બાલાશંકર કંથારિયાની ગઝલ
બાલાશંકર કંથારિયાની ગઝલ
૨૦૧૪ના નૂતન વર્ષે બાલાશંકર કંથારિયાની ગઝલની આ પંક્તિઓ મારા હૈયે ઉભરાઇ રહી જે મારી અતિ પ્રિય ગઝલ રહી છે. મને આનાથી વધુ સારી શુભેચ્છા સૂઝતી નથી.
ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે,
ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે.
દુનિયાની જૂઠી વાણી વિશે જો દુઃખ વાસે તો.
જરાયે અંતરે આનંદ, ના ઓછો થવા દેજે.
કચેરી માંહે કાજીનો, નથી હિસાબ કોડીનો,
જગતકાજી બનીને તું, વહોરી ના પીડા લેજે.
જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહીં ભાસે,
ન સારા કે નઠારાની જરાયે સંગતે રહેજે.
રહેજે શાંતિ સંતોષે,સદાયે નિર્મળે ચિત્તે,
દિલે જે દુઃખ કે આનંદ, કોઇને નહિં કહેજે.
વસે છે ક્રોધ વૈરી, ચિત્તમાં તેને ત્યજી દેજે,
ઘડી જાયે ભલાઈની,મહાલક્ષ્મી ગણી લેજે,
રહે ઉન્મત્ત સ્વાનંદે ખરું એ સુખ માની લે,
પિયે તો શ્રી. પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી લેજે.
કટુ વાણી સુણે જો તું, મીઠી વાણી સદા વદજે,
પરાઇ મૂર્ખતા કાજે, મુખે ના ઝેર તું લેજે.
અરે ! પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માંગે તો,
ન માંગે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે.
રહી નિર્મોહી શાંતિથી રહે એ સુખ મોટું છે
જગત બાજીગરીના તું બધાં છલબલ જવા દેજે.
પ્રભુના નામના પુષ્પો પરોવી કાવ્યમાળા તું,
પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે.
કવિ રાજા થયો શી છે પછી પીડા તને કાંઇ,
નિજાનંદે હંમેશાં બાલ, મસ્તીમાં મજા લેજે.
(બાલા શંકર કંથારિયા)