોરન્ટમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. થોડાક મિત્રો અને કુટુંબીજનોની હાજરીમાં , સ્વાદિષ્ટ ભોજન અને પુત્ર-પૌત્ર-પૌત્રીઓ દ્વારા રજૂ કરાયેલા આ કાર્યક્રમમાં સ્લાઈડ-શો દ્વારા ભુતકાળની ખુબસુરત યાદો તાજી કરવામાં આવી હતી.

 

કાર્યક્રમનું સંચાલન, અરવિંદભાઇની દીકરી હીનાની બે દીકરીઓ-શિવાની અને જાન્હવી- દ્વારા સૂપેરે કરવામાં આવ્યું હતું. અરવિંદભાઇના સુપુત્ર અપૂર્વ અને પુત્રવધુ સીમાની બે દીકરીઓ આશા (૧૨) અને જયા (૯) દ્વારા બે ફિલ્મી  રેકર્ડ ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતા.તેમના વેવાણ એટલે કે દીકરી હિનાના સાસુ તનમનબેન પંડ્યાએ રફી અને સુમન કલ્યાણપુર દ્વારા કોઇ હિન્દી ફિલ્મમાં ગવાયેલું  ‘દિલે બેતાબકો સીનેસે લગાના હોગા’ ભાવવાહી રીતે રજૂ કર્યું  હતું. બીજા એક  ભાર્ગવી રાયજી  નામના બહેન દ્વારા પણ ગીતાદતનું    ‘ ન યે ચાંદ હોગા, ન તારે રહેંગે, મગર હમ હમેશાં તુમ્હારે રહેંગે’  જેવું  પ્રસંગોચિત  ગીત  રજૂ કરવામાં આવ્યું હતું.

અરવિંદ-મંજુલાની દીકરીઓ હીના અને અનિતા  દ્વારા તેમના માતાપિતાને પ્રશ્નોત્તરી દ્વારા, તેમની પસંદગીના ભોજન, મનગમતા  સ્થળો, પહેલું ઘર જેવી યાદો તાજી કરાઇ હતી. તેમના યુવાન અને  હેન્ડસમ  ગોરા ગોરા દીકરા અપૂર્વએ સ્લાઈડ શો દ્વારા જીવનના વિવિધ પ્રસંગોની સમજ આપીને, આમંત્રિતોને માહિતી આપી હતી. આ અપૂર્વ મને સિરીયલના કોઇ યુવાન નવોદિત અભિનેતાની યાદ તાજી કરાવતો હતો.

અહીં મારો આશય આ કાર્યક્રમનો અહેવાલ લખવાનો નથી. 
ત્યાં દિવાલ પર લટકાવાયેલી એક તસ્વીર જોઇને, મને પણ મારી લગભગ એ જ સમયગાળાની એક એવી જ તસ્વીરની યાદ તાજી થઈ ગઈ. 
હું, અરવિંદ ઠેકડી અને હરિપ્રસાદ પટેલ અમદાવાદની ફેલોશીપ હાઇસ્કુલમાં ૧૯૫૧થી ૧૯૫૮ સુધી ભણેલા. અરવિંદ અને હરિપ્રસાદ ભણવામાં પહેલો નંબર.  તેઓ શાળાના તેજસ્વી અને ચારિત્ર્યશીલ  સારા છોકરા ગણાતા. બધા તેમને માનની નજરે જોતા.  આજે આ ઉજવણીમાં અમે ત્રણે હાજર હતા. હરિપ્રસાદ પટેલ C.P.A. છે અને તેમણે કોમ્યુનિટીને ઘણી સેવા આપી છે. હાલમાં જ રીટાયર્ડ થયેલ છે.
આ સાથે એટેચમેન્ટમાં એ બન્ને તસ્વીરો સાથે  મારી અને મારા દોસ્તની આજની તસ્વીર મૂકું છું.  મારા લગ્ન ૧૯૬૩માં થયેલા, અરવિંદના લગ્ન ૧૯૬૪માં થયેલા, એ બન્ને તસ્વીરો સાથે આજની અમારા બે દોસ્તની વર્તમાન તસ્વીર વચ્ચે મૂકી છે.
                     .
,

મુચ્યતામ…મુચ્યતામ… -નવીન બેન્કર-

September 1st, 2015 Posted in મારા દિલની વાતો

મુચ્યતામ…મુચ્યતામ…         -નવીન બેન્કર-

આજે સવારે હું ડીશનેટવર્ક ની ચેનલ ૭૨૦ – ‘સંસ્કાર’- પર, ભાઈશ્રી,  રમેશ ઓઝાની ભાગવતકથાનું રસપાન કરી રહ્યો હતો-

આટલું વાંચીને તમને હસવું આવ્યું ને ? ‘નવીન બેન્કર’ અને ભા..ગ..વ..ત..ક..થા ?  શ્રીરામ..શ્રીરામ…’

બટ બીલીવ મી..નાનપણમાં હું પણ તમારા જેવો જ સંસ્કારી હતો.(!) હું નમણો અને કોમળ સ્વર ધરાવતો હતો એટલે છોકરાઓ મને ‘નવલો નરગીસ’ કહીને ચીડવતા હતા. સ્કુલમાં હું પ્રાર્થના કરાવતો હતો, મારા દાદીમા વિદ્યાબાની સાથે, સંન્યાસીના મઠમાં કથાવાર્તા સાંભળવા જતો હતો અને પછી ઘેર આવીને,  સ્વામિજીના સ્વરમાં રામાયણની ચોપાઇઓ બોલીને મીમીક્રી કરતો હતો. લલિતાબેનના અને અન્ય ભગતોના ભજનો મને કંઠસ્થ થઈ જતા.  નવ વર્ષની ઉંમરે તો ગીતાનો નવમો, બારમો અને પંદરમો અધ્યાય મને કંઠસ્થ હતા.

પછી હું ‘બગડી’ ગયો. ફિલ્મોને રવાડે ચડી ગયો. છાપાં વેચવાના દિવસો દરમ્યાન, લોકો અને પોલીસનો માર ખાઈ ખાઈને હું નઠોર અને હિંસક બનતો ગયો. પણ એ જુદી વાત છે. આજે વાત કરવી છે ‘મુચ્યતામ..મુચ્યતામ’ ની.

મારી પત્ની સવારના પહોરમાં ઉઠતાંની સાથે, ટીવી પર ‘આજતક’ કે ‘સમય’ ચેનલ પર સમાચારો જુએ છે. હું આ બન્ને ચેનલોને સખ્ત ધિક્કારું છું કારણ કે સવારના પહોરમાં મારે લાલુ, મુલાયમમિંયા, નિતીનીયો, માયાવતી અને મમતાડી ના ડાચા જોવા પડે છે. પત્નીનું આ વળગણ છોડાવવા માટે, એની ધાર્મિકતાને હથિયાર બનાવીને મેં ચાર રીલીજિયસ ચેનલો જેમાં ‘આસ્થા’ અને ‘સંસ્કાર’ ચેનલો આવે છે ,એ નંખાવી દીધી. એટલે હવે એ સવારના પહોરમાં મોરારિબાપુ, રમેશ ઓઝા અને એવા જ અન્ય ભગતોના પ્રવચનો, કથાઓ, દેવદેવલાના દર્શનો જ કર્યા કરે અને મને શાંતિથી કોમ્પ્યુટર પર ગુજરાતીમાં લખવા દે. જો કે હું પણ બાળપણના સંસ્કારોને કારણે ક્યારેક આવું બધું જોઇ લઉં.

આજે ‘સંસ્કાર’ ચેનલ પર, શ્રી. રમેશ ઓઝા ભાગવતકથા અંતર્ગત, મહાભારતના યુધ્ધ દરમ્યાન, દ્રૌપદીના પાંચ પુત્રોના માથા વાઢી જનાર, અશ્વસ્થામાને પકડીને ગાંડીવધારી બાણાવળી અર્જુન, દ્રૌપદી સમક્ષ લાવીને દ્રૌપદીને કહે છે કે – ‘ હે પાંચાલી, લે..આ તારા સુઈ રહેલા પાંચે પુત્રોના માથા વાઢી લેનાર હત્યારાને પકડી લાવ્યો છું. એને સજા કર.’

દ્રૌપદી અશ્વસ્થામાને જુએ છે. આ અશ્વસ્થામા એ તો પાંડવો અને કૌરવોના ગુરૂ દ્રોણાચાર્યનો પુત્ર હતો. એ જમાનામાં ગુરૂને લોકો ભગવાનતુલ્ય માનતા અને ગુરૂનો પુત્ર પણ પુજનીય ગણાતો. અને તેમાં ય આ તો બ્રાહ્મણ…બ્રાહ્મણનો તો વધ કરાય જ કેવી રીતે ? એટલે દ્રૌપદી અર્જુનને કહે છે કે- હે અર્જુન, આ તો આપણા ગુરૂનો પુત્ર અને તેમાં ય પાછો બ્રાહ્મણ.. એનો વધ તો કરાય જ કેમ ? એણે મારા પાંચે પુત્રોના માથા વાઢી નાંખ્યા એટલે મને એક માતા તરીકે કેટલું દુઃખ થાય છે એ હું સમજું છું. ગુરૂ દ્રોણાચાર્યનો વધ થયા પછી એમની પત્નીનો આ એકમાત્ર સહારો છે. હવે જો આપ એનો વધ કરશો તો એની માતાને કેટલું દુઃખ થશે ? અને આપણા પુત્રો કાંઇ સજીવન તો થવાના નથી જ. માટે એને ક્ષમા કરીને ‘મુચ્યતામ..મુચ્યતામ’. ( એને છોડી મૂકો..છોડી મૂકો ).

મને લાગે છે કે ભારત સરકાર, આ મહાભારતને ફોલો કરી રહી છે. આપણા જવાનોના માથા વાઢીને લઈ જનાર પાકિસ્તાની લશ્કર સાથે હિસાબ પતાવતાં, એમને પણ દ્રૌપદીના શબ્દો યાદ આવી જતા લાગે છે. ભલે આપણા બે જવાનોના માથા વાઢી ગયા, આપણે એમના માથા વાઢી લઈશું એટલે આપણા જવાનો કાંઇ સજીવન તો થઈ જવાના નથી. જવાનોની માતાઓ જે દુઃખ અનુભવતી હશે એ જ દુઃખ, આપણા કૃત્યથી,પાકિસ્તાની માતાઓ પણ અનુભવે એ તો બરાબર નથી ને ? માટે, વેરની ભાવનાને ભૂલી જઈને એમને ‘મુચ્યતામ..મુચ્યતામ..’

હમણા જ રીલીઝ થયેલી, સૈફ અલી ખાન અભિનીત ફિલ્મ ફેન્ટમ (૨૦૧૫) માં ભારતીય જાસુસી સંસ્થા-રો- ના એક ઉચ્ચ અધિકારી કે પ્રધાન પણ આવી જ મતલબનો સંવાદ બોલે છે કે- ૨૬/૧૧ ના મુંબઈ હુમલાના આરોપીઓને ખતમ કરવા માટે આપણે યુધ્ધનું જોખમ ઉઠાવીને લાખ્ખો પાકિસ્તાનીઓની હત્યા ન કરી શકીએ.’

મને લાગે છે કે આપણી પ્રજાએ, આ મહાભારતની કથાઓનું  અફીણ બરાબર પચાવ્યું છે. નાનપણથી આવી આવી સુફિયાણી વાતો સાંભળી સાંભળી, વાંચી વાંચીને, આપણે, ક્ષમાશીલ –મારખાઉ- પ્રજા બની ગયા છીએ.

નવીન બેન્કર-   (લખ્યા તારીખ- ૧ સપ્ટેમ્બર ૨૦૧૫)

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.