નારી ચાલીસા’- કોમેડી નાટક- અવલોકન
નારી ચાલીસા’- કોમેડી નાટક- અવલોકન
ગુજરાતી રંગભૂમિ પર વ્યવસાયી નાટકો આપી શકે તેવા નાટ્યલેખકો
નથી એવી ફરિયાદમાં અપવાદ ગણાય એવા લેખકોમાં ભાઇ અશોક
ઉપાધ્યાયનું નામ ગણી શકાય.વ્યવસાયી રંગભૂમિ પર સરળતાથી
નભી શકે એવું મૌલિક નાટક તે નારીચાલીસા.પ્રેક્ષકોની રુચિ અનુસાર
નાટકો આપી શકવાની પોતાની સજ્જતા અશોક ઉપાધ્યાયે પુરવાર
કરી દીધી છે.નાટકના કથાવસ્તુમાં ખાસ કશું નવું નથી.એ જ પતિ-પત્ની…
એમાં વચ્ચે ‘વો’ તરીકે આવતી સેક્રેટરી. રુપાળી પત્ની હોવાં છતાં,
પરનારીની પ્રીતમાં ફસાતા પતિદેવને, મામા અને પત્ની કેવી રીતે
સીધા રસ્તા પર લાવી દે છે એની કથા કહેતા આ નાટકમાં કેટલીક
રોમાંચક ક્ષણો પણ છે. લગભગ દરેક પુરુષના જીવનમાં ક્યારેક ને
ક્યારેક બનતી આવી ઘટનાઓ કે આવી ઉત્કટ ઝંખનાઓ પ્રત્યે લાલબત્તી
ધરતું આ નાટક, જોક્સ અને રમૂજી પ્રસંગોને કારણે સતત હસાવતું રહે છે.
પુરુષસહજ નબળાઇઓને કેન્દ્રસ્થાને રાખીને, વિવિધ સીચ્યુએશન્સ ઉભી
કરીને લેખકે રમુજી વાતાવરણ સર્જ્યુ છે. કથાનક અને સંવાદો, ભરપુર
શબ્દરમતને કારણે એકબીજાના પૂરક બનીને સુંદર પ્રહસન બની રહે છે.
સ્વાભાવિક રીતે જ નીતીન ત્રિવેદી, ભૂમિ શુક્લ અને અશોક ઉપાધ્યાય
અભિનયમાં શ્રેષ્ઠ રહે છે.સમીરના પાત્રમાં આ નાટકના દિગ્દર્શક
શ્રી. પરીનભાઇ શાહ પણ પાત્રોચિત અભિનય કરી જાય છે.બહેરા મામા
અને મદ્રાસી નોકરની બેવડી ભૂમિકામાં લેખક અશોક ઉપાધ્યાય પણ
પોતાના મુક્ત અભિનયથી પ્રેક્ષકોને ખડખડાટ હસાવી શકે છે. ‘વો’ તરીકે
ધારિણી બાપટ, રચનાની ભૂમિકામાં દમદાર લાગે છે. નાટકની સાઉન્ડ
સીસ્ટમ શ્રી. હેમંત ભાવસાર, શ્રી.અમીત પાઠક અને શ્રી. સંજય શાહે
સંભાળી હતી. લેઉઆ પાટીદાર સમાજના પ્રેસિડેન્ટ શ્રી. અતુલ પટેલ
અને તેમની ટીમે કાર્યક્રમને સફળ બનાવવામાં ખુબ પરિશ્રમ ઉઠાવ્યો
હતો. રાધિકા ફિલ્મ્સ એન્ડ વિઝનોટેકવાળા શ્રી.અજય શાહના પ્રોડક્શનનું
આ નાટક શ્રી. પરીન શાહે લેઉઆ પાટીદાર સમાજ માટે હ્યુસ્ટનના
સ્ટેફોર્ડ સિવીક સેન્ટરમાં તારીખ ૩૦મી જુને પ્રસ્તુત કર્યું હતું.
Navin Banker
http://navinbanker.gujaratisahityasarita.org/
Phone No: 713 771 0050