એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » 2014 (Page 5)

કબીર ( એકપાત્રિય નાટક )

January 4th, 2014 Posted in અહેવાલ

 

કબીર   ( એકપાત્રિય નાટક )

હ્યુસ્ટનના આંગણે ૧૯મી ઓગસ્ટ ૨૦૧૧ને શુક્રવારે વર્ધમ થિયેટરમાં ઇન્ડો-અમેરિકન એસોસિયેશનના ઉપક્રમે એક અતિસુંદર ક્લાસિકલ વન-મેન મ્યુઝિકલ શો યોજાઇ ગયો..ભક્તકવિ કબીરની જીવનગાથાને બે કલાકના મ્યુઝિકલ શો દ્વારા પ્રસ્તુત કરી હતી પ્રસિધ્ધ બંગાળી ગાયક-અભિનેતા શ્રી. શેખર સેને.

કબીરના દોહા તો ઘણાએ સાંભળ્યા જ હશે. તેમના પદને અંતે, હંમેશા કહત કબીર સુનો ભાઇ સાધોશબ્દો આવતા હોય છે.કબીર અનાથ હતા. કહેવાય છે કે જન્મતાની સાથે જ તેમની માતાએ તેમનો ત્યાગ કરી દીધો હતો. કાશીમાં, તળાવની પાળેથી, નવજાત શિશુ એવા કબીરજીને એક મુસ્લિમ  વણકર દંપત્તીએ લઈ જઈને ઉછેરીને મોટા કર્યા હતા.નાનપણથી જ કબીરજીની રુચી આધ્યાત્મિક હતી.તેઓશ્રી સંતો,ફકીરો,મહાત્માઓના સંગમાં રત રહેતા હતા.કબીરજીએ કદી હાથમાં કલમ પકડી નથી. પણ તેમનુ જ્ઞાન તેમની વાણીમાં છલકાતુ રહેતું.તેમની સરળ ભાષામાં વિચારોની ગહનતા, ગાંભીર્ય, સ્વભાવની નીડરતા, સરળતા અને મૌલિક વિચારોની સાથે સાથે ઇશ્વર તરફનો પ્રેમ પણ પ્રતિપાદીત થતો રહ્યો છે. દંભી અને પાખંડી કહેવાતા ધર્મગુરુઓ પ્રત્યે તેમને અણગમો હતો એ વાત તેમના અનેક દુહા-સાખીઓમાંથી જણાઇ આવે છે.તેમની પ્રખર પ્રજ્ઞા અને પ્રગાઢ આંતરખોજથી નીપજતા શબ્દો ,સ્વયં બ્રહ્મ બની તેમના બ્રહ્મવિચારને  પ્રદર્શિત કરતા રહે છે. કબીરજીની વિચારધારાના પદો કબીરવાણીકહેવાય છે.કબીરજી સંવત ૧૪૫૫માં જન્મેલા અને સંવત ૧૫૭૬ને માગશર સુદ અગિયારસને દિવસે ૧૨૦ વર્ષની ઉંમરે કાશી નજીકના મગહર ગામે અવસાન પામ્યા હતા.તેમના જીવનપ્રસંગોને લગતા ઘણા લેખો, પુસ્તકો પ્રસિધ્ધ થઈ ચુકેલા છે.

આવા ઓલિયા, ભક્તકવિની જીવનગાથા અને કવનને, તેમની પ્રેમ, શાંતિ,કોમી-એખલાસની વાતોને બે કલાકના કાર્યક્રમ દ્વારા શ્રી.શેખર સેને રજૂ કરી.

કબીરને કેન્દ્રમાં રાખીને માત્ર વન-મેન-શો દ્વારા નાટ્યક્રુતિ ભજવવી એ ખુબ કપરુ કામ છે.શેખર સેને આ સફળ રીતે કરી બતાવ્યું છે.નીચલા વર્ગના સામાજીક વાતાવરણની વચ્ચે વણકર કુટુંબમાં ઉછરતા છોકરાને મોઢે , જે સહજતાથી એ કપડુ વણે છે ,એ જ સહજતાથી સરળ ભાષામાં જીવનની ફિલસૂફી પણ બોલાય અને ગવાય એ અદભુત છે.મંદીરના પુજારી કે મસ્જીદના મૌલવીના ધર્મને પડકારતી વાત હોય કે પાલક માતા સાથેનો,પુત્ર કમાલ સાથેનો સંવાદ હોય,સમાજના વિવિધ પાત્રો અને કહેવાતા ધર્મના રખેવાળો કે મોગલ બાદશાહ સાથેના સંવાદો હોય,એ બધું  એક જ મુખે,સ્વરના આરોહ-અવરોહ બદલીને વિવિધ પાત્રોને આબેહુબ દ્રષ્ટી સમક્ષ રજુ કરી દઈને એક ઇતિહાસ સર્જી દીધો છે શેખર સેને.

ભક્તિ પરંપરા શરુ થઈ એ વખતના મધ્યકાલિન ભારતિય સમાજનું ચિત્ર જે રીતે કોઇ વિશિષ્ટ સંનિવેશ વગર પણ અહીં જે રીતે રજુ થઈ શક્યું છે તે અવર્ણનિય છે.કબીરના જીવનની ગાથા,એના જન્મથી માંડીને એના દેહાવસાન સુધીની, ખુદ કબીરના જ મુખે બોલાવીને,જીવંત ગીત-સંગીત દ્વારા,સતત વહેતા રાખીને કરાયેલી રજુઆત પ્રભાવક બની રહે છે.

શેખર સેનનો કંઠ કોઈપણ ગાયકની સ્પર્ધા કરી શકે એટલી હદે કેળવાયેલો અને ઘુંટાયેલો છે.સમગ્ર રજુઆતમાં પદો,દોહા ગાવાની એક પણ તક એણે જતી કરી નથી તેથી વતાવરણમાં ભક્તિરસની મહેંક પ્રસરી રહે છે. એ સમયની તળપદી ભાષામાં પણ જે રીતે સ્વાભાવિકતાથી રજુઆત થઈ તે નાટકની એક સિધ્ધી ગણી શકાય.

એક જ પાત્રને કેન્દ્રમાં રાખીને ,એની આસપાસ કોઇપણ પ્રકારની સંકુલતા કે વિસંગતી વગરના એક પરિમાણી વ્યક્તિત્વ ધરાવતા અન્ય પાત્રોને સંવાદો દ્વારા જ અવાજના આરોહ-અવરોહ વડે હળવાશથી  અને સાહજીકતાથી રજુ કરતું આ નાટક CLASS માટેનું નાટક હતું- MASS માટેનું નહીં.જેમને કબીરની કથા ખબર છે, જેમણે કબીરના દોહા વાંચ્યા છે, સાંભળ્યા છે, જે એ બધું સમજી શકે છે એવા બુધ્ધીજીવી, બહુશ્રુત અને  ક્લાસિક સેન્સ ધરાવતા સુજ્ઞ પ્રેક્ષકો જ આનો રસાનુભવ કરી શકે અને માણી શકે એવા વિરલ એકપાત્રિ નાટકને હાઊસફુલ ઓડીયન્સ મળવું સંભવ નથી.મોટાભાગના કહેવાતા નાટ્યરસિકો હળવાફુલ કોમેડી નાટકો કે જેમાં વાહિયાત પકડાપકડી અને ચવાઇ ગયેલા વાસી જોક્સ કે દ્વીઅર્થી સંવાદો હોય એવા નાટકો પસંદ કરતા હોય છે. હ્યુસ્ટનમાં આ જ દિવસે અને એ જ સમયે મુંબઈના ખ્યાતનામ ગ્રુપ દ્વારા ભજવાતું એક અન્ય નાટક પણ હતું અને એકાદ-બે લગ્નપ્રસંગો પણ હતાં છતાં આ પરફોર્મન્સને પાંચસો પ્રેક્ષકો મળી શક્યા એ જ હ્યુસ્ટન, સંસ્કારનગરી હોવાની પ્રતિતી કરાવવા માટે પુરતું છે.

એક ગુજરાતી સાહિત્યરસિક કવિને ઘેર, બહારગામના કોઇ ગુજરાતી શાયરનો કાર્યક્રમ હતો જે ટુંકાવીને કવિમિત્રો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તો, બીજે દિવસે જેમના દીકરાના લગ્નનું રિસેપ્શન યોજાયેલું એ કબીરપ્રેમી યુગલ, દસ જણના ગ્રુપમાં, કાર્યક્રમ જોવા આવેલા અને છેક સુધી આ કાર્યક્રમને માણ્યો હતો.

નાટકના મુડને અનુરુપ, દ્રશ્યની માંગ પ્રમાણે લાલ, પીળા અને લીલા પ્રકાશ-આયોજન દ્વારા દ્રશ્યને તાદ્રુશ કરવામાં આવેલ. ઝુપડીની આગના દ્રશ્યને સ્લાઇડ અને લાલ સ્પોટલાઈટથી તેમજ નદીની લહેરોને આસમાની લાઈટના આયોજન વડે જીવંત કરવામાં આવી હતી.

હ્યુસ્ટનનું  ઇન્ડો-અમેરિકન એસોસિયેશન, આવા સુંદર કાર્યક્રમો રજુ કરવા માટે જાણીતું છે. શાસ્ત્રિય સંગીતના ખેરખાંઓની જુગલબંદી હોય કે BROKEN IMAGES જેવા પ્રયોગશીલ અંગ્રેજી નાટકો હોય, ઇન્ડો અમેરિકન એસોસિયેશન ટીકીટબારીની સફળતાની પરવા કર્યા વગર એની રજુઆત પણ કરી જ દે. એની ટીકીટો પણ મોટેભાગે તો ઓનલાઇન જ ઉપલબ્ધ હોય અથવા મહારાણી મ્યુઝિકના સ્ટોર પર જ મળે. આ અંગેનો યશ, શ્રી. હરીદયાળજી નામના એક સેવાભાવી સજ્જન અને તેમના વોલન્ટીયર્સને ફાળે જાય છે.

અસ્તુ..

અવલોકન અહેવાલ અને શબ્દાંકન- શ્રી. નવીન બેન્કર

લખ્યા તારીખ- ૨૦ ઓગસ્ટ, ૨૦૧૧

કથાને બાંકડેથી સાંભળેલું

January 4th, 2014 Posted in સંકલન્

 

કથાને બાંકડેથી સાંભળેલું

(રામાયણનો સાર શું ?

     સોનાના મૃગ પાછળ  પતિને દોડાવનાર સ્ત્રીઓએ, અગ્નિપરીક્ષા માટે પણ તૈયાર રહેવું પડે !

     ભૌતિક સુખો માટે પતીને કાળાધોળા કામો કરાવનાર સ્ત્રીઓએ અંતે સહન કરવાનું આવે છે.

(રામ કંઇ સમજતા નહોતા ? જાણતા હતા કે સોનાનો મૃગ હોય. પણ પોતાની પત્નીને સમજાવી શક્યા હતા. સ્ત્રીને સમજવી સહેલી છે, પણ એને સમજાવવી મૂશ્કેલ છે જે રામ જેવા પણ કરી શક્યા હતા.

() મંદીરમાં, પ્રભુને ધરાવાયેલી ચીજવસ્તુઓની હરાજી (!) કરીને એક લાખ ડોલર્સ જોતજોતામાં ઉભા કરી શકાય છે.

શ્રીરામશ્રીરામ….

ઈશ્વરનું અસ્તીત્વ માનવતામાં છે– લેખક– શ્રી.. પ્રતાપ પંડ્યા ( વડોદરા )

January 4th, 2014 Posted in સંકલન્

ઈશ્વરનું અસ્તીત્વ માનવતામાં છે–    લેખક– શ્રી.. પ્રતાપ પંડ્યા ( વડોદરા )

અત્યાર સુધીનાં મારાં ગુજરાતી લખાણો કરતાં કાંઈક જુદા પ્રકારનું જ લખાણ લખવાની મને ઘણા સમયથી અંતરના ઉંડાણમાં તમન્ના હતી. તેને ન્યાય આપવા અને એક સામાજીક પ્રદુષણનો નાશ કરવા મારે આજે આંતરમનોવેદના, આસ્થા, શ્રદ્ધા અને ઈશ્વર અંગેનો મારો પોતાનો સ્વતંત્ર સ્પષ્ટ અભીપ્રાય પ્રસ્તુત કરવો છે. જોરાવરનગરના ભાઈશ્રી. જમનાદાસ કોટેચાએ તે માટે મને ઈજન અને તક આપ્યાં છે તેને વધાવી લઈ મારી વાત કરું છું. જીવનની સત્ય અનુભવેલી સ્થીતી–પરીસ્થીતીનું મારું આ તારણ છે.

ભગવાન, પરમેશ્વર, ઈશ્વર અંગે માનવસમાજના બે ભાગ આદીકાળથી જ પડેલા છે. એમાં ત્રીજો એક વીભાગ છેલ્લા ૫૦૦ વરસથી ઉમેરાયો છે. તે છે ‘ઈશ્વર છે અને નથી…’ ઈશ્વર નથી; છતાં છે પર પરમ્પરાગત માન્યતાઓને સ્વીકારી જીવનારો ત્રીજો વર્ગ. ‘ધોબીનો કુતરો ન ઘરનો; ન ઘાટનો’ એવી દશામાં તેઓ જીવે છે; છતાં દમ્ભ અન્તરને સુખ લેવા દેતો નથી એટલે આસ્તીક અને નાસ્તીક એ બન્ને પ્રકારના લોકોને અવગણે છે, તીરસ્કારે છે, સતત અસન્તોષની આગમાં બળતા રહે છે.

તો મારે એ બાબત કાંઈક અલગ જ કહેવું છે. મેં ગુજરાતી, હીન્દી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષામાં ઘણા ઉત્તમ ગ્રંથો વાંચ્યા છે. વેદોનો તલસ્પર્શી અભ્યાસ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. વીશ્વના ૧૨ મોટા સમ્પ્રદાયો કહેવાય છે તેના દરેક પવીત્ર ગ્રંથનો અભ્યાસ – અનુવાદ કરાવીને પણ – કર્યો છે. ક્યાંય ઈશ્વર કોઈને પ્રત્યક્ષ મળ્યો હોય તેવો એક પણ દાખલો નથી, પુરાવો નથી. હા, જીવ ઈશ્વરનો અંશ છે, જીવમાત્ર સમાન ગુણધર્મ ધરાવે છે, તે વૈજ્ઞાનીક સીદ્ધાન્તો દ્વારા જીવશાસ્ત્રીઓએ સાબીત કર્યું છે. માનવ કે અન્ય જીવની ઉત્પત્તી એ શરીરવીજ્ઞાનની એક ક્રીયાનું જ પરીણામ છે. તેમાં ઈશ્વર કાંઈ કરતો જ નથી. છતાં આપણે ઈશ્વરના ફોટા, મુર્તી, છબીઓ, ધુપ–દીપ, માળા, પુજા, મંદીર, આરતી વગેરે ઈશ્વર વીશે માત્ર ને માત્ર કલ્પનાથી લખાયેલી વાર્તાઓ કે ધર્મગ્રંથોની પુરાણી દૃષ્ટાન્ત કથાઓને આધારે જ કર્યા કરીએ છીએ. આપણે આગળની વાત પછી કરીએ. પૃથ્વીની રચના થયા પછી માનવની ઉત્પત્તીનો ઈતીહાસ આજે સૌ જાણે છે. શેવાળથી માંડી આજ સુધીના માનવપ્રગતીના ઈતીહાસમાં ઈશ્વરે કોઈ કામ કર્યું હોય અથવા કોઈપણ માનવને કે જીવને તે રુબરુ મળ્યા હોય તેવું બન્યું નથી, બનવાનું પણ નથી; છતાં જે અન્ધશ્રદ્ધાપુર્ણ માન્યતાઓ જ છે તેને સત્ય માની, આપણે જીવનનો ઘણો કીમતી સમય કર્મકાંડ, દોરા–ધાગા, પુજા–જાપ, મંત્ર–તંત્ર, ભુત–ભુવા, ગ્રહોની પીડા વગેરેમાં વેડફી રહ્યા છીએ. આ બધું ખોટું છે, સત્યથી વેગળું છે. જેને તમે ભગવાન, ઈશ્વર કે પરમેશ્વર માનો છો તે તત્ત્વ નીર્મળ સત્ય છે. આ નીરંજન–નીરાકાર પરમ તત્ત્વ સાથે આજની આપણી ઘોર અન્ધશ્રદ્ધા–ગેરસમજોને કોઈ નાતો નથી અને આપણે કાળા દોરડાને અન્ધારામાં સાપ માની ડરીને, અજ્ઞાનતાથી કાંઈ પણ વીચાર કર્યા વગર, આંખો મીંચી ઈશ્વરને નામે થતાં પાખંડો, ભ્રષ્ટાચારો, વ્યભીચારોને પોષણ આપીએ છીએ એ ભયંકર પાપ છે. આ આપણું સામાજીક પ્રદુષણ છે જે કેન્સર ટી.બી. કે અસાધ્ય રોગ બની માનવજાતને ભયંકર નુકસાન કરી રહ્યું છે.

અનુભવ અને અભ્યાસને આધારે મારી સ્પષ્ટ માન્યતા છે કે જ્યોતીષ, ગ્રહો, દોરા, જાપ અને કર્મકાંડી વીધીવીધાનથી સુખ, સન્તોષ, સમ્પત્તી, સન્તાન મળે છે તે હળાહળ ખોટું છે. માત્ર ભ્રમ ઉભો કરી કહેવાતા ‘પાખંડી લોકોને પેટ ભરવાનો જાહેર ધંધો’ છે જે ખુલ્લેઆમ લુંટ સીવાય બીજું કશું નથી. મારા પીતા અમને વારસામાં જે આપી ગયા છે તેને અણમોલ શીખામણ કહો કે ઈશ્વર વીશેની સત્ય વ્યાખ્યા કહો, તે પ્રમાણે આજે ૭૫ વરસે હું નીડરપણે મારો સત્ય અભીપ્રાય જાહેરમાં આપવા સક્ષમ છું. કારણ બહુ જ સ્પષ્ટ છે, મને ધર્મગ્રંથો, સાહીત્યની ઉત્તમ કૃતીઓ, મહાન ગણાતા સન્તો–મહન્તો, આચાર્યો, પંડીતોની વાણી તેમ જ ૭૫ વરસની લાંબી જીવનયાત્રામાં ઈશ્વરનો સાક્ષાત્કાર, પ્રત્યક્ષ અનુભવ કરેલ હોય એવું કોઈ જ મળ્યું નથી. તેમ જ અગાઉ કોઈને મળ્યા હોય તેવો એક પણ દાખલો જગતભરમાં નથી તે સાબીત કરવાની મારી તૈયારી છે.

હવે વાંચો મારી વાત :

છેલ્લી સાત પેઢીથી અમારા પરીવારનો કર્મકાંડનો તદ્દન બનાવટનો, લોકોને લુંટવાનો, લોકોને જાહેરમાં મુર્ખ બનાવી રોટલો રળવાનો ધંધો રહ્યો. એ કરનાર અમારા વડીલોએ જે મરતાં મરતાં અમને કહ્યું છે તે આપને કહેવા માંગુ છું. તેમણે કહ્યું, ‘‘અમે ઓછું ભણેલા બ્રાહ્મણના દીકરા એટલે બીજી કોઈ મહેનત મજુરી કરી ન શકવાને કારણે કથા, વાર્તા, જ્યોતીષ, યજ્ઞ, દોરાધાગા, સરવણી વગેરે વીધી કરવાના થોડાક ચાલુ મંત્રો પુસ્તકોમાંથી ગોખીને શીખી લીધા. પછી ગાડું ચાલ્યું. નાણાં, માન, વસ્ત્રો અને સારાં મકાન પણ અમે આ કર્મકાંડના ગોરખધંધા વડે પ્રાપ્ત કરી જીવ્યા છીએ.  

‘‘પણ આપણી પુત્રીઓ, પુત્રો, વહુઓ, બાળકો આ અનીતીભરી આવકને કારણે સુખી થયાં નથી. રોગ, ગાંડપણ કુસંસ્કારના ભોગ બન્યાં છે. અમારા વડવાઓ પણ છેલ્લે દુ:ખી થઈને મર્યા છે. કારણ કે માનવજાતને અમે માનવ થઈને છેતરી છે. દગો દીધો છે. માનવમાત્ર ઈશ્વરનો અંશ છે. દરેક જીવમાં ઈશ્વરનું અસ્તીત્વ અનુભવી શકાય છે. જો વેદના સમ્વેદના કે હૃદયમાં થતી લાગણીનો અનુભવ થાય તો એ જ ઈશ્વર છે એમ માની કરુણા, સ્નેહ, પ્રેમ, હુંફ આપી માનવમાં રહેલા ઈશ્વરને રાજી કરજો. એ સીવાય મફતનું ખાવું, મફતનું લેવું, બ્રાહ્મણ છીએ માટે મફત ભોજન, દાનદક્ષીણા લેવાનો હક્ક કાયમ માટે ત્યાગીને નાતજાત છોડીને સમગ્ર માનવ પ્રત્યે સમજણપુર્વક સમાન વાણી અને વહેવાર રાખી વર્તન કરજો એ ઈશ્વરની ખરી પુજા છે.’’

છેલ્લે મરણની છેલ્લી પળે મારા સ્વ. પીતાજીએ મારા માતુશ્રીને હાથમાં પાણી લેવડાવી પ્રતીજ્ઞા કરાવી હતી કે, ‘‘આપણાં સન્તાનોને આ કર્મકાંડનો ધન્ધો નહીં કરાવીશ. ભીક્ષાવૃત્તીનો ત્યાગ કરાવીશ. મફતનું ભોજન, અન્ન, વસ્તુસીધુંસામાનદાનદક્ષીણા કદાપી લેવા દઈશ નહીં. પેટ ન ભરાય તો ફોડી નાખજો.’’

 મારા સ્વ. માતુશ્રી ૨૬ વરસની ઉમ્મરે વીધવા થયાં. અમે ચાર સન્તાનો અને પોતે એમ પાંચનું ભરણપોષણ, ખડ વાઢીને, જીવનભર અજાચક બની જીવવાના ઉત્તમ સંસ્કારો અમને આપ્યા. આજ સુધીમાં મન્ત્ર, તન્ત્ર, જન્માક્ષર, સમય–વાર, ચોઘડીયાં કે ગ્રહો કોઈ ક્યાંય અમને નડ્યાં નથી. દરેક સન્તાન ૧૮ વર્ષની ઉમ્મરે કામે લાગી જાય. અને આપ સૌને નવાઈ લાગશે કે ૮૧ વરસની ઉમ્મરે મારાં પુજ્ય માતુશ્રી સ્વર્ગવાસી થયાં ત્યારે શીક્ષણ, સંસ્કાર, સમ્પત્તી અને સાચી સમજણ સાથે અમને જીવતા જોઈને પરમ સન્તોષ સાથે આશીર્વાદ આપીને ગયાં. તેઓએ એ જ કહ્યું કે, આપણી અજાચકવ્રતની વારસાગત મુડી સાચવજો. માનવમન્દીરમાં રહેલ ઈશ્વરને વન્દન કરી નમ્રતા, સરળતા અને સહજ જીવન જીવજો…’

આ સત્ય હકીકત મેં એટલા માટે રજુ કરી છે કે સમાજમાં અત્યારે વ્યાપી રહેલી અન્ધશ્રદ્ધા, ભુત, ભારાડી, ધર્મને નામે ચાલતાં આશ્રમો, મંદીરો કે જેનો માત્ર નાણાં કમાવા સીવાય કોઈ હેતુ નથી તેમાં પડવું નહીં. કદાચ તેને પડકાર કરવા કે તે ખોટું છે તેમ કહેવાની હીમ્મત, છાતી, તાકાત ન હોય તો ભલે; પણ તેનાથી દુર તો રહેવાય ને ? મારે પણ આસ્તીક, નાસ્તીક કે વચ્ચેના કોઈ માનવસમાજની પ્રવૃત્તીઓ–ધન્ધા, સાચા, ખોટામાં પડવું નથી; પણ આ બધાથી દુર રહીને ખુબ સારી રીતે જીવાય છે તેવો મારો પોતાનો જાતઅનુભવ છે. હું શીક્ષણનો માણસ છું. માણસ બનીને જ માનવ તૈયાર કરવાનનું કામ મેં અને મારાં પત્નીએ ૩૫ વરસ કર્યું છે. ગામડાંમાં, શહેરમાં, ગલી, પોળમાં કે દુનીયાના અન્ય દેશોમાં ક્યાંય અમે માનવતા ચુકતાં નથી. અન્ધશ્રદ્ધા કે દમ્ભી દેવદર્શન કરી દાન–દક્ષીણા લેતા તો નથી જ; પણ ક્યારેય એક પણ પૈસો મન્દીરમાં, સન્તને કે તેના આશ્રમને આપતા નથી. મન્દીર, હવેલી કે અન્ય ધર્મસ્થળોની આજુબાજુ જે ગરીબ, ભુખ્યાં લોકો ટળવળતા હોય તેની તપાસ કરી, તેમને ઘરે બોલાવીએ છીએ. તેમનાં ઝુંપડાંઓમાં જઈને કપડાં, અનાજ, રુપીયા, પુસ્તકો, બાળકોને ભણવાની ફી આપીએ છીએ. અમારાં પેન્શનની રકમ દર મહીને ૨૦ થી ૨૫ હજાર આવે છે. કોઈ પણ જાતની પ્રસીદ્ધી કર્યા વીના છેલ્લાં ૧૦ વરસથી વડોદરા શહેરમાં રહીને આવી મદદ આપ્યા જ કરીએ છીએ. અમે બન્ને પ્રાથમીક શાળાના નીવૃત્ત શીક્ષક–દમ્પતી છીએ. ઈશ્વરનું અસ્તીત્વ અમે માનવમાં જોયું છે. અને માનવસેવા એ જ ઈશ્વરસેવા છે તેમ દૃઢપણે માનીએ છીએ. બાકી બધો દમ્ભ છે, ધતીંગ છે, ખોટું છે, છેતરવાના ગોરખધંધા છે. લોકોની લાચારી, ગરીબી, નીરક્ષરતા, બેકારીનો લાભ લેતી આવી વ્યક્તીઓ, સંસ્થાઓ કે આશ્રમોને ખુલ્લાં પાડી સત્ય સમજાય તેવું સામાજીક પરીવર્તન કોઈએ તો કરવું જ પડશે.

છેલ્લે એટલું કહું કે કાદવના ખાડાને તમે પુરી શકો તેમ ન હો; તો પણ તેનાથી દુર તો રહી શકાય છે ને ?

શીક્ષીત વ્યક્તી આટલું સમજી પોતાના પુરતો નીર્ણય કરી જીવે તો પણ ઘણું બધું કામ થાય…’

લેખક સમ્પર્ક: ડૉ. પ્રતાપ પંડ્યા, ‘ઘર’ – એ-1/1 સામ્રાજ્ય –2, મુંજ મહુડા, વડોદરા – 390 020 ફોન :0265- 231 2793 મોબાઈલ : 98253 23617 ઈ–મેઈલ : pratapbhai@gmail.com 

 

 

અન્ન અને સેક્સ – શબ્દો અને વ્યવહાર -લેખક સૌરભ શાહ

January 4th, 2014 Posted in સંકલન્

 

અન્ન અને સેક્સ શબ્દો અને વ્યવહાર

 

ગુડ મોર્નિંગ – સૌરભ શાહ
 

‘ફાઉન્ટનહેડ’ અને ‘એટલસ શ્રગ્ડ’ જેવી વૈચારિક નવલકથાઓ લખનાર વિદુષી ઍન રૅન્ડે કહ્યું હતું, ‘કોઈકે બહુ સરસ વાત લખી હતી કે દુનિયામાં નેવું ટકા લોકોએ જો પ્રેમ વિશે કશું વાંચ્યું, સાંભળ્યું કે જોયું જ ન હોત તો તેઓ કદી પ્રેમમાં પડ્યા જ ન હોત.’

એક પત્રમાં આ ખ્યાતનામ અમેરિકન વિદુષીએ લખ્યું છે: ‘પ્રેમમાં સાચી વ્યક્તિ ગમવા ઉપરાંતનું કશુંક તત્ત્વ હોય છે, એ વ્યક્તિ પ્રત્યેના અહોભાવ ઉપરાંતનું અશરીરી તત્ત્વ હોય છે. આ અકળ લાગણી શારીરિક બનીને વ્યક્ત થાય છે ત્યારે એમાં રહેલી તીવ્રતાની ઊંચાઈનો સીધો સંબંધ પેલા અલૌકિક તત્ત્વ સાથે બંધાયેલો હોય છે.’

આ શારીરિક અભિવ્યક્તિ એટલે સેક્સ જેના વિશે ઍન રૅન્ડ કહે છે: ‘જેમને એમાં ભરપૂર આનંદ મળતો હોય તેઓ આ બાબતમાં અત્યંત સિલેક્ટિવ હોય છે. આવી વ્યક્તિઓ કોઈ મામૂલી ખેંચાણને વશ નથી થતી. ગમે તેની સાથે આ માટે તૈયાર થઈ જનાર વ્યક્તિ જેવી કામુક હોય છે એવું માનવાની ભૂલ ન કરવી. હકીકતમાં એથી તદ્દન ઊલટું હોય છે.’

જેમની જાતીય ચેતના પા પા પગલી ભરી રહી હોય એવી જ વ્યક્તિ ગમે તેની સાથે જાતીય સંબંધ બાંધી શકે. જેમને ખાવાનો ખૂબ જ શોખ હોય એવી વ્યક્તિ અને જે ખાઉધરો કે અકરાંતિયો હોય એવા માણસ વચ્ચે ખોરાકની બાબતમાં જેવો ફરક હોય એવો જ તફાવત અહીં પણ છે. આ બેમાંથી કયા પ્રકારની વ્યક્તિ ખોરાકને વધુ આદર આપે છે એવું તમે કહેશો? વ્યક્તિને પોતાની જાત માટે કેટલો આદર છે એનું માપ આ અંગત બાબત પ્રત્યેના એના અભિગમ દ્વારા નીકળે છે. પોતાના માટેનું ગૌરવ એ કોની સાથે આવા સંબંધો રાખે છે એના દ્વારા છતું થાય છે.

ઍન રૅન્ડ પૂછે છે, ‘એવું શા માટે કહેવાતું હોય છે કે માણસ જાતીય ઈચ્છાનો ગુલામ છે? એની એ તીવ્ર જરૂરિયાત મહેસૂસ કરે છે એટલે?’

અહીં ફરીથી બીજી પાયાની જરૂરિયાત સાથેની સરખામણી આવે છે – ખોરાક. અન્નની જરૂરિયાત વધુ બળવાન, તાત્કાલિક સંતોષવી પડે એ રીતની, વધુ અર્જન્સી ધરાવતી અને ક્યારેક જીવનમરણનો પ્રશ્ર્ન બની જાય એ પ્રકારની છે. આમ છતાં શા માટે કોઈ એવું કહેતું નથી કે માણસ અન્નનો ગુલામ છે? માણસે ખોરાકની બાબતમાં સ્વીકારી લીધું છે કે હા, આપણને એની જરૂરિયાત છે અને એ કેવી રીતે સંપૂર્ણપણે સંતોષવી એ અંગેના તમામ રસ્તાઓ એના પોતાના તાબામાં પણ છે. એટલું જ નહીં, એ બાબતમાં તો માણસ સંતોષ મેળવવાની વધુ ને વધુ નવી રીતો, રેસિપીઓમાં ફેરફારો કરીને કે નવી રેસિપીઓ શોધીને મેળવતો જ રહે છે. ખોરાકની બાબતમાં આવી પ્રક્રિયાને ન તો કોઈ માણસનાં હવાતિયાં ગણે છે, ન આવું કરતી વ્યક્તિને કોઈ દયાજનક માને છે.

કોઈ પણ નૉર્મલ, આધુનિક સમાજમાં એક સામાન્ય માણસ માટે જરૂર પૂરતો ખોરાક મેળવવો એ કોઈ મુશ્કેલભર્યું કામ નથી. ખોરાક એના માટે પાયાની જરૂરિયાત છે અને ખોરાક વિના રહેવું છે એવી ઈચ્છા રાખે તોય એને અમલમાં ન મૂકી શકે. ખોરાક વિના એણે રહેવું પણ શું કામ જોઈએ? પોતાની આ જરૂરિયાત સંતોષવાના એની પાસે અનંત માર્ગો છે અને એના ઉત્પાદનનાં સાધનો પણ એના નિયંત્રણમાં છે.

અન્ન અને સેક્સની બાબતમાં જે પાયાની સામ્યતા છે તે એ કે બેઉની ઈચ્છા પ્રગટે ત્યારે એને વશ થયા વિના છૂટકો નથી એવી માનસિકતા ઊભી થાય છે. પણ આ બેઉ આવેગોને સંતોષવાના માર્ગોમાં ઘણો મોટો ફરક છે. અન્ન માટેની જરૂરિયાત જેટલી સહેલાઈથી

સંતોષી શકાય છે એટલી આસાનીથી સેક્સની અનિવાર્યતાને પૂરી કરી શકાતી નથી. આમ છતાં એટલું ખરું કે સંતોષ ક્યાંથી લેવો અને ક્યારે લેવો એનો નિર્ણય લેવાનો હક્ક પોતાની જ પાસે રહે છે – બેઉ બાબતોમાં.

સવાલ એ આવીને ઊભો રહે કે સેક્સની બાબતમાં પોતાની કલ્પના મુજબનું પાત્ર અથવા તો પોતાની ચોક્કસ વૈચારિક પ્રક્રિયાને અંતે તારવેલાં ગુણો અને લક્ષણો ધરાવતું પાત્ર ક્યારેય જીવનમાં ન મળ્યું તો? તો શું માણસે એક પગથિયું નીચે ઊતરીને સેક્ધડ બેસ્ટ ચૉઈસ કરીને આ અંગે સમાધાન કરી લેવું?

ઍન રૅન્ડ કહે છે: ‘હા. ભલે એમાં આધ્યાત્મિક અને શારીરિક સાયુજ્યની તમે કલ્પેલી ઊંચાઈ ન હોય, પરંતુ એ સંબંધ સાવ કંઈ નીચલા પગથિયાવાળો તો નહીં જ હોય.’

ઍન રૅન્ડની મઝા એ છે કે એ જબરજસ્ત તાર્કિક વ્યક્તિ છે. (વ્યક્તિની ગેરહયાતીમાં પણ એના વિશે વર્તમાનકાળમાં વાત ત્યારે જ કરી શકાય જ્યારે આજની તારીખેય એના વિચારો તમને તાજા લાગતા હોય, ઉપયોગી લાગતા હોય).

સેક્સની વાત પૂરી. નવી વાત. ઍન રૅન્ડ એક અન્ય પત્રમાં પોતાના પ્રકાશકને લખે છે: ‘તમે લખો છો કે મારા પર ‘શ્રદ્ધા’ રાખો. જુઓ, આવી ‘શ્રદ્ધા’ મેં ક્યારેય કોઈના પર રાખી નથી. આંખો મીંચીને કશુંક સ્વીકારી લેવું એવી ધાર્મિક પ્રકારની શ્રદ્ધા રાખવામાં હું માનતી પણ નથી. ભરોસો મૂકવા માટે મને કારણો જોઈએ. પૂરેપૂરી હકીકતો જોઈએ. હું તમને પ્રથમ વાર મળી ત્યારે ન તો મને તમારામાં – તમે જેને શ્રદ્ધા કે વિશ્ર્વાસ કહો છો તે હતાં, ન અશ્રદ્ધા કે અવિશ્ર્વાસ. તમારી સાથેના ઉત્તરોત્તર વધતા જતા વ્યવહારોમાંથી મને પુરાવાઓ સાંપડતા ગયા એ પહેલાં મેં તમારા વિશે કોઈ પણ પ્રકારનો અભિપ્રાય બાંધ્યો નહોતો – ન સારો, ન ખરાબ.’

કોઈ વ્યક્તિ તમને કહે કે મને તમારા માટે ખૂબ સારી ભાવના છે, અત્યંત ઉમદા લાગણીઓ છે કે ઊંડો આદર છે ત્યારે તમારે એ વિચારવાનું કે એ વ્યક્તિ આવું બોલવા ખાતર બોલી રહી છે કે તમારી સાથેના એના વ્યવહારમાંથી તમને આ બાબતો અંગેના સીધા યા આડકતરા પુરાવાઓ સાંપડ્યા છે? માત્ર બોલાયેલા શબ્દોની કોઈ જ કિંમત નથી. વ્યવહારમાં ન મુકાયેલા આવા શબ્દો હવામાં જ અધ્ધર રહેતા હોય ત્યારે એનાથી ભોળવાઈ જવું કે છેતરાઈ જવું કોઈનેય ન પોસાય.

છલોછલ લાગણીમાં ભારોભાર તર્કબદ્ધ ઠાવકાઈ કેવી રીતે ઉમેરવી એ શીખવા માટે વારંવાર ઍન રૅન્ડ પાસે જવું પડે.

 

__._,_.___

 

એકલતાનીપીડા

January 4th, 2014 Posted in મારા દિલની વાતો

 

એકલતાનીપીડા

હમણાં ગણેશોત્સવ પ્રસંગે, યોજાયેલા એક સંગીતઉત્સવ દરમ્યાન મારે, હ્યુસ્ટનમાં નવા આવેલા એક બહેનનો પરિચય થયો. તેઓ શાસ્ત્રિય સંગીતનું જ્ઞાન ધરાવે છે. સારુ ગાઇ શકે છે. એક્ટીંગનો પણ  અનુભવ છે. દેહલાલિત્ય પણ સરસ છે અને ગરબામાં ફરતી વખતે પણ કોઇનું પણ ધ્યાન આકર્ષી શકે એટલા આકર્ષક છે. જોબ કરે છે. સીંગલ ડાયવોર્સી છે. ડ્રાઇવીંગ પણ કરે છે અને સ્વતંત્ર રીતે  ભાડાના એપાર્ટમેન્ટમાં એકલા રહે છે.

મેં તેમને ગુજરાતી સમાજના ગરબા અને સમાજના સભ્ય થઈ જવાની અગત્યતા સમજાવતો એક મેઇલ મોકલ્યો.. બહેનનો જે જવાબ આવ્યો , એક બુદ્ધીશાળી વ્યક્તિની એકલતાની પીડા સમજાવવા પુરતો હતો.

નવીનભાઇ, આપે મોકલાવેલી માહિતી માટે આભાર. મારે , ગુજરાતી સમાજના સભ્ય તો થઈ જવું છે પણ મારે, મારી મિત્ર બની શકે તેવી કોઇ કંપની નથી. તમે સમજી શકો છો કે હું એકલી રહું છું, ડાયવોર્સી છું એટલે પુરુષમિત્રો તો અમુક રીતે જોવાના. સ્ત્રીઓ પણ કંઇક ઇર્ષ્યાના ભાવે ખોટી ખોટી વાતો કરતી હોય, સમાજમાં કોઇ સાથે અમસ્તી વાતની ઓળખાણ થાય તો યે આપણો સમાજ તો અફવાઓ ફેલાવ્યા વગર રહે. સ્ત્રીમિત્રો છે ,પણ કોઇ મારી બૌધ્ધિક કક્ષાની નથી. એમને કુથલીઓમાં રસ પડે છે. ક્યાં તો, બધી કથાવાર્તાઓ અને ગુરુઓઘેલી હોય છે. આપણી સાથે ફિલ્મમાં આવી શકે, ચર્ચા કરી શકે, સાહિત્યસંગીતની વાતોમાં ભાગ લઈ શકે એવું કોઇ નથી….વગેરે..વગેરે…’

મને બહેનની વાત સાંભળીને વિચાર આવ્યો કે, માનવીના ઘણાં સંબંધો હોવાં છતાં એકલો હોય છે. જે સ્ત્રી કે પુરુષ સંવેદનશીલ હોય, ભાવુક હોય હંમેશાં તત્વતઃ એકલા હોય છે. આપણી આજુબાજુ ચારેકોર મિત્રો, ક્લબો, ઇન્ટરનેટથી મલ્ટીપલ પ્રેમસંબંધો હોવાં છતાં આપણે એકલા નથી ? વિખ્યાત અસ્તિત્વવાદી ફ્રેંચ લેખકે ક્યાંક કહ્યું છે કે માણસ આંતરિક રીતે એકલો છે.

મારી સાથે મારી પત્ની છે. અમારું પચાસ વર્ષનું દામ્પ્ત્યજીવન છે. અમારા રસ અને અભિરુચી ભિન્ન છે ટલે અમે પણ તાત્વિક રીતે એકલા છીએ. પરંતુ એના ડીશનેટવર્કની ઝી ટીવીની સિરિયલો કે શ્રીનાથજીબાવાના ભક્તિભાવમાં એની એકલતાને ઓગાળી નાંખે છે અને હું ફિલ્મો, નાટકો અને પુસ્તકો કે ગુજરાતી ભાષામાં ઇન્ટરનેટ પર લખ લખ કરીને મારી એકલતાને પ્રવૃત્તિમય બનાવી દઉં છું.

એકલતા કોઇ નવી વાત નથી. તમે તમારા વિચારોમાં નિરાળા હો, જગતથી જુદું વિચારતા હો ત્યારે તમારું નિરાળાપણું તમારી પીડા બની જાય છે. માણસે આંસુઓનો સહારો લઈને પણ જીવવું પડે છે. આંસુઓ પી પીને પણ તરસ્યા રહીને જીવનને ઉંચું લાવવું પડે છે. પ્રેમ, મૈત્રી અને નામ વગરના સંબંધ થકી એકલતાને દૂર કરી શકાય છે. પ્રેમની સુંવાળપ કે ભીનાશ માનવીની એકલતાને દૂર કરી શકે છે.

આજે આખી દુનિયામાં એકલા રહેનારાઓની સંખ્યા વધી રહી છે. સંયુકત કુટુંબો તૂટતા જાય છેછૂટાછેડાનું પ્રમાણ વધતું જાય છે..અમેરિકામાં તો મોટાભાગની સિનિયર સિટીઝન  ગોરી ડોશીઓ એકલી હોય છે.

સ્ત્રીપુરુષનો સંબંધબાયોલોજીકલ નીડહોઇ શકે અનેપ્રેમપણ. કહેવાતો પ્રેમ વિજાતીય આકર્ષણ પણ હોઇ શકે. કોઇપણ આકર્ષણ કાયમ સ્થિર નથી રહી શકતું.

કોઇના વિચાર તમને ગમતા હોય, કોઇનું શારીરિક સૌંદર્ય તમને ખેંચતું હોય, કોઇનો અવાજ તમને ગમતો હોય, કોઇની વાત કહેવાની સ્ટાઇલ તમને આકર્ષતી હોય, કોઇના પ્રત્યે તમને અહોભાવ થતો હોય તો પણ આપણે લાગણીને પ્રેમનું રુપાળુ લેબલ લગાવી દઈએ છીએ.

મારા એક સિનિયર સિટીઝન મિત્ર છે. મારાથી દસેક વર્ષે નાના છે, વિધુર છે. બાળકો મોટા થઇ ગયેલા છે અને જૂદા રહે છે. મિત્ર પણ પોતાના ઘરમાં એકલા રહે છે. એમણે પોતાની એકલતા દૂર કરવા એક સ્ત્રીમિત્ર સાથે મૈત્રીનો સંબંધ વિકસાવ્યો છે. બહેન પણ વિધવા છે. બાળકોથી જૂદા, એકલા રહે છે, ટીફીનસેવા આપીને આજીવિકા રળે છે. બન્નેના જીવનમાંમેનોપોઝછે. તમને થશે કે પુરુષના જીવનમાં મેનોપોઝ ક્યારથી શરુ થયો ? પણ એક જૂદુ ચેપ્ટર લખવું પડે. ટૂંકમાં, શારીરિક સંબંધનો અહીં અભાવ છે એટલું કહીશ. બન્ને મળે છે, ફિલ્મ જોવા સાથે જાય છે, મેક્સીકન રેસ્ટોરન્ટમાં જમવા જાય છે, સુખદુખની વાતો કરે છે, પુસ્તકોની આપલે કરે છે અને સહજીવન જીવન જીવે છે.

      એકલતાની પીડા વેઠવા કરતાં, માણસ આવા સંબંધો –નામ વગરના સંબંધો વિકસાવે તો મને તો એમાં કશું ખોટું લાગતું નથી. અમેરિકાનું આ એક સુખ છે. અહીં કોઇને કશી પડી નથી હોતી. બાકી, ઇન્ડીયામાં તો પાડોશીઓ બાંયો ચઢાવીને,’યે શરીફોંકા મહોલ્લા હૈ, યહાં ઐસા નહીં ચલેગા’ કરીને મારામારી કરવા આવી જાય. ઝી ઈવી ની એકતા કપૂરની સિરીયલોમાં આવા દ્રશ્યો સાહજીક છે. ‘ક્રાઇમ પેટ્રોલ’ કે ‘સાવધાન ઇન્ડીયા’ જેવા શોમાં પણ આવા દ્રશ્યો ઘણીવાર જોવા મળે છે.

 

ગુણવંત શાહ- ‘કવિતા’ વિશે

January 4th, 2014 Posted in સંકલન્

 

કવિતા

માણસને કવિતા વગર ચાલે ખરું ? કવિતા વગર ચાલી જાય ખરું, પણ જેમ જેમ માણસાઈ સમૃદ્ધ બને તેમ તેમ કવિતાની તરસ વધે. જેમ જેમ કમ્પ્યુટરની બોલબાલા વધતી જશે તેમ તેમ કવિતાની તરસ તીવ્ર બનશે. યંત્ર કદી નથી કંટાળતું એ વાત સાચી, પરંતુ યંત્ર સાથે સતત કામ પાડનારો આદમી જરૂર કંટાળી જાય છે. કવિતા વગર ચાલી જાય તોય ચલાવી લેવા જેવું નથી. જીવતા હોવાની કેટલીક સાબિતીઓ જાળવી રાખવા જેવી છે. કવિતા પ્રત્યેનું આકર્ષણ જીવતા હોવાની પ્રબળ સાબિતી છે.

કવિતા માત્ર કાગળ પર છપાતી પંક્તિઓમાં જ નિવાસ કરનારી આત્મસુંદરી નથી. એ તો જીવનયોગિની છે. ક્યારેક મૌનના અજવાળામાં અને એકાંતના મહાલયમાં એનો પગરવ સંભળાય છે. પગરવ સાંભળવા માટે કાન અને હ્રદય સરવાં કરવાં પડે છે.

ડૉ. ગુણવંત શાહના વૃક્ષમંદિરની છાયા’ પુસ્તકમાંથી સાભાર

 

‘મા’ અંગેનું વિનોદ પટેલનું કાવ્ય

January 4th, 2014 Posted in સંકલન્

‘મા’ અંગેનું વિનોદ પટેલનું કાવ્ય

ઓ મા સદેહે અહીં નથી એ કેમે કરી મનાય ના
સ્મરણો તારાં અગણિત બધાં જે કદી ભૂલાય ના
મા કોઈની મરશો નહી એવું જગે કહેવાય છે
જીવનસ્ત્રોત માના વિયોગની ખોટ સદા વર્તાય છે
માનવીના હોઠ ઉપર જો કોઈ સુંદર શબ્દ હોય તે મા
વરસાદ કરતાં ય પ્રેમે ભીંજવતો સાદ હોય એ મા
સ્મિત કરતી તસ્વીર ભીંતે પૂજ્યભાવે નીરખી રહ્યો
ભૂલી સૌ વિયોગ દુખ તવ મુક આશિષ માણી રહ્યો
ભજન,કીર્તન,ભક્તિ,વાંચન અને વળી તવ રસોઈકળા
ગજબ પરિશ્રમી હતી તારી હરરોજની એ દિનચર્યા
કર્તવ્ય પંથે અટલ રહી સૌની ચિંતા માથે લઇ
અપૂર્વ ધીરજ બેશબ્દ રહી વેદનાઓ સહેતી રહી
પડકારો ભર્યા કાંટાળા રાહે માંડી ચરણો ધૈર્યથી
ગુલાબો સૌ ખીલવી ગયાં અવ જીવન પંથમાં પ્રેમથી
ચંદન સમું જીવન તમારું ઘસાયું કાળ પથ્થરે
કરી લેપ એનો હૃદયમાં સુગંધ માણી રહ્યાં અમે
પ્રેમ,નમ્રતા, કરુણા અને તવ પ્રભુમય જીવનને વંદી રહ્યો
દીધેલ સૌ સંસ્કાર બળે આજ ખુમારી ભેર જીવી રહ્યો
શબ્દો ખરે જ ઓછા પડે ગણવા ઉપકારો મા-બાપના
કિન્તુ અલ્પ શબ્દો થકી માતૃદિને મા કરું હૃદયથી વંદના .

કાવ્ય રચના —- વિનોદ આર. પટેલ

એક્ષપાયર્ડ થઇ ગયેલ ગ્રીન કાર્ડ રીન્યૂ કરવા માટેનો પ્રોસીજર

January 4th, 2014 Posted in અનુભૂતિ

 

V

એક્ષપાયર્ડ થઇ ગયેલ ગ્રીન કાર્ડ રીન્યૂ કરવા માટેનો પ્રોસીજર 

સીનીયર સીટીઝન્સ એસોસિયેશનની મીટીંગમાં એક ૭૦ વર્ષના માજીએ એક કેઇસ હિસ્ટરી કહી. અને ગાઇડન્સ માંગ્યું.

મને ૨૦૦૫માં ગ્રીનકાર્ડ મળ્યું જેની એક્ષ્પાયરી ડેઈટ સપ્ટેમ્બર ૨૦૧૨ સુધીની હતી. હું ઇન્ડીયા ગઈ અને ચાર વર્ષ સુધી પા્છી અમેરિકા ન આવી. લોકોએ કહ્યુ કે એક વર્ષમાં પાછા ન આવ્યા એટલે ગ્રીનકાર્ડ લેપ્સ થઇ જાય એટલે હું વીઝીટર વીસા લઈને અમેરિકા આવી. છ માસમાં પાછી ઇન્ડીયા જતી રહી. ૨૦૧૨માં વીઝીટર વીસા પર જ અમેરિકા આવી.પણ મારા ગ્રીનકાર્ડ પર એક્ષપાયરી ડેઇટ તો સપ્ટેમ્બર ૨૦૧૨ હતી. એટલે મારે રીન્યૂ કરાવવું છે. તો રીન્યૂ થઈ શકે ? એ માટે  શું કરવું પડે ?

એક જાણીતા ખ્યાતનામ ઇમીગ્રેશન એટર્નીએ ૩૦ મીનીટના ફ્રી કન્સલ્ટેશનમાં સલાહ આપી કે તમે ગ્રીનકાર્ડની એક્ષપાયરી  ડેઇટ પહેલા પાછા અમેરિકા આવી ગયા છો એટલે સહેલાઇથી એક્ષપાયર્ડ થયેલું તમારું ગ્રીનકાર્ડ રીન્યૂ થઈ શકે. માત્ર ઇમીગ્રેશન

ઓફિસમાં I-90 form ભરવું પડે અને ૪૫૦ ડોલરની ફી ભરવી પડે. વકીલ મારફતે કાર્યવાહી કરવી હોય તો એની ફી જૂદી લાગે.

___________________________________________________________________

ઇમીગ્રેશન ઓફિસનું સરનામુ નીચે પ્રમાણે છે-

૧૨૬, નોર્થપોઇન્ટ ડ્રાઈવ, હ્યુસ્ટન, ટેક્ષાસ ૭૭૦૬૦.

I-45 North   Exit 60B  First Right on Northpoint Drive . 

છતાં સાવચેતી ખાતર ઇન્ટરનેટ પર વ્યવસ્થિત રીતે મેપક્વેસ્ટ દ્રાઇવિંગ ડાયરેક્શન કાઢીને જવું. સાથે તમારું ગ્રીનકાર્ડ, સોશિયલ સીક્યોરીટી કાર્ડ, ગ્રીનકાર્ડની બે ઝેરોક્ષ કોપીઓ, વેલીડ પાસપોર્ટ, જરુરી વીગતો રાખવી. શક્ય હોય તો ઇન્ટરનેટ પરથી ગ્રીનકાર્ડ રીન્યુઅલ અંગેની સૂચનાઓ, ફોર્મ આઇ-૯૦  ડાઉનલોડ કરી લઈને ઘેરથી જ જરુરી વિગતો ભરીને, બે પાસપોર્ટ ફોટાઓ અને હજારેક ડોલર સાથે રાખીને જવું.

આ બધી પળોજણ ઘેરથી પણ ઇન્ટરનેટ પર USCIS Office પર જઈને, સુચનાઓ અને ફોર્મ આઇ-૯૦ લાઉનલોડ કરીને, જે સરનામે ફોર્મ મોકલવાનું કહ્યું હોય ત્યાં ફોર્મ અને ફી મોકલી દેવાથી, ઘેરબેઠા પણ  ગ્રીનકાર્ડ,   રીન્યૂ થઇને આવી જાય.

મેં અંગત રીતે એ માજીની વ્યક્તિગત કેઇસ-હિસ્ટરી જાણીને, તેમને સલાહ આપી કે-

(૧)  જો ઇન્ડીયામાં તમારે નામે મોટો બંગલો હોય, તમારો દીકરો સારુ કમાતો હોય, અને વહુ,પૌત્રો,પૌત્રીઓ સાથેનો બહોળો સંસાર હોય તો અહીં અમેરિકામા રહીને, કોઇના ઘેર બેબી-સીટીંગ અને રસોઈ-પાણી જેવા કામ કરવા આ ૭૦ વર્ષની ઉંમરે દીકરા-વહુ, બહેનો, બનેવીઓની ના-મરજી હોવાં છતાં, માથે પડીને , દીકરાવહુ વચ્ચે ઝગડા કરાવવા માટે શા માટે રહેવું ? છતાં , એ તમારી વ્યક્તિગત અંગત વાત છે.

(૨) તમારે માટે ઘણા ડ્રોબેક્સછે. તમને અંગ્રેજી આવડતું નથી. કાર ચલાવી શકતા નથી. લોકોની રાઇડ્સ પર આધાર રાખવો પડે છે.તમે આ દેશમાં રહો એ તમારા દીકરાને ,વહુને, બહેનોને, બનેવીઓને ગમતું નથી અને કોઇ આ અંગે સહકાર આપવા તૈયાર નથી. તમારી ટપાલ અને ટેલીફોન મેસેજીસ પણ ગેરવલ્લે જવાની પુરી સંભાવના છે. ઇમીગ્રેશન ઓફીસ, વકીલની ઓફીસના ચક્કરો કાપવા માટે ઘરના કોઇ સભ્યો તૈયાર ન હોય તો બહારના કોઇ ૨૦-૨૫  માઇલ ડ્રાઇવ કરીને ગાંઠનું પેટ્રોલ બાળીને, પોતાનો કિંમતી સમય કાઢીને, ધક્કા ખાવા કોણ તૈયાર થાય ? તમારી પાસે પોતાનો મોબાઇલ ફોન સુધ્ધાં નથી. તમારો કોન્ટેક્ટ, તમારા દીકરા-વહુથી ખાનગી કોઇ શા માટે કરે ?

–   સોરી, બહેન !  તમે સલાહ માંગી અને અમે યોગ્ય વ્યક્તિની ફ્રી સલાહ તમને અપાવી. અમે ય, ૭૦ વટાવી ગયેલા છીએ અને અમારે ય અમારા લીમીટેશન્સ છે. હવે શું કરવું, કેવી રીતે કરવું એ તમારો પ્રશ્ન છે.  We can’t help it.

આપને શું લાગે છે મેં સાચો જવાબ આપ્યો ને ?    આપના પ્રતિભાવો આવકાર્ય છે.

 

એકાંતે આવી સાજન તારી યાદ’

January 4th, 2014 Posted in અહેવાલ

 

એકાંતે આવી સાજન તારી યાદ

 

ગુજરાતી સાહિત્ય સરિતા ઓફ હ્યુસ્ટનની ૧૨૦મી બેઠક,તારીખ ૨૪ માર્ચ ૨૦૧૨ને શનિવારની બપોરે, ભોજન રેસ્ટોરંટના હોલમાં મળી હતી. લગભગ સાઈઠ જેટલા સર્જકો અને સાહિત્યરસિકોની હાજરીમાં આ વિશિષ્ટ અને ઐતિહાસિક બેઠકમાં રજૂ કરાયેલી ક્રુતિઓનો વિષય હતો-એકાંતે આવી સાજન તારી યાદ‘. ભાગ લેનારા કવિઓ, ગઝલકારો મોટેભાગે પંચાવન થી પંચોતેરની વચ્ચેની વયના હતા એટલે સ્વાભાવિક રીતે જ આ વિષય પર,વીતી ગયેલા દિવસોની યાદો કે વિખૂટા પડી ગયેલા જીવનસાથી સાથેના સંભારણાને લગતી રચનાઓ જ રજૂ થાય.

કાર્યક્રમના કો-ઓર્ડીનેટર શ્રી. સતિષભાઇ પરીખે સમગ્ર કાર્યક્રમની રુપરેખા આપતાં કહ્યું કે  આજનો આ કાર્યક્રમ બે ભાગમાં વહેંચાયેલો છે.પ્રથમ ભાગમાં,સર્જકો પોતાની ક્રુતિઓ રજૂ કરશે. અલ્પાહાર બાદ ત્રણ સર્જકો વિવિધ વિષયો પર પોતાનું મંતવ્ય રજૂ કરશે.હ્યુસ્ટનના જાણીતા કવયિત્રી દેવિકાબેન ધ્રુવ ગઝલ વિષે, હાસ્યલેખક શ્રી. ચીમનભાઇ પટેલ (ચમન‘) હાસ્યલેખોના સર્જન વિષે તથા જાણીતા નવલકથાકાર શ્રી. નવીન વિભાકર ટેલીફોનિક વાર્તાલાપ દ્વારા નવલકથાના સર્જન વિષે  આપણને માહિતી આપશે.

વિલાસબેન પીપલીયા નામના એક સિનીયર સિટીઝન સાહિત્યરસિક બેને ,જૈન પ્રાર્થનાથી શરુઆત કરીને , આજના માસ્ટર ઓફ સેરિમની અને સાહિત્ય સરિતાના એક મોવડી  વિજયભાઇ શાહને માઈક  સોંપી દીધું હતું.

વિજયભાઇ શાહ એક ઉત્સાહી, સૌમ્ય અને મીતભાષી લેખક છે. સરિતાના સર્જનથી લઈને તેમણે હ્યુસ્ટનમાં ઘણા લેખકોના હાથમાં કલમ પકડાવી દીધી છે. વિજયભાઇ સાચા અર્થમાં સાહિત્યસરિતાના “ચાલકબળ” સમા છે. દરેક રજૂ થતી ક્રુતિ બાદ કોઇ કોમેન્ટ કે શાયરી કે ગઝલ મુકવાને બદલે તેમણે સાહિત્ય સરિતાના અગિયાર વર્ષોના યાદગાર પ્રસંગોની યાદોને રસપુર્વક રજૂ કરી હતી.

શ્રી.વિજયભાઇએ ભરત દેસાઇની એક ગઝલ રજૂ કરી-

એકાંતે આવી તારી યાદ સજન

જાણે લાગે છે ઝંઝાવાત સજન

તારી જીદે મૌસમ બદલાઇ ગઈ

પેલા જેવો ક્યાં છે વરસાદ સજન

જા તારા સઘળા ગુન્હા માફ કર્યા

ને કરવી પણ કોને ફરિયાદ સજન

ડોક્ટર ઇન્દુબેન શાહે  સાજન મારો એક બસ વ્હાલ વરસાવે, યાદ બસ સાજન તારી એકાંતે આવેજેવા શબ્દો ધરાવતી ગઝલ રજૂ કરી હતી. મુળ હ્યુસ્ટનના, પણ હાલમાં ઓસ્ટીન વસેલા સરયુબેન પરીખે ટેલીફોન પર પોતાની રચના સંભળાવી હતી. હેમાબેન પટેલે સુંવાળા દિવસોની સુખદ પળોને અને ઘાયલ દિલની, વિરહની પળોને ઉજાગર કરતી એક રચના સંભળાવી હતી.શૈલાબેન મુન્શા નામના એક કવયિત્રીએ પણ વિરહની પળોમાં વિખૂટો પડી ગયેલો સાજન કેટલો યાદ આવે છે તેનું વર્ણન કરતું એક કાવ્ય રજૂ કર્યું હતું. દેવિકાબેન ધ્રુવે પણ પોતાની એક છંદોબધ્ધ ગઝલ સંભળાવી હતી .મનુજ હ્યુસ્તોનવીના નામે ગઝલો લખતા કવિશ્રી. મનોજ મહેતાએ પણ શમણું હતું જે ખુલ્લી આંખેશિર્ષક ધરાવતી રચના સંભળાવી હતી.ચિમનભાઇ પટેલે આદિલ મન્સુરિની ખ્યાતનામ રચના ફરી મળે ના મળે નો રદીફ લઈને સર્જેલી હાસ્યપ્રધાન ગઝલ સંભળાવી, શ્રોતાઓને હાસ્યમાં તરબોળ કરી મુક્યા હતા.

ખઈ લો પકવાન પેટ ભરીને, ફરી મળે ન મળે

લખી લો તમે ગઝલશબ્દો ફરી મળે ન મળે !

કરી રાખ્યું છે ધન ભેગું આજ સુધી ઘણું,

દઈ દે દાનમાં લેનાર વળી મળે ન મળે !

ફતેહ અલી ચતુરે પોતાની લાક્ષણિક શૈલીમાં,  સામેવાળાના મનની વાત જાણી શકાય તેવા યંત્રની વાત કહેતી   એક હાસ્યસભર હિન્દી કવિતા રજૂ કરીને શ્રોતાઓને ખૂબ હસાવ્યા હતા. અન્ય કવિઓમાં ભજનિક  કવિ શ્રી.પ્રદીપ બ્રહ્મભટ્ટ, ધીરુભાઇ શાહ,અશોક પટેલ, ભગવાનદાસ પટેલ, ચિત્રકાર શ્રી.વિનોદ આર.પટેલ, કાર્યક્રમના સ્પોન્સરર શ્રી. મનસુખ વાઘેલા, નુરુદ્દીન દરેડીયા, પ્રશાંત મુન્શા, વગેરે એ પણ પોતાની રચનાઓ રજૂ કરી હતી. શ્રી. હેમંત ગજરાવાલા નામના એક સાહિત્યપ્રેમીએ એક અંગ્રેજી કાવ્ય રજૂ કરીને તેનો ભાવાનુવાદ સંભળાવ્યો હતો.

એક કવિની રચના બાદ, વચ્ચે વચ્ચે માસ્ટર ઓફ સેરિમની શ્રી. વિજય શાહે પોતાની શાંત અને સૌમ્ય ભાષામાં, સાહિત્ય સરિતાના આ અગિયાર વર્ષોના યાદગાર પ્રસંગો વાગોળતાં, હ્યુસ્ટન મુલાકાત ટાણે કવિશ્રી.વિનોદ જોશી સાથેના સંસ્મરણો,સહિયારા સર્જનના સંસ્મરણો,દશાબ્દી વખતના નાટકોની યાદો,  પાદપુર્તી દ્વારા સર્જાયેલ કવિતાઓ  વગેરે ઘણું બધું  યાદ કર્યું હતું અને એ અગિયાર વર્ષો શ્રોતાઓની આંખ સમક્ષ તાદ્રુશ કરી દીધાં હતાં.

આમ કાર્યક્રમના પ્રથમ ભાગમાં એકાંતે આવી સજન તારી યાદમાં પુનમની રાત..ચાંદની રાત..ઘનઘોર રાત..શ્રાવણી રાત..સાજન..પિયુ..વિરહ..ને મિલન…  ને એવું બધું આવી ગયું. .મોટાભાગના સર્જકો પંચાવન વટાવી ગયેલા છે એટલે કાં તો જૂવાનીના દિવસોને યાદ કરીને ઉર્મિઓને કાગળ પર ઉતારે છે અથવા પ્રક્રુતિપ્રેમ ,નિસર્ગ સાથેની પ્રીતિ, પાણી, વ્રુક્ષ ગગન, સુરજ, તારાઓ, ચાંદો એમને આકર્ષતા હોય એવું દેખાઇ આવતું હતું.અંગત લાગણીઓનું  કાવ્યમય આલેખન ભીતરમાં ભંડારાયેલ સ્મ્રુતિઓની અભિવ્યક્તિ રજૂ કરાયેલી ક્રુતિઓમાં દેખાઇ આવતી હતી.આજે રજૂ થયેલી રચનાઓમા તેમના અનુભવો અને તેમનું આંતરવિશ્વ વિવિધ સ્વરુપે વ્યક્ત થતું જોવા મળ્યું હતું.કેટલીક ક્રુતિઓમાં પોતાના સજન પ્રત્યેની અતૂટ અને અમીટ ચાહનાની અભિવ્યક્તિ વ્યક્ત થતા હતા.

સમોસા,  દાળવડા, ચાહ, ચવાણુંના નાસ્તા બાદ કાર્યક્રમનો  બીજો દૌર શરુ થયો.

સાહિત્ય સરિતાના ભિષ્મપિતા ગણાતા શ્રી. દીપક ભટ્ટે સાહિત્યસર્જનનું સ્તર કેવી રીતે ઊંચુ લાવી શકાય એ બાબત પર કેટલોક વિચારવિમર્શ  કરતાં ગ્રામ્યમાતા‘, ‘કરણઘેલોને ય યાદ કરી લીધા અને દરેક બેઠકમાં રજૂ થયેલ ક્રુતિની નિષ્પક્ષ સમીક્ષા કરવાની સુચના રજૂ કરી.  ચિમન પટેલ

નામના આ હાસ્યલેખક કે જેમની કલમ ધારદાર નિરીક્ષણો કરીને દ્વેષવિહીન રજૂઆત કરે છે તથા તેમના લખાણોમાં એક તાઝગી અને ઉન્મેષ હોય છે તેમણે પોતાના હાસ્યલેખો કઈ રીતે સર્જાયા તેની નિખાલસ વાતો કરી.

વચ્ચે પ્રશાંત મુન્શાએ સાહિત્ય સરિતાના નવા બોર્ડ અને નવા કો-ઓર્ડીનેટર્સની નિમણુંકની જાહેરાત કરતાં જણાવ્યું કે નવા બોર્ડની રચનામાં અગિયારને બદલે હવે માત્ર પાંચ જ બોર્ડ મેમ્બર રહેશે જેમના નામ નીચે મુજબ છે-

(૧) વિશ્વદીપ બારડ- પ્રેસિડેન્ટ

(૨) પ્રશાંત મુન્શા-  સેક્રેટરી

(૩) ડોક્ટર રમેશ શાહ

(૪) સતીષ પરીખ

(૫) વિનોદ આર. પટેલ

કો-ઓર્ડીનેટર્સ તરીકે શ્રી. નરેન્દ્રભાઇ વૈદ્ય અને શ્રી.પ્રદીપ બ્રહ્મભટ્ટ  કામગીરી બજાવશે.

શ્રી. દીપક ભટ્ટ માનનીય સલાહકાર તરીકેની ભૂમિકા ભજવશે પણ તેમને સંસ્થાકિય નિર્ણયો બાબતમાં મત આપવાનો અધિકાર રહેશે નહીં.

સંવેદનાઓને શબ્દોમાં ઢાળનાર કવયિત્રી દેવિકાબેન ધુવની રચનાઓમાં પ્રણય અને અધ્યાત્મ સમાનાંતર સ્વરુપે વહેતા જણાય છે.તેમના પ્રથમ કાવ્યસંગ્રહનમાં સુમન અજમેરી જેવા સમીક્ષકને છંદશુધ્ધીનો અભાવ લાગ્યો  અને છંદદોષો પ્રત્યે અંગૂલીનિર્દેશ કર્યો એટલે તેમણે રઈસ મનીયાર ના છંદોવિધાન, જેવા પુસ્તકોના અભ્યાસ દ્વારા અને રસિક મેઘાણી જેવા ગઝલકાર પાસે પ્રત્યક્ષ માર્ગદર્શન લઇ  બધું જ છંદમાં લખવા માંડ્યું  અને ગઝલ સાહિત્યને ગરિમા બક્ષતી રચનાઓ આપી. માનવીય મુલ્યો અને ભાવનાઓના પુરસ્કર્તા એવા આ કવયિત્રીનો પ્રક્રુતિપ્રેમ અને નિસર્ગ સાથેની પ્રીતિ એમની રચનાઓમાં છલકાતી જોવા મળે છે એવા હ્યુસ્ટનના ગૌરવ સમા આ કવયિત્રીએ સાહિત્યના સ્તરને ઉંચુ લાવવા વિષે બોલતાં જણાવ્યું કે સાહિત્યની આ સંસ્થા એ સરસ્વતીનું મંદીર છે અને શબ્દો એ આપણી પૂજા છે. કોઇપણ પરિસ્થિતિમાં આપણે અઘટીત શબ્દો વાપરીશું નહીં અને સાચા શબ્દસાધકોની સાધનામાં ભંગ પડે નહીં તેની તકેદારી રાખીશું.અને એ રીતે સાહિત્યનું સ્તર ઉંચુ રાખીશું.મને લાગે છે કે આટલી અપેક્ષા વધારે પડતી નથી.સાહિત્ય સરિતાના કલાને ક્ષેત્રે ફળદ્રુપ એવા મંચ પર રહી હંમેશાં નવું નવું શીખવાની અને પ્રયોજવાની ધગશ રાખીશું.

બ્લોગની સુવિધાનો લાભ લઈને અહેવાલ પણ સીડી પ્લેયર પર રેકોર્ડ કરી, સાઇટ પર અપલોડ કરી શકાય.

ગઝલ અંગે બોલતાં આ વિદુષી કવયિત્રીએ જણાવ્યું કે છેલ્લા અઢી વર્ષમાં જૂદા જૂદા માધ્યમો દ્વારા પોતે જે કાંઇ શીખ્યા છે તે પરથી કહી શકાય કે ગઝલનું એક તો બાહ્ય સ્વરુપ છે જે રદીફ, કાફીયા અને છંદમાં ગૂંથાયેલું હોય છે. એ ત્રણ તો એના અનિવાર્ય અંગો છે.રઈસ મનીયારે કહ્યું છે કે ગઝલને એક તંબુની કલ્પના કરો તો કાફિયા એના સ્તંભ છે. એના સમતુલન વગર ગઝલની ઇમારત ધરાશાય થઈ જાય. બીજું સ્વરુપ એનું આંતરીક છે. ગઝલ અને કોઈપણ કલાક્રુતિમાં વિચારોની ઊંચાઇ હોય, શબ્દોની લયાત્મકતા હોય, લાલિત્ય હોય, અર્થનું ઊંડાણ હોય અને છેલ્લે કોઇ સરસ સંદેશની ચમત્ક્રુતિ હોય ત્યારે એને સાહિત્યના સાચા સ્તર પર મૂકી શકાય.અભ્યાસ, આયાસ અને રિયાઝ ક્રુતિમાં નિખાર લાવે છે . ઉદાહરણ તરીકે.કસુંબલ આંખડીના કસબની વાત શું કરવી, કલેજુ કોતરી નાજુક મીનાકારી કરી લીધી‘.

આપણે સૌ જે કાંઇ લખીએ છીએ તેને ચકાસીએ, મઠારીએ.ખાલી પ્રાસ મેળવી લેવાથી કવિતા કે ગઝલ બનતા નથી.છંદમાં ન લખી શકાય તો લયબધ્ધ ગીત લખો.લય તો અનિવાર્ય છે.લય તો કુદરતમાં અને જીવનમાં-બધે જ છે.સાહિત્યના માપદંડમાં ખરી ઉતરે એવી રચનાઓ કરીએ.કેટલું લખ્યું તે મહત્વનું નથી.કેવું લખ્યું તે મહત્વનું છે.આપણા સભ્યો પાસે કલ્પનાઓ છે,શબ્દભંડોળ છે પણ આ બધું વેરવિખેર પડેલ મોતી જેવું છે એને એક નિશ્ચિત પેટર્નમાં પરોવી એક સુગઠિત માળા બનાવીએ.

સાહિત્ય સરિતાના સભ્યો અને સાહિત્યરસિક મિત્રો આ કવયિત્રીના વિદ્વત્તતાસભર વક્તવ્યને મંત્રમુગ્ધ બની ને સાંભળી રહ્યા હતા.

જાણીતા લેખક-નવલકથાકાર શ્રી. નવીન વિભાકરે ટેલિફોનીક વાર્તાલાપ દરમ્યાન પોતાના સર્જન પર ર. વ. દેસાઇ, વિ.સ.ખાંડેકરની શૈલીની અસર હોવા વિષે જણાવ્યું.પોતાની નવલકથા કુસુમ કાપડીયાના સર્જનની વાતો કરી. પોતાના પાત્રો પર દર્શકના પાત્રોની અસર હોવા વિશે પણ જણાવ્યું.નવોદિત લેખકોને સંદેશ આપતાં તેમણે જણાવ્યું કે પહેલાં વાંચન અને મનન કરો.જે લખવાનું હોય તેનો અભ્યાસ કરી, સંશોધન કર્યા બાદ જ સર્જનમાં પ્રવ્રુત્ત થાવ.નિરીક્ષણ કરો અને પછી પાત્રોનું સર્જન કરો.અનુભવોની અનુભૂતિ પાત્રાલેખનમાં ઉપસાવો.લખાણ હ્રુદયમાંથી આવવું જોઇએ‘.( ટેક્નીકલ ક્ષતિને કારણે આ વાર્તાલાપ અધવચ્ચેથી આટોપી લેવો પડ્યો હતો ).

અંતમાં, વિલાસબેન પિપળીયાના સુમધુર કંઠે, અવિનાશ વ્યાસની જાણીતી રચના હે શ્રાવણ વરસે ઝરમરીયો વરસાદ, કાનાઆવે તારી યાદસાંભળીને સૌ શ્રોતામિત્રો ચાર કલાક લાંબી આ અવિસ્મરણિય બેઠક બાદ છૂટા પડ્યા હતા.

******************************************************************************

અહેવાલ -નવીન બેન્કર

navinbanker@yahoo.com

લખ્યા તારીખ- ૩૧ માર્ચ ૨૦૧૨

 

 

અમેરિકામાં ધરમના ધુતારાઓ

અમેરિકામાં ધરમના ધુતારાઓ 

હમણાં ઝી ટીવીની આજતક ચેનલમાં અને વર્તમાનપત્રોમાં આસારામ અને નારાયણસ્વામિના કરતૂતોની ધૂમ મચી છે. આજનો હોટ ટોપીક છેઆસારામ.

આપણે એની વાત નથી કરવી.

તમને ખબર છે ? અમેરિકા જેવા દેશમાં પણ વા ધુતારાઓ પોતાનો કારોબાર ચલાવે છે ?

હમણાં એક આવા સ્વામિજી અમેરિકાના અન્ય સ્ટેટમાં કાળાધોળા કરીને, ઉઠમણું કરીને, પોતાની પાછળ કોર્ટકેસોના પુંછડા લટકાવીને, બીજા સ્ટેટમાં ભાગી આવ્યા છે. અહીંના વર્તમાનપત્રોના પ્રતિનિધીઓ એમના ઇન્ટર્વ્યૂ લઈને સાચી વાત જાણવા જાય છે તો એમને પણ મુલાકાતો નથી આપતા. અને બિન્દાસપણે એક મંદીરનું ઉદઘાટન કરી નાંખ્યું. દસપંદર પુજારીઓ માટે જાહેરાતો આપી દીધી. યોગ્ય પુજારીઓ મળે કે ના મળે, જાહેરાતો તો કાયદેસર આપવી પડે. પછી ઇન્ડિયાથીકબુતરોને સ્પેશ્યલ વીસા પર બોલાવી લેવાય. સ્વામિબાબાના ફોન નંબર્સ, ફેક્સ નંબર, મેઇલ એડ્ડ્રેસો, વેબ સાઇટ..બધું .

લોકલ વર્તમાનપત્રોમાં આખા પાનાની કલર જાહેરાતો છપાય

તમારે લગ્નમાં પ્રોબ્લેમ છે?’.. ‘બ્લેક મેજીકકાળા જાદુથી પીડાવ છો ?’..’કાળસર્પ દોષ છે ?.’..’ધંધામાં તકલીફો છે ?’…’છૂટાછેડા લેવા છે ?’..તમે ડોક્ટર હો અને કોઇએ તમને કોર્ટમાં ઘસડ્યા હોય કે કોર્ટકેસમાં ફસાવ્યા હોય કે ઇન્કમટેક્સની માયાજાળમાં મૂંડાળા હોવ..કે પછી ગ્રીન કાર્ડ મળતું હોય.. તોસ્વામિજીનો સંપર્ક સાધો

છોકરાં થતા હોય, ડ્રગને રવાડે ચડ્યા હો, હઠીલા દર્દો જેવા કે કેન્સર, હાર્ટએટેક, થાયરોડ ડીપ્રેશન, જાતીય તકલીફો, ઉત્થાનના પ્રોબ્લેમો, મેનોપોઝના પ્રોબ્લેમો પણ અમે દૂર કરી આપીશું.

અંધશ્રધ્ધાળુ અજ્ઞાન, ‘ગ્રાહકોફોન કરે એટલે ગુરુજી તો ફોન પર આવે નહીં, એમની સેક્રેટરી કે કોઈપ્રજાપતિમાહિતી પુછી લે  અને તકલીફને આધારે ફી જણાવે તથા ક્રેડીટ કાર્ડથી એડવાન્સ પેમેન્ટ કરવું પડે. પછી ઇન્ટર્વ્યૂની તારીખ મળે. ટીવીના કંઇ કેટલાય શોમાં તમને એમના ફોટા સાથે કોઇ રુપાળી બાઇ ગુણગાન કરતી જોવા મળે..

આવા આસારામોના મંદીરોમાં દેસી બૈરાં વધુ જોવા મળે. ટીવી પર કોઇ શોમાં ભગવાનના દર્શન થાય ત્યારે દેસી બૈરાં’, શ્રધ્ધાપુર્વક નતમસ્તકે નમન કરતા જોઉં ત્યારે તો મને એટલી રમૂજ થાય કે પુછો વાત.

દેસી લોકોને છાપાં વાંચવાની તો આદત નહીં. દરેક ગ્રોસરી સ્ટોર પર મફત મૂકેલા છાપા પણ ના ઉપાડે. અને કદાચ ઉપાડે તો માત્રસેલની જાહેરાતો જોવા માટે અગર  છાપાને પાથરીને શાક સમારવા કે ગોળ ભાંગવા માટે એનો ઉપયોગ કરતા હોય. પછી મારા જેવા કોઇ ઇન્વેસ્ટીગેટીવ પત્રકારે આસારામના કરતૂતો છાપ્યા હોય તો યે કોણ વાંચવા નવરું છે ?

અરેસાલાઓ એટલું તો વિચારો કે જેમના માથા પર આટઆટલા કેસની તલવારો લટકે છે પોતાના પ્રોબ્લેમો સોલ્વ નથી કરી શકતા તમારા પ્રોબ્લેમો કેવી રીતે સોલ્વ કરવાના છે ? બની બેઠેલા બાપુઓ પોતાના નામની પાછળસંત’, ‘સ્વામિજીએવા વિશેષણો લગાવે, ભક્તોને અડે પણ નહીં ( કદાચ ભક્તાણીઓને તો અડતા હશે ). એમના ભક્તોમાં ડોક્ટરો, એન્જીનિયરો જેવા ભણેલાગણેલા લોકો પણ હોય છે. અરે ! એવા આગેવાન લોકો તો પાછા એમના મંદીરો માટે ડોનેશનો ઉઘરાવવામાં મદદ કરતા હોય ! રીટાયર્ડ થયેલા મોટાભાગનાદેસીઓઆવા મંદીરોના બાંકડા પર બેસીને કૂથલીઓ કરતા જોવા મળે. સમય મળ્યો છે અને હજી હાથપગ ચાલે છે ત્યાં સુધી લાયબ્રેરીનો લાભ ઉઠાવો, જોવાલાયક સ્થળોની મુલાકાત લો, સિનિયર્સની સેવા કરો, કોઇ સારી સેવાભાવી સંસ્થાઓમાં વોલન્ટીયર વર્ક કરો., કોમ્પ્યુટર શીખીને સર્ફીંગ કરો..હા ! તમારા ઇષ્ટદેવનું પણ સ્મરણમનન કરો..પણ જિન્દગી જરા બુધ્ધીગમ્ય રીતે જીવો.

મને તો આવા સ્વામિજીઓને મળવાનું થાય છે ત્યારે, મીસ્ટર ઇન્ડીયા બની જઈને, ફિલ્મ  ‘એક અજનબીના  હીરો અમિતાભ બચ્ચન જે રીતે પેલા ભ્રષ્ટ પોલીસ ઓફીસરની પીછવાડે બોંબ લગાવીને ઉડાવે છે રીતે ઉડાડી દેવાનું મન થઈ જાય છે.

આપણા દેશી લોકોમાં ધર્મભાવના એટલી બધી પ્રબળ હોય છે કે એમને સાચાખોટાનું પ્રમાણભાન નથી રહેતું. અને આવા તકસાધુઓ એનો લાભ ઉઠાવવા તૈયાર હોય છે. હમણાં આવા એક સ્વામિજીને પ્રશ્નોત્તરી કરવાનો મેં પ્રયત્ન કર્યો ત્યારે એમના ભક્તજનોના સમુહે મને બેસાડી દીધો. ‘તમે પછીથી એકાંતમાં એમને મળીને તમારી શંકાનું સમાધાન કરજો.. જાહેરમા આવા સવાલો પુછીને સ્વામિજીનું અપમાન કરાય’.

મેં નાનપણમાં સંન્યાસીઓના મઠમાં, સંન્યાસીઓને જાતે લુંગીઓ ધોતા, સૂકવતા, બાટી બનાવતા અને ચોપાડમાં ચોરસો ઓઢીને સૂઇ જતા જોયા છે, એમની કથાવાર્તાઓ સાંભળી છે. પુજ્ય ડોંગરે મહારાજની ભાગવતકથાઓ સાંભળી છે, રામાયણકથા, મહાભારતકથા, ગરુડપુરાણ સાંભળ્યા છે. તદ્દન સાત્વિક રીતે, યોગ્ય ગુરુઓ દ્વારા કહેવાતા જ્ઞાનમાં ક્યાંય કોઇ આડંબર નહોતા. આજે તો ભાગવત ભગવાનો પુષ્પક રથમાંથી ( હેલીકોપ્ટર ) માંથી ઉતરે છે, ગુલાબના પુષ્પોની વર્ષા થાય છેદર દસ મીનીટે સંગીતના તાલે આગલી હરોળની ગોપીઓ નાચવા લાગે છે, કૃષ્ણજન્મોત્સવરુકિમણી વિવાહ..નરસિહ અવતાર..નાનાટકો’, ભાગવત સપ્તાહમાં ભજવાય..કોઇ વાસુદેવ બને , કોઇ દેવકી બને, કોઇ બલીરાજા બને..અને બસનાચો..ગાવ.. થાઈરોડથી પહોળા થઈ ગયેલા નિતંબો લચકાવો.. અને બબ્બે વખત આરતીઓ ફેરવોઉછામણીઓ બોલો..ડોલરો લખાવો.. આશીર્વાદો મેળવો..

કૃતકૃત્ય થઈ જાવસાત્વિક આનંદ મેળવોઅમેરિકામાં ક્લબોમાં ભટકવા કરતાં તો   આનંદ સારો છે ને ! બાકીડોગરે મહારાજની ભાગવતકથા તો મારા અંતરમાં કોતરાઇ ગઈ છેએની તોલે તો કોઇ આવે. માણસનું પવિત્ર જીવન..સાદી જીવનશૈલિ.. એવા સંતો આજે ક્યાં છે ? આજે તો કથાકારો કહે છે કેમારું વૃંદાવન વહાલુમારે વૈકુંઠ નથી જાવું..જન્મોજનમ ગોકુળમાં અવતાર લેવો છે..અને..મોટેભાગે મુંબઈ કે ન્યુયોર્કમાં રહેતા હોય છે..એરકન્ડીશનમાં અને મર્સીડીસમાં ફરતા હોય છે. અનેઅમેરિકામાં કમાયેલા ડોલર્સ અમેરિકાના ધંધાઓમાં, એમની ભક્તાણીઓ મારફતે રોકતા હોય છે.

મને લાગે છે કે આવું બધું લખવાનો યે કશો અર્થ નથી. દુનિયા તો જેમ ચાલે છે એમ ચાલવાની છે. દુનિયા ઝુકતી હય, ઝુકાનેવાલા ચાહિયે

બાલાશંકર કંથારિયા સાહેબ, તમે સાચું કહ્યું હતું

રહી નિર્મોહી શાંતિથી રહે સુખ મોટું છે,

જગત બાજીગિરીના તું બધા છલબલ જવા દેજે.

જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહીં ભાસે,

સારા કે નઠારાની જરા યે સંગતે રહેજે.

મારે ચુપ થઈને ચુપચાપ બધા ખેલ જોવાના છેલખવાનું પણ નહીં..મીટીંગોમાં જવાનુંસાંભળવાનું..ને..ઉઠીને ધીમેથી સરકી જવાનુંફોટા પાડવા કે પડાવવા પણ નહીં ઉભા રહેવાનુંજે મળે એનેજેશ્રીકરસનકરવાનું. પણસાલો સ્વભાવ એવો પડ્યો છે કે મારાથી એવું નથી કરાતું. બક બક થઈ જાય છે…’બક બકઅનેબકા..બકા..’ ક્યાં અટકે છે ?

શ્રીરામ..શ્રીરામ

નોંધ–  લખાણ માત્ર અને માત્ર તમારા જેવા સહ્ર્દયી મિત્રો માટે છે.એટલે એને સર્ક્યુલેટ કરવા વિનંતિ. મનેદેસી ભક્તાણીઓની બીક લાગે છે.)

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.