એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » 2014 » January (Page 2)

પપ્પા જેવડો પિયુ હોય ત્યારે- નીરજા દેસાઈ

નીરજા દેસાઈ

“ચાલ ને સુજય, સરસ મજાનો વરસાદ છે, લોંગ ડ્રાઈવ પર જઈએ. ગરમાગરમ ભજિયાં ખાશું, મસાલેદાર ચાય પીશું અને દેશી મકાઈ ખાવાની તો મઝા જ કેવી અનેરી!

“ઓહો! થાકીને ઠુસ થઈ ગયો છું, સુમિ. સખત કંટાળો આવે છે, એમાંય આ વાદળિયા વાતાવરણમાં તો એમ થાય છે કે જમીને તરત ઊંઘી જાઉં

સ્ત્રી-પુરુષ વચ્ચેનો આ સંવાદ તમે ઘણી વાર સાંભળ્યો હશે પરંતુ, વાત જ્યારે ઉંમરની હોય તો ત્યારે સંવાદનો આ તફાવત આંખે ઊડીને વળગે છે. સ્ત્રી નાની વયની હોય અને પુરુષ એના કરતાં પંદર-વીસ વર્ષ મોટો હોય ત્યારે જો બન્ને વચ્ચે પૂરતી સમજણ અને પરિપક્વતા ન હોય તો સંબંધ મેચ્યોરિટીના અભાવે નાશ પામે છે.

દુનિયાની દરેક વ્યક્તિ ઈચ્છતી હોય છે કે તેમના સંબંધોનું આયુષ્ય લાં…બું….હોય! સુદીર્ઘ અને સરળ હોય, સંબંધોમાં પ્રેમ જળવાયેલો રહે, વિશ્ર્વાસ બરકરાર હોય, એકબીજાની દરેક ઈચ્છાઓ-મનોકામનાઓ પરિપૂર્ણ થાય. પરંતુ, તમને ખબર છે, સંબંધોનું દીર્ઘ આયુષ્ય ઘણી બધી બાબતો ઉપર નિર્ભર છે. જેમકે, એકબીજા પ્રત્યે કેટલું સામંજસ્ય છે, બન્નેના વિચારો કેટલા સરખા છે, તેમનામાં કેટલી પરિપક્વતા છે. પરંતુ, આ બધાથી એક મોટું પરિબળ ઉંમર પણ છે, જે સંબંધો પર ખૂબ મોટો પ્રભાવ પાડી શકે છે.

ના ઉમ્ર કી સીમા હો, ના જનમ કા હો બંધન…એવું ગવાતું ભલે હોય પરંતુ સહજીવન ગાળવા ઈચ્છતી બે વ્યક્તિઓ વચ્ચે ઉંમર એક મહત્વનું પરિબળ છે. હમઉમ્ર વ્યક્તિઓ વચ્ચે માનસિક-શારીરિક શક્તિઓ અને સમાનતા ઘણી હોવાથી સામાન્ય રીતે સ્ત્રી-પુરુષ વચ્ચે મહત્તમ પાંચ-સાત વર્ષનો ડિફરન્સ હોય ત્યાં સુધી બહુ વાંધો નથી આવતો. પરંતુ, તમારા પાર્ટનરની વય તમારા કરતાં ઘણી મોટી હોય તો સહજીવન ગાળવું મુશ્કેલ બની જાય છે. હવે, પ્રશ્ર્ન એ છે કે શું તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ઉંમરનું અંતર કેટલું છે? જો અંતર વધારે હોય તો એ અંતર સંબંધો પર શું અસર જન્માવે છે? આપણે એવા ઘણાં કપલ્સ જોઈએ છીએ જેમનામાં ઉંમરનું અંતર ઘણું મોટું હોય છે. દેખીતી રીતે એ જોડું આપણને કજોડું જ લાગે પરંતુ ખરેખર એ બન્ને વચ્ચે મનમેળ છે કે મતભેદ? ઉંમરનું અંતર વધુ હોય તો તેઓને શી સમસ્યા નડે છે, નથી નડતી, શું ખરેખર તેઓ કજોડાં જ હોય છે? આવા અનેક સવાલોના જવાબ મેળવવાની અહીં કોશિશ કરીએ.

સંબંધોમાં સૌથી અગત્યની બાબત છે માનસિક પરિપક્વતા. ઉંમર કરતાંય તમારી વિચાર પદ્ધતિ અને માનસિક પરિપક્વતા વધુ અગત્યના છે. કેટલાંક અપવાદરૂપ કપલ્સમાં વયમાં વધુ અંતર હોવા છતાં અનેક સ્તરે સમાનતા જોવા મળે છે. બેમાંના એક પાર્ટનરે શરણાગતિ સ્વીકારી લીધી હોય તો વિખવાદો થવાની સંભાવના મટી જાય છે. પરંતુ, બન્ને સરખા ઈગોઈસ્ટિક, બન્ને શોર્ટ ટેમ્પર્ડ અથવા બન્ને બહુ મહત્વાકાંક્ષી હોય તો ઉંમરનો તફાવત સપાટી પર આવીને જિંદગીમાં ઝંઝાવાત લાવે છે. દંપતિ અથવા પ્રેમીઓ વચ્ચે વયનું વધુ અંતર હોય તો સમસ્યા સર્જાવાની શક્યતા વધુ રહે છે.

આમ થવાનાં કારણો શું છે?

– બન્નેની વિચારસરણીમાં મોટો ફરક હોય છે.

– વિચારસરણીમાં ફરકને કારણે પસંદ-નાપસંદમાં મોટો ભેદ જોવા મળે છે.

– બન્નેની ખાણી-પીણી અને લાઈફ સ્ટાઈલ પણ અલગ જોવા મળે છે. સ્ત્રી ઉંમરમાં વધુ નાની હોય તો એને ચટાકેદાર ખાણી-પીણીમાં રસ પડે, જ્યારે ભાઈ ખાખરા અને મગથી પ્રસન્ન રહેવાનું પસંદ કરતા હોય. સ્ત્રીને શોપિંગ, હરવા-ફરવામાં રસ હોય અને પુરુષ ફૂરસદનો સમય આરામમાં ગાળવાનું પસંદ કરતો હોય. સ્ત્રીને નાની વયને કારણે દોસ્તો-મિત્રો સાથે રખડવામાં અને મહાલવામાં રસ પડે જ્યારે પુરુષની પસંદગીનાં ક્ષેત્ર અલગ હોય. પુરુષ નાનો અને સ્ત્રી મોટી હોય તોય સમસ્યા સર્જાય. એકને પાર્ટી, સોશિયલ ગેધરિંગમાં રસ હોય તો બીજાને નિતાંત શાંતિ જોઈતી હોય. એકને હોટલનું ભાણું પસંદ હોય છે તો બીજું પાત્ર ઘરનું ભોજન પસંદ કરતું હોય છે. એકને લાઉડ મ્યુઝિક પસંદ હોય છે તો બીજાને ક્લાસિકલ કે અન્ય શાંત પ્રકારનું સંગીત જોઈતું હોય છે. જાહેર સ્થાનો પર લોકો વિચિત્ર નજરે જોઈને એ કપલને પણ અહેસાસ કરાવતા હોય છે કે ક્યાંક તેમણે કંઈક ભૂલ તો નથી કરી!

આવી નાની નાની પરંતુ અગત્યની બાબતો આગળ જતાં યુગલ વચ્ચે મોટું અંતર સર્જે છે. જ્યારે આ નાની નાની વાતો સંબંધ પર અસર પહોંચાડવા લાગે ત્યારે મોડું થઈ ગયું હોય છે. ધીમે ધીમે પુરુષને ખબર પડવા માંડે છે કે તમારી વયનું અંતર એમની ખુશીઓ કે જોઈતી અનિવાર્ય સ્પેસની આડે આવી રહ્યું છે.

આ સિવાય પણ કેટલીક બાબતો છે જે સંબંધોને પ્રભાવિત કરે છે.

ઈમોશનલ મેચ્યોરિટી: ભલે જોવામાં ઉંમરનું અંતર બહુ વધારે મોટું ન દેખાતું હોય, પણ આ અંતર ઈમોશનલ મેચ્યોરિટી પર ગંભીર અસર કરતું હોય છે. યુવાન વયનો પાર્ટનર વધુ ઉત્સાહી અને અધીરો કે અધીરી હોય છે, જ્યારે મોટી વયનો પાર્ટનર શાંત અને ગંભીર હોય છે. આ તફાવતને કારણે તમારી રોમેન્ટિક લાઈફ પર ઊંડી અસર પડે છે.

અસલામતીની ભાવના: સાથી મોટી વયનો હોય અને પોતાના નાની વયના સાથીને તેના હમઉમ્ર મિત્ર સાથે હસી-મજાક અને વાતચીત કરતા જુએ તો પોતાની મોટી ઉંમર વિશે અસુરક્ષિતતા પેદા થાય છે. તેને એવું લાગે છે કે પોતાની વધતી ઉંમરને કારણે સાથી એને ત્યજી તો નહીં દેને?

ફેમિલી પ્લાનિંગ: આ એક એવું પરિબળ છે જ્યાં વયનું અંતર ખાસ્સી મોટી અસર સર્જે છે. વધતી જતી ઉંમરને કારણે એક પાર્ટનર એવું ઈચ્છશે કે કુટુંબનું વિસ્તરણ જલદીથી થાય જ્યારે બીજું પાત્ર એમ વિચારશે કે લગ્નના આરંભનો સમય એન્જોય કરવામાં વિતાવવામાં આવે અને એ પછી જ ફેમિલી પ્લાનિંગ કરવું જોઈએ.

ગ્રોઈંગ ઓલ્ડ ટુગેધર: વર્તમાન તબક્કે તમારી વય ૩૫ની હોય અને પાર્ટનર ૫૦નો હોય તો કદાચ તમને આ ક્ષણે કોઈ સમસ્યા ન નડે પરંતુ, થોડાં જ વર્ષોમાં પાર્ટનરની વય નિવૃત્તિ સુધી પહોંચવામાં આવી હોય ત્યારે તમે તો યુવાનીમાં જ હો. આવા તબક્કે સાથે વૃદ્ધ થવાની લાગણી તમે મિસ કરી શકો છો. હસતાં-રમતાં, લડતાં-ઝગડતાં, વ્હાલ વરસાવતાં અને વાંકું પાડતાં સાથે સાથે મોટા થવાની લાગણી, સમજણની મજા કંઈક જુદી જ હોય છે. ઉંમરનું મોટું અંતર હોય તો સ્વાભાવિકપણે મંોટી વ્યક્તિ મા કે બાપની ભૂમિકામાં અનાયાસે આવી જાય છે. આમાં કમ્પેનિયનશિપ ક્યાં આવે?

બાળકો પર અસર : પોતાના મા-બાપમાંથી એક વૃદ્ધ દેખાતું હોય અને બીજું યુવાન તો બાળકો પણ ક્યારેક શરમ અનુભવે છે.

લોકોની પ્રશ્ર્નસૂચક નજર: તમારા પાર્ટનર અને તમારા પિતાની ઉંમરમાં બહુ ફરક ન લાગતો હોય તો લોકો પણ પ્રશ્ર્નસૂચક નજરે જુએ અથવા સવાલ કરે છે. એ વખતે તમારા કરતાં તમારા સાથીના મન પર વધુ અસર થાય છે. આ અસર સંબંઘો પર પણ ઘેરી અસર છોડે છે.

આવા સંબંધોની બીજી એક બાજુ જરૂરી નથી કે ઉંમરનું અંતર જ સંબંધ પર વિપરીત અસર છોડે છે.

ઉપર જે હકીકતો વર્ણવી એ સમાન ઉંમરના લોકોમાં પણ સંભવી શકે છે. આમેય દરેકની પસંદ જુદી જુદી હોય છે. એવું નથી કે ઉંમરનું અંતર જ આ ફરક પેદા કરે છે. દરેક વ્યક્તિ જુદા વાતાવરણમાં ઊછરી હોય છે. ઉંમર સાથે આ એક પણ મહત્વનું પરિબળ છે. તમારો ઉછેર કેવો થયો છે એના પર પણ સંબંધોના આયુષ્યનો મદાર રહેલો છે. તમે કેટલા એડજસ્ટ થઈ શકશો, કઈ પરિસ્થિતિમાં કઈ રીતે રિફ્લેક્ટ કરશો, કઈ વાતને કેવી રીતે હેન્ડલ કરશો એ બધું તમારા ઉછેર પર આધાર રાખે છે.

ક્યારેક એવું પણ બને કે મોટી ઉંમરનું પાત્ર વધુ મોડર્ન અને ઉદારવાદી, ખુલ્લી વિચારસરણી ધરાવતું હોય જ્યારે નાની ઉંમરનું પાત્ર સંકુચિત હોય ત્યારે પણ સમસ્યા સર્જાઈ શકે. આવા સંજોગોમાં તમે એકબીજાનાં સૂચન અને માર્ગદર્શન લઈ શકો છો.

 

 

ટૂંકમાં, સંબંધ ટકાવવા માટે ઉંમર સાથે બીજી કેટલીય બાબતો અગત્યની છે જેમ કે પરસ્પર તાલમેળ, સન્માન, આદર, પ્રેમ અને વિશ્ર્વાસ. સૌથી મોટી વાત એ છે કે જ્યાં પ્રેમ અનેસન્માન હોય ત્યાં બીજી કોઈક બાબત આડે આવે નહીં.સમજ્યાને?

__._,_.___

.

 

 

રતિલાલ બોરીસાગરની હાસ્ય-રચના

January 7th, 2014 Posted in સંકલન્

નિત નવા વરસે ચાલો ને હસીએ…

રતિલાલ બોરીસાગર ( હાસ્યકવિની રચના )

નિત નવા વરસેનિત નવા દિવસે
હૈયું ભરીને ચાલો ને હસીએ!
રેસના ઘોડાની માફક દોડતી આ દુનિયા
નિરાંતનું નામ નહીંટેન્શનનો પાર નહીં!
હાઇ બી.પી.ની ગોળીઓ ને લો બી.પી.ની ગોળીઓ
ઊંઘવાની ગોળીઓ ને જાગવાનીયે ગોળીઓ,
ભૂખની ગોળીઓ ને પાચનનીયે ગોળીઓ,
વાળની ગોળીઓ ને ટાલનીયે ગોળીઓ,
રોજ રોજ દાકતરની ભરી દેવી ઝોળીઓ!
દિવેલિયું ડાચું લઇ શીદ ફરવું?
દાંત આપ્યા છે એણે આપ્યું છે હસવું!
નિત નવા વરસેનિત નવા દિવસે,
ઢગલો થઇ જઇને ચાલો ને હસીએ!

– રતિલાલ બોરીસાગર

નિખાલસતા

January 7th, 2014 Posted in મારા દિલની વાતો

નિખાલસતા–  ક્યાં અને ક્યારે ?

નબળાઇ તો માણસમાત્રમાં હોય છે. મોટાભાગના માણસો પોતાની નબળાઇઓને છુપાવતા  હોય  છે.

કેટલાક નિખાલસ અને ખુલ્લા દિલના માનવીઓ પોતાની ભૂલો કે નબળાઇઓનો જાહેરમાં એકરાર કરતાં ક્ષોભ નથી અનુભવતા હોતા. પરંતું મોટાભાગનો જનસમુહ એવા માનવીઓની નિખાલસતાનેમુર્ખતાકેશેખીતરીકે ગણતા હોય છે. અનેએવા નિખાલસ માનવીઓની પીઠ પાછળ તેમની હાંસી ઉડાવતા હોય છે. તેના પોતાના અંગત મિત્રો તેની નબળાઇઓની જાહેરાત કરી કરીને તેને બદનામ કરતા હોય છે.

એટલેડાહ્યા માણસે દરેક જગ્યાએ નિખાલસ થઈને બહુ બક બક કરવું જોઇએ.

બધાંને બધી વાત કહેવાની જરુર નથી. ક્યાં બોલવું અને કેટલું બોલવું વાત જે લોકો સમજતા નથી લોકોએ ક્યારેક અપમાનિત થવાનો વારો આવે છે.

ફૂલોંસે તો ખાર અચ્છે, જો દામન થામ લેતેં હય…… ( ‘ખારએટલે કાંટા )

( મને ખબર છે, વાંચીને તમે કહેશો-‘ ગાંડા, હવે સમજ્યો?’ તોહવે બહુ બકબક ના કરતો.)

શ્રીરામ..શ્રીરામ….

નવીન બેન્કર૧૩ જૂન ૨૦૧૩

એક નિખાલસ કબુલાત

January 7th, 2014 Posted in મારા દિલની વાતો

નિખાલસ કબુલાત

મતદાનને પાત્ર થાય તેવું કશું જ મેં લખ્યું હોય એવું હું, મારા બ્લોગ માટે માનતો જ નથી.બ્લોગ લખવાની હજુ  તો  શરુઆત જ થઈ છે.  છુટાછવાયા બે-પાંચ અહેવાલો બ્લોગ પર મુક્યા એટલે  ‘બ્લોગ વાંચનક્ષમ થઈ ગયો ?    ના..એ તો આત્મવંચના છે.

 નિખાલસપણે કહું તો,   કોઇના બ્લોગ પર જઈને સર્ફિંગ કરવાની અને આખી દુનિયાનું જ્ઞાન મારા મગજમાં ભરી દેવાની મને આદત નથી.  કોઇ કહે કે મેં આજે મારા બ્લોગ પર આ મુક્યું છે અને જો એ મરા ટેસ્ટનું હોય તો જરા નજર નાંખી લઉં  અને સામાને સારુ લગાડવા માટે અભિપ્રાયના  બે શબ્દો  લખી નાખું.

 સળંગ નવલકથા કે ભારેખમ વિચારો દર્શાવતા લેખો, સ્વાધ્યાયની વાતો,    જીવનોપયોગી સુફિયાણી સલાહો, રાજકિય બાબતો, ને એવું બધું હું બ્લોગ પર કે ઇ-મેઈલમાં પણ વાંચતો નથી.

મને લાઈટ જોક્સ, કાર્ટૂનો, નોન-વેજ જોક્સ, અમ્રુત ઘાયલ, જલન માતરી, જેવા ગઝલકારોની રચનાઓ  ગમે છે. સ્વ. પ્રિયકાંત પરીખ‘,’ કાજલ ઓઝા-વૈદ્યજેવાંની નવલકથાઓ બિસ્તરમાં સુતાં સુતાં નાઈટલેમ્પના અજવાળામાં   અથવા કોઇ બાંકડા પર બેસીને વાંચવી ગમે. મારા નાનકડા, બે બેડરુમના ઘરમાં મેં ઘણા પુસ્તકો, મેગેઝીનો, ચોપાનિયા,છુટ્ટા લેખો, સાચવ્યા છે. ( જેને કારણે ઘણીવાર મારે મારી પ્રિય પત્ની સાથે ચણભણ પણ થઈ જાય છે.)

 કોઇ ફરમાઈશથી કે કોઇ વર્તમાનપત્રની અઠવાડીક કોલમ હું લખી ના શકું.ક્યારેક મારા મનમાં કોઇ વિષય પરત્વે સંવેદન જાગી જાય ત્યારે એકીબેઠકે સળંગ લખાઈ જાય. હા ! ભુતકાળમાં , જ્યારે હું જવાન હતો ત્યારે, નાણાકિય જરુરિયાતોને કારણે મેં  પૈસાની ખાતર,એવી ફરમાઈશો પર પાનાં ચીતરી આપ્યા હતા.પણ એમાં મારો પ્રાણ ન હતો.એ માત્ર શબ્દોની રમત જ હતી અને મારી મજબુરી હતી. આજે ય મેં એ ગળચટ્ટા ચોપાનિયા સાચવી રાખ્યા છે. એનું સાહિત્યિક મુલ્ય ભલે કશું ના હોય પણ એ મનોરંજન તો કરાવે જ છે.

 નજીકના ભવિષ્યમાં, મારે મારી આત્મકથા પ્રથમ પુરુષ એકવચનમાં, કાલ્પનિક વાર્તા તરીકે લખવી છે.મને લાગે છે કે મારા જીવનમાં ઘણી બધી એવી ઘટનાઓ બની છે કે જેની ,મને નજીકથી ઓળખનારાઓને સુદ્ધાં કલ્પના ન આવે. આત્મકથા તરીકે તો સત્ય જ લખવું પડે અને મારામાં એવી નૈતિક હિંમત નથી. એ સારું પણ ના લાગે. આપણે  ગોંધીબાપુ  થોડા છીએ ?

શ્રીરામ…શ્રીરામ…શ્રીરામ…

 

ટાગોરની કૃતિ, પુ.લ. દેશપાંડેનું રુપાંતર અને અરુણાબેન જાડેજાનું ભાષાંતર

January 7th, 2014 Posted in સંકલન્

નાટ્યશેષ      

 

(કવિવર ટાગોર ની એક વિખ્યાત કૃતિ, 

તેનું મરાઠી રૂપાંતરનાં કર્તા શ્રી પુ. લ. દેશપાંડે અને 

ગુજરાતી ભાષાંતર શ્રી અરુણાબેન જાડેજા એ કર્યું.) 

દૂરદૂરના ભૂતકાળના ચહેરા તરફ જોયું 

જુદી જુદી ‘કંપની’ઓના  ફરતા જોયા નટ

ઓળખું હું એ બધાને 

સાંભરે બધાંના નામ 

અને પશ્ચિમનાં સાંધ્ય પ્રકાશમાં જાણું એમના પડછાયા 

નેપથ્યલોકમાંથી નટરૂપે વેશ ધરીને આવેછે 

જીવન નાં એ અંતહીન નાટ્યમાં.

દિવસો પછી દિવસો ને રાત્રી પછી રાત્રી ગઈ એમની 

પોતપોતાની પંક્તિઓ બોલવામાં ને પોતપોતાની ભૂમિકાને ઉઠાવ આપવામાં 

એ  અદ્રષ્ટ સુત્રધારના  આભાસાનુંસાર 

આદેશાનુસાર  જમાવતા  આવ્યા પોતપોતાનાં નાટકો 

વિવિધ ઢંગે વિવિધ રંગે.

આખરે પૂરું થયું નાટક. 

દેહવેશ ફગાવીને નેપથ્યે થયા અદ્રશ્ય 

જે ખેલ ભજવવા આવ્યા, એનો નાટ્યગત અર્થ 

હશે ખબર કોઈ ને કોઈ રૂપે 

એ   વિશ્વકવિને 

પણ દરેક નટ અને નટીને લેખે તો 

એમાંનું હસવું ને રડવું 

એમનો હર્ષ ને શોક, સત્ય જ હતો 

જ્યાં સુધી અંગ હતું વેશથી સજેલું.

આખરે પડદો પડ્યો.

દીવા ઓલવાતા ગયા એક પછી એક 

રંગરોગાનની ચમક ફીકી થતી ગઈ.

ઓસરાતો ગયો બધો કોલાહલ 

જે નિસ્તબ્ધ અંધકારમાં રંગમંચ તરફથી 

એમણે કર્યું નિર્ગમન 

ત્યાં સ્તુતિ ને નિંદા બંને સમાન 

ખરાબ ને સારું બધુજ સરખું જ 

સુખદુ:ખના અભિનય અર્થહીન 

અજવાળું ને અંધારું સમભાર

લાજ અને ભય હેતુશૂન્ય  

….જે હાથ મથ્યા યુદ્ધમાં 

બચાવવાને સીતા 

બીજી ક્ષણે એમને જ 

રચાવી પડી 

એની ચિતા.

પુરુથયું એ શોકનાટક

સરી  ગઈ એમાંની અસહ્ય વેદના 

હવે નાટક બચ્યું છે 

કવિની પંક્તિઓમાં 

અને કલાનાં આનંદ દાયક 

ઋણમાં.

 

અતિ દૂર આકાશની આછી સુકુમાર નીલિમા 

અરણ્ય એની તળેટીમાં ઊંચા હાથ ફેલાવીને 

પોતાનો શ્યામલ અર્થ નિ:શબ્દપણે દઇ રહ્યું છે !

સ્વચ્છ પ્રકાશનું ઉત્તરીય દિશાદિશાને ઓઢાડે છે.

આ વાત લખી રાખું છું.-

એક  વેરાગી ચિત્રકાર આ ભૂસી નાખે તે પહેલાં.

(મારા વિદ્વાનમિત્ર શ્રી. નીતિન વ્યાસે મોકલેલ એક ઇ-મેઇલ પરથી)

 

 

 

થોડીક વધુ દિલની વાતો

January 6th, 2014 Posted in મારા દિલની વાતો

દિલની વાતો

થોડા સમયથી મને, આપણાં હ્યુસ્ટનના શાંત, સૌમ્ય, મીતભાષી,મૃદુભાષી વિદ્વાન દિવ્યકાંત પરીખના વિચારો વધુ આવે છે. એકાદ લગ્નપ્રસંગે, કોઇ સામાજીક મેળાવડામાં જ્યારે જ્યારે એમને મળવાનું થયું છે ત્યારે એમને શાંતપણે અન્યની વાત સાંભળતા અને મૌન રહેતા અગર એકાદ શબ્દ કે વાક્યમાં પ્રત્યુત્તર આપતા જોયા અને મને જે જમાનામાં ગુજરાતી સમાજનુંદર્પણસંભાળતા વખતના દિવ્યકાંતભાઇ યાદ આવી જતા હતા.

મને લાગે છે કે મારે પણ હવે એવા શાંત, મીતભાષી બનવાનો સમય પાકી ગયો છે.મૃદુભાષી તો હું થઈ શકવાનો નથી. બકબક કરવાની  અને અહેવાલોસમીક્ષાઓ લખવાની પ્રવૃત્તિઓમાંથી જાતને સંકોરી લેવાનો સમય હવે પાકી ગયો છે. કારણ કે, બધું કરવાથી, દુશ્મનો વધે છે. ટીકાઓ સાંભળવી પડે છે.

તમે બધુ સારુ સારુ લખો છો, કાર્યક્રમમાં આટ આટલી ત્રુટિઓ હતી, આટલું ખોટુ થયું હતું, પેલીએ આમ કર્યું હતું ને પેલો આમ બોલ્યો હતો અંગે તમે કેમ મૌન રહો છો ?’

તમે તટસ્થ વ્યક્તિ નથી.’ ‘તમે પેલાની ફેવર કરો છો

પેલીના અભિનયના આટલા વખાણ કરવાની જરુર નહોતી. તો ઓવરએક્ટીંગ કરતી હતી. બહુ લાઉડ અભિનય હતો એનો તો !…’

તમારી પાસે ભાષા છે, શબ્દો છે, સમજ છે પણ તમે સ્પષ્ટવક્તા નથી.’

ફલાણી સંસ્થાના ફલાણા કાર્યક્રમથી કોને ફાયદો થવાનો છે ? લાખ્ખોના ધૂમાડા કરીને બે દહાડા જલ્સા કરાવવાથી શું વળવાનું અંગે કેમ કશું લખતા નથી ?

મેં લોકો માટે આટલું કર્યું અને લોકોએ મારો આભાર પણ ના માન્યો, મને એકનોલેજ પણના કરી’ (કેના કર્યો’). તમે વાત તમારા રીપોર્ટમાં લખો.’

એક સજ્જને તો મને ફોન કરીને તતડાવી નાંખ્યો– ‘ ફલાણા તમારા મિત્ર છે એટલે તમે એમને ચડાવી માર્યા છે. અમે આટલા વર્ષ આટઆટલું કર્યું છે, તમે એક લીટી પણ લખી છે અમારે માટે ?’- મેં સજ્જનને સમજાવ્યું કે ભાઇ, હું હ્યુસ્ટનમાં આવ્યો ૧૯૮૭માંતમે તો પછી ક્ષેત્રસંન્યાસ લઇ લીધો છે, કોઇ પ્રવૃત્તિમાં દેખાયા નથી. પછી તમારો ઉલ્લેખ હું ક્યાંથી કરું ?’

થોડા વર્ષો પહેલાં, હું નવો નવો હ્યુસ્ટનમાં આવેલો ત્યારે મને લોકોડોક્ટર કોકિલા પરીખના ભાઇતરીકે ઓળખતા ( અને આજે ઘણાં રીતે ઓળખે છે ) જે મને ત્યારે નહોતું ગમતું ( આજે મેં મનને સમજાવી દીધું છે ). હું મારી આગવી ઓળખ ઉભી કરવાના હવાંતિયા મારતો હતો. હું જીવનના મોટાભાગના ક્ષેત્રોમાં નિષ્ફળ ગયેલો માણસ છું એમ  જાહેરમાં કબૂલ કરવામાં મને હવે ઉંમરે કોઇ ક્ષોભ કે સંકોચ નથી થતો. આજે ૩૩ વર્ષ અમેરિકામાં રહ્યા છતાં હું એક હાઉસ નથી લઇ શક્યો અને એપાર્ટમેન્ટ/ કોન્ડોમાં રહું છું અને સોશ્યલ સીક્યોરિટીની આવક પર ગુજરાન ચલાઉં છું. ખેર ! આડવાત જવા દઈએ.

ઇન્ડીયામાં, ગુજરાતી નાટકોના કલાકારોના ઇન્ટર્વ્યૂ લઈને સામયિકોમાં છપાવવાનો, ગુજરાતી ફિલ્મોના પ્રિમીયરોના અહેવાલચિત્રજ્યોતકે ‘’ચિત્રલોકજેવા ફિલ્મી મેગેઝીનોમાં છપાવવાનો મારો અનુભવ, જમાનાના દિગ્ગજ નાટ્યકલાકારોના ઇન્ટર્વ્યૂ ૧૯૭૦૭૧૭૨ ના સમયગાળામાં છપાવેલા. આજે એની પ્રીન્ટેડ કોપીઓને મારા માલઅસબાબ તરીકે છાતીએ વળગાડીને હું લોકોને બતાવતો ફરું છું અને ગર્વ ( મિથ્યા ગર્વ ) અનુભવું છું. હ્યુસ્ટનમાં મારી આગવી ઓળખ ઉભી કરવાનો એક રસ્તો, મારી લેખનપ્રવૃત્તિ હતો. મેં જમાનાની એક જાહેર સંસ્થાનો ૧૯૭૯થી  ઇતિહાસ લખવાનું બીડુ ઉઠાવી લીધું. હું એના વર્તમાન પ્રેસિડેન્ટને મળ્યો, એમને ઘેર જઈને બે કલાક પ્રશ્નોત્તરી કરીને નોંધો કરી. એક હાસ્યલેખકને ઘેર જઈને, જૂના અંકો ફંફોળ્યા અને નોંધો ટપકાવી. દસ વર્ષના ઇતિહાસને કંઇ કેટલાય ફુલસ્કેપ કાગળોમાં ઉતાર્યો. દસ વર્ષના ગાળાના અન્ય ભૂતપુર્વ પ્રેસિડેન્ટોને પણ લખાણ બતાવ્યું અને અભિપ્રાય માંગ્યો હતો. ત્યારે પણમને આવો અનુભવ થયેલો.

તમે હાલના પ્રેસિડેન્ટને ચડાવી માર્યા છે. એમને વધુ મહત્વ આપી દીધું છે. સાલો તોગાંધીવાદીહોવાનું નાટક કરે છે….વગેરે..વગેરે.. અને  ‘ઇતિહાસપછીભુતકાળ બની રહ્યો.

અમદાવાદમાંનાટકની સંસ્થારંગમંડળનું સંચાલન જ્યારે સ્વ. રાજુ પટેલ સંભાળતા અને જમાનાની એક અભિનેત્રી પ્રતિભા રાવળ, જે આજે હજુ નાટ્યપ્રવૃત્તિમાં સક્રિય છે , અને તેમની સાથે એક કલાકાર મહેન્દ્ર પાઠક  પણ સક્રિય હતા ત્યારે ‘રંગમંડળ’નો ઇતિહાસ લખવા, પ્રિતમનગર ના અખાડામાં, રોજ રાત્રે હું જતો અને જુના ચોપાનિયા, નાટકોની જાહેરાતો, છપાયેલા અવલોકનોના કટીંગ્સ ફંફોળીને તેનું સંશોધન કરીને ઇતિહાસ લખેલો એ વખતે પણ કેટલાક અન્ય નાટ્યકર્મીઓને આ ઇતિહાસ બતાવતાં, આ જ અનુભવો થયેલા અને મારું એ સંશોધન કાર્ય, ગુમનામીના અંધકારમાં હડસેલાઇ ગયેલુ.

પણ એ વખતે મને જે જે નાટ્યકર્મીઓના પરિચય થયેલા તેમના બાળકો કે જેઓ આજે સિરીયલોમાં કામ કરીને નામ કમાઇ રહ્યા છે તેઓ જ્યારે અમદાવાદમાં, ઠાકોરભાઇ દેસાઇ હોલમાં કોઇ નાટકોના શો વખતે મળી જાય છે ત્યારે, વડીલ ગણીને ચરણસ્પર્શ કરી લે છે. આજે ય, ‘૭૫પ્લસ’ કલાકારો –પ્રતિભા રાવળ, કિર્તીદા ઠાકોર કે દિવાકર રાવળ જેવા નાટ્યકર્મીઓ સાથે ફોન પર વાર્તાલાપ કરવાનો આનંદ આવે છે.

બસ…આજે આટલું જ.

 

 

 

સ્વ. રાજેશ ખન્નાને અંજલિ આપતો સુંદર કાર્યક્રમ ‘ જિન્દગીકા સફર’ હ્યુસ્ટનમાં

January 6th, 2014 Posted in અહેવાલ

સ્વ. રાજેશ ખન્નાને અંજલિ આપતો સુંદર કાર્યક્રમ જિન્દગીકા સફરહ્યુસ્ટનમાં

અહેવાલ-  શ્રી. નવીન બેન્કર ( હ્યુસ્ટન)

 

ત્રીજી સપ્ટેમ્બરને સોમવારની સલુણી સંધ્યાએ હ્યુસ્ટનના વી.પી. એસ.એસ.હોલમાં, ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટન અને ઇન્ડિયા કલ્ચરલ સેન્ટરના સંયુક્ત ઉપક્રમેબોલીવુડના પ્રથમ સુપર સ્ટાર સ્વ.રાજેશ ખન્નાને અંજલિ આપતો એક સંગીતપ્રધાન કાર્યક્રમ જિન્દગીકા સફરશિર્ષક હેઠળ, યોજવામાં આવ્યો હતો.શિકાગોના નેશનલ પ્રમોટર ભાવનાબેન મોદીના મનપસંદના નેજા હેઠળ,મેનેજર શ્રી, બીપીન ભુતાની રાહબરી હેઠળ સની જાદવ, કન્વરલાલ વેકરિયા,અલકા ઠાકુર, કલ્પેશ ખારવા અને મહેશ રાવલ જેવા ગાયકોએ રાજેશ ખન્નાની ફિલ્મોના સુપરહિટ ગીતો ગાઇને રમઝટ બોલાવી દીધી હતી.તેમને કીબોર્ડ પર શ્રી. મહેશ રાવલ,ઓક્ટોપેડ પર શ્રી. સંકેત પટેલ અને બોંગો-ઢોલક પર શ્રી.પ્રસાદ સીરગાંવકરનો સાથ સાંપડ્યો હતો.

 

કન્વરલાલ વેકરિયાએ પ્રસંગોપાત રાજેશ ખન્નાના ગેટઅપમાં  સ્ટેજ પર ડોકી હલાવવી, આંખો ઉઘાડબંધ કરવી, હલનચલન કરવું જેવી સ્ટાઇલો મારીને પ્રેક્ષકોને હસાવ્યા હતા. વિવિધ ફિલ્મ-કલાકારોની મીમીક્રી, જોક્સ પીરસીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી મૂક્યા હતા. કાર્યક્રમનો હીરો તો હતો સની જાદવ નામનો ખુબસુરત જુવાન.

ગાયેલા સંખ્યાબંધ ગીતોની યાદી અત્રે લખીને વાંચકોને બોરકરવાનો કોઈ અર્થ નથી. પણ જે ગીતો પર પ્રેક્ષકો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા એના ઉલ્લેખ વગર આ લેખ અધૂરો જ ગણાય. જય જય શીવશંકર‘, હમેં ઔર જીનેકી ચાહત ના હોતી‘, જિન્દગી એક સફર હૈ સુહાના‘, ‘મેરે નૈના સાવનભાદોં,’ ‘મેરે સપનોંકી રાની‘, ‘સુન ચંપા સુન તારા‘,’યહાં વહાં સારે જહાંમેં તેરા રાજ હૈ‘, ‘ દિલ સચ્ચા ઔર ચહેરા જૂઠા‘, જેવા ગીતો સળંગ રજૂ કરીને પ્રક્ષકોની તાળીઓની ખંડણી સનીભાઇએ મેળવી લીધી હતી. કાર્યક્રમની અંતીમ પેરોડીમાં, રાજેશ ખન્નાના અભિનયમાં પરદા પર ગવાયેલા દર્દીલા ગીતો, સ્ક્રીન પર રાજેશ ખન્નાના વિવિધ ફોટા અને કન્વરલાલ વેકરિયા દ્વારા રાજેશ ખન્નાના જીવનના વિવિધ પ્રસંગોની યાદોની દર્દીલી રજૂઆતે શ્રોતાઓને છેલ્લે છેલ્લે ગમગીન પણ બનાવી મૂક્યા હતા. આ પેરોડી ગીતોમાં, ‘ચિનગારી કોઇ ભડકે‘,’ યે લાલ રંગ‘, ‘યે ક્યા હૂવા‘, ‘જિન્દગીકે સફરમેં ગૂજર જાતે હૈ જો મકામ વો ફિર નહીં આતે‘,’મૈં શાયર બદનામ‘,જિન્દગીકા સફર યે હૈ કૈસા સફરજેવા હ્રદયસ્પર્શી ગીતોએ સહ્રદયી ચાહકોની આંખો ભીની કરી મૂકી હતી.

 

મહેશ રાવલ નામના કલાકારે કીબોર્ડ સંભાળવા ઉપરાંત અકેલે હય, ચલે આઓગીત પણ સુંદર રીતે પેશ કર્યું હતું. કે. કે. તરીકે જ ઓળખાતા કલ્પેશ ખારવાએ પણ કેટલીક ખૂબસુરત રજૂઆતો કરી હતી.  અલકા  ઠાકુર નામની અમદાવાદની યુવાન ગાયિકાએ સ્ત્રી-સ્વરમાં ગવાયેલા કેટલાક ગીતો રજૂ કર્યા હતા અને યુગલ ગીતોમાં અન્ય ગાયકોને સાથ આપ્યો હતો.  સ્ટેજ-સન્નીવેષમાં, રાજેશ ખન્નાની વિવિધ ભૂમિકાઓની સંખ્યાબંધ તસ્વીરો પ્રેક્ષકોનું ધાન ખેંચતી હતી.

 

આ શોની ટીકીટો પણ દરેકના ખિસ્સાને પોસાય તેવી-૧૦ ડોલર્સ અને ૨૦ ડોલર્સ જ રાખવામાં આવેલી એટલે હાઊસફુલ ઓડીયન્સ મેળવી શકાયું હતું. વળી , સીટ નંબર્સ ન હોવાને કારણે, પ્રેક્ષકો સારી જગ્યા મેળવી લેવા સમયસર આવી ગયા હતા. કેટલાક સીનિયર્સ સીટીઝનો તો ધક્કામુક્કી એવોઇડ કરવા એક એક કલાક પહેલા હોલ પર પહોંચી ગયા હતા. અને આયોજકોને, સિનીયરો માટે અમુક સારી જગ્યાઓ અલાયદી ફાળવવા વિનંતિ કરતા નજરે પડતા હતા. નીશાબેન મીરાણી, અજીત પટેલ, પ્રકાશ.વી. પટેલ જેવા સન્નિષ્ઠ કાર્યકરોએ એ સિનીયરો માટે સારી જગ્યાઓ ફાળવી પણ હતી. થેન્ક યૂ ઓલ !

ઇન્ડીયા કલ્ચર સેન્ટરના  યુવાન પ્રેસિડેન્ટ શ્રી. રાજુ ભાવસાર, પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી. ધૈર્યવાન સાહેબ અને અન્ય કમીટી મેમ્બરો, બોર્ડ મેમ્બરો વગેરે એ પણ ખુબ ઉત્સાહપુર્વક ભાગ લઈને કાર્યક્રમની સફળતામાં પોતાનો ફાળો આપ્યો જણાઇ આવતો હતો. ઇન્ટરવલમાં રાજેશ ખન્ના અને તેની હિરોઇનો અંગેનો એક રસપ્રદ કાર્યક્રમ પણ કલ્ચર સેન્ટરના મેમ્બરોએ યોજ્યો હતો જે પણ રસપ્રદ રહ્યો હતો.

ગુજરાતી સમાજના ઉત્સાહી, યુવાન, તરવરીયા અને બાહોશ પ્રેસિડેન્ટ  નિશાબેન મીરાણી તથા અજીતભાઇ પટેલ જેવા સંગીતરસિક અને સાહિત્યપ્રેમી મેમ્બરો આવા વધુ ને વધુ સારા સારા કાર્યક્રમો યોજે એ જ અપેક્ષા.   અભિનંદન સૌ કાર્યકરોને !

 

નવીન બેન્કર

૫ સપ્ટેમ્બર ૨૦૧૨

શ્રીમતી રાજુલ શાહનો ‘જીવનસંધ્યા’ લેખ

January 6th, 2014 Posted in સંકલન્

જીવન સંધ્યા….

સૂર્યના આગમન સાથે શરૂ થતો થતો દિવસ મધ્યાને પહોંચે અને હળવેથી સાંઝ બની ને આથમી જાય રાતના અંધારા આપણા અસ્તિત્વને એના આગોશમાં લપેટીને ઢબૂરી દે. અને આપણે પણ એક બીજા દિવસને , એક નવી પ્રભાતને આવકારવાની તૈયારી સાથે નિશ્ચિંત મને એ રાતમાં આપણી જાતને ઓગાળી દઈએ છીએ ને?

એક જન્મથી બીજા  જન્મ સુધીની આપણી સફર પણ આ એક દિવસ જેવી જ નથી? જીવનનુ પ્રભાત એ આપણુ પા પા પગલી પાડતુ બચપન. યુવાનીનો મધ્યાન તપે  અને હળવેથી પ્રૌઢાવસ્થા એટલે કે જીવન સંધ્યામાં ઢળી જાય. અને અહીંથી શરૂ થાય છે એક નવજીવનને આવકારવાની પ્રક્રિયા.ક્ષિતિજે મળતી અવની અને આકાશનુ અદભૂત મિલન એકમેક માં ભળી જાય એવી રીતે જીવનના અનુભવો અન�� સમજણ નુ જો સુરેખ મિલન થાય તો એ જીવન સંધ્યાના અવનવા રંગો ઢળતી ઉંમરના ઘેરા અને કદાચ અકલ્પ્ય -અસહ્ય રંગો પર નવી આભા ઉભી કરીને  એ ઘેરા રંગોને થોડા આછા કરી જ શકે. અને તો   વ્યક્તિ નવજીવન માટે નિશ્ચિંત મને જીવને શિવના- આત્માને પરમાત્માના મિલન માટે જાતને ઓગાળી શકે.

હિન્દુ સંસ્કૃતિ  પ્રમાણે જે ચાર આશ્રમની વ્યવસ્થા ગોઠવાઇ છે એ પ્રમાણે જોવા જઈએ તો વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાશ્રમ વચ્ચેનો સંધિકાળ એ જ આ જીવનનુ ૭૫મુ વર્ષ. આ સમયનો સંધિકાળ એટલે જીવન સંધ્યા.

આજ સુધી સ્વજન માટે કરેલી દોડને અટકાવીને પોતાની જાત માટે – સ્વને શોધવાનો સમય.ઉમાશંકર કહે છે એમ “હું મને મળવા આવ્યો છુ”
સમજણ આવી ત્યારથી બીજાને સમજવાની અને બીજાને સાચવવાની મથામણમાં ક્યારેક વ્યક્તિ પોતાની જાતને ખોઇ નાખતી હોય છે. હવે સમય શરૂ થાય છે આત્મખોજનો. આજ સુધી બીજા માટે વ્યતિત કરેલા જીવનના વર્તુળને સમેટીને સ્વને કેન્દ્ર બિંદુ સ્થાને મુકીને સમય પસાર કરવાનો મોકો હવે મળે છે. પણ સાવ  એવા સ્વકેન્દ્રી બનવાના
બદલે  નિવૃત્તિમાં પ્રવૃત્તિ આદરવાનો આ સમય સ્વની સાથે સ્વજનને પણ સમૃધ્ધ બનાવે તો ? સાચા અર્થમાં જીવન સાર્થક થયુ ન કહેવાય? સમૃધ્ધિ  ભૌતિક હોય એ સર્વ સામાન્ય વાત છે અહીં તો આટ્લા વર્ષોનો અનુભવ નિચોડ સિંચીને સ્વ અને સ્વજનને સમૃદ્ધ બનવા બનાવવાની વાત છે.

સાવ મોકળા મને જીવવાના આ સમયને સમય સાચવવાની કોઇ જાતની પાબંદી હોતી નથી ત્યારે જ કદાચ સમયનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ થતો હશેને? આ શ્રેષ્ઠ ઉપયોગ પ્રત્યેક વ્યક્તિએ વ્યક્તિએ અલગ તો રહેવાનો જ. ધર્મની સાથે કર્મને સાંકળીને યથાયોગ્ય જીવાતા જીવનના અંતે વ્યક્તિ પોતાની જાત માટે સંતોષ લઈ શકે એવી પ્રવૃત્તિ થી નિવૃત્તિને ઉજાળવાનો પ્રયાસ એટલે જ જીવન સંધ્યા.

નિવૃત્તિ શબ્દને શબ્દદેહે જીવનમાં જેણે વણી લીધો છે એને આ નિવૃત્તિનો ચોક્કસ ભાર લાગવાનો . શરીરથી સક્ષમ હો અને ફરજીયાત નિવૃત્તિ લેવાની વાત આવે એ વ્યક્તિને તોડી નાખતી હોય છે પણ નિવૃત્તિને મરજીયાત અને મનગમતી પ્રવૃત્તિ સાથે જોડી દેવાથી એને રસપ્રદ બનાવી જ શકાય ને? આ રસપ્રદ પ્રવૃત્તિ પણ વ્યક્તિ વ્યક્તિ એ અલગ તો હોવાની જ.

દરેકે પોતાના રસના ક્ષેત્ર જાતે જ નક્કી કરવાના છે. અને એક વાર એ ક્ષેત્ર નક્કી થાય એટલે ખેડાણ પણ જાતે જ આદરવાનુ છે. જીવનનુ ૭૫મુ વર્ષ તો બાકીની જીંદગીની  પા પા પગલી કરતી શરૂઆત છે. આ સમય એવો છે કે જ્યારે જેના માટે આખુ જીવન વ્યતિત કર્યુ હોય એવા સ્વજનો પાસે  તમારી માટે ફાળવવાનો કદાચ સમય  પણ હોય. ત્યારે એકલતા અનુભવવાના બદલે  મનને
સાબૂત રાખવા મનગમતી પ્રવૃત્તિથી એકાંત ઉજાળવાનો પ્રયાસ કરવાનો છે. બની શકે કે  સમય જતા શરીર પણ મનની વૃત્તિઓને સાથ આપવા જેટલુ સક્ષમ ન પણ રહે.પણ મન સાબૂત રાખીને તનને પ્રવૃત્તિમય રાખવાનો ઉદ્યમ તો ચોક્કસ કરીજ શકાય.

આજના મારા આ જીવન સંધ્યાના પર્વના દિવસે ઇશ્વરને મારી હ્રદયપૂર્વકની પ્રાર્થના મને અને મારા જેવા જીવન સંધ્યાના ઉંબરે ઉભેલા તમામને આ સમજ ,શક્તિ અને સંકલ્પની સૂઝ આપજો.

રાજુલ શાહ

………………………………………………………………………………………………………………………………..…………………………

Comment  

 

 

 

જમિયત પંડ્યાની મને ગમતી ગઝલ

January 6th, 2014 Posted in સંકલન્

જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો
ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો
ઓ મુસીબત એટલી ઝીન્દાદીલીને દાદ દે,
તેં ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો.
કોઈના ઈકરાર ને ઈનકાર પર હસતો રહ્યો
જે મળ્યો આધાર એ આધાર પર હસતો રહ્યો.
કોઈની મહેફિલ મહીં થોડા ખુશામદખોરમાં
ના સ્વીકાર્યું સ્થાન ને પગથાર પર હસતો રહ્યો.
ફૂલ આપ્યા ને મળ્યા પથ્થર કદી તેનેય પણ
પ્રેમથી પારસ ગણી દાતાર પર હસતો રહ્યો.
જીવતો દાટી કબરમાં એ પછી રડતા રહ્યાં
હું કબરમાં પણ, કરેલા પ્યાર પર હસતો રહ્યો.
નાવ જે મઝધાર પર છોડી મને ચાલી ગઈ
એ કિનારે જઈ ડૂબી હું ધાર પર હસતો રહ્યો.
ભોમીયાને પારકો આધાર લેતો જોઈને
દૂર    જઈ       પાંગળી    વણઝાર    પર     હસતો      રહ્યો.

   કવિ જમિયતરામ પંડયા

 

જન્માષ્ટમીએ પેટછુટ્ટી મનની વાત

January 6th, 2014 Posted in મારા દિલની વાતો

જન્માષ્ટમીએ પેટછુટ્ટી મનની વાત

ક્રિશ્ન ભગવાન અને રાધાના પ્રણયગીતો ( હું એને ભક્તિગીતો નથી કહેતો ) કાનને સાંભળવા સારા લાગે છે અને તેમાં યે એ દેવિકાબેન અને સ્વરકિન્નરી સંગીતાને કંઠે સાંભળવા મળે ત્યારે !

શ્રાવણનો સરતો મહીનો‘, ‘ મનમંદીરનો માધો‘,’યમુનાની ગાયો‘,’જશોદાનો જાયો‘,’પુછે છે રાધા ,પાસે જઈ કાનાને, ધીરેથી કાનમાં‘   ને….એવું બધું..સુંદર ચિત્રો ઉપસાવી રહે છે મનોચક્ષુ સમક્ષ. કાને સાંભળવું પણ ગમે છે અલબત્ત…પરંતુ.. કોણજાણે કેમ..મને એ બધામાં કોઈ શ્રદ્ધા જાગતી નથી…મને એ બધું કોઇ કવિઓની કલ્પનાઓ જ લાગે છે..એમાં કોઇ અલૌકિકતા છે  કે પ્રભુની લીલાઓ છે એવું નથી લાગતું..જન્માષ્ટમીના ઉત્સવમાં ભજનો પર ધુણવું ( ! ) મને ગમે છે, જોર જોરથી ખંજરી વગાડવાથી મારા મનને આનંદ થાય છે-પણ તે સંગીતને કારણે જ. બાકી એમાં કોઇ ધર્મભાવના કે પ્રભુ અવતરવાનો આર્તનાદ નથી હોતો.

ક્રિશ્ન અને રામ એ પ્રજાવત્સલ સારા રાજાઓ હતા અને વંદનીય પણ હશે પણ એ પ્રભુના અવતારો હતા એ ,મારા મનમાં ઉતરતું નથી. એવી જ રીતે,સાંઇબાબા અને જલારામ બાપા પણ સારા ભક્તો હશે અને એક ગુડ હ્યુમન બીઈંગ તરીકે આપણે તેમને વંદન કરીયે, પણ તેમને ય પ્રભુનો અવતાર માનીને તેમના મંદીરો બાંધીને તેમની આરતીઓ જ ઉતાર્યા કરીયે એ મારા મનને સ્પર્ષતું નથી.

આ બધી મારી માન્યતાઓ હોવાં છતાં, હું યે મંદીરોમાં જાઊં છું અને મસ્તક પણ નમાવું છું, દર્શન કરવા નતમસ્તકે આંખો બંધ કરીને મૂર્તિ સમક્ષ ઉભો રહું છું કારણ કે  મારી પત્નીને સારુ લાગે છે કે આ દુષ્ટ માણસ સુધરી રહ્યો છે‘, ‘એનામાં કંઇક તો સારુ તત્વ હજી રહ્યું છે‘, ‘મારું કહ્યું માને છે‘, ‘ડાહ્યો થઈ રહ્યો છે‘,’ હવે ભગવાન જરુર એનો ઉદ્ધાર કરશે‘..એવું  એવું વિચારીને એને આનંદ થાય છે અને આપણને એમાં શો વાંધો હોય ? ભગવાન મૂર્તિમાં છે કે નથી,આપણને શો ફેર પડે છે ? બધાં માથુ નમાવે છે તો ચાલો, આપણે ય માથુ નમાવીએ.ભગવાન હશે તો એમને સારુ લાગશે અને નહીં હોય તો..આપણા બાપનું શું જાય છે ? આપણે તો શ્રીરામ..શ્રીરામ..કરવું..

આટલી પેટછુટી વાત સવારે સવારે કરી દીધી…                                                                                                            નવીન બેન્કર   — જન્માષ્ટમી-    ૨૨ ઓગસ્ટ ૨૦૧૧.

               

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.